Sangharsh - 1 books and stories free download online pdf in Gujarati

સંઘર્ષ - પ્રકરણ:-૧. - પ્રસ્તાવના






નમસ્કાર વાચક મિત્રો,
લખવાનો આમ તો પહેલેથી શોખ. આમ તો ઘણી કવિતા,ગઝલ અને માઈક્રોફ્રિકશન અને વાર્તા લખેલી.પણ ધારાવાહિક લખવાનો આ મારો પ્રથમ પ્રયાસ છે.

અહીં આ ધારાવાહિક એક સત્ય ઘટના આધારિત છે.(પાત્રો કાલ્પનિક છે.) દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક દુઃખ તો આવતા જ હોય છે.તેને પચાવી જવા એ કળા છે તેમાંથી ઉગરતા શીખવાનું હોય છે.કોઈ પણ મુસીબત આપણને કૈંક શીખવવા આવતી હોય છે તેમાંથી પોતાને કોઈ પણ પરિસ્થિતિમાં કઈ રીતે લડવું એનાથી ઘડાવાનું હોય છે.
અહીં એક વ્યક્તિ પોતાના જીવનમાં કેટલા સંકટો આવે છે છતાં તે તેનો સામનો કરીને તેમાંથી પાર નીકળે છે.

સમગ્ર ધારાવાહિક 5 પ્રકરણમાં વિભાજીત છે જેમાં આપણે સમયાંતરે એક એક પ્રકરણ મુકીશું.આખી ધારાવાહિક વાંચવાની મજા આવે અને વાંચવાનો રસ ન ટૂટે એવો પ્રયત્ન કર્યો છે.

આશા રાખું છું કે તમને વાંચવાની મજા પડશે.આપના પ્રતિભાવ ચોક્કસ જણાવશો.


પ્રકરણ:-૧.
પ્રસ્તાવના

કુટુંબમાં સાત સભ્યો રહે છે. ઘરડા માં રાણીબેન અને ઘરડા બાપા જીવરાજભાઈ. તેમના પુત્ર નરેશભાઈ અને પુત્રવધુ નયનાબેન. નરેશભાઈને ત્રણ સંતાન છે જેમાં બે ભાઈ અને એક બહેન. જેમાં સૌથી મોટી બહેન છે જેનું નામ નિરાલી છે. તેનાથી નાના ભાઈનું નામ પ્રણય અને સૌથી નાના ભાઈ નું નામ સમય છે

કુટુંબનો મુખ્ય વ્યવસાય એટલે ખેતી.જીવરાજભાઈનું ભૂતકાળ ખૂબ કપરું રહ્યું હતું.જીવરાજભાઈના પિતાજી એટલે લખમણભાઈ. જીવરાજભાઈ આમ તો પાંચ ચોપડી જ ભણેલા છતાં અંગ્રેજી પણ આવડતું.પણ લખમણભાઇ તો સાવ અંગૂઠા છાપ.એટલે કંઈ પણ વ્યવહાર કરવાનો હોય એટલે તે તેના પુત્ર જીવરાજને સાથે રાખતા.એટલે જીવરાજ ભાઈ ને નાની ઉંમરે જ ઘણા બધા અનુભવ થયા.જીવરાજભાઈના માતા એટલે લીલાબેન તો જીવરાજભાઈ નાના હતા ત્યારે જ સ્વર્ગવાસ થયા હતા.એટલે તેમને માતાની છત્ર છાયા મળી જ નહિ. નાનપણથી જ પિતા સાથે રહેવું પડ્યું.જીવરાજભાઈ ને ત્રણ બહેનો.આ ત્રણેય બહેનો જીવરાજભાઈ થી મોટી હતી.આમ તો લખમણભાઇ નાત ના મોભી હતા.એટલે જમીન તો એમની પાસે લગભગ પચાસેક વીઘા ખરી છતાં રહેવા માટે ઘર નાનું હતું.અને માલમાં બે ભેંસ અને બળદ હતા. બે ઓરડા જેવા ઘર હતા. જેમાં એકમાં રસોડું અને એકમાં માલ અને પોતે રહેતા. એટલે માલ ના મળમૂત્ર છાંટા દ્વારા ઘર પવિત્ર રહેતું! કોઈક મહેમાન આવે તો જમાડીને કહેવું પડતું કે સુવા માટે બીજું ઘરે ગોતી લેજો.

થાય છે એવું કે ઉપરા ઉપર બે વર્ષ દુકાળ પડે છે.એટલે જમીનમાં પણ કંઈ પાકે નહિ.ઉપરથી નાત ના મોભી કહેવાય એટલે જે લોકો ગરીબ હોય એને પણ કૈંકને કૈંક તો આપવું જ પડે.

તેમના પત્ની તો હતા જ નહિ તેથી તેમની દીકરીઓ તેમના પિતાને ખૂબ સાચવતી.એટલે તેમની દીકરીઓ પ્રત્યે ખૂબ જ લાગણી. કહેવાય છે ને કે દીકરી તો બાપ માટે કાળજાનો કટકો છે.ત્રણેય દીકરીઓ મોટી છે એટલે 2 વર્ષના ગાળે સગપણ નક્કી કરીને તેમના લગ્ન કરવામાં આવે છે. આમ વખતો વખત કાળજાનો કટકો હાથથી છૂટતો જાય છે.દરેક લાડકવાયી દીકરીને લખમણભાઇ દસ દસ વીઘા જમીન આપેલ.

