Ruday Manthan - 1 books and stories free download online pdf in Gujarati

રુદયમંથન - 1

ભાગ ૧

ધર્મવિલાનાં આંગણે આજે મોંઘીદાટ ગાડીઓ ગોઠવાઈ હતી, અવતજતા દિગ્ગજ મહેમાનોમાં શાંતિ વ્યાપી હતી, ધર્મવિલા આજે આટલી બધી ભીડ સાથે પણ સુનું લાગી રહ્યું હતું, ધર્મવિલાનું મૂળ ધર્મસિંહ દેસાઇનું આજે બેસણું હતું, દુનિયા માટે એક એવી વ્યક્તિનું નિધન જેમણે પોતાના માટે નહિ પરંતુ દુનિયા માટે જીંદગી વિતાવી દીધી, એમને કરેલાં કર્યો અને એમની નામના એ જ એમની સાચી મુડી હતી, પૈસો એમની જોડે અઢળક હતો પરંતુ જીવનપર્યંત એમને એ રૂપિયાની જરાય લાલસા નહોતી.એમનું જીવન બહુ જ સાદું અને સરળ હતું,એમની ઉદારતા, દયાળુ સ્વભાવ એમનો હરેલોભરેલો સંસાર એ એમની સંપતિ હતી.એમનાં ગાર્ડનમાં રહેલા છોડવાઓ એ એમના મિત્રો હતા, એમને હરિયાળી પ્રત્યે અને પુસ્તકો પ્રત્યેનાં પ્રેમને ખૂબ શોખથી વિકસાવ્યા હતા, ઘરમાં રહેલી એમની પોતાની લાઇબ્રેરી અને એને અડીને આવેલો બગીચો એ જ એમનું નિવૃત્તિ પછીનું જીવન હતું.
આજે એમના એ જીવનની માયા સંકેલાઈ ગઈ હતી, એમનાં બગીચા અને લાયબ્રેરીમાં સુનકાર વ્યાપી ગયો હતો, ધર્મવિલાની અંદર પ્રવેશતાની સાથે આજે ધર્મસિંહનો મોટો ફોટો મૂકેલો હતો, એમની આજુબાજુ સુગંધિત પુષ્પો એમનાં જીવનની મહેક ગાતા હતાં, ગૂગલની અગરબત્તી સુવાસિત હતી પરંતુ એમનાં જીવનના સત્કર્મો આગળ એ જાણે ઝાંખી વર્તાઇ રહી હતી, એમની પ્રતિમામાંથી એમનું તેજ હજીય એવું જ ઝલકતું હતું જેવું એમનાં જીવનમાંથી! એમનાં જીવનમાં એ બધી રીતે નિપૂણ હતા, એમનાં વેપારની શરૂઆતથી માંડીને એમને વેઠેલા સંઘર્ષો, ત્યાર બાદ એમનાં જીવનની રોનક બધું આવેલાં સૌના માનસપટ પર છવાયેલું હતું.એમની આંખોનું તેજ જાણે બધા જોડે હજીય વાતો કરતું હતું, એમનાં હોઠની રેખાઓ એમનાં સ્મિતને અલગ તરવતી હતી, એમની સીતેર વર્ષની પહોંચેલી પ્રોઢતા હજીય યુવાનની પેઠે અકબંધ જણાઈ રહી હતી, તેઓ દુનિયાને અલવિદા કહી ગયા એ હજીય કોઈના માન્યામાં આવતું નહોતું, છતાંય કુદરતને આધિન સૌ એ સ્વીકારી રહ્યાં હતાં.
