Agam Yatra Nigam Dham - 2 books and stories free download online pdf in Gujarati

આગમ યાત્રા નિગમ ધામ - 2

સ્વામી અભેદાનંદજી મહારાજની વાતો ખરેખર ખૂબ જ રસપ્રદ હતી. મનમાં ઊભા થતા ઘણા બધા સવાલોના જવાબો તેમની વાતોમાંથી મળી જતા હતા. શાસ્ત્રોમાં તો ઘણુ બધું વાંચ્યુ હતું. ગરુડ પુરાણ પણ વાંચ્યું હતું પણ મૃત્યુ સમયના અનુભવો ક્યાંય પણ વાંચવા મળ્યા ન હતા.

સ્વામીજી ઉંડા ધ્યાનમાં કલાકો સુધી બેસી શકતા. તેઓ સૂક્ષ્મ જગતમાં ઘણા બધા સંત મહાત્મા તેમ જ સામાન્ય સ્તરના આત્માઓને પણ મળ્યા હતા. મૃત્યુ પછીની દુનિયાનું એમને જ્ઞાન હતું. પ્રેત યોનિમાં ભટકતા દુઃખી આત્માઓ સાથે પણ એમણે વાતચીત કરી હતી. તેથી તેમના અનુભવો માં સચ્ચાઈ નો રણકો હતો અને ઘણાં બધાં રહસ્યો જાણવા મળ્યાં હતાં.

બીજા દર્શનાર્થીઓ રવાના થઇ ગયા પછી ફરી પાછી પુષ્કરભાઈએ વાત આગળ ચલાવી.

" હરિ ૐ... સ્વામીજી આપણા શાસ્ત્રોમાં ચૌદ લોક ની વાત કરેલી છે. સાત ઊર્ધ્વ લોક સ્વર્ગના અને સાત અધો લોક નરકના. તો આવા લોક ખરેખર હોય છે ખરા અને આત્માઓ આ બધા લોક સુધી પહોંચે છે ખરા ? "

" આપણા શાસ્ત્રોમાં લખેલી તમામ વાતો સંપૂર્ણ સત્ય છે. પરંતુ મોટાભાગના જીવો શરૂઆતના ત્રણ લોક કે જે પ્રેત લોક કહેવાય છે એમાં જ ફરતા હોય છે. આધ્યાત્મિક માર્ગે આગળ વધેલા જીવો અને ખાસ કરીને ધ્યાનમાં જેમણે અનાહત ચક્ર સિદ્ધ કર્યું છે એવા લોકો જ ચોથા લોક સુધી એટલે કે મહત્ લોક સુધી પહોંચી શકે છે. "

" જેમ તમારી સાધના ઊંચી અને તમારો ધ્યાન યોગ ઊંચો એમ તમારી યોગ્યતા ઉપરના લોક સુધી જવાની વધતી જાય છે. તમારા શરીરના જેટલા ચક્રો સક્રિય થાય એટલા લોક સુધીનો માર્ગ તમારા માટે ખુલે. તમે સમાધિ અવસ્થા સુધી પહોંચી શકો તો છેલ્લા સત્યલોક સુધી પણ જઈ શકો. ધ્યાનયોગની જેમ તીવ્ર ભક્તિયોગ અને જ્ઞાનયોગથી પણ ચક્રો ખૂલતાં હોય છે."

" આ લોક કેવા હોય છે ? ઉપરના લોકમાં ઈશ્વરનાં દર્શન થઈ શકતાં હોય છે ? "

" આ તમામ લોક એક પ્રકાશમય વાતાવરણના બનેલા હોય છે અને સૂર્યમંડળમાં જ આવેલા છે. આ તમામ લોકમાં સૂર્યનો દિવ્ય પ્રકાશ ચોવીસ કલાક આવતો હોય છે. તે દઝાડતો નથી પણ સવારની જેમ કોમળ હોય છે. પૃથ્વી કરતાં આ પ્રકાશ થોડો જુદો અને આછા બ્લૂ રંગનો હોય છે. અહીં રાત પડતી નથી અને સવાર બપોર સાંજ જેવું પણ કંઇ હોતું નથી. તમે કલ્પના પણ ન કરી હોય એવી અદભુત સુગંધનું અહીં વાતાવરણ હોય છે"

