Andhariyo vadaank - 1 books and stories free download online pdf in Gujarati

અંધારીયો વળાંક - 1


છેલ્લા દોઢ વર્ષથી હું અનંતગઢ ગામ થી દૂર આવેલી, આલોક એન્ડ રતિબેન પાટીલ કોલેજ ઓફ બાયોલોજિકલ સાયન્સ માં બાયો મેડિકલ સાયન્સ વિષય સાથે એમ. એસ. સી કરી રહ્યો હતો, હું છેલ્લા સેમેસ્ટર માં બાયો સેન્સર્સ વિષય પર ડેઝર્ટેશન કરી રહ્યો હતો, આજે મારે એ રસ્તા પર જવાનું જ્યાં આજ પહેલા ક્યારેય નહોતો ગયો. મારી સાયકલ નું ટાયર માં પંક્ચર થઈ ગયું હતું, જે મિકેનિક પાસે હું સાયકલ ના કામકાજ માટે જતો તે છેલ્લા ત્રણ દિવસથી બંધ હતો. મારી કોલેજ થી આગળ એક વળાંક હતો ત્યાંથી આગળ જતાં દસ મિનિટ ના અંતર સુધી એક અંધારીયો રસ્તો હતો જેમાં દૂર દૂર ના અંતરે સ્ટ્રીટ લાઈટો હતી, જે લગભગ બધી બંધ હતી.
"અરે રાજન, તે રસ્તે થી ના જતો ક્યારેય, ત્યાં ભૂતપ્રેત આંટા મારે છે રાત્રે"! વિશાખા એ કહ્યું.
હું હસી પડ્યો, હસતાં હસતાં કીધું મેં "વિશાખા અગર ભૂતપ્રેત મળ્યા ને મને તો હું તેને પણ જ્ઞાનતંતુ વિશે શીખવાડી દઈશ"
વિશાખા :" રાજન તું સમજ "
હું :"ના વિશાખા , હું આવી વાતો માં વિશ્ર્વાસ નથી કરતો"
વિશાખા મારી ફ્રેન્ડ કમ બહેન હતી,તે અનંતગઢ ગામ ની જ રહેવાસી હતી મને પોતાનો ભાઈ માનતી હતી, તેમજ પોતાની બધી વાત મારી સાથે શેર કરતી.
હું તે અંધારિયા રસ્તા પર જઈ રહ્યો હતો, સતત અંધારા માં મને કઈ પણ સ્પષ્ટ દેખાતું ન હતું, પણ હું સાયકલ દોરી ને જઈ રહ્યો હતો. મને અમારા ડિપાર્ટમેંટ ના હેડ અને મારા ડેઝર્ટેશન ના ગાઈડ ડો. અનિલસિંહ ઝાલા ની વાત પણ યાદ આવી તેમણે કહેલું કે, " રાજન, તે રસ્તે થી ન જવું, કેમકે ત્યાં કિંગ કોબરા ની ઘણી પ્રજાતિ રહે છે, દિવસે અને રાત્રે પણ ત્યાં થી ઘણા લોકો ના સર્પદંશ થી મોત થયેલા છે"
આવા જ વિચારો કરતો કરતો હું જઈ રહ્યો હતો, એ રસ્તો પૂરો થયો અને એક કોમ્પ્લેક્ષ ના ખૂણા પર છેલ્લી દુકાને એક બલ્બ ચાલુ હતો, તે ગેરેજ હતું. હું ત્યાં ગયો, પંચાવન વર્ષ ના એક વડીલ હતા જેણે મને વ્યાજબી ભાવે સાયકલ માં પંચર કરી આપ્યું.
હું વળતા સાયકલ પર બેસી ને આવી રહ્યો હતો, અંધારા માં એક બે સ્ટ્રીટ લાઈટો શરૂ હતી, તેના અજવાળા માં મને એક પડછાયો દેખાયો, તે પડછાયો ની પાછળ એક પચાસ વર્ષ નો પુરુષ હતો, તેની સાડા પાંચ ફૂટ જેટલી હાઇટ હતી, અંધારું હોવાથી મને કઈ ઝાઝું ના દેખાયું પણ તે બરાબર મારા રસ્તા માં આડો ઊભો હતો, મેં સાયકલ ને બ્રેક મારી.
