Nabadi - 11 books and stories free download online pdf in Gujarati

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 11

(11)

"અફકોર્સ ડાર્લિંગ, પછી આપણે રોમેન્ટિક પળો પણ વીતાવી છે ને!" અભિષેકે આંખ મિચકારીને કહ્યું.

સામે રિયાએ પણ આંખ મિચકારીને કહ્યું કે, "અફકોર્સ યાર, આપણે જોડે સમય વીતાવ્યાને કેટલો બધો ટાઈમ થઈ ગયો છે, ચાલ, હવે ફટાફટ ડીનર કરીએ. મને ભૂખ લાગી છે."

બંને ડીનર પતાવીને બુક કરેલા રૂમમાં જાય છે. આ બધું જોઈને સૌમ્યાની આંખોમાં શરમ અને નયનની આંખોમાં ગુસ્સો આવી જાય છે. છતાંય તેઓ ડીનર જેમતેમ પતાવીને ઘરે આવે છે.

નયને કહ્યું કે, "કેવા છે આ? એક તો પત્ની બળીને મરી ગઈ, પણ આને છે જરા પણ મનમાં દુઃખ છે! એક તો પત્નીનો સોદો કરે છે, પાછો બીજી જોડે રોમેન્ટિક ટાઈમ વીતાવવો છે. સમજ પણ નથી પડતી કે આનું શું કરવું?"

સૌમ્યા બોલી કે, "હા, જુઓને હું લાવણીની પેલી ફ્રેન્ડ રાજવીની કે લાવણીની ડાયરીમાં લખેલી વાતો હું તો માનતી જ નહોતી. પણ આજે આ બધું જોઈને પછી થયું કે એ બંને સાચી હતી. છી...છી.. મારો ભાઈ પણ આવો. મેં તો તેને આવો નહોતો ધાર્યો."

"હા, આવાને તો સજા થવી જોઈએ જ. પણ શું થાય, તે મારો સાળો છે અને તારું પિયર છે. એટલે કરી પણ શું શકાય?" નયને કહ્યું.

"કેમ.. ના કરી શકાય. તમે તો કહો છો કે સજા આપવી જોઈએ. હું પણ માનું છું કે સજા થવી જ જોઈએ. "

સૌમ્યાએ બોલી કે, "અને એમાં શું વિચારવાનું, અન્યાયીઓ સામે લડવું જોઈને."

સૌમ્યા એવું કહેતાં જ નયને પૂછ્યું કે, "અને સમાજ શું કહેશે, તારા મા બાપ, તારો ભાઈ, તારું પિયર આ બધું જ છે સામે, તે વિશે વિચાર્યું છે. અને તને યાદ તો છે ને કે તું લાવણી માટે થઈને તારા મા બાપ વિરુદ્ધ જવું પડશે તારે."

સૌમ્યાએ જવાબ આપતાં કહ્યું કે, "હા, પણ એ લોકો જનાવર છે. તેમાં તો મારો ભાઈ તો એક જનાવર કરતાં પણ બદતર છે. એને તો હું સજા અપાવીશ જ. રાજવીને એક વાર મળીને તે વિશે વાત કરીશ."

"સારું..." કહીને નયને તે વાત પર પડદો પાડયો.

અહીં રંજનભાઈ નાથાભાઈ અને શારદાબેન સામે બે હાથ જોડીને કહ્યું કે, "નાથાભાઈ મહેરબાની કરો, મેં રાજવીને કેસ કરવા નહોતું કહ્યું. આમ મને સમાજ બહાર કાઢશો તો મારા બીજા બાળકોને કોણ પરણશે. ભાઈ, કૃપા કરીને અમને બદનામ ના કરો."

શારદાબેને કહ્યું કે, "એ તો કરતાં પહેલાં વિચારવું હતું ને. એકબાજુ કેસ કરાવવો અને એકબાજુ કગરવું. આમ કગરવાથી શું વળે? ભોગવો હવે, એક તો તમારી દીકરી અમારા નામ પર નાનપ ચોપડી દીધી અને તમે અમે તમને માફ કરીએ એમ કહો છો."

