Sankalp thi safalta - 1 books and stories free download online pdf in Gujarati

સંકલ્પથી સફળતા - 1

એક દિવસ એક ખેળુત પોતાના નાના દિકરાને લઇને ન્યુ યોર્કની કોઈ શેરીમા જઇ રહ્યા હતા, ચાલતા ચાલતા દિકરાએ વિનંતી કરી કે મારે મોટી હોટલ જોવી છે, મને ત્યાં લઇ જાઓ ને !!! આ સાંભળી પીતાજી તરત બોલ્યા કે બેટા મોટી મોટી હોટલોમા જવાના આપણી પાસે પૈસા નથી એટલે આપણને કોઇ અંદર જવા નહી દે. બાળકે થોડી વધારે વિનંતી કરી એટલે પીતાજી તેને એક હોટલમા લઇ ગયા અને ત્યાંના મેનેજર સાથે વાત કરી કે મારા દિકરાનો આજે જન્મદીવસ છે, તે તમારી હોટલ જોવા માગે છે, શું તમે અમને તમારી હોટલ જોવાની મંજુરી આપશો? હોટલના મેનેજર ખુબ દયાળુ હતા એટલે તેમણે હોટલમા જવાની મંજુરી આપી દીધી. બાપ દિકરો બન્ને ખુબ ખુશ થઇ ગયા અને આખી હોટલ ફર્યા. હોટલ જોઇને છોકરો બોલ્યો કે પીતાજી એક દિવસ આ હોટલ આપણી હશે ! દિકરાની આવી વાતો સાંભળી પીતાજી ખુબ હસવા લાગ્યા અને બોલી ઉઠ્યા કે બેટા આવી હોટલ ખરીદવી એ આપણુ કામ નથી, માટે આવા શેખચીલ્લી જેવા સપનાઓ જોવાય નહી !
આ ઘટનાને ઘણો સમય વિતી ગયો, હવે પુત્ર યુવાન થઇ ગયો હતો અને પીતાજીનુ કોઇ સંજોગોવશાત અવસાન થયુ હતુ, પણ પેલી હોટલનો માલીક બનવાનો સંકલ્પ હજુ પુત્રને ઉંઘવા દેતો ન હતો. પોતાના સંકલ્પને પ્રાપ્ત કરવા અને ખુબ પૈસા કમાવવા માટે હવે તે ખુબ મહેનત કરતો હતો, અનેક પ્રકારના વેપાર કરતો હતો જેથી પુષ્કળ ધન કમાવા લાગ્યો અને આખરે તેણે પૈસા ભેગા કરીને પેલી હોટલને ખરીદી બતાવી. જાણો છો આ વ્યક્તીનુ નામ શું હતુ ? આ વ્યક્તીનુ નામ હતુ કોનરડ હિલ્ટન કે જેઓ અમેરીકાના ખુબ મોટી અને પ્રતીષ્ઠીત હોટેલ ચેઈનના માલીક હતા. તેમણે પોતાની હોટલના દરેક રૂમમા બાઇબલ અને પોતાની આત્મકથા મુકી છે જેને વાંચીને અનેક મહેમાનો પ્રેરણા મેળવે છે.
સમાજમા આવાતો અનેક ઉદાહરણો હોય છે કે જેમા વ્યક્તીએ દ્રઢ સંકલ્પ કરી અદ્વીતીય સફળતા મેળવી બતાવી હોય.
તમે ગાંધીજીનુજ ઉદાહરણ લ્યો, ગાંધીજી જ્યારે સાઉથ આફ્રીકામા ટ્રેનમા ફર્સ્ટ ક્લાસ ડબ્બામા સફર કરી રહ્યા હતા ત્યારે અંગ્રેજોએ તેમને બ્લેક ઇન્ડીયન કહીને નીચે ઉતારી મુક્યા હતા, પોતાનુ આવુ હળહળતુ અપમાન જોઇને તેમણે મનમા સંકલ્પ કરી લીધો હતો કે હું એક દિવસ મારા દેશને ગુલામીમાથી આઝાદ કરાવીનેજ રહીશ અને એ પણ અહીંસાના માર્ગથી. આ રીતે તેમણે અનેક અહીંસક આંદોલનો કર્યા, ઘણી વખત જેલમા ગયા, અનેક યાતનાઓ, સજાઓ ભોગવી તેમ છતા તેઓ પોતાના ઇરાદા પર મક્કમ રહ્યા અને આખરે ભારતને ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ આઝાદી અપાવી બતાવી. જરા વિચારો જોઇએ કે જો ગાંધીજીએ અંગ્રેજોએ કરેલા અપમાનને સહી લીધા હોત અને કોઇ પણ પ્રકારનો સંકલ્પ ન કર્યો હોત તો દુનિયા આખી તેમને આજે મહાત્મા ગાંધી તરીકે ઓળખતા હોત?
આમ વ્યક્તીની ખરી પ્રતીષ્ઠા એ તેના સંકલ્પો અને તે સંકલ્પોને વળગી રહેવાની હીંમતમાજ છે, આવી હીંમત વ્યક્તીને દિવસ રાત સક્રીય બનાવતી હોય છે અને આખરે તેની નજદીક પહોચાળી દેતી હોય છે કે જેને લોકો મેળવવા તત્પર રહેતા હોય.
