Global Management books and stories free download online pdf in Gujarati

ગ્લોબલ મેનેજમેન્ટ

ગ્લોબલ મેનેજમેન્ટ

- લેખક -

દીપક ભટ્ટ

READ MORE BOOKS ON

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

1 - કોર્પોરેટ પોલીટીક્સની પોઝીટીવ રમત

2 - શ્રેષ્ઠ સેલ્સમેનની વિવિધતમ શૈલીઓ

3 - પ્રોફેશનલ કરિયરમાં ભૂલનો સ્વીકાર એ જ પ્રગતિને આવકાર

4 - ફેમીલી બિઝનેસમાં સંધર્ષ ટાળવો જરૂરી છે

5 - સફળ બનવા માટે ઉદેશ્ય જરૂરી

6 - મોબાઈલ શિષ્ટાચારની અગત્યતા

7 - બિઝનેસના વ્યવસ્થાતંત્રને ટકાવી રાખવા માટેના ઉપાયો

8 - કામ કરાવતાં પહેલાં કામ કરતાં શીખો

9 - ઓફીસના સ્ટ્રેસને દૂર કરવાના ઉપાયો

10 - ભૂલોની હારમાળા થતી અટકાવો

1 - કોર્પોરેટ પોલીટીક્સની પોઝીટીવ રમત

આજે દરેક સંસ્થામાં રાજકારણ પ્રવેશી ગયું છે. પ્રમોશન લેવાથી લઈને બીજાને કામની બાબતમાં નીચા દર્શાવવા માટે લોકો કંપનીમાં જાતજાતની રાજકારણની રમત રમે છે, જે કંપની માટે ભવિષ્યમાં નુકશાનકારક સાબિત થાય છે. આજે મસમોટા મેનેજમેન્ટ ગુરુઓ અને લીડરશીપ ગુરુઓ આ વિષય અંગેની ટ્રેનીંગ વિશ્વભરમાં આપે છે. પ્રખ્યાત મેનેજમેન્ટ નિષ્ણાત પ્રોફેસર સ્ટીફન રોબીન્સે કર્મચારીઓ સંસ્થામાં રાજકારણનો ભોગ ન બને તે માટે અને સંસ્થાનું કલ્ચર પ્રગતિ તરફ આગળ વધે તે માટે અમુક ઉપાયો સૂચવેલા છે.

હંમેશા સંસ્થાના ધ્યેય વિશે જ બોલવું: કર્મચારીઓએ પોતાના પર્સનલ ધ્યેયને છુપાવી રાખીને કંપનીના લક્ષ્યાંકો વિશે ચર્ચાઓ કરતી રહેવી જોઈએ. બધાની વચ્ચે પોતાની અંગત લાભ કે ધ્યેયની વાતો કરવાથી ક્યારેક વળતો પ્રહાર આવી શકે છે. બીજા વિભાગના સાથી કર્મચારીઓ કેવી રીતે વર્તે છે તેનું ખાસ નિરીક્ષણ કરવું જોઈએ. જે વ્યક્તિ સંસ્થાના ધ્યેય વિશે જ હંમેશા વાતો કરે છે તે ઝડપથી પ્રમોશનના દ્વારને પામે છે.

બોસને સાથ-સહકાર આપતા રહો: તમારી કારકિર્દીની દોરી જે વ્યક્તિના હાથમાં હોય તે વ્યક્તિને હંમેશા કામમાં સાથ-સહકાર આપતા રહો ભલે પછી તમને તે વ્યક્તિ જોડે ફાવતું ન હોય. કારણ કે તે જ વ્યક્તિ તમારા કામનું મૂલ્યાંકન કરશે માટે તેની નજરમાં રહેવું આવશ્યક છે. તમારા ઉપરી અધિકારી તમને મૂલ્યાંકન કરવામાં કેવા માપદંડ વાપરે છે તે શોધતા રહો અને તે મુજબનું વર્તન કરો. ક્યારેક બોસ સાથે વાતચીત કરતી વેળાએ અમસ્તા હસવાથી પણ નોકરીમાંથી પાણીચું દેવું પડે છે. બોસ પાસે તમારું કેરેક્ટર અને પર્સનાલીટી હંમેશા અવ્વલ ક્વોલીટીની રાખો. સાયકોલોજી વિષયમાં 'સમાનતા' નો એક નિયમ છે. બોસના અને તમારા ટેસ્ટ એક સરખા રાખો.

અડધી તૂટેલી ચમચીઓથી દૂર રહો: કંપનીમાં જે વ્યક્તિની ઈમેજ બગડેલી છે તેવી વ્યક્તિઓને તૂટેલી ચમચીઓ કહેવામાં આવે છે. આવી વ્યક્તિઓથી દૂર રહેવું હિતાવહ છે. આ પ્રકારની વ્યક્તિઓ અફવાઓની મદદથી તમારી ઈમેજને બગાડી શકે છે. માટે તેની સાથે વધુ પડતી દલીલ કરવાને બદલે તેનાથી દૂર રહેવું જોઈએ. નોકરીના શરૂઆતના દિવસોમાં આવી વ્યક્તિઓની એક યાદી બનાવો જેથી શરૂઆતથી જ તમને તકલીફ ન પડે. ઘણી વખત એવું બનતું હોય છે કે આવી વ્યક્તિઓ ઉપરી અધિકારીઓના સીધા જ સંપર્કમાં હોય છે અને તમારી એક અમથી નાનકડી ભૂલ તમને ક્યારેક મુસીબતમાં લાવી શકે છે.

કંપનીના રિસોર્સ ઉપર નિયંત્રણ મેળવો: સંસ્થામાં રીસોર્સીસ હંમેશા મર્યાદિત હોય છે. કંપનીમાં બને તેટલાં રીસોર્સીસ ઉપર તમારું નિયંત્રણ રાખવામાં પ્રયત્નો કરતા રહો. જેની પાસે રિસોર્સ હશે તે પાવરફૂલ હશે. આજના સમયમાં જ્ઞાન, આવડત અને એક્ષ્પર્તીઝ એક જબરજસ્ત રિસોર્સ છે. તમારામાં આ ત્રણેય વસ્તુઓ હશે તો તમારી વાતો સૌ કોઈ સાંભળશે અને તમારી કદર થતી રહેશે. દરેક કંપનીમાં રિસોર્સની અગવડ તો રહે જ છે. ઓછામાં ઓછા રીસોર્સથી તમે કેવી રીતે વધુ કામ કરી શકો તે તમારી આવડત અને સ્કીલ ઉપર આધાર રાખે છે. જો તમે ઓછા રીસોર્સથી કંપનીમાં કામ કરશો તો ટોપ મેનેજમેન્ટ તરફથી તમને સારો રીવોર્ડ મળી શકે છે.

સૌની નજરમાં રહો: એક સરસ મજાની પંક્તિ છે કે આંખો સે દૂર દિલ સે ઉતર જાયેગા.. ખૂબ જ સાચું જ કહ્યું છે. કંપનીમાં દરરોજ ૧૦ મિનીટ ફાળવીને દરેક વિભાગના લોકોને મળવાનું રાખો. તમે જે કંઈ કરો છો, કે કંપનીએ જે સફળતા પ્રાપ્ત કરી હોય તેનો ઢોલ વગાડીને બીજા દ્વારા પણ તેને અમલમાં મુકવો. તમારું કામ એવું હોય કે જે મેનેજમેન્ટની સીધી જ નજરમાં ન આવતું હોય તો એકદમ હોશિયારીથી તમે જે કંઈ કામ કરી રહ્યા છો એની ખબર તમારા ઉપરી અધિકારી, ગ્રાહકો, સપ્લાયરો, સરકારી અધિકારીઓ મારફતે પહોચાડવાની કોશિશ કરતા રહો. શર્હેરના મેનેજમેન્ટ એસોશિયેશનના, ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બર બનો. અખબારોમાં લેખ લાખો. નેશનલ ચેનલોમાં ઇન્ટરવયું લો અને આપો. બે-પાંચ સેમિનારોનું સંચાલન કરો.

***

2 - શ્રેષ્ઠ સેલ્સમેનની વિવિધતમ શૈલીઓ

તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો તે વસ્તુ ગ્રાહક સુધી પહોંચે તે તમારા ધંધાનું મહત્વનું પાસું ગણાય છે. તમે તમારી વસ્તુનું ઉત્પાદન કાળજીપૂર્વક, આધુનિક વિચારસરણીને ધ્યાનમાં રાખીને કરેલું હોય છે જે ગ્રાહકલક્ષી હોય છે. તમારી ઉત્પાદિત વસ્તુ ગ્રાહક સુધી પહોચાડવાની કામગીરી કળા અને કુશળતા માંગી લે છે. ગ્રાહકની ઈચ્છાઓને જે તીવ્ર જરૂરિયાતમાં પલટી નાખે છે, અને જે છેલ્લે ખરીદીનું રૂપ ધારણ કરે છે તે વેચાણકળાની આવડતને સેલ્સમેનશીપ કહેવાય છે.

