Jivansangini - 25 books and stories free download online pdf in Gujarati

જીવનસંગિની - 25

પ્રકરણ-૨૫
(સંબંધની કીંમત)

આજે આકાશનો જન્મદિવસ હતો. અનામિકા આકાશને મળવા માટે ઘરેથી નીકળી ચૂકી હતી. રસ્તામાં એના મનમાં અનેક પ્રકારના વિચારો ચાલી રહ્યા હતાં. એ વિચારતી હતી કે, મારો દીકરો શું કરતો હશે? મારા વિના એને ગમતું હશે કે કેમ? એ મને યાદ કરતો હશે કે નહીં? શું એ મને જોઈને ખુશ થશે કે નહીં? એવા અનેક પ્રશ્નો એના મનને ઘેરી વળ્યા હતા.

અનામિકાએ આકાશને મળવા માટે એની શાળાએ જ જવાનું પસંદ કર્યું હતું. કારણ કે, એ જાણતી હતી કે ઘરે તો નિશ્ચય એને નહિ જ મળવા દે.

અનામિકા હવે આકાશની શાળાએ પહોંચી ગઈ હતી. એ આકાશની શાળાના ગેટ પાસે રીક્ષામાંથી ઉતરી. એણે રીક્ષાવાળાને પૈસા ચૂકવ્યાં. એ અંદર દરવાજામાં દાખલ થઈ. એણે આકાશને મળવા માટે રીસેસનો જ સમય પસંદ કર્યો હતો. એ આકાશ જયાં નાસ્તો કરી રહ્યો હતો ત્યાં આવી. આકાશની નજર પણ એની મા ઉપર પડી. બંને મા દીકરાની નજર મળી. પણ અનામિકાને જોઈને આકાશ ખુશ થવાને બદલે અચાનક ખૂબ જ ગભરાઈ ગયો અને એ ધ્રૂજવા લાગ્યો. જાણે એ અનામિકાથી દૂર જવા માંગતો હોય. અનામિકા તો આકાશનું આવું વર્તન જોઈને એકદમ અચરજમાં મુકાઈ ગઈ. એને સમજાયું નહીં કે, હું આટલાં બધાં સમય પછી એને મળવા આવી છું અને એ મને જોઈને આમ કેમ ડરી ગયો છે?

અનામિકા આકાશની પાસે આવી અને એણે કહ્યું, "હેપ્પી બર્થ ડે આકાશ! બેટા! હું તને આજે તારો બર્થ ડે છે તો તને વિશ કરવા આવી છું. જો તારા માટે કેટલી બધી ગિફ્ટસ લાવી છું. અહીં આવ મારી પાસે દીકરા! જો તો ખરા!"

પણ આકાશ તો અનામિકાની કોઈ વાત જ સાંભળવા માટે અત્યારે તૈયાર નહોતો. એ ભયથી કંપી ઉઠ્યો હતો. ત્યાં જ આકાશની નજર દરવાજામાંથી શાળામાં દાખલ થઈ રહેલાં એના પિતા નિશ્ચય પર પડી. એ એને જોઈને એને વળગી પડ્યો.

નિશ્ચયની નજર અનામિકા પર પડી. અનામિકાને આકાશને મળવા આવેલી જોઈને એ ખૂબ જ ભડકી ઉઠ્યો. "હવે શેના માટે અહીં આવી છો? તારે જે કરવું હતું એ તો તું કરી જ ચૂકી છો. જેને તે છોડી જ દીધાં છે એના માટે પાછી ફરીને શું કામ આવી છો? ખબરદાર! જો આજ પછી કોઈ દિવસ આકાશને મળવાનો પણ પ્રયત્ન કર્યો છે તો મને નથી ખબર કે, હું શું કરી બેસીશ. પણ એટલું જરૂર જાણું છું કે, એનું પરિણામ સારું નહીં આવે."

અનામિકાએ નિશ્ચયનું આવું રૂપ આજે પહેલી જ વાર જોયું હતું. ત્યાં જ પ્રિન્સિપાલની નજર એ બંને ઉપર પડી અને એ બોલી ઉઠ્યા, "સારું થયું નિશ્ચયભાઈ કે, તમે આકાશની મમ્મીને પણ લઈને આવ્યા. મને ગમ્યું. પ્રિન્સિપાલની આવી વાત સાંભળી અનામિકા આશ્ચર્યથી નિશ્ચયની સામે જોવા લાગી. કારણ કે, એને તો કોઈ વાતની જાણ જ નહોતી અને નિશ્ચયને એને જણાવવું જરૂરી પણ નહોતું લાગ્યું. એ હજુ પણ ગુસ્સામાં જ હતો.