ઘણા લોકો કહેતા હોય છે કે મારી પાસે પુરતા પૈસા નથી, ટેકીદારો નથી કે નથી એવી કોઇ સાધન સામગ્રી કે જે મને સફળતા અપાવી શકે, પોતાની અસમર્થતાના આવા વિચારો કરી કરીને આવા લોકો હાર માનીને બેસી જતા હોય છે, પણ આ વાત વ્યાજબી કહેવાય નહી કારણ કે સફળતા મેળવવાની શક્તી એ સાધન સામગ્રીમાથી નહી પણ દ્રઢ સંકલ્પમાથી પ્રાપ્ત થતી હોય છે. જો તમે કોઇ કાર્ય કરવાનો દ્રઢ સંકલ્પ કરશો તો આકાશ પાતાળ એક કરતા તમને કોઇ રોકી શકશે નહી પણ જો તમે સંકલ્પ નહી કરો તો તમારી પાસે બધાજ પ્રકારની સાધન સુવિધાઓ હોવા છતા પણ તેનો ખાસ કશો ઉપયોગ કરી શકશો નહી. અહી તમે ગાંધીજીનુજ ઉદાહરણ જુઓ, શરુ શરુમા તેમની પાસે ક્યાં પ્રબળ જનસમર્થન હતુ તેમ છતા તેઓ પોતાના સંકલ્પને વળગી રહ્યા અને નાની એવી પણ શરુઆત કરી બતાવી, બસ ત્યાર પછીતો ધીરે ધીરે તેમને સમર્થન મળવા લાગ્યુ અને આખરે તે એટલુ વિશાળ બની ગયુ કે તે સમગ્ર દેશને આઝાદી અપાવી બતાવે. આમ સફળતા એ સાધનોનુ નહી પણ સંકલ્પોનુ પરીણામ હોય છે, ત્યાંથીજ સફળતાની સાચી શરુઆત થતી હોય છે.
દ્રઢ સંકલ્પ એટલે શું ?
જ્યારે કોઇ વ્યક્તી પોતાને એમ કહે છે કે મારે આ કામ કરવુજ છે અને હું કોઇ પણ ભોગે, કોઇ પણ પ્રકારની બાંધછોળ કર્યા વગર તેમ કરીજ બતાવીશ તો આવી મક્કમતાને વચનબદ્ધતા કે દ્રઢ સંકલ્પ કહી શકાય.
"ગોડ હેલ્પ્સ ધોસ પીપલ વ્હુ હેલ્પ્સ ધેમસેલ્વ્સ " એટલેકે ભગવાન મદદ એનેજ કરે છે કે જેઓ પોતાને મદદ કરવા તૈયાર બને છે. જે લોકોને પોતાનીજ કશી પડી નથી હોતી તેવા લોકોને દુનિયા ગમે તેટલી મદદ કરી લે તો પણ તેઓ ખાસ કશુ ઉકાળી શકતા હોતા નથી. જો તમે ઇચ્છતા હોવ કે સમગ્ર વિશ્વ અને ભગવાન તમને મદદ કરવા તૈયાર થાય તો સૌથી પહેલાતો તમારે મક્કમ નિર્ધાર કરવો પળશે. જો તમે આવો નિર્ધાર કરશો, મનોમંથન કરશો, પ્રયત્નો કરશો કે આગળ વધશો તોજ લોકો તમારા સુરમા સુર પુરાવવાની પ્રેરણા પ્રાપ્ત કરતા હોય છે અને તમને મદદરૂપ થતા હોય છે. એટલેકે જો તમે ઇચ્છતા હોવ કે વિશ્વની તમામ શક્તીઓ તમને મદદરૂપ થવા લાગે તો સૌથી પહેલાતો તમારે પોતાનેજ મદદરૂપ થવા તૈયાર થવુ જોઈએ એટલેકે તમામ પ્રકારની નકારાત્મકતાઓ ત્યજી સંકલ્પબદ્ધ બનવુ જોઈ...
એવુ કંઇ જરુરી નથી કે કોઇ વ્યક્તી આપણુ અપમાન કરે કે નિષ્ફળતા મળે ત્યારેજ સંકલ્પ કરવો, સંકલ્પ તો કોઇ પણ સમયે કોઇ પણ બાબતમા કરી શકાતો હોય છે, દા.ત. તમે ક્લાર્ક હોવ તો કોઇ મોટા ઓફિસર બનવાનો કે હેડક્લાર્ક બનવાનો સંકલ્પ કરો, અભ્યાસમા ૮૦% આવે તો હવેથી ૯૦% લાવવાનો સંકલ્પ કરો, આ વર્ષે એક કરોડનુ ટર્નઓવર કર્યુ હોય તો આવતા વર્ષે ૨ થી ૩ કરોડનુ ટર્નઓવર કરવાનો સંકલ્પ કરો. અહી એક વાતનુ ખાસ ધ્યાન રાખજો કે સંકલ્પ કરવો એના કરતા એ સંકલ્પને મક્કમતાથી વળગી રહેવુ વધારે મહત્વનુ હોય છે કારણ કે ઘણા લોકો સંકલ્પતો અનેક પ્રકારના કરતા હોય છે પણ તેમાથી એકેય સંકલ્પ પુરો કરતા હોતા નથી, તેઓના મનમા એમ હોય છે કે સંકલ્પ કરવા માત્રથીજ સફળતા મળી જતી હોય છે પણ હકીકતમાતો સંકલ્પ કરવાથી નહી પણ તેને વળગી રહેવાથી સફળતા પ્રાપ્ત થતી હોય છે. મે એવા ઘણા લોકોને જોયા છે કે જેઓ વર્ષ દરમિયાન માત્ર એકજ સંકલ્પ કરતા હોય છે પણ એ સંકલ્પને તેઓ એવી રીતે પુરો કરી બતાવતા હોય છે કે તેઓનુ સમગ્ર જીવનજ પરીવર્તીત થઇ જતુ હોય છે. આમ સફળ થવા માટે સંકલ્પોની સંખ્યા કરતા સંકલ્પોની દ્રઢતા વધારે મહત્વની હોય છે.

