Aakhari daav - 3 books and stories free download online pdf in Gujarati

આખરી દાવ

આખરી દાવ

(3)

  • સવાર પડવાની સાથે દોલત મેહલ રાડા રાડ અને બુમો થી ધ્રુજી ઉઠ્યો, બન્યું એવું કે સવારે વિજુ એ બારણું ખોલવા માટે જય ને બુમો પાડી પણ કોઈ પ્રત્યુત્તર ના આવ્યો, વિજુ મનોમન ખુશ હતો કેમકે આનો અર્થ એવો કે એમનો પ્લાન સફળ થયો છે. આના પેહલા રાતે શું બન્યું એ આપને જણાવી દઉં. જય રાતે દારૂ ની મિજબાની નો આનંદ લઇ ૧૨ વાગ્યા આજુબાજુ ઘરે આવ્યો, એની ગાડી નો અવાજ સાંભળી વિજુ ને સમજાઈ ગયું કે જય આવી ગયો છે એટલે એ સતેજ થઈ ગયું. જો કોબ્રા ના કરડે તો પ્લાન-B રેડી રાખવાનો હતો પણ જય નું કાસળ આજ રાતે કાઢી નાખવાનું હતું.
  • જય લથડતા પગે ગાડી માંથી ઉતર્યો ને પોતાના રૂમ તરફ આગળ વધ્યો, વિજુ એ દોલતસિંહ બાપુ ના દૂધ માં ઘેન ની ગોળીઓ નાખી રાખી હતી જેથી એમના તરફ થી કોઈ ચિંતા ના રહે. જય એ પોતાનો રૂમ ખોલી ટ્યુબલાઈટ ચાલુ કરવા પ્રયત્ન કર્યો પણ એમાં મેળ ના પડ્યો. કેમકે વિજુ એ ચાલુ ની જગ્યા એ બંધ ટ્યુબલાઈટ ભરાવી દીધી હતી. આખરે જય પોતાના પલંગ તરફ આગળ વધ્યો. પલંગ તરફ જતા એના પગ માં એક સાપ આવી ગયો અને ચમકીને જય નીચે પડી ગયો. આમ તો એ નીચે ના પડ્યો હોત તો બચી જાત કેમકે એને પગ માં કાવબોય શૂઝ પહેર્યા હતા જેથી સાપ એના પગમાં કરડ્યો હોત તો એને કોઈ અસર ના થાત, પણ વિધાતા ને કાંઈક અલગ જ મંજુર હતું. નીચે પડતાની સાથે જય ના ડાબા હાથ પર સાપ એ જોરદાર ડંખ દીધો, એ પીડા નો માર્યો ચીલાયો પણ ખરો પણ વિજુ સિવાય એનો અવાજ સાંભળવા વાળું કોઈ હાજર નહોતું. જય ઉભો થઇ ને પલંગ તરફ ગયો પણ દારૂ ના લીધે એ લથડાયો અને ફરીથી નીચે પડી ગયો. આ સમયે એ બીજા સાપ પર પડ્યો અને ભયના લીધે એ સાપ એ જય ની જાંઘ પર ડંખ માર્યો.
  • ઉપરા ઉપરી ૨ સાપ કરડવાથી એના હોંશ ઉડી ગયા અને એને આંખે અંધારા આવી ગયા. એના મોમાં થી ફીણ નીકળવા લાગ્યું અને એ પલંગ પર ઊંધા ચિત્તે પછડાયો. વિજુ આ બધું જયના રૂમ ની બારી માંથી જોતો હતો. વિજુ એ એના રૂમ ની બારી હાથે કરી ખુલ્લી રાખી હતી. જય ના મર્યા પછી વિજુ પોતાના રૂમ માં ગયો અને એક ડોલ લેતો આવ્યો. એ ડોલ માં 10-15 મરેલા ઉંદર હતા. જે કોઈ કેમિકલ થી તરબોળ હતા. વિજુ એ બારી માંથી એક પછી એક ઉંદર જય ના રૂમ માં નાખવાનું ચાલુ કર્યું. સાપ ૧૦-૧૨ દિવસ ના ભૂખ્યા હતા. બધા ઉંદર ની ગંધ થી આકર્ષિત થયા અને ઉંદરો નો આહાર કરવા ઝાપટયા.
  • વીજુ એ બારી માંથી લાઈટ મારી ચેક કર્યું તો જય પોતાના પલંગ માં પેટના બળે પડ્યો હતો, એના શરીર માં કોઈ હલનચલન નહોતી, મોમાં થી ફીણ નીકળી ગયું હતું, ચેહરા પર પારાવાર પીડા ના ભાવ હતા. આ જોઈ વિજુ ને દિલ માં ઊંડી રાહત ની લાગણી થઈ. વિજુ એ જોયું તો ઉંદર પર ના ઝેરી કેમિકલ ના લીધે બધા સાપ લગભગ મૃતપાય બની ગયા હતા. વિજુ એ બારી માંથી એક લાંબી લાકડી વડે એક સાપ સિવાય બધા સાપ ને બહાર કાઢ્યા, અને બગીચા માં દાટી દીધા. આટલું પતાવી એ બારી માંથી અંદર પ્રવેશ્યો અને પેલા મરેલા સાપ ને બારણાં ની નજીક લાવી ને નાખ્યો. પછી એક ભીના કપડાં વડે ઉંદર ના લીધે પડેલા કેમિકલ ના ડાઘ દૂર કર્યા અને બંધ ટ્યુબલાઈટ બદલી ને ચાલુ ટ્યુબલાઈટ ભરાવી દીધી. પછી બારીમાં થી સાચવીને કૂદીને બહાર આવી ગયો. ત્યારબાદ વિજુ એ પોતાના રૂમ માં જઇ પાછો પેલા નંબર પર ફોન લગાવી કીધું "બધું કામ ફિનિશ થઈ ગયું. આપનો પ્લાન પૂરો. હવે આખરી દાવ રમી લો એટલે આ વાર્તા ને એનો અંજામ મળે. "
  • આટલું કહી વિજુ સુઈ ગયો, આજે એના મન માં શાંતિ હતી, એના હૈયા માં ટાઢક હતી. પણ અહીં આટલી બધી નિષ્ઠા અને પ્રામાણિકતા થી આ પરિવાર ની સેવા કરતો માણસ આ પરિવાર ના અંત નું કારણ કેમ બન્યો? એ આ ભાગ માં આગળ જાણીશું.
