Pincode of happiness - 2 books and stories free download online pdf in Gujarati

સુખ નો પીનકોડ - 2 - નિજાનંદ


મારા અગાઉના લેખ "સુખ નો પીનકોડ" વાચકો અને મિત્રો ને ગમ્યો. પ્રત્યક્ષ રૂપે, ફોન થી અને મેસેજ દ્વારા મળેલા તેમના સકારાત્મક પ્રિતાભવો થી પ્રેરાઈ ને સુખ ના બીજા પીનકોડ ને આપની સામે રાખવા નું મન થયું. હવે થી આપણે આવા બીજા ઘણા પીનકોડસ્ ને ઓળખી ને તેને ડીકોડ કરવા નો પ્રયત્ન કરીશું.

આ બીજા મણકા માં આવા જ એક પીનકોડ ની વાત કરવી છે જે છે - "નિજાનંદ". શબ્દ ભલે થોડો ભારેખમ લાગે પણ આપણે અંહી કોઈ મોટી ફિલસૂફી ની વાતો નથી કરવી, બને તેટલી સહજ રીતે તેની ચર્ચા કરવી છે.

આપણી સાથે બનેલી કે આસપાસ ઘટતી થોડી ઘટનાઓ પર નજર કરીએ -

• સોશિયલ મીડિયા પર કરેલી આપણી પોસ્ટ ને વધારે લાઈક ના મળે તો આપણને મજા નથી આવતી અથવા લાઈક તો ઘણી મળી છે પણ કોઈ ચોક્કસ વ્યક્તિ ની લાઈક નથી મળી તેથી આપણે દુઃખી છીએ, એના થી આગળ એની લાઈક મળી છે પણ એને કોઈ કૉમેન્ટ નથી કરી એ આપણને નથી ગમ્યું

• બેહનપણી પોતાના માટે ચણીયા ચોળી લઈ આવી અને મને ખરીદી કરવા જાવ છું એમ કે કહ્યું પણ નહિ એટલે મને બહુ ખોટું લાગ્યું.

• મિત્ર એ મકાન બુક કરાવ્યું પણ મને પૂછ્યું જ નહિ એ મને ખૂબ ખુંચ્યું

• હું આટલું ઘસાવ છું પણ મારી તો કોઈ ને કદર જ નથી.
આ બધી ઘટનાઓ નો એક કોમન થ્રેડ હોય તો એ છે કે બીજી વ્યક્તિ એ આપણી અપેક્ષા પ્રમાણે વર્તન ના કર્યું એટલે આપણને લાગી આવ્યું. આપણી અપેક્ષા કેટલી યોગ્ય છીએ કે નહિ એ તપસ્યા વગર બસ એણે આમ ના કર્યું એટલે આપણે દુઃખી થયા.

આજે જાણ્યે અજાણ્યે આપણે સુખ બાહ્ય રીતે શોધતા રહીએ છીએ. આપણી ભારતીય પરંપરા માં તો નિજાનંદ નો અપાર મહિમા થયો છે તે ભૂલી ગયા છીએ તેથી જ આપણે દુઃખ ને આમંત્રણ આપતા ફરીએ છીએ.

આપણે ઋષિ મુનિઓ ની કક્ષા સુધી ના નિજાનંદ મેળવવાના સ્તર સુધી ભલે ના પહોંચી શકીએ પણ આપણા હાથ માં હોય એવી વસ્તુઓ તો જરૂર થી અમલ માં લાવી શકીએ. થોડીક શક્યતાઓ તપાસીએ -

• શું આપણે દિવસ માં એક વખત દસ થી પંદર મિનિટ આંખ બંધ કરી ને બેસી શકીએ કે કેમ? હું અંહી ધ્યાન ધરવા જેવી અઘરી લાગતી વાત નથી કરતો. ખાલી આંખ બંધ કરી ને થોડું અંદર ડોકિયું થાય તો ય બસ. જાત સાથે ના બે ચાર સવાંદો પણ વિચારો માં તાજગી લાવશે એની ગેરેંટી. કદાચ એવું પણ બને કે આગળ વાત કરી એવી કોઈ ના તરફ ની વધારે પડતી અપેક્ષાઓ મૂલવવા ની તક પણ મળે અને એક સંબંધ જળવાય જાય