સંકલ્પોથી સફળતા કેવી રીતે મળે ?

વિજય નગર અને તેનાલી રામાની વાર્તા તો તમે સાંભળીજ હશે. તેના સૈનીકો જેટલી વખત યુદ્ધ લડવા જતા તેટલી વખત તે હારીને પાછા આવી જતા હતા. આવુ અનેક વખત થતુ હતુ એટલે બધા મુંજાઇ ગયા કે હવે કરવુ શું ? ત્યારે તેનાલીરામાને એક યુક્તી સુજી. બીજી વખત જ્યારે સૈનીકો યુદ્ધ લડવા ગયા અને યુદ્ધ મેદાન નજીક આવેલી એક નદી પાર કરી ત્યારે એ હોડીઓ કે જેનાથી સૈનીકોએ નદી પાર કરી હતી તેને તેનાલી રામાએ સળગાવી નાખી. હવે સેના પાસે પાછુ વળવાનો કોઇ પ્રશ્નજ ન હતો એટલે કરો યા મરો એમ સમજીને યુદ્ધ લડવાનુ હતુ એટલે બધાજ સૈનીકો પુરી તાકાતથી યુદ્ધ લડ્યા અને આખરે તેમા જીતી ગયા.
વચનબદ્ધતામા પણ કંઈક આવુજ હોય છે. એક વખત આપણે વચન લઈ લઈએ કે મારે આ કામ કરવુજ છે તો પછી તેમા ગમે તેટલી મુશ્કેલીઓ આવી જાય તો પણ પાછુ વળવાનોતો કોઇ પ્રશ્નજ આવતો હોતો નથી. હવે જો આપણે પાછુ વળવાનુજ ન હોય અને જીવીએ કે મરીએ હાથમા લીધેલુ કામ પુરુ કરીનેજ રહેવાનુ હોય તો પછી શા માટે તેમા પુરી તાકાત ન લગાવી દઈએ ? વ્યક્તી જ્યારે આવુ વિચારવા પ્રેરાયતા હોય છે ત્યારે તે મરણીયા પ્રયત્નો કરવા જેટલો સક્ષમ બની જતો હોય છે અને આખરેય સફળતા મેળવી બતાવતો હોય છે. આમ વચનબદ્ધતા એ માણસને પીછેહટ કરતા, ગીવઅપ કે ક્વીટ કરતા બચાવી તેના પ્રયત્નોમા જોમ ભરી દેતુ હોય છે જેથી વ્યક્તી ડબલ ગતીએ આગળ વધી શકતો હોય છે.
જ્યારે કોઇ વ્યક્તી સંકલ્પ કરે છે ત્યારે તેના મનમા રહેલી જુની ઘર કરી ગયેલી માન્યતાઓ, ગાફલતો, નકારાત્મકતા કે અશક્તીની ભાવના દુર થઈ જતી હોય છે, તેનો છેદજ ઉડી જતો હોય છે અને તેની જગ્યાએ " હવેથી હું આમજ કરીશ " "તેમ કરીનેજ બતાવીશ" કે શા માટે હું તેમ ન કરી શકુ તેવા ઉત્સાહ વધારનારા વિચારો આવી જતા હોય છે એટલેકે વ્યક્તીના વિચારો કરવાના આધારોજ જળમુળથી બદલાઇ જતા હોય છે અને નવાજ પાયાઓની રચના થતી હોય છે જેથી એક નવીજ ઇમારતનુ નિર્માણ કરી સફળતા મેળવી શકાતી હોય છે. આમ દ્રઢ સંકલ્પ કરવાથી સફળતા મળતી હોય છે તેનુ સૌથી મોટુ કારણ એજ હોય છે કે તેનાથી આપણે વારંવાર નિર્ણયો બદલવાથી બચી જતા હોઇએ છીએ. જે વ્યક્તી વારંવાર પોતાના નિર્ણયો બદલે છે, વારંવાર પોતાના માર્ગ બદલે છે, સતત દ્વિધામા રહે છે તેઓ ક્યારેય કોઇ મુકામે પહોચી શકતા હોતા નથી પરંતુ જે લોકો મક્કમ નિર્ણયો કરી નક્કી કરેલા માર્ગ પર સતત ચાલ્યા કરે છે તેઓ નિશ્ચિત પણે નક્કી કરેલા સ્થળે પહોચી શકતા હોય છે.
એક ભાઇ ખુબ મોટુ ખેતર ધરાવતા હતા, એક દિવસ તેમને ખબર પડી કે તેમના ખેતરમા હીરાની મોટી ખાણ છે. હીરા મેળવવાની અપેક્ષામા તેમણે લાખો રુપીયાના ખર્ચે ઉંડે સુધી ખેતર ખોદી નાખ્યુ, ૨ વર્ષ સુધી તેમણે આ કામ કર્યુ તેમ છતા તેમને હીરા ન મળ્યા તે નજ મળ્યા. આખરે તેઓ હીંમત હારી ગયા અને આખા ખેતરને નજીવી કીંમતમા વેચી ત્યાંથી ચાલ્યા ગયા. થોડા સમય પછી એ ખેતર ખરીદનાર વ્યક્તીએ વિચાર્યુ કે આ ખેતરમા ૮૦ મીટર સુધીતો ખોદેલુજ છે તો લાવને હું પણ થોડુ ખોદાવી નાખુ. હીરા ન મળે તો ઠીક છે અને મળે તો આપણા નશીબ એમ કહી તેણે ખોદવાનુ શરુ કર્યુ. તેણે માંડ ૨૦ મીટર સુધી ખોદ્યુ હશે કે અચાનક ત્યાંથી હીરાનો મોટો ભંડાર મળી આવ્યો અને તે રાતો રાત અમીર બની ગયો.
