dariyana petma angar - 10 books and stories free download online pdf in Gujarati

દરિયાના પેટમાં અંગાર - 10

ભારતે 14 ઓગસ્ટ 1947ની મધરાતે આઝાદીનો પહેલો શ્વાસ લીધો. ભારત એક લોકશાહી દેશ જે દુનિયાનો સૌથી મોટો ડિમોક્રસી રાષ્ટ્ર બની સામે આવ્યો. ગૌરવની વાત કહેવાય કે આપણા સામે બીજો કોઈ મોટો આવો દેશ નથી જ્યાં લોકો દ્વારા શાસન ચાલતું હોય.
ગ્રીકમાં ઉતપન્ન થયેલ ડિમોક્રસી શબ્દનો પુર્નજન્મ બ્રિટનમાં થયો. એ પછી અમેરિકામાં ડિમોક્રસીના મૂળ નખાયા. પણ આ શબ્દે એટલી પરિક્રમા કરી કે આજે ભારતમાં લોકશાહી હાંફતી હાંફતી મૃત અવસ્થામાં છે. આઇસીયુમાં ઓક્સિજનના બાટલા કે લાઈફ સ્પોર્ટિંગ સિસ્ટમ પર છે. આ બીમાર થયેલ લોકશાહી માટે જવાબદાર કોણ છે? ભારતના નેતાઓ કે પછી એમને નિર્વાચિત કરતી પ્રજા?
જવાહરલાલ નેહરુથી લઈ રાજીવ ગાંધી સુધી અને અત્યારે કૃશ થયેલ કોંગ્રેસની લગામ રાહુલ પાસે રહી. આઝાદ ભારતમાં લગભગ 40 વર્ષ સુધી એક જ પરિવારે શાસન કર્યું છે. અને સત્તા મળે તો એ દોર પણ ચાલુ જ રહેશે એવા દ્રશ્ય તો નજર સામે જ છે. બીજી બાજુ લોકોને અનેક મુદ્દે ગુમરાહ કરતી ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે નિર્વાચિત થઈ પણ છેલ્લા સાડા ચાર વર્ષમાં ભાષણ સિવાય કશું કરી શકી નથી. પરિવારવાદ અને બનાવટી રાષ્ટ્રવાદ આ દેશમાં ચાલી રહ્યો છે. અને પ્રજા કહે છે લોકશાહી ચાલી રહી છે?
ડિમોક્રસી શબ્દનો અર્થ થાય છે, 'લોકશક્તિ', પણ એ ક્યાંય જોવા મળતી જ નથી. નિર્વાચન આવે એ દિવસે જ લોકશાહી સ્તર પર આવે છે પછી એ પાંચ વરસ સુધી ગાઢ નિદ્રાધીન બની પડી રહી છે. 1823 દિવસ તમને કોઈ પ્રશ્ન કરવાનો અધિકાર કે હક નથી એવું વર્તન આપણે જ ચૂંટીને જે નમૂના મુક્યા છે, એ લોકો દ્વારા કરવામાં આવે છે. માત્ર એક જ દિવસ તમે લોકશાહીમાં છો, તમે એમાં જીવો છો, તમે આ દેશમાં તમારા હક માટે બોલી શકો છો, તમે તમારી રીતે લખવા, બોલવા, રહેવા કે ચાલ માટે આઝાદ છો. આવું તમને ફક્ત એક જ દિવસ માટે હોઈ છે.
બીમાર થતી પ્રજા, બીમાર નેતાને નિર્વાચિત કરે અને બીમાર કે કોમામાં ગયેલ લોકશાહીને જીવંત કરે એ વાતમાં કોઈ માલ રહ્યો નથી. જ્યારે લોકો ઇમોશનલ થઈને પોતાના ભવિષ્યના પાંચ વરસ નક્કી કરે છે મત આપીને ત્યારે એ આવેલી નેતાઓ પ્રત્યેની દયા, ભાવના, કરુણા કે હમદર્દી પાંચ વર્ષનો ભોગ લઈને જ જપે છે. જ્યારે પ્રજા પ્રેક્ટિકલ બની, પોતાના પાંચ વરસ કોના હાથમાં આપવા એ નક્કી કરતી થઈ જશે, એ મુક્ત થઈ વિચારતી થઈ જશે, એ દિવસે ખરી લોકશાહી આવી કહેવાશે.
