Saraswatichandra books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 3

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૨.૩

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૩ : કુસુમનું કઠણ તપ

‘કુસુમ ! ઓ કુસુમ ! તને ખોળી ખોળીને હું તો થાકી ગઈ. બળ્યું, આમ તે શું કરતી હઈશ ?’ એમ બોલતી બોલતી કુસુમના માંડવા આગળ થઈને સુંદર ઉતાવળી ઉતાવળી ચારેપાસ જોતી જોતી ફરતી હતી. આજ પ્રાતઃકાળની તે જડતી ન હતી અને એને માટે નિર્મેલા કોઈ પણ સ્થાનમાં તેનો પત્તો ન હતો. એમ કરતાં છેટે માળણની ઓરડીની પાછળ એક પીપળા તળે કંઈક ઘસારો લાગ્યો, કાન માંડ્યા, બીજા ઝાડ પાછળ સંતાઈને જોયું, અને જુએ છે તો એક હાંલ્લામાં કંઈક રાંધવા બેઠેલી કુસુમની પીઠ- માળણનો એક જાડો સાલ્લો પહેરેલો તેથી ઓળખાઈ નહીં-પણ જરીક એક પાસથી જોયું તો કાન, નાક, આંખ, ગાલ,સર્વ કુસુમનાં જ. શ્વાસ રૂંધી સ્તબ્ધ થઈ, છાતીએ હાથ મૂકી, કાકી ભત્રીજીનો આ ચિત્રવેશ જોઈ રહી. નાક ચડાવી, હોઠ લંબાવી, આંખો સંકોરી, અનેક ગૂચવાડામાં પડી, મનમાં ને મનમાં સુંદર બડબડી : ‘આ છોકરીથી તો ત્રાહિ દીનની નાથ ! એ શું કરે છે ને શું કરશે તે આપણાથી તો કંઈ સમજાય નહી. એની માને દુઃખ આવી પડ્યું એટલે એને સૂઝતું નથી ને બાપને કારભારમાં દીકરીનું ચરિત્ર વસતું નથી. એવાં એવાંની બુદ્ધિ લોપ પામી ગઈ ત્યાં મારા તે શા આશરા ? -છતી થઉં ? -ના, ના, જોઉં તો ખરી કે આ વેશ આખરે કેવો ઊતરે છે ?’

માળણની ઝૂંપડી અને વાડીના કોટ વચ્ચે ખાલી જગ્યા હતી અને તે એક પીપળાના ઝાડની છાયાથી ઢંકાઈ હતી. આ ઝાડનાં મૂળ આગળ કુસુમે ભોયમાં જ ખાડો ખોદી ચૂલો કર્યો હતો અને તેમાં દેવતા સળગાવી ઉપર હાંલ્લામાં ખીચડી ચડાવી હતી. પોતે પાસે એક ઈંટ ઉપર અર્ધોત્થિતઅર્ધોત્ક-અધૂકડી બેઠી હતી. પોતાના શરીર ઉપરથી સર્વ અલંકાર કાઢી મૂકેલા હતા, પણ પીપળાના તળ આગળ પોતે કોઈ વેલી પેઠે બેઠેલી લાગતી હતી અને પીપળાનો અલંકાર જાતે જ થઈ પડી હતી. કૃષ્ણપક્ષમાં મધ્યરાત્રિએ ચંદ્રબિંબ ક્ષિતિજમાં ઊગે અને આસપાસના પ્રદેશમાં રમ્ય નવીન પ્રકાશ પ્રકટાવી રહે તેમ ઝાડના મેલા થડ આગળ કાળા સાલ્લામાં કુસુમનું ગૌર મુખબિંબ નવીન કાન્તિ ધરતું હતું. તે જોતાં સુંદરને ઉમળકો આવ્યો અને છતી થઈ તેને બાઝી પડતી પડતી અટકી.

ઝાડની ડાળો અને પાંદડાં વચ્ચેથી કોયલ ટહુકી ઊઠે તેમ શાંતિની છાયાથી ઊભરાતા આ સ્થાનમાં કુસુમ બોલી ને સુંદરનો પગ અટક્યો :

‘જમની ! આ ચૂલામાંથી દેવતા ઘેર જાય છે ને ધુમાડો થાય છે તે ભંગળી વગર શું કરવું ?’

થોડેક છેટે ઊગેલું ઘાસ એક લાંબી કાતર વડે બેસીને કાપતી કાપતી માળણ બોલી :

‘ઊભાં રહો, ભૂંગળી લાવું.’