કહવાનો મતલબ એટલોજ છે કે સફળતા ૧૦૦ મીટર ઉંડે હોય તો આપણે ૧૦૦ મીટર ઉંડો ખાડો ખોદવોજ પડે, ત્યાં સુધીની મક્કમતા દર્શાવવીજ પડે, જો આપણે ૭૦-૮૦ મીટરનો ખાડો ખોદી જાત જાતના તર્ક વિતર્કો કે બહાનાઓ કરી ગીવઅપ કરી દઇએ કે પુરો પ્રયત્ન ન કરીયે તો આપણી નિષ્ફળતામાથી બોધ પાઠ મેળવી બીજા લોકો સફળતા મેળવી જતા હોય છે અને આપણે જોતાજ રહી જતા હોઈએ છીએ. આમ એક વખત ખબર પડી જાય કે આ રસ્તા પર સફળતા મળે એમ છે તો પછી એ રસ્તા પર કોઇ પણ ભોગે દ્રઢ્ સંકલ્પ કરીને આગળ વધતા રહેવુ જોઇએ. જ્યારે જરૂરી અંતર કપાઇ જશે એટલે આપો આપ સફળતા પ્રાપ્ત થઇ જશે.
મે આ વિશ્વમા એવો એક પણ વ્યક્તી નથી જોયો કે જેઓએ કામને અધવચ્ચેથી પડતુ મુકી દીધુ હોય અને તેમ છતા પણ તેઓને સફળતા મળી હોય.
સફળતાની એકજ માંગણી છે કે તે એનેજ પ્રાપ્ત થવા માગે છે કે જેઓ મક્કમતાથી તેને મેળવવા માગતા હોય. ભેડ બકરીઓની જેમ દેખા દેખીમા નીકળી પળેલા કે નશીબના જોરે કામ કરતા લોકો પાસે તે જવા માગતી નથી. સફળતાનુ કહેવુ માત્ર એટલુજ છે કે હું માત્રને માત્ર એવા વ્યક્તીનેજ મળવા માગુ છુ કે જે મારા માટે ૯૯૯ વખત પ્રયત્નો કરી શકે અને જો તેમા નિષ્ફળતા મળે તો હજારમી વખત પ્રયત્ન કરતા પણ ન અચકાય. આવા દ્રઢ મનોબળ ધરાવતા વ્યક્તીજ મારી પહેલી પસંદ બનશે. આવી ખાતરીઓ કરવા માટેજ સફળતા એવી એવી પરીસ્થીતિઓ રૂપી ચાળણીઓ ઉભી કરતી હોય છે કે જેમા ગેરલાયક, ઢીલા પોચા, દુર્ગુણોથી ભરપુર તેમજ સફળતા મળે તો ઠીક અને ન મળે તોય ઠીક એવા દ્રષ્ટીકોણવાળા લોકો મોટા કાંકરાઓની જેમ ચળાઇ જતા હોય છે. અડધા લોકોતો મુશ્કેલીઓ જોઇનેજ ભાગી જતા હોય છે. આમ ધીરે ધીરે એક એક ગુણ કે ક્રાઇટેરીયાને આધારે સંખ્યા ઓછી થતી જતી હોય છે અને છેવટે એજ વ્યક્તી બચતો હોય છે કે જે સફળ થવા માટેની વધુમા વધુ શરતોનુ પાલન કરતા હોય.
ઘણા લોકો નિષ્ફળ થતા હોય છે તો તેનો મતલબ એવો ક્યારેય થતો હોતો નથી કે તેઓને કશુ આવળતુજ નથી. આવા લોકોનુ નિષ્ફળ થવાનુ કારણ માત્ર એટલુજ હોય છે કે તેઓએ નાની એવી નિષ્ફળતા મળતાજ હાર માની લીધી હોય છે. જો તેઓએ આમ ન કર્યુ હોત અને નકારાત્મક વિચારોનો પ્રતીકાર કર્યો હોત તો તેઓ આજે ઉંચામા ઉંચા શીખર પર બીરાજમાન હોત. નશીબતો આપણને બધુ આપવા તૈયારજ હોય છે પણ આપણેજ જાત જાતના બહાનાઓ કે ઠાગા ઠૈયાઓ કરીને સામેથીજ બધુ ઠુકરાવી દેતા હોઇએ છીએ. આવી કમનશીબીથી બચવાનો એકજ ઉપાય હોય છે જે છે દ્રઢ નિર્ધાર અને નકારાત્મક પરીબળો સામે પ્રતીકાર. તમે જેટલો નકામી અને નકારાત્મક તાકતો સામે પ્રતીકાર કરશો, તેનો અસ્વીકાર કરશો તેટલીજ ગીવઅપ કરવાની શક્યતાઓ ઘટતી જશે અને તમારો સંકલ્પ વધુને વધુ દ્રઢ બની આખરે તે સિદ્ધ થઇ જશે.