હું :" અરે કાકા! દૂર ખસો ને"
પેલો :" ભૂલા પડ્યા છો? નવજવાન"
હું :" નહીં કાકા, પંચર રીપેર કરાવવા આવેલો"
પેલો : "સારું, મને લાગ્યું ભુલા પડ્યા હશો, કેમકે આ રસ્તા પર કોઈ જ આવતું નથી"
હું :" કાકા એક સવાલ પૂછુ?"
પેલો :" હા પૂછો"
હું :" આ રસ્તા પર કેમ કોઈ આવતું જતું નથી? શા માટે આ રસ્તા માટે હમેશાં અફવાઓ ફેલાવવામાં આવે છે? "
પેલો :"કોણ જાણે કોણ છે એ!! મને એટલી ખબર છે જુવાન કે આ વિસ્તાર માં દાણચોરી થાય છે, પ્રાણીઓના નખ અને ચામડી ની તસ્કરી થાય છે એટલા માટે અહીંયા આવી અફવાઓ ફેલાવવામાં આવે છે, બાકી કઈ નહીં ખબર"
એટલું કહી ને તે ત્યાંથી આગળ ચાલ્યો.
હું પણ આગળ વધી ગયો, કેવા છે સાવ બધા, આટલી નાની વાત થી ડરી રહ્યા હતા! અસલી વાત તો તસ્કરી ની છે, ઘણી જગ્યાઓ ને આવી રીતે બદનામ કરી દાવામાં આવે છે જેથી ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ શકે!! મારા મગજ માં આવા વિચારો ચાલી રહ્યા હતા, મને ગર્વ થઈ રહ્યો હતો કે હું પહેલો સહીસલામત પાછો આવી રહેલ વ્યક્તિ હતો, મારા મનમાં હવે જેમ્સ બોન્ડ બની ને આ તસ્કરો ને પકડવા માટેનાં વિચારો આવી રહ્યા હતા, આમ ને આમ તે દિવસ પૂરો થયો.
બીજે દિવસે કોલેજ માં બ્રેક ના સમયે અમારું ગ્રુપ, કોલેજ ની બાજુ માં આવેલા લાલો મારવાડી ની નાસ્તા ની દુકાન કે જેને અમે કેન્ટીન પણ કહેતા હતા ત્યાં પર બેઠા હતા., હું, ઇમરાન,ભાવેશ, વિશાખા, નિલેશ તાવડે, ભૂમિ,આરતી આ બધા સામે શેખી મારી રહ્યો હતો કે કેવી રીતે હું સફળતાપૂર્વક પાર આવી ગયેલો તે, બધા મને આશ્ચર્ય થી જોઈ રહ્યા હતા. છેલ્લે હું લાલા ભાઈ પાસે મારા નાસ્તા નું બિલ ચૂકવવા ગયો, લાલાભાઈ 32-35 વર્ષીય યુવક હતા અને મારા મિત્ર જેવા હતા,મારે તેમની સાથે ઘણા સારા સંબંધ હતા , ત્યારે મેં તેમને તે અંધારિયા રસ્તા વિશે પૂછવાનું શરૂ કર્યું.
હું :- " પેલા રસ્તા વિશે તમારૂ શું કહેવું છે?"
લાલાભાઈ :" સાહેબ ત્યાં વિશે કહેવાય છે કે ત્યાં એક વ્યક્તિ નું ભૂત થાય છે!"
હું (મજાક માં) : " અચ્છા!! કોનું ભૂત?"
લાલાભાઈ :" આજ થી 20 વર્ષ પહેલાં એક વ્યક્તિ મરી ગયેલો, લકવા ના એટેક ની રીકવરી માટે તે રસ્તા પર રાતના સમયે આંટા મારતો, તેને નવયુવકો બહુ ગમતા"
મારા કાન ધીરે ધીરે સારવા થઈ રહ્યા હતા અને ઉત્તેજીત થઈને તેની વાત સાંભળી રહ્યો હતો.
લાલાભાઈ :" તેને વારે વારે એક વાક્ય બોલવાની આદત હતી! "
હું :" શું??! કયું વાક્ય?"
લાલાભાઈ : -" કોણ જાણે કોણ છે એ "