  • સવાર પડતા જયએ બારણું ના ખોલતા વિજુએ બુમાબમ કરી, ચોકીદાર ને બોલાવી બારણું તોડવા કહ્યું. ઘેન ની ગોળી ની અસર ઓછી થવાથી બાપુ પણ જાગી ગયા હતા અને શું થાય છે એ જોવા બહાર જય ના રૂમ આગળ આવ્યા. વિજુ એ કીધું જય ભાઈ બારણું ખોલતા નથી, હું ક્યારનોય બુમો પાડું છું. બાપુ એ પણ કંઈક અજુગતું બન્યું હશે એમ માની બારણું તોડવાનો આદેશ આપ્યો. વિજુ એ અને ચોકીદારે બારણું તોડી નાખ્યું. અંદર પ્રવેશતા જ વિજુ એ સાપ સાપ એવી બુમો પાડી બધા ને દૂર રહેવા કીધું અને પોતે બારણાં ની પાછળ પડેલા ડંડા વડે સાપ પર ઘા કરવા લાગ્યો અને સાપ ને લોહીલુહાણ કરી દીધો. આમતો સાપ મૃત જ હતો પણ આતો એના પ્લાન નો એક ભાગ હતો. ત્યારબાદ એને સાપ ને ડંડા થી ઉઠાવી બહાર ફેંક્યો.
  • આ સાથે જ બાપુ દોડી ને જય જોડે ગયા અને જય ના મોઢા માં થી સફેદ ફીણ આવી ગયું હતુ, એનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. બાપુ એ "જય ઉભો થા", ની બુમો પાડી એને ઉઠાડવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. એમને ધ્રાસકો પડ્યો. વિજુ ને ડૉક્ટર ને બોલાવવાનું કહી એમને ટેબલ પર પડેલું પાણી જય પર છાંટયું. પણ કઇ ફરક નહોતો પાડવાનો કેમકે જય નું પ્રાણ પંખેરુ તો ક્યારનુંય ઉડી ગયું હતું. વિજુ એ તાબડતોડ ડોક્ટર શુકલા ને ફોન કર્યો અને દોલતમેહલ આવવા જણાવ્યું.
  • બાપુ તો આઘાત માં સરી પડયા હતા ને "જય જય, બેટા આંખો ખોલ" નો ધીમો ધીમો અવાજ કાઢી રહ્યા હતા.
  • ડૉક્ટર શુકલા એમના સ્ટાફ ના ૨ માણસો ને લઇ તાત્કાલિક દોલતમેહલ આવી ગયા. વિજુ ના કહેવાથી એ એમ્બ્યુલન્સ પણ સાથે લેતાં આવ્યા હતા. જય ને જોતાં જ એ સમજી ગયા કે જય ને કોઈ અતિભારે ઝેરી સાપ કરડી ગયો છે. એમને જય ના ધબકારા ચેક કર્યા એના હાથ ની નાડી તપાસી જોઈ.
  • બાપુ તો "મારા જય ને ગમે તે કરી બચાવી લેજો એ વાત નું રટણ કરી રહયા હતા"ડૉક્ટર શુક્લા એ પણ ઝેર ના એન્ટીડોસ પણ આપ્યા. પણ એમને ખબર હતી કે જય મૃત્યુ પામ્યો છે. પણ બાપુ ના મનની રાહત માટે બનતા બધા પ્રયત્ન કરવા જરૂરી હતા.
  • "શું થયું છે મારા જય ને, એ આંખો કેમ નથી ખોલતો? આટલું બોલતા બોલતા તો બાપુ રડી પડ્યા.
  • ડૉક્ટર શુકલા એ બાપુ ના ખભે હાથ મુક્યો અને કીધું દોલત, આપના હાથ માં કાંઈ નથી બધી કુદરત ની રચેલી માયાજાળ છે. મેં શક્ય એટલા બધા પ્રયત્ન કરી જોયા પણ આખા શરીર માં ઝેર ફેલાઈ ગયું છે. એના લીધે જય ના દિલ અને બધી ચેતાતંતુ અંદર થી ડેમેજ થઈ ગઈ છે. સાચું કહું તો મારા આવ્યા પેહલા જ જય મૃત્યુ પામ્યો હતો અને એના શરીર પર થી તો એવું લાગે કે રાતે જ એ અવસાન પામ્યો હશે. સોરી મિત્ર મારે તને આ ખબર આપવા પડ્યા. તું વીર ને ખોવાનું દુઃખ પરાણે ભુલાવી બેઠો હતો અને આ ૨ દિવસ પહેલા લગ્નગ્રંથી થી જોડાયેલા જય ને તારા થી દૂર કરી વિધાતા તારા જોડે ક્રૂર મજાક કરી રહ્યો છે" આટલું બોલતા તો ડૉક્ટર શુક્લા પણ ગળગળા થઈ ગયા. આખરે દોલતસિંહ બાપુ એમના ખાસ મિત્ર હતાં.
