Agnisanskar - 2 books and stories free download online pdf in Gujarati

અગ્નિસંસ્કાર - 2



બલરાજ સિંહનો ડર માત્ર નંદેસ્વર ગામ પૂરતો જ નહિ પરંતુ આસપાસના બધા જ ગામોમાં હતો. એમનો મૂળ ધંધો દારૂની હેરાફેરી કરવાનો હતો. આસપાસના જિલ્લાઓમાં પણ દારૂની ડીલ બલરાજ સિંહના નામથી જ થતી હતી. એમના લગ્ન બાવીસ વર્ષની વયે હેમવતી સાથે થયા હતા. લગ્ન બાદ એક જ વર્ષમાં એમને ઘરે એક દીકરાનો જન્મ થયો. જેમનું નામ રણજીત સિંહ રાખવામાં આવ્યું. લગ્નના પાંચ વર્ષ દરમિયાન બલરાજના કાળા કરતૂતોની જાણ હેમવતીને થવા લાગી હતી. સ્ત્રીઓ પ્રત્યેનો અત્યાચાર જોઈને એમનું હદય દ્રવી ઊઠતું. હેમવતી જ્યારે પણ બલરાજનો વિરોધ કરતી તો એમની સાથે મારપીટ કરીને એમનો અવાજ દબાવી દેવામાં આવતો હતો. પાંચ વર્ષ સતત સહન કર્યા બાદ જ્યારે હેમવતીથી સહન ન થયું તો તેમણે ખુદના શરીર પર કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી દીધી. હેમવતી બંધ રૂમમાં સળગતી રહી પણ બહાર ઊભો બલરાજ મંદ મંદ હસી રહ્યો હતો. હદય કંપાવી ઉઠે એવું આ દ્રશ્ય જોઈને પણ એમના ભાઈઓ બલરાજનો વિરોધ કરવા આગળ ન આવ્યા.

બલરાજના માતપિતા નાનપણમાં જ બીમારીના લીધે સ્વર્ગવાસ થઈ ગયા હતા. બલરાજ પરિવારનો સૌથી મોટો દીકરો હતો. એમના પછી ચંદ્રશેખર ચૌહાણ જે ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જેમના લગ્ન સરિતા બેન સાથે થયા હતા. ત્યાર બાદ એમનો નાનો ભાઈ જિતેન્દ્ર ચૌહાણ જેની પાસે થોડીક માત્રામાં જમીન હતી અને મજદૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જિતેન્દ્ર એ પોતાનું જીવન અંગત કારણોસર બાવીસ વર્ષ પહેલાં આત્મહત્યા કરીને ટુંકાવ્યું હતું. હાલમાં એની પત્ની લક્ષ્મીબેન અને એક સતર વર્ષનો અંશ નામનો દીકરો હતો. લક્ષ્મી બેન ઘરે સિલાઈ મશીનનું કામ કરીને ઘરનો બધો ખર્ચો ઉપાડતા હતા. ત્યાર બાદ અંતમાં સૌથી નાનો ભાઈ અમરજીત સિંહ જે બેંગલોરમાં ભણીગણીને ફરી ગામમાં આવ્યો હતો. એ ગામની નજદીક જ એક બેંકમાં નોકરી કરતો હતો. એમની પત્ની કરીના જે હંમેશા ફેશનેબલ કપડાં પહેરીને ફરતી હતી. અમરજીતે બેંગ્લોરમાં જ કરીના સાથે લગ્ન કરી લીધા હતા. કરીનાનો સ્વભાવ ઘમંડી હતો. એમની પાસે એક કિટ્ટી નામની બિલાડી હતી. જે હંમેશા પોતાની પાસે રાખીને ફરતી હતી. કરીના માટે એ બિલાડી પતિ કરતા પણ વધારે મૂલ્યવાન ધરાવતી હતી.

બલરાજ સિંહનો પાવર ચૂંટણી જીત્યા બાદ અનેક ગણો વધી ગયો હતો. લોકો વધુને વધુ બલરાજથી ડરવા લાગ્યા હતા. પરંતુ અચાનક એક ઘટના એ લોકોના હોશ ઉડાવી દીધા!

હાંફતો હાંફતો બલરાજનો એક આદમી દોડીને બલરાજ પાસે આવ્યો અને બોલ્યો. " માલિક, ગજબ થઈ ગયો...."

" શું મોટી આફત આવી પડી ગઈ! અને આટલો ગભરાયેલો કેમ છે? " મટન ખાતો બલરાજ બોલ્યો.

" માલિક તમારો સૌથી વફાદાર સેવક હરપ્રીતનું કોઈએ ખૂન કરી નાખ્યું છે!"

" આ તું શું બોલે છે? હોશમાં તો છો ને...."

ત્યાં જ બીજા બે આદમી એ આવીને હરપ્રીતના ખૂનની પુષ્ટિ કરી તો બલરાજ હોશને મારે ઊભો જ થઈ ગયો.


" હરપ્રીતનું ખૂન!!..." બલરાજે આશ્ચર્ય સાથે કહ્યું.

ગાડીમાં બેસી બલરાજ હરપ્રીતની લાશ પાસે પહોંચ્યો.

હરપ્રીત એ જ વ્યક્તિ હતો કે જેણે ગઈ રાતે લીલાના પતિ છોટુનું ખૂન કર્યું હતું.

એક પછી એક લોકોની ભીડ જમા થવા લાગી હતી. લોકોમાં બસ એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે બલરાજના ખાસ મિત્રનું ખૂન કરવાની હિંમત કોણે કરી?

વીસેક વર્ષથી પ્રજા પર જુલ્મ કરતા બલરાજ સામે તો શું એના આદમીઓ સામે પણ કોઈની આંખ મિલાવાની હિંમત તક નહોતી કરી અને અચાનક બલરાજના ખાસ આદમીનું ખૂન થવાના સમાચાર સાંભળતા જ બલરાજની આંખો જાણે ફાટીને બહાર આવી ગઈ.

બલરાજ હરપ્રીતની લાશ પાસે ગયો અને ધ્યાનપૂર્વક એને જોવા લાગ્યો. હરપ્રીતના શરીર પર મજબૂત દોરીના નિશાન દેખાયા. જાણે એમને મજબૂત દોરીથી બાંધી રાખવામાં આવ્યો હતો. હાથ અને પગ પરના દોરીના નિશાન જોઈને બલરાજની નજર એમણે પહેરેલા કપડા પર ગઈ. કપડાં પૂરી રીતે દારૂથી લથબથ ભીંજાયેલા જોવા મળ્યા.

હરપ્રીત દારૂની હેરાફેરીમાં જરૂર સામેલ હતો પરંતુ તેમણે ક્યારેય દારૂને હાથ તક નહોતો લગાવ્યો પરંતુ હરપ્રીતનું મૃત્યુ વધુ માત્રામાં દારૂ પીવાને લીધે થયું હતું. બલરાજે કલ્પના કરીને વિચાર કર્યો તો જાણવા મળ્યું કે હરપ્રીતને પહેલા દોરીથી ખુરશી પર બેસાડીને બાંધી દેવામાં આવ્યો અને બળજબરી પૂર્વક તેમને દારૂ પીવડાવામાં આવ્યો હતો.

" આ ખૂનનો બદલો તો હું લઈને જ રહીશ..." દાંત ભીંસીને બલરાજે કહ્યું.

ક્રમશઃ