Devil - EK Shaitan -21 books and stories free download online pdf in Gujarati

ડેવિલ એક શૈતાન-૨૧

ડેવિલ : એક શૈતાન

ભાગ-૨૧

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-અલગ અલગ શૈતાની શક્તિ ધરાવતા બે લોકો ને અર્જુન મોત ના ઘાટ ઉતારી મૂકે છે-બિનવારસી હાલત માં મળેલી કારની ડેકીમાં મળેલ કુતરા ની લાશ ની કોઈ દ્વારા ચોરી થાય છે-બિરવા અર્જુન ની વધુ નજીક આવવાનો પ્રયત્ન કરે છે-અર્જુન ને બીજો એક રહસ્યમયી લેટર મળે છે--ખ્યાતનામ ડોકટર નકુલ દેશમુખની હત્યા થાય છે-તપાસ માં આવેલ અર્જુન ને આ હત્યા કુતરા દ્વારા થઈ હોય એવું લાગે છે-પીનલ કોલ કરીને ભારતીબેન ના હાથ પર ના લખાણ વિશે પોતાને કંઈક ખબર પડવાની વાત અર્જુન ને કરે છે -હવે વાંચો આગળ...

અર્જુન પોતાની બુલેટ ને મહાત્મા ગાંધી લાયબ્રેરી ના પાર્કિંગ માં પાર્ક કરી ઉતાવળા પગલે અંદર પ્રવેશ કરે છે..લાયબ્રેરીમાં વિધાર્થીઓ અને ઘણા વાંચન નો રસ ધરાવતા લોકો ની ઉપસ્થિતિ થી અર્જુન ને રાહત મળે છે.નાયક પણ અર્જુન ની જોડે હોય છે.

અર્જુન સીધો જ પીનલ જ્યાં બેસતી હતી એ ટેબલ સુધી પહોંચી જાય છે..પીનલ ને સકુશળ જોઈ એના ધગતા હૃદયમાં કોઈએ પાણી ની છાલક મારી ઠંડક કરી હોય એવું લાગે છે.અર્જુન ને આવતો જોઈ પીનલ પોતાની જગ્યા એ થી ઉભી થઇ અર્જુન ની તરફ આવે છે.

"પીનલ તું સહી સલામત છે એ જોઈ મને અત્યારે દિલ માં રાહત થઈ.."અર્જુને પીનલ ને ગળે લગાવી કહ્યું.

"અરે મને શું થવાનું હતું..અને આમ બધા વચ્ચે આ શું કરો છો..?"પીનલે પોતાની ફરતે વીંટાળેલો અર્જુન નો હાથ દુર કરતા કહ્યું.

"કંઈ નહીં..બોલ તને શું જાણકારી મળી છે ભારતીબેન ના હાથ પર ના લખાણ વિશે?"અર્જુને પોતાની ચિંતા નું કારણ જણાવવાનું ઉચિત ના સમજતા જે માટે પીનલે બોલાવ્યો હતો એ વાત શરૂ કરી.

"હા અર્જુન..ભારતીબેન ના હાથ પર લખ્યું હતું..v.a ૬/૧૧/૧૪ બરાબર ને..??" પીનલે અર્જુન ની સામે જોઈ કહ્યું.

"હા આવું જ લખેલું હતું એમના હાથ પર.."અર્જુને કહ્યું.

"એનો જવાબ છે આ પુસ્તક..આટલું કહી પીનલે અર્જુન ના હાથ માં એક જુનું પુરાણું પુસ્તક આપ્યું..પુસ્તક ના મુખ્ય કવર પેજ ઉપર લખ્યું હતું.."PARAMORMAL ACTIVITY BY SOUL AND IT'S CONTROLLING METHODS"

"આ બુક કેવી રીતે ભારતીબેન ના હાથ પરના લખાણ નો ઉકેલ હોઈ શકે?" અર્જુને પુસ્તક હાથ માં લઈને નજર કરતા કરતા કહ્યું.

અર્જુન આજે બપોરે નવા પુસ્તકો ની ડિલિવરી થઈ..તો મેં લાયબ્રેરી પુસ્તકોના ડેટા વાળું કોમ્પ્યુટર ઓન કર્યું અને ક્રમસર પુસ્તકો ગોઠવવા માટે સેટ તૈયાર કરતી હતી ત્યારે મારા ધ્યાને એક બાબત ગઈ કે આ લાયબ્રેરી માં પુસ્તકો ની ગોઠવણી એક ચોક્કસ નિયમ મુજબ થાય છે"પીનલે કોમ્પ્યુટર ઓન કરતાં કહ્યું.