  • બાપુ માટે તો આ ખબર વજરઘાત સમાન હતી. એતો પોતાની જગ્યા એ જ લથડી પડ્યા અને બેભાન થઈ ગયા. પોતાના બીજા દીકરા ને આ રીતે ગુમાવવાનું દુઃખ એમના માટે અસહ્ય હતું. તાત્કાલિક ડૉક્ટર એ વિજુ ને બાપુ ને એમના રૂમ માં લઇ જવા સૂચન કર્યું. ડોક્ટર શુક્લા ને ખબર હતી કે દોલતસિંહ લો બ્લડ પ્રેસર ના દર્દી છે માટે બાપુ ને ૧ ઈન્જેકશન આપ્યું અને વિજુ ને જય ની પત્ની ને જાણ કરવા માટે કીધું.
  • વિજુ એ પૂજા ના ખચકાતા હૈયે ફોન કર્યો અને તાત્કાલિક શાંતી નગર આવવા માટે જણાવ્યું. વિજુ એ ડૉક્ટર સાહેબ ના કહ્યા પ્રમાણે જ પૂજા જોડે વાત કરી એને પૂજા ને એવું કીધું કે જયભાઈ ને તબિયત ખરાબ છે માટે તમે જેમ બને એમ સત્વરે અહીં આવી જાઓ. પૂજા જોડે વિજુ ની ફોન પર વાત થયા બાદ ડોક્ટરે ઇન્સ્પેક્ટર સુરજ ને આ મામલા ની જાણ કરવાનું ઉચિત સમજ્યું અને એને પણ ફોન કરી સમગ્ર હકીકત જણાવી. .
  • ફોન કર્યા ની ગણતરી ની મિનિટો માં તો ઇન્સ્પેક્ટર સુરજ મારતી ગાડી એ દોલત મેહલ આવી પહોંચ્યો. ડૉક્ટર શુક્લા અને વિજુ એ એને સમગ્ર માહિતી થી અવગત કર્યો. એમાપણ વિજુ એ રૂમ માંથી કોબ્રા નીકળ્યો અને એને કઇ રીતે માર્યો એ વાત જણાવી. આ બધા પર થી સુરજ માની ગયો કે આ એક કુદરતી મોત છે. સાપ નું ઝેર શરીર માં ફેલાઈ જવાથી જય મૃત્યુ પામ્યો છે. સુરજ એ બધી વિગત લખી અને ત્યાંથી વિદાય થયો.
  • બપોર થવા આવી હતી. ડોક્ટર શુકલા એ બીજો સ્ટાફ મોકલી દીધો હતો અને એ પોતે બાપુ ની પથારી આગળ બેઠા હતા. ગામ માંથી ઘણા લોકો પણ આ વાત જાણ્યા પછી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બધા એ વિજુ સાથે મળી ડેડબોડી ને વ્યવસ્થિત રીતે ગોઠવી અને અંતિમયાત્રા ની સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરી લીધી. બસ રાહ જોવાતી હતી તો પૂજા ની.
  • બિચારી છોકરી જેના હાથ માં મેંહદી પણ નહોતી સુકાઈ, ઘર ગૃહસ્થી માં હજુ પગ પણ મુક્યો નહોતો અને એને આ કેવી વિકટ પરિસ્થિતિ નો સામનો કરવો પડી રહ્યો હતો. વીર ની મોત ને ભૂલી હજુ એ જીવન માં નવી આશા સાથે લગ્નગ્રંથી થી જોડાઈ જ હતી અને ૨ દિવસમાંજ કુદરતે એના સપનાઓ ને જોરદાર લપડાક મારી હતી. બધા ને એજ ચિંતા હતી કે પૂજા આવશે ત્યારે શુ થશે? કોણ એને સંભાળશે?
  • બાપુ વચ્ચે વચ્ચે ભાન માં આવતા અને" મારો જય મારો જય, મારી વહુ પૂજા ને બોલાવો" આજ રટણ કરતા અને પાછા બેભાન થઈ જતા. એમને જોરદાર માનસિક આઘાત લાગ્યો હતો એ એમની સ્થિતિ પર થી જ સમજાતું હતું. આ બધા વચ્ચે જો કોઈ માણસ મનોમન ખુશ હતો તો એ હતો વિજુ. કેટલી બારીકાઈ થી એક મર્ડર ને કુદરતી મોત બનાવી અને અત્યારે જે રીતે રડવાનું નાટક કરતો હતો એ સમજ થી બહાર હતું.
  • સુરજ માથા પર હતો, જે દોલતમેહલ માં ખુશીઓ ની શરણાઇ વાગતી એ અત્યારે શોકમય બની ગયો હતો. લોકો ની રોકકળ વાતાવરણ વધારે ગમગીન બનાવતી હતી. બસ પૂજા ક્યારે આવે એની રાહ જોવાઈ રહી હતી.
