MURTI NI PRAN-PRATISTHA books and stories free download online pdf in Gujarati

મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા...



મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા................... દિનેશ પરમાર નજર
_____________________________________________
તપ્તર થયો છે ઈશ્વર પથ્થરથી પ્રકટવા:
ને લોકો નવો ઈશ્વર ઘડવાની અણી પર.
આવીને જો અસત્ય બચાવે તો એ બચે
છે સત્ય અહીં શૂળીએ ચડવાની અણી પર.
-અશરફ ડબાવાલા
_____________________________________________ હજુ બે દિવસ પહેલાની જ વાત કરીએ તો, ખેતરના શેઢે સામસામે ભેગા થયા ત્યારે દરવખત ની જેમ જ હરિભાઈ એ, શિવરામ આગળ બાકી રૂપિયા ની વાત કાઢી, ત્યારે ગમેતે કારણ હોય, પરંતુ આ વખતે શિવરામે કહી જ નાખ્યું , " ભાઈ હરિ? તમે મને આપેલા?"
"એટલે? શું કહેવા માંગો છો શિવરામ?"
"અરે એજ કે, તમારા કહેવા પ્રમાણે, મારા દાદાએ, તે જીવતા હતા ત્યારે તેમને જરૂર પડતાં તમારા દાદા પાસેથી, પચાસ હજાર રૂપિયા લીધા હતા તે લેવાના નીકળે છે, એજ કહેવા માંગો છો ને?"
"હાં!!! તે શિવાય ક્યાં બીજી વાત છે?"
" તો સાંભળી લો, હરિભાઈ.. પૈસા આપનારા એ આપ્યા હશે ને લેનારા એ લીધા હશે.. આમાં હું અને તમે ક્યાં વચ્ચે છીએ તે આટલી ઉઘરાણી કરો છો? "
" અરે કેટલા વરસો થયા, અત્યારે વ્યાજ સાથે અઢી લાખ જેવી રકમ થાય. " વાત પરથી લાગે છે કે, તમારો ઇરાદો પરત આપવાનો લાગતો નથી.
વાતવાતમાં બન્ને ઉગ્ર થઈ ગયા. આજુ બાજુ ના ખેતર વાળા એ છૂટા પડ્યા. ત્યારે આનો બદલો લેવા માટે ની ગાંઠ હરિભાઈ એ વાળી દીધેલી.
**********
આમતો હરિભાઈ ના દાદા અને શિવરામભાઇના દાદા ખાસ મિત્રો. જરૂર પડે એક બીજાને પૈસેટકે મદદ કરતા, બન્ને ના ખેતર એકજ ગાડા-રસ્તે આવેલા, ગામથી નીકળો એટલે પાદરથી પૂર્વ માં એક રસ્તો અને પશ્ચિમ-દક્ષિણ ની વચ્ચે બીજો રસ્તો જતો
તેમાં પૂર્વ તરફ જતા આગળ પાંચેક ખેતર પછી, શિવરામભાઇના દાદાનું, એજ રસ્તે આગળ ગામ સિમાડા પાસે છેલ્લું ખેતર તે હરિભાઈ ના દાદાનું. પણ બન્ને ગામથી જોડે નીકળે ને શિવરામભાઇના ખેતરે ઉભા રહી, સાથે ચલમ પીવે ને ખેતર જાય, સાંજે પણ પાછા ફરતા ભેગા થાય સાથે ચલમ ફૂંકે ને ઘર તરફ પરત ફરે. શિવરામભાઇના દાદા ને તાવ આવ્યો ને દવાખાને લઇ જાય તે પહેલાં તો પ્રાણ છોડી દીધો હતો.