"ઓહ..આઈ..સી..તું ડિટેઇલ માં સમજાવીશ"અર્જુને કોમ્પ્યુટર સ્ક્રીન તરફ નજર કરતા કહ્યું.

"હા..આ લાયબ્રેરી માં દરેક પુસ્તક એના વિષય ને અનુરૂપ ગોઠવવામાં આવે છે..જેમકે ૧ નમ્બર નો અર્થ થાય કે કાવ્ય અને ગદ્ય રચનાઓ..૨ નમ્બર નો અર્થ થાય ઐતિહાસિક સાહિત્ય..એજ રીતે ૩ નમ્બર બાલ સાહિત્ય..૪ નમ્બર લોકવાર્તાઓ...૫ નમ્બર નવલકથાઓ..અને ૬ નમ્બર હોરર કે સસ્પેન્સ સાહિત્ય ને આપવામાં આવે છે..."પીનલે એક પછી એક એક્સલ ફાઈલો ઓપન કરી અર્જુન ને બતાવી..નાયક પણ પીનલ ની વાતો ને ધ્યાન થી સાંભળી રહ્યો હતો.

"ગુડ..એનો અર્થ ૬/૧૧/૧૪ માં ૬ નો અર્થ હોરર અને સસ્પેન્સ સાહિત્ય થતો હતો..તો ૧૧ નો મતલબ શું નીકળ્યો?"અર્જુને પીનલ ના ચહેરા સામે જોઈ કહ્યું.

"પહેલા દરેક પુસ્તક ને એના વિષય અનુસાર અલગ પડાય છે..પછી એને જુદા જુદા કબાટ માં ગોઠવવામાં આવે છે..૧૧ નો અર્થ કબાટ નો નમ્બર થાય..જે મુજબ હોરર અને સસ્પેન્સ વિભાગ નું કબાટ નમ્બર ૧૧."પીનલ એ આંખો ની ભ્રમર ઊંચી કરી સ્માઈલ સાથે કહ્યું.

"વાહ ભાભી માની ગયા તમારી બુદ્ધિ ને"અર્જુન કંઈ બોલે એ પહેલાં નાયક બોલી ગયો.

"આભાર નાયક ભાઈ.."પીનલે સસ્મિત કહ્યું.

"તો ૧૪ નો અર્થ ૧૧ નમ્બર ના કબાટ ની ૧૪ નમ્બર ની બુક એટલે આ ચોપડી...."PARAMORMAL ACTIVITY BY SOUL AND IT'S CONTROLLING METHODS"અર્જુને આખા લખાણ નો ભેદ ઉકેલતાં કહ્યું.

"હા એમજ..આ પુસ્તક ."PARAMORMAL ACTIVITY BY SOUL AND IT'S CONTROLLING METHODS" વિશે જ ભારતીબેન તને જણાવવા માંગતા હતા..અને શું જણાવવા માંગતા હતા એ પણ મને ખબર પડી ગઈ છે"પીનલે આંખમાં ચમક સાથે કહ્યું.

"સાચેજ પીનલ તને ખબર પડી ગઈ કે આ પુસ્તક માં ભારતીબેન એ એવું તો શું વાંચ્યું જેનો સંબંધ આ શહેર માં બનતી રહસ્યમયી ઘટનાઓ સાથે છે.?"અર્જુને પૂછ્યું.

"આ પુસ્તક અંગ્રેજીમાં લખાયેલું છે જેના લેખક છે ડોકટર આર્યા.. આ પુસ્તક ના નામ નો અર્થ થાય "આત્માઓ દ્વારા થતી અસામાન્ય ક્રિયાઓ અને એને વશ કરવાની પદ્ધતિઓ".પીનલે કહ્યું.

"તો આ પુસ્તક માં એવું તો શું લખ્યું છે..જે તારા ધ્યાન માં આવ્યું..?"અર્જુને પૂછ્યું.

"મેં આ પુસ્તક ને આખી બપોર વાંચ્યું..ડોકટર આર્યા એ ઘણી મહેનત કરી આ પુસ્તક લખેલું હોય એવું લાગે છે..દેશ વિદેશ ની અલગ અલગ રહસ્યમયી અને ડરામણી જગ્યાઓની મુલાકાત લઈને તેઓ ત્યાં રોકાયા પછી ઘણા સંશોધનો કરી આ પુસ્તક લખાયેલું છે.