હવે માત્ર 20 વીઘા જમીન વધી.જીવરાજભાઈ એકલા વારસાગત સંતાન એટલે 20 વીઘા તો ઘણી કહેવાય. લખમણભાઈ અવાર નવાર બીમાર રહેતા એટલે હવે એનો પણ ખર્ચ વધ્યો.હવે જીવરાજની ઉંમર હજુ કદાચ 18 વર્ષની થઈ હશે.પિતા લખમણભાઈ વારંવાર બીમાર રહે. ગામના કોઈ વડીલોએ લખમણભાઇ ને કહ્યું કે તમારા જીવતે જીવ જીવરાજનું સગપણ કરાવીને પરણાવી દ્યો. આમ તો જીવરાજનું મોસાળ પણ ગામમાં જ હતું.એટલે તેમણે પણ વાત કરી અને ગામના જ એક સારા એવા પરિવારમાં સગપણ માટે વાત કરી. સમેવાળું ખોરડું પણ ઊંચું હતું.સંપતિમાં તો લગભગ 100 વીઘા જમીન અને ભેંસોનો તબેલો.છોકરીનું નામ હતું રાણી.છોકરી પણ ખૂબ કામ કરે એવી. સવારમાં વહેલા 5 વાગ્યામાં ઊઠીને આખા તબેલાને સાચવી લે. આખો દિવસ જંગલમાં ભેંસો ચરાવવા અને કોશ (કૂવામાંથી બળદ દ્વારા પાણી ખેંચવાનું ચામડાનું યા લોખંડનું ખાસ પ્રકારનું પાત્ર) હાંકે અને સ્વભાવે પણ ડાહી. એની સાથે જીવરાજનું સગપણ નક્કી થાય છે. એકબાજુ પિતા લખમણભાઈની તબિયત લથડતી જાય છે એટલે જેમ બને તેમ વહેલા જીવરાજના લગ્ન થાય એવું કરવા કહ્યું.છેવટે જીવરાજ અને રાણીના લગ્ન થયા.

લખમણભાઈની પરિસ્થિતિ ખૂબ વણસી. પુત્ર જીવરાજે આજુબાજુની બધી હોસ્પિટલમાં સારવાર કરાવી છતાં કંઈ મેળ પડે નહિ.ગામના લોકોએ કોઈ શહેર ની પ્રખ્યાત હોસ્પિટલ માં બતાવવા કહ્યું. પણ એટલા પૈસા લાવવા ક્યાંથી? છેવટે 20 વીઘા જમીન માંથી 5 વીઘા જમીન વહેંચી નાખી.હવે લખમણભાઈને સારવાર માટે શહેર લઈ જવામાં આવ્યા.ત્યાં રિપોર્ટ કરાવ્યો તો કેન્સર છે એવો ખુલાસો થયો. ડોક્ટરે કહ્યું કે આ દર્દી હવે એક મહિના ના મહેમાન છે એટલે થાય એટલી સેવા ઘરે કરો.તેથી જીવરાજ હવે તેના પિતાને ઘરે લઈ આવી ગયા અને ઘરે સેવા કરી.અંતે થયું એવું જ કે મહિનામાં મા પણ 3 દિવસ બાકી હતા અને પિતાનું મૃત્યુ થયું. બારમાં દિવસે દહાડો કર્યો આખું ગામ જમ્યું.

જીવરાજભાઈનો સંઘર્ષ:-

હવે તો પિતાનો સાથ છૂટી ગયો.તેથી ઘરની અને સમાજની બધી જવાબદારી માથે આવી ગઈ.પોતે ગામમાં એક પાનનો ગલ્લો ખોલેલો.એક બાજુ જમીન સાચવવાની અને એક બાજુ ગલ્લો સાચવવાનો.અને ઉપરથી એ કે નાતના મોભી કહેવાતા એટલે કોઈકના સારા નરસા પ્રસંગોમાં હાજરી તો જોઈએ જ. રાણીમા પોતે ઘર સંભાળે અને ક્યારેક કોશ હાંકવા પણ જાય.

જીવરાજભાઈ ને આમ તો બીડી અને સોપારીનું વ્યસન હતું.પણ એકવાર તેઓ બીમાર થયા ત્યારે ડોક્ટરે નાડ પકડીને કીધું કે આખા દિવસની કેટલી સોપારી ખાવ છો.જો તમારે જીવવું જ હોય તો સોપારી મૂકવી પડશે.ત્યારથી માત્ર એક જ વ્યસન રહ્યું બીડી.

લગ્નના 15 વર્ષ પછી તેમને ત્યાં ત્રણ સંતાન છે બે છોકરા અને એક છોકરી.
જેમાં છોકરી સૌથી મોટી જેનું નામ અંજલિ અને મોટા છોકરાનું નામ કિશન અને સૌથી નાના છોકરાનું નામ નરેશ (જે આ ધારાવાહિક નું હાર્દ પાત્ર છે.)હતું.

અંજલિ સૌથી મોટી એટલે તેની માતાને દરેક કામ માં મદદ કરે.એટલે અડધું કામ તો નીકળી જાય.અંજલિ ભણવામાં નબળી એટલે 3 ચોપડી ભણી અને કિશન પણ થોડા અંશે હોશિયાર પણ અંગ્રેજી આવડે એટલું ભણીને ઉઠી ગયો.તેથી તેણે તેના પિતાના કામ માં મદદરૂપ થતો.પાનનો ગલ્લો સાચવે જેથી પિતા જીવરાજભાઈ કૈંક કામ પતાવી આવે.

પણ નરેશ ખૂબ જ હોશિયાર હતો એટલે તે ભણ્યો. ગામમાં માત્ર આઠ ધોરણ પૂરતું જ હતું.તેથી ઉચ્ચ અભ્યાસ માટે બાજુના ગામમાં ચાલીને જવું પડે.



હવે આગળ શું થાય છે તે જોઈએ આવતા પ્રકરણમાં......

આપના પ્રતિભાવ ચોક્કસ જણાવશો.

(ક્રમશ:)