તમારી વસ્તુનું વેચાણ કરવું તે એકમાત્ર તમારો હેતુ હોઈ શકે નહિ. ગ્રાહક તમારી વસ્તુનો વપરાશ વારંવાર કરતો થાય અને તે અન્ય ગ્રાહકને પણ તમારી વસ્તુ ખરીદવા માટે પ્રોત્સાહિત કરે તે તમારો આશય હોવો જોઈએ. હંમેશા યાદ રાખો કે, તમારી વસ્તુ ગમે તેટલી ઉચ્ચ ક્વોલીટીની કેમ ન હોય પરંતુ તે ક્યારેય આપમેળે ગ્રાહક સુધી પહોચતી નથી. તેને ગ્રાહક સુધી પહોંચાડવા માટે તમારે એક સારા સેલ્સમેનની જરૂર પડવાની જ છે. ડેલ કંપનીના સ્થાપકે તેના શરૂઆતના વર્ષોમાં એવો વિચાર કરેલો કે મારી પ્રોડક્ટનું હું સીધું જ ગ્રાહક જોડે વેચાણ કરીશ. પરંતુ સમય જતાં તેમણે પોતાના વિચારોને બદલવા પડ્યા અને આજે તમે ડેલ કંપનીના શો રૂમ દરેક શહેરોમાં જોઈ શકો છો.

દરેક કંપનીએ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે, ગ્રાહકના સૌ પ્રથમ સંપર્કમાં સેલ્સમેન આવે છે. ગ્રાહકને પોતાની વસ્તુની સમજણ આપે છે અને તેને ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સેલ્સમેન ઓફ ધ યર નામની બોલીવુડની ફિલ્મમાં અભિનેતાએ સારા સેલ્સમેનની ખૂબીઓ અને લાક્ષાણીકતાઓ કેવી હોવી જોઈએ તે વિશે પોતાનો અભિનય પાથર્યો છે. ફિલ્મનો હાર્દ એક જ વસ્તુ ઉપર હતો કે, એક સારો અને ઉત્કૃષ્ઠ સેલ્સમેન પોતાની ફરજ કેવી રીતે નિભાવી શકે છે. જયારે વેપારી પાસે ગ્રાહક સામેથી આવે છે. પોતે જે વસ્તુ ઈચ્છે છે તે વસ્તુ ખરીદે છે. આ વ્યવહારમાં કોઈ પણ જગ્યાએ સેલ્સમેનનો ફાળો જોવા મળતો નથી. અહી સેલ્સમેન ગ્રાહક પાસે જાય છે ત્યારે ગ્રાહકને વસ્તુ લેવી કે નહિ તે નક્કી હોતું નથી. જયારે ગ્રાહક વેપારી પાસે જાય છે ત્યારે તે વસ્તુ લેવાની જ છે તે હેતુથી જ મુલાકાત લે છે. આવા સંજોગોમાં સેલ્સમેનને વધુ અને વેપારીને પ્રમાણમાં ઓછી મહેનત કરવી પડતી હોય છે. પરંતુ બંનેમાં એક વાત સામ્ય હોય છે કે ગ્રાહકને સંતોષ થાય અને ગ્રાહક તમારી વસ્તુ ખરીદે તેવો સફળ પ્રયત્ન કરવાનો હોય છે.

એક સારા સેલ્સમેનની વિવિધ શૈલીઓ વિશે સમજીએ.

સેલ્સમેનનું વ્યક્તિત્વ: સેલ્સમેનનો બાહ્ય દેખાવ કુદરતની બક્ષિશ હોય છે પરંતુ જો તે પોતે વ્યવસ્થિત હોય, સુધડ હોય, પહેરવેશ સ્વચ્છ અને સારો હોય, તો તે ગ્રાહક દ્વારા આવકારને પાત્ર બને છે. ક્યારેક એવું પણ બને છે કે સારો દેખાવ ન ધરાવનાર સેલ્સમેન વસ્તુના વેચાણ કરવામાં નંબર એકના સ્થાન ઉપર જોવા મળતા હોય છે. આવા સમયે તેમની આવડત અને વસ્તુનું વેચાણ કરવાની કુશળતાને ધ્યાનમાં લેવામાં આવે છે. સારો સેલ્સમેન ગ્રાહકના માનસને ઓળખીને તેને વસ્તુનું વેચાણ કરે છે. ગ્રાહકને ક્યારેય પણ વસ્તુની ખરીદીમાં રસ હોતો નથી. તેમને માત્ર વસ્તુની યોગ્ય માહિતી જે તે સેલ્સમેન પાસેથી મળી રહે તે જ હેતુ હોય છે.

પ્રભાવશાળી વાણી: આ કુદરતી બક્ષિશ છે પરંતુ રોજના અભ્યાસથી, સારા વિચારોથી અને અસરકારક શબ્દોનો ઉપયોગ કરવાથી પ્રભાવશાળી વાણીના માલિક બની શકાય છે. અને આ કળા માટે કોઈ કલાસીસ ભરવાની જરૂર રહેતી નથી. સારું વાંચન, અભ્યાસુ અને હોશિયાર લોકોની સંગત તેમજ સામેવાળી વ્યક્તિને શું ગમે છે અથવા શું ગમી શકે છે અને ક્યાં શબ્દોનો ઉપયોગ કરવાથી ગ્રાહક તમારી તરફ આકર્ષાય તે ધીમે ધીમે હકારાત્મક વલણ અપનાવવાથી શીખી શકાય છે. વસ્તુના વેચાણ માટે પ્રભાવશાળી વાણી ઇચ્છનીય છે. જે શબ્દો તમને ગમે તેવા શબ્દો બીજા માટે વાપરવાથી સામેવાળાને પણ ગમશે અને તમે તેનું દિલ જીતી શકો છો.

ઉત્પાદિત વસ્તુ વિશેનું જ્ઞાન: સેલ્સમેન માટે આ પાયાની બાબત છે. ગ્રાહક વસ્તુ માટે પૈસાનું ખર્ચ કરે છે અને સાથે સાથે તેને પૈસાનું પૂરેપૂરું વળતર મળે તેવું પણ તે ઈચ્છતો હોય છે. વસ્તુના મહત્વના લક્ષણો જેમ કે, વસ્તુના રંગ, રૂપ, ટકાઉપણું, ગુણવતા, વજન અને તેનો ઉપયોગ વગેરેની માહિતી હોવી જોઈએ. આ સિવાય વસ્તુ અંગે ટેકનીકલ માહિતી હોય તો ગ્રાહકને સમજાવવામાં સરળતા થઇ જાય છે. ગ્રાહકની હંમેશા એક જ રજૂઆત હોય છે કે વસ્તુની કિમત વધુ છે. આવા સંજોગોમાં વસ્તુની ઉપયોગીતા, વેચાણ પછીની સેવાઓ અને વસ્તુનો અનેકરીતે ઉપયોગ વગેરેનું વર્ણન કરીને ગ્રાહકને વસ્તુની કિંમત વ્યાજબી છે તે સમજાવી શકાય છે.

***

3 - પ્રોફેશનલ કરિયરમાં ભૂલનો સ્વીકાર એ જ પ્રગતિને આવકાર

આપણામાં એક કહેવત છે કે, કામમાં ભૂલ કરે તે જ વ્યક્તિ સાચું શીખે છે. પરંતુ ઘણી વખત કોર્પોરેટ કંપનીમાં ભૂલનું પરિણામ કંપનીને અને કર્મચારીને ખુબ જ મોટું નુકશાન પહોંચાડી શકે છે. આપણે ભૂલને બને ત્યાં સુધી થતી અટકાવીએ છીએ પરંતુ તેમાંથી મોટેભાગે બોધપાઠ લેતા હોતા નથી. બોધપાઠ લેવાથી ભૂલનું પરિવર્તન લગભગ નહીવત થઇ જાય છે. ઘણી વખત આપણે ભૂલ કરીને લોકોને એવું કહેતા હોઈએ છીએ કે, જો મેં કોઈને જાણતાં-અજાણતાં દુઃખ પહોચાડ્યું હોય તો માફ કરશો પરંતુ આવું બધું કહીને ખરેખર તો તમે તે વ્યક્તિને તમને દિલાસો આપવા માટે આજીજી કરો છો. તમે ભૂલનો સ્વીકાર કરતાં હોતા નથી.

યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો: તમે કામમાં જે ભૂલ કરી છે તે બાબત અંગે સ્પષ્ટ રીતે તમારા બોસને જણાવી દેવું જોઈએ. મોટેભાગે આપણે એમ જ કહીએ છીએ કે, આ કારણસર ભૂલ થઇ હતી કે બીજા વિભાગમાંથી માહિતી મળવામાં મોડું થયું હતું. પરંતુ આ બાબતને તમારા બોસ કે કંપની સાથે કોઈ જ નિસ્બત હોતો નથી. તેમના માટે તો કામ પૂર્ણ થાય તે જ મહત્વનું હોય છે. વારંવાર આ પ્રકારના કારણો આપવાથી તમને થયેલી ભૂલ વિષે માહિતી મળી શકશે નહિ.

ચેકલીસ્ટ બનાવવું: જો તમે વારંવાર ભૂલો કરતાં હોય તો તેવી ભૂલોનું એક ચેકલીસ્ટ બનાવવું જોઈએ. આ ચેકલીસ્ટમાં ક્યાં પ્રકારનાં કામમાં કેવી ભૂલો થાય છે અને શા માટે થાય છે તે બાબત અંગે ઉલ્લેખ ખાસ કરવો જોઈએ. આવા ચેકલીસ્ટ બનાવતી સમયે તમારી નબળાઈને પોતાની નજર સમક્ષ રાખવી જોઈએ. મોટેભાગે લોકો ભૂલનું નિરીક્ષણ કરતી વખતે નબળાઈઓને જોતા હોતા નથી અને તે વખતે જ તેમને પરિણામ ભોગવવું પડતું હોય છે.

આત્મકથા વાંચવી: જે વ્યક્તિને પુસ્તક વાંચવાનો શોખ હોય તેમણે સ્પોર્ટ્સ, ફિલ્મ કલાકારો, રાજકીય નેતાઓ, બીઝનેસ ટાયકુન જેવા લીડરોની આત્મકથા વાંચવી જોઈએ. આ પ્રકારના પુસ્તકોમાં તેમના દ્વારા થયેલી ભૂલોને તેમણે કેવી રીતે પોતાના જીવનમાં હકારાત્મક દ્રષ્ટિકોણથી સુધારી છે તેના વિવિધ ઉદાહરણો આપેલા હોય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બેરેક ઓબામાંએ જયારે ચુંટણી જીત્યાના પહેલા દિવસે રાષ્ટ્રને ભાષણ આપ્યું ત્યારે તેમણે ખાસ કહેલું કે મહાત્મા ગાંધીજીની આત્મકથાએ મારા જીવનમાં ઘણું પરિવર્તન કર્યું છે. ઈન્ફોસીસ કંપનીમાં આ પ્રકારના પુસ્તકોનું વાંચન તેમના કર્મચારીઓ દ્વારા વધે તે માટે એક ખાસ પ્રકારની લાઈબ્રેરી બનાવવામાં આવી છે જેને આત્મસંશોધન નામ આપ્યું છે.

મેન્ટરશીપની તાલીમ લેવી: જો તમે તમારી ભૂલને વિગતવાર સમજી ન શકો તો તમે તમારા મિત્ર અથવા ઉપરી અધિકારીની મદદ લઇ શકો છો. આ પદ્ધતિને મેન્ટરશીપ કહેવાય છે. મેન્ટરશીપની તાલીમ દરમ્યાન તમે કોર્પોરેટ અને જીવનના અવનવાં પાસાઓ શીખી શકો છો જે મોટેભાગે અનુભવ આધારિત હોય છે. એક વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ કે આ પદ્ધતિમાં ક્યારેય પણ એકબીજા ઉપર દોષારોપણ કરવા જોઈએ નહિ. અમેરિકા જેવા દેશમાં આ પ્રકારની તાલીમ આપવા માટે પ્રાઇવેટ કંપનીઓની બોલબાલા છે.

***

4 - ફેમીલી બિઝનેસમાં સંધર્ષ ટાળવો જરૂરી છે

ભારતમાં ફેમીલી બિઝનેસની ખુબ જ બોલબાલા છે. વર્ષોથી કરવામાં આવતાં બિઝનેસને લોકો હવે આધુનીકરણથી સજ્જ કરી રહ્યા છે. ખાસ કરીને વિવિધ પ્રોજેક્ટ કે પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ધંધાના વ્યાપને વિકસાવવામાં આવે છે. આ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટને કારણે લોકોને રોજગારી મળે છે અને દેશની ઈકોનોમી આગળ આવે છે. જૂના જમાનાની જો વાત કરીએ તો દાદાઓની પેઢીથી શરુ કરેલો ધંધો આજે તેમનો પોત્ર કે પોત્રી ચલાવતા જોવા મળે છે. કોલેજમાંથી એમ.બી એ. કરીને બહાર પડેલા આ યુવાનોને જીવનમાં કશુક કરી છૂટવાની એક મહત્વાકાંક્ષા હોય છે જે આગળ જતા તેને સફળતા અપાવે છે. જેઓ ફેમીલી બીઝનેસમાં છે તેઓને વર્ષોનો બહોળો અનુભવ હોય છે. દીકરો કે દીકરી સવારે કોલેજમાં જાય અને બપોર પછી પોતાના ધંધાની અલગ અલગ રીત રસમો શીખવા માટે ઓફીસ કે દુકાને આવતાં હોય છે.

જયારે યુવાધન હોય ત્યાં થોડી પરિપક્વતાનો અભાવ જોવા મળતો હોય છે. તેઓના સપનાં હંમેશા તેના બીઝનેસને આગળ લઇ જવા માંગતા હોય છે. જયારે તેના વડીલ પિતા કે જે આ બીઝનેસને વર્ષોથી ઓળખે છે તેઓને ગઈકાલની અને આવતીકાલની ગ્રાહકલક્ષી સૂઝબૂઝ પહેલેથી જ હોય છે કેમ કે તેમને તે કામનો અનુભવ હોય છે. હવે આ પરિસ્થિતિમાં મોટા ભાગે બિઝનેસને અંતર્ગત મતભેદ થતાં જોવા મળે છે. ધંધાનો વ્યાપ વધારવાનો હોય, કોઈ નવી પ્રોડક્ટ બજારમાં મુકવાની હોય, ગ્રાહકલક્ષી સેવા આપવાની હોય કે પછી કોઈ જગ્યાએ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ત્યારે પિતા, પુત્ર કે પુત્રી વચ્ચે વાતચીતમાં થોડો સંઘર્ષ જોવા મળે છે.

આ સંઘર્ષને ટાળવા માટેના થોડા સૂચનો જોઈએ.

  • દરેક વસ્તુનો એક સમય હોય છે તેવી જ રીતે બીઝનેસની કમાન ક્યારેય પણ સંતાનોને સીધી સોંપવી જોઈએ નહિ. તેમને બિઝનેસનો કોઈ બીજી જગ્યાએ અનુભવ લેવા દો. અનુભવ તેમને સફળતા અને નિષ્ફળતાના પાઠ શીખવશે.
  • તેમનો મોટા ભાગનો સમય નવા ઉદ્યોગ સાહસિકો વચ્ચે રાખો. આમ કરવાથી તેમને ધંધાકીય ગતિવિધિના પાસાઓની ખબર પડશે.
  • રતન ટાટા, આદિત્ય બિરલા, ધીરુભાઈ અંબાણી, સ્ટીવ જોબ્સ, જેવા પ્રખ્યાત ઉદ્યોગપતિઓની બાયોગ્રાફી, વિડીયો સ્પીચ કે તેમની સફળતાના પુસ્તકો વાંચવાનું કહો. આમ કરવાથી તેમનામાં બિઝનેસના વિવિધ પાસાઓ જેમ કે, માર્કેટિંગ સ્કીલ્સ, પ્રોડક્ટ ઇનોવેશન, ગ્રાહકની સર્વિસ વિશે ઊંડાણપૂર્વક સમજ પડશે.
  • તેમની સાથે દલીલ કરવાને બદલે તેમને ધ્યાનપૂર્વક સાંભળો. તેમના આઈડિયાને પ્રોત્સાહન આપો. દલીલ કરવાથી મતભેદ વધશે અને તેમને ધ્યાનપૂર્વક સાંભળવાથી તેમનામાં પરિપક્વતા આવશે.
  • તેમણે કરેલા અભ્યાસને હંમેશા માન આપો. આમ કરવાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે.
  • તેમને પ્રોડક્ટનો વિગતવાર અભ્યાસ કરવાનું કહો. અને પછી તે અભ્યાસ અંગેનો રીપોર્ટ માંગો. આમ કરવાથી તેમની નિર્ણય લેવાની શક્તિ, પ્રોડક્ટને સમજવાની, માર્કેટિંગ કરવાની સ્કીલમાં વધારો થશે અને તમને ખ્યાલ પડશે કે તે કેટલું કામ કરવા માટે સક્ષમ છે.
  • ગ્રાહકને આપવા અંગેની સર્વિસ અંગે તેમને જરૂરી દરેક માહિતી પૂરી પાડો. ગ્રાહકને સમજવાની, તેમની ખરીદશક્તિ અંગેનો નિર્ણય, વાતચીત કરવાની કળા વિશે બને તેટલી બધું માહિતી આપો.
  • કોમ્યુનીકેશન, પ્રેઝેન્ટેશન, નેગોશિયેશન જેવી સ્કીલ અપગ્રેડ થાય તે માટે જરૂરી કોર્સીસ કરવા માટે પુરતો સપોર્ટ આપો.
  • તમારા સંતાન પાસે ડમી ગ્રાહક મોકલીને બિઝનેસનો વાસ્તવિક અનુભવ કરાવવો જોઈએ.
  • ***