"ડોકટર આર્યા જણાવે છે કે જ્યારે એ મોંગોલિયા એક આદિવાસી વિસ્તાર માં રોકાયા ત્યારે ત્યાંના આદિવાસી લોકો પોતાના મૃત સ્વજન ની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો એની એ ઈચ્છા જાણવા માટે મંત્ર તંત્ર વિધિ થી એની આત્મા ને એના શરીર માં પુનઃસ્થાપિત કરતા..આ ક્રિયા એ વ્યક્તિ ના મૃત્યુ ના ૩૬ કલાક ની અંદર કરવી આવશ્યક હતી.."પીનલ આટલું બોલી અટકી.

"નિખિલ અને આરઝુ ની લાશ ને પણ દફનાવામાં આવ્યા ના અમુક સમય પછી તરતજ બહાર કાઢવામાં આવી હતી"અર્જુને પીનલ ની વાત સાંભળી એનો એક છેડો સમજી ગયો હોય એમ કહ્યું.

"હા અર્જુન એમજ..આ ઉપરાંત ડોકટર આર્યા એ લખ્યું છે કે એ આત્મા ને વશ કરવાની વિધિ પણ એ લોકો જાણતા હતા..એ આત્મા એમની ઈચ્છા મુજબ જ બધુ કરતી..આ ક્રિયા એ એમના અંગત કારણો થી જ કરતા..!જે વિશે એ કોઈ અજનબી ને માહિતી નહોતા આપતા..!!

આ સિવાય એમને લખ્યું છે કે જ્યારે તેઓ દક્ષિણ અમેરિકા ના એમેઝોન જંગલો માં હતા ત્યારે ત્યાંના સ્થાનિક કબીલા "ઝુઝુ કેના" ના લોકો પ્રાણીઓ ની આત્મા ને પણ એના મૃતદેહ માં દાખલ કરવાની વિધિ કરતા હતા..એ લોકો ની એ રહસ્યમયી વિધિ વિશે પણ ડોકટર આર્યા એ વિગતવાર આ પુસ્તક માં જણાવેલું છે.આફ્રિકન લોકો ની વુડુ વિધિ જેમાં ઢીંગલી ના ઉપયોગ થી લોકો નો જીવ પણ લઈ શકાય એનો પણ ઉલ્લેખ છે."પીનલે કહ્યું.

"ડોકટર આર્યા તો ભારે હિંમત વાળા કહેવાય કે આવી બિહામણી જગ્યાઓ ની મુલાકાત લીધી..આ સિવાય બીજું શું લખ્યું છે આ પુસ્તક માં?"અર્જુને અચરજ સાથે પૂછ્યું.

"બીજું તો કંઈ વધુ ખાસ નથી..આગળ આવાજ ઘણા પ્રસંગો છે જ્યાં પરલૌકિક શક્તિઓ ની સંખ્યાબંધ ઘટનાઓ નો ઉલ્લેખ છે..જેમકે રાજસ્થાન ના ભાનગઢ નો કિલ્લો,એફિલ ટાવર નું ભૂત,વોશિંગ્ટન ખાતે ના વ્હાઇટ હાઉસ માં બનતી ઘટનાઓ,બ્રાઝીલ ના દરિયા કિનારે ભટકતી આત્માઓ,બાલી ટાપુ પર ના લોકો નો આત્માઓ સાથે રાત પસાર કરવાની વાત વગેરે નો ઉલ્લેખ આમાં છે"પીનલે કહ્યું.

"આનો મતલબ કે કોઈએ આ પુસ્તક વાંચી અંદર બતાવેલી વિધિઓ નો સંપૂર્ણ અભ્યાસ કરી એ મુજબ આત્માઓને એના શરીર માં પુનઃસ્થાપિત કરી ને મૃતદેહો ને પુનઃજીવીત કરેલ છે..હવે જો ડોકટર આર્યા સાથે એકવાર મુલાકાત થઈ જાય તો આ પરલૌકિક ઘટનાઓ નો તોડ કાઢી શકાય.."અર્જુને દાઢી પર હાથ ફેરવતા કહ્યું.