"વેવાણ તમે તો માં છો એટલે તમે તો સમજો. એ તો ગઈ, એની સાથે જે થયું એ... ' આંખના આસું લૂછીને, "તમે કહેશો તો તમારા સપોર્ટ માં કોર્ટમાં અંદર તમારી તરફેણમાં બોલીશ. પણ અમને સમાજ બહાર ના કાઢશો." રંજનભાઈ બોલતાં જ.

"જુઓ રંજનભાઈ.... રંજનભાઈ શેના... એ રંજન, આ બધું જ તારી દીકરીને લીધે જ અમારે ભોગવવું પડયું ને. તો તારા સંસ્કાર પર આંગળી ઉઠવાની જ, એમાં હું શું કરું? ચાલ નીકળ ઘરમાંથી. ફરી પાછો આવતો નહીં સમજયો...."

નાથાભાઈ આવું બોલતાં રંજનભાઈ ઉદાસ ચહેરે નાથાભાઈના ઘરેથી નીકળ્યા અને રસ્તામાં જ રાજવી મળી ગઈ તો તેને ઊભી રાખીને કહ્યું કે, " બેટા તું કેસ પાછો લઈ લે. તારા લીધે મારે, તારી કાકીને અને ઘરના બધાને તકલીફો વેઠવી પડે છે એકબાજુ તેઓ હેરાન કરે, બીજી બાજુ સમાજ. બધા જ લાવણી વિશે ગમે તેમ બોલે છે."

રાજવીએ કહ્યું કે, "પણ અંકલ આ લોકોને તેમના કરેલાની સજા તો મળવી જોઈએ જ. આટલો કેસ થયેલો છે, છતાંય તેઓ તમને હેરાન કરે છે તો પછી લાવણી જોડે કેવુંય વર્તન કર્યું હશે? તે તો વિચારો."

"બેટા, બધું જ સમજું છું પણ તું જ કહે એક દીકરી ખોઈ. હવે તો બીજા બાળકોને કે તારી કાકીનો વિચાર પણ ના કરું, એમની સલામતી વિશે પણ ના વિચારું બેટા. લાવણી તો જતી રહી પણ આ સમાજ અમને જીવવા પણ નહીં દે. બેટા માટે જ મારી વિનંતી છે કે કેસ પાછો લે, બસ આટલું કર મારા માટે. બીજું તો શું કહું..." રંજનભાઈએ કહ્યું.

"અંકલ તમારા માટે કદાચ આ કેસ પાછો લઉં, પણ એક વાતનો જવાબ આપો કે તેઓ તમને આ પછી પણ હેરાન નહીં કરેને, સમાજ નહીં કરેને. સમાજ તમારા સંસ્કાર અને લાવણીના વિશે ગમેતેમ નહીં બોલેને. કોઈ એમ નહીં કહે ને કે લાવણી ખરાખ ચારિત્ર્યની હતી એ લોકો છૂટયા એનાથી, તેઓ પૈસા લેવા કેસ કરેલો એવું નહીં કહેને વિચારજો અંકલ. ચાલો હું જાવ." કહીને રાજવી રંજનભાઈને વિચારતા મૂકીને નીકળી ગઈ.

જોડે જોડે સૌમ્યા પણ આ બધું જ સાંભળીને ડઘાઈ ગઈ.

"અંકલ આ રાજવી શું બોલી ગઈ...." સૌમ્યાનો અવાજ સાંભળીને રંજનભાઈ ચોંકી ગયા.