• શું આપણે આપણી મનગમતી પ્રવૃત્તિઓ ના કરી શકીએ? પોતાની જાત અને સમાજ માટે હાનિકારક ના હોય તેવી ગમતી પ્રવૃત્તિ ગમે તે ઉંમરે થઈ શકે. કોઈ શું કહશે એની પરવા કર્યા વગર તમારા શોખ બિન્ધાસ્ત પૂરા કરો. મ્યુઝિક, ડાન્સ, સિંગિંગ, ડ્રોઈંગ, એક્ટિંગ, રીડિંગ, રાઇટિંગ, ટુરિંગ જેમાં તમને આનંદ આવે તે બધું જ કરો. આ ગમતી પ્રવૃતીઓ જ તમને ઊર્જા આપશે, નેગેટિવિટી થી દુર રાખશે, નવા સંબંધો વિકસાવાશે. સરવાળે આનંદ ની અનુભૂતિ મળવી જ રહી. આ વિષય નું એક વાસ્તવિક ઉદાહરણ આપું. અમારા કોલેજ ના ગ્રુપ માં એક સિનિયર છે જે અમેરિકા માં સ્થાયી છે અને સારી નોકરી કરે છે. એ ઘણા વખત પેહલાથી કે કહેતા હતા કે મારે તો હવે ખેતી કરવી છે, ત્યારે તેની વાતો અમારા માંના ઘણા ને ગંભીર નોહતી લાગતી. પણ ધીરે ધીરે એમણે એ દિશા માં કામ કરવા નું શરુ કર્યું. અમેરિકા માં જ એક ખેતર લીધું, એમાં ઘર બનાવ્યું, ટ્રેક્ટર લીધું, જમીન તૈયાર કરવા નું કામ ચાલુ કર્યું. બધું જ કામ પોતાની જાતે કરે છે. એ મિત્ર મરઘાં ઉછેરવા નું શીખે છે, પોતાના ખેતર ની દ્રાક્ષ માં થી વાઇન બનાવે છે, ટપક પદ્ધતિ થી રોપા ઉછેરે છે. એની પાસે હવે પછી કરવા ના પેન્ડિંગ કામ નું લીસ્ટ તૈયાર જ હોય છે. રોજ અમારા ગ્રુપ માં એની આ પ્રવૃત્તિઓ ની નાની નાની વિડિયો ક્લિપ મૂકે છે "હાલો ખેતરે મોજ કરવા" એ એનો તકિયા કલામ છે. એ ખરેખર મોજ કરે છે અને એને મોજ કરતો જોઇ ને અમને મિત્રો ને પણ મોજ આવે છે. તમને પણ તમારી આસપાસ આવા ઝિંદાદિલ માણસો ના ઉદાહરણો મળી રહશે.

• આપણે કોઈ પણ જાત ના વળતર ની અપેક્ષા વગર સામાજીક કે સેવાકીય કામો કરી શકીએ કે કેમ? આવા કામો કરવા થી નિજાનંદ મળવો જ રહ્યો. આપણે ઘણો સમય સોશિયલ મીડિયા માં કે નાહક ની વાતો માં વેડફિયે છીએ. પરિણામ - ઉદ્વેગ, અનિંદ્રા, ગ્લાનિ, ગુસ્સો વગેરે વગેરે. એની સામે સેવાકીય કાર્યો એક અજીબ પ્રકાર નો આત્મસંતોષ અને માનસિક શાંતિ આપે છે. બીજા બેએક વાસ્તવિક ઉદાહરણો આંપુ. મારા એક પાડોશી વ્યવસાયે ખેડૂત છે. તેમને આંબા ની ખેતી છે,એટલે વર્ષ માં ત્રણ ચાર મહિના કામ રહે. પણ બાકી નો સમય એ સેવાકીય કમો માં જ રચ્યા પચ્યા રહે. દર વર્ષે અમરનાથ યાત્રા માં લાગતા કેમ્પ માં એક દોઢ મહિનો આકરી સેવા આપે, પોતાના વતન ના ગૌ શાળા ના ફાળા માટે પ્રવૃત્તિ કરે, સોસાયટી ના બધા ઉત્સવો માં ઉમળકા થી સેવા આપે , સાફસફાઇના કામો કરે. એ આ ઉંમરે જે રીતે કામ કરે છે એ જોઈ ને આશ્ચર્ય થાય કે આટલી ઊર્જા એમને મળે છે ક્યાં થી? જવાબ છે નિજાનંદ માંથી. મારા બીજા એક મિત્ર જે હોટેલ ના વ્યવસાય માં છે એ એવા જ ખંત થી વૃક્ષારોપણ કરે છે. એમનું એક જ લક્ષ્ય છે આખો વિસ્તાર હરિયાળો બનાવો જોઈએ. અને આ કાર્યમાં ગાંઠના પૈસા ખર્ચતા પણ અચકાતા નથી. બસ એમને આ કામ ખૂબ આનંદ આપે છે.

આવું ઘણું છે જે આપણને નિજાનંદ આપે. અને આવો નિજાનંદ આપણને પરમ સુખ તરફ લઈ જાય છે.

માટે જ - નિજાનંદ માં રહો ; મસ્ત રહો.

કવિ શ્રી મનોજ ખંડેરિયા ની એક રચના સાથે આજ ની વાત પૂરી કરીએ
--
મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ધણ જાતાં ઘરઢાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

- મનોજ ખંડેરિયા

હવે પછી ના મણકા માં સુખ નો બીજો એક પીનકોડ ઉકેલવા નો પ્રયત્ન કરીશું. આપના પ્રતિભાવો આવકાર્ય છે. તમારી પાસે પણ સુખ નો પીનકોડ હોય તો જણાવશો, એને પણ આપણી લેખ માળા માં સ્થાન આપીશું.

ajsodha@yahoo.co.in