    5 - સફળ બનવા માટે ઉદેશ્ય જરૂરી

    વૈજ્ઞાનિકોનો એવો મત છે કે પચાસ એકર ધરતી પર સૂર્યની ગરમીમાં એટલી શક્તિ છે કે જેનાથી વિશ્વના યંત્રોને ચલાવી શકાય છે. પરંતુ વિશ્વભરમાં મશીનો ત્યારે બનશે કે જ્યારે એ ઉર્જા એક સ્થાને એકત્ર કરી શકશે, અથવા એને એક બિન્દુ પર કેન્દ્રિત કરી શકાશે. એકત્રિત સૂર્યકિરણોમાં એટલી શક્તિ હોય છે કે જો એને હીરા પર કેન્દ્રિત કરી દેવાય તો હીરાને બાષ્પમાં પરિવર્તન કરી શકાય છે. તમે અનુભવ્યું હશે કે અત્યંત યોગ્ય અને વિશાળ પ્રતિભાના સ્વામી ધનવાન વ્યક્તિ લગભગ નિર્બળ હોય છે. એમની નબળાઈ એ હોય છે કે તેઓ પોતાની યોગ્યતા અથવા કાર્ય શક્તિને કોઈ એક બિન્દુ પર કેન્દ્રિત રાખી શકતા નથી. બીજા શબ્દોમાં, કાર્યશક્તિને એકાગ્ર કરવી એમના માટે કઠીન હોય છે. સફળતા અને નિષ્ફળતા વચ્ચે આ જ અંતર છે. જોબમાં પણ જો એક કાર્યની યોગ્યતાને એક જ ઉદેશ્યની તરફ લગાડવામાં આવે તો સફળતાના શિખરે પહોંચી શકાય છે. બરાબર આથી વિપરિત બહુમુખી પ્રતિભા અને યોગ્યતાને કોઈ એક જ કાર્યમાં કેન્દ્રિત કરવામાં ન આવે, તો કોઈ પરિણામ મળતું નથી. એ યોગ્યતા નિષ્ફળ જાય છે. તોપની નાળમાં ભરેલો દારૂગોળાની શક્તિ જ ગોળાને ઘણે બધે આવેલ લક્ષ્ય પર ફેંકવામાં સફળ થાય છે. તોપગાડીમાં ભલે ઢગલાબંધ દારૂગોળો ભરેલો હોય, એ ગોળા ફેંકવા માટે અસમર્થ હોય છે. તોપના નાળચામાં એકત્રિત શક્તિ જ ગોળાને ફેંકી શકે છે.

    જો તમારે આગળ વધવું છે, તમારે ઉચ્ચ શ્રેણીએ પહોંચવું છે, લોકો પર તમારે પ્રભાવ પાડવો છે, તો તમારે આળસનો ત્યાગ કરી તમારે માટે એક માર્ગ પસંદ કરી લેવો જોઈએ. તમારે એક ઉદેશ્ય નિર્ધારિત કરવો પડશે. શ્વેત પોશાક હોવાની જુઠી શાન અને હાથથી કામ કરવાનો સંકોચ છોડવો પડશે. તમારે તમારી પૂરી શક્તિ અને યોગ્યતાને એ લક્ષ્યની પૂર્તિને માટે લગાડવી પડશે. અસ્થિરચિત વ્યક્તિ, જેને કોઈ ઉદેશ્ય હોય, પણ સ્થિર ન હોય, એ કોઈ પણ ક્ષેત્રે પ્રભાવ પાડી શક્તિ નથી. એને કીર્તિ અને યશ નથી મળતા. પોતાની કોઈ છાપ પણ એ છોડી શકતો નથી. આજના આ યુગમાં આવા લોકો માટે કોઈ જ સ્થાન નથી. લગભગ અસફળતાઓને કારણે વ્યક્તિ અસ્થિરચિત બની જાય છે. કોઈ એક કામ પર ચિત્તને સ્થિર ન રાખવું એ એક નબળાઈ છે.

    આવા પ્રકારના અસફળ લોકો સંસારમાં ઘણા છે. એમનું જીવન એક ખાલી વાસણ જેવું છે, જે કુવામાં પહોચ્યાં પછી પણ ખાલી જ બહાર આવે છે. એક વખત એક અમેરિકન રસાયણશાસ્ત્રીએ કહ્યું હતું, 'મિસ્ટર 'અ' એ મને હાંસી પાત્ર બનાવી મૂક્યો હતો. કારણ કે હું એક જ ઉદેશ્ય પાછળ પડી ગયો હતો, જ્યારે એ એક સાથે અનેક ક્ષેત્રોમાં કામ કરી રહ્યા હતા અને એ બધામાં સમાન રૂપે પ્રકાશવા માંગતા હતા, પરંતુ હું મારી તોપનો દારૂગોળો એક જ લક્ષ્ય પર ચલાવવા માંગતો હતો.' આ વ્યક્તિ પ્રથમ સાધારણ સ્કુલ - શિક્ષક હતો પણ પછી એ યુવક પોતાના દેશની અનેક સંસ્થાઓમાંથી એક સુપ્રસિદ્ધ સંસ્થાનો અધ્યક્ષ બન્યો. વ્યક્તિનું નામ હતું પ્રોફેસર હેનરી અને એ સંસ્થા હતી સ્મિથ સોનીયમ ઇન્સ્ટીટ્યુટ. સુપ્રસિદ્ધ કવિ ગેટનું કહેવું છે, 'આપણે કોઈ એવા કાર્ય માટે ઉદેશ્ય ન બનાવવો જોઈએ, જેને સંપન્ન કરવામાં રુચિ, શક્તિ, કે તાલીમ આપણી ભીતર ન હોય.' જે કાર્ય કરવા માટે તમે તમારું લક્ષ્ય નિર્ધારિત કર્યું એને તમારે તમારા હાથથી જ કરવું જોઈએ અને એને એવું રૂપ આપવું જોઈએ જે અગાઉ કોઈ આપી શક્યું ન હોય. એક પ્રાચીન કહેવત છે, 'એક જ ધંધામાં પૂર્ણતા ચતુર વ્યક્તિ પોતાના સાત બાળકો અને પત્નીનું ભરણ પોષણ કરી શકે છે, જ્યારે સાત વ્યવસાયોમાં લાગેલ વ્યક્તિ પોતાના નિર્વાહ પણ નથી કરી શકતો. સફળ કર્મચારીને એક જ સુનિશ્ચિત કાર્યક્રમ હોય છે. એ પોતાના ઉદેશ્યને અપલક આંખે જુએ છે, અને એ તરફ જ નિશાન લગાવે છે. ઘણા યુવકો એવા હોય છે કે જેઓ કોઈ એક કાર્યમાં પૂર્ણ થયા પૂર્વે જ હતોત્સાહ થઇ જાય છે અને અન્ય કોઈ કાર્યમાં પ્રવૃત થયાનું વિચારે છે. માણસને પોતાના કાર્યની મુશ્કેલીઓનું જ્ઞાન સરળતાથી થઇ જાય છે, જ્યારે બીજાના કાર્યોની મુશ્કેલીઓ જાણવી સરળ નથી. આપણને ત્યાં ફૂલવાડી જ જોવા મળે છે. ઉદાહરણરૂપે એક યુવક કોઈ ડોક્ટરને પોતાની કારમાં જતો જુએ છે ત્યારે વિચારે છે કે, મેં જે ધંધો અપનાવ્યો છે એ કેવો કઠોર, પરિશ્રમી છે, પરંતુ એ એમ નથી વિચારતો કે ડોક્ટર બન્યા પૂર્વે એણે કેવો કઠોર પરિશ્રમ કર્યો છે. ખાવું-પીવું, ઊંઘવું ભૂલીને એણે કઠીન ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. જે કોઈ માણસ જીવનભર ક્લાર્ક રહ્યો, પરંતુ એ સમયમાં એણે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કર્યું હોય તો અનેક લોકો એના મિત્રો બની જાય છે. એ પછી એ પોતાનો સ્વતંત્ર વ્યવસાય અપનાવે ત્યારે એણે અનુભવ થાય છે કે એની પાસે મિત્રોની ભારે પુંજી છે, અને આ પુંજીના બળ પર એ ઉન્નતિના સાચા માર્ગે આગળ વધતો જાય છે.