પાછળ હરીભાઇના દાદા પણ લાંબી યાત્રા એ ચાલી નીકળ્યા. શિવરામ ના પિતા અને હરીભાઇના પિતા વચ્ચે, ગમે તે કારણ હો બહુ મનમેળ નહોતો. બહુ ઓછું બોલતા.એટલે શિવરામના પિતા અને હરિભાઈના પિતા વચ્ચે તેઓ હતા ત્યાં સુધી બાકી લેણાંની વાત ક્યારેક અછડતી થતી રહેતી પણ આ બાબતની કડક ઉઘરાણી શિવરામ અને હરિભાઈ વચ્ચે થવા લાગી હતી.
********
હરિભાઈ પોતાના ખેતરે આગળનાં ભાગે છેડા પાસે , રોડ પર પડતાં ખૂણામાં મંદિર નું બાંધકામ કરાવી રહ્યા હતા. મંદિર શિખરબંધ પ્રમાણમાં મોટું બની રહ્યું હતું તેમાં સારો એવો ખર્ચો થઈ ગયો હતો. લગભગ દોઢ વર્ષ થી બનતા મંદિરમાં શિખર લેવલે કામ પહોંચ્યું હતું. ઘણું કામ પતી ગયું હતું. પરંતુ ખર્ચ સારો એવો થઈ ગયો હતો.છેલ્લાં છ મહિનાથી કામ પૈસાના અભાવે ધીમું ચાલતું હતું. હરિભાઈએ તે સંજોગોમાં જ શિવરામ ભાઈ પાસે બાકી રકમની કડક ઉઘરાણી કરતા હતા.
*******
આ બાજુ શિવરામના ખેતરમાં વર્ષો પહેલાં આવીને આજદિન સુધી મજૂરી કરી પેટ ભરતો, તિલક સહારીયા . . મૂળ મધ્ય-પ્રદેશના જંગલમાં રહેતી એક આદિવાસી કોમનો હતો. નાનપણમાં તેના બાપા શિવરામ ભાઈ ને ત્યાં મૂકી ગયા હતા. તે રાત-દિવસ મહેનત કરતો.ને ખેતરના ખૂણે બાંધેલા કાચા ઝૂંપડામાં પડ્યો રહેતો.
જ્યારે શિવરામનો એક નો એક છોકરો પુરુષોત્તમ કશું કામધંધો કરતો ન હતો. આખો દિવસ ગામના પાદરે આવેલા મંદિરના પુજારી જોડે બેસી રહેતો. અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ ઉપવાસ કરતો ને ધર્મની વાતો કર્યા કરતો.
તેની ચિંતા કાયમ શિવરામને રહેતી હતી, "કે જે દિવસે પોતે નૈ હોય તે દિવસે પુરુષોત્તમનું શું થશે? "
પણ જે દિવસે હરિભાઈ સાથે ઉગ્ર બોલાચાલી થઈ તે દિવસે, હરિભાઈને ઝાંખા પાડવા માટે પોતાનું ખેતર ગામ તરફથી આવતા પહેલા આવતું હોઈ, ત્યાં હરિભાઈ કરતા મોટું મંદિર બાંધવાનો વિચાર આવ્યો.
તેનાથી બે કામ થશે એક તો હરિભાઈનું મંદિર દૂર પડી જતાં લોકો પોતાના મંદિરે આવ્યા પછી ત્યાં સુધી જશે નહીં, અને પોતાનો છોકરો કામધંધા વગર રખડી ખાય છે તે મંદિર બનતા કામે લાગશે ને વગર મહેનતે આવક થતા તેના જીવન ગુજારાની ચિંતા ઓછી થશે.
લોકો ચમત્કારને નમસ્કાર કરતા હોઈ, એક શેતાની વિચાર પણ આ મંદિર માટે શિવરામને આવ્યો.
