Satya na Prayogo Part-3 - Chapter - 16 books and stories free download online pdf in Gujarati

સત્યના પ્રયોગો - ભાગ-3 - 16

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૬. લૉર્ડ કર્ઝનનો દરબાર

મહાસભા વીતી, પણ મારે તો દક્ષિણ આફ્રિકાના કામને અંગે કલકત્તામાં રહી ચેમ્બર ઑફ કોમર્સ ઈત્યાદિ મંડળોને મળવાનું હતું. તેથી હું કલકત્તામાં એક માસ રહ્યો. આ વેળા મેં હોટેલમાં ઊતરવાને બદલે ઓળખાણ મેળવી ‘ઈન્ડિયા કલબ’માં રહેવાનું ગોઠવ્યું. આ કલબમાં આગેવાન હિંદીઓનો ઉતારો રહેતો, તેથી તેમના પ્રસંગમાં આવી તેમને દક્ષિણ આફ્રિકાના કામમાં રસ લેતા કરીશ એવો લોભ હતો. આ કલબમાં ગોખલે હમેશાં નહીં તો વખતોવખત બિલિયર્ડ રમવા આવતા. હું કલકત્તામાં રોકાવાનો હતો એ તેમના જાણવામાં આવતાં જ તેમણે મને પોતાની સાથે રહેવા આમંત્રણ આપ્યું. મેં તે આભારસહિત સ્વીકાર્યું. પણ મારે મારી મેળે ત્યાં જવું એ તો મને ઠીક ન લાગ્યું. એકબે દિવસ રાહ જોઈ એટલામાં ગોખલે પોતાની સાથે જ મને લઈ ગયા. મારો સંકોચ જોઈ તેમણે કહ્યું : ‘ગાંધી, તમારે તો દેશમાં રહેવું છે એટલે આવી શરમ કામ નહીં આવે. જેટલાના સંબંધમાં અવાય તેટલાના સંબંધમાં તમારે આવવું જોઈએ. મારે તમારી પાસેથી મહાસભાનું કામ લેવું છે.’

ગોખલેને ત્યાં જતાં પહેલાં ‘ઈન્ડિયા કલબ’નો એક અનુભવ નોંધું.

આ જ અરસામાં લોર્ડ કર્ઝનનો દરબાર હતો. તેમાં જનારા કોઈ રાજામહારાજા આ કલબમાં હતા. કલબમાં તો તેમને હું હમેશાં સુંદર બંગાળી ધોતી, પહેરણ તથા પછેડીના પોશાકમાં જોતો. આજે તેમણે પાટલૂન, ઝભ્ભો, ખાનસામાની પાધડી અને ચમકદાર બૂટ પહેર્યાં. મને દુઃખ થયું ને મેં આવા ફેરફારનું કારણ પૂછ્યું.

‘અમારું દુઃખ અમે જાણીએ. અમારા પૈસા ને અમારા ઈલકાબો રાખવા સારુ અમારે જે અપમાનો સહન કરવાં પડે છે તે તમે કઈ રીતે જાણો ? જવાબ મળ્યો.’

‘પણ આ ખાનસમાશાઈ પાઘડી અને આ બૂટ શીં ?’

‘અમારામાં ને ખાનસમામાં તમે શો ફેર ભાળ્યો ? તેઓ અમારા તો અમે લોર્ડ કર્ઝનના ખાનસમા. હું લેવીમાંથી ગેરહાજર રહું તો પણ મારે સોસવું પડે. હું મારા સામાન્‌. પોશાકમાં જાઉં તો એ ગુને ગણાય. અને ત્યાં જઈને પણ મને કંઈ લોર્ડ કર્ઝનની સાથે વાત કરવા મળવાની કે ? મુદ્દલ નહીં.’

મને આ નિખાલસ ભાઈ ઉપર દયા આવી.

આવા જ પ્રસંગનો બીજો એક દરબાર મને યાદ આવે છે. જ્યારે કાશી હિંદુ વિદ્યાપીઠનો પાયો લોર્ડ હાર્ડિંગને હાથે નખાયો ત્યારે તેમનો દરબાર હતો. તેમાં રાજામહારાજાઓ તો હોય જ. ભારતભૂષણ માલવીજીએ મને પણ તેમાં હાજરી આપવાનો ખાસ આગ્રહ કર્યો હતો. હું ત્યાં ગયો હતો. રાજામહારાજાઓના કેવળ ઓરતોને શોભે એવા પોશાક જોઈ હું દુઃખી થયો. રેશમી ઈજાર, રેશમી અંગરખાં ને ડોકમાં હીરામોતીની માળાઓ ! હાથે બાજુબંધ ને પાઘડી ઉપર હીરામોતીનાં લટકણિયાં ! આ બધાની સાથે કેડે સોનાની મૂઠવાળી તલવાર લટકતી હોય.

તેમાં આ રાજ્યાધિકારની નહીં પણ તેમની ગુલામીની નિશાનીઓ હતી એમ કોઈએ કહ્યું. હું માનતો હતો કે, આવાં નામર્દીનાં આભૂષણ તેઓ સ્વેચ્છાએ પહેરતા હશે. મને ખબર મળી કે, આવા મેળાવડાઓમાં રાજાઓએ પોતાનાં બધાં કીમતી ઘરેણાં પહેરવાં જ જોઈએ એવી ફરજ હતી. મેં જાણી લીધું કે, કેટલાકને તો આવાં ઘરેણાં પહેરવાનો તિરસ્કાર હતા, ને આવા દરબારના પ્રસંગ સિવાય બીજે કોઈ વખતે તેઓ એવાં ઘરેણાં પહેરતા નહોતા. આ હકીકત કેટલે અંશે સાચી હતી તે હું નથી જાણતો. તેઓ બીજે પ્રસંગે પહેરતા હો યા ન પહેરતા હો, વાઈસરૉયના દરબારમાં શું કે બીજે શું, ઓરતોને જ શોભે એવાં આભૂષણો પહેરીને જવું જ પડે એ જ પૂરતો દુઃખદ પ્રસંગ છે. ધન, સત્તા અને માન મનુષ્યની પાસે કેટલાં પાપો ને અનર્થો કરાવે છે !