    વગર વિચાર્યે વ્યવસાય બદલવો એ તમારા મનની અસ્થિરતા બતાવે છે અને આ અસ્થિરતા જ અસફળતાનો માર્ગ છે. ઘણા લોકો એવું પણ વિચારે છે કે એમને કોઈના કોઈ દિવસે સફળતા મળી જશે. આ વાત બરાબર નથી. કારણ કે એક તો એમાં સંદેહની છે, બીજી વાત કે તમે યોજનાબદ્ધ અને સીમા નિશ્ચિત કરીને કાર્ય નહિ કરો તો જીવનભર આમ-તેમ ઘુમ્યે રાખશો. ઉદેશ્ય સ્થિર કરીને પદ્માસન વાળી બેસી જવાથી સફળતા પ્રાપ્ત થતી નથી. એ માટે એકાગ્ર માંથી શ્રમ કરવો પડે છે. દક્ષીણ અમેરિકાના મેદાનોમાં એક જંગલી ફૂલ થાય છે, જેનું મુખ સદા ઉત્તર દિશા તરફ જ રહે છે. જો કોઈ વટેમાર્ગુ રસ્તો ભૂલી જાય, તો આ ફૂલ તેને મદદ કરે છે. યુવક કોઈ એક કાર્યમાં પ્રશિક્ષણ લે અને એ કાર્યમાં પોતાની પ્રતિભાની અમીટ છાપ છોડે. ઉદેશ્યની સ્થિરતા એ સુનિશ્ચિત વિચારોની સકીર્ણતા નથી. ધ્યેય એ છે કે તમારી શક્તિઓ જે તે વિષયો વગર કાર્ય-સિદ્ધિમાં લગાડાય. આનો અર્થ એ પણ નથી કે તમારા મગજને તાળું મારી દેવામાં આવે અને આસપાસના વાતાવરણમાંથી આંખો બંધ રાખી ફરો.

    ઉચ્ચ શિક્ષણ અને જ્ઞાનપૂર્ણ મગજ ઉદેશ્યના જ્ઞાન વગર વ્યર્થ છે. ઉદેશ્ય્હીન વ્યક્તિને કદાપી યશ મળતો નથી. સંસારમાં એ પોતાની છાપ છોડી શકતો નથી. એ તો ભીડમાં ભટકતો રહે છે. એનું વ્યક્તિત્વ ઉભરીને સામે આવતું નથી. એ અયોગ્ય સિદ્ધ થાય છે. જે યુવક કામને આયોજનપૂર્વક કરે છે, અને જેને કાર્યમાં સફળતા મેળવવાની લગન છે, એણે જોઈ બધા લોકો આનંદ અનુભવે છે, આદર કરે છે. અને ગુણવાનોમાં તેની ગણના થાય છે.

    ***

    6 - મોબાઈલ શિષ્ટાચારની અગત્યતા

    થોડા સમય પહેલાં મારા એક મિત્રને નોકરીની જરૂરિયાત હોઈ અલગ અલગ કંપનીઓમાં પોતાના બાયોડેટા મોકલાવેલા હતા અને તે સમયગાળા દરમ્યાન તેમને એક કંપનીમાંથી ઇન્ટરવ્યુ કોલ આવેલો હતો પરંતુ મારો એ મિત્ર પોતાના મિત્રો સાથે બિનજરૂરી વાતો કરવામાં એટલો મશગુલ બની ગયો હતો કે તેમણે મોબાઈલ ફોનમાં મિસ કોલ પણ જોવાની તસ્દી ન લીધી. આ બાબતનું ગંભીર પરિણામ એ આવ્યું કે, આજે તે ફરીથી નોકરીની શોધમાં છે.

    આજના સ્માર્ટ ટેલીકોમ્યુનીકેશનના યુગમાં મોબાઈલ શિષ્ટાચારને આપણે મોટેભાગે ધ્યાનમાં લેતા હોતા નથી. આને પરિણામે ઘણી વખત આપણે આપણાં ગ્રાહકો, વેન્ડર, ફેમીલી તેમજ મિત્રોમાં નારાજગી જોવા મળતી હોય છે. મોબાઈલ શિષ્ટાચાર આજે ખુબ જ જરૂરી બની ગયું છે. આપ મીટીંગમાં હોય, કોઈ જોડે વાત કરતાં હોય કે પછી રેસ્ટોરેન્ટમાં બેઠા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો તે બાબતને ખાસ ગંભીરતાથી સમજવી જોઈએ. કોમ્યુનીકેશનમાં હંમેશા સામેની વ્યક્તિને રિસ્પોન્સ મળે તે ખુબ જ જરૂરી બનતું હોય છે.

    મોબાઈલ શિષ્ટાચાર વિશે જો આપણે સમજીએ તો,

    1 - ફોનનો પ્રત્યુતર આપવો: ફોન કોલ ને માત્ર ત્રણ રીંગમાં જ ઉપાડી લેવો જોઈએ. જયારે પણ ફોન કોલ આવે કે ત્રણ રીંગમાં જ તેને ઉઠાવીને પ્રત્યુતર આપવો જોઈએ. વધારે સમય રાહ જોવાથી લોકોને કંટાળો આવે છે. જો આપ કોઈ મીટીંગમાં હોય તો તુરંત જ ફોનને કટ કરીને તેમને મેસેજ દ્વારા આપ મીટીંગમાં વ્યસ્ત છો તે અંગે જાણકારી આપવી જોઈએ. ફોન ઉપર વાતચીત શરુ કરો તે પહેલા ગુડ મોર્નિંગ અથવા કેમ છો જેવા શબ્દોથી શરૂઆત કરવી જોઈએ. કોઈ પણ વાતચીતની શરૂઆત હકારાત્મક શબ્દોથી થવી જોઈએ. વાતચીત કરતી વખતે હંમેશા તમારી પાસે પેન અને એક ડાયરી રાખો જેથી બીજાનો અગત્યનો મેસેજ લખતા તમને આસાની રહે.

    2 - વાતચીત કરવાની કળા: જયારે પણ મોબાઈલ ઉપર વાત કરો ત્યારે તમારો અવાજ એકદમ શાંત હોવો જોઈએ. હંમેશા ધ્યાનમાં રાખો કે, લોકો તમારી વાતનો પ્રત્યુતર તમારો અવાજ સાંભળીને આપશે. એક વાતચીત ચાલુ હોય ત્યારે બીજી વાતચીતને અટકાવવા માટે હોલ્ડ બટનનો ઉપયોગ કરવો જોઈએ. હંમેશા ટુ ધ પોઈન્ટ વાતચીત કરવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી બંને વ્યક્તિનો સમયનો બચાવ થઇ શકે. જયારે વાતચીત કરતા હોય ત્યારે મુખ્ય મુદ્દાને જ ધ્યાનમાં રાખવો જોઈએ.

    3 - ફોન કરતી વખતે: કોઈ પણ વ્યક્તિને ફોન કોલ કરતી વખતે તમારો વાતચીતનો એજેન્ડા સ્પષ્ટ રાખવો જરૂરી છે. જે વાતચીત કરો તે સ્પષ્ટ હોવી જોઈએ. જે વ્યક્તિને ફોન કરવાનો હોય તે વ્યક્તિનું નામ, નંબર, તેમની કંપની અને હોદ્દો ખાસ યાદ રાખવું જોઈએ અથવા તમારી ડાયરીમાં નોંધી લેવું જોઈએ. ઘણી વખત બીજા કામમાં વ્યસ્ત હોવાને પરિણામે આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે આપણે કોને ફોન કર્યો છે. જો તમે ભૂલમાં કોઈ વ્યક્તિને ફોન કરેલો હોય તો તેમને માનપૂર્વક સોરી કહેવું જોઈએ.

