Chintanni Pale - Season - 3 - 35 books and stories free download online pdf in Gujarati

ચિંતનની પળે - સીઝન - 3 - 35

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

  • 35 - સંબંધ અને લાગણીની બેલેન્સશીટ ન હોય
  • આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે, એવું કશું નથી કે વચન હોવું જોઈએ.

    જીવનમાં લાખ ઘટના બને છે ભલે બને, એમાંથી એક બેનું મનન હોવું જોઈએ.

    મરીઝ

    પ્રેમ માપવાની નહીં, પણ પામવાની ચીજ છે. લાગણીની ફૂટપટ્ટી ન હોય અને સંબંધનું મીટર ન હોય. જેને જીવવાનું હોય એને ગણવાનું ન હોય. માણસ ગણતરીઓ માંડતો રહે છે અને ખોટો પડતો રહે છે. સંબંધ, પ્રેમ અને લાગણીમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું તેના હિસાબ ન હોય. હિસાબ કરવા જઈએ તો દાખલો ખોટો જ પડે, કારણ કે એની ગણતરી જ ન હોય. તમે કોઈ દિવસ શ્વાસની ગણતરી કરી છે? જિંદગીમાં તમે ટોટલ કેટલા શ્વાસ લીધા? આપણું દિલ કેટલી વાર ધબક્યું? આપણે આવી ગણતરીઓ નથી કરતા, કારણ કે એ સહજ છે. શ્વાસ ચાલવાના જ છે, દિલ ધબકવાનું જ છે. સંબંધ પણ એવા જ હોવા જોઈએ. એકદમ સહજ અને સરળ સંબંધ જ સાચો હોય છે. સંબંધને જીવો, મહેસૂસ કરો અને કોઈ જ ગણતરી ન કરો.

    જે સંબંધમાં ગણતરી હોય એ ક્યારેય ટકતા નથી. બે મિત્રો હતા. કોઈ કારણોસર બંને વચ્ચેની દોસ્તી તૂટી ગઈ. એક મિત્રએ કહ્યું કે તેના વિશેની મારી ગણતરીઓ ખોટી પડી! દોસ્તીમાં વળી ગણતરી કેવી? તેં ગણતરી માંડી શા માટે? ગણતરીના પાયા પર રચાતી પ્રેમની ઇમારત બને એ પહેલાં જ ખંડેર થઈ જતી હોય છે. પાયો મજબૂત હોય અને ઇમારત નબળી હોય તો પણ ઇમારત ટકી જાય છે, પણ નબળા પાયા પર ગમે તેટલી મજબૂત ઇમારત ચણો તો પણ એ ટકતી નથી. તમારા સંબંધોનો‘બેઇઝ’ કેવો છે તેના પરથી જ તમારા સંબંધનું અસ્તિત્વ નક્કી થતું હોય છે.

    એક માણસે એક એન્જિનિયરને મકાન બનાવવાનું કામ સોંપ્યું. પાયો રોપતી વખતે એન્જિનિયરે પૂજા રાખી. પેલા માણસે કહ્યું કે, પૂજાની શું જરૂર છે? પાયા માટે તો મજબૂત પથ્થરની જ જરૂર છે. એન્જિનિયરે કહ્યું કે પવિત્રતા વગરની મજબૂતાઈનો કોઈ મતલબ નથી. મજબૂતાઈથી મકાન બને છે અને પવિત્રતા જ મકાનને ઘર બનાવે છે. સંબંધોમાં પણ પવિત્રતા હોવી જોઈએ. સ્વાર્થના પાયા પર રચાતા સંબંધો પણ મજબૂત જ હોય છે, પણ જેવો સ્વાર્થ પતે એટલે આવા સંબંધો કડડડભૂસ થઈ જતા હોય છે. પવિત્રતાના પાયા પર રચાતા સંબંધો જ સાત્ત્વિક અને મજબૂત રહે છે.

    આપણે બધું જ ગણીગણીને કરવા લાગ્યા છીએ. સંબંધોનું માપ ચાંદલાની રકમ કે ગિફ્ટની કિંમતને આધારે મપાવા લાગે ત્યારે સરવાળે ખોટનો ધંધો જ થતો હોય છે. સંબંધોમાં ગણતરી ન હોય, સંબંધોની બેલેન્સશીટ ન હોય, સંબંધોમાં તાળો મેળવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. હવે તો આપણે સમયનો વપરાશ પણ ગણતરી માંડીને કરવા લાગ્યા છીએ. હું ગયો ત્યારે એ મારી સાથે બે કલાક પણ નહોતો રહ્યો, તો પછી હું તેના માટે શા માટે મારો દિવસ બગાડું? એક મિત્ર તેના જૂના મિત્રના ઘરે ઓચિંતો જ પહોંચી ગયો. બીજા મિત્રને આશ્ચર્ય થયું. તું ફોન કર્યા વગર આવી ગયો? હું તો બહાર જતો હતો. મારે એક મિટિંગમાં જવાનું છે. આવી રીતે ન અવાય. બીજા મિત્રએ કહ્યું કે હું કોઈ જ ગણતરી સાથે આવ્યો ન હતો. તેં મને આ ચાર વાક્યો કહ્યાં તેના કરતાં બીજાં ચાર વાક્યો કહી, ગળે વળગી અને ચાલ્યો ગયો હોત તો પણ કંઈ વાંધો ન હતો. હું તો તારા ઘરે આવતો હતો ત્યારે મને એ પણ ખબર ન હતી કે તું ઘરે હોઈશ કે નહીં! મેં તો એવું જ વિચાર્યું હતું કે તારા ઘરના ઉંબર સુધી તો આવું, જ્યાં મારો મિત્ર રહે છે એ જગ્યા તો જોઈ લઉં. તને જોયો તો હું ખુશ થઈ ગયો. તું જા, હું પણ જાઉં છું, પણ જતા પહેલા ગળે મળી લે. પછી આટલી ક્ષણો પણ મળે કે ન મળે. નાના હતા ત્યારે ક્યાં કોઈ એપોઇન્ટમેન્ટ લઈને મળતા હતા? દફ્તર ઘરે મૂકીને તારી પાસે આવી જતો, આપણે રમતા. મારા મનમાં તો એ જ યાદો હતી એટલે જ કદાચ તને ફોન કર્યા વગર આવી જવાયું. બચપણમાં એવું ઘણી વાર બન્યું છે કે હું તારા ઘરે આવ્યો હોય અને તું ન હોય, ત્યારે કોઈ અફસોસ નહોતો થતો! આજે તારી એપોઇન્ટમેન્ટ લીધા વગર આવવાનો મને કેમ અફસોસ થાય છે? હા, આપણે બધા જ બહુ બિઝી થઈ ગયા છીએ, પણ જેટલી ક્ષણો મળીએ એટલો સમય તો એકબીજાના રહીએ.