" કોઈપણ લોકમાં પૃથ્વીની જેમ કોઈ વસ્તુ સ્થૂળ નથી. તમામ લોકમાં પાણીના જળાશયો છે. વનસ્પતિઓ છે. બગીચાઓ છે. ઈશ્વરના દિવ્ય મંદિરો પણ છે પણ એ બધું જ સૂક્ષ્મ છે. તમે નરી આંખે ન જોઈ શકો. સૂક્ષ્મ શરીર દ્વારા જ તે જોઈ શકાય છે અને અનુભવી શકાય છે. ટૂંકમાં કહું તો આ એક મનોમય જગત છે. સૂક્ષ્મ જીવ પોતાની ઈચ્છા પ્રમાણે ગમે ત્યાં એક ક્ષણમાં જઈ શકે. પાણી પીવાની ઈચ્છા થાય તો એક ક્ષણમાં એ જળાશય પાસે પહોંચી શકે. કોઈ સ્વજનને કે પૂર્વજન્મના કોઈ મિત્રને મળવા માંગે તો વિચાર માત્રથી મુલાકાત થઈ શકે. સંકલ્પ માત્રથી બધું મળે. "

" ચોથા લોક થી ઈશ્વરનું સામ્રાજ્ય ચાલુ થાય છે એટલે કોઈ નેગેટીવ કે નકારાત્મક વિચારો અહીં કામ ન કરી શકે. ત્રણ લોક સુધી જ ઈર્ષા, વેર ઝેર, દ્વેષ, બદલો લેવાની ભાવના વગેરે નકારાત્મક વિચારો સૂક્ષ્મ શરીર પાસે હોય છે. ચોથા લોકમાં આવતા પહેલા અંતર્જ્ઞાન પ્રાપ્ત થયું હોય છે એટલે આ લોકમાં આવ્યા પછી માત્ર પ્રાયશ્ચિત ની ભાવના હોય છે. માનસ પટલ ઉપર જરાપણ રાગ-દ્વેષ હોય તો ચોથા લોકમાં પ્રવેશ મળતો નથી. આ લોકમાં ક્ષમાશીલતા હોય છે અને હૃદયમાં માત્ર પ્રેમભાવ જ હોય છે. "

" તમારે આ બધી બાબતોને થોડીક સાયન્ટિફિકલી સમજવી પડશે. આ આખું બ્રહ્માંડ અને પૃથ્વી અલગ-અલગ તરંગોનું બનેલું છે. જુદા જુદા પદાર્થોની જુદી જુદી વેવલેન્થ હોય છે. આપણું સ્થૂળ શરીર પણ ચોક્કસ તરંગોનું બનેલું છે. આપણી દ્રષ્ટિની એક મર્યાદા છે અને તે અમુક વેવ લેન્થ એટલે કે ચોક્કસ તરંગ લંબાઈ સુધી જ જોઈ શકે છે. મનુષ્યની આંખો 380 નેનોમીટર થી 750 નેનોમીટર સુધી ની મર્યાદામાં જોઈ શકે છે. જે પણ પદાર્થો કે રંગો ની મર્યાદા આ રેન્જ માં હોય તેને જ જોઈ શકે છે. જ્યારે 380 નેનોમીટર થી ઓછા તરંગલંબાઈ ના રંગો અને વસ્તુઓ તેમજ 750 થી વધારે નેનોમીટર ની તરંગ લંબાઈ ના રંગો કે પદાર્થો આપણે જોઈ શકતા નથી. "

" આપણે માત્ર સાત રંગોને જ જોઈ શકીએ છીએ કારણકે આપણા શરીરમાં માત્ર સાત ચક્રો છે. વાયોલેટ કે જાંબલી રંગની તરંગ લંબાઈ 400 નેનોમીટર છે જેથી બહુ દૂરથી એ રંગ જોઈ શકાતો નથી. લાલ રંગની તરંગ લંબાઈ 700 નેનોમીટર છે એટલે એ રંગ દૂરથી પણ જોઈ શકાય છે. હવે બ્રહ્માંડમાં દૂર દૂર સુધી વ્યાપેલા આ સૂક્ષ્મ જગતના તરંગો ની લંબાઈ એક પછી એક લોકમાં વધુ ને વધુ નાની થતી જાય છે. એટલે આપણે કંઈ પણ જોઈ શકતા નથી. સાત રંગો થી પણ વધારે બીજા અદભુત રંગો આ સૂક્ષ્મ લોકમાં હોય છે. "