    ***

    7 - બિઝનેસના વ્યવસ્થાતંત્રને ટકાવી રાખવા માટેના ઉપાયો

    ઔદ્યોગિક એકમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તમારે ધંધાના વ્યવસ્થાતંત્રને ટકાવી રાખવું જરૂરી બને છે. તમારું વ્યવસ્થાતંત્ર યોગ્ય હશે તો ધંધામાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે. આજની ફાસ્ટ લાઈફમાં પણ આપણે સૌએ ભગવાન શ્રી કૃષ્ણની વ્યવસ્થાતંત્રની સ્ટ્રેટેજીને ફોલો કરવાની ખાસ જરૂર છે.

    શ્રી કૃષ્ણનું શરૂઆતનું આયોજન અને વ્યવસ્થાના કારણે પાંડવો કૌરવો સામે યુદ્ધમાં જીતી શક્યા હતા. અને તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ આજે પણ આપણને મથુરા, ગોકુળ અને વૃન્દાવનમાં જોવા મળે છે. આખી મહાભારતનું જો હાર્દ જોઈએ તો એમ ચોક્કસપણે કહી શકીએ કે, શ્રી કૃષ્ણ પોતાની કંપની અને ટીમના સફળ સી.ઈ.ઓ હતા.

    ધંધાના આયોજન માટે કેટલીક મહત્વની બાબતો વિશે સમજીએ.

    ૧. સર્વપ્રથમ ધ્યેય નક્કી કર્યા પછી તેને ધંધાનું મહત્વનું લક્ષ્ય બનાવી દો.

    ૨. તમારી કાર્યક્ષેત્રની શરૂઆત તબક્કાવાર કરો.

    ૩. જોખમ લેતા ગભરાશો નહિ.

    ૪. તમારા કર્મચારીએ તેના ઉપરી અધિકારીનું પાલન કરવું હિતાવહ છે.

    ૫. તમારા કર્મચારીને નોકરી છોડવી ન પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરો.

    ૬. કામ શરુ કરતા પહેલાં કામને તમારા કર્મચારીઓ વચ્ચે વહેચી નાંખો.

    ૭. તમારા તમામ કર્મચારીઓને ધંધાને લગતી તમામ તાલીમ આપો.

    ૮. બદલાતી પરિસ્થિતિમાં ધંધાના આયોજનમાં ફેરફાર કરો.

    ૯. તમારું પ્રોડક્શન ક્યારેય પણ અટકવું જોઈએ નહિ.

    ૧૦. તમારા કર્મચારી ઉપર અંકુશ રહે તેવી વ્યવસ્થા કરો.

    ૧૧. તમારા કર્મચારીને જવાબદારી અંગે યોગ્ય સમયે સજાગ કરાવો.

    ૧૨. તમે ગ્રાહક ઉપર વિજયી બનશો તેનું હંમેશા સ્મરણ કર્યા કરો.

    તમારા ધંધાની વ્યવસ્થા યોગ્ય રીતે થઇ હોય તો આયોજનનો અસરકારક રીતે અમલ થશે અને પ્રવૃત્તિ સમયસર થઇ શકશે. આ સિવાય તમે જે ધ્યેય હાંસલ કરવાના હોય તે તમારી મરજી મુજબ થશે. તમારી પાસે સમય અને શક્તિ મર્યાદિત પ્રમાણમાં છે માટે ધંધાના વિકાસ માટે તમારા અમુક કામો તમારે બીજા લોકોને સોંપવા પડશે. આમ કરવાથી તમારા કાર્યની જવાબદારી અન્યને સોંપવાથી તમારા કામને વેગ મળે છે અને તમે તમારા વિકાસના કાર્યમાં પુરતું ધ્યાન આપી શકો છો. ધંધામાં કર્મચારી તમારી યોજના તમારા ધાર્યા મુજબ પાર પાડે અને તમને આવકમાં વધારો થાય તે મહત્વનું છે.

    તમારા કુશળ ડાયરેકશનથી તમારા કર્મચારીઓ તમારા ધંધાને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાનું ધ્યેય સિદ્ધ કરે તો તમારી સફળતા નિશ્ચિત બની રહે છે. ધંધાના ડાયરેકશનમાં આંતરસૂઝ મહત્વની છે. તમારા અનુભવ કે જ્ઞાનના આધારે કેવો નિર્ણય લેવાય તો તમને વધુ લાભ મળી શકે તેનું ચિંતન તમારે કરવાનું હોય છે. આમ કરતાં તમને યોગ્ય સમયમાં જ કયો નિર્ણય લેવો તેનો ખ્યાલ આવી શકે છે. તમે લીધેલા નિર્ણયનો અમલ તમારે તમારા કર્મચારીઓના સાથ-સહકારથી મેળવવાનો હોય છે.

    અમેરિકાના મહાન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકને સિવિલ વોરના કટોકટીના સમયમાં પોતાના મિત્રને વોશીન્ગ્ટન બોલાવ્યા. લિંકનનો મિત્ર તેમને મળવા વોશીન્ગ્ટન આવ્યો ત્યારે લિંકનને ગુલામોને સ્વતંત્ર શહેરી બનાવવાનું જાહેરનામું બહાર પાડવાનું ઈચ્છવા યોગ્ય છે કે નહિ તે વિશે ઘણાં સમય સુધી વાતો કરી. આ માટે ગુલામોની તરફેણમાં અને વિરુદ્ધમાં દલીલો કરી. અ અંગે અન્ય વિચારો રજુ કર્યા. વાતચીત પૂરી થયા બાદ મિત્રને રવાના કર્યો પરંતુ પોતાના મિત્રનો અભિપ્રાય લીધો નહિ. ફક્ત પોતે જ બોલવાનું ચાલુ રાખ્યું અને વિચારોમાં ડૂબી ગયેલા. હકીકતમાં અબ્રાહમ લિંકન પોતે સારો અને સાચો નિર્ણય લેવાના મૂડમાં વિચારશીલ હતા અને સ્વયં સાથે ચર્ચા કરી નિર્ણય લેવા માંગતા હતા. આમ તમે તમારા ધંધા માટે નિર્ણય લેવા પોતાની સાથે વાતચીત કરી શકો છો અથવા તમને યોગ્ય લાગે તેવા વ્યક્તિ સાથે ચર્ચા કરી શકો છો. યોગ્ય સમયમર્યાદામાં લીધેલા નિર્ણયનું ધાર્યું પરિણામ આવી શકે છે.

    ***

    8 - કામ કરાવતાં પહેલાં કામ કરતાં શીખો

    વિશ્વવિખ્યાત મોબાઈલ, આઈમેક, આઈપેડ કંપની એપલ કંપનીના વર્તમાન સીઈઓ ટીમ કૂકનું ઉદાહરણ લઈએ તો, તેઓને પોતાના કર્મચારીઓ પાસેથી શું અપેક્ષા છે તેનાથી ખૂબ જ સારી રીતે વાકેફ રહે છે. કર્મચારીઓ પાસેથી કામ લેતાં પહેલાં તે પોતે પહેલું કામ એ કરે છે કે ક્યા કર્મચારી પાસેથી ક્યું કામ લઈ શકાય? ટીમની વર્કિંગ સ્ટાઈલ વખાણવા જેવી છે. તેઓ રોજ સવારે ૪:૩૦ વાગ્યે ઊઠી જાય છે અને લાગતા વળગતા લોકોને ઇ-મેઇલ મોકલી દેવાનું શરૂ કરી દે છે. આગામી અઠવાડિયામાં શું કાર્ય કરવાનું છે તેની તૈયારી રવિવારની રાત્રે જ કરી નાંખે છે અને તેમના પ્લાનિંગની જાણકારી તેઓ કર્મચારીઓને આપી દે છે. ક્રૂકે હાલમાં જ કરેલા એક સંબોધનમાં જણાવ્યું હતું કે, પીપલ સ્ટ્રેટેજી અને એક્ઝિક્યુશનનો વ્યવસ્થિત સમન્વય થાય ત્યારે દુનિયાની કોઈ પણ પ્રોડક્ટનું સરળતાથી અને સફળતાથી નિર્માણ થઈ શકે છે. ટીમની વાત સો ટકા સાચી છે. કોઈ પણ લીડરે કે મેનેજરે પોતાના કર્મચારીઓ પાસે કામ લેતાં પહેલાં ક્યું કામ કેવી રીતે કરવું છે તેની એક ચોક્કસ સ્ટ્રેટેજી પોતે બનાવી લેવી જરૂરી હોય છે.

