Tu nahi to... books and stories free download online pdf in Gujarati

તુ નહિ તો.. - તુ નહિ તો...

તા- ૨૫-૦૫-૧૯૭૫
"પ્રિય અમૃતા, 

             આ મારો છેલ્લો પ્રેમ પત્ર છે હવે પછી આપણે રૂબરૂ  માં જ મળીશું . મારો ડોકટરી નો  અભ્યાસ પતવા આવ્યો છે. પરીક્ષા પતે એટલે હું તને મળવા આવીશ.  તારી નોકરી પણ સારી ચાલતી હશે.  તેં પત્રમાં જે  સાડી પહેરેલો ફોટો મોકલ્યો હતો  એમાં તો ખૂબ જ સુંદર લાગું છું.  પણ મારે તને  રોજ જોવી છે અને એ પણ  ફક્ત ફોટામાં તો નહીં જ .  હવે હું તારા ઘરે આવીશ અને તારા પિતાજી પાસે તારો હાથ માગીશ.   અને આપણે બંને હંમેશા માટે એકબીજાની જોડી રહીશું . તે તારા પિતાજી ને આપણા વિશે  વાત તો  કરી  હશે જ . તારી ખૂબ જ યાદ આવે છે . પણ મનને એ વાતથી મનાવી લઉં છું કે હવે તો બહુ થોડા દિવસ ની જુદાઈ છે.
   ' ખ્વાબ બહોત દેખે તેરે મેરે સાથ રહને કે ;
    અબ ઉન્હેં  મુકકમલ કરને કા  વક્ત આ ગયા હૈ ;
    તેરે મેરે  સાથ રહને કા વક્ત  આ ગયા હૈ;
    હમારા ઘર  બસાને કા વક્ત આ ગયા હૈ . ' 

                                                   તારો અને ફક્ત તારો,
                                                           રાજીવ

          પત્ર વાંચતાં વાંચતાં અમૃતા પોક  મૂકીને રડી પડી. રાજીવ સાથે વાત થયા મુજબ એની મોટી બેન ના લગ્ન પછી એ  એના પિતાજી ને એમના બન્નેના  સંબંધ વિશે  વાત કરવાની હતી,   પણ મોટી બેન ના પતિ એ એના પર  પાગલ  નો આરોપ લગાવી ને પાછી મોકલી દીધી હતી.  અને બીજા લગ્ન કરી દીધા હતાં.   એક વર્ષની દીકરી સાથે  બહેન પાછી  આવી,  હવે શું કરવું ?  અમૃતા ને કંઈ જ ખબર નહોતી પડી રહી. એક  તરફ  બાપુજી ની તબિયત સારી નહોતી રહેતી .બહેન ના ભરોસે કેવી રીતે રાખવા ?    અને  જ્યારે એણે એનાં  પિતાજી ને આ વાત જણાવી  તો   એમણે આ સંબંધ માટે અસહમતી જ દર્શાવી દીધી  હતી .  

મન માં  વિચારી રહી  , ' રાજીવ  આવશે તો શું જવાબ આપીશ ? અને  જો  એ  ગુસ્સામાં જઈને બીજે લગ્ન કરી દેશે તો ???  તો હું કેવી રીતે જીવીશ  ?????    પણ મારા માટે હું એને  જીવનભર  લગ્ન ના કરવા માટે તો નથી કહી  શકતી  ને !!  '   અમૃતા ઉપર  વિચારો નું   પુર ઉમટી પડ્યું હતું .  

      ભાંગી  પડેલી અમૃતા હવે રાજીવ ની જ રાહ જોતી હતી. રાજીવ આવ્યો અને અમૃતાએ એની વિગત સર વાત કરી તો થોડી વાર એ કશું જ ના  બોલ્યો અને પછી કહ્યું ,. "  અમૃતા !!  મેં તને પ્રેમ કર્યો છે. તારા સુખ દુઃખ  શું મારા સુખ દુઃખ નથી ?  તારો શું નિર્ણય છે ?  એ જણાવ ? " 

