Dashavatar - 79 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 79

          પદ્માનું હૃદય ભરાઈ આવ્યું. એને પેટમાં દુખાવો થતો લાગ્યો. એને એ દિવસો યાદ આવ્યા જ્યારે એ બે દિવસ ભૂખી રહી હતી અને અંતે કેનાલના પાણીમાં કૂદવાનું જોખમ લીધું હતું. એ જાણતી હતી કે ભૂખ શું ચીજ છે.

          "તમને પહેલા ખોરાક કેવી રીતે મળતો?" પોતાના વિચારો ખખેરીને એણે પૂછ્યું.  

          "દર મહિને નિર્ભયની ટુકડી જીપમાં આવે છે અને અમને ભોજન આપે છે કારણ કે અમને આ સમારકામવાળા શહેરમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે." ચરિતાએ જવાબ આપ્યો, “ગયા મહિનાથી અમે ભોજનની રાહ જોઈ રહ્યા છીએ પણ કોઈ આવ્યું નથી અને લોકો પાગલ થઈ રહ્યા છે. લોકો એકબીજાને મારવા લાગ્યા છે. અમે ઝાડની છાલ, નાના છોડના પાંદડા અને કેટલાક કંદમૂળ પર જીવીએ છીએ જે અમે કેનાલની શાખા પાસેની રેતીમાં ઉગાડી શકીએ છીએ પણ મારા પિતા કહે છે કે આ રીતે લાંબો સમય ટકી શકાય એમ નથી.”

          "શા માટે કારુ તમને ભૂખે મરવા માંગે છે?"

          “અમને ખબર નથી.” રેયાંશ બોલ્યો, “પણ મારા પિતા કહે છે કે કારુ લોક પ્રજાને બદલવા માંગે છે. એ હળવા અને દયાળુ લોકોને ક્રૂર લોકોમાં બદલવા માંગે છે.”

          "કેમ?" આશે પૂછ્યું.

          "કારણ કે એકવાર માનવતા ન હોય તો પછી કોઈ માણસ રહેતો નથી."  રેયાંશે કહ્યું, "પ્રલય પણ પૃથ્વી પરથી મનુષ્યોને ભૂંસી ન શક્યો પરંતુ કારુ ભૂંસી નાખશે કેમકે એ માનવતાને મારી નાખશે."

          "પણ કારુ બધાં શહેરોનું સમારકામ કરવા માંગે છે અને એટલે જ એ અમને કામ કરવા દબાણ કરે છે." કોઈએ કહ્યું.

          “હા, એને એવા શહેરોની જરૂર છે જ્યાં લોકો રહે અને એ સારું ચાલતું હતું. લોક સમારકામ કરેલા શહેરોને જીવંત બનાવી રહ્યા હતા અને બધું સારું હતું પરંતુ કારુ દર વર્ષે લોક બાળકોને છીનવી લે છે અને લોકો વાસ્તવિક દેવતાઓને ટેકો આપવા લાગ્યા. પછી કારુએ એમને મારવાનું શરૂ કર્યું જેઓ વાસ્તવિક દેવતાઓને મદદ કરવા લાગ્યા પરંતુ દિવસેને દિવસે વધુને વધુ લોકો વાસ્તવિક દેવતાઓને સમર્થન આપવા લાગ્યા જેનું કારણ એ હતું કે લોકો એમના બાળકોથી અલગ થવા માંગતા નહોતા.” એણે ઊંડો શ્વાસ લીધો, “કારુને એ કારણ પણ જાણવા મળ્યું કે શા માટે હળવા અને ભયભીત લોકો એની વિરુદ્ધ જઈ રહ્યા છે એટલે જ એણે લોક પ્રજાને બદલવા માટે આ પદ્ધતિ શરૂ કરી. એકવાર પરિવર્તન થઈ જાય પછી લોક પ્રજા વાસ્તવિક દેવતાઓને મદદ નહીં કરે કારણ કે બદલ્યા પછી એ ભલમનસાઈ ખોઈ બેસશે અને એમના બાળકોને પણ ભૂલી જશે.”

          "તમે આ બધું કેવી રીતે જાણો છો?" પદ્માએપૂછ્યું.

          "મારા પિતા સાચા દેવતાઓને મદદ કરે છે." રેયાંશે કહ્યું, “સાચા દેવતાઓએ એમને કહ્યું છે કે કેટલાક શહેરોમાં લોક બદલાઈ ગયા છે. એ શહેરોમાં લોકો મહિનાઓ સુધી ભૂખ્યા રહ્યા અને પછી એમના પોતાના બાળકોને પણ ખાવા લાગ્યા. એ સમયે કારુએ એમને ફરીથી ભોજન આપ્યું અને એમણે રાજીખુશીથી કારુને એમના બાળકો આપ્યા. એ શહેરોના લોક હવે લોક નથી રહ્યા. એ રાક્ષસમાં ફેરવાઈ ગયા છે."