અને તેમણે કહ્યું કે, "બેટા, મહેરબાની કરીને આ વાત તારા મમ્મી અને પપ્પાને કંઈ ના કહેતાં. બેટા હું આવું કંઈ જ નથી વિચારતો. આ તો રાજવી લાવણીની ફ્રેન્ડ અને થોડા ગુસ્સાવાળી છે ને એટલે આવું બોલે છે. તે કેસ પાછો લઈ લેશે. અને હું તમારે જ પક્ષે છું અને તમે કહેશો તેમ જ બોલીશ, પણ આના વિશે કાંઈના કહેતી. એટલી મારી વિનંતી માનજે, બેટા."

સૌમ્યા કાંઈ જ ના બોલી શકી અને રંજનભાઈ ભીની આંખે ઘરે જવા નીકળ્યા.

ડ્રોઈંગરૂમમાં રમેશભાઈ અને દમયંતીબા કંઈક વાતો કરી રહ્યા હતા. નયનાબેન અને વનિતા કીચનમાં રસોઈની તૈયારી કરી રહ્યા હતા. એવામાં નિહાલ ઓફિસથી આવ્યો એટલે નયનાબેન બધા માટે ચા લઈ આવ્યા.

રમેશભાઈ બોલ્યા કે, "નયના તું અને નિહાલ રાજવીને સમજાવી દો કે, 'કેસ કરવાથી તેને જ નુકસાન થશે. બીજાના ઘરમાં દખલગીરી આપણે ના કરવાની હોય અને લાવણી વિશે તો સમાજમાં કેવી વાતો ચાલે છે, ખબર છે તમને.'

"લાવણીને બીજા કોઈ જોડે અફેર હતું અને એ લોકોએ રંગેહાથે તેને પકડી પાડી. માફ કરીને બીજો મોકો પણ આપ્યો તો તેણે દાગીના ચોરી તેના પિયર મોકલી દીધા. અને આરોપ સાસરીના લોકો પર મૂકયો. પિયરના લોકો સ્વાર્થી અને પૈસાના લાલચી છે એટલે જ તો લાવણીના પિયરીયા પણ કેસ કરવા તૈયાર નથી જ ને આ છોકરીને શું જોઈને ડહાપણ ઉપડયું છે. એને લગ્ન કરવાના છે કે નહીં, કોણ લગ્ન કરશે એની જોડે?"

નિહાલે કહ્યું કે, "મેં તો તેને સમજાવી પણ તે સમજવા તૈયાર નથી. કદાચ આ સાંભળીને તેના પર અસર ચોક્કસ થશે."

નયનાબેન નિહાલને પૂછ્યું કે, "કેમ તને રાજવીએ લાવણીની તકલીફો વિશે તને વાત નથી કરી? તો પછી તું કેમ આવું કહે છે?"

"હા મમ્મી, પણ એ માટે આપણે ઝંડો થોડો લઈને ફરવાનો ના હોય. અને એ પણ ત્યારે લાવણીના મમ્મી પપ્પા જ એ માટે તૈયાર નથી." નિહાલે એવું કહેતાં.

રમેશભાઈ બોલ્યા કે, "હા અને ખાસ વાત સાંભળ, એના માટે એક સગપણ આવ્યું છે. તેઓ જોવા કાલે જ આવશે. તો બરાબર તૈયારી કરી લેજો."

"પણ મારે લગ્ન નથી કરવા, કેમ કોઈ નથી સમજતું આ વાતને. ભાઈ તું પણ સમજવા તૈયાર નથી. અને આ કેસ તો પાછો નહીં જ લઉં. અને પપ્પા તમે કહો છો ને કે લાવણી બરાબર નહોતી. પણ એકવાર રંજન અંકલને પૂછી જુવો તો ખરા તમે કે તેઓ એમને કેવા કેવા પ્રકારે હેરાન કરે છે. તેઓ લાવણીના ભાઈ બહેન માટે ચૂપ છે એટલે તેમને દબાવે છે અને સમાજ બહાર કાઢવાની ધમકી આપીને પોતાની તરફ કર્યા છે.તો પછી વિચારો કે લાવણીને શું હેરાન કરવામાં બાકી મૂકી હશે.'