‘ના, ના, ભૂંગળી ન હોય તોય ફૂંક મરાય એમ કર.’

‘તે વારુ, અમ માળીડાંનેય ભૂંગળી મળે તે તમને જંગલમાં નહીં મળે ? ત્યાં તો ઘણાય વાંસ હોય.’

‘પણ વાંસને કાપવાનું જોઈએ કની ?આપણે તો વગર ભૂંગળીએ તાપ લાગે એવું બતાવ.’

માળણ ઊઠી આવી, ને ચૂલા સામે જોતી જોતી બોલી : ‘વારુ, બહેન ! તમે કર્મી લોક તેને આ તે શા અકર્મીના ધંધા કરવા ? જાઓ, ઘેર જાઓ, જુઓ તો ખરાં ! આ ધુમાડે તમારી આંખો કરી છે તે - કેસૂડાંના ફૂલ જોવી !’

‘ના, તે હું કહું તે કર !’

માળણ કંઈ વિચાર કરી બોલી :

‘પાંદડાંને ઘાસનો દેવતા - તે પૂરો થયો; એ હવે બીજાં સૂકાં પાંદડાં વીણી લાવ્યા વગર નહીં બળે.’

‘તે તમે કરતાં તો ખીચડી કાચી કાચી સુકાઈ જશે., તળે છે થોડો ભૂકો તે લાગશે. માટે ફૂંકવાનો રસ્તો બતાવ.’

‘મારી તો અક્ક્લ ચાલતી નથી. ફૂંક જેવી ફૂંકો મારો તે તમારાં નાજુક મોંમાં જોર કેટલું ? હું ફૂંક મારું તો અભડાવ ને તમારામાં ફૂંકવાનું જોર નહીં !’

કુસુમ જરાક ઊંચી થઈ વિચારમાં પડીને બોલી ઊઠી : ‘જો ભૂંગળીને ઠેકાણે આ હથેળી મોં આગળ રાખું ને ફૂંક મારું, તો દેવતા સળગશે કની ?’

‘હા, લો, એમ કરી જુઓ.’

ફૂંક મારતાં આંખમાં રાખ ઊડી ને માળણ હસી પડી.

‘લ્યો, લ્યો હવે ! જાઓ ઘેર. જેનું કામ જે કરે. આવા રૂડા મોં ઉપર રાખોડી ઊડી ચોંટી તે બાવીઓ જેવાં કાળાં હોત તો તો બરોબર લાગત.’

‘ત્યારે આ કેવી લાગે છે ?’ હથેળી વડે ભૂલી ત્યાંથી ફરી ફૂંક મારવાનું કરતી કરતી કુસુમ બોલી, ને ઉત્તર મળતાં પહેલાં હથેળી ધરી ફૂંક મારવા લાગી. માળણને ઉત્તર સૂઝે ત્યાર પહેલાં ભડકો થયો અને સુંદર પાસે આવી બોલી ઊઠી :

‘આ દિવસમાં ધોળી વાદળીઓથી ઢંકાયેલો ચંદ્ર લાગે છે એવું તારું રાખોડીવાળું મોં લાગે છે, કુસુમ !’

કાકીને દેખીને કાંઈક ચમકી, અંતે સ્વસ્થ થઈ, હાંલ્લાનું ઢાંકણું ઉઘાડી એક ધોયેલા છેડિયા વડે ખીચડીના દાણા કાઢી ચાંપી ડોતી, એણી પાસ જ દૃષ્ટિ રાખી કુસુમ બોલી :

‘કાકી ! એ રાખોડી ને એ મોં - એ બે આખરે એક દેખાવનાં તે આજથી અજમાવી જોઉં છું કે બેનો અરસપરસ મેળ કેવો થયા છે ? આખરનું જે સાથી તેનું આજથી જ હેત કરું છું.

‘કર્યું કર્યું એ હેત ! ઊઠ-આઘી-રોજ નવાનવા વેશ કાઢે છે તે હવે નહીં નભે. ખબરદાર જમની !જો આ છોકરીને અહીં આવવા દીધી તો !’

જમની - ‘કાકીબા ! મેં તો ઘણું ય સમજાવ્યાં પણ એ કંઈ અમ જેવાનું માને ? ર્‌હાડ કરીને આવું આવું કરે છે !’

સુન્દગૌરી - ‘તે કેમ, કુસુમ. કહ્યું માને છે કે નહીં ! ઊઠે છે કે ઘરમાંથી વડીલને બોલાવું ?’