તમે સમાજમા એવા ઘણા લોકો જોયા હશે કે જેઓ પુરી ૧૦ ચોપડી પણ ભણેલા હોતા નથી તેમ છતાય તેઓ મોટી મોટી ડીગ્રીઓ ધરાવતા લોકો પણ ન કરી શકે તેવા કામ કરી બતાવતા હોય છે, એવા ઘણા ઉદાહરણો પણ જોયા હશે કે જયાં અભણ વેપારીના માર્ગદર્શન પ્રમાણે એમ.બી.એ. ટોપરો પણ નોકરી કરતા હોય છે. તો આમ થવાનુ કારણ માત્રને માત્ર તેઓનો કંઇક કરી બતાવવાનો દ્રઢ સંકલ્પજ હોય છે. આમ યશસ્વી લોકો ગમ્મે તેટલી ઠોકર વાગે, પડતા થાય કે અપમાનીત થાય તો પણ બધુજ છોળી ભાગી જવા જેવા સરળ ઉપાય તેઓ ક્યારેય અજમાવતા હોતા નથી, તેઓ માટેતો પીછે હટ કરવી, હાર માની લેવી એ મૃત્યુ સમાન હોય છે. આવા અપમાનથી ભરેલા મોત સ્વીકારવા કરતા થોડુ વધુ સહન કરીને પ્રતીકાર કરવો એ તેઓ માટે અનેક ગણા ગૌરવની બાબત હોય છે. આમ પોતાના સંકલ્પને ધીરજ અને મક્કમતાથી વળગી રહેનાર વ્યક્તીજ આખરે ગૌરવપુર્ણ સફળતા મેળવી શકતા હોય છે.
વ્યક્તીને કોઇ કામ કરવાની પ્રેરણા આપતા મુખ્ય ૩ પરીબળો છે ૧. જરુરીયાત, ૨. રસ, ૩. સંકલ્પ. આ ત્રણેય પરીબળોને કારણે વ્યક્તી કંઈક મેળવવા માટે પ્રયત્નો કરવાની શરુઆત કરવા પ્રેરાતા હોય છે. દા.ત. પરીવારનુ ભરણપોષણ કરવા નોકરી ધંધો કરવો, પરીક્ષામા પાસ થવા કે જીંદગી બનાવવા અભ્યાસ કરવો, ભુખ સંતોષવા રસોઇ બનાવવી વગેરે. આવી જરૂરીયાતો ઉભી થતા વ્યક્તી તેને મેળવવાના પ્રયત્નો કરતા હોય છે પરંતુ માત્ર જરૂરીયાતને અનુલક્ષીને કરવામા આવતા પ્રયત્નોને લીધે સફળતા મળી જશે તેની કોઇ ગેરેન્ટી આપી શકાતી નથી કારણ કે જરૂરીયાતોને વશ થઇને કરવામા આવતા પ્રયત્નોમા ડર, ચીંતા, દબાણ, અણગમા જેવી લાગણીઓનુ પ્રમાણ વધુ જોવા મળતુ હોય છે. જેમકે પરીક્ષામા નાપાસ થવાનો ડર, નાણાકીય અગવળતાઓ થવનો ડર, નુક્શાની થવાનો ડર વગેરે. આવો ડર વ્યક્તીના પ્રયત્નોને બુઠ્ઠા બનાવી તેને નિરાશાઓથી ભરી દેતો હોય છે જેથી વ્યક્તી ધાર્યા પ્રમાણેના પરીણામો મેળવી શકતા હોતા નથી. તેવીજ રીતે કોઇ કાર્યમા ખુબ રસ હોય ત્યારે તે કામ કરવા વ્યક્તી થનગનાટ અનુભવે ત્યારે તે ઉત્સાહમા આવી કાર્ય કરવાની જડપથી શરુઆત તો કરી દેતા હોય છે પણ જેમ જેમ આવા કાર્યમા સમસ્યાઓ કે અડચણો આવતી જતી હોય છે તેમ તેમ કાર્યમાથી રસ ઉઠી જાય તેવુ મોટે ભાગે બનતુ હોય છે. એટલે કે જયાં સુધી કાર્યમા અનુકૂળતા હોય, બધુ ધાર્યા પ્રમાણે થતુ હોય ત્યાં સુધી તેમા રસ રહે પણ જેવી મુશ્કેલીઓ આવે, સહન કરવાનુ કે ભોગ આપવાનો સમય આવે કે તરતજ રસ ઉઠી જાય તેવુ બની શકે છે. તો આ રીતે માત્ર રસ હોવાને આધારે પણ કોઇ કામ પાર પડી જશે તેની ગેરેન્ટી આપી શકાતી નથી. પરંતુ જ્યારે વ્યક્તી કમીટમેન્ટ કરે છે, દ્રઢ સંકલ્પ કરે છે કે વચનબદ્ધ બને છે ત્યારે તે છેવટ સુધી તેને વળગી રહી શકતા હોય છે જેથી તેના તમામ કાર્ય પુર્ણ થવાની શક્યતા અનેક ગણી વધી જતી હોય છે. આ રીતે હવે વ્યક્તી તમામ પ્રકારની આળસ, વધુ પળતી ઉંઘ, લાલચનો ત્યાગ કરી શકતા હોય છે, ઉપરાંત તેના મન વિચારોમા આખો દિવસ હેતુને લગતાજ વિચારો ચાલ્યા કરતા હોય છે, તમામ પ્રશ્નોના જવાબ મેળવવા મથ્યા કરતા હોય છે અને અથાક પ્રયત્નો કરી, સંઘર્ષ કરી જોઇએ તેટલા ભોગ આપી અડચણોને પાર કરી બતાવતા હોય છે. આવી અડચણો પાર થતાજ વ્યક્તી સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે. આમ સફળતા મેળવવા માટે સતત પ્રયત્નો કરવા જરુરી છે, આ પ્રયત્નો માટે સંઘર્ષ અને સંઘર્ષ માટે સહન કરવુ જરૂરી છે. બધુજ સહન કરવા માટે માનસીક શક્તી પ્રબળ હોવી