Dhun Lagi - 28 books and stories free download online pdf in Gujarati

ધૂન લાગી - 28




"ચાલો, ચાલો, બધાં જલ્દીથી બહાર નીકળો અને બસમાં બેસો." અંજલીએ કહ્યું.

"અરે યાર! આ બસવાળો ક્યારનો હોર્ન વગાડે છે. કોઈ જઈને તેને શાંત કરાવો." અનન્યાએ કહ્યું.

"આપણે બસમાં જઈશું, પછી જ એ હોર્ન વગાડવાનું બંધ કરશે‌." આમ કહીને અંજલી હસવા લાગી.

"તમે બંને વાતો પછી કરજો. અત્યારે જલ્દીથી જઈને બસમાં બેસો." અમ્માએ ત્યાં જઈને કહ્યું.

"અરે! પણ મારો સામાન બસમાં મૂકવાનો છે!" અંજલીએ કહ્યું.

"એ મૃદુલઅન્ના મૂકી દેશે. તમે જાઓ." અમ્માએ કહ્યું.

"ઠીક છે." આમ કહીને અંજલી, અનન્યાની સાથે જઈને બસમાં બેસી ગઈ. "બધાં આવી ગયાં?" અંજલીએ પૂછ્યું.

"હા" બધાંએ એકસાથે કહ્યું.

બસ હોટેલ પર જવાં માટે નીકળી ગઈ હતી. થોડીવારમાં હસતાં-રમતાં, નાચતાં-કૂદતાં બધાં હોટેલે પહોંચી ગયાં. બધાં બસમાંથી નીચે ઉતાર્યાં. હોટેલનાં ગૅઈટ પર થોડાં લોકો તેમનું સ્વાગત કરવામાં માટે ઊભાં હતાં. તેમનાં આવતાં જ શરણાઈ અને વાજિંત્રો વાગવા લાગ્યાં. તેઓએ બધાંને તિલક કર્યું અને ફૂલની માળા પહેરાવીને સ્વાગત કર્યું.

બધાં પોતાનાં રૂમમાં જઈ ફ્રેશ થઈને પાછા આવી ગયાં હતાં.

"હવે અહીંથી આપણે ખરીદી કરવાં માટે માર્કેટમાં જઈશું." ઇવેન્ટ મેનેજરે કહ્યું.

બધાં માર્કેટમાં ગયાં અને ત્યાંથી કલ્યાણમ્ માટેની ખરીદી કરી. કરણ, અંજલી, અનન્યા અને કૃણાલ અલગથી કારમાં ગયાં હતાં. તેમણે પહેલાં અંજલી અને અનન્યા માટે કપડાં અને ઘરેણાંની ખરીદી કરી, પછી કરણ અને કૃણાલ માટે ખરીદી કરવાં માટે ગયાં.

"તમારે નવાં કપડાં લેવાની જરૂર નથી, તે દિવસે મંદિરમાં પહેર્યા હતાં, તે સફેદ શર્ટ અને ધોતી પહેરી લો; એ પણ ચાલશે." અંજલીએ અનન્યાને તાલી મારીને કહ્યું.

"હા જીજુ! એ ધોતી તમારાં પર સારી પણ લાગશે." આમ કહીને અનન્યા હસવા લાગી.

"અત્યારે જેટલી મસ્તી કરવી હોય તેટલી કરી લો. લગ્ન પછી તો હું કહું તેમ જ કરવું પડશે." કરણે કહ્યું

"લગ્ન પછી હું તારી પત્ની બનીશ, રોબોટ નહીં; કે તું ઓપરેટ કરે અને હું એ પ્રમાણે કામ કરું." અંજલીએ કહ્યું.

"હા, મારી અક્કાને ઓછી સમજવાની ભૂલ ન કરતાં. યાદ છે ને, તે દિવસે મંદિરમાં તેલ ઢોળાયું હતું એ. લગ્ન પહેલાં તો માત્ર તેલ ઢોળ્યું હતું, લગ્ન પછી તમને પણ ઢોળી નાખશે." આમ કહીને અનન્યા હસવા લાગી.

"હવે બસ કરો. જલ્દીથી ખરીદી કરી લઈએ, પછી પાછું પણ જવાનું છે." કૃણાલે કહ્યું.

"હા, ચાલો. તમારી ખરીદી તો થઈ ગઈ છે. તમારી વાતોનાં કારણે અમારી ખરીદી બાકી રહી જશે. ચાલો, ચાલો." આમ કહીને કરણ બધાં સાથે ખરીદી કરવાં ચાલ્યો ગયો.