"હા અર્જુન પણ ડોકટર આર્યા અત્યારે વિદેશ માં ક્યાંક રહે છે..અને એ કોઈને મળતા પણ નથી..એમના વિશે કોઈને કંઈ ખબર નથી..એટલે કોઈની મદદ ની આશા રાખ્યા વગર તું જ કંઈક કર જેથી આ બધી ઘટનાઓને બનતી અટકાવી શકાય"પીનલે અર્જુન ના ખભે હાથ મૂકી કહ્યું.

"હા પીનલ તારી વાત સાચી છે..મારે જ હવે કંઈક કરવું પડશે નહીંતો એ ડેવિલ પોતાના મન નું ધાર્યું જરૂર કરશે..ભારતીબેન નું અડધું લખાણ તો ઉકેલાઈ ગયું પણ આ v.a નો અર્થ નથી સમજાતો.."અર્જુને નિરાશ ચહેરે કીધું.

"અર્જુન ભારતીબેન ની હત્યા કરવા વાળી ચુડેલ બનેલી આરઝુનો તો તે અંત કરી દીધો પણ મૃત આરઝુ ને જીવીત કરી એની શૈતાની તાકાત ને વશ કરી ભારતીબેન અને બીજા નિર્દોષો ની હત્યા નું કાવતરું કરનારા એ ડેવિલ ને એના અંજામ સુધી પહોંચાડવાની જવાબદારી તારી છે" પીનલે અર્જુન ની આંખો માં આંખ નાંખી ને કહ્યું.

"હું મારી રીતે પૂરતો પ્રયાસ કરી રહ્યો છું એ ડેવિલ સુધી પહોંચવા માટે પણ એ મારા થી હંમેશા બે ડગલાં આગળ જ હોય છે.."અર્જુન ના શબ્દો માં હતાશા છલકાઈ રહી હતી.

"અર્જુન આમ હિંમત ન હારી જઈશ.. ગમે એવો શાતિર દિમાગ નો અપરાધી હોય એની બસ એક ભૂલ અને એ તમારી પકડમાં..આવું તું જ કહેતો તો પછી આમ તું નિરાશ થઈ જાય એ થોડું ચાલે"અર્જુન ની નજીક આવી એના ખભા પર હાથ રાખી પીનલે કહ્યું.

અર્જુને પોતાના ખભે રાખેલા પીનલ ના હાથ ઉપર પોતાનો હાથ મુક્યો અને કહ્યું" પીનલ હું હિંમત નથી હાર્યો..પણ આ રીતે નિર્દોષ લોકો ને પોતાના કોઈ મતલબ માટે મોત ને ઘાટ ઉતારી દેનારા એ ડેવિલ ને જ્યાં સુધી મારા હાથે મારી નહીં નાખું ત્યાં સુધી મારો દરેક શ્વાસ મને બોજારૂપ લાગશે.."

"મને વિશ્વાસ છે કે એ ડેવિલ તારા હાથે જરૂર હણાશે.."પીનલ નો એક વિશ્વાસ ભર્યો અવાજ અર્જુન ના કાને પડ્યો.

"Thanks.. પીનુ.. તે ભારતીબેન ના હાથ પર ના લખાણ ને ઉકેલી મારા અંદાજા ને નક્કર ટેકો આપ્યો છે, મને આવું જ લાગતું હતું કે આ બધી ઘટનાઓ ના મૂળ માં આવું જ કંઈક હશે હવે વિશ્વાસ પણ બેસી ગયો.આ પુસ્તક ને હું લઈ જાઉં છું.."અર્જુને "PARAMORMAL ACTIVITY BY SOUL AND IT'S CONTROLLING METHODS" પુસ્તક ને હાથ માં લેતા કહ્યું.!

"સ્યોર"પીનલે સ્મિત સાથે કહ્યું.

"સારું તો હું પોલીસ સ્ટેશન જાઉં..ત્યાં નાયક ને ઉતારી થોડી જ વાર માં જીપ લઈને આવું છું તને પિકઅપ કરવા..",અર્જુને કહ્યું.

"વાંધો નહીં.. બાય.."પીનલે કહ્યું.