          રેયાંશ જરા અટક્યો અને મશકમાંથી પાણીના બે ચાર ઘૂંટ લીધા. પાણી ગળા નીચે ઉતરતા જ આગળ બોલવાની શક્તિ મળી હોય એમ એણે કહ્યું, “મારા પિતા કહે છે કે હવે એ બદલાયેલા લોકોને પાછા માનવ બનાવી શકાય એમ નથી."

          "કેમ?" પદ્માએ પૂછ્યું.

          "એકવાર ભૂખે મરતી એક વ્યક્તિએ પોતાના બાળકને ખાઈ લીધું. શું તમને લાગે છે કે એ ફરી હોશમાં પાછો આવવા માંગશે?"

          પદ્મા એ જવાબ જાણતી હતી એટલે કશું ન બોલી શકી.

          “કળિ-પુરુષ એ જ ઇચ્છે છે. એ ઇચ્છે છે કે દરેક વ્યક્તિ એની જેમ રાક્ષસ બની જાય. મારા પિતા કહે છે કે જયારે નમ્ર અને દયાળુ લોક પ્રજા નહીં હોય ત્યારે વાસ્તવિક દેવતાઓનો કોઈ સમર્થક નહીં હોય. એમને છુપાવાની કોઈ જગ્યા નહીં હોય અને કારુને કોઈ જોખમ નહીં હોય.”

          એણે એની બહેન તરફ જોયું અને આગળ કહ્યું, “પણ આ ફક્ત અમુક શહેરોમાં જ બન્યું છે બધે નહીં. કારુ આ ભૂખમરો અને બદલાવની અસર જોવા માંગે છે એટલે એ આ બધું માત્ર કેટલાક શહેરોમાં જ કરી રહ્યો છે. એ બધા લોકોને જોખમમાં ન મૂકી શકે.”

          દરેક શૂન્ય એને ધ્યાનથી સાંભળતો હતો.

          "અને પ્રલય શું છે?" પદ્માએ પૂછ્યું.

          “પ્રલય વિશે કહેવા જેવું કઈ ખાસ નથી...” ચરિતાએ કહ્યું, “એ ઘણા સમય પહેલા આવ્યો હતો. એની પાછળનું કારણ કોઈ જાણતું નથી પણ એણે પૃથ્વી પરથી અડધા માનવને ભૂંસી નાખ્યા. પછી આબોહવા બદલાઈ ગઈ અને નદીઓ સુકાઈ ગઈ. અચાનક નવો ભગવાન દેખાયો. બચી ગયેલા લોકો એને ભગવાન માનવા લાગ્યા પણ ધીમેધીમે એમને સમજાયું કે નવો ભગવાન આકાશમાં રહેતા જૂના ભગવાન જેવો દયાળુ નથી.”

          "ભગવાન..." પદ્માએ શૂન્યો તરફ નજર ફેરવી. એ બધા એની જેમ જ ડરેલા હતા.

          "શું કોઈએ એને જોયો છે?" પદ્માએ પૂછ્યું.

          "ના, કોઈએ નહીં. કોઈએ હજી સુધી એવો દાવો પણ નથી કર્યો."

          "કેમ?"

          "કારણ કે એ જ્યાં રહે છે ત્યાંના મંદિરમાં પ્રવેશવાની કોઈને મંજૂરી નથી. કેટલાક દેવતાઓ અને નિર્ભય પણ એની વિરુદ્ધ છે. મારા પિતા કહે છે કે પાટનગરમાં પણ તમામ લોકો એની સાથે નથી. જો આપણે પાટનગરની અંદરના એવા લોકો પર વિશ્વાસ કરીએ જે એને ભગવાન નથી માનતા તો એ મુજબ કારુ અડધો માનવ એટલે હાડ-માંસનો બનેલો છે પણ એનું અડધું શરીર વજ્રનું બનેલું છે એટલે જ એ અમર છે. એને કોઈ મારી ન શકે.”

          "જો કોઈ એને મારી ન શકે તો કળિયુગનો અંત કેવી રીતે થશે?" આશે પૂછ્યું. 