  • અચાનક એક કાર અંદર પ્રવેશી, કાર માં પૂજા હતી. એને કાર ને ઉભી કરી અને દોડતી અંદર આવી. જીવી પણ એના પાછળ પાછળ હતી. મુખ્ય હોલ માં પગ મુકતા ની સાથે એને જય ની લાશ જોઈ, લાશ જોઈ એ એકદમ શોક માં ચાલી ગઈ. જીવી એ ના પકડી હોત તો એ નીચે જ પડી ગઈ હોત. શુકલા સાહેબ ત્યાંજ હાજર હતાં. સમગ્ર પરિસ્થિતિ એમને સાંભળવાની હતી.
  • "જય મને મૂકી ને ક્યાં ચાલ્યા ગયા, આમ મજાક ના સારો ઉભા થાઓ, જુઓ હું આવી ગઈ. જય". તમારા વગર હું જીવી નહીં શકું, વિજુ જય ને બોલ ને ઉભા થાય. આટલું બોલતા બોલતા તો એ જય ની લાશ ને ભેટી આક્રંદ કરવા લાગી. એને રડતી જોઈ પથ્થર દિલ પણ પીગળી જાય એવો માહોલ હતો.
  • શુકલા એ એને રડવા દીધી, કેમકે એમને ખબર હતી એકવાર રડી લેશે તો મોટો આઘાત મન પર નહીં આવે અને હૃદયરોગ નો હુમલો નહીં થાય. પૂજા અડધો કલાક આમ ને આમ રડતી રહી. આખરે એ બેભાન થઈ ગઈ. જીવી એ અને બીજી ત્યાં ઉપસ્થિત ૩-૪ સ્ત્રીઓ એ એને ભાન માં લાવી અને પરાણે જય ની લાશ થી અળગી કરી.
  • "આ બધું કેવી રીતે બન્યું? મારા જય મને મુકીને કેમ ચાલ્યા ગયા? કોઈક તો કાંઈક જણાવો? " કોઈનામાં હિંમત નહોતી પૂજાને જવાબ આપવાની.
  • આખરે ડૉક્ટર શુકલા એ એક વડીલ તરીકે ની ફરજ નિભાવી પૂજાને સમગ્ર વાત જણાવી અને સાંત્વના આપી. પૂજા બસ રડે જતી હતી. બસ હવે આંસુ નહોતા આવતા.
  • ખૂબ જ ભારે હૈયે અને ગમગીન ચહેરે બધા એ જય ને અંતિમ વિદાય આપી. સૌને પૂજા માટે પારાવાર દુઃખ હતું. એની જિંદગી ફરીથી લૂંટાઈ ગઈ હતી. કોઈક ની નજર એની ખુશીઓ ને લાગી હતી.
  • જય ની મોત ને ૩ મહિના જેટલો સમય વીતી ગયો હતો. દોલતસિંહ બાપુ તો માનસિક આઘાત થી સંપૂર્ણપણે અંદરથી ભાંગી ગયા હતાં. પૂજા પણ હવે પોતાના રૂમ માં અને બગીચા ની દેખરેખ માં સમય પસાર કરતી. આખો મેહલ હવે ભેંકાર મારતો હતો. આટલી મોટી હવેલી એકદમ સ્મશાન જેવી શાંત થઈ ગઈ હતી.
  • ગામલોકો પણ હવે પંચાયત ના કામકાજ અર્થે બાપુ ને ઘરે મળવા આવતા, ઘણા એમને કહેતા કે કયા સુધી આમ ને આમ દિવસો પસાર કરશો? પહેલાં ના જેમ ગામ માં આવો તો તમારા મન ને શાંતિ મળે .
  • બાપુ ને ઘણીવાર એમ થતુ કે સરપંચ પદે થી રાજીનામુ આપી દે પણ કોઈ યોગ્ય માણસ મળતો નહોતો જે બધો કારભાર સુવ્યવસ્થિત રીતે સાચવી શકે. બાપુ ના એક મિત્ર કેશવલાલ એ બાપુ ને પૂજા ને સરપંચ બનાવવાનું સૂચન કર્યું. બાપુને એમનું સૂચન એકદમ યોગ્ય લાગ્યું. કેમકે એનાથી પુજા નું મન પણ કામ માં રચ્યુંપચ્યું રહેશે તો એના મન માં પણ રાહત રહેશે.
  • બાપુ એ પૂજા ને આ વિશે વાત કરી, શરૂવાત માં આનાકાની પછી પૂજા ને આ વાત ગમી ગઈ અને એને સરપંચ બનવાની તૈયારી બતાવી. આ સાથે જ બાપુ એ ગ્રામપંચાયત ની મિટિંગ બોલાવી પૂજાને સરપંચ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો અને પોતે રાજીનામુ આપી દીધું. બધા એમની આ વાત સાથે સહમત થયા અને શાંતિનગર ને મળ્યા પેહલા મહિલા સરપંચ પૂજા સિંહ રાજપૂત.
  • પૂજા પંચાયત માં જવા લાગી. બાપુ એ બધું ખેતી નું કામકાજ વિજુ ને આપી દીધું અને પોતે ચારધામ ની યાત્રા માટે જવાનું નક્કી કર્યું. આ પેહલા એમને વકીલ ને બોલાવી પોતાનું નવું વિલ બનાવ્યું જેમાં પોતાની સમગ્ર સંપત્તિ એમને પૂજા ના નામે કરી દીધી.