***

પીનલ જોડે થી ભારતીબેન ના હાથ પર ના લખાણ નો અડધો કોયડો સોલ્વ થયાની સાબિતી રૂપ પુસ્તક હાથ માં લઈને અર્જુન અને નાયક પોલીસ સ્ટેશન પાછા ફર્યા..પોલીસ સ્ટેશન જઈને અર્જુન ડાયરેકટ પોતાની કેબીન માં ગયો..નાયક પણ અર્જુન ની સાથે હતો..અંદર જઈ અર્જુને એક સિગરેટ સળગાવી અને રોલિંગ ચેર માં બેઠો..નાયક પણ જોડે એક ખુરશી માં બેઠો હતો.

"એનો મતલબ કે કોઈએ આ બુક નો ઉપયોગ કરી ને એમાં લખેલી વિધિઓ વાંચી ને આ ખુની ખેલ ને અંજામ આપ્યો છે..?"આટલું બોલતા નાયક પણ અત્યારે વ્યથિત લાગતો હતો..

"હા નાયક મને પણ એવું જ લાગે છે..પણ આ પાંડવો ને હણી નાંખીશ એવા લેટર દ્વારા ડેવિલ શું કહેવા માંગતો હતો એ ખબર નહીં પડે તો નજીક માં જ એક બીજી લાશ જોવા તૈયાર રહેવું પડશે.."અર્જુને વધેલી સિગરેટ ને એશ ટ્રે માં મસળતા કહ્યું.

"કોણ બનશે હવે એ ડેવિલ નો નવો શિકાર એ શોધવું જરૂરી છે..નહીં તો આ કોઈ નિર્દોષ ફરી થી એનો શિકાર બનશે.."નાયકે ગુસ્સામાં કહ્યું.

અર્જુન અને નાયક વાતો કરી રહ્યા હતા એવામાં વાઘેલા કેબીન નો દરવાજો ખોલી સીધો અંદર આવ્યો..વાઘેલા ના ચહેરા અને હાવભાવ પરથી અર્જુન સમજી ગયો કે કોઈ સિરિયસ મેટર છે..આવતા ની સાથે વાઘેલા એ કહ્યું..

"એ ડેવિલ એ નવો શિકાર કરી દીધો..."પોતાના કપાળ પર થી નીતરતા ચહેરા ને રૂમાલ થી લૂછતાં વાઘેલા ને કહ્યું.

વાઘેલા ની વાત સાંભળી જેમ સ્પ્રિંગ ઉછળે એમ નાયક અને અર્જુન પોતાની ખુરશીમાં ઉભા થઇ ગયા અને અર્જુને વાઘેલા સામે જોઈ પૂછ્યું.."કોનો શિકાર..તું શું કહે છે...?

"સાહેબ..ન્યાયાધીશ રમેશભાઈ પટેલ ની લાશ એમના ઘર ના પાર્કિંગ માં મળી આવી છે..એમના ત્યાં કામ કરતો રસોઈયો ગોવિંદ મારો દોસ્ત છે..એનો હમણાં જ ફોન આવ્યો.." વાઘેલા એ કહ્યું.

"એક બીજા ખૂબ જાણીતા વ્યક્તિ નું ખુન..શું સાબિત કરવા માંગે છે ડેવિલ..એની તો.." અર્જુન ના મોમાંથી એક ગંદી ગાળ નીકળી ગઈ..

નાયક અને વાઘેલા તો અર્જુન નું આ રુદ્ર રૂપ જોઈ ને ચમકી જ ગયા..

"ચાલો વાઘેલા..જલ્દી ઘટના સ્થળે પહોંચવું પડશે.."વાઘેલા ને ઉદ્દેશીને અર્જુને કહ્યું..

અર્જુન અને વાઘેલા બન્ને કેબીન ની બહાર નીકળ્યા..નાયક પણ એમની સાથે જ હતો..અચાનક અર્જુન ને કંઈક યાદ આવતા એને નાયક ને કીધું..

"નાયક તારી ભાભી ને ઘરે ડ્રોપ કરવાનો ટાઈમ થઈ ગયો છે,એટલે એક કામ કર તું પીનલ ને ઘર સુધી મૂકીને પછી ઘટના સ્થળે પહોંચ..ત્યાં સુધી હું જાની અને બીજા કોન્સ્ટેબલો ને લઈને વહેલી તકે રમેશભાઈ ને બંગલે પહોંચું છું."

"ઓકે સર.."આટલું કહી નાયક બીજી જીપ લઈને મહાત્મા ગાંધી લાયબ્રેરી તરફ નીકળી ગયો.