ચાંપેલો દાણો હાંલ્લીમાં પાછો નાંખી હાંલ્લી ઢાંકતી ઢાંકતી કાકી ભણી કંઈક ફરીને ઊંચું જોઈ કુસુમ બોલવા લાગી :

‘તે શું, કાકી, એમ જાણો છો કે વડીલ કુસુમને તમારી પેઠે ધમકાવશે ?’

‘ના, તું તો એમની હૈયાની હોડી-લજવામણી ! તે તને કેમ ધમકાવે ? પણ એટલું તો થશે કે તારા આ ચાળા જોઈ વડીલ દુઃખના દરિયામાં ડૂબશે. માનું કાળજું બાળે છે ને દાદાનું બાળ. જોઉં તો ખરી કે કોનાં કોનાં કાળજાં બાળે છે ? ભાયડાઓ છોકરીઓને ભણાવે ને આમ બગાડે-તે તારા બાપ નથી જાણતા, પણ દાદા તો જાણે છે.’

હાંલ્લી ઉઘાડી, માંહ્ય પાણી રેડતી રેડતી હસતી હસતી પાણીની ધાર ભણી જ આંખ રાખી કુસુમ બોલી :

‘કાકી ! એ તો ભૂલ્યાં. દાદા તો વળી પિતાજી જેટલું પણ કુસુમને કહેવાના નહીં; અને પિતાજીની જોડે તો બહુ બોલાય નહીં, પણ દાદાજીને તો કહેવાય એટલું કહું.’

મોં લંબાવી ખભા ઊંચા કરતી સુંદર બોલી : ‘ઊંહ-તું તે કોઈને ગાંઠવાની નહીં. શું કરીએ આને તે ? પણ બોલ તો ખરી કે આ બધું શું કરે છે ને આ વેશ શો કાઢ્યો છે ? મને તો તારી કંઈ સમજણ પડતી નથી.’

‘કાકી ! કોઈને ભારે પડ્યા વિના ગરીબ થઈ એકલાં બાવીઓ પેઠે કેમ રહેવાય -આવું કેમ ખખવાય ને આવું કેમ પહેરાય તે શીખું છું.’ ઊભી થઈ, કાકીના સામી ફરતી, પહેરેલાં વસ્ત્રનો જાડો પાલવ હાથમાં ઝાલી બતાવતી અને આંખ વડે હાંલ્લી બતાવતી, કુસુમ પ્રફુલ્લ મુખથી બોલી અને અંતે જય પામતી હોય તેમ કાકીની આંખો સામું તાકીને જોઈ રહી.

‘કુસુમ ! તારે કરવું હોય તે કર. પણ આ કંઈ સારું કરતી નથી.’ નિઃશ્વાસ મૂકી સુંદર એક ઝાડના ઠૂંઠા ઉપર લમણે હાથ મૂકી બેઠી અને કુસુમના ચૂલા સામું જોઈ રહી.

થોડી વારે હાંલ્લીમાં જોઈ, ઊભી થઈ બેચાર પાંદડાં વીણી કુસુમ પત્રાળું કરવા બેઠી, ને તેને સળીઓના કટકાથી સાધતી સાંધતી બોલી : ‘કાકી ! આ અન્ન ખવું હોય તો ચાલો - એ પણ મિષ્ટ લાગશે, એથી પણ જઠરાગ્નિ તૃપ્ત થશે.’

‘શું આમ હાથમાંથી જવાને બેઠી છે ! તારા ઘરના અન્ન જેવું આ અન્ન ન હોય અને એ જાડું અન્ન તારા નાજુક પેટમાં ને નળામાં ખૂંચશે ને પ્રાતઃકાળે ઔષધ ખાવું પડશે.’

‘કાકી ! આ ખીચડી ખાતે તો બેત્રણ દિવસ થયાં.’

‘હેં ! ત્રણ દિવસ થયાં ખાય છે ? દીકરી, ગજબ કર્યો !’- છાતી ઉપર હાથ મૂકતી સુંદર ચપ લઈને ઊભી થઈ અને હાંલ્લીને અડકવા ગઈ.

‘હાં, હાં, અડકશો નહીં-નવણમાં છું.’ કુસુમ ગાજી ઊઠી.

‘હવે જાણ્યું તારું નવણ ને બવણ. જમનીનું લૂગડું, જમનીની માટલી, ને બધું નવણમાં હશે ખરું કની ?’