  • બાપુ ચાર ધામ ની યાત્રા પર નીકળી ગયા. લગભગ ૧ મહિના જેટલું ભારત ભ્રમણ કર્યું અને મન ને અને પોતાની જાત ને ભગવાન સાથે જોડી ને પાછા શાંતિ નગર આવ્યા. પણ શાંતિનગર એમના માટે નવું જ આશ્ચર્ય લઇ ને ઉભું હતું જેનો બાપુ ને સપને પણ ખ્યાલ નહોતો.
  • બાપુ જેવા પોતાના ઘરે પહોંચ્યા ત્યાં એક નવું જ દ્રશ્ય એમની રાહ જોઈ ઉભું હતું. ઘર ના મુખ્ય રૂમ ની દીવાલ પર ત્રિલોક નાથ અને શ્રીમતી ઇન્દુમતી ના ભવ્ય ફોટો જોઈને તો બાપુ ની આંખો પહોળી જ થઈ ગઈ. એમના પગ નીચેની જમીન જાણે સરકી ગઈ. એમને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો કે એમને આ દ્રસ્ય જોયું એ હકીકત છે કે સપનું? કોણ હતા આ બંને? બાપુ એમના ફોટો જોઈ કેમ આટલા વિચાર માં પડી ગયા? અને એમના ફોટો અહીં કોને લગાવ્યા હતા?
  • "પૂજા પૂજા, ક્યાં છે? બાપુ એ જાણે પૂજા ને બોલાવવા બુમરાણ મચાવી દીધું.
  • "શું છે? મને ઊંચો અવાજ પસંદ નથી, તો મારા ઘર માં અવાજ નીચો" પૂજા દાદરો ઉતરી ને નીચે આવતા આવતા બોલી. એના અવાજ માં એક રાજવી ઠાઠ હતો. એનો પોષક પણ અત્યારે સાવ બદલાઈ ગયો હતો. અત્યારે રેશમી ભરતકામ વાળી સાડી એના ભપકાને વધુ ઓપ આપી રહી હતી.
  • "શેનું તારું મકાન અને વહુરાણી તમે એ ભૂલી ગયા હું તમારો સસરો છું"હજુ આ મેહલ માં મારી હુકુમત ચાલે છે, અને આ દિવાલ પર આ બંને નીચ લોકો ના ફોટા કોને મુકાવ્યા"
  • "દોલતસિંહ નીચ એ નહીં તમે છો અને આ મેહલ અને બધી મિલકત પર મારો એકલી નો હક છે"એમ કહી એને વસિયત ના પેપર ની કોપી બાપુ ના મો પાર છુટ્ટી ફેંકી"
  • "વિજુ વિજુ, આ છોકરી ને અહીં થી ધક્કા મારી બહાર કાઢી મુક", બાપુ એ વિજુ ને અવાજ લગાવ્યો.
  • વિજુ આવ્યો ખરો પણ આવી ને પૂજા જોડે ઉભો થઇ ગયો. એની આંખો માં બાપુ ના આદેશ ની કોઈ અસર વર્તાતી નહોતી કે એના હાવભાવ પરથી લાગતું નહોતું કે આ એ વિજુ છે જે બાપુ ના ઈશારે નાચતો હતો. પૂજા ના જોડે ઉભા રહી એ વાત ની સાબિતી એને આપી કે એ પૂજા જોડે છે.
  • "બાપુ વિજુ અને જીવી ક્યારેય તમારા માણસ હતા જ નહીં. અને બીજી વાત એ કે હું એજ ત્રિલોકનાથ અને ઇન્દુમતી ની દીકરી છું, જેને તમે નીચ કહો છો. "આ શબ્દો બોલતા પૂજા નો ચેહરો ગુસ્સા થી લાલ થઈ ગયો હતો એની આંખો માં અંગારા વરસતા હતાં"
  • "પણ કઇ રીતે , તારા બાપ ને બેરહમી થી માર્યા પછી મેં તને અને તારી માને જીવતા સળગાવી દીધા હતા તો તું બચી કઈ રીતે ગઈ", બાપુ ના દરેક શબ્દ આશ્ચર્ય થી અને નવાઈ થી ભરેલા હતા.
  • "રામ રાખે એને કોણ ચાખે, તમે મને અને મારી માને જીવતા મારવાનો પ્રયાસ કર્યો પણ જ્યારે તમે અમને ઘર માં પુરી સળગાવવા ગયા ત્યારે મારી મા એ ઘર ના પાછળ ના બારણે થી મને અને પોતાની જાત ને સુરક્ષિત બહાર કાઢી દીધા હતા" પૂજા એ પોતાનો દરેક શબ્દ ભારપૂર્વક અને પુરા વિશ્વાસ થી કીધો કે એ સાંભળી દોલતસિંહને તો કપાળે પરસેવો છૂટી ગયો.
  • "પણ આ ગામ ના લોકો મારી સાથે છે, એ બધા ને તારા બાપ ના કરતૂતો ની ખબર છે. બધા જાણે છે કે એ કેટલો ચારિત્ર્યહીન અને લુચ્ચો માણસ હતો. "બાપુ એ પૂજા ને ધમકાવતા કીધું.
  • આટલું સભળતા તો પૂજા નું લોહી ઉકળી ગયું અને એને દોલતસિંહ ના ગાલ પર એક સણસણતો તમાચો મારી દીધો. પૂજાનું આ રૂપ જોઈ તો બાપુ સાવ હેબતાઈ ગયાં.