"અને તમે વિચારો છો ને કે નાથાભાઈ સારા અને પ્રતિષ્ઠિત છે. પણ ના તે તો લાગણીહીન છે એટલે જ તો લાવણી વિશે ગમે તેમ બોલે છે કે તેના મા બાપ પર શું વીતશે એ સમજયા વગર. અને મરી ગયેલી વ્યક્તિ પાછળ બોલવાનું ના હોય, એવું તમે જ કહો છો. છતાંય તે બોલે છે અને તમે તેમને સપોર્ટ કરો છો." રાજવી આટલું કહીને પોતાની રૂમમાં જતી રહી અને તેની પાછળ વનિતા પણ ગઈ.

દમયંતીબા બોલ્યા કે, "જોયું... જોયું, કેટલી હિંમત વધી ગઈ છે, આ છપ્પરપગીની... "

અત્યાર સુધી ચૂપ બેઠેલા નયનાબેન બોલ્યા કે, "બા સાચું કહેવામાં હિંમત વધી ગઈ એ ના કહેવાય. અને આપણે શું કામ તેને સમજાવી પડે પણ સમજવાનું તો આપણે છે, સપોર્ટ તો આપણે કરવાનો છે."

"શેનો સપોર્ટ અને શેનું સમજવાનું, આને તે જ માથે ચડાવી છે અને તારા લીધે જ એની હિંમત વધી ગઈ છે. યાદ રાખજે, એક વખત તે તારા અને આપણા માથે છાણાં થોપશે એટલે ખબર પડશે તને. હું તો કહું છું કે બા આને જલ્દી એના ઘરે વળાવી દઈએ એટલે બલા જાય અહીંથી. હું કાલે જ તેનું નક્કી કરી દઈએ. કોઈને તે ગમે કે ના ગમે, કોઈનું મન માને કે ના માને, હું કંઈ નહીં વિચારું." રમેશભાઈ એવું બોલતાં જ.

નયનાબેને કહ્યું કે, "હાસ્તો તમે શું કામ વિચારો અને કોઈ શું વિચારે કે શું નહીં વિચારે. કોઈના પર શું વીતશે કે નહીં, એ બધું તમે શું કામ વિચારો. એક ફૂલ જેવી છોકરી જે હજી જન્મી હતી અને પૂરી આંખો પણ ખોલી નહોતી એના પર કેટલા આરોપ લાગ્યા છતાંય તમે શું કામ વિચારો. બા અને તમે છપ્પરપગી નકામી વિગેરે બોલી બોલીને તેનો તિરસ્કાર કર્યો પણ તેને કેવું લાગશે, એવું શું કામ તમે વિચારો. વારે ઘડીએ તેને હડધૂત કરીને તેના મન પર શું વીતશે પણ તમે શું કામ વિચારો. ગમે ત્યાં પરણાવી દેવી છે, પણ તેને સુખ મળશે કે દુઃખ, તે શું કામ વિચારો. તેના માટે સાસરી યોગ્ય છે કે નહીં તે શું કામ વિચારો. બસ તમે કંઈ ના વિચારો અને હું તમારી પાસેથી તમે અમારા વિશે વિચારો કંઈ એવી અપેક્ષા પણ નથી રાખતી. તમે ફક્ત બા વિશે જ વિચારો અને બા કહે તેમ જ કરો.'

"પણ એટલું યાદ રાખજો કે રાજવીને ગમશે તે જ વ્યક્તિ જોડે પરણશે, બાકી નહીં. આ કેસ પાછો લેવો તે પણ તેનો જ નિર્ણય લેશે.'

"પોતાના માટે તો સહુ કોઈ લડે પણ ગર્વ થવો જોઈએ કે આપણી દીકરી બીજા માટે અવાજ ઉઠાવે છે. અને હા તમે એવું ના વિચારતા અને રાજવી આ ઘર છોડીને કયાંય નહીં જાય, તે વાત ગાંઠે બાંધી લેજો."