‘તો, આ જુઓ. પણે કાલને માટે ધોઈ સૂકવી મુકેલું લૂગડું પેલા ઝાડની ડાળ ઉપર, ને આ હાંલ્લી તો કુંભારના ઘરની નવી છે. કાકી ! આવો તો ખરાં; જરા ચાખો તો ખરાં, જુઓ તો ખરાં. વારુ, આમ શું ગાંડાં કાઢો છો ?’

‘હા હા, હું ગાંડી; ને તું ગાંડી તે ડાહી. હું તો અડકું છું ને હાંલ્લીબાંલ્લી બધું લઉં છું ઘરમાં તારાં માને ને બાપને દેખાડવાને.’ સુંદર અડકવા ગઈ, કુસુમે તેને અટકાવી.

‘જો, તારે આ વાત તેમનાથી છાની રાખવી હોય તો એટલું કબૂલ કર કે આવું આવું જે જે ધતિંગ કરે તેની પ્રથમ મને જાણ કરવી.’

‘તે તમે કબૂલ કરો છો કે તમારે એ વાત કોઈને કહેવી નહીં ?’

‘હા.’

‘ને મને અટકાવવી નહીં ?’

‘એ તો અટકાવવાનું હોય ત્યાં અટકાવવી ય પડે !’

‘તે બળથી કે કળથી ?’

‘કળથી, બાપુ, કળથી. એટલું ય કબૂલ તો કર.’

‘નક્કી-ખાતરી?’

‘હા, નક્કી !ખાતરી !’

‘જાઓ ત્યારે, કબૂલ .’

‘ત્યારે કહે કે આવું આવું શું શું ધાર્યું છે ?’

‘જુઓ. ગુણિયલના મનમાં મને બુદ્ધિધનભાઈને પરણાવવાનું છેતેની આપણે ના છે. બહેનના સસરા તે મારા વડીલ. પિતાજીના મનમાં મને સરસ્વતીચંદ્રને પરણાવવી છે -તેમાં પણ આપણી ના સમજવી. અને આ ચંદ્રકાંતભાઈના ઘરમાં એક છે તેના ઉપર મને બીજી બેસાડવાની માગણી તેમના ભાઈએ કરી છે-તે કાગળ પિતાજી ઉપર છે-તેની પણ ના.’

સુંદર- ‘બે વાતની ના તો સમજાઈ. પણ સરસ્વતીચંદ્રની ના કેમ કહે છે ?’

કુસુમ - ‘બે વાતની નામાં છેલ્લે સુધી મને મદદ આપો તો સમજાવું. પિતાજી, દાદાજી, ગુણિયલ, જરાશંકરમામા ને એ બધાંને આ વાતમાં તમારે સમજાવવા.’

સુંદર - ‘તે એટલી બધી હું બંધાઉં તેને સાટે તું કેટલું બંધાય છે ?’

કુસુમ - ‘સરસ્વતીચંદ્રને ના પરણવાનું મારું કારણ તમને બદલામાં સમજાવું.’

સુંદર - ‘ના, તે એટલામાં બદલો ન વળે. હું બંધાઉં તેના બદલામાં તું સરસ્વતીચંદ્રને પરણવાને બંધાય છે ?’

કુસુમ - ‘આવડી આવડી ના.’

એણે ‘આવડી’ ઉચ્ચારતાં હાથના ચાળા કર્યા.

સુંદર - ‘ત્યારે અમારી ય આવડી આવડી ના. આટલી છોકરી મને પટાવે છે- જમની !જો તો ખરી.’

જમની - ‘કુસુમબા ! ત્યારે કહી જ ધોને. કાકીબાને ય મનની વાત ન કહીએ !’

કુસુમ - ‘જો તમે આટલું બંધાઓ તો હું એટલી બંધાઉં કે સરસ્વતીચંદ્ર જડે ને પોતાના વિચાર ફેરવે તો પણ તેટલાથી કંઈ મારે મારા વિચાર ફેરવવાના નથી પણ હું પૂછું એ બધા પ્રશ્નોના ઉત્તર આપે ને એવા ઉત્તર આપે કે તેથી મારા મનનું સમાધાન થાય ને મારા વિચાર ફરે ને તેમનો ને મારો બેનો વિચાર એક થાય તો પછી હું મને ઠીક લાગે તે વિચાર કરું - તે વિચાર કરું હાં- વિચાર કરું; બીજું કાંઈ અત્યારથી બંધાવાનું નહીં.’