ધર્મસિંહની ફરતે બેસેલી એમનો પરિવાર એક વટવૃક્ષ લાગી રહ્યો હતો, સફેદ વસ્ત્રોમાં સજ્જ સૌ એક હરોળમાં બેઠાં હતાં, આકાશ, મેધ અને પવન ત્રણેય ભાઈઓ પહેલી હરોળમાં બેઠેલાં, ઉંમર તો ત્રણેયની સરખા જેવી હતી પરંતુ ત્રણેયના બાંધા એમની ઉંમર વધારે સચોટ કરી આપતાં હતા, એમની સામેની બાજુએ એમની ધર્મપત્ની અનુક્રમે માધવી, તૃપ્તિ અને શિખા બેઠાં હતાં, આમ તો પ્રસંગ તો બેસણાનો હતો પરંતુ ફેશનેબલ બનેલી માનુનીઓને એમાંય ફેશનનો ફટાકો હતો, સફેદ સાડી સાથે મેચિંગ શણગાર એમની રહિશતા દેખાડતા હતા, એમની બીજી પેઢી પણ એમાં જોડાઈ હતી, બધાની ઉંમરમાં મહર્ષિ સૌથી મોટો હતો,ત્યાર બાદ વિધાન, તન્મય, ત્રિશા, સ્વીટી અને બિરવા એમ ત્રણેય દીકરાને એક પુત્ર અને એક પુત્રી એમ લીલીવાડીનાં પુષ્પો હતા, બધાય સમજદાર હતા, કૉલેજમાં ભણતા સૌ ફેશનેબલ અને રૂપિયાની જાહોજલાલીમાં ઉછરેલ હોવાથી થોડાં ઉદ્ધત પણ હતા, છતાંય ભોળાં હતા, એમનાં દાદાનું બેસણું હતું એ હજીય એમનાં દિલમાં ઘર નહોતું કરી શક્યું, ધર્મદાદાનાં લાડકોડ હજીય એ ભૂલી નહોતાં શક્યા, સૌ માટે દાદા દુનિયા છોડીને જતા રહ્યાં એ વિધાન વેધક હતું.
પરિવારના બીજા સભ્યો પણ એમાં જોડાયેલા હતાં, સુખીસંપન્ન પરિવારમાં સૌને મન ધર્મસિંહ દેસાઇ એક વડીલ હતા, એમનું નિધન બધા માટે એક ધ્રાસકો હતો, એમનાં જવાનો નહિ પરંતુ એમણે એમની સવાસો સો કરોડની પ્રોપર્ટી માટે એક રહસ્યમય વિલ બનાવડાવ્યું હતું, એમાં કોના ભાગે શું નીકળશે એ માટે સૌ અજાણ હતાં, બધાને એમાંથી બહુ જ આશાઓ હતી પરંતુ ધર્મસિંહ છેલ્લે શું લખીને ગયા એ તો એ પોતે જ જાણતા હતા, મુનીમજી જેસંગજી અને એમનાં વકીલ કેસરીભાઈ આવી એમને શ્રદ્ધાંજલી આપવા આવ્યા હતા, સાથે સાથે એમનાં વિલની ફાઈલ પણ સાથે લઈને આવ્યા હતા, મહેમાનો ગયા પછી બપોર પછીની વેળાએ એમનાં વીલની ફાઈલ ખોલીને પરિવારને વારસો સોંપવાનો હતો, આમ તો ઉતાવળ નહોતી પરંતુ ધર્મસિંહનો આદેશ હતો કે એમનો વિલ વારસો એમનાં સંતાનોને એમનાં બેસણાંના દિવસે જ સુપરત કરવામાં આવે, માટે મુનિમજી અને વકીલ એમની ફરજ બજાવવા હેતુ સવારથી સજ્જ આવેલાં હતા.
દેસાઈ પરિવાર આમ તો પહેલેથી ઉચ્ચવર્ગિય જીવન જીવતો હતો, ધર્મદાદા જેટલી કરકસર દેખાડીને જીવતાં એટલી જ મોકળાશથી એમના છોકરાઓ અને વહુઓ જીવતી હતી, કશી વાતની ખોટ કોઈના જીવનમાં નહોતી, એમ કહેવાયને કે જીવનમાં જો પૈસો એની ઉપયોગિતા કરતાં વધારે ઘસારો કરી દે તો એ સંસ્કાર નામની મૂડીને ધીરે ધીરે ખૂટવી દે છે! એવું જ કંઇક દેસાઈ પરિવારમાં પણ દેખા દઈ રહ્યું હતું.