"હવે તો તને પણ પાંખો આવી ગઈ છે, જીભડી કેવી ચલાવે છે. આ બધી છપ્પરપગીની જ અસર છે." દમયંતીબા બોલ્યા.

"બા આ રાજવીની નહીં પણ અત્યાર સુધી મારી સહનશક્તિ પૂરી થઈ ગઈ તેની છે અને મારી દીકરી પર જાવ છો, તેની અસર છે." તે બોલીને જતા રહ્યા.

ઘરમાં શાંતિ છવાઈ ગઈ પણ રાજવી વનિતાને વળગી રોઈ રહી હતી.

વનિતાએ પૂછ્યું કે, "શું થયું, રાજવી?"

"બસ મનમાં એ જ થાય છે કે કંઈ પણ જાણ્યા વગર, સમજયા વગર જ બીજા પર આરોપ લગાડી દે છે. કેવો સમાજ છે, અને તેની માનસિકતા..." તે બોલી.

વનિતાએ કહ્યું કે, "સમાજ અને દુનિયા આવી જ છે, આપણે કંઈ ના કરી શકીએ. છોડ એ વાત ને, ચાલ જમવાની તૈયારી કરીએ."

બંને કીચનમાં ગયા. ડાઈનીંગ ટેબલ પર બંને જમવાનું ગોઠવી રહી હતી એટલે રમેશભાઈએ નિહાલને કહ્યું કે, "જા તારી માને બોલાવ."

નિહાલ બોલાવા ગયો તો ત્યાં જ કુરિયર બૉયે બૂમ પાડી કે, "વનિતા સુધીરભાઈનું ઘર આ જ છે."

"હા ભાઈ" તે બોલ્યા.

"તો તેમને બોલાવો, તેમના માટે સરકારી ઓર્ડર છે." તે બૉય બોલ્યો.

રમેશભાઈએ બૂમ પાડી કે, "વનિતા... વહુ બેટા..."

વનિતા અને નિહાલ આવ્યા એટલે તે બોલ્યા કે, "આ વનિતા વિશે પૂછે છે."

"હા ભાઈ" વનિતા બોલતાં.

તે કુરિયર બૉયે કહ્યું કે, "સારું, તો આ કાગળ પર સહી કરો અને આ સરકારી ડોક્યુમેન્ટ છે, તો ધ્યાનથી. અને અમને પણ ખુશ કરજો."

તેણે જગ્યા બતાવીને સહી કરાવી અને ટીપ્સ લઈને કાગળ આપીને જતો રહ્યો. રમેશભાઈએ પૂછ્યું કે, "વનિતાના નામ પર આ સરકારી ઓર્ડર શેનો છે."

"એક મિનિટ પપ્પા જોઈ લઉં પછી કહું તમને."

નિહાલે કહ્યું ત્યાં સુધીમાં વનિતા તે કાગળ વાંચી લીધો અને. તેની ખુશી જોઈને નિહાલ પણ તે લઈને વાંચવા લાગ્યા. ઘરના બધા જ વ્યક્તિ તેમની ખુશી જોઈને નવાઈ લાગી અને સારા સમાચારની આશાએ તેમની સામે જોઈ રહ્યા.

નિહાલ અને વનિતા સરકારી ઓર્ડર જોઈને ખુશ થઈ ગયા, અને દમયંતીબા અને રમેશભાઈના ચહેરા પર ના સમજાય તેવા ભાવ હતા.

ના રહેવાયું એટલે દમયંતીબા બોલ્યા કે, "વહુ બેટા, આ સરકારી કાગળ શેના છે. કેમ આટલા ખુશ થાવ છો?એ તો કહો."

નિહાલે કહ્યું કે, "દાદી હવે તમારી વહુ કલેકટર બની જશે. આ તેનો છેલ્લો ઈન્ટરવ્યૂ કોલ લેટર આવી ગયો. કયારની આ લેટરની જ રાહ જોઈ રહ્યા હતા. દાદી..."

