Sukh no Password - 41 books and stories free download online pdf in Gujarati

સુખનો પાસવર્ડ - 41

બોર્ડની પરીક્ષામાં સફળ થવું કે જીવનની?

છત્તીસગઢના એક વિધ્યાર્થીએ પરીક્ષામાં નિષ્ફળતાને કારણે આત્મહત્યા કરી લીધી એ પછી...

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

થોડા દિવસ અગાઉ બોર્ડની પરીક્ષાના પરિણામો આવ્યા. એ પરિણામો પછી છત્તીસગઢના રાયગઢના એક ૧૮ વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી કારણ કે તે પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. એ સમાચાર અખબારોમાં વાંચીને 2009ની બેચના આઈએએસ ઓફિસર અવનીશકુમાર શરને ફેસબુક પર એક પોસ્ટ મૂકી. એ પોસ્ટ ભારતના દરેક વિધ્યાર્થીએ અને દરેક વિધ્યાર્થીઓના વડીલોએ ખાસ વાંચવી જોઈએ. હું આ કોલમના માધ્યમથી લાખો લોકો સુધી વાત પહોંચાડી શકું છું એટલે અહીં લખી રહ્યો છું. તમે તમારી રીતે આ વાત તમારી આજુબાજુની વ્યક્તિઓ સુધી પહોંચાડવાની કોશિશ કરજો.

છત્તીસગઢના કબીરધામ જિલ્લાના કલેકટર તરીકે ફરજ બજાવતા અવનીશ કુમાર શરને દસમા ધોરણમાં નિષ્ફળતાને કારણે આત્મહત્યા કરી લેનારા વિધ્યાર્થી વિશે જાણીને ફેસબુક પર પોસ્ટ મૂકી કે આજે એક અખબારમાં એક વિદ્યાર્થીની આત્મહત્યાના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે. હું બધા વિદ્યાર્થીઓને અને ખાસ તો પેરન્ટ્સને અપીલ કરું છું કે બોર્ડની પરીક્ષાઓના પરિણામોને આટલા બધા સિરિયસલી નહીં લો. એ માત્ર એક નંબર ગેમ છે. તમારું કેલીબર, તમારી પ્રતિભાને પુરવાર કરવા માટે તમને આગળ કેટલી બધી તકો મળવાની જ છે. પરીક્ષામાં નબળું પરિણામ આવે તો એનાથી હતાશ થવાની જરૂર નથી.

આઈએએસ શરને વિધ્યાર્થીઓ અને પેરન્ટ્સને માત્ર કોરી સલાહ જ નથી આપી, પણ તેમણે પોતની દસમા અને બારમા ધોરણની બોર્ડ એકઝામની માર્કશીટ સહિત બીજી અનેક પરીક્ષાઓની માર્કશીટ પણ ફેસબુક પર પોસ્ટ કરી છે. શરન અત્યારે કલેકટર તરીકે ફરજ બજાવે છે, પણ તેમને દસમા ધોરણમાં માત્ર 44.5 ટકા આવ્યા હતા અને બારમા ધોરણમાં માત્ર 65 ટકા આવ્યા હતા તો કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષામાં તેમને માત્ર 60.7 ટકા આવ્યા હતા!

શરને પોતાની માર્કશીટ્સ શૅર કરીને ઉમેર્યું છે કે આવા નબળા પરિણામો હોવા છતાં હું મારે જે કરવું હતું એ દિશામાં આગળ વધતો રહ્યો. મેં ક્યારેય આશા ગુમાવી નહીં અને ખૂબ જ અઘરી ગણાતી ઈન્ડિયન પબ્લિક સર્વિસ કમિશનની એક્ઝામ પાસ કરીને આઇએએસ ઓફિસર બન્યો.

આઈએએસ અવનીશકુમાર શરણની આ પોસ્ટ મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે અને તેમના પેરેન્ટ્સ માટે એક મોટા તમાચા સમી છે. જે વિધ્યાર્થીઓ એસએસસીના કે એચએસસીના નબળા પરિણામને કારણે જીવન ટૂંકાવી લેતા હોય તેમના પેરેન્ટ્સને શરમ આવવી જોઈએ કે તેઓ પોતાના સંતાનની મનોયાતના સમજી ન શક્યા. એવા પેરન્ટ્સને તો જીવવાનો પણ અધિકાર નથી કે જે વધુ ટકા લાવવા માટે દબાણ કરતા હોય જેના કારણે સંતાને આત્મહત્યા કરી લીધી હોય!

અગાઉ પણ આ કોલમમાં અનેક વાર લખી ગયો છું કે એસએસસીમાં કે એચએસસીમાં 95 ટકા કે 98 ટકા લાવનારા ઘણા વિધ્યાર્થીઓ પછી અકાઉન્ટન્ટ તરીકે કે કારકુન તરીકે તરીકે જિંદગી વિતાવી દેતા હોય છે. અને એસએસસી કે એચએસસીની પરીક્ષામાં નિષ્ફળ સબિત થનારા વિધ્યાર્થીઓ જગમશહૂર થાય એવા કેટલાય કિસ્સાઓ પણ હું લખી ગયો છું. મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન બાળપણમાં સ્કૂલમાં ભણતા હતા ત્યારે અત્યંત ઠોઠ વિદ્યાર્થી ગણાતા હતા. તેમના શિક્ષકોએ તેમની માતાને બોલાવીને કહી દીધું હતું કે તમે તમારા છોકરાને સ્કૂલમાંથી ઊઠાડી લો. આ છોકરો ભણવામાં કશું ઉકાળી નહીં શકે!

વધુ ટકા લાવવા માટે ઊંધું ઘાલીને મચી પડનારા તથા પરીક્ષાના ખોફ હેઠળ જીવતા વિધ્યાર્થીઓને અને સંતાનો પર પ્રેશર કરનારા પેરન્ટ્સને નિત્ય પ્રાતઃકાળે આવા કિસ્સાઓનું સાત વખત પઠન કરવાની ફરજ પાડવી જોઈએ.

***