Sukh no Password - 30 books and stories free download online pdf in Gujarati

સુખનો પાસવર્ડ - 30

બીજાઓ માટે કશુંક કરીને પણ સુખ મેળવી શકાય

દિલ્હીના બે બાળકો ભૂખને કારણે મૃત્યુ પામ્યા એ સમાચાર એક યુવાને વાંચ્યા એ પછી..

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

20 સપ્ટેમ્બર, 2018ના દિવસે ફરીદાબાદના રહેવાસી દવિન્દર સિંઘને અમિતાભ બચ્ચનના ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો હતો અને તેઓ છ લાખ, ચાલીસ હજાર રૂપિયા જીતીને ગયા હતા.

જો કે અહીં તેમની વાત ‘કૌન બનેગા કરોડપતિ’ના સ્પર્ધક તરીકે નથી કરવી, પણ તેમની અનોખી પ્રવૃત્તિ માટે કરવી છે.

કમ્પ્યુટર એન્જિનિયર દવિન્દર સિંઘ છ લાખ, ચાલીસ હજાર રૂપિયા જીતી ગયા પછી અમિતાભ બચ્ચને તેમને પૂછ્યું કે આ પૈસાનું શું કરશો. એ વખતે દવિન્દર સિંઘે જવાબ આપ્યો કે આ પૈસા હું ‘આપ કી રસોઈ’ માટે ખર્ચીશ. એ વખતે તેમણે વાત કરી કે ‘આપ કી રસોઈ’ શું છે.

‘કૌન બનેગા કરોડપતિ’ શોના માધ્યમથી દેશના લોકોને ખબર પડી કે દવિન્દર સિંઘ ફરીદાબાદના ગરીબોને માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન કરાવે છે.

દવિન્દર સિંઘે આ અનોખી અને પરોપકારી પ્રવૃત્તિ હાથ ધરી એની પાછળ દિલ્હીના બે ગરીબ બાળકો ભૂખથી મૃત્યુ પામ્યા એ ઘટના કારણભૂત બની હતી. તેમણે સમાચાર જાણ્યા કે દિલ્હીના બે બાળકોનું ભૂખમરાથી મૃત્યુ થયું છે ત્યારે તેમને ભારે આઘાત લાગ્યો હતો. તેમણે વિચાર્યું કે મારાથી જેટલું થઈ શકે એટલું મારે કરવું જોઈએ. તેમણે તેમના માતાપિતા મનમોહન સિંઘ અને સતનામ કૌર, મોટા ભાઈ ગુરવિન્દર સિંઘ, પત્ની નવનીત કૌર અને મિત્ર કર્ણની મદદ માગી. એ બધાએ હોંશે હોંશે તેને આ પ્રવૃત્તિમાં મદદરૂપ બનવાની તૈયારી દર્શાવી. એ પછી દવિન્દર સિંઘે ‘આપ કી રસોઈ’ની શરૂઆત કરી.

દવિન્દર સિંઘ દર શનિવારે તેમના કુટુંબના સભ્યોની અને દોસ્ત કર્ણની મદદથી ઘરે રસોઈ બનાવે છે અને પછી વેનમાં ફરીદાબાદના સેક્ટર 28ના મેટ્રો સ્ટેશન નજીક જઈને ગરીબ લોકોને માત્ર પાંચ રૂપિયામાં ભોજન કરાવે છે. પાંચ રૂપિયામાં તેઓ બે સબ્જી, ચાર રોટી, દાળ અને ભાત આપે છે. તેઓ પોતાના પૈસે જ આ પ્રવૃત્તિ ચલાવે છે.

દવિન્દર કહે છે કે હું ટોકન તરીકે પાંચ રૂપિયા એટલા માટે લઉં છું કે કોઈ ખુદ્દાર ગરીબ માણસને એમ ન લાગે કે તેણે મફતનું ભોજન ખાધું. કોઈ વ્યક્તિ પાંચ રૂપિયા પણ ન આપી શકે એમ હોય તો દવિન્દર સિંઘ તેને મફતમાં ખાવાનું આપે છે. દવિન્દર સિંઘની ‘આપ કી રસોઈ’ લખેલી વેન સેક્ટર 28ના મેટ્રો સ્ટેશન પાસે પહોંચે છે ત્યારે ગરીબ લોકોની ભીડ જામે છે. દવિન્દર અને તેના કુટુંબના સભ્યો તે ગરીબ લોકોને ભોજન કરાવીને સુખની ક્ષણો વહેંચે છે અને આ પ્રવૃત્તિ થકી દવિન્દર અને તેના પરિવારને પણ સંતોષ થાય છે કે તેમણે ગરીબ લોકો માટે કશુંક કર્યું.

દવિન્દર સિંઘની પ્રવૃત્તિ પરથી કહી શકાય કે બીજાઓ માટે કશુંક કરીને પણ સુખ મેળવી શકાય.

***