જરૂરી છે, મજબુત ઇરાદો હોવો જરૂરી છે જેને દ્રઢ સંકલ્પ દ્વારા અસ્તીત્વમા લાવી શકાતો હોય છે. માત્ર એકજ વચન વ્યક્તીને દિવસ રાત દોળતા કરી શકે છે અથાક, અનંત પ્રયત્નો કરતા કરી શકે છે, અને બધુજ સહન કરી તેનો સામનો કરતા શીખવાળી સફળતા પણ અપાવી શકે છે. આમ વચનબદ્ધતામા કેટલી શક્તી છે તેનો અનુભવ એક વખત પોતાને વચન આપીને કરવોજ જોઇએ, તેના માટે પોતાને વચન આપવુ જોઇએ કે “ હા હવે તો હું તે કામ કોઇ પણ ભોગે કરીજ બતાવીશ “ ગમ્મે તે ભોગે હું તે બધુ મેળવીનેજ રહીશ “ , “ બસ હવે બહુ થયુ, હવે તો હું મારામા સુધારો લાવીનેજ બતાવીશ “ આવા વચનો પોતાને આપતા રહેવાથી આપણી સુશુપ્ત શક્તીઓ અને આત્મસમ્માન જાગૃત થઇ જતા હોય છે જે આપણને સતત આંતરીક ઉર્જા પુરી પાળતા હોય છે. એક વખત તમે આ ઉર્જા અનુભવતા થઇ જાઓ તો પછી કોઇ કાર્ય તમારા માટે અશક્ય રહેશે નહી, આ રીતેતો તમે મહેનત કરવા એટલો બધો થનગનાટ અનુભવતા થઈ જશો કે પછી એક સેકંડ પણ નવરા બેસવુ નહી ગમે. આજે વ્યક્તી નવરા ધુપ થઇને બેઠા હોય છે તેનુ કારણ તેનામા રહેલી વચનબદ્ધતાનો અભાવજ હોય છે. તેઓના જીવનમા કોઇ હેતુ ન હોવાને કારણેજ તેઓ સમયનો બગાળ કરી પોતાની જીંદગી બર્બાદ કરી મુકતા હોય છે. જો તમારે તમારા જીવનને ફુલોના બગીચા જેવુ મઘમઘતુ રાખવુ હોય, તેમા સુગંધ પ્રસરાવવી હોય તો જીવનમા કોઇ હેતુ રાખવો પડશે, તેનાથીય આગળ તે હેતુ પુરો કરવા માટે વચનબદ્ધ બનવુ પડશે અને છેવટ સુધીના પ્રયત્નો કરી બતાવવા પડશે..
માત્ર એક નિશ્ચયમા કેટલી શક્તી છે તે હવે તમે બરોબર સમજી શકતા હશો તેમ છતા જો તમારે આ શક્તીને અનુભવવી હોય તો એ સમયને યાદ કરી જુઓ કે જ્યારે તમે કોઇ ભુલ કરી હોય અને બધા લોકો ભેગા થઇને તમને મેણા ટોણા મારી રહ્યા હોય અને એવામા તમે નક્કી કરી બેઠા હોવ કે “હવેતો હું આમ થવાજ નહી દઉ”, અથવાતો “હવે તો હું આકાશ પાતળ એક કરીને પણ તે કામ કરીનેજ બતાવીશ “ અથવા તો એ સમયને યાદ કરો કે જ્યારે લોકોના દુ:ખ દર્દ જોઇને તમે કંપી ગયા હોવ અને નક્કી કરી બેઠા હોવ કે નહી હવે તો ગમ્મે તે થઇ જાય, આ લોકોની તકલીફો તો હું દૂર કરીનેજ રહીશ. તમે જ્યારે પોતાને આ વાત કહી રહ્યા હશો ત્યારે તમારા દિલમા એક આગ ભભુકી ઉઠી હશે અને તમને એક પળ માટેય એવુ નહી લાગ્યુ હોય કે આ કામ હું ક્યારેય નહી કરી શકુ ખરુને !! બસ એજ છે નિશ્ચયની ખરી તાકત, એટલેકે વ્યક્તી જ્યારે ખરા હ્રદયથી કોઇ કામ કરવાનુ નક્કી કરી લે છે ત્યાર પછી એ શક્ય અશક્યની ચીંતાઓમાથી ઉપર ઉઠી જતા હોય છે અને તેનુ ધ્યાન માત્રને માત્ર હવે પોતે શું કરી શકે તેમ છે તેના પર કેન્દ્રીત થઇ તેનુ જીવન મોટા સંઘર્ષોનો સામનો કરવા માટે તૈયાર થઇ જતુ હોય છે. આ રીતે તેઓ પોતાના જીવનને ન્યોછાવર કરીને પણ ધાર્યા પરીણામ મેળવવા સક્ષમ બની જતા હોય છે. અત્યારે જે દેશના સીપાહીઓ દિવસ રાત એક કરી, અનેક તકલીફો, યાતનાઓ સહન કરી પોતાના જીવની પણ પરવા કર્યા વગર દેશની સુરક્ષા કરી રહ્યા છે, નર્ક જેવા જંગના મેદાનમા પોતાનો જીવ ગુમાવીને પણ દેશને જીતાળી બતાવે છે તેનુ કારણ પોતાના દેશની સેવા કરવા માટેની તેઓની કટીબદ્ધત્તાજ હોય છે. જો તમે પણ તમારા જીવનમાથી અશક્ય નામના શબ્દનો છેદ ઉડાળી દેવા માગતા હોવ, ગોળીઓના વરસાદમાથી પણ રસ્તો ગોતી, સંઘર્ષ કરી આગળ વધવા માગતા હોવ તો પોતાની જાત સાથે વચનબદ્ધ બનો અને પોતાને કહી દો કે મને ધાર્યુ પરીણામ જોઇએ એટલે જોઇએ, તેના સીવાય બીજો કોઇજ ઓપ્શન મારા માટે હોઇ શકે નહી.