સુંદર - ‘આ જોને ! આનું આમ થાય, તેનું તેમ થાય, પેલાનું પેલું થાય-તો પછી મારાં કુસુમબહેન શું કરે ? વિચાર કરે ! બીજું કાંઈ ન કરે, પણ વિચાર કરે. જાઓ અમે તો કંઈ બંધાતાં નથી.’

કુસુમ - ‘હું તો આ ખાવા બેસું.’

પત્રાળું તૈયાર થયું હતું. તેમાં ખીચડી નાંખી કુસુમ ખાવા લાગી. સુંદર કેડે હાથ દઈ ઊભી જ રહી. વળી સ્મરણ સ્ફુરતાં બોલી.

‘કુસુમ !બીજી વાતમાં બંધાવાનું પડતું રહ્યું, પણ વાત કહેવા તું બંધાઈ છે તે તો કહે કે તેં શાં શાં ઘતિંગ ધાર્યા છે ?’

કુસુમ હસી પડી. ‘કાકી ! આ અન્ન્માં એવો નશો છે કે સાંભરેલું ભૂલી જવાય છે.’

સુંદર - ‘ઠીક છે. ત્યારે હું ભૂખથી ભૂલી જઈશ.’ સુંદરે જવા માંડ્યું. કુસુમે તેને ઊભી રાખી.

કુસુમ - ‘ઊભાં તો રહો. જરા મશ્કરી કરીએ તેમાં શું રિસાવ છો જે ? મારા વિચાર ધારેલા છે તે તું, જમની, કાકીને કહે. પછી બાકી રહેશે તો હું કહીશ.’

સુંદર - ‘કરે બાપુ, જમની, તું કહે; એ નહીં કહેવાની.’

જમની - ‘કાકીબા ! બહેનને બાવીની પેઠ રહેતાં શીખવું છે. માળણ પેઠ રહેતાં શીખવું છે, અને જાણવું છે કે અમે બધાં રહીએ છીએ તેમ એમનાથી રહેવાય કે નહીં ?’

સુંદર - ‘પછી ?’

જમની - ‘હું તો આટલું જ જાણું.’

સુંદર - ‘તેમાં તે શું વધારે કહ્યું ?કેમ, કુસુમ ? શું ધાર્યું છે?’

કુસુમ મોં ધોઈ ઊઠી, અને મોં લોહતી લોહતી આગળ આવી બોલી.

‘કાકી ! લ્યો હું જ કહીશ. મારે જમી લેવું હતું તેમાં વાર થાય માટે આ યુક્તિ કરી ઉતાવળથી જમી લીધું. હવે સાંભળો. આ કાળમાં કુમારી સ્ત્રીઓ દ્રવ્ય વિના ખાવાપીવાનો વાંધો પડે અને મોટા ઘરના બાળકથી રાંક લોકની રહેણી પ્રમાણે રહેવાય નહીં એવું તમે જ કહ્યું હતું. મેં મારી હવે ખાતરી કરી લીધી કે આ લૂગડાં મારાથી પહેરાશે, આ ધાન્ય મને પચશે ને ભાવશે, ને આવે ઠેકાણે રહેવામાં મને કંઈ હરકત નહીં પડે. આ માળણનો માસના બે રૂપિયાના ખરચથી નિર્વાહ થાય છે-લૂગડાં, ખાવાનું અને માટલાં લાકડાં સુધ્ધાંત ! બાર માસે એ ચોવીસ રૂપિયા થયા. તે ચાર ટકા પ્રમાણે છસો રૂપિયાનું વ્યાજ થાય. પિતાજી મને કન્યાદાનમાં એટલી રકમ તો ઓછામાં ઓછી આપવાનું ધારશે ત્યારે આ તો એ રકમ પણ નહીં જોઈએ. એટલા રૂપિયા પિતાજી એમને પોતાને નામે રાખવા હોય ત્યાં રાખે અને મને આટલું વ્યાજ અપાવે એટલે આપણે થયું. તેટલામાં તો ‘તાગડધિન્ના’ થાય ને કુમારી કુસુમ મિસ ફલૉરાનાથી પણ વધારે સુખી થાય.’

સુંદર - ‘તને આ બધું કોણે શીખવ્યું ?-હશે. હવે એ આવડ તારામાં આવી ચાલ, પછી શું કરવું છે ?’

કુસુમ - ‘પિતાજીને નાતજાતની હરકત પડે નહીં ત્યાં સુધી મને ઘરમાં રાખશે ત્યાં સુધી રહીશ. તેવી હરકત પડવા માંડશે ત્યારે-’

સુંદર - ‘ત્યારે શું ?’

કુસુમ - ‘ત્યારે કે - ગાઉં?’