      "  હું બાપુજીની ઉપરવટ થઈને લગ્ન નહીં  કરી શકુ.  બહેન અને એની દીકરી પણ છે ઘરમાં . બાપુજી ની કોઈ ખાસ  કમાણી  નથી.   મારી નોકરી પર જ  ઘર  ચાલે છે.  જો હું  લગ્ન કરી લઈશ તો હું સ્વાર્થી નહીં  કહેવાવુ ?  આવી   પરિસ્થિતિ માં હું  આ બધાં  ને કેવી રીતે છોડી દઉં ?  ".  કહેતા કહેતા અમૃતા ની  આંખમાંથી આંસુ સરી પડ્યા. 
  "  હું બધી  જ જવાબદારી સ્વીકારવા તૈયાર છું  ." મક્કમતાથી નિર્ણય જણાવતા રાજીવે  કહ્યું.
     ત્યાંતો  અમૃતાના પિતાજી  આવ્યા અને કહ્યું ,. "  જોવો  ભાઈ ! હું હાથ જોડું છું તમને;   તમે જેવા આવ્યા  છો તેવા જ પાછા ચાલ્યા જાઓ .  મારી દીકરી  તમારી સાથે લગ્ન નહીં કરી શકે.  ખરાબ ના લગાડતા પણ એક દીકરી તો પાછી આવી છે અને આ પણ જો અમારી જાત થી નીચી જાતિ માં  લગ્ન કરશે તો અમને અમારી નાતમાં કોઈ માન  નહીં મળે. બધાં થુ  -  થુ  કરશે અમારા ઉપર.  માટે અમારા પર તમે મહેરબાની કરો અને  ચાલ્યા જાઓ ! ચાલ્યા જાઓ !!! "  અમૃતા ના પિતાજી એ   આજીજી કરી કે  હુકમ એ  બેમાંથી કોઈ કળી નાં શક્યું. 
           રાજીવ   એક પણ શબ્દ બોલ્યા વગર  ત્યાંથી ચાલ્યો ગયો.  અને એ ઘટનાને પંદર વર્ષ વીતી ગયા હતા .
          એક દિવસ અમૃતા  નાં પિતાજી ના  મૃત્યુ ના સમાચાર રાજીવે    જાણ્યાં.  માણસાઈ ના  નાતે તેને મળવા જવાનું  જ યોગ્ય લાગ્યું  અને એ અમૃતા ને મળવા   વહેલી સવાર  ની બસ  પકડી ને  ગયો .  ત્યાં પહોંચતા પહોંચતા સવાર  નાં   અગિયાર વાગી  ચુક્યા  હતા .  અમૃતા રસોઈની તૈયારી કરી રહી હતી અને એટલામાં જ   બૅલ  વાગ્યો. અમૃતા એ  જ્યારે દરવાજો ખોલ્યો તો સામે  રાજીવ ને ઊભેલો જોયો.  અમૃતા  ખૂબ જ લાગણીશીલ થઈ ગઈ અને  રાજીવ ને  ભેટવા જ  જતી હતી.પણ  ત્યાં  એને એ વાતનો અહેસાસ થયો કે એ   હક તો એ  વર્ષો પહેલા જ ગુમાવી ચૂકી  હતી. 
    " અંદર આવવા નહીં કહું ? " રાજીવે પુછ્યું .
   " આવ ને  ! આવ અંદર , બેસ! "    અમૃતાએ આંસુ લૂછતાં કહ્યું.
     " બાપુજી વિશે જાણ્યું .  બહુ દુઃખ થયું .   આવા સમયે મળવાનું રોકી  ના શક્યો . એટલે ચાલ્યો આવ્યો. "  રાજીવે આશ્વાસન આપતા કહ્યું.
     "   છેલ્લા કેટલાક મહિના થી બીમાર હતા. પંદર દિવસ પહેલાં જ ઈશ્વર ઘેર  સિધાવ્યા. "  અમૃતા  એ કહ્યું.
 "  ભગવાન એમની આત્માને શાંતિ આપે! "  રાજીવે હાથ જોડી કહ્યું.
  " બહેન  ક્યાં છે ? અને  ભાણી?" રાજીવે પુછ્યું.
 " બહેન અંદર છે અને ભાણી  નિશાળે ગઈ છે. મેં હમણાં  રજા લીધી છે નોકરી પરથી .  અત્યારે ક્યાં છો ? "  અમૃતા એ પૂછ્યું. 
"  અમદાવાદ  માં દવાખાનું  ખોલ્યું છે . અને ત્યાં નજીક માં જ ઘર છે." રાજીવે જવાબ આપ્યો.
 "  ઘરે કોણ- કોણ છે ? બા- બાપુજી સિવાય ? " અમૃતા એ પૂછ્યું.
 " બા - બાપુજી  હવે મોટાભાઈ સાથે રહે છે . બા ની તબિયત ઠીક નથી રહેતી એટલે ભાભી હોય તો ફર્ક પડે .  ત્યારથી  એકલો જ રહું છું. "  રાજીવે કહ્યું .
   અમૃતા આશ્ચર્યના ભાવ થી રાજીવ સામે જોઈ રહી .
 "હા  ! અમૃતા !!  મેં હજી સુધી લગ્ન  નથી કર્યા.  અત્યારે યોગ્ય સમય નથી ; પણ જો અત્યારે નથી તો ક્યારેય નથી;  બસ એટલું જ પૂછવું છે કે   ' તું મારી સાથે લગ્ન કરીશ  ?' બહેન અને ભાણીની જવાબદારી હું   સ્વીકારવા તૈયાર છું.  જો  તારી ઇચ્છા ના હોય તો બળજબરી નહીં કરું ; પણ એક વાત યાદ રાખજે કે  '  તારા સિવાય મને કોઈ નહીં ખપે……… તું નહીં તો કોઈ નહીં ………."   રાજીવ એકીશ્વાસે બોલી ગયો.
      અમૃતા હકારમાં ડોકું ધુણાવી ચોધાર આંસુએ રડી પડી. 

   
[  એક  જમાના ની  પુરાણી પ્રેમ કહાણી ]