    માણસો મૂડી છે

    મહાન શાસક અને વિચારક અબ્રાહમ લિંકન તેમની સાથે કાર્ય કરતી દરેક વ્યક્તિને પોતાની અણમોલ મૂડી જેવા માનતા હતા. એક વખત તેમના કાર્યસ્થળે એક કર્મચારી કોઈ કામની મુશ્કેલી સાથે તેમની પાસે આવ્યો. પોતાને સોંપવામાં આવેલા કાર્યથી તે થોડો ગૂંચવાયેલો હતો તેથી તે થોડો ખિન્ન હતો. લિંકને પહેલાં તો તેની મૂંઝવણ જાણી. તેના માટે પોતાની કેબિનમાં પાણી મંગાવ્યું. પછી લિંકને તેને મુશ્કલી પૂછી. પેલા કર્મચારીએ નિઃસંકોચ લિંકનને પોતાના કાર્યમાં આવતી અડચણ વિશે જણાવ્યું. બંને જણાએ લાંબા સમય સુધી વાતો કરી. જુદા પડવાનું થયું ત્યારે પેલો માણસ ખુશ થતો કેબિનની બહાર નીકળ્યો. એ જોઈને બીજા એક કર્મચારીએ લિંકનને કહ્યું, "એ માણસ તો ખિન્ન થઈને તમારી પાસે આવ્યો હતો. તમે શા માટે એને એટલું બધું મહત્ત્વ આપ્યું ને દરેક કામ ઝીણવટપૂર્વક સમજાવ્યું? લિંકને કહ્યું, કર્મચારી સાથે કર્મચારીની જેમ જ વર્તવું જોઈએ. તેનાથી ફાયદો એ થયો છે કે મેં આજે બે માણસોની મૂડી ભેગી કરી છે. તમે પણ અહીં કર્મચારી છો. મારા આ વર્તનથી તમને પણ શીખવા મળ્યુંને કે કર્મચારી મૂડી સમાન હોય છે અને મૂડીને જાળવી સાચવીને જ વાપરવી જોઈએ." માણસોની મૂડી ઊભી કરવાની લિંકનની આ પદ્ધતિ સૌથી સારી છે તેથી કોઈ પણ કંપનીના ઉચ્ચ પદે બિરાજમાન મેનેજરે પોતાના કર્મચારીઓ માટે આ પદ્ધતિ અપનાવવા જેવી છે.

    કર્મચારી જેવો છે તેવો તેને સ્વીકારો

    કોઈ પણ કંપનીનો મેનેજર ગમે તેટલી મહેનત કરે તો તોપણ બીજાને તે પોતાના જેવો નહીં બનાવી શકે. મેનેજરે એવા મિથ્યા પ્રયત્ન કરવાનું છોડી દેવું જોઈએ. કર્મચારી જેવા હોય એવા સ્વીકારવામાં જ કંપનીનું હિત હોય છે. એટલું જ નહીં, એમ વર્તવાથી જ આપણે જીવનમાં સાચી સફળતા તરફ ગતિ કરી શકીએ છીએ. અને કર્મચારીને સમજીને તેનામાં જરૂરી ફેરફાર કેવી રીતે લાવી શકાય તે અંગેની સ્ટ્રેટેજી બનાવી શકીએ છીએ. વળી, દરેક વખતે આપણી પદ્ધતિ જ અસરકારક ન પણ હોય તેવા સમયે એનાથી ઊલટું કોઈ કર્મચારીની પદ્ધતિ વધુ યોગ્ય હોય તો ત્યારે સમય વર્તી સાવધાનની જેમ વર્તવાથી આપણી શક્તિઓ વેડફાતી અટકે છે અને સરવાળે આપણને, કંપનીને અને કર્મચારીને ફાયદો થાય છે.

    નિષ્ફળતાને સફળતામાં ફેરવો

    ચોથી જુલાઈ, 1952નો દિવસ હતો. ફ્લોરેન્સ ચેડવિક કેટેલિના ચેનલ પાર કરીને બીજે પાર પહોંચનારી પ્રથમ મહિલા બનનારી હતી. આખી દુનિયા ચેડવિક પર નજર રાખીને બેઠી હતી. ચેડવિક આ અગાઉ ઇંગ્લિશ ચેનલ પાર કરી ચૂકી હતી. આજે તેના માટે બહુ મોટો દિવસ હતો, પણ એ સ્થિતિ કપરી પણ એટલી જ હતી. ઘટ્ટ ધુમ્મસ, ગાત્રો થિજવી નાંખે એવી ઠંડી તથા શાર્ક માછલીઓનો સામનો પણ તેણે કરવો પડ્યો. એ કિનારે પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ જ્યારે એણે પોતાના ચશ્મામાંથી બહાર જોયું ત્યારે તેને ધુમ્મસ વધતું દેખાયું. તેનાથી કિનારો જોઈ શકાતો નહોતો. આકરા પ્રયત્નો છતાં તે કિનારે ન પહોંચી અને હાર સ્વીકારીને પાછી આવી ગઈ. ચેડવિકને સૌથી મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે તેને ખબર પડી કે, તે જ્યાંથી પાછી વળી છે તેનાથી કિનારો માત્ર અડધો માઇલ જેટલો જ દૂર હતો. એડવિકે એ પછી આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે, તે સમયે મેં હાર સ્વીકારી તેનું કારણ એ હતું કે, મને પાણીમાં કુદ્યા પછી હંમેશાં મારું લક્ષ્ય એટલે કે કિનારો દેખાતો હોય છે. કેટેલિના ચેનલ પાર કરતી વખતે મને મારું લક્ષ્ય હોત તો હું ચોક્કસ તે સમયે સફળ રહી હોત.

    બે મહિના પછી ચેડવિકે કેટેલિના ચેનલ પાર કરવાનો ફરી પ્રયત્ન કર્યો અને તેણે એ ચેનલ પાર કરી લીધી. આ વખતે પણ હવામાન પ્રતિકૂળ હતું, પણ ચેડવિકે નજર માત્ર લક્ષ્ય તરફ રાખી હતી અને તેને પોતાની નિષ્ફતાને સફળતામાં ફેરવવી હતી.

    વ્યાવસાયિકોના જીવનમાં પણ ક્યારેક એવું બને કે હાથમાં લીધેલા કાર્યમાં તેને નિષ્ફળતા મળે ત્યારે તેણે સૌથી પહેલાં એ કાર્યની નિષ્ફળતા માટેના કારણો ક્યાં છે તે શોધવું જોઈએ. પછી કાર્યને ફરીથી કરવાની યોગ્ય સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. મેનેજર માટે આ માટે થોડી વધુ જવાબદારી હોય છે કારણ કે એક વખતની નિષ્ફળતા પછી તેણે કંપનીની નામના અને પોતાની કાબેલિયત સાબિત કરવાની હોય છે. આ સમયમાં તેણે પોતાનાથી તેમજ તેના કર્મચારીથી કોઈ ક્ષતિ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું રહે છે.

    ***

    9 - ઓફીસના સ્ટ્રેસને દૂર કરવાના ઉપાયો

    ઓફિસના કામમાં થાક લાગે છે? તમે એક જ એવા નથી જેને કામનો થાક લાગે છે. ઓફિસમાં કામ કરતા મોટાભાગના લોકોને થાક લાગતો હોય છે તેમજ તેના લીધે તેમના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થતી હોય છે. સ્ટ્રેસથી માથામાં દુખાવો, ગેસ્ટિક પ્રોબ્લેમ, હાર્ટએટેક, સ્ટ્રોક્સ, ડિપ્રેશન જેવા અનેક રોગો થતા હોય છે. સ્ટ્રેસના લીધે તમને તમારા કામ પ્રત્યે પણ આત્મસંતુષ્ટિના બદલે અફસોસ થતો હોય છે. વર્કસ્ટ્રેસ તો ક્યારેય નહીં જાય, પરંતુ તેને કેવી રીતે મેનેજ કરવો એ આપણા હાથમાં છે, તો જાણીએ વર્કસ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરવો...