    આપણી એપોઇન્ટમેન્ટ ડાયરી આપણા સુખનું કબ્રસ્તાન બની જતી હોય છે. નવરા પડીએ ત્યારે આપણે એ કબર પણ સ્મરણોનાં ફૂલો ચડાવતા રહીએ છીએ. આપણો સંબંધ, આપણો પ્રેમ આપણે આપણા હાથે જ કબરમાં દફનાવી દીધો હોય છે. આપણી પાસે સુખનો બગીચો બનાવવાનો સમય નથી અને આવાં અનેક કબ્રસ્તાનો આપણા દિલમાં બનાવી લઈએ છીએ. કાર લઈને સડસડાટ મિત્રના ઘર નજીકથી પસાર થઈ જઈએ છીએ અને એ ઘર તરફ આપણી નજર પણ પડતી નથી, જ્યાં એક દિવસ આપણને સુખ મળતું હતું. બધાંને પોતાની પ્રાયવસી સારી લાગવા માંડી છે. એકલતાને આપણે અંગતતા સમજવા લાગ્યા છીએ.

    મિત્રો અને પોતાના લોકો હોય ત્યારે બધું જ જાહેર છતાં અંગત હોય છે. તારી સાથે શું પ્રાયવસી? તારાથી શું ખાનગી? તને મારી વાત ખબર ન હોય તો તો મને કંઈક ખૂટતું લાગે. તને વાત ન કરું તો કોને કરું? આવા સંબંધો તમારી પાસે છે? જો હોય તો એને જતનપૂર્વક જાળવી રાખો, એની માવજત કરો અને એને જીવો. હવે તો એવો સમય છે કે આપણે ચિંતનની પળે

    આપણી અંગત વાત પણ કોઈને કરી શકતા નથી. કંઈ સારું હોય તો પણ કોઈને નથી કહેતા, ડર લાગે છે કે તેને ઈર્ષા થશે. મારું સુખ તેનાથી નહીં જોવાય. ક્યાંક એની નજર લાગી જશે. દોસ્તી અને પ્રેમમાં ક્યારેય કોઈની નજર લાગતી નથી, નજર ઠરતી જ હોય છે. મારો મિત્ર તો ખુશ છે, મારો પ્રેમી કે પ્રેમિકા તો આનંદમાં છે. મેં તો કાયમ તેનું ભલું જ ઇચ્છયું છે અને તેનું ભલું થાય એમાં હું ખુશ જ હોઉં. આપણાં દુઃખથી દુઃખ થાય એવા લોકો કદાચ મળી આવે, પણ આપણાં સુખથી સુખી થાય એવા લોકોની અછત થવા લાગી છે.

    માણસ જે સંબંધો જાળવવા જોઈએ એ જાળવતો નથી અને જે ન જાળવવા જોઈએ એ સતત જાળવતો હોય છે. દુશ્મની આપણને વળગેલી રહે છે અને દોસ્તીની આપણે પરવા નથી કરતા. નફરતને વાગોળતા રહીએ છીએ અને પ્રેમને યાદ નથી કરતા. દુશ્મની પણ એક સંબંધ જ છે, એ નેગેટિવ રિલેશનશિપ છે. વિચારો પણ પોઝિટિવ અને નેગેટિવ હોય છે એમ સંબંધો પણ પોઝિટિવ અને નેગેટિવ હોય છે. દુશ્મની કે ખરાબ સંબંધોને જેટલા ઝડપથી ભૂલી જશો એટલા પોઝિટિવ સંબંધો નજીક રહેશે. ઘણા લોકો દુશ્મનીમાંથી નવરા જ નથી પડતા, એ દુશ્મનીમાં એટલા બધા બિઝી રહે છે કે દોસ્તી માટે એને સમય જ નથી મળતો. દુશ્મનીની પણ ગણતરી ન રાખવી જોઈએ, કારણ કે એ ભૂલી જવાનો જ વિષય છે.

    કોઈ સ્વાર્થ નહીં, કોઈ ગણતરી નહીં, કોઈ અપેક્ષા નહીં, કંઈ મેળવી લેવાની દાનત નહીં હોય એ જ સંબંધ સાચો હોય છે. આવી વાત સાંભળીને તરત જ એવો સવાલ થાય કે આજના સમયમાં એવા સંબંધો જ ક્યાં છે? છે, એવા સંબંધ છે અને એ તમારી પાસે જ છે. તમે તો એને તમારામાં જીવતા કરી દો, એની શરૂઆત તમારે

    છેલ્લો સીન

    Be a good person, but don’t try to prove.

    સારા માણસ બનો પણ એ સાબિત કરવાનો પ્રયત્ન ન કરો.

    ***