  • "આ શાંતિ નગર ની ભોળી પ્રજા ને તમે બહુ રંજાડી છે. ગામ ની સેવા ના ઘણા રૂપિયા તમે પોતાના અંગત ઉપયોગ માટે વાપર્યા છે. ગામલોકો ની જમીન તમારા નામે કરી દીધી છે. લોકો ની માં બેટી ની ઈજ્જત પણ તમે બક્ષી નથી. આ વિજુ એ વાત નો સાક્ષી છે કે તમે પોતાના માન મોભા માટે કઈ હદ સુધી જઇ શકો. તમારા છોકરા જય અને એના મિત્રોએ એની પત્ની જીવી ની ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો ત્યારે પામે સચ્ચાઈ નો પક્ષ લેવાની જગ્યાએ પૈસા અને ધાક ધમકી ના ડર પર આ ગરીબ ની મજબૂરી નો ફાયદો ઉઠાવ્યો, થું છે તમારા જેવા લોકોને", આમ કહી પૂજા એ બાપુ ના મો પર થૂંકયું.
  • "આ ગામ ના લોકો અત્યાર સુધી બેવકૂફ બન્યા પણ હવે નહીં, મારા પિતાજી ત્રિલોકનાથ તમારાં બધા કાળા કરતૂત વિશે લોકો ને જણાવવાના હતા એ વાત ની તમને જાણ થઈ અને તમે ષડયંત્ર રચી એમને મોત ને ઘાટ ઉતારી દીધા એના બધા સબુત મેં લોકો ને આપી દીધા છે. વિજુ પણ મારા પિતાજી ની બેગુનાહી નો જીવતો જાગતો સબુત છે. તમે પડાવેલી એમની જમીનો પણ એમને પાછી આપી દીધી"
  • બાપુ આ બધી વાત નિસહાય બની સાંભળી રહ્યા. ગામ માં એમની ઈજ્જત થોડી પણ વધી નથી એ જાણી એમને ધ્રાસકો પડ્યો હતો. એમની આંખો માં એક ગજબ નું એકાકીપણું દેખાતું હતું. "
  • પૂજા એ આગળ બોલવાનું ચાલુ રાખ્યું અને કીધું "હું અને મારી મા બચી ને અહીં થી નીકળી તો ગયા પણ ક્યાં જવું એ સૂઝતું નહોતું. આખરે ભૂખ્યા તરસ્યા અમે રખડતા રખડતા અમદાવાદ પહોંચ્યા. અહીં ની પ્રેમાળ પ્રજા અને લોકો ની લાગણી નો સાચો પરિચય અમને મળી ગયો. મારી મા મને દર દર લઇ કામ ની ભીખ માંગતી હતી, ત્યારે એક ભલા બેનએ મારી માં ને અને મને રહેવા આશરો આપ્યો અને ઘરકામ પણ આપ્યું. ત્યાં માં કામ કરતી અને એના બદલામાં ૨ ટાઈમ જમવા અને થોડો પગાર મળતો, અમારા માટે ત્યારે એટલું પૂરતું હતું.
  • એ બેન નિવૃત શિક્ષક હતા અને એમના છોકરા અમેરિકા હતા તો મારા માં ની સેવા થી એ બહુ ખુશ હતા, એમને મારુ એડમિશન સારી સ્કુલ માં કરાવી દીધું અને મારા ભણતરની બધી જવાબદારી ઉઠાવી લીધી. મમ્મી પણ પુરા દિલ થી એમની સેવા કરતી. મેં પણ બહુ મેહનત થી અભ્યાસ કર્યો અને હંમેશા સારું રિઝલ્ટ લાવી ને બતાવ્યું. એમનો પ્રેમાળ હાથ હંમેશા અમારા ઉપર રહ્યો, પણ વધતી ઉમર ના લીધે એમના છોકરા એમને અમેરિકા લઇ ગયા ત્યારે પણ એમને પોતાના ઘર ની ચાવી અમને આપી દીધી.
  • મારા ઉચ્ચ અભ્યાસ માટે પણ એ ત્યાંથી પૈસા સમયસર મોકલાવતા રહ્યા, ઘરે માં સિલાઈ નું અને ગૂંથવાનું કામ કરી અમારા જીવન જરૂરિયાત ના પૈસા ભેગા કરી લેતી. બધું સારું ચાલતું હતું મારો અભ્યાસ પણ પૂર્ણ થઈ ગયો હતો પણ ત્યારે મમ્મી ની તબિયત સાવ લથડી ગઈ. એની માનસિક સ્થિતિ એ સારી નહોતી રહેતી.
  • આખરે એક દિવસ માએ મને બાજુ માં બેસાડી અને કીધું"બેટા હું હવે બહુ ઓછા દિવસ ની મહેમાન છું, મારા ગયા પેહલા હું તને એક હકીકત જણાવવા માંગુ છું અને ત્યારબાદ માએ મને અમારા જોડે થયેલા અન્યાય વિશે જણાવ્યું, પિતાજી ની હત્યા અને અમને મારી નાખવાના ક્રૂર પ્રયાસ વિશે જણાવ્યું. "
  • "થોડા સમયબાદ માં એ આખરી શ્વાસ લીધો અને ત્યારબાદ મેં અમારા સાથે થયેલા અન્યાય નો બદલો લેવાનું નક્કી કર્યું. તમારા પુરા ઘર વિશે માહિતી એકઠી કરી, તમારો એક કેસ અહીં ના વકીલ રાજેશ વ્યાસ લડ્યા હતા અને એમનો છોકરો યોગાનુયોગ અમારી કોલેજ માં ભણતો હતો એના જોડે મિત્રતા કરી અને એના ઘરે બધા જોડે ઓળખાણ કરી અને એમના નામ નો ઉપયોગ કરી હું તમારા ઘર સુધી આવી"
  • બાપુ તો પૂજાનું એક એક વાક્ય સાંભળી અવાચક થઈ ગયા. એક ૨૨-૨૩ વરસ ની છોકરી એમને કેવી રીતે છેતરી ગઈ? પૂજા ને પહેલીવાર જોઈ ત્યારે એનો ચહેરો કોઈક ની યાદ અપાવતો હતો પણ એ પોતાના દુશ્મન ત્રિલોકનાથ ની છોકરી નીકળશે એવો તો એમને સપને પણ ખ્યાલ નહોતો"આગળ પૂજા ની વાત સાંભળવાની એમને અધીરાઈ હોય એવું લાગતું હતું.