નાયક ના ગયા પછી થોડીક જ ક્ષણો માં અર્જુન અને જાની પોતાની ટીમ સાથે રમેશભાઈ ના બંગલા તરફ નીકળી પડ્યા અને પંદરેક મિનિટ માં પહોંચી પણ ગયા..!!પોલીસ ની જીપ જોઈને રમેશભાઈ નો રસોઈયો ગોવિંદ એમની તરફ આગળ વધ્યો.

"સાહેબ સામે આવે એ ગોવિંદ છે,રમેશભાઈ નો રસોઈયો"વાઘેલા એ ધીમેથી અર્જુન ને કહ્યું.

"સાહેબ ત્યાં મારા સાહેબ ની લાશ છે...એમને કોઈએ મારી નાંખ્યા.."આટલું બોલી ગોવિંદ રડવા લાગ્યો..રમેશભાઈ ના ઉદાર સ્વભાવ ના લીધે બધા એમને માન અને આદર આપતાં.

"કઈ તરફ છે તારા સાહેબ ની લાશ..ગોવિંદ"?અર્જુને ગોવિંદ ના ખભે હાથ મૂકી પૂછ્યું.

"પાર્કિંગ ની પાછળ..કાર ની જોડે.."ગોવિંદે ચાલતાં ચાલતાં ઈશારો કરતા કહ્યું.

ગોવિંદ ની પાછળ પાછળ અર્જુન ગેટ ની અંદર દાખલ થઈ જમણી બાજુ રહેલા પાર્કિંગ તરફ વળ્યો.ત્યાં જઈને જોયું તો રમેશભાઈ ની કાર ના ખુલ્લા દરવાજા માંથી એમની લોહી નીતરતી લાશ બહાર ની બાજુ લબડી રહી હતી..રમેશભાઈ ની લાશ ની દશા પણ ડોકટર દેશમુખ ના લાશ ની જેવી જ હતી..કાર માં ઠેક ઠેકાણે લોહી ની બુંદો ઉડી હતી..!!

"ગોવિંદ તે ક્યારે રમેશભાઈ ની લાશ જોઈ..?"અર્જુને ગોવિંદ ની સામે નજર કરીને કહ્યું.

"સાહેબ ..સાંજ ની રસોઈ માટે શાકભાજી લેવા હું બજારમાં જતો હતો ત્યારે જજ સાહેબ ની કાર સામે મળી..અડધો કલાક પછી પાછો આવ્યો ત્યારે જજ સાહેબ અંદર ઘર માં નહોતા એટલે હું આ તરફ જોવા આવ્યો તો સાહેબ ની લાશ જોઈ..એટલે મેં તરત જ વાઘેલા ને ફોન કર્યો..મારા સાહેબ બહુ સારા માણસ હતા..હંમેશા લોકો ની સેવા કરતા..ન્યાય ની મૂર્તિ સમાન આવા મહાન માણસે કોઈ નું શું બગાડ્યું હતું કે એમની આ દશા"આટલું કહી ગોવિંદ પાછો રડી પડ્યો.

"ગોવિંદ શાંત થા.. તારા સાહેબ ખરેખર ન્યાયાધીશ ના પદ ને ન્યાય આપી શકે એવા યોગ્ય વ્યક્તિ હતા..રાધાનગર કોર્ટ ના ન્યાયાધીશ તરીકે એમની સેવા અને ચુકાદા ઓ વિશે મેં ઘણું સાંભળ્યું છે..જ્યારે એ અમદાવાદ હાઇકોર્ટ માં હતા ત્યારે એક બળાત્કાર પીડિતા ના લગ્ન બળાત્કાર કરનાર વ્યક્તિ સાથે કરવી એમને કાયદા ની એક નવી મિસાલ ઉભી કરી હતી..દેશભર ના ખ્યાતનામ ન્યાતાધીશ માં એમની ગણના થતી...હું એમના હત્યારા ને નહીં છોડું.. તું મારા પર ભરોસો રાખ.."અર્જુને ગોવિંદ ને ગળે લગાવી કીધું..

અર્જુન ની સાંત્વના પછી ગોવિંદ થોડો શાંત પડ્યો..એટલે અર્જુને પૂછ્યું.."ગોવિંદ સાહેબ ના લગ્ન નહોતા થયા એટલે એમનું બીજું કોઈ સગુ હોય તો તું નમ્બર આપ અમે એમને અહીં બોલાવી લઈએ.."

