Satya na Prayogo Part-2 - Chapter - 4 books and stories free download online pdf in Gujarati

સત્યના પ્રયોગો - ભાગ-2 - 4

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૪. પહેલો આઘાત

મુંબઇથી નિરાશ થઇ રાજકોટ ગયો. નોખી ઑફિસ ખોલી. કંઇક ગાડું ચાલ્યું.

અરજીઓ ઘડવાનું કામ મળવા લાગ્યું, ને દર માસે સરેરાશ ત્રણસેં રૂપિયાની આવક થવા

લાગી. આ અરજી ઘડવાનું મળવા લાગ્યું તેનું કારણ મારી હોંશિયારી નહોતું, પણ વગ હતું.

વડીલ ભાઈના ભાગીદારની વકીલાત જામેલી હતી. તેમની પાસે બહુ અગત્યની અરજી

ઘડવાની આવે અથવા જેને તે અગત્યની માનતા હોય તે તો મોટા બારિસ્ટરની પાસે જ જાય. તેમના ગરીબ અસીલો હોય તેમની અરજીઓ ઘડવાનું મને મળે.

મુંબઇમાં કમિશન નહીં આપવાની મારી ટેક હતી તે અહીં તૂટી ગણાય. બે સ્થિતિનો ભેદ મને સમજાવવામાં આવ્યો હતો. તે આ હતોઃ મુંબઇમાં મારે કેવળ દલાલને પૈસા આપવાની વાત હતી; વકીલને. જેમ મુંબઇમાં તેમ અહીં પણ બધા બારિસ્ટરો વગર અપવાદે આમ અમુક ટકા આપે છે એમ મને બતાવવામાં આવ્યું હતું. મારા ભાઇની દલીલનો ઉત્તર મારી પાસે નહોતો. ‘તું જુએ છે કે હું બીજ વકીલનો ભાગીદાર છું. અમારી પાસે આવે તેમાંના કેસ જે તને આપી શકાય તે આપવાની મારી વૃત્તિ તો રહે જ. પણ જો તું મારી ફીનો ભાગ મારા ભાગીદારને ન આપે તો મારી સ્થિતિ કેવી કફોડી કેવી કફોડી થાય? આપણે સાથે રહીએ એટલે તારી ફીનો લાભ મને તો મળે જ, પણ મારા ભાગીદારને

? અને જો તે જ કેસ તે બીજી જગ્યાએ આપે તો તેને ભાગ મળે જ.’ આ દલીલથી હું ભોળવાયો ને મને લાગ્યું કે, જો મારે બારિસ્ટરી કરવી હોય તો આવા કેસમાં કમિશન ન આપવાનો આગ્રહ મારે ન રાખવો જોઇએ. હું પીગળ્યો. મારા મનને મનાવ્યું, અથવા સ્પષ્ટ શબ્દોમાં કહું તો, છેતર્યું. પણ આ સિવાય બીજા કોઇ પણ કેસમાં મેં કમિશન આપ્યાનું મને સ્મરણ નથી.

જોકે મારું આર્થિક ગાડું તો ચાલ્યું, પણ જિંદગીનો પહેલો આઘાત આ અરસામાં

મળ્યો. બ્રિટિશ અમલદાર એટલે શું એ હું કાને સાંભળતો. નજરોનજર જોવાનું મને હવે

મળ્યું.

પોરબંદરના માજી રાણાસાહેબને ગાદી મળી તે પૂર્વે મારા ભાઇ તેમના મંત્રીને સલાહકાર હતાં. તે દરમિયાન તેમણે રાણાસાહેબને ખોટી સલાહ આપ્યાનું તહોમત તેમની ઉપર હતું. આ ફરિયાદ તે સમયના પોલિટિકલ એજન્ટને મળેલી ને તે મારા ભાઇની સામે ભરમાયા હતા. આ અમલદારને હું વિલાયતમાં મળેલો હતો. ત્યાં તેમણે મારી મૈત્રી ઠીક કરી કહેવાય.

ભાઇએ વિચાર્યું કે, આ ઓળખાણનો લાભ લઇ મારે પોલિટિકલ એજન્ટને બે શબ્દો કહેવા ને તેમની ઉપર જે ખરાબ અસર પડી હોય તે ભૂંસવા પ્રયત્ન કરવો. મને આ વાત જરાયે પસંદ

ન પડી. વિલાયતની નજીવી ઓળખાણનો મારે લાભ ન લેવો જોઇએ. જો મારા ભાઇએ કાંઇ

દૂષિત કાર્ય કર્યું હોય તો ભલામણ શા કામની? જો ન કર્યું હોય તો રીતસર અરજી કરીને અથવા પોતાની નિર્દોષતા ઉપર વિશ્વાસ રાખી નિર્ભય થઇ બેસવું. આ દલીલ ભાઇને ગળે ન ઊતરી.

‘તું કાઠીયાવાડને જાણતો નથી. જિંદગીની પણ તને હવે ખબર પડશે. અહીં તો વગે વાવણાં થાય છે. તારા જેવો ભાઇ હોય ને તારા ઓળખીતા અમલદારને થોડી ભલામણ કરવાનો સમય

આવે ત્યારે તું છટકી જાય એ બરોબર ન કહેવાય.’