    વર્કસ્ટ્રેસને ઓળખો

    સ્ટ્રેસ મેનેજ કરતા પહેલાં સ્ટ્રેસ કઈ બાબતે અથવા કામથી આવે છે તેની તપાસ કરો. એક વખત સ્ટ્રેસ ઓળખી ગયા તેને આરામથી મેનેજ પણ કરી શકો છો. ઓવરઇટિંગ અથવા સ્મોકિંગ જેવી આદતોનો પણ ઇલાજ કરી શકો છો. તમારા બોસ કે કોઈ ઉચ્ચ અધિકારીને તમારા સ્ટ્રેસ વિશે જણાવવાનું ક્યારેય ન ભૂલવું.

    બ્રેક લો

    આજના ઝડપી સમયમાં લોકો આખો દિવસ પોતાના ડેસ્ક ઉપર જ વિતાવતાં હોય છે. લંચ સમયમાં કામ કરવાથી કામનો સ્ટ્રેસ વધતો જાય છે. કામના સ્ટ્રેસથી દૂર રહેવા અને બચવા માટે તમારે કામમાંથી થોડા સમયનો બ્રેક લેવો જોઈએ. કામમાંથી નાનો બ્રેક તમને તમારા વર્કસ્ટ્રેસથી બહાર નીકળવામાં મદદ કરે છે.

    ઓફિસની બહાર ધ્યાન રાખો

    ઓફિસ બહારની તમારી જિંદગી તમારા ઓફિસ સ્ટ્રેસથી પ્રભાવિત ન હોય તેનું ખાસ ધ્યાન રાખો. સ્ટ્રેસથી બહાર નીકળવા સરખી ઊંઘ, ઘરની એક્ટિવિટી તેમજ મિત્રો સાથે વાતચીત ઓફિસ સ્ટ્રેસથી બહાર નીકળવામાં મદદરૂપ થશે. સવારે કસરત અને યોગા તમારા સ્ટ્રેસને ઓછો કરી શકે છે.

    ગમતાં કામ કરો

    ઘણી વખત કામના લીધે તમારી ગમતી પ્રક્રિયાઓથી દૂર થઈ જતા હોવ છો અને તેના માટે સમય નથી મળતો. વર્કસ્ટ્રેસ દૂર કરવા માટે ગમતી વસ્તુઓ કરો. જો તમને મ્યુઝિક પસંદ હોય તો ઓફિસથી ઘરે આવ્યા બાદ મ્યુઝિક સાંભળો અથવા તમારા પરિવાર સાથે બેસી જૂની યાદો તાજા કરો. તેનાથી પણ તમારો વર્કસ્ટ્રેસ દૂર થઈ જશે.

    કામનો ગુસ્સો બીજા પર ન ઉતારો

    મોટાભાગે લોકો તેમના કામનો સ્ટ્રેસ ઘરમાં કાઢતા હોય છે, જે ખોટું છે. તમને વર્કસ્ટ્રેસ હોય તો તેનો અર્થ એવો નથી કે તમે તેનો ગુસ્સો બીજા લોકો પર ઉતારો. ઓફિસનો સ્ટ્રેસ ક્યારેય પણ ઘરે લઈને ન આવવું. તમે તમારા વર્કસ્ટ્રેસને ઘરે લઈને આવશો તો તેનાથી તમારા આજુબાજુમાં રહેતા લોકો પર તો તેની અસર પડશે, પરંતુ તમારા સ્વાસ્થ્યમાં પણ તેની આડઅસર થવાની, માટે વર્કસ્ટ્રેસનો ગુસ્સો અન્ય લોકો પર ન ઉતારો.

    ***

    10 - ભૂલોની હારમાળા થતી અટકાવો

    આપણામાં એક કહેવત છે કે, કામમાં ભૂલ કરે તે જ વ્યક્તિ સાચું શીખે છે. પરંતુ ઘણી વખત કોર્પોરેટ કંપનીમાં ભૂલનું પરિણામ કંપનીને અને કર્મચારીને ખુબ જ મોટું નુકશાન પહોંચાડી શકે છે. આપણે ભૂલને બને ત્યાં સુધી થતી અટકાવીએ છીએ પરંતુ તેમાંથી મોટેભાગે બોધપાઠ લેતા હોતા નથી. બોધપાઠ લેવાથી ભૂલનું પરિવર્તન લગભગ નહીવત થઇ જાય છે. ઘણી વખત આપણે ભૂલ કરીને લોકોને એવું કહેતા હોઈએ છીએ કે, જો મેં કોઈને જાણતાં-અજાણતાં દુઃખ પહોચાડ્યું હોય તો માફ કરશો પરંતુ આવું બધું કહીને ખરેખર તો તમે તે વ્યક્તિને તમને દિલાસો આપવા માટે આજીજી કરો છો. તમે ભૂલનો સ્વીકાર કરતાં હોતા નથી.

    યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો: તમે કામમાં જે ભૂલ કરી છે તે બાબત અંગે સ્પષ્ટ રીતે તમારા બોસને જણાવી દેવું જોઈએ. મોટેભાગે આપણે એમ જ કહીએ છીએ કે, આ કારણસર ભૂલ થઇ હતી કે બીજા વિભાગમાંથી માહિતી મળવામાં મોડું થયું હતું. પરંતુ આ બાબતને તમારા બોસ કે કંપની સાથે કોઈ જ નિસ્બત હોતો નથી. તેમના માટે તો કામ પૂર્ણ થાય તે જ મહત્વનું હોય છે. વારંવાર આ પ્રકારના કારણો આપવાથી તમને થયેલી ભૂલ વિષે માહિતી મળી શકશે નહિ.

    ચેકલીસ્ટ બનાવવું: જો તમે વારંવાર ભૂલો કરતાં હોય તો તેવી ભૂલોનું એક ચેકલીસ્ટ બનાવવું જોઈએ. આ ચેકલીસ્ટમાં ક્યાં પ્રકારનાં કામમાં કેવી ભૂલો થાય છે અને શા માટે થાય છે તે બાબત અંગે ઉલ્લેખ ખાસ કરવો જોઈએ. આવા ચેકલીસ્ટ બનાવતી સમયે તમારી નબળાઈને પોતાની નજર સમક્ષ રાખવી જોઈએ. મોટેભાગે લોકો ભૂલનું નિરીક્ષણ કરતી વખતે નબળાઈઓને જોતા હોતા નથી અને તે વખતે જ તેમને પરિણામ ભોગવવું પડતું હોય છે.

    આત્મકથા વાંચવી: જે વ્યક્તિને પુસ્તક વાંચવાનો શોખ હોય તેમણે સ્પોર્ટ્સ, ફિલ્મ કલાકારો, રાજકીય નેતાઓ, બીઝનેસ ટાયકુન જેવા લીડરોની આત્મકથા વાંચવી જોઈએ. આ પ્રકારના પુસ્તકોમાં તેમના દ્વારા થયેલી ભૂલોને તેમણે કેવી રીતે પોતાના જીવનમાં હકારાત્મક દ્રષ્ટિકોણથી સુધારી છે તેના વિવિધ ઉદાહરણો આપેલા હોય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બેરેક ઓબામાંએ જયારે ચુંટણી જીત્યાના પહેલા દિવસે રાષ્ટ્રને ભાષણ આપ્યું ત્યારે તેમણે ખાસ કહેલું કે મહાત્મા ગાંધીજીની આત્મકથાએ મારા જીવનમાં ઘણું પરિવર્તન કર્યું છે. ઈન્ફોસીસ કંપનીમાં આ પ્રકારના પુસ્તકોનું વાંચન તેમના કર્મચારીઓ દ્વારા વધે તે માટે એક ખાસ પ્રકારની લાઈબ્રેરી બનાવવામાં આવી છે જેને આત્મસંશોધન નામ આપ્યું છે.

    મેન્ટરશીપની તાલીમ લેવી: જો તમે તમારી ભૂલને વિગતવાર સમજી ન શકો તો તમે તમારા મિત્ર અથવા ઉપરી અધિકારીની મદદ લઇ શકો છો. આ પદ્ધતિને મેન્ટરશીપ કહેવાય છે. મેન્ટરશીપની તાલીમ દરમ્યાન તમે કોર્પોરેટ અને જીવનના અવનવાં પાસાઓ શીખી શકો છો જે મોટેભાગે અનુભવ આધારિત હોય છે. એક વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ કે આ પદ્ધતિમાં ક્યારેય પણ એકબીજા ઉપર દોષારોપણ કરવા જોઈએ નહિ. અમેરિકા જેવા દેશમાં આ પ્રકારની તાલીમ આપવા માટે પ્રાઇવેટ કંપનીઓની બોલબાલા છે.

    ***