હજુ જો વધારે નિશ્ચયની તાકત તમારે સમજવી હોય તો તમને મળેલી એવી કોઇ સીદ્ધીને યાદ કરો કે જેને મેળવવા માટે તમે વચનબદ્ધ થયા હતા. હવે જરા વિચારો જોઇએ કે જો તમે તે કાર્ય કરવા માટે વચન ન લીધુ હોત તો શું તમે તેને પુરુ કરવાની અદમ્ય ઇચ્છા અને સાહસ અનુભવી શક્યા હોત ? શું આજે તે બધુ મેળવી શક્યા હોત? તેમજ તેને મેળવવાનો અદ્ભુત આનંદ અનુભવી શક્યા હોત તેની જાત સાથે ચર્ચા કરો અથવાતો એવા સ્વપ્નને યાદ કરો કે જેને મેળવવાનો રસ્તો તમારી નજર સમક્ષ જ હતો તેમ છતા માત્ર તેને મેળવવાનો એક સંકલ્પ ન કરી શકવાને કારણેજ તેને ગુમાવવાનો કે છોળી દેવાનો વારો આવ્યો હોય. આટલી વિચારણા પરથી હવે તમે સમજી શકતા હશો કે જ્યારે જ્યારે તમે કોઇ કાર્ય પુર્ણ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો ત્યારે ૧૦૦ % નહી તો ૬૦ % પણ કંઈક પરીણામ તો મેળવ્યુજ હતુ, પણ તેનાથી ઉલટુ જ્યારે તમે કોઇ નિશ્ચય ન'તા કરી શક્યા ત્યારે તમારે નજર સામેથીજ બધુ ગુમાવ્યુ પડ્યુ હશે ખરુને !! તો આ રીતે નિશ્ચયમા અદ્ભુત તાકાત રહેલી છે, ઉર્જા રહેલી છે જે વ્યક્તીને અદમ્ય સાહસ અને સંઘર્ષ કરવાની શક્તી આપતો હોય છે. હકીકતેતો થાય છે એવુ કે વ્યક્તી જ્યારે નિશ્ચયો કરે છે ત્યારે દસેય દિશાઓમાથી તેને ઉર્જા મળવા લાગતી હોય છે, પરીસ્થીતિઓ પોતાના પક્ષમા છે અથવાતો થઇ જશે તેવા વિશ્વાસમા વધારો થવા લાગતો હોય છે, આશાઓ બંધાતી હોય છે, વિઝન સ્પષ્ટ થતુ હોય છે, કંઇક નવીનતા, તાજગી અને જુસ્સાનો અનુભવ થતો હોય છે તેમજ કંઈક નવુ કરી બતાવવા તૈયાર થઇ ગયા છીએ તેવી લાગણી અનુભવાતી હોય છે જે વ્યક્તીને બધાથી અલગ અને શક્તીશાળી છે તેવુ સમજવા પ્રેરણા આપતી હોય છે. આ રીતે એક વખત કોઇ વાતનો મજબુત નિર્ધાર કરી લેશો અને પછી નિરીક્ષણ કરશો તો તમે એટલા બધા દોળતા, વિચારતા કે સક્રીય થઇ ગયા હશો કે તમે કલ્પના પણ નહી કરી હોય તેવા ફેરફારો તમારામા થવા લાગ્યા હશે, તમારા જીવનની તમામ પ્રાયોરીટી બદલાઇ ગઇ હશે, જે રીતે વાતો કરતા હતા કે જીવન જીવતા હતા તેના કરતા વધુ સારી રીતે પ્રયત્નો કરવા લાગ્યા હશો. આમ એક નિશ્ચયથી વ્યક્તીનુ આખે આખુ વ્યક્તીત્વતો શું સમગ્ર જીવનજ બદલાઇ જતુ હોય છે. જો તમારે પણ આ રીતે જળ મુળમાથી બદલાઇ જવુ હોય, વિકાસના ઉચ્ચતમ શીખરે પહોચવુ હોય તો તમારે પણ કંઈક પ્રાપ્ત કરવાનો નિશ્ચય કરવો પડશે, તેના માટે નકામી બાબતો કે વધુ પડતા મનોરંજનોથી દુર રહેવાનુ નક્કી કરવુ પડશે, સમયનો બગાળ થતા અટકાવવો પડશે, કુટેવોને જળમુળમાથી ઉખેળી દૂર ફેંકવાનો નિર્ધાર કરવો પડશે, રોજે રોજ નવુ નવુ શીખતા રહેવાનો, સબળા અને શક્તીશાળીજ વિચારો કરવાનો, જીવનને નર્ક બનાવી દેનાર તમામ દુષણો, દુર્ગુણો અને વ્યસનોથી દુર રહેવાનુ વચન લેવુ પડશે, સારામા સારા પુસ્તકો, મીત્રો, સંબંધો બનાવી જ્ઞાની અને ટેલેન્ટેડ વ્યક્તીઓનો સંગ કરવો પડશે તેમજ રોજે થોડા થોડા પ્રયત્નો કરતા રહી આગળ વધતા રહેવુ પડશે. આવા નિર્ણયો રૂપી વચનો લેશો તો પોતાને મહાનતમ સીદ્ધીઓ હાંસલ કરવા માટે તૈયાર કરી તેને પ્રાપ્ત પણ કરી શકતા હોવ છો.