છ મહિના પહેલા, મધ્ય-પ્રદેશમાં પોતાના દેશ ગયેલો તિલક પરત આવ્યો ત્યારે શિવરામ ને કહેલું કે, " શેઠ મારા ગામે, મારી બાજુમાં જ રહેતા મારા સંબંધીના ઘર પાછળ પડી રહેલી ખુલ્લી જમીનમાં નવું મકાન બાંધવા ખોદકામ કરતાં, ખુબ વર્ષો જૂની, હનુમાનદાદાની ને ગણપતિબાપાની મૂર્તિઓ નીકળી છે, તે ખાનગીમાં વેચવાનું કહેતો હતો." તે વખતે તો શિવરામે કઈં મગજપર લીધું ન હતું.
પણ મંદિર બનાવવાનો વિચાર આવતા તિલકને લઈ મધ્યપ્રદેશના અંતરિયાળ જંગલમાં આવેલા તેના ગામ પહોંચી ગયા.
મૂર્તિઓ અદ્ભુત હતી. પણ તે એક-એક મૂર્તિ પાંચ લાખથી ઓછી કીમતમાં આપવા તૈયાર નહોતો. રકઝક કરી છેવટે તિલકના કહેવાથી, તેની શરમમાં અઢીલાખ ઉપર એકહજાર લઇ હનુમાનજી ની મૂર્તિ આપવાનું નક્કી કર્યું.
મૂર્તિ બરાબર પેક કરી જ્યાં ચેક-પોસ્ટ નડે નહીં તેવી અજાણી અંતરિયાળ જગ્યાના વિસ્તારમાંથી રાત્રે બે રાજ્ય વચ્ચેની બોર્ડર ક્રોસ કરી ગામ પહોંચ્યા ત્યારે સવારના ચાર વાગ્યા હતા. મૂર્તિ તિલકની ઝૂંપડીમાં છુપાવી શિવરામ ઘરે ગયા.
બીજે દિવસે બપોરે મોડેથી ખેતર પહોંચી પોતાના ખાસ નોકર તિલક સાથે પ્લાન બનાવ્યો.
"જો તિલક હું રાત્રે લગભગ બાર વાગે આવીશ. તારે આપણા ખેતરના પાકની વચ્ચે આજુ બાજુ વાળાને ના દેખાય, ને જરાય ગંધ ના આવે તે રીતે, દસ બાય દસ ફૂટનો ઊંડો ખાડો ખોદવાનો છે. ને પેલી મૂર્તિ તે ખાડામાં દાટી દેવાની છે."
"મંદિર માટે લાવેલી મૂર્તિ ને ખાડામાં શેઠ?" તિલક બોલ્યો.
" અલ્યા, તુ ભોટ નો ભોટ જ રહ્યો. તને નહીં સમજાય, તું તૈયાર રહેજે, અને હા આ વાત આપણા બે સિવાય કોઈને ખબરના પડે તેનું ધ્યાન રાખજે, સમજ્યો? "
તિલકે ફક્ત હકારમાં ડોક હલાવી ને શિવરામ રાતે મળીએ તેમ જણાવી ખેતરમાંથી બહાર નીકળી ગયો . રસ્તામાં વિચારતો રહયો ." ભલે હરિભાઈ તેનું મંદિર બનાવી પૂજા-અર્ચના ચાલુ કરે, પરંતુ બે-ત્રણ વર્ષ પછી ગામના લોકોને ભેગા કરીને હું જણાવીસ કે, છેલ્લા દસ દિવસથી મને રોજ સપનામાં હનુમાનજી આવે છે ને કહે છે, છેલ્લા સવાસો વર્ષથી મને ખેતરમાં તારા પૂર્વજોએ ભંડારી રાખ્યો છે. તે હવે બહાર કાઢ નહીંતર આખા ગામનું ધનોત-પનોત કાઢી નાખીશ, ગામ વાળા ની હાજરીમાં, ખેતરમાં ખોદતા બેત્રણ વર્ષ પછી જામી ગયેલી માટીમાંથી હનુમાનદાદાની મૂર્તિ નીકળતા, મંદિર માટે માની જશે, ત્થા આને ચમત્કાર લેખી મંદિર માટે પુષ્કળ દાન આપસે આમ મારું કામ સરળ થઈ જશે ને પુરુષોત્તમનું જીવન સુધરી જશે તો હરીભાઇ ઢીલો પડી જશે. "વિચારો ના ઘોડા પર સવાર થયેલા શિવરામને ઘર ક્યારે આવ્યું તે ખબર જ ના પડી.