તમારા છોકરાને કોઈ હોશિયાર શિક્ષક ભણાવે એવી જ ઈચ્છા રાખતા હોય, તમે ક્યારેય એવું વિચાર્યું કે મારે મારા છોકરાને સુંદર, રૂપાલા શિક્ષક પાસે જ ભણાવો છે, ભલે એ શિક્ષકમાં બાળકોને કઈ રીતે ભણાવવાએ જ્ઞાન પણ ન હોઈ. તમે તમારા છોકરાના ભવિષ્ય માટે હોશિયાર અને નિષ્ઠાવાન શિક્ષકની પસંદગી કરવામાં માહેર છો તો દેશના અને તમારા ભવિષ્યના પાંચ વરસ વિચાર્યા વગર કેમ એક અંગૂઠાછાપ, ભ્રષ્ટ, ડાકુ, મવાલી, વૈહીસી કે ધુતારાને આપી પોતાના ઉપરનો મત આપવાનો બોજ હળવો કરો છો?
લોકશાહીમાં લોકો જ મહાન છે, એ વાત વીતી ગઈ છે, હવે તો પરિવારવાદ અને હસ્તિનાપુરની ખુરસી એમના ઇજારામાં હોઈ, એવા સત્તા લાલચુ કે ભ્રષ્ટ કે જાડી ચામડીના નેતાઓ આવી ગયા છે. બાપો જાય તો છોકરો, વહુ, દીકરી, જમાઈ, કાકાના કાકાનો દીકરો કે સાળાના સાળાનો દીકરો. ભારત દેશ છે કે બાપાનું વસિહતનામું? લૂંટારાની પુરી ફૌજ ઉભી કરી લોકશાહીની દુહાઈ આપે છે.
કાયદા વ્યવસ્થાને લોકહિત માટે પાલન કરવાની વાત કે કાયદામાં રહીને કામ કરવાની શપથ લેતા, નેતાઓ, મંત્રીઓ કે અધિકારીઓ સત્તા હાથમાં આવતા, કાયદો પોતે જ છે કે કાયદો એમના નીચે છે, એ ભાન આ બાયલી પ્રજાને કરાવે છે. જે પ્રજા પોતાની જાતિનો છે, પોતાના ધર્મનો છે, પોતાના વિસ્તારનો મોટો લુખ્ખો છે, પોતાના સગા કે સંબંધીમાં છે, આ તમામ બાબત વિચારી મત આપે છે, ત્યારે જ આને બાયલાવેળા કહેવામાં આવે છે.
સુભાષચંદ્ર બોઝે પોતાના નિવેદનમાં એક વિધાન ટકોર કરીને કહ્યું હતું, 'આ દેશને જ્યારે આઝાદી મળે ત્યારે ઓછામાં ઓછા પચાસ વર્ષ આ દેશને તાનાશાહીની જરૂર છે, જો આ લોકોને લોકતંત્ર આપવામાં આવ્યું તો આ લોકો ભ્રષ્ટ થઈ જશે." આ શબ્દ આજે સાર્થક થયેલા છે, જેમ ગીધ કોઈ મૃતદેહને નોચિ નોચિને ખાઈ અને ફક્ત હાડપિંજર રાખે, એમ આ ઇજારાશાહી અને પરિવારશાહીના ગીધો દેશને નોચિ રહ્યા છે. જ્યારે પ્રજા દર્શક બની પોતાની નિર્વિર્યતા જોઈ રહી છે.
ક્લોઝ અપ:
જ્યાં સુધી ભક્ત, અનુરક્ત, અનુશક કે નપુંસક પ્રજા રહેશે ત્યાં સુધી લોકશાહી શોકશાહી બનતી જશે.

(ક્રમશ:)