"હા સાહેબ એમની બેન ના દીકરા મૌલિક ભાઈ નો નમ્બર છે મારા જોડે.."આટલું કહી ગોવિંદે મૌલિક નો નમ્બર આપ્યો..

અર્જુને ફોન પર મૌલિક ને અહીં આવવાનું જણાવી દીધું..અર્જુન નો કોલ પત્યો ત્યાં સુધી માં નાયક પણ પીનલ ને ઘરે મૂકીને આવી ગયો હતો..રમેશભાઈ ની લાશ જોઈને નાયક ને પણ આઘાત લાગ્યો.!!

ત્યારબાદ પોલીસ સ્ટાફ દ્વારા વધારા ની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી..ગેરેજ ની આજુબાજુ નો એરિયા સીલ કરાયો..અર્જુન ને ખબર હતી કે કાતિલ એ આ વખતે પણ કોઈ સબુત તો નહીં જ મુક્યો હોય એટલે તપાસ કરવી વ્યર્થ છે પણ પોતાની પોલીસ ડ્યૂટી પર કોઈપણ વાત ને ખાલી ધારી લેવી એ ખોટું છે એવું અર્જુન માનતો હતો એટલે અર્જુને બંગલા ની ફરતે પોતાના સ્ટાફ દ્વારા સઘન તપાસ કરાવી પણ હાથ માં કંઈ ન આવ્યું.

રમેશભાઈ પટેલ ની અંતિમ ક્રિયા પણ રાજકીય સમ્માન સાથે કરવામાં આવી..પોતાની જિંદગી ના અંતિમ સમય માં પોતાના શહેર માં જ ટ્રાન્સફર મળતાં રમેશભાઈ જે ખુશી ભોગવવા માંગતા હતા એ પહેલાં જ કાળ નો કોળિયો એમને ભરખી ગયો..!!

અર્જુન પર રાજકીય દબાણ વધી રહ્યું હતું..આત આટલી ઘટનાઓ પછી પણ કોઈ સબુત ના મળતા મીડિયા અને નેતાઓ દ્વારા અર્જુન પર જોરદાર દબાણ કરવામાં આવતું..જેની અસર અત્યારે અર્જુન ના સ્વાસ્થ્ય પર વર્તાઈ રહી હતી..રાતભર ઉજાગરા અને દિવસ ભર ચિંતા ના લીધે અર્જુન ને હોસ્પિટલાઈઝડ થવું પડ્યું હતું..!!

ચાર દિવસ અશક્તિ ના લીધે હોસ્પિટલ માં એડમિટ રહયા બાદ અર્જુન જ્યારે પોલીસ સ્ટેશન પાછો ફરે છે ત્યારે પણ એના મન નો ભાર હજુ ઓછો નહોતો થયો..જીંદગી માં પ્રથમ વખત ઉપરાઉપરી આટલી બધી હત્યાઓ અને લાશો જોઈ એ ખરેખર મન માં ને મન માં અકળાઈ ગયો હતો..!!

પોતાની કેબીન માં પ્રવેશતા જ અર્જુને ખિસ્સા માંથી મારબોલો સિગરેટ નું પેકેટ કાઢી એક સિગરેટ સળગાવી..સિગરેટ ના દરેક કશ અત્યારે એને થોડી ઘણી શાંતિ બક્ષી રહ્યા હતા..એક એસીપી તરીકે લોકો ની અપેક્ષા પર ખરો નહીં ઉતરવાનો ભાર અર્જુન ને ઉધઈ ની જેમ કોરી રહ્યો હતો..!!

જ્યારે પોતે હોસ્પિટલ માં એડમિટ હતો ત્યારે રાધાનગર માં પોલીસ વ્યવસ્થા નું શું થશે એની ચિંતા કરતા અર્જુન ને જ્યારે ખબર પડી કે પોતાની ગેરહાજરી માં નાયક,વાઘેલા, જાની જેવા સિનિયર ઇન્સ્પેક્ટર દ્વારા પોતપોતાની ફરજ ને યોગ્ય રીતે નિભાવવામાં આવી હતી એ જાણી અર્જુન ને પોતાના સ્ટાફ પર ગર્વ ઉભરી આવ્યો.

ચાર દિવસ માં કોઈ નવો બનાવ નહોતો બન્યો પણ બે મોટી હસ્તીઓ ના આમ ધોળાદિવસે આ રીતે ખુન થતાં રાધાનગર ના લોકો માં ગુસ્સો અને ભય બન્ને જોવા મળી રહ્યું હતું.