" ગ્રહોના કોસ્મિક કિરણો ની તરંગલંબાઈ 400 નેનોમીટર થી પણ ઓછી છે. જ્યારે આ સૂક્ષ્મ જગત તો એનાથી પણ સૂક્ષ્મ છે. આત્મા જેમ જેમ કર્મો અને ઈચ્છાઓના ભારથી સૂક્ષ્મ અને હલકો બનતો જાય તેમ તેમ તેનો ઉપરના લોક માં જવાનો અધિકાર વધે. કર્મો અને વાસનાના તીવ્ર બંધન વાળા સૂક્ષ્મ જીવો ત્રણ લોક થી આગળ જઈ શકતા નથી. આ પ્રથમ ત્રણ લોકને પિતૃલોક પણ કહેવામાં આવે છે અને ત્યાં મોટાભાગે અત્યંત વાસના વાળા અને પાપ કર્મોના બંધન વાળા જીવો વસે છે . આ કર્મબંધન વાળા જીવોની તરંગલંબાઇ પવિત્ર સૂક્ષ્મ શરીર કરતાં થોડીક વધારે હોય છે તેથી ક્યારેક ક્યારેક તે ભૂત પ્રેત તરીકે જોઈ શકાતા હોય છે. ત્રણ લોક સુધી પુનર્જન્મ ફરજિયાત હોય છે અને યોગ્ય વાતાવરણ મળે એટલે નવો જન્મ લેવાનો આદેશ મળે છે. "

" ભુઃ લોક એકદમ પૃથ્વીને વીંટળાયેલો છે અને મોટા ભાગના પ્રેત અવસ્થા ના જીવો અહીં રહે છે. તેમનો સૂક્ષ્મ દેહ થોડો ભારે હોય છે અને વેવલેન્થ વધારે હોય છે એટલે પૃથ્વી તત્વ માંથી શક્તિ પ્રાપ્ત કરીને થોડી ક્ષણો માટે સ્થૂળ શરીર પણ ધારણ કરી શકે છે અને ક્યારેક ભૂત તરીકે પ્રગટ થઈ શકે છે. આ લોકમાં રહેલા જીવો પોતાના પાપ કર્મો ની કડક સજા પણ ભોગવે છે અને પશુઓ જેવું જીવન આ લોકમાં ભોગવે છે. ખૂબ જ માનસિક વેદના પણ ભોગવે છે અને બીજા હલકા આત્માઓ પણ તેમને પજવતા હોય છે. નર્ક લોક નો તમામ અનુભવ આ પ્રથમ લોકમાં થાય છે. પાપ કર્મોની તમામ સજા આ લોકમાં જ મળે છે. "

" ભુવહ્ લોક અંતરીક્ષ પણ કહેવાય છે અને ત્યાં એવા જીવો રહે છે કે જે ભૂતપ્રેત કક્ષામાં નથી આવતા પણ એમને પૈસાનો, પરિવારનો, વાસના ભોગવવાનો અને સત્તા નો મોહ હોય છે અને જે ધર્મથી વિમુખ છે અને ઉપરના લોકમાં જવા નથી માંગતા. આ જીવો પોતાના બાકીના કર્મો ભોગવવા માટે ફરી જન્મ લેવા માટે એકદમ તૈયાર હોય છે. આ લોકમાં પણ કર્મોની સજા મળતી જ હોય છે પણ સાથે સાથે જપ તપ ધ્યાન અને પ્રાર્થના કરવાની તક પણ મળે છે "

" એનાથી ઉપર ત્રીજો સ્વહ લોક છે. જેને તમે સ્વર્ગ લોક પણ કહી શકો. હકીકતમાં જે પણ જીવો સ્થૂળ દેહમાં રહીને સારા પુણ્ય કર્મો કરે છે, લોકોની સેવા કરે છે, ભૂખ્યાને જમાડે છે અને થોડી ઘણી પણ ભક્તિ કરે છે એ બધાને આ ત્રીજા લોકમાં લઇ આવવામાં આવે છે જ્યાં સૂક્ષ્મ શરીર તમામ પ્રકારનાં સુખો અને ભોગો ભોગવે છે અને પૂણ્ય સમાપ્ત થતાં ફરી પાછો જન્મ લેવો પડ્યો છે. આ લોકમાં કેવા પ્રકારના ભોગો ભોગવવા મળે છે એની ચર્ચા કરવાની મને મનાઈ છે"

" વાહ સ્વામીજી... આજે તમે ઘણી અદભુત વાતો જણાવી. હું જ્યોતિષમાં ઘણો બધો રસ ધરાવું છું એટલે પૂછું છું. આ બધા લોકને ગ્રહો સાથે કોઈ સંબંધ ખરો ? " મેં જિજ્ઞાસાથી પૂછ્યું.

