Sundarta mate saral tips - 11 books and stories free download online pdf in Gujarati

સુંદરતા માટે સરળ ટિપ્સ - ૧૧

સુંદરતા માટે સરળ ટિપ્સ

ભાગ-૧૧

સંકલન- મિતલ ઠક્કર

ઉનાળામાં સુંદરતા માટે ચંદન સૌથી ઉપયોગી સાબિત થાય છે. તેને શ્રેષ્ઠ સનસ્ક્રીન ગણવામાં આવે છે. નેચરોપેથીના પ્રયોગ મુજબ ચંદન અને બદામનું તેલ ભેગું કરવાથી સનસ્ક્રીન તૈયાર થાય છે. આપણે જાણીએ જ છીએ કે તેના ગુણોને કારણે ચંદનનો ઉપયોગ સાબુ, પાઉડર, તેલ, ક્રીમ વગેરે અનેક વસ્તુઓમાં કરવામાં આવે છે. ખીલ અને તેના ડાઘ પર ચંદનનો લેપ લગાવવાથી તે ધીમે ધીમે દૂર થવા લાગે છે. ચહેરાની કાળાશ પણ દૂર કરે છે. એ માટે ચંદન અને બદામને કાચા દૂધમાં ઘસીને લગાવવાનું રહે છે. સપ્તાહમાં એક દિવસ વીસ મિનિટ માટે ચંદન ચહેરા પર લગાવવાથી વધતી ઉંમર સાથે પડતી કરચલીઓ અટકે છે. ત્વચાને ચમકદાર બનાવવી હોય તો ચંદન સાથે હળદર અને મુલતાની માટી ભેળવી ચહેરા પર લગાવવાનું. બગલમાંથી વાસ આવતી હોય તો ચંદનના પાઉડરમાં ગુલાબજળ લગાવીને લગાવવાથી ફાયદો થાય છે. સૌંદર્યમાં વધુ લાભ માટે ચંદનનો પાઉડર ઉપયોગમાં લેવાને બદલે ચંદનની લાકડીને ઘસીને ઉપયોગમાં લેવાની સલાહ અપાય છે. શરીર અને ત્વચાની સુંદરતાની સંભાળ માટે શક્ય હોય ત્યાં સુધી કુદરતી ઉપચાર વધુ સારા છે. પણ એટલું યાદ રાખો કે કોઇપણ કુદરતી ઉપાયોથી તરત પરિણામ મળી જતું નથી. થોડો સમય રાહ જોવી પડે છે.

* ઉનાળામાં વાળની સુંદરતા જાળવી રાખવા કેટલીક સલાહ ધ્યાનમાં રાખવાની જરૂર છે. વાળને હીટના ઓછામાં ઓછા ઉપયોગથી સ્ટાઇલ આપો. નિયમિત રીતે વાળમાં હેર સનસ્ક્રીન ક્રીમ અને કન્ડિશનરનો ઉપયોગ કરતા રહો. બહાર નીકળો ત્યારે વાળ ઉપર સૂરજના કિરણો સીધા ના પડે એ રીતે તેને કવર કરીને રાખો.

* ગરમીમાં પરસેવાની ગંધ દૂર કરવા ડિયોનો ઉપયોગ ટાળવો જોઇએ. કેમકે તેમાં કેમિકલ્સ વધારે હોય છે. તે ગંધને દબાવે છે. એના બદલે ટેલ્કમ પાઉડર અથવા સુગંધિત સાબુનો ઉપયોગ કરો. તેનાથી તાજગી વધુ અનુભવાશે.

* ત્વચા સાફ રહે અને ઢીલી ના થાય એ માટે ફેસિયલની આવશ્યક્તા રહે છે. પણ ફેસિયલ કરાવ્યા પછી સૂરજના તાપમાં નીકળવાનું ટાળવું જોઇએ. ફેસિયલથી ત્વચા સંવેદનશીલ થવા સાથે તેના રોમ છિદ્રો ખૂલી જવાથી તાપમાં ત્વચાને નુકસાન થઇ શકે છે. ઉપરાંત ફેસિયલ પછી ભારે મેકઅપ કરવો ના જોઇએ. અને જો આઇબ્રો કરાવવાની હોય તો ફેસિયલ કરાવતા પહેલાં જ કરાવવાનો આગ્રહ રાખવો.

* દિવસ દરમ્યાન ભારેને બદલે હળવો મેકઅપ ત્વચાની સંભાળ માટે વધુ યોગ્ય છે.

* આઇબ્રો કુદરતી રંગની દેખાય એ માટે માથાના વાળનો રંગ હોય એને મળતી આવતી આઇબ્રો પેન્સિલ વાપરવાની.

* તૈલીય ત્વચા હોય તો જેલ કે લોશન વધુ યોગ્ય રહે છે. કેમકે ક્રીમમાં તેલ વધુ હોય છે. સૂકી ત્વચા માટે ક્રીમ વધુ યોગ્ય રહે છે.