બપોરનું ભોજન પણ ત્યાં જ કરીને, રાત્રે તેઓ ખરીદી કરીને પાછા ફર્યાં.

રાત્રે બધાં ડાઇનિંગ રૂમમાં જમી રહ્યાં હતાં.

"અમે બધાં તો આવી ગયાં, તમારાં સંબંધીઓ ક્યારે આવશે?" અપ્પાએ કહ્યું.

"એ બધાં મુંબઈથી નીકળી ગયાં છે. ફ્લાઇટ લેન્ડ કરશે એટલે અહીં આવી જશે." મનીષજીએ કહ્યું.

"સારું, તો હું તમને અમારાં થોડાં રિવાજો જણાવવા ઈચ્છું છું. જેથી પછી તમને કોઈ તકલીફ ન પડે." અમ્માએ કહ્યું.

"હા જરૂર, We would love to know that!" શર્મિલાજીએ કહ્યું.

"અમારે અહીંયા કલ્યાણમ્ પહેલાં અમૂક રસમો થાય છે. તેમાં સૌથી પહેલાં નિચયથાર્થમની રસમ હોય છે, જેમાં સૌપ્રથમ ગણપતિજીનું પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ વરપક્ષનાં લોકો કન્યાને વસ્ત્ર-આભૂષણ ભેટ સ્વરૂપે આપે છે. પછી વરકન્યા એકબીજાંને અંગૂઠી પહેરાવે છે. એ પછી પન્ધા કાલ નાડુધલની રસમ હોય છે. તેમાં બંને પક્ષો લગ્નસ્થળનાં પ્રવેશદ્વારે વાંસ રોપે છે, જેનાં દ્વારા તેઓ બધાંને જણાવે છે કે તેમનાં ઘરે શુભપ્રસંગ છે અને જેથી કાળી નજર પણ દૂર રહે છે. પછી હલ્દીની રસમ હોય છે, જેનાથી તમે વાકેફ છો. એ પછી કન્યા દ્વારા ગૌરીપૂજન કરી માતા પાર્વતીનાં આશીર્વાદ મેળવવામાં આવે છે. કલ્યાણમ્ નાં દિવસે વહેલી સવારે વર અને કન્યાને મંગળસ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ લગ્નસ્થળ પર વરપક્ષનું આગમન થયાં બાદ, કાશીયાત્રાની રસમ કરવામાં આવે છે. જેમાં વર 'લગ્નની ઈચ્છા નથી' એવું કહીને કાશીયાત્રાએ જવા નીકળે છે, ત્યારે કન્યાનાં પિતા તેને આવું કરતાં રોકે છે. ત્યારબાદ અનુક્રમે જયમાળા, કન્યાદાન, મંગળસૂત્ર અને સપ્તપદી જેવી રસમો થાય છે અને અંતે વિદાયની રસમથી કલ્યાણમની પૂર્ણાહુતિ થાય છે."

"અરે વાહ! તમારે અહીંયા તો ઘણી રોમાંચક રસમો કરવામાં આવે છે." કૃણાલે કહ્યું.

"અમારી મોટાભાગનો રસમોનો સમાવેશ, તમારી રસમોમાં થઈ ગયો છે. પણ અમારામાં એક સંગીતસંધ્યાની રસમ પણ છે, જે મનોરંજન માટે કરવામાં આવે છે. આ રસમ અમે કાલે સાંજે રાખેલી છે." શર્મિલાજીએ કહ્યું.

"ઠીક છે. અમને કોઈ વાંધો નથી. એમ પણ આવાં પ્રસંગો, ઉત્સવોની જેમ જ હર્ષોલ્લાસથી ઉજવાય છે." અમ્માએ કહ્યું.

"વાતોવાતોમાં ક્યારે જમી લીધું, એ ખબર જ ન પડી." શર્મિલાજીએ કહ્યું.

"ચાલો, હવે આપણે સૂઈ જવું જોઈએ. કાલે સવારે વહેલું પણ ઉઠવાનું છે." અંજલીએ કહ્યું.

પછી બધાં સૂવા માટે ચાલ્યાં ગયાં.


_____________________________



શું કરણ અને અંજલીનું કલ્યાણમ્ નિર્વિઘ્ને સંપન્ન થઇ શકશે? કે પછી કોઈ અડચણ તેમનાં કલ્યાણમમાં ખલેલ પહોંચાડશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી