Are you a Robot? books and stories free download online pdf in Gujarati

શુ તમે રોબોટ છો?

શુ તમે રોબોટ છો?
કોઈપણ ફેમસ કથાકાર અને ઉપદેશક એક પબ્લિક ફિગર હોય છે. કોઈ નેતા કે લીડરના શબ્દો પણ જાહેરમાં નોંધ લેવાતી હોય છે. એમના વાણી વર્તનની નોંધ લેવાય છે. અહીં ધાર્મિક સંત , સાધુ કે બાવા બનવા કોઈ ડીગ્રીની જરૂર નથી. અહીં નેતા બનવા પણ ભણતરની જરૂર નથી. ગમે તે વ્યક્તિ ધર્મગુરુ બની અબજોનો સ્વામી બની જાય છે અને ગમે તે વ્યક્તિ નેતા બની કરોડો રૂપિયા બનાવી જાય છે. આવા પૈસાનો કોઈ વ્યવસ્થિત ઉપયોગ થતો નથી, નેવું ટકા વેડફાય છે અને તિજોરીઓમાં બિનઉપયોગી પડ્યા રહે છે. તમે રોબોટ બની એવા લોકોની પાછળ પાછળ ચાલો છો.
હું તો એમ કહું છું કે ભવિષ્યમાં હજી આનાથી ખરાબ સમય આવશે, ગરીબ લોકોને ભૂખે મરતા અટકાવવા હોય તો ધર્મના નામે ઓછું દાન કરો, પહેલા કરતા હતા એના 10 ટકા કરી નાખો. આપ લોકના સહયોગથી કરોડો રૂપિયાના મંદિરો બનાવ્યા તો દરેક તાલુકા મથકે સુપર ડુપર હોસ્પિટલો બનાવો. સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ ઓછી હોય છે.
આનાથી પણ ભયંકર મુશ્કેલીઓ આવનારા સમયમાં આવી શકે છે. માનીલો કે યુદ્ધ થયું ભારતનું બીજા કોઈ દેશ જોડે અને આપણને ખૂબ માર પડ્યો. અહીં ભારતમાં ખૂબ વિનાશ થયો. ત્યારે લાખો કરોડો ગરીબ ભારતીયોની મદદ કેવી રીતે કરશો? અત્યારે પણ તમે જ જોઈ લો કે ઘણી સંસ્થાઓ લોકોને મદદ કરી રહી છે, સરકાર પણ કરોડો માણસોને એકીસાથે ક્યાંથી મદદ કરી શકે! અસામાન્ય સંજોગોમાં સરકારની તિજોરી પણ સાફ થઈ ગઈ હોય છે.
આવા જ કપરા કાળમાં સૌની કસોટી થાય છે, જે પ્લાસ્ટિકના રમકડાં હોય છે તે ઓગળી જાય છે અને લોખંડના તપીને આગળ આવે છે. સોનુ સુદ અને બ્રિટનના કેપ્ટન ટોમ મુરે દુનિયાને દેખાડ્યું કે અસલી હીરો કેવા હોય, અરે! અસલી માનવ કેવા હોય!
એક સત્ય અનાદિકાળથી ચાલ્યું આવે છે, કે એવા હીરો ટાઈપ, ભગવાન જેવા, સંત જેવા માનવીઓ માટે વિરોધીઓ પણ જન્મ લેતા હોય છે, આપ થોડું ઊંડું વિચારો તો વિરોધીઓ અને શત્રુઓ પણ એટલાજ જરૂરી છે, તો જ એમનું હીરોપણું, સંતપણુ, ભગવાનપણુ બહાર આવે, એની કિંમત થાય. રાવણ, દુર્યોધન કે કંશ સાવ માયકાંગલા, બીમાર , કમજોર કે સુકલકડી હોત તો રામ, કૃષ્ણના પરાક્રમોની કોઈ નોંધ લેત નહિ. અરે એવું બને આપણે એમને ભગવાનનો દરજ્જો પણ આપ્યો ન હોત. કોઈ એમને ઓળખતું જ ન હોત, એમની કથાઓ કરનાર કથાકારો અને ઉપદેશકો પણ ન હોત!!
દોસ્તો, સંત તો એ કહેવાય જે પોતાના ક્ષણભંગુર દેહ, કે જીવની પરવાહ કર્યા વિના લોકોને મદદ કરવા પહોંચી જાય.
દોસ્તો, વીર તો એ કહેવાય જે મંદીરના રક્ષણ માટે અથવા ધર્મનાં રક્ષણ માટે અથવા તો સ્વત્રંતતાના સંગ્રામમાં શહીદ થયા છે. એવુ અણનમ વીરત્વ દાખવનાર અરઠીલાનાં (લાઠીના) હમીરજી ગોહિલ હતા.
અહીં કોઈના જજ બનવાનો પ્રયાસ નથી, પરંતુ વાતેવાતે કોઈના અમુક તમુક સ્ટેટમેન્ટ ઉપર હોહા, હૉબાળો ન મચાવો. સત્ય દેખાય છે એનાથી ઘણું અલગ હોય શકે છે. થોડા ટોલરન્ટ બનતા શીખો. દરેકને પોતાના મંતવ્યો આપવાનો હક છે. તમે કઈ રોબોટ છો કે બીજો માણસ ત્રીજાને કઇક કહે એટલે તમારી કમાન છટકે અને દુઃખી થાવ છો. મામુલી વાતોમાં રિએક્શન આપવું ન જોઈએ, ઉગ્ર ન થવું જોઈએ, માનસિક શક્તિનો વ્યય છે. આ વિશાળ દેશમાં રોજબરોજ હજારો ઘટનાઓ બનતી હોય છે, જે ઉપર આપણો ડાયરેકટ કંટ્રોલ હોતો નથી અને નથી આપણી જવાબદારી.
પરંતુ માણસ જ્યારે કોઈ એક આઈડીઓલોજીથી અતિશય પ્રભાવિત થઈ જાય તો એ વિરુદ્ધ ટીકા સાંભળી નથી શકતો. એનું મન અશાંત થઈ જાય છે. આપણી લાગણીઓ કાબુમાં રાખો. કોમી રમખાણો એટલે જ ઝડપથી ફેલાઈ જાય છે, કોઈ અફવા આવી કે તોફાન ચાલુ.
પણ દોસ્તો, સાચા સંત કે સાચા વીર કે સજ્જન માણસ હોવું એ અદભુત ઘટના છે . તમારા વ્યક્તિત્વનું ઘડતર કરો. રોબોટ ન બનો.