pragatina panthe - 4 books and stories free download online pdf in Gujarati

પ્રગતિના પંથે - 4 - જ્યોતિ બિંદુ

પ્રગતિના પંથે

(પ્રેરણાત્મક વાર્તાઓ)

4

જ્યોતિ બિંદુ

યુગો પુરાની વાત છે. અંધકારમાં વિલીન થવાની થોડી વાર પહેલા સુરજે ધરતી પર રહેલ સમગ્ર સજીવ - નિર્જીવ સૃષ્ટિને સંબોધીને કહ્યું, હવે મારા વિદાયની ઘડી આવી પહોંચી, મારા ગયા પછી પૃથ્વીને કોણ અજવાળશે? (ત્યારે વીજળીની શોધ નહોતી થઇ.)

સમગ્ર જડ - ચેતનથી ઉભરાતી પૃથ્વીમાં સર્વે સજીવ - નિર્જીવ પદાર્થો નિઃશબ્દ થઇ ગયા, એક માત્ર કોડીયાએ દબાતા અવાજે કહ્યું હું મારાથી બનતી મહેનત કરીશ. આ સાંભળી સૂર્ય દેવતાએ સંતોષનો શ્વાસ લીધો અને ધીરે ધીરે ક્ષિતિજની પેલે પાર વિલીન થઇ ગયા.

સાહિત્ય ક્ષેત્રે દુનિયામાં નામી અનામી સિતારાઓ ચમકીને આથમી ગયા. ત્યારે જ્યોતિબેને નક્કી કરી લીધું મારાથી સાહિત્ય ક્ષેત્રે જે કાંઈ બને તે હું કરી છૂટીશ.

“ આ જગતમાં કોઈને કોઈ માટે પ્રેમ હોતો જ નથી, હોય છે માત્ર નિજી અપેક્ષાઓ અને સ્વાર્થ, દરેકને શરીરની જરૂર હોય છે હૈયાની નહિ આ શબ્દોથી જ્યોતિબેન આપણાં સમાજની કડવી વાસ્તવિકતા રજુ કરે છે. જ્યોતિબેનના જીવનમાં એવું કશું બન્યું છે જેને લીધે તેઓ પ્રેમ શબ્દ પર જ ચોકડી મારી દે છે. કદાચ આ જીવનની વાસ્તવિકતા પણ હોઈ શકે.” -જ્યોતિબેન

તારીખ 4 નવેમ્બર, ઈસવીસન 1954 ધોળકા ગામમાં સુરજ અસ્ત થવાની તૈયારીમાં હતો. પણ આજે સૂરજને વિલીન થવાનું દુઃખ નહોતું, આજે તેના નાના એક કિરણ જેવી જ્યોત સાંજે સાત વાગે ધોળકામાં જન્મ લઇ ચુકી હતી. અને આ જ્યોત પુરુષ સ્થાપિત અંધકાર સામે લાડવા માટે પોતાની બધી જ શક્તિ ખર્ચી નાખવાની હતી.

તારીખ 09 ઓકટોબર 2016 ના રવિવારે બપોરના ત્રણેક વાગ્યે હું તેમના ઘરની ડોરબેલ દબાવું છું ત્યારે કયો પ્રશ્ન પહેલો પૂછવો તેની અવઢવમાં ડ્રોઈંગ રૂમમાં બેઠો વિચારી રહ્યો છું જ્યોતિબેન મારા માટે ચા લઇ આવે છે.

હું ચા પીને હજુ પ્રશ્ન પૂછવાની શરૂઆત કરું ત્યારે એક ધારદાર સવાલ જ્યોતિબેન મારી તરફ ફેંકે છે, ઇન્ટરવ્યૂ માટે મારી જ પસંદગી કેમ?

જુવો મારે તો ઝવેરચંદ મેઘાણી, અને કનૈયાલાલ મુન્શીનો ઇન્ટરવ્યૂ લેવો હતો, પણ તેઓ તો આ દુનિયામાં નથી, બીજું મારા મનમાં એક નામ શરીફાબેન વીજળીવાળાનું હતું. પણ તેઓ વ્યસ્ત છે, હાલ સમય આપી શકે તેમ નથી.

ત્યારબાદ મેં અર્ચનાબેન ભટ્ટ પટેલનો ઇન્ટરવ્યૂ લેવાનું વિચાર્યું, તેમણે મને તમારું નામ સૂચવ્યું. મેં જવાબ આપ્યો.

અચ્છા, તમે એક પુરુષ છો, તમે એક સ્ત્રીની લાગણી, સંવેદના, કેટલી ઊંડાણથી સમજી શકશો? તેમણે બીજો સવાલ પૂછ્યો. આનો જવાબ ન તો મારી પાસે હતો. અને કદાચ બીજા પુરુષો પાસે પણ તેનો જવાબ નહિ હોય. તેમના સવાલે મારી ભીતર એક ગડમથલ જરૂર શરુ કરી દીધી.

પછી જ્યોતિબેન મને તેમના ઘરની નજીક આવેલ કોફી શોપમાં લઇ જાય છે. તેઓ કહે છે કે નિરાંતે વાતો કરવી હોય તો તે અનુકૂળ પડશે.

પોતાના બાળપણની વાત કરતા જ્યોતિબેનનો ચહેરો બાળક જેવો નિર્દોષ અને રમતિયાળ થઇ જાય છે. જાણે તેઓ પોતાના બાળપણની સ્વપન સૃષ્ટિમાં સરી પડે છે.

જ્યોતિબેનનો જન્મ 4 નવેમ્બર 1954 ની સાંજે ધોળકા ગામે થયો, નાનપણથી માતાની બીમારીને કારણે માતાથી દૂર રહેવું પડે છે. માતાની ગેરહાજરીમાં પિતા એક દોસ્ત એક રાહબર તરીકે ઉભરી આવે છે. પિતાનું પ્રેમાળ વ્યક્તિત્વ તેમના મનમાં એક અમીટ છાપ ઉભી કરે છે.

પિતાના પ્રેમાળ વ્યક્તિત્વથી જ્યોતિબેનના મનમાં એક છાપ ઉપસી આવે છે કે પુરુષ પ્રેમાળ, ધીરજવાન અને સમજદાર જ હોય.પણ જેમ જેમ ઉંમરના પડાવમાંથી પસાર થયા બાદ જ્યોતિબેનને સમજાય છે કે મોટાભાગના પુરુષો તેના પિતા જેવા નથી હોતા. પુરુષ એટલે માત્ર પુરુષ જ હોય.

પિતાની સરકારી નોકરીને કારણે જ્યોતિબેનને જુદા જુદા શહેરમાં જવાનું થાય છે. ભણતરનું પહેલું કદમ અમદાવાદની એક સરકારી શાળામાં થાય છે પહેલા ધોરણથી પાંચ ધોરણ સુધી ત્યાં અભ્યાસ કરે છે. અને ત્યાર બાદ પિતાની બદલીને લીધે ભણતરનો બીજો પડાવ ધોરણ છથી ધોરણ અગિયાર સુધી અમરેલીની જીજીબેન વિઠલાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે.

ધોરણ 6 થી ધોરણ 11 શિક્ષણની કેડીનો બીજો અધ્યાય અમરેલીમાં શરુ થાય છે. ધોરણ છથી ધોરણ અગિયાર સુધી અમરેલીની જીજીબેન વિઠલાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. કેટલીય સહેલીઓ, સખીઓ જોડે હિંચકે બેઠા, ત્યાંની અલગ અલગ રમતો રમ્યાં તે બધું આજ પણ જ્યોતિબેનના સ્મૃતિ પટલ પર તાદ્દશ છે. સહિયરો સાથે ગોઠી ગયું છે પણ પપ્પાની બદલી જૂનાગઢ થાય છે. ત્યારે જ્યોતિબેન અને તેમની સહીયરોની આંખોમાં આંસુઓ પાળ તોડીને ધસમસતા બહાર આવી જાય છે જે કેમેય કરીને રોકી શકાતા નથી અશ્રુ ભીની આંખે જ્યોતિબેન સહીયરોથી વિદાય લે છે. ભારે હૈયે સહીયરોને છોડવી પડે છે. અને જ્યોતિબેન ફરીવાર એક નવા શહેર જૂનાગઢની વાટ પકડે છે.

શરૂઆતના બે વર્ષ તેઓ જૂનાગઢની વહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરે છે તેમના પપ્પાની બદલી પાછી અમદાવાદમાં થાય છે એટલે બાકીના બે વરસ અમદાવાદમાં " સરદાર વલ્લભભાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી સ્નાતક થાય છે.( તે સમયમાં કોલેજના ચાર વરસ ભણવાનું રહેતું. )

આ સમય ગાળા દરમ્યાન જ્યોતિબેનને ડગલે ને પગલે સંઘર્ષનો સામનો કરવો પડે છે. તેઓ સંઘર્ષ સામે લડવાની અને ઝઝૂમવાની શક્તિ અને સમજ કેળવી લે છે.

આ સમય ગાળા દરમ્યાન જ તેમને સતીષ ભટ્ટ નામના યુવાન જોડે ઓળખાણ થાય છે. સતીષ ભટ્ટ મારા તરફ આકર્ષાય છે અને સિદ્ધિ લગ્નની દરખાસ્ત મૂકે છે. હું મૂંઝણમાં મુકાઈ જાઉં છું, સતીષ ભટ્ટે જ્યોતિબેનના પિતાને પણ પોતાના નિર્ણયની જાણ કરી દીધી હોય છે.

જ્યોતિબેન તેમના પપ્પાને પોતાની મૂંઝવણ જણાવે છે, તું તેને પ્રેમ કરતી હોય અને તને સતીષ ગમતો હોય તો તું લગ્ન કરી લે. પપ્પા જવાબ આપે છે.

સાચું કહું તો ત્રિકુભાઇ, આ પ્રેમ કરવાની વાત મને આ ઉંમરે પણ નથી સમજાતી, અને રહી ગમવાની વાત તો ગમતી વ્યક્તિના ગાઢ સંપર્કમાં આપવવાથી તે અણગમતી વ્યક્તિ પણ બની શકે છે. અને " પ્રેમ" એ એટલી ઉદાત્ત ભાવના છે જે કરવાનું સામાન્ય માણસનું ગજું જ નથી. જ્યોતિબેનના ચહેરા પર અકળ ભાવો ઉપસી આવે છે જે મારી સમજની બહાર છે.

તારીખ 29/ 5/ 1975 માં મારા લગ્ન લેવાયા હું મારા ચાર વ્યક્તિના નાના કુટુંબમાંથી સીધી જ દસ વ્યક્તિના કુટુંબમાં વહુ બની આંખોમાં શમણાં લઈને જઈ ચડી. અને તે પણ અમદાવાદ જેવા મોટા શહેરમાંથી એક અંતરિયાળ ગામડામાં.

હું તો પ્રેમના શમણાં આંખોમાં આંજીને બેઠી હતી, જયારે સાસરીમાં ઘૂમટો તાણવાનો. પ્રેમની વાત તો જવા દો ભાઈ અહીં તો સાસરિયાના કોઈને દેખતા પતિ સાથે વાત પણ ન થાય. બે નણંદ અને એક દિયરના નિશાળના લેશનમાં ફરજીયાત મદદ કરી આપવાની.

પતિ સાથે બહાર જવાની ઘણી ઈચ્છા થાય પણ ઘરનું કામ તો ઘરનું કામ તો વહુને જ કરવાનું હોય તેવો વણ લખ્યો નિયમ. મને લાગતું કે મારા બધા જ અરમાનોની હોળી થઇ રહી છે પણ દરેક અંધકાર પાછળ એક ઉજાશ રહેલ હોય છે. મારા સસરાની ઈચ્છા હતી કે હું આગળ ભણું. તેમણે મને અમદાવાદની M N ભારતીય એજ્યુકેશન કોલેજમાં બી. એડ. માં એડમિશન અપાવ્યું. હવે મનમાં હાશ થઇ થોડી સ્વતંત્રતા તો મળી.

પણ આ આટલું સહેલું નહોતું, સોમવારથી શુક્રવાર મમ્મીને ત્યાંથી કોલેજ જવાનું, શુક્રવારે કોલેજ એટેન્ડ કરી ધોળકા જવાનું. ખુબ ભૂખ લાગી હોય ત્યારે સાસરીમાં જે વધ્યું ઘટ્યું હોય તે લુખું સૂકું ખાઈ લેવાનું. હવે શનિવારે અને રવિવારે કામનો બોજો વધી જાય. અને સોમવારે સીધું કોલેજ નીકળી જવાનું. એટલું વહેલું નીકળવાનું હોય કે રસોઈ તો બની જ ન હોય અને પાછું સીધું કોલેજે જવાનું. સોમવારે કુદરતી રીતે એકટાણું થાય કારણ કે મમ્મીના ઘેર જવું ત્યારે જમવાનું નસીબ થાય.

અધૂરામાં પૂરું આ દરમ્યાન જ હું પ્રેગ્નેટ થઇ, સાસુમાને હમણાં બાળક જોઈતું નહોતું. તેમણે દેશી ઓસડિયાં પાઈને ગર્ભ પાડવાના બહુ પ્રયત્ન કર્યા. દવાઓ પણ કરી પણ ઈશ્વરને કંઇક જુદું જ મંજુર હતું. અને મારે ઘેર એક સુંદર પરીનું આગમન થયું. પ્રથમ વાર માં બનવાનો અનુભવ વર્ણવી ન શકાય તેવો હતો.

હું તો મારી પરીને જોઈને ખુબ આનંદિત હતી, પણ મારા સાસરિયામાં તો પોતાનો વારસ જોઈતો હતો, મારી સાસુને તો છોકરો જ જોઈતો હતો, તેમનું વર્તન બદલાઈ ગયું જેને લીધે મારા હૃદય પર એક ઊંડો ઘાવ થયો. હું બીમાર રહેવા લાગી. અધૂરામાં પૂરું મને લો બ્લડ પ્રેસરની બીમારી થઇ.

પતિ - પત્ની વચ્ચેના મતભેદો શરૂઆતથી જ હતા તે ચરમ સીમા પર પહોંચ્યા. સાસુ પણ હવે વેરો અંતરો રાખવા લાગ્યા એવામાં ફૂલ જેવી દીકરીને જોઈને જીવવાનો નવો ઉત્સાહ સંચરવા લાગ્યો. મારુ પૂરું ધ્યાન મેં મારી દીકરી પર કેન્દ્રિત કરી દીધું.

ચરમસીમાના મતભેદ એટલે કેવા મતભેદ? મારાથી અનાયાસ પુછાય જવાયું.

દીકરી ખોળામાં બેસીને દૂધ પીતી હોય અને બરડા પર પતિનો માર પડતો હોય.

ઓહ નો, મારાથી એકદમ ખિન્ન થઈને બોલી જવાય છે.

મને મારુ ગામ યાદ આવી ગયું જ્યાં ઘણી પરિણીતાઓએ કૂવો પૂરેલ, ત્યારે મારા નાના મનમાં એક પ્રશ્ન હંમેશા ઉઠતો, આખરે શા કારણે સ્ત્રીઓ પોતાનું જીવન ટૂંકાવી દેતી હોય છે. આજે તેનો જવાબ મને મળી ગયો.

આવી વિકટ પરિસ્થિતિમાં જ્યોતિબેન ઝૂક્યા નહિ, પણ ઝઝૂમવાનું મુનાસીબ સમજ્યું.

આવી પરિસ્થિતિમાં બેએક વરસ બાદ તેમના પતિ સતીષ ભટ્ટને સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર માણાવદર ખાતે કારકુન તરીકે નોકરી મળી. જ્યોતિબેને વિચાર્યું કે પતિ-પત્ની એકલા રહેવાથી તેઓ એક બીજાને સમજી શકશે. પરંતુ ત્યાં જુદો જ પ્રશ્ન ઉપસ્થિત થયો કે કોઈપણ ભોગે સાસરીમાં પગારમાંથી દર મહિને 300 રૂપિયા મોકલવાના જ.

તેમના પતિનો પગાર માત્ર રૂપિયા 512 તેમાંથી 300 રૂપિયા સાસરિયામાં મોકલવાના, રૂપિયા 100 ઘર ભાડું, અને રૂપિયા 100 દર મહિને ઘર ખર્ચ, હવે કોઈ મહેમાન આવે કે અમારે ક્યાંય આવવા જવાનું હોય અને ઘરમાંથી કોઈ બીમાર હોય તો?

ઘર ચલાવવાવાનો સરવાળો કેમેય ફિટ બેસે નહિ, ફરી સંઘર્ષનો દોર શરુ થયો, જ્યોતિબેન કાલા ફોલવા ( સૂકા કપાસ ભરેલ જીંડવામાંથી કપાસ કાઢવો.) વાયરના થેલા બનાવવા, અને બીજા નાના મોટા કામ કરવાલાગ્યા. અરે મકાન માલિકના ઘેર કચરા પોતા કરવા પણ જ્યોતિબેન જતા.

તેમના પતિએ પણ ઓડિટ કામ કરવાનું સ્વીકાર્યું જેથી ટી એ, ડી એ, મળે પણ આ માટે તેમને મહિનાના 23 દિવસ બહાર રહેવાનું થતું. જ્યોતિબેને ઘેર ચાર જણને જમાડવાનું પણ શરુ કર્યું જેથી વધારાની આવક થાય.

પડે છે ત્યારે સઘળું જ પડે છે, તેમ નાની બાળકી અર્ચનાને ગળામાં ગાંઠો નીકળી, ડોક્ટરને બતાવ્યું તો ટીબી હોવાનું કહ્યું. પણ તેમ હિમંત હારે તો જ્યોતિબેન કેમ કહેવાય? ફટાફટ નિર્ણય લેવાયો. નાના ગામમાં સારવાર કરાવવા કરતા અમદાવાદ સારવાર કરાવવી સારી એમ સમજી અર્ચનાની સારવાર અમદાવાદ કરાવવાનું નક્કી કર્યું.

દર મહિને જ્યોતિબેન અર્ચનાને લઈને અમદાવાદ બતાવવા આવતા, ડોક્ટર યોગ્ય દવા આપતા. આવી રીતે સતત બે વરસ સુધી દવા લેવી પડી. અને અર્ચનાને બાલમંદિરમાં પણ ભણવા મોકલી. જેવો બાળકીનો દવાનો કોર્ષ પૂરો થયો અને બીજા બાળક ચિરાગનો જન્મ થયો.

સતીષભાઈની બદલી ભાવનગર થઇ, બંને બાળકો સાથે જ્યોતિબેન અમદાવાદ રહે અને સતિષભાઈ એકલા ભાવનગર જાય તેવું નક્કી થયું.

1983 માં જ્યોતિબેનને PWD માં કારકુન તરીકે નોકરી મળે છે. અમદાવાદના રામનગર પોતાના રહેઠાણથી તેમના નોકરીના સ્થળ L D કમ્પાઉન્ડમાં તેઓ ચાલતા જઈ અને નોકરી પુરી કરી પાછા રામદેવ નગર ચાલીને પરત ફરે છે.

ઈસવીસન 1983 - ગુજરાત સમાચાર દૈનિકના " શ્રી " મહિલા સાપ્તાહિકમાં નિયમિત કોલમ લખવાનું શરુ કરે છે અને કૌટુંબિક કારણોસર ઈસવીસન 2001 માં બંધ કરવું પડે છે. ઈસવીસન 1986 માં તેમનો વાર્તા સંગ્રહ " પરાકાષ્ઠા " પ્રગટ થાય છે.

જ્યોતિબેનના જીવનમાં મુશ્કેલી ઘટવાનું કોઈ નામ નથી લેતી. બાળક ચિરાગ બાર તેર વર્ષનો થતા વારંવાર બેભાન થઇ જાય છે. જ્યોતિબેન આકુળ વ્યાકુળ થઇ આ ડોક્ટરથી તે ડોકટર એમ લગભગ બધાજ ડોક્ટર પાસે ફરી વળે છે. પણ કોઈ નિદાન કરી શકતું નથી.

જ્યોતિબેન પથ્થર તેટલા દેવ ગણે છે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, દરેક જગ્યાએ તેઓ માથું ટેકવે છે. અને અંતે ઈશ્વર પાસે એક માંની જીત થાય છે. એક બાહોશ ડોક્ટર શ્રી રણજિત આચાર્ય ચિરાગના બેભાન થવાનું કારણ પકડી પાડે છે અને જ્યોતિબેન એક સંતોષનો શ્વાશ લે છે.

તેમના પતિ નાટ્ય કલાકાર હોવાથી તેઓ વારંવાર વિદેશ જાય છે. ત્યારે નોકરી કરવી, બે બાળકોનો એકલા હાથે ઉછેર કરવો, બીજી સામાજિક જવાબદારી ઉઠાવવી આ બધામાંથી પણ જ્યોતિબેન સાહિત્ય માટે સમય કાઢી લે છે.

“સ્ત્રી શક્તિ”, “જાગૃતિ”, “સમાંતર”, “ગામડું જાગે છે”, “અકબર – બીરબલ”, “ઠોઠ નિશાળીયો”, “ઝાકળ ઝંઝામાં “એક કલાકાર તરીકે કામ કરી ચૂકેલ જ્યોતિબેનના પતિ સતીષ ભટ્ટને નિર્માણ ક્ષેત્રે હાથ અજમાવવાની ઉત્કટ ઈચ્છા થાય છે.

ગુજરાતી નાટક અને ગુજરાતી ધારાવાહિકમાં પ્રચંડ સફળતા મળવાને કારણે સતિષભાઈ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવે છે. પણ પ્રોફેશનલી અનુભવ ન હોવાને કારણે આ તેમને માટે જોખમી અને વિઘાતક સાબિત થાય છે.

" પ્રગતિના પંથે અને " ગિરિજાશંકર ગોર " ગુજરાતી ધારાવાહિકનું નિર્માણ તેઓ પોતાના હાથમાં લે છે, પરંતુ નિર્માણ ક્ષેત્રે કોઈ જ અનુભવ ન હોવાને કારણે અને બીજા ટેકનિકલ કારણોસર અને મૂળ તો આર્થિક સમસ્યાને કારણે તેમનું કામ અટકી પડે છે.

ત્યાં સુધીમાં તેઓ દેવાના બોજ હેઠળ દબાઈ જાય છે. લેણદારોની ઉઘરાણી, ધારાવાહીનુ અટકી પડેલ કામ, નાટ્ય જગતમાં મેળવેલ નામોશી આ બધાથી બચવા 2001 માં સતિષભાઈ ઘર છોડી વિદેશની વાટ પકડી લે છે.

હવે લેણદારોનો ત્રાસ, લુખ્ખા અને આવારા તત્વો રોજ પોતાના લેણાં નીકળતા પૈસા માટે પઠાણી ઉઘરાણી શરુ કરે છે. આવા અસામાજિક તત્વો સાથે જ્યોતિબેન એકલે હાથે લડે છે. તેઓ હવે રણચંડી બને છે પણ જ્યોતિબેનનું જીવન વધુ અને વધુ સંઘર્ષમય બનતું જાય છે.

2004 માં જ્યોતિબેન પોતાની ઓફિસમાંથી પહેલે માળેથી પરત આવતા દાદરમાં તેઓ લપસી જાય છે અને ગબડતા ગબડતા તેઓ ભોંયતળિયે પટકાય છે. તેમના ડાબા હાથના ત્રણ હાડકા તૂટીને ચૂરે ચૂરો થઇ જાય છે. શરીરના બીજા હાડકામાં પણ મલ્ટીપલ ફ્રેક્ચર થાય છે. કમરનો એક મણકો છૂટો પડી જાય છે.

તેને કારણે તેમના હાથ પગ અને શરીરના બીજા ભાગો પર અકસ્માતના નિશાન રહી જાય છે. જે આજે પણ દેખાય છે. નવાઈની વાત એવી છે કે તેમની કમરનો છૂટો પડેલ મણકો બીજા મણકા સાથે જોડાય જાય છે તેની જાણ છેક ઈસ્વીસન 2015 માં થાય છે. આવા શરીરે જ્યોતિબેન ઘરનું બધું જ કામ જાતે જ કરે છે.

જ્યોતિબેન તેઓ જ્યાં PWD માં નોકરી કરતા હતા તેમના સંસ્મરણો વાગોળે છે. ઈસ્વીસન 2012 માં તેઓ સેવા નિવૃત થાય છે ત્યારે સ્ટાફ દ્વારા તેમને ભવ્ય ફેરવેલ પાર્ટી આપવામાં આવે છે. અને તે ઓફિસમાં જ્યોતિબેન એક માત્ર એવા વ્યક્તિ હતા જેમને તેમણે કરેલા કાર્યોની સુવાસને કારણે આવી પાર્ટી આપવામાં આવે છે. જ્યોતિબેનની વિદાયથી સ્ટાફમાંની મોટા ભાગની સ્ત્રીઓની આંખો ભીની થાય છે.

ઈસ્વીસન 2013 માં જ્યોતિબેનને તેઓ જ્યાં નોકરી કરતા હતા ત્યાંના ઉચ્ચ અધિકારીનો ફોન આવે છે અને તેમને ઓફિસે મળવા માટે બોલાવે છે. અધિકારી જ્યોતિબેનને નિવૃત્તિ પછી પણ કામ કરવા માટે પ્રેમથી આગ્રહ કરે છે. અધિકારી અને સ્ટાફના માણસોની લાગણીને કારણે જ્યોતિબેન ફરી ત્યાં જ કામ કરવાનું શરુ કરે છે.

બરાબર એક વરસ સુધી જ્યોતિબેન નોકરી કરે છે, પરંતુ પતિ વિદેશ જતા રહેવાને કારણે સામાજિક વહેવાર અને ઘરના રોજિંદા કાર્યોને કારણે તેઓ પોતાની મરજીથી નોકરીમાંથી છુટા થાય છે.

2004 માં તેમની મોટી દીકરી અર્ચનાના લગ્ન પ્રસંગની જવાબદારી તેઓ એકલે હાથે ઉપાડે છે. દીકરીના લગ્નની જવાબદારી કોઈ સ્ત્રી માટે એકલે હાથે નિભાવવાનું કામ કેટલું કપરું છે તે તો જ્યોતિબેન જેવી સ્ત્રીઓ જ સમજી શકે.

2013 માં તેમના દીકરા ચિરાગના લગ્ન તેઓ ગોઠવે છે. આ લગ્ન માટે આર્થિક જરૂરિયાત, સમાજના વહેવારમાં રહેવું આ બધું કરવા માટે તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ એકલે હાથે ઝઝૂમે છે અને સમાજ દ્વારા અપાતા ઘાવ સામી છાતીએ ઝીલે છે.

તેમના પતિ 2001 થી 2015 સુધી વિદેશમાં રહે છે. તેમના પતિ વારંવાર રટણ કરે છે કે મેં 14 વરસ વનવાસ ભોગવ્યો પણ મારા મનોપટલ પર સતત 14 વરસ વનવાસ તેમણે નહિ પણ જ્યોતિબેને વનવાસ વેઠયો હોય તેવા પડઘા પડયા કરે છે.

જ્યોતિબેનની પુત્રી અર્ચના પટેલ ભટ્ટ, સાહિત્ય ક્ષેત્રે સારું પ્રદાન કરી ચુક્યા છે. તેમનો પુત્ર ચિરાગ ઇવેન્ટ મેનેજમેન્ટમાં મોટું નામ ધરાવે છે. ચિરાગભાઈ અત્યાર સુધી ઘણા સફળ અને યાદગાર શો કરી ચૂકયા છે.

***