********
તે રાતે શિવરામના ખેતર ગયા પછી બાર વાગે તિલકે ખોદકામ શરૂ કર્યું. ખાડો થતા લગભગ રાતના ત્રણ વાગી ગયા, શિવરામ ગઈકાલ થી થાકી ગયો હતો,મૂર્તિ ખાડામાં મૂકી જેવી પુરણી શરૂ થઈ કે તેણે તિલકને કહ્યું," તિલક હવે હું જાઉં છું. તું તારે માટી પુરીને સૂઈ જજે."
પાવડાથી માટી ઘસડતા ઘસડતા તિલક બોલ્યો, " હા શેઠ... તમે નિકળો."
*********
બીજે દિવસે શિવરામ મોડેથી, ખેતરમાં આવ્યો ને સીધોજ ખાડા તરફ ગયો. ખાડો સરસ રીતે પૂરાઈ ગયો હતો. ઉપર પાણી છાંટીને તિલકે સરખો કરી નાખ્યો હતો. પરંતુ તિલક ખેતરમાં ક્યાંય દેખાતો નહોતો. શિવરામે બુમ પાડી પણ કોઈ પ્રત્યુત્તર ના મળતા તેની ઝૂંપડીએ ગયો.
ઝૂંપડી ખાલી હતી, તેનો ખીંટીએ લટકતો જૂનો થેલો, થોડાઘણા વાસણ પણ નહોતા. "ક્યાં ગયો હશે? "વિચારતા શિવરામનું ધ્યાન દરવાજા બાજુના ગોખલામાં ગયું. ત્યાં તિલકે લખેલી ચિઠ્ઠી મળી. તેણે લખેલું કે, તે હવે થાક અનુભવે છે, હાંફ પણ ચઢે છે. તેથી દેસી દવા કરવા અને આરામ કરવા ગામ જાઉં છું. તબિયત સારી થશે ત્યારે આવી જઈશ હું આ વાત શરમમાં રૂબરૂ કહી શકું તેમ ન હોઈ આ ચિઠ્ઠી લખી છે , તમારું કામ પતાવી દીધું છે. જરાય ચિંતા ના કરતા.
ચીઠ્ઠી વાંચી શિવરામે ગજવામાં મૂકીને કામે લાગી ગયા.
**********
લગભગ ત્રણેક વર્ષ જેવો સમય પસાર થઈ ગયા પછી પણ તિલક પરત આવ્યો ન હતો. શિવરામની ઉંમર થઈ ગઈ હતી, પુરૂષોત્તમ હજુપણ કશું કામ કરતો ન હતો.
ઉડતા ઉડતા શિવરામને સમાચાર મળ્યા'તા કે હરિભાઈનું મંદિર પૂરું થઈ ગયું છે ને ટૂંક સમયમાં તે પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો છે.
શિવરામની ધીરજ ખૂટી ગઈ હતી. એક દિવસ તેણે ગામની વસ્તીને ચોકમાં ભેગી કરી,પહેલેથી રચેલા કારસાના ભાગ રૂપે ભૂવાને બોલાવી રાખેલો, વસ્તી ભેગી થતાં શિવરામે વાત મૂકી કે તેને સપનામાં હનુમાનજી આવેછે ને ગામ પર આફત આવશે તેમ છેલ્લા દસ-પંદર દિવસ થી જણાવે છે.
