Grief books and stories free download online pdf in Gujarati

વ્યથા..

એક એવો શબ્દ અથવા લાગણી જે સામાન્ય રીતે કોઈ સમક્ષ રજૂ ના કરી શકાય. મન અને હૃદયના કોઈક ખુણામાં વસેલો એક ખાલીપો, જે કહેવા માટે ખાલીપો છે પણ ઘણું બધું ડુમા સમું ભરાયેલું છે. એક એવો શૂન્યાવકાશ કે જે લગભગ શબ્દોમાં સચોટ પ્રમાણથી વર્ણવવો ઘણું અઘરું બની જાય.

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ જ્યારે વધારે પડતી ચૂપકીદી સાધે છે ત્યારે અથવા તો વધારે પડતું હસ્યા કરે છે તો એવું પ્રતીત થાય કે એ કંઈક તો અત્યંત ગેહરાઈ માં ઘાવ ખાઈ ગયેલો છે. જ્યારે કોઈ વ્યક્તિ હંમેશા બીજી વ્યક્તિને મદદરૂપ બને છે ત્યારે તે વ્યક્તિ પોતે ઘણી વાર મદદ મળવાથી વંચિત રહી ગયેલ હોય છે આ એક સરળ મનોવૈજ્ઞાનિક ભાષા છે કે કોઈ વ્યક્તિએ જે જીવેલું, વેઠેલું કે ખમેલું છે તે બીજા કોઈ વ્યક્તિઓએ સામનો ન કરવો પડે એટલે તે પોતાનાથી બનતા બધા જ મદદરૂપ થવાના પ્રયત્નો કરે છે. આ બધું કર્યા પર્યંત એની અવગણના થાય અથવા તો એના આ સારા સ્વભાવ ને જ્યારે કોઈ ખરાબ ટીકા-ટિપ્પણી મળે ત્યારે ખરા અર્થમાં તે વ્યથાનો ભોગ બને છે. વ્યથા ઘણા બધા પ્રકારની હોય પણ જે વ્યથા લાગણી સાથે સંકળાયેલી હોય તે અત્યંત ઉંડા ઘાવ આપે છે. જેના પરિણામે વ્યક્તિ અને તેના વ્યક્તિત્વમાં મહદંશે ફેરફાર આવે છે. આ ફેરફાર પ્રત્યેક માણસને દેખાય છે અને ઘણા માણસો તેને સ્વીકારી શકતા નથી પણ પરિવર્તન આવવા પાછળનું કારણ એ લોકો જાણતા નથી. એ વ્યક્તિ એ હદે હેરાન થયેલો હોય છે કે પછી એને એક પણ વાતથી ફરક પડતો નથી. એમાંય ફરક પડતો નથી એ ઘણીવાર માત્ર ચેહરા ઉપરના હાવભાવ માત્ર દેખાડો હોય છે પરંતુ અંદરખાને એ ખૂબ જ લાગણીશીલ હોવાથી તૂટેલું અને વિખરાયેલું અનુભવે છે.

બસ આ વ્યથાના સંદર્ભે મેં કંઈક લખવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખું છું કે આપને ગમશે. આપનો આભાર.


વ્યથા...


કહેવા છતાંય નથી કહી શકતી,
દિલ ની વ્યથાઓ ! દિલમાં નથી રહી શકતી.

અશ્રુઓ બનીને આવે જ્યારે આંખમાં,
તો પાંપણેય ભીંજાયા વિના નથી રહી શકતી.

મબલખ દુ:ખો વેઠ્યા જીવનમાં,
તોય ગમગીની ! તારો પીછો છોડાવી નથી શકતી.

કાળઝાળ ધબકારા, ધબકે છે ક્યારના !
હૃદય ! તને શાંત પડવાની પરવાનગીય નથી આપી શકતી.

તકલ્લુફ એટલી, કે આ જીવન કેવું?
જ્યાં મને ખુદને જ હું, સંપૂર્ણપણે જાણીયે નથી શકતી !

સવાર પડે ત્યારે જાગુ જ છું પણ !
રજની ! તારા રહસ્યમાં ચેનથી પોઢીયે નથી શકતી.

ઘણીવાર ઘણી બધી બાબતો એવી હોય છે જે આપણે કોઈ સમક્ષ રજૂ કરી શકતા નથી. જેના પરિણામે ઘણી બધી એવી બાબતો આપણામાં કોઈક ખૂણે ખાચરે સ્થાન કરી ગયેલી હોય છે પરિણામે આપણો વિકાસ રૂંધાય છે તો આવું ના થાય એના માટે આપણે ઘણા બધા રસ્તાઓ કરી શકીએ જેમ કે આપણે કોઈ વસ્તુ કાગળ અને પેન દ્વારા પણ પ્રદર્શિત કરી શકીએ છે જ્યારે જ્યારે આપણને એવું અનુભવ થાય કે હવે ખૂબ જ વધી ગયું છે ત્યારે ત્યારે આપણે એક કાગળ અને પેન લઈને બેસવાનું. જે જે અનુભવ થાય એ બધું જ એમાં લખીને અથવા તો જેટલી વ્યથાઓ હોય એ બધી જ એમાં લખીને એ કાગળને ડૂચો વાળીને ફેંકી દેવાનું. આનાથી ઘણો ફાયદો થશે.

આ એક જીવન છે.જીવનમાં બધું જ આવશે સુખ પણ આવશે, વ્યથાઓ પણ હશે અને દુઃખ પણ આવશે. પણ ખરેખર જો વિચારવા જઈએ તો આ બધું અમુક સમય માટે મર્યાદિત હોય છે. આપણું કામ છે કે આપણે આ મર્યાદા ઓળંગીને આપણા હેતુ સુધી પહોંચવા મહેનત કરીએ.
જય હિન્દ.