* તૈલીય ત્વચા ધરાવનારાએ મેકઅપ ના કરવો જોઇએ. જો કરવો જ હોય તો પાઉડર બેઝડ કરી શકાય. અને મેકઅપની જરૂર ના રહે ત્યારે તરત જ કાઢી નાખવો જોઇએ.

* પગની સંભાળ માટે બુટ પહેરવા વધુ યોગ્ય છે. જો સેન્ડલ પહેરવા હોય તો અંગુઠાવાળા મોજા પહેરી લેવા જોઇએ.

* કોણી કે ઘૂંટણની કાળાશ દૂર કરવા લીંબુની છાલ પર દળેલી ખાંડ લઇ તે ઓગળી ના જાય ત્યાં સુધી ઘસવાનું.

* સામાન્ય ત્વચાને સ્વચ્છ બનાવવા અને તેની જાળવણી માટે ગાજરનો રસ ચહેરા પર લગાવવો. એ સુકાઇ જાય પછી ચહેરો ધોઇ નાખવો.

* મધ્યમ ત્વચા માટે દ્રાક્ષ અને ગાજરને વાટી તેમાં એક ચમચી મધ નાખી ચહેરા પર અડધો કલાક લગાવી ધોઇ નાખવાથી લાભ થશે.

* ત્વચાને મુલાયમ બનાવવા લીંબુના રસમાં દૂધ અને જવનો લોટ ભેળવી લગાવવું.

* જો વાળ ઘટ્ટ હોય તો હમેશા પહોળા દાંતાવાળા કાંસકાનો ઉપયોગ કરવો.

* ત્વચા ટેન થઇ હોય તો એક ચમચી એલોવેરા જેલ, એક ચમચી લીંબુનો રસ, ચાર ટીપા કોપરેલ, બે ચમચી ગુલાબજળ અને બે ચમચી મલાઇ લઇ બધું ભેળવી ટેન થયેલી ત્વચાના ભાગ પર લગાવવું. ત્રીસ મિનિટ પછી ભીનું રૂ લઇ સાફ કરવું. નિયમિત રીતે આ પ્રયોગથી ફાયદો થશે.

* વાળ ગુંચવાઇ ગયા હોય ત્યારે પહેલાં કાંસકાથી ગુંચ કાઢવાનું ટાળવું. ધીમે ધીમે આંગળીઓની મદદથી વાળ છૂટા પાડ્યા બાદ કાંસકાનો ઉપયોગ હિતાવહ છે.

* વાળમાંથી ખોડો દૂર કરવા એક વાડકામાં ચાર-પાંચ ચમચી દહીં લો. એમાં ચારેક ચમચી મહેંદી નાખી પાણીથી બંનેને ભેળવો અને વાળમાં લગાવી એક-સવા કલાક રહેવા દો. પછી શેમ્પૂથી ધોઇ લો.

* હોઠ સુકાતા હોય અને કાળા પડી રહ્યા હોય તો રાત્રે મલાઇ લઇ તેમાં ગુલાબની પાંદડીઓ મસળીને પેસ્ટ બનાવી હોઠ પર પંદર મિનિટ લગાવીને ધોઇ નાખો.

* આંખ માટેના સૌંદર્ય પ્રસાધનો બીજાને ઉપયોગ માટે આપવાનું ટાળવું. કેમકે બીજી વ્યક્તિના બેકટેરિયા તમારી આંખોને પ્રભાવિત કરી શકે છે.

* ત્વચાને ગોરી બનાવવા સોયાબીનનો ઉપયોગ કરી શકો છો. સોયાબીન ખાવાથી કે સોયાબિન દૂધ પીવાથી ત્વચા ગોરી બનવા સાથે કરચલીઓ પડવાની પ્રક્રિયા ધીમી બને છે.

* ત્વચાને ગોરી કરવાનો એક ઉપાય. દૂધની મલાઇ લઇ તેમાં થોડું કેસર નાખી રાત્રે ચહેરા પર લગાવી સૂઇ જાઓ અને સવારે મોંને ધોઇ નાખવું. સપ્તાહમાં બે-ત્રણ વખત આ પ્રયોગથી ત્વચા ઝડપથી ગોરી થશે.

* પગના તળિયાની ત્વચાની સંભાળ માટે નહાતા પહેલાં જૈતુનના તેલથી માલિશ કરવાનું રાખવું. અને પંદર મિનિટ બાદ નહાવું. નહાતી વખતે સ્ક્રેપર વાપરીને મૃત ત્વચા દૂર કરવી. પેડિક્યોર પણ કરાવતા રહેવું. ઘરમાં સ્લીપર પહેરીને જ ફરવું. આટલું કરવાથી પગના તળિયાની ત્વચા મુલાયમ રાખવામાં મદદ મળશે.

* કાજળ અને મસ્કરા સુકાઇ ગયા હોય તો તેનો ઉપયોગ ના કરશો. સુકાયેલા કાજળમાં પાણી કે થૂંક નાખીને ઉપયોગ કરવાની ભૂલ ના કરશો.

* જો લિપસ્ટિક વધારે ચીકણી થઇ ગઇ છે તો એનો મતલબ તેમાં તેલ સુકાઇ ગયું છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચાને એલર્જીનું જોખમ રહે છે. લિપસ્ટિક લગાવતાની સાથે જ એ હોઠ પર બરાબર બેસી જવી જોઇએ.

* તૈલી ત્વચા પરના બ્લેકહેડ્સ દૂર કરવા ચણાના લોટમાં સહેજ હળદરનો પાઉડર, ગુલાબજળ અને દૂધ નાખી તેની પેસ્ટ બનાવી લો અને ચહેરા પર હળવા હાથે મસજ કરી પાણીથી ધોઇ નાખો.

* નિયમિત રીતે એટલે કે રોજેરોજ ચહેરા પર દહીંથી હળવા હાથે માલિશ કરવામાં આવે તો ત્વચાનો રંગ નિખરી ઉઠે છે.

* ખરતા વાળને અટકાવવા ડુંગળીના રસનો વાળમાં ઉપયોગ કરવો જોઇએ. ડુંગળીના રસને વાળમાં લગાવી અડધા કલાક પછી શેમ્પુથી વાળને ધોઇ નાખવા. આમ કરવાથી વાળ ખરતા અટકે છે અને પાતળા પણ થતા નથી.

* ત્વચાની ચમક વધારવા માટે સફરજન-ગાજરનો જ્યુસ ઉપયોગી છે. એ માટે અડધા સફરજન સાથે ચાર ગાજર અને એક ટીસ્પુન આદુની પેસ્ટને મિક્સરમાં પીસી ગાળીને જ્યુસ પીઓ. આ જ્યુસથી દરેક પ્રકારની ત્વચાની ચમક વધે છે.

* હાથની ત્વચા મુલાયમ રહે એ માટે સ્નાન પછી બોડીલોશન કે મોશ્ચરાઇઝર લગાવવાનું ભૂલશો નહીં. અને ઘર બહાર નીકળતી વખતે સનસ્ક્રીન ક્રીમ હાથ પર લગાવવું જરૂરી છે.

* હાથની મૃત ત્વચા નીકળી જાય એ માટે સમયાંતરે મેનીક્યોર કરાવવું જરૂરી છે.

* નેઇલ પોલીશનો વધારે ઉપયોગ કરવાથી નખ નબળા થઇ ખરી શકે છે અને તેની કુદરતી ચમક ઓછી થઇ શકે છે.

* બ્લશર ગુલાબી લગાવવાને બદલે ઓરેન્જ અને પિચ બ્લશરને ભેગું કરીને લગાવવું જોઇએ. ત્વચાના રંગને અનુરૂપ બ્લશર વધારે સોહી ઉઠે છે.

* ચહેરા પરની કાળાશ અને કરચલીઓથી છૂટકારો મેળવવા ચહેરા પર તુલસીના પાનનો રસ લગાવવો.

* દર સપ્તાહે પેડિક્યોર કરવાથી પગમાં રહેલો કચરો દૂર થવા સાથે ત્વચા મુલાયમ બને છે. પગને સ્વચ્છ અને સુંદર રાખવા ઘરે પેડિક્યોર કરવા એક ટબમાં ગરમ પાણી લો. તેમાં સફેદ વિનેગર અને મીઠું નાખી હલાવો. પછી ટબમાં પગ પલાળી રાખો અને ફૂટ સ્ક્રબરથી પગના તળિયાની સફાઇ કરો. ગરમ પાણીના ટબમાં શેમ્પુ નાખીને પણ પગ રાખવાથી સાફ થાય છે.

* યુવાનીમાં આંખ નીચે કાળા કુંડાળા પડી જાય તો બદામનું તેલ લગાવો. તેમાંનું વિટામિન ઇ કાળા સર્કલને ઝાંખા કરવામાં મહત્વની કામગીરી કરે છે.

* જે મહિલાના ઉપરના હોઠ પાતળા અને અને નીચેના મોટા હોય એમણે લિપસ્ટિક લગાવતા પહેલાં ધ્યાનમાં એ રાખવાનું કે લિપલાઇનરથી લાઇનિંગ કરી લેવાની. પછી હાઇ પિગમેન્ટ ગ્લીટર લગાવવાનું.

* વાતાવરણમાં ફેરફાર અને પ્રદૂષણને કારણે પણ શરીરના અમુક ભાગની ત્વચા કાળી પડવા લાગે છે. શરીરના જે ભાગ પર કાળાશ દેખાય ત્યાં કેળું અને પાકા પપૈયાનો ગર ભેગો કરી થોડીવાર ઘસી દસ-બાર મિનિટ પછી ધોઇ નાખવું. આ પ્રયોગથી કાળાશ દૂર થવા સાથે ત્વચાનો મૂળ રંગ આવવા લાગે છે. અને ત્વચા કાળી પડી રહી હોય ત્યારે વિટામિન 'સી' યુક્ત ખોરાકથી લાભ થાય છે. વિટામિન 'સી' થી ભરપૂર સંતરા, લીંબુ પાણી વગેરેના સેવનથી ત્વચાની ચમક વધે છે.