ગમનશી ભૂવાએ ડાકલા વગાડી ધૂણતાં ધૂણતાં, ખેતરમાં શિવરામ ના પૂર્વજોએ ભંડારેલી મૂર્તિની ઉપજાવેલી વાત રજૂ કરી. બીજે દિવસે ખેતરમાં બધા વસ્તીના ભેગા થયા ને વસ્તીની હાજરીમાં, શિવરામે અગાઉ ભૂવાને ખેતરમાં લઈ જઈ બતાવેલી જગ્યા પાસે ગમનશી ભૂવો ગયો ને ત્યાં અગરબત્તી ભરાવી ખોદવાનો આદેશ કર્યો. બોલાવેલા મજૂરો દ્વારા ખોદાણ શરૂ કર્યું.
લગભગ ત્રણેક કલાક ખોદાણ કર્યા પછી આ શું? તેમાંથી એક સડી ગયેલો જૂનો થેલો, પછી તપેલી ત્થા પરચુરણ વાસણો નીકળ્યા, ગામ વાળા એકબીજા સામે જોઈ રહ્યા.
જ્યારે તેમાંથી સડેલા કાળા દોરા વાળું તિલક પહેરતો હતો તે તાવીજ નીકળ્યું ત્યારે શિવરામનો ચહેરો ઉતરી ગયો. પછીતો મારેલા માણસની દુર્ગંધ શરૂ થતા જ ધીરેધીરે વસ્તી ના લોકો સરકી ગયા. ભૂવો તો જૂનો થેલો નીકળતાજ છુ થઈ ગયો હતો.
*********
વાત ધુમાડાની જેમ ઉડતી ઉડતી તાલુકા લેવલે પહોંચતા પોલીસ ટીમ આવી ને, તિલક ના ખૂન કરવાના આરોપસર શિવરામ ને પકડી ગઈ. જેલમાં મોકલી આપ્યો.
થોડા દિવસ પછી હરિભાઈ, શિવરામ ને મળવા જેલમાં ગયો ને આવતી હનુમાનજયંતીએ રાખેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું કાર્ડ આપ્યું.
કાર્ડમાં છાપેલી હનુમાનજીની મૂર્તિ નો ફોટો જોઇ શિવરામ ચમક્યો, ને હરિભાઈ સામે ખુન્નસથી જોયું.
"શિવરામ, જે દિવસે તું મૂર્તિ ભંડારવા ખેતરે ગયેલો તે દિવસે રાત્રે હું પાદરની દેરીએ બેઠેલો, પુરૂષોત્તમ પૂજારીને કહેતો હતો કે તું અગત્યના કામથી ખેતરે ગયો છે. તારી અમારું કરજ ચૂકવવાની દાનત ના હોવાથી બદલો લેવાની ભાવનાથી હું તેજ રાત્રે તારા ખેતરે આવેલો. ને તું અને તિલક ખાડો ખોદી મૂર્તિ દાટી રહ્યા હતા તે ખેલ જોતા મને આખા કારસાનો ખ્યાલ આવી ગયો.
તુ થાકેલો ને ચાલુ કામે ઘરે જવા નીકળ્યો ને મને તક મળી ગઈ મેં તિલકને પૂરો કરી, હનુમાનજી ના સ્થાને તિલકને ભંડારી દીધો. ને મૂર્તિ મારા મંદિર માટે રાખી લીધી. "
" મૂર્તિ દાનમાં આપી ને પ્રાણ પ્રતિષ્ઠાની પૂજાની રકમ, રૂપિયા બે લાખ એકાવન હજાર આપનાર દાતા તરીકે તારી તકતી બનાવી છે, માટે પધારવા મારું હાર્દિક નિમંત્રણ છે. " કહેતા હરિ મુછમાં હસતા હસતા પીઠ ફેરવી ચાલવા લાગ્યો....
ને શિવરામ મોં વકાસીને જોતો જ રહી ગયો........
************************************************
દિનેશ પરમાર 'નજર '