બાળકો એમનાં મોબાઈલમાં જાણે શું ગોથા મારતાં હતાં એની કોઈને ખબર નહોતી, પરંતુ મેઘે સૌની સામે બેસણામાં કોઈની નજર ના પડે એમ આંખ કાઢી, બાળકો સાનમાં સમજી ગયા અને પોતપોતાનો મોબાઇલ બાજુએ મૂકીને બળજબરીથી શાંત બેસી ગયા, કમને બેસેલા હોવાથી એમનાં મોઢાં પર કંટાળો સીધો વર્તાતો હતો, રિયાન એમનો પાલતુ કૂતરો ત્યાં દોડતો આવીને એ બાળકોને વળગી ગયો, ધર્મદાદાનો લાડકો હતો એટલે એ પણ સમજી ગયો હતો, એ પણ આજે કઈ પણ હરકત કર્યા વગર . તન્મયના ખોળામાં માથું નાખીને આંખો મીંચી ગયો, ઘરનાં બધાં સદસ્યોમાં કદાચ સૌથી વધારે દુઃખી કદાચ એ જ હશે, કારણકે એને ધર્મવિલાના વિલમાં કોઈ રસ નહોતો, એને તો માત્ર ધર્મદાદાનાં નિઃસ્વાર્થ પ્રેમ અને ભાવના જ સેવી હતી!
શ્રધ્ધાંજલિ આપવા આવતાં મહેમાનોમાં નજીકના હતા એ થોડાં આંસુ સારી લેતા, એમનાં માટે બે ઘડી મૌન રાખી એમનાં ફોટા આગળ વંદન કરી એમનું સ્થાન ગ્રહણ કરી લેતા, થોડી વાર ઘરના પુત્રો સાથે દાદાની સારી વાતો કરી ચાલ્યાં હતા, આવું બધું સવારના આઠ વાગ્યાથી ચાલતું હતું, એમની વાહવાહી કરવામાં લોકો થાકતાં નહોતા, પરંતુ આમને આમ બાર વાગી ગયા, ઘરના સભ્યો હવે થોડા કંટાળ્યા હતા, એમનાં માટે આટલું બધું એક સાથે બેસી રહેવું એક સાહસ હતું, મોજીલા પરિવારમાં શોક આવે ત્યારે એ ઘડી સૌ માટે ખૂબ કઠિન બની જાય છે,એમાંય એમનાં વિલની વાત વચ્ચે હતી એટલે સૌને ઉતાવળ વધી ગઈ હતી, સૌને માટે સસ્પેન્સ ફિલ્મની કલાઈમેક્ની ઘડી આવી ગઈ હતી, ધર્મદાદાના આખી જિંદગીની પુંજીના વારસોને શું મળશે? કોને ભાગે કેટલું આવશે? બધાંય માટે સૌ આતુર હતા.
બધા મહેમાનો વેરાઈ ગયા, સૌ સફેદવસ્ત્રધારી ઘરના સદસ્યો એમની પોતાની જગ્યાએથી ઊભા થયા અને હળવાશ અનુભવવા માંડ્યા, પગે ચડેલી ખાલી અને મનમાં થતી ઉથલપાથલ સાથે આકાશ અને પવન મુનીમજી જોડે આવી પહોંચ્યા.ઘરની સ્ત્રીઓ રસોઈયા પાસે જઇને બધાનાં જમવાની વ્યવસ્થા કરાવવામાં મશગુલ થઈ ગઈ, આ બધા વાતાવરણ સાથે એક લૌકિક પ્રસંગનું પૂર્ણવિરામ મૂકાઈ ગયું.

ક્રમશ

જુઓ આગળનો ભાગ....
વસિયતમાં કોના ભાગે શું નીકળશે?
સમુદ્રમંથન સમાન સવાસો કરોડમાં કોના ભાગે શું આવશે? આતુરતાનો અંત ક્યારે આવશે?
જાણવા માટે વાંચતા રહો રુદયમંથન!