  • આગળ વાત વધારતા પૂજા એ કીધું આ ઘર માં જય અને વીર સાથે ની પ્રથમ મુલાકાત માંજ મને સમજાઈ ગયું કે બંને પર મારા રૂપ નો જાદુ ચાલી ગયો છે. એમાં વીર તો સામે થી મારી રચેલી જાળ માં ફસાઈ ગયો અને મારા પાછળ પાગલ થઈ ગયો. "
  • મારે મારા બદલા માટે ના પ્લાન માં કોઈક ની જરૂર હતી અને એમાં સાથ મળ્યો વિજુ નો. મેં એ જોયું કે જય ની સામે કે એના રૂમ માં જીવી ક્યારેય નહોતી જતી. જય નો રૂમ પણ વિજુ જ સાફ કરતો. માટે મને કાંઈક બન્યું હોવું જોઈએ એવું લાગ્યું. મેં સૌપ્રથમ જીવી નો વિશ્વાસ જીત્યો અને એના જોડે થી જય અને તમે કરેલા દુર્વ્યવહાર ની વાત જાણી. વિજુ પણ અહીં પોતાની પત્ની ની ઈજ્જત નો બદલો લેવા રોકાયો હતો આ વાત ની ખબર પડતાં મેં એને મારી બધી હકીકત જણાવી. બદલામાં વિજુ એ કીધું" તમારો આ મકસદ પૂરો કરવામાં ભલે મારો જીવ જતો રે પણ હું તમારા જોડે છું પૂજાબેન"
  • "બસ પછી તો શું વિજુ તરીકે ભાઈ મળ્યો અને મારો ઉત્સાહ બેવડાઈ ગયો. મેં વીર ને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. "
  • "એટલે વીર ને તે મારી નાખ્યો, એ પર્વત પરથી ભૂલથી નહોતો પડ્યો તે ધક્કો માર્યો હતો. "હરામી ની ઔલાદ હું તને જીવતી નહીં છોડું એમ બોલતા બાપુ પૂજા ની ગરદન દબાવવા આગળ વધતા હતા એટલા માં વિજુ નો મજબૂત પંજો એમના મોંઢા પર પડ્યો ને બાપુ તમ્મર ખાઈ ભોંયભેગા થઈ ગયા.
  • આ બધો આઘાત બાપુ માટે અસહ્ય હતો અને એનલીધે બાપુ ને અત્યારે હૃદયરોગ નો હુમલો થયો હતો, એ પોતાનો મોબાઈલ બહાર કાઢી ડોક્ટર ને ફોન કરવા જતાં હતાં પણ વિજુ એ ફોન ઝુંટ્વી લીધો અને પછાડી ને તોડી નાખ્યો"
  • "દોલતસિંહ બાપુ તો અત્યારે પૂજા અને વિજુ આગળ પોતાના જીવ ની ભીખ માંગતા હતા"
  • પૂજા એ અટ્ટહાસ્ય કર્યું અને કીધું"દોલત સિંહ મારા પિતાજી એ આમજ તમારા આગળ પોતાના જીવ ની ભીખ માંગતા હતા અને તમે એમની કોઈ વાત ન સાંભળી અને મારા બેગુનાહ પિતાજી ને મોત ને ઘાટ ઉતારી એને આત્મહત્યા નું સ્વરૂપ આપી દીધું. "
  • પૂજા એ કીધું હજુ આગળ સાંભળો વીર ના મોત પછી મેં જ વિજુ ને કીધું કે તું મારા અને જય ના લગ્ન ની વાત બાપુ આગળ કર, જય ના નથી પાડવાનો એની ખાતરી છે મને અને તું બાપુ ને સમજાવ હું આનકાની કરીશ પણ માની જઈશ. અને જય સાથે મારા લગ્ન થઈ ગયા.
  • પછી મેં જય ને મારી પાવાગઢ ની બાધા ની ઉપજાવી કાઢેલી વાત કરી કેમકે મને ખબર હતી કે હું નહીં હોઉં તો જય રાતે દારૂ જરૂર પીવાનો અને જીવી સાથે પાવાગઢ નીકળી ગઈ, અહીં જે કરવાનું હતું એ વિજુ ને કરવાનું હતું.