‘કુસુમબહેન ચા..લ્યાં....રે ગોદાવરી !’

ગોદાવરી જતાં તો પૈસા બેસે, પણ સુરગ્રામ, સુંદરગિરિની બાવીઓ, અને એવાં એવાં સ્થાન ક્યાં ઓછાં છે કે જ્યાં સ્ત્રીની જાતને પણ ભય નથી ? અને મનજી બંડ કરે તેને કેદ કરવાને તો સાધુજનોના કિલ્લા તૈયાર જ છે. કાકી ! હવે કુસુમ મીરાંબાઈ થવાને તૈયાર છે.

સુંદર - ‘તે ગાંસડાંપોટલાં ક્યારે કરવાનાં છે ?’

કુસુમ - ‘આવી જાત્રા કરવાને ગાંસડાંપોટલાં શાં ? શરીરનો રથ અને મનની સવારી; કુસુમ કાઢે સંઘ, ત્યાં તો આનંદની વારી.’

સુંદર - ‘પણ પિતાજી ઘરમાં રાખે ત્યાં સુધી તો રહેવું છેની ?’

કુસુમ - ‘એમાં કાંઈ વાંધો નથી. માત્ર વચ્ચે એક દિવસ આ બધાં સ્થાન જોવા જવું છે અને ક્યાં ઠીક પડશે તેનો નિર્ણય કરી રાખવો છે.’

સુંદર - ‘તે ક્યારે ?’

કુસુમ - ‘કાંઈ નિમિત્તે પ્રસંગ આવશે.’

સુંદર - ‘કુસુમ ! હવે ધરમાં આવવું છે કે નહીં ?’

કુસુમ - ‘હાસ્તો, હવે ધર અને આશ્રમ બે કુસુમને મન સરખાં છે, ને પિતાજી અને ગુણિયલ એ બે શિવપાર્વતી જેવાં છે ; તેનાં મંદિર જેવું આ ઘર આશ્રય આપશે ત્યાં સુધી ત્યાં જ આનંદ છે. કાકી ! કુસુમનું આયુષ્ય હવે તપોમય સમજવું. મીરાંબાઈનો કાળો કામળો કુસુમને ગમ્યો છે. એને સંસારના બીજા રંગ લાગે નહીં ને ટાઢમાં ઓઢાય.’

સુંદર - ‘કુસુમ ! કન્યાઓને વિદ્યા આપતાં પહેલાં જ સંસારમાં પરોવવી એ શાસ્ત્ર તારા દૃષ્ટાંતથી વધારે સમજાશે. અને બીજાં માબાપ પોતાની કન્યાઓને વિદ્યા આપતાં તારા દૃષ્ટાંતથી ડરશે અને તે બાપડીઓને વિદ્યા નહીં મળે-એ સર્વ સંસારનું પાપ-કુસુમ-તારે માથે ! માતાપિતાને અને સંસારને દુઃખી કરી તેનું દુઃખ દેખી પસ્તાજે ને કાકીને સંભારજે !’

ક્રોધ અને અશ્રુથી ભરેલી સુંદર ચાલી ગઈ. કુસુમ ઓઠે આંગળી મૂકી પાછળ ઊભી રહી- તેનું મુખકમળ કાકીની છેલ્લી ળબ્દવૃત્તિના પ્રહારથી નમી ગયું. નવા ઊંડા વિચારમાં પડી જઈ તે ધીમી ધીમી ચાલવા લાગી. તેના મનના પ્રબળ તાપને દેખી બહારનો તાપ હારી જતો હોય અથવા એવા તાપવાળી સુંદર બાળાને વધારે તાપ ન આપવો એવી સૂર્યને કે મેઘને દયા આવતી હોય-તેમ એક વાદળું સૂર્યની નીચે આવી ગયું અને કુસુમના મ્લાન શરીર ઉપર છત્રની છાયા થઈ.