વનિતાને કહે કે, "આખરે તારું સપનું પૂરું થઈ જશે. તારે આવતા મહિનાની 11મી એ ઈન્ટરવ્યૂ આપવા જવાનું છે. હવે તું બરાબર તૈયારી કરજે."

વનિતાએ આંખોથી હા પાડી. નયનાબેન, રાજવી ખુશ થઈ ગયા. જયારે દમયંતીબા અને રમેશભાઈને તે વાત ના ગમી હોય તેવા ચહેરો થઈ ગયો.

રમેશભાઈએ કહ્યું કે, "ઈન્ટરવ્યૂ કોલ લેટર...., આ બધું શું છે?"

"નિહાલ તે કે તારી વહુએ આ વિશે કયારેય નથી કહ્યું. અને અચાનક આ કાગળ..?" દમયંતીબા બોલ્યા.

નિહાલે દાદીનો હાથ પકડીને કહ્યું કે, "દાદી વનિતાનું સ્વપ્ન હતું કે તે કલેકટર બને. એ માટે તે તૈયારી પણ કરતી હતી. તેને એન્ટ્રન્સ એકઝામ અને પ્રિલીમ એકઝામ મેરેજ પહેલાં આપી હતી અને પાસ પણ કરી લીધી છે. એ પણ સારા માર્ક્સ સાથે અને આજે તેને ઈન્ટરવ્યૂ કોલ પણ આવી ગયો. અને જો આ ઈન્ટરવ્યૂ પાસ કરી દેશે તો તેને થોડી ટ્રેનિંગ લઈને તે ડેપ્યુટી કલેકટર કે કલેકટર બની જશે."

"પણ અમને તો આ વાતની ખબર જ નહોતી, અને આ વાત પહેલાં કેમ છૂપી રાખી એટલા માટે કે પેટમાં પાપ હતું." દમયંતીબા વનિતા સામે જોઈને બોલ્યા.

"ના દાદી એવું નથી, પણ મને વિશ્વાસ નહોતો કરે હું પાસ થઈશ અને કોલ લેટર આવી જશે." વનિતાએ ચોખવટ કરતાં કહ્યું.

"સારું તો પણ તું નોકરી નહીં કરે, આપણા ઘરની દીકરી કે વહુઆરુ ઘરની બહાર કામ નથી કરતી એટલે તું પણ ઈન્ટરવ્યૂ ના આપતી." દમયંતીબા બોલ્યા.

"પણ દાદી આ તો તેનું સપનું છે, તે જેવી તેવી નોકરી થોડી છે. તે તો કલેકટર બનશે, કેવો વટ પડશે આપણા ઘરનો.." નિહાલે કહ્યું.

"તો શું થયું, નહીં મતલબ નહીં.." તેઓ બોલ્યા.

વનિતાએ હતાશા સાથે કહ્યું કે, "મેં તો નિહાલ તમને કહ્યું હતું ને કે તમે દાદી અને પપ્પાજી જોડે આ વાત કરી લો. હવે મારે મારા સપનું છોડી દેવું પડશે. આના માટે જ મેં આટલી મહેનત કરી હતી. પરિણામ હાથવગું છે ત્યાં જ થી મારે પાછું ફરવાનું."

"તે તારો નિર્ણય લઈ લીધો એટલી વારમાં, અને એક વાત સમજ કે આ નિર્ણય તેમનો છે, મારો નહીં. હું કહું છું ને કે તારે ઈન્ટરવ્યૂ આપવાનો જ છે, બસ તું તૈયારી કર." નિહાલે તેને બોલતાં રોકીને કહ્યું.

"અને તું આ ઘરમાં તારી મરજી ચલાવી શકે એટલો હક હજી મેં તને નથી આપ્યો. હજી હું આ ઘરમાં છું." કહીને રમેશભાઈ જતા રહ્યા.