હકીકતેતો ૧૦૦ % કામ કરી બતાવવાની, ગમે તેવા વિપરીત સંજોગોમાથી રસ્તો કાઢી બતાવવાની અને કોઇ પણ પ્રકારના બહાનાઓ કે કારણોને ન સ્વીકારવાની તૈયારીનેજ વચનબદ્ધતા કહે છે. સામાન્ય રીતે જ્યારે વ્યક્તી નિષ્ફળ થતા હોય છે ત્યારે તે બહાનાઓ ગોતવાનો કે આરોપો નાખવાનો પ્રયત્ન કરી પોતાની જવાબદારીઓમાથી છટકી જવાનો પ્રયત્ન કરતા હોય છે, આવુ એટલા માટે થતુ હોય છે કારણ કે તે વ્યક્તીમા પોતાના હેતુ કે કાર્ય પ્રત્યે જોઇએ તેટલી ગંભીરતા હોતી નથી, પરંતુ એવા વ્યક્તીઓ કે જેઓ કોઇ પણ ભોગે પોતાના કાર્યને આગળ ધપાવવા કટીબદ્ધ છે તેઓને નિષ્ફળતા મળે તો પણ તેઓ નકામા બહાનાઓ કાઢવાથી બચતા હોય છે, પોતાની જવાબદારીઓનો સ્વીકાર કરતા હોય છે અને પોતે લાચાર નથી તેવુ સાબીત કરી ફરી પાછા પ્રયત્નો શરુ કરી સફળતા મેળવી બતાવતા હોય છે. આ રીતે દ્રઢ નિશ્ચય પાસે કોઇ પણ પ્રકારના બહાના કે લાચારી ટકતી હોતી નથી કારણકે અહીતો વ્યક્તીએ કોઇ પણ ભોગે અને ગમ્મે તેટલા પ્રયત્નોએ મેળવીનેજ રહેવુ છે તેવુ નક્કી કરી લીધુ હોય છે એટલે પછી બહાનાઓનો તો કોઇ અવકાશજ રહેતો હોતો નથી જેથી આવા વ્યક્તીઓ પરીણામો મેળવવા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે જ્યારે બહાનાઓ બનાવનાર વ્યક્તીઓ નવા નવા બહાનાઓ ગોતવામા, ફર્યાદો કે લાચારી દર્શાવવામાજ પોતાનો કીંમતી સમય અને વિશ્વાસપાત્રતા ગુમાવી બેસતા હોય છે અને છેવટે નિરાશાનો શીકાર બનતા હોય છે.
વ્યક્તી જ્યારે વચનબદ્ધ બને છે ત્યારે એક વાતતો જરૂરથી નક્કી થઇ જતી હોય છે કે ગમ્મે તે થઇ જાય, પીછે હટ તો નહીજ થાય. ૧૦૦ વખત પ્રયત્નો કરીને ૧૦૦ વખત નિષ્ફળ થવુ મંજુર છે પણ હારતો નહીજ મનાય. બસ આવુ સ્પીરીટજ વ્યક્તીને ટોળામાથી અલગ પાળતુ હોય છે, નોખી માટીના માનવી બનાવતા હોય છે, જે ધારો તે બધુજ પ્રાપ્ત કરી બતાવવાનુ જોશ જન્માવતુ હોય છે અને પછીતો તેઓનુ સમગ્ર જીવનજ બદલાઈ જતુ હોય છે, તેઓના જીવનમા એક નવોજ વળાંક આવતો હોય છે જે તેને એક નવીજ મંજીલ તરફ દોરી જાતો હોય છે. તેઓ બધાથી અલગ અને ખાસ બની જતા હોય છે, પાછળ હોય તો આગળ અને નીચા હોય તો ઉપર ઉઠવા લાગતા હોય છે, તેઓના મોટા મોટા કામ થવા લાગતા હોય છે, નવનિર્માણો થવા લાગતા હોય છે અને આખી દુનિયા આશ્ચર્યચકીત થઇને બસ જોતીજ રહી જતી હોય છે. આવા નિશ્ચયો દ્વારા વ્યક્તીની અત્મશક્તી, વિચારશક્તી, પ્રયત્ન શક્તી અને સમર્પણ શક્તીમા વધરો થતો હોવાથીજ વ્યક્તીને સફળતાના દર્શન થતા હોય છે. આવા કારણોને લીધેજ વ્યક્તીએ સફળતા મેળવવાના પાયાના કાર્ય તરીકે સૌ પ્રથમતો ઇચ્છાશક્તી જાગૃત કરવી જોઇ, જો તે જાગૃત થયેલી હોય તો તેને પ્રબળ બનાવવી જોઇએ, જો તે પ્રબળ હોય તો તેને છેવટ સુધી ટકાવી રાખવી જોઇ. તેમ કરવાથીજ સમસ્યાઓ, મનોવિકારો, લાલચો અને નકારાત્મક પરીબળોનો સામનો કરી શકાતો હોય છે. વ્યક્તીએ હંમેશા એવુજ વિચારવુ જોઇએ કે આ દુનિયામા એવી કોઇ શક્તી નથી કે જે મને મારા ઇરાદાઓથી ભટકાવી શકે, તેનાથી દુર લઇ જઈ શકે ! મારો ઇરાદો નેક છે, પોલાદી છે, મે નક્કી કરી લીધુ છે એટલે હવે તો તે બધુ હું મેળવીનેજ રહીશ. સમસ્યાઓને જેટલા ધમપછાડા કરવા હોય તેટલા કરવા દો, તે મારા પોલાદ જેવા અભેદ્ય એવા ઇરાદાઓને ક્યારેય તોડી શકશે નહી. મને મારી આવળત, શક્તી અને મારા ઇશ્વર પર પુરેપુરો વિશ્વાસ છે તો પછી મારે પાછુ વળવાની કે ડરીને ભાગી જવાની ક્યાં જરુર છે ? બસ આવોજ એક વિચાર વ્યક્તીના જીવનને સુખ–શાંતી સફળતા અને સમૃદ્ધી તરફ દોરી જતો હોય છે.
ફાયદાઓ
વધુ ક્રમશ: