Develop the ability to change thoughts and change lives ... books and stories free download online pdf in Gujarati

વિચાર બદલવાની ક્ષમતા વિકસાવો અને જીવન બદલાશે...

વિચાર બદલવાની ક્ષમતા વિકસાવો અને જીવન બદલાશે...


આપણને મનુષ્ય દેહ મળ્યો છે અને સાથે વિચાર કરવાની ક્ષમતા અને વિવેક બંને વસ્તુ કુદરતે આપણામાં મૂકી છે તેનાથી મોટું વરદાન શું હોઈ શકે.આપણે પોતાના વિચારો રજૂ કરી શકીએ છીએ.જે શક્તિ અન્ય કોઇ જીવને પ્રાપ્ત નથી.
આપણે જીવન જીવીએ છીએ પણ ક્યારેય આપણાં વિચારો કે જેને આધારે આ જીવન નૈયા ચાલે છે તે વિચારોને બદલવા માટે ભાગ્યે જ પ્રયત્ન કરીએ છીએ.જેને કારણે એક સાધારણ કહી શકાય એવું જીવન જીવતા દેખાઈએ છીએ. જયારે આપણી અંદર દરેક એ ક્ષમતાઓ અને સંભાવનાઓ રહેલી છે જે એક સફળ કે મહામાનવ કહી શકાય એ વ્યક્તિમાં હોય છે.
આજનું આધુનિક મનોવિજ્ઞાન તો હકારાત્મક વિચાર શક્તિ ( Positive Phychology ) ઉપર ખુબજ ભાર મૂકે છે.આ વિશ્વમાં કોઈ પણ ઘટના બને છે તે પહેલા તે વિચાર સ્વરૂપે મનમાં જન્મ લે છે.ત્યાર બાદ ભૌતિક જગતમાં તે બને છે.દુનિયાને બદલવાની શરૂઆત આપણી જાતને બદલવાથી થાય છે અને આપણી જાતને બદલવા આપણાં વિચારોમાં પરિવર્તન લાવવું જરૂરી છે.આપણે વિચારોની પસંદગી કરવા સ્વતંત્ર છીએ અને એટલે જ આપણે ઇચ્છીએ એવું જીવન બનાવી શકીએ છીએ.આ દુનિયામાં ભગવાન પછી કોઈ શક્તિશાળી વસ્તુ હોય તો એ તમારું મન છે અને મન એ વિચારોથી બનેલું છે.આપણે બધાએ સાંભળ્યું છે કે જેવા વિચારો કરશો એવું જીવન બને છે છતાં પણ આપણે આપણી વૈચારિક સૃષ્ટિમાં પરિવર્તન લાવી શકતા નથી કારણ કે આપણને ખબર નથી કે આ વિચાર વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે. જેમ આપણે ગાડી ચલાવતા શીખવું હોય તો તેને કોઈની જોડે શીખવી પડે અને પછી જરૂરી પ્રેક્ટીસ પણ કરવી પડે.આમ,વિચારોનું વિજ્ઞાન પણ શીખીને તેની પ્રેક્ટિસ કરવામાં આવે તો તેને જરૂરથી યોગ્ય અને વિકાસની દિશામાં વાળી શકાય છે.સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એ પણ ગીતામાં કહ્યું છે કે મનને અભ્યાસથી વશ કરી શકાય છે અને મિત્રો આ મન વિચારોનું બનેલું છે.ભગવાન બુદ્ધ કે જે ઉચ્ચ આધ્યાત્મિક પુરુષ ,આત્મજ્ઞાની અને ઈશ્વરના અવતાર હતા તેમણે પણ વિચારોની શક્તિને જાણી અને વિશ્વને વિપશ્યના નામની ધ્યાન કરવાની પદ્ધતિ આપી કે જેમાં માણસે પોતાના વિચારોને સમભાવે જોવાનાં હોય છે અને નિરીક્ષણ કરવાનું હોય છે જે આજે મોટી કોર્પોરેટ કંપનીઓમાં પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સ્વ-વિકાસના ભાગ તરીકે કર્મચારીઓને શીખવાડવામાં આવે છે જે જાણવું રહ્યું.વળી મહામંત્ર તરીકે ઓળખાતા ગાયત્રી મંત્ર કે જેને આજે ભારતમાં નહીં પણ ફોરેનમાં પણ લોકો કરે છે તેનાથી વિચારોમાં પરિવર્તન અને હકારાત્મકતા નો ઉદય થાય છે તે બાબત પણ વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ છે અને આ પ્રકારે મંત્રોની રચના કરવા પાછળનો આપણાં ઋષી-મુનિઓનો હેતુ મૂળ તો વિચારોને યોગ્ય અને વિકાસ ની તરફ દિશામાં વાળવાનો જ હતો.આપણાં ઋષિમુનિઓ એ સમયનાં સૌથી મોટા મનોવિજ્ઞાની હતા અને વિચારોનાં શકિતઓનાં પૂર્ણ જાણકાર હતા.
મિત્રો,વિચારો વિશેની ઘણી બધી એવી રસપ્રદ અને પ્રેરણાથી ભરપુર એવી બાબતો છે કે જે જાણીને વ્યક્તિ તેના વિચારોમાં હકારાત્મક બદલાવ લાવી શકે છે જેમ કે :

- વિચારો આપણને પકડી રાખતા નથી પણ આપણે જ એ છીએ કે વિચારોને પકડી રાખીએ છીએ અને એટલે જે આપણે ઇચ્છીએ એ વિચાર કરી શકીએ છીએ. તો પછી શુભ અને ઉર્જાપૂર્ણ વિચારો શું કામ ના કરીએ.

- વિચારો આપણે જે માન્યતા મનમાં ધરાવીએ છીએ તેને આધારે આવે છે એટલે જ તો ભાઈ કહેવાય કે છે કે મનમાં માની લીધું તો હાર છે અને નક્કી કરી લીધું કે જીતવું છે તો જીતના જ વિચાર આવશે.

- સતત અભ્યાસથી અને વિચારોના ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવાથી આત્મમંથન કરી સ્વાધ્યાય એટલે કે સ્વ ને જાણવાનો ,પોતાની જાતને સમજવાનો અવસર પ્રાપ્ત થાય છે અને જે આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઇ જાય છે.

- વિચારો ઉર્જા ધરાવે છે અને એટલે જ મહાપુરુષો ઉર્જાથી ભરપૂર જોવા મળે છે અને તેમના સાનિધ્યથી આપણી ઉર્જામાં પણ એક હકારાત્મક ફેરફાર થતો જોવા મળે છે.

આજે હૃદયમાંથી આવા કઈંક શબ્દો સરી પડે છે.

"વિચારોનાં મહાસાગરમાં એક તો ડૂબકી લગાવીએ,
વિચાર રાખીએ મહાવીર જેવા અને પોતાની જાતને બદલીએ"

- સૌમિલ જોષી ( ઉર્ફે સૌમ્ય દિલદારી લાઇફ કોચ અને લેખક છે )