ભાઇનું મોં ન મૂકી શકયો. મારી મરજી વિરુદ્ઘ હું ગયો. મને અમલદારની પાસે જવાનો કશો અધિકાર નહોતો. જવામાં મારા સ્વમાનનો ભંગ થતો હતો એની મને શુદ્ઘિ હતી. મેં મળવાનો વખત માગ્યો; મને મળ્યો; હું ગયો. જૂની ઓળખાણ કાઢી. પણ મેં

તુરત જોયું કે વિલાયત અને કાઠિયાવાડમાં ભેદ હતો; પોતાની ખુરશીએ બેઠેલા અમલદાર અને રજા ઉપર ગયેલ અમલદારમાં પણ બેદ હતો. અમલદારે ઓળખાણનો સ્વીકાર કર્યો.

પણ એ ઓળખાણની સાથે જ તે વધારે અક્કડ થયા. ‘એ ઓળખાણનો લાભ લેવા તો તું નથી આવ્યો ના?’ એમ મેં તેની અક્કાડાઇમાં જોયું, તેની આંખમાં વાંચ્યું. સમજતા છતાં મે

મારું પ્રકરણ ઉખેળ્યું. સાહેબ અધીરા થયા. ‘તારા ભાઇ ખટપટી છે. તારી પાસેથી વધારે વાત સાંભળવા હું નથી માગતો. મને વખત નથી. તારા ભાઇને જો કંઇ કહેવું હોય તો તે રીતસર અરજી કરે.’ આ ઉત્તર બસ હતો, યથાર્થ હતો; પણ ગરજને જ્ઞાન ક્યાંથી હોય?

હું તો મારું પ્રકરણ ચલાવી રહ્યો હતો. સાહેબ ઊઠ્યા. ‘હવે તમારે જવું જોઇએ.’

મેં કહ્યું, ‘પણ મારી વાત તો પૂરી સાંભળો.’

સાહેબ ખૂબ ખિજાયા. ‘પટાવાળા, ઇસકો દરવાજા બતાઆ.’

‘હજૂર’ કહી પટાવાળો દોડી આવ્યો. હું તો હજુ કંઇક બકી રહ્યો હતો.

પટાવાળાએ મને હાથ લગાડ્યો ને મને દરવાજાની બહાર કાઢયો.

સાહેબ ગયા, પટાવાળો ગયો. હું ચાલ્યા, અકળાયો, ખિજાયો. મેં તો ચિઠ્ઠી ઘસડીઃ

‘તમે મારું અપમાન કર્યું છે, પટાવાળાની મારફતે મારી ઉપર હુમલો કર્યો છે, તમે માફી નહીં માગો તો અમારા ઉપર રીતસર ફરિયાદ કરીશ.’ આ ચિઠ્ઠી મેં મોકલી. થોડી જ વારમાં સાહેબનો સવાર જવાબ આપી ગયોઃ

‘તમે મારા તરફ અસભ્યપણે વર્ત્યા. તમને જવાનું કહ્યા છતાં તમે ન ગયા, તેથી

મેં જરૂર મારા પટાવાળાને તમને દરવાજો દેખાડવા કહ્યું, ને પટાવાળાના કહેવા છતાં તમે કચેરી બહાર કાઢવા પૂરતું ભળ વાપર્યું. તમારે જે પગલાં લેવા હોય તે લેવા તમે છૂટા છો.’

જવાબની આ મતલબ હતી.

આ જવાબ ખિસ્સામાં મેલી ભોંઠો પડી ઘેર આવ્યો. ભાઇને વાત કહી. દુ ખી થયા.

પણ તે મને શું સાંત્વન આવે? વકીલ મિત્રોને વાત કરી. મને કેસ માંડતાં થોડો જ આવડતો હતો? આ સમયે સર ફિરોજશા મહેતા પોતાના કોઇક કેસકર રાજકોટમાં હતા. તેમને

મારાજેવો નવો બારિસ્ટર તો કયાંથી મળી શકે? પણ તેમને મારા રોકનાર વકિલને મારફતે તેમને કાગળિયાં મોકલી તેમની સલાહ પુછાવી. ‘ગાંધીને કહેજો, આવા કિસ્સા તો બધા વકીલબારિસ્ટરવા અનુભવમાં આવ્યા હશે. તું નવોસવો છે. તને હજું વિલાયતવી ખુમારી છે. તું બ્રિટિશ અમલદારને ઓળખતો નથી. જો તારે સુખેથી બેસવું હોય ને બે પૈસા કમાવા હોય તો તને મળેલી ચિઠ્ઠી ફાડી નાખ અને થયેલું અપમાન ગળઈ જા. કેસ કરવામાં તને દોકડો એક નહીં મળે, ને તું ખુવાર થશે. જિંદગીનો અનુભવ તને હજુ હવે મળવાનો છે.’

મને આ શિખામણ કડવી ઝેર લાગી. પણ તે કડવો ઘુંટડો ગળે ઉતાર્યો છૂટકો હતો.

હું અપમાન ભૂલી તો ન જ શક્યો, પણ મેં તેનો સદુપયોગ કર્યો. ‘આવા સ્થિતિમાં ફરી કોઇ દિવસ નહીં મુકાઉં, કોઇની સિફારસ આમ નહીં કરું.’ આ નિયમનો કદી ભંગ નથી કર્યો. આ આઘાતે મારી જિંદગીનું સુકાન બદલ્યું.