‘શકુન તો બહુ જ સારા થાય છે-’ મ્લાનિ ત્યજી કુસુમ કાકીની પાછળ ગઈ, અને શકુનદર્શક આશીર્વાદ હ્ય્દયમાં ઊભેલા સત્ત્વના મુખમાંથી નીકળતો સાંભળતી સાંભળતી લેહમાં ને લેહમાં સ્વગૃહમાં ચાલી. તેના હ્ય્દયને આજ એ સત્ત્વ પ્રથમ દેખાયું અને જે ખંડમાં સરસ્વતીચંદ્રના મુખમાંથી ભાષણ સાંભળ્યું હતું ત્યાં, તેના જેવો સ્વર ધારી, એ સત્ત્વ કહેવા લાગ્યુંઃ

‘સૌન્દર્યોધાનના સુંગર કુસુમ !તારું ભાગ્ય રાત્રિવિકાસી કુમુદ જેવું નથી. આ દેશકાળને અપરિચિત સ્વતંત્રતાની જે વાસના તારામાં જન્મી છે તે વાસનાનો પિતા હું છું. એ વાસનાના બીજનું આજ સુધી ગુપ્ત એકાંતમાં તારા ઉરમાં જગતથી અદ-ષ્ટ રક્ષણ અને પોષણ તેં ક્રયું છે. તારા જેવી જેની માતા અને મારા જેવો જેનો પિતા એ વાસનાને શાનો ભય છે ?’

પોતાની વાસનાને માથે આવાં ‘માતાપિતાની’ કલ્પનાથી કુસુમ કંપી-એ કલ્પના જ એ વાસનાને ભયંકર લાગી. તે ભયથી એ કંપવા માંડે છે ત્યાં ગૃહમાં એક બારીએ વિદ્યાચતુર એકલો ઊભો ઊભો કાંઈ રાજ્યસંબંધી વિચાર કરતો દીઠો. કુસુમને દૂરથી જોતાં તેના વિચાર અટક્યા. કુસુમના કૌમારવ્રતની વાસના એને વિદિત હતી અને એના મનોરાજ્યને પ્રિય હતી; એ વાસનાનો ઉદય કુસુમમાં થયો તે એને અભિનંદનીય લાગતો હતો ; માત્ર આ દેશકાળમાં એ વાત વ્યવહારવિરુદ્ધ છે અને એ વાસનાનો ઉદય કન્યાને દુઃખકર અને અનિષ્ટકર છે એટલો આ વિષયની તુલના કરતાં સામો પક્ષ સમજાયો અને સત્ય લાગ્યો હતો. આ ગૂંચવાડામાંથી છૂટવાનો માર્ગ તેને હજી જડ્યો ન હતો. પણ એક પાસથી આ વિષયમાં ગુણસુંદરીની ચિંતાનો તે અંશભાગી થયો હતો, ત્યારે બીજી પાસથી આ વાસનાની તપ્તિ શોધવાને માર્ગે નીકળી પડેલી પુત્રીની તપની વાર્તા સુંદરને મુખે સાંભળી એ ઉત્કર્ષથી પિતાનું હ્ય્દય ફૂલ્યું હતું. એટલામાં જ એ ઉત્કર્ષદાત્રી મેઘાવિની દુહિતાને દાદર ઉપર જેઈ પિતાના હ્ય્દયે હ્ય્દયમાં કાલિદાસની વાણી વડે, પણ ઉચ્ચાર બોલ્યા વિના, આશીર્વાદ દીધો કે :

‘રમ્યાન્તરઃકમલિનૌહરિતૈઃ સરોભિ-

શ્છાયાદ્રુમૈર્નિયમિતાકર્મયુખતાપઃ ।

ભૂયાત્કુશેશયરજોમૃદુરેળુરસ્યા

શાન્તાનુકૂલપવનશ્વ શિવશ્વ પન્થાં ।।’

‘કુસુમ ! સંસારમાં તારો માર્ગ આવો કરી આપવા તારો તારો પિતા પ્રયત્ન કરશે. કુમુદ ગઈ તેમ તને જવા દેવી નથી. આવી દુઃખકારક એક ભૂલ થઈ તેવી બીજી કરવી નથી. જે અવિશ્વાસ અને ભયથી મંદિરમાં રહી રહી તું ઓછું આણે છે અને આવું તપ કરે છે તેમાંથી મુક્ત કરી તારા સુંદર સ્વતંત્ર પવિત્ર અભિલાષને સફળ કરે એટલી શક્તિ-એટલી વૃત્તિ-શું મારી અપત્યવત્સલામાં નથી ? કુસુમ જેવી એક નાની બાળકીહવે એકલી એ જ-તેનો અપરાધીન રહેવાનો, ઉપાધિમુક્ત રહેવાનો અભિલાષ, વેળાસર સમજાયો છતાં રત્નનગરીના પ્રધાન જેવો પિતા તેટલો અભિલાષ સિદ્ધ કરવા અશક્ત નીવડે એ દેશકાળનું તારાતમ્ય.’