નિશ્ચયે પ્રિન્સિપાલને કહ્યું, " મેં એને નથી બોલાવી મેડમ! એ એની જાતે જ આવી છે. અને હું તમને પણ કહી રાખું છું કે આજ પછી એ આકાશને મળવી જોઈએ નહીં."

"પહેલાં તો તમે શાંત થઈ જાવ. પ્રિન્સિપાલે એને શાંત કરવાનો પ્રયત્ન કરતા કહ્યું.

"ના, હું શાંત નહીં થાવ. જ્યાં સુધી તમે મને એમ નહીં કહો કે, અનામિકા હવે આકાશને નહીં મળે ત્યાં સુધી હું શાંત નહીં થાવ. એને કહો કે, અત્યારે ને અત્યારે જ અહીંથી જતી રહે." નિશ્ચય ખૂબ જ ગુસ્સામાં હતો.

પ્રિન્સિપાલે અનામિકાને અત્યારે ત્યાંથી જતા રહેવા માટે ઈશારો કર્યો. અનામિકા એમની વાત સમજી ગઈ અને ત્યાંથી દૂર જતી રહી.

એ શાળાના ગેટની બહાર નીકળી ગઈ. કારણ કે, શાળામાં અત્યાર સુધી એણે જે જોયું એ પછી એની વધુ વાર ત્યાં ઉભા રહેવાની હિંમત પણ ન થઈ. એનું હૈયું ભરાઈ આવ્યું હતું અને એની આંખોમાંથી મોતી જેવાં આંસુઓ ટપકી રહ્યાં હતાં. એની બધી જ આકાંક્ષાઓ આજે હારી ગઈ હતી. એને આજે સમજાઈ નહોતું રહ્યું કે, હું ક્યાં ખોટી છું? શું અન્યાય સહન કરવો એ ખોટું છે કે, પછી અન્યાયની સામે અવાજ ઉઠાવવો એ ખોટું છે? મારું ઘર છોડવાનું કારણ તો માત્ર એ જ હતું કે, નિશ્ચયે મારા પર હાથ ઉપાડ્યો. મને લાગતું હતું કે, થોડાં દિવસ એની સાથે નહિ હોઉં તો કદાચ એને મારી કીંમત સમજાશે. પણ એને મન મારી કોઈ કીંમત જ હતી કે નહીં એ જ મને સમજાતું નથી. અને આકાશ? આકાશ મને જોઈને આટલો બધો ડરી કેમ ગયો હતો! મને એ જ સમજાતું નથી. એમ વિચારતી એ ત્યાંથી નીકળી ગઈ અને પોતાના પિતાના ઘરે પરત ફરી.

*****
આ બાજુ મેહુલે હવે નોકરી છોડી દીધી હતી અને એણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. એણે ટાઈલ્સનો ઈમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ શરૂ કર્યો હતો. એનો ધંધો પણ હવે બરાબર જામવા લાગ્યો હતો. એણે પોતાની કંપનીનું નામ પણ મેહુલ અને નિધીનું કોમ્બિનેશન કરીને મેની રાખ્યું હતું. વીર પણ હવે ભણવામાં પોતાનું ધ્યાન પરોવવા લાગ્યો હતો.

મેહુલને હજુ પણ ક્યારેક ક્યારેક ગુરુજીએ કહેલા શબ્દો એના કાનમાં ગૂંજી ઉઠતાં અને એ વિચારતો કે, શું ખરેખર મારા દીકરાના નસીબમાં મા નું સુખ હશે? જો હા તો કોણ હશે એ સ્ત્રી?" આવાં વિચારો એને ઘણીવાર આવી જતાં પણ એનો આ ઈંતજાર ટૂંક સમયમાં જ પૂર્ણ થવાનો હતો એ વાતથી એ ખુદ પણ હજુ અજાણ હતો.

*****
શું થશે જ્યારે અનામિકા મનોહરભાઈને કહેશે આકાશ અને નિશ્ચયની બધી વાત? શું હશે આકાશ, અનામિકા અને નિશ્ચયનું ભવિષ્ય? કોણ બનશે મેહુલની જીવનસંગિની અને વીરની મા? આવા અનેક સવાલોના જવાબ મેળવવા વાંચતાં રહો આ વાર્તા જીવનસંગિની.
*****