એક સિગરેટ પુરી કર્યા બાદ અર્જુને બીજી સિગરેટ પણ સળગાવી..હોસ્પિટલ માં પીનલ ની હાજરી અને ડોકટર ની મનાઈ ના લીધે ચાર દિવસ સિગરેટ થી દુર રહેવા ની તલપ આજે એ પુરી કરવા માંગતો હતો..બીજી સિગરેટ જેવી અર્જુને એશ ટ્રે માં મસળી એવો જ એના જોડે રાખેલા પોલીસ સ્ટેશન ના લેન્ડલાઈન નમ્બર પર કોલ આવ્યો..

અર્જુને તરત જ કોલ રિસીવ કરી ને પૂછ્યું "કોણ બોલો?"

"મારા સસરા નું કોઈએ ખુન કરી નાંખ્યું..."સામેથી ડર ના લીધે ફફડતો એક સ્ત્રી નો અવાજ સંભળાયો..

"તમે કોણ બોલો..?અને તમારા સસરા કોણ?"આટલું બોલતા તો અર્જુન પોતાની ખુરશી માંથી ઉભો થઈ ગયો..

"સાહેબ હું સુનિતા શાહ વાત કરું....હિમાંશુ શાહ ની પત્ની... મારા સસરા ભીમજીભાઈ શાહ નું ખુન થઈ ગયું છે.."સામે થી બોલવાનો અને રડવાનો અવાજ એકસાથે સંભળાયો..

"ઓહ..તો ..તમે મેટલ કિંગ ભીમજીભાઈ શાહ ના પુત્રવધુ બોલો..?"અર્જુને કહ્યું..

"હા સર...એ મારા સસરા થાય...અત્યારે હું અમારા નિવસ્થાન મહાવીર વીલા માં થી બોલું આપ જલ્દી અહીં આવી જાઓ.."સામે થી આટલું બોલાયા પછી એક ડૂસકું અર્જુન ને સંભળાયું.

"હું થોડીવાર માં જ ત્યાં પહોંચું છું..તમે ચિંતા ના કરશો..અને હિમાંશુ ભાઈ ને પણ કોલ કરી ઘરે બોલાવી લો.."આટલું કહી અર્જુને કોલ કટ કર્યો અને ફટાફટ પોતાની ટોપી પહેરી કેબીન ની બહાર નીકળ્યો..

"નાયક..જાની જલ્દી જીપ કાઢો..મેટલ કિંગ ભીમજી ભાઈ નું ખુન થઈ ગયું છે..એમની પુત્રવધુ સુનિતા નો કોલ હતો.."અર્જુને બહાર નીકળતા જ ઊંચા અવાજે કહ્યું..

અર્જુન ની વાત સાંભળી પહેલાં તો બધા ચમકી ગયા પછી થોડી સ્વસ્થતા મેળવતા બધા એકશન માં આવી ગયા..અલગ અલગ બે જીપ લઈને અર્જુન અને એનો સ્ટાફ નીકળી પડ્યો ધ મેટલ કિંગ ભીમજીભાઈ શાહ ના વિશાલ મહાવીર વીલા તરફ..

***

To be continued......

શહેરમાં એક મોટી હસ્તિ નું ત્રીજું ખુન...આના પાછળ કોણ હશે? ડેવિલ આખરે સાબિત શું કરવા માંગતો હતો? ડેવિલ સુધી અર્જુન પહોંચી શકશે? કોણ હતું એ જેને ડોકટર આર્યા નું પુસ્તક વાંચી આ ખુની ખેલ ને અંજામ આપ્યો હતો? બિરવા અર્જુન નો પ્રેમ મેળવી શકશે? આવા ઘણા સવાલો ના જવાબ માટે વાંચો ડેવિલ એક શૈતાન.

આ નોવેલ અંગે વાંચકો ના ઘણા અભિપ્રાય મળી રહ્યા છે..વાંચક મિત્રો નો ભરપૂર પ્રેમ આ નવલકથા ને મળી રહ્યો છે..ડેવિલ મારા માટે મસીહા નું કામ કરી રહી છે..આપ પણ મારા whatsup નમ્બર 8733097096 પર આપના અભિપ્રાય આપી શકો છો.

ઓથર:- જતીન. આર. પટેલ