‘રંક કુમુદની સ્વતંત્રતા ઊગતાં પહેલાં જ મેં નષ્ટ કરી. આ પ્રધાનપદની જંજાળમાંથી જન્મેલા પ્રમાદને બળે મેં નષ્ટ કરી. મારા ભાગ્યોદયને કાળે જન્મેલી કુસુમની સ્વતંત્રતાને એનું પ્રારબ્ધ મારી પાસે વિકાસ અપાવે છે એ વિકાસ આપવો એ મારો ધર્મ મારી દૃષ્ટિમાં જણાય છે.

કુમુદનાં દુર્ભાગ્ય જોઈ આ દૃષ્ટિ ઊઘડી-તેનો લાભ કુસુમને મળશેએ તેનું ભાગ્ય. અનાર્ય થઈ ગયેલા લોકાચાર ઉપર વિશ્વાસ રાખી હું સ્વકાર્યનો અનભિજ્ઞ રહ્યો, મેં મહાપ્રમાદ કર્યો, અને પરિણામમાં કુમુદ જેવી સુશીલ, રંક પુત્રીરૂપ ગૃહરત્ન ખોયું ! કુસુમને એમ ખોવી નહીં એ હવે પ્રતિજ્ઞા. પુત્રહીન ગુણિયલે પુત્રીઓને પુત્રસમાન ગણી છે અને એકના નાશથી તે આવી વિકલ થઈ છે તો બીજીના દુઃખથી તેને શું નહીં થાય ? એના મનની ચિંતા, અને કુસુમની ચિંતા-સર્વ હવે મારે શિર પડી ! પરણે તે પાળે ને જન્મ આપે તે આત્મજનું જીવન સુધારે. કુસુમનું જીવન સુધારવુંએના જેવીના મનોરાજ્યને ધ્વસ્ત કર્યાની નહીં પણ સફળ કર્યાથી જ એ જીવન સુધરશે.

આ મારા વિચારમાં કેટલું સત્ય છે તે મને સૂઝતું નથી. પુત્રી ઉપર માતાપિતાનુમ વાત્સલ્ય તેમને રંક કરી દે છે, વિકલ કરી દે છે, પરાધીન કરી દે છે. કણ્વમુનિને પણ કહેવું પડ્યું હતું કે વૈકલ્યં મમ તાવદીદૃહશમપિ સ્નેહાદરળ્યૌકસઃ । સર્વથા પુત્રીનો પિતા વિકલ જ છે. પુત્રના દુઃખથી પણ એમ જ થતું હશે., બુદ્ધિધન અને લક્ષ્મીનંદનને અત્યારે કેવી તીવ્ર વેદનાઓ થતી હશે !’

I fear I am, what they call Doting. A strange weakness is creeping over my soul, and I don’t know what absurd follies I shall commit next while under the magic influence of this awful weakness. Let it be ! The weakness, if weakness, is noble and blessed, and I am not going to be frightened out of it by its being called a weakness. For the sake of dear innocent child, I shall, like the poet, say to my manlier soul ;Resist not the weakness.’

અનાથ બાળક માતાપિતાની પ્રીતિથી જ સનાથ છે. શંકરાચાર્ય જેવા ત્યાગીએ પણ એ પ્રીતિને પૂજ્ય ગણી છે. માતાપિતા જ્યારે પુત્રપુત્રીનાં રક્ષક પોષક નહીં થાય ત્યારે બીજું કોણ થશે ?The State certainly cannot take care of all its children when parents call parentage an accident and shift all duty from their own heads. It is, therefore, for the parents to look to the presevation and advancement of the cradled world. parents alone can do this work most efficently as being placed nearest their little ones and able to study their wants and give them that warmth which can develop the seeds of adolescsnce. This is a function which parental affection alone can best perform, and therefore, by the logic of final causes, thefunction is also a duty. And I must perform it best for my little Kusum. When affection co-operates with duty, custom and convention must be ruled out of order !

કુસુમ ! લગ્નની ઉપાધિમાંથી મુક્ત રહેવાનો તારો અભિલાષ દૃઢ જ રહેશે. તો આવા કષ્ટતપની અપેક્ષા વિના જ તારો પિતા તારા અભિલાષ સિદ્ધ કરશે ને જે સૌંન્દર્યોદ્યાનમાં તું આજ રહે છે તેવી જ રમણીય જગ્યામાં એ અભિલાષની વાડી ખીલવશે. એ ધર્મને માટે નાતજાત ને પ્રધાનપદ જેવા સર્વ સ્વાર્થનો ત્યાગ કરવા એ તત્પર છે.