નિહાલ પણ તેમની પાછળ પાછળ ગયો અને બોલ્યો કે, "પપ્પા, આ તો જોહુકમી કહેવાય અને તમે આવું કેમ કરી શકો?"

"જો બેટા જોહુકમી કહેવાય તો જોહુકમી... પણ આમ જ થશે. વનિતા નોકરી તો નહીં કરી શકે. આ ઘરની પરંપરા તેના માટે તોડવામાં નહીં આવે અને બીજી કોઈ મારે ચર્ચા કરવી નથી, જા અહીંયાથી." તે બોલ્યા.

નિહાલે કહ્યું કે, "પપ્પા ચર્ચા તો મારે પણ નથી કરવી, પણ એટલું યાદ રાખી લો કે વનિતા ઈન્ટરવ્યૂ આપશે જ. મેરેજ પહેલાં તેણે મને તેના સપના વિશે કહ્યું હતું અને તે પુરુ કરવાનું પ્રોમિસ આપ્યું હતું."

"પ્રોમિસ તોડી શકાય પણ પરંપરા નહીં, છતાંય જો તારે તારી મરજી મુજબ જ કરવું હોય તો તું અને તારી વહુ આ ઘર છોડીને નીકળી જાવ, હાલ જ." તે બોલ્યા.

નિહાલે કહ્યું કે, "સારું પપ્પા, જો આ તમારી જીદ છે, તો આ પણ મંજૂર."

નિહાલ જતો રહ્યો અને રમેશભાઈ ઢીલા પડી ગયા અને ભીની આંખે સ્વગત બબડયા કે, "આજે જ કેમ મારા બંને બાળકો બગાવત પર ઉતરી ગયા છે. કેમ તેમને મારી તકલીફો દેખાતી નથી. હું તો તેમના ભલા માટે વિચારતો ના હોઉં, તેવું તેમને લાગે છે. હશે મારા નસીબ બીજું શું!"

આંખો લૂછી તો સામે નયનાબેન ઊભેલા હતા અને તેમને જોઈ રહ્યા હતા. એમને જોઈને તે બોલ્યા કે, "હવે તારે પણ કંઈ બોલવું છે, હજી કંઈ બાકી છે?"

"ના...." નયનાબેન બોલ્યા.

"તો પછી મારી આરતી ઉતારવા ઊભી કેમ રહી છે, જા તારું કામ કર." તે બોલ્યા.

નયનાબેને એમને પાણી આપીને કહ્યું કે, "કામ જ કરું છું. તમને એમ પણ કહેવા નથી આવી કે તમે ખોટું કરો છો. એમ પણ નથી કહેતી કે વનિતા નોકરી ના કરે, તે ઘરમાં જ રહે એવું પણ નથી ઈચ્છતી. મને એ પણ ખબર છે કે બા નો સાદ તમે ઉથાપી નહીં શકો અને નિહાલ વનિતાને આપેલા પ્રોમિસ પણ તોડી નહીં શકે, માટે જે થાય તે બરાબર.'

"આમ પણ નિહાલ મોટો થઈ ગયો છે, પરણેલો છે એટલે તે તેની જવાબદારી સમજે છે, માટે તેની ચિંતા નથી. અને હા હું એટલું જ કહેવા આવી હતી કે નિહાલ ઘર છોડીને જાય છે, જો ઈચ્છા હોય તો એકવાર મળી લેજો. ખાસ કરીને તમારા આશીર્વાદ આપજો એટલું જ કહીશ."

આટલું કહીને નયનાબેન ચાલી ગયા અને રમેશભાઈ ત્યાં જ બેસી રહ્યા. નિહાલ અને વનિતા પોતાનો સામાન પેક કરી લીધો, તેઓ નયનાબેનને પગે લાગ્યા. તો તે બોલ્યા કે, "બંને એકબીજાનું ધ્યાન રાખજો, તબિયત સાચવજો. વનિતા ઈન્ટરવ્યૂ માટે સરસ તૈયારી કરજે અને તારું સપનું પુરું કરજે, બેટા."