  • "આટલું કહી પૂજા એ જય ના મર્ડર ને કેવી રીતે કુદરતી મોત હોય એમ બતાવાયું એની સમગ્ર વાત કરી"
  • બાપુ તો પૂજા નો આ પ્લાન સાંભળી અંદર થી ટૂટી ગયા. જય ની અને વીર ની મોત પર પૂજાનું આક્રંદ, પોતાના ઘર પ્રત્યે ની ચિંતા, અને વીર તથા જય ના અવસાન પછી આમ ગુમસુમ રેહવું એ એના પ્લાન નો ભાગ હતો એ પોતાના જેવા માથાભારે માણસ ને ના સમજાયું એ વાત એમને લાગી આવી હતી. પોતે કેટલા મૂર્ખ હતા કે પોતે બધી સંપત્તિ પૂજા ના નામે કરી દીધી. પોતાની મૂર્ખતા ના જ લીધે બને પુત્રો એ જીવ ગુમાવવો પડ્યો એ વાત નું એમને પારાવાર દુઃખ હતું. એમને પોતાનો અંતિમ સમય નજીક દેખાતો હતો. ભગવાન પોતાના ગુનાહો ની સજા આપી રહ્યો હતો એ વાત એમને સમજાઈ ગઈ હતી.
  • "અચાનક દોલતસિંહ જમીન પર પડી ગયા અને હૃદયરોગ ના હુમલાને લીધે ગણતરી ની સેકન્ડ માં જ મૃત્યુ પામ્યા. "
  • આ સાથે જ વિજુ એ પૂજા ને કીધું"પૂજા બેન તમારો આખરી દાવ પણ સીધો જ પડ્યો"
  • દોલતસિંહ બાપુ નું મૃત્યુ હૃદયરોગ ના હુમલાથી થયું એ વાત કોઈને નવાઈ જેવી ના લાગી, અને પૂજા એ આખા ગામ સમક્ષ બાપુ ના કાલા કર્મો નો ચિઠ્ઠો ખોલ્યો ત્યારથી લોકો ને એમના પ્રત્યે નફરત થઈ ગઈ હતી માટે કોઈને દોલતસિંહ ના અવસાન થી કોઈપણ પ્રકાર ની લાગણી જ ના થઇ.
  • ત્રિલોકનાથ એ ગામ લોકો માટે પોતાનો જીવ આપ્યો એ વિશે હકીકત જાણ્યા પછી ગામલોકો એ ગામ વચ્ચે એમની પ્રતિમા નું સ્થાપન કર્યું. પૂજા એ દોલતસિંહ બાપુ ની બધી કાળી કમાણી ગામલોકો ના ભલા માટે વાપરી દીધી. પૂજા નું આ ઉદાર દિલ જોઈ ગામલોકો એને ભગવાનતુલ્ય ગણવા લાગ્યા.
  • થોડા દિવસ બાદ પૂજા એ એક ગામસભા બોલાવી અને કીધું" આ ગામ માટે મારે જેટલું કરવાનું હતું એ મેં કરી દીધું છે, અહીંના લોકો મારા માટે હંમેશા એક કુટુંબ જેવા રહેશે. તમારા બધા જોડેનો મારો સફર અહીં સુધી નો જ હતો. હું સરપંચપદ નો ત્યાગ કરું છું અને આ દોલતમેહલ ગામના નિરક્ષિતો માટે ફાળવું છું. બાપુ ની બધી જમીન હું વિજુ ભાઈ ને આપું છું. અને તમારી ઈચ્છા હોય તો વિજુ ને આ ગામ નો નવો સરપંચ ઘોષિત કરું છું?
  • પૂજા ના એક એક વાક્ય ને ગામલોકો એ ટાળી ઓ થી વધાવી લીધું અને સર્વસહમતી થી વિજુ નવો સરપંચ બન્યો.
  • ગામલોકો એ પૂજા ને રોકાઈ જાવા બહુ વિનંતી કરી, ઘણા તો રડી પડ્યા. પણ પૂજા એ કીધું "બસ હવે આ જગ્યા થી મારુ આટલું જ લેણું હતું. હું હવે અમેરિકા જાઉં છું પણ જ્યારે ઇન્ડિયા આવીશ તમારા સર્વ ની મુલાકાત જરૂર લઈશ. તમારા બધા તરફ થી જે પ્રેમ મળ્યો એની હું આભારી છું. "
  • "નીકળતા પેહલા જીવી અને વિજુ તો પૂજા ને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રોયા અને રોકાઈ જવા પણ સમજાવ્યું. પૂજા એ બને ને કીધું હું તમને ફોન કરતી રહીશ અને તમે બને મારા દિલ માં સદાય મીઠું સંભારણું બની જોડે જ રહેશો, વિજુ તું આ ગામ ને અને અહીં ના લોકો ને પ્રેમ થી સંભાળજે અને શાંતિનગર ની શાંતિ હંમેશા કાયમ રાખવાનો પ્રયત્ન કરજે"આટલું કહી પૂજા પોતાની કાર લઇ નીકળી પડી પોતાની નવી મંજિલ ની શોધ માં.
  • સમાપ્ત
  • દોસ્તો આખરી દાવ નવલકથા અહીંયા જ પૂર્ણ થાય છે, આ મારી પ્રથમ નવલકથા છે. આ નવલકથા અંગે નો આપનો અભિપ્રાય મારા માટે ખૂબ જ અગત્ય નો છે. કોઈ સલાહ સુચન હોય તો પણ આપ મને આપી શકો છો જેથી હું ફરી થી કંઈ લખું ત્યારે વધુ સારું અને રસાળ લખી શકું. મારો whatsup નંબર છે 8733097096, અને email id છે jatinpatel2292@gmail. com.
  • --જતીન. આર. પટેલ