" જુઓ આ લોક મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. સૌથી ઉચ્ચ કક્ષાનો ધ્રુવ લોક છે જે કેતુ સાથે સંકળાયેલો છે અને એને તમે નિર્વાણ લોક પણ કહી શકો. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જે વાત કરી છે કે
न तद भासयते सुर्यो न शशांको न पावक
यद गत्वा न निवर्तंते तद धाम परमं मम ।
મતલબ જ્યાં સૂર્ય કે ચંદ્ર પણ હોતા નથી અને જ્યાં પહોંચ્યા પછી આત્મા કદી પણ જન્મ પામતો નથી એ અંતિમ મોક્ષ અવસ્થાનો એ લોક છે. જેને બ્રહ્મલોક પણ કહી શકાય. "

" એ પછી સૂર્યના ત્રણ લોક મુખ્ય છે જેમાં ગુરુ શુક્ર અને શનિ જેવા ગ્રહો ના લોક છે. સૂર્ય પોતે સાતમા સત્ય લોકોનો અધિપતિ છે. શનિ છઠ્ઠા લોકનો અધિપતિ છે જે તપસ્યાનો લોક છે. ગુરુ પાંચમા લોક નો અધિપતિ છે જે જ્ઞાન પ્રાપ્ત કરવાનો લોક છે. તો શુક્ર અને બુધ ચોથા લોકને સંયુક્ત રીતે સંભાળે છે. જેને ગંધર્વ લોક પણ કહેવામાં આવે છે અને વિદ્યાધર લોક પણ કહેવામાં આવે છે. "

" આ ચોથા લોકમાં જ તમામ કલાઓનું જ્ઞાન આપવામાં આવે છે. કાવ્ય સંગીત કંઠ અભિનય જેવી કળાઓ યોગ્ય આત્માઓને આ લોકમાંથી જ શીખવવામાં આવે છે જે શુક્ર સંભાળે છે. અપ્સરાઓની જે વાત શાસ્ત્રોમાં લખેલી છે તે આ ચોથા શુક્ર લોકમાં છે. તમામ વિદ્યાઓ ગણિત સાહિત્ય લેખન વાક સિદ્ધિ વગેરે બુધના આધિપત્ય માં આવે છે. "

" ચોથો લોક બે ભાગમાં વહેચાયેલો છે જેમાં એક ભાગ બુધના આધિપત્યમાં અને બીજો ભાગ શુક્રના !! કલાઓને વરેલા શુક્રના ક્ષેત્ર માં જાય છે તો ગણિત સાહિત્યને વરેલા બુધના ક્ષેત્રમાં ! પરંતુ ચોથા લોક સુધી એવા આત્મા જ પહોંચી શકે છે જે પાપ કર્મોના બંધનમાં ના આવી ગયા હોય !! નહીં તો ત્રીજા લોકમાં પાપ કર્મોની સજા ભોગવી પ્રાયશ્ચિત કરીને પછી જ ચોથા લોક સુધી ગતિ કરી શકે છે. "

" આ ચોથા લોકમાં થોડી આઝાદી હોય છે જેમાં તમે ઇચ્છો ત્યાં સુધી રહી શકો છો અને ઈચ્છો ત્યારે જન્મ પણ લઈ શકો છો. જેમને માત્ર ઈશ્વરમાં જ રસ છે અને મુક્તિના માર્ગે આગળ વધવું છે અને લોકોનું કલ્યાણ કરવું છે એવા આત્માઓ પાંચમા લોકમાં એટલે કે ગુરુના લોકમાં પ્રવેશ મળે એના માટે પ્રાર્થના અને તપ અહીં કરતા હોય છે. "

"સ્વામીજી ખરેખર આપની વાતો અદભુત છે અને આટલું સરસ જ્ઞાન અમને આપવા બદલ અમે આપના આભારી છીએ. " પુષ્કરભાઈ બોલ્યા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)