          "કોઈનો અર્થ કોઈ મનુષ્ય એને ન મારી શકે પરંતુ અવતાર એને મારી શકે. એટલે જ તો મારા પિતાએ તમારી સાથે સોદો કર્યો છે." ચરિતાએ કહ્યું, "જો પદ્માએ અવતારનો ઉલ્લેખ ન કર્યો હોત તો મારા પિતાએ તને મારી નાખ્યો હોત."

          "મને નથી લાગતું કે એ એમ કરી શકે." આશે ઉદ્ધતાઈથી કહ્યું, "જો મને બરાબરીનો મુકાબલો કરવા મળે."

          "શું તને ખરેખર એમ લાગે છે? ફરી ક્યારેય મારા પિતા પર હુમલો કરવાની હિંમત ન કરીશ નહિતર એ તને આંખના પલકારામાં મારી નાખશે."

          “ઠીક છે.” આશે કહ્યું, “આપણે આ પાગલ લોકોથી કેવી રીતે બચીશું?”

          “તમે બધા તમારું ભોજન પૂરું કરો અને ઊર્જા મેળવો પછી આપણે જઈશું."

          "અવતાર એને કેમ મારી શકે?" પદ્માએ પૂછ્યું.

          "મારા પિતા કહે છે કે અવતારમાં કારુ જેટલી જ શક્તિ છે પરંતુ એનું હૃદય સારું છે અને એ સત્યનું શાસન સ્થાપિત કરશે. મારા પિતા કહે છે કે અવતાર આ પાગલ લોકોને હોશમાં પાછા લાવી શકે છે."

          "પણ અવતાર માત્ર એક છોકરો છે જેની પાસે કોઈ શક્તિ નથી." પદ્માએ કહ્યું, "મારો મતલબ એમ છે કે તમે જે કહો છો એવી કોઈ શક્તિ નથી."

          "તું એને ઓળખે છે?" રેયાંશે પૂછ્યું. એના ચહેરા પર જિજ્ઞાસા દેખાતી હતી.

          “હા, અમારામાંથી મોટાભાગના એને ઓળખે છે.” પદ્માએ કહ્યું, “અમે સાથે મોટા થયા છીએ અને એ અમારો મિત્ર છે…."

          "તો પછી આપણે મારા પિતાને જગાડવાની જરૂર છે." ચરિતાએ એકાએક કહ્યું, "અમે આવીએ."

          ચરિતાએ રેયાંશ તરફ ઝૂકીને કંઈક કહ્યું પણ પદ્મા એ ભાષા સમજી ન શકી. કોઈ શૂન્ય એ સમજી શક્યો નહીં. બંને ઊભા થયા અને પદ્માને કહ્યું, "તું અને આશ અમારી સાથે આવો અને બાકીના લોકો તમારી બેગ પેક કરો. આપણે ગણતરીની મિનિટોમાં અહીંથી નીકળી જઈશું."

           "તારા પિતાને જગાડવા?" પદ્માએ એની પાછળ જતાં પૂછ્યું.

           "હા, એ બેભાન હશે." ચરિતાએ કહ્યું, "શું તને લાગે છે કે એ આ સમયે ગાંજાનો આનંદ માણવા ગયા હશે?"

           "હું કંઈ સમજી નહીં."

           "મારા પિતા પાસે ખાસ ગાંજો છે જે ઓછામાં ઓછા ચાર કલાક માટે બેભાન બનાવી નાખે છે." દરવાજે પહોંચતા એણે કહ્યું, "એ ગાંજાનો આનંદ માણવાને બહાને એ લોકોને બેહોશ કરી એમનાથી પીછો છોડાવવા ગયા છે."

           ઇમારતની બહાર પદ્માએ ભૂપતિને જમીન પર સૂતેલો જોયો. લોક પ્રજાના બીજા માણસો એની આસપાસ બેભાન પડ્યા હતા.

           “એમને મારણ આપ.” ચરિતાએ રેયાંશને કહ્યું.

          રેયાંશે એના ખિસ્સામાંથી કેટલાક સૂકા પાંદડા કાઢ્યા, હથેળીમાં કચડી નાખ્યા અને પછી એની મશકમાંથી એમાં થોડું પાણી ઉમેર્યું.

          “પિતાજી.” એણે ભૂપતિનું મોં ખોલ્યું અને એમાં એ વાટેલા પાંદડા નાંખ્યા, “જાગો.”

          "એ પાંચ મિનિટ લેશે." ચરિતાએ કહ્યું, "ધીરજ રાખ."

          "એ પાંદડા શું છે?" રેતી પર બેભાન પડ્યા લોકને જોતા પદ્માએ પૂછ્યું.

          "એ જડીબુટ્ટી મિશ્રણ છે." રેયાંશે કહ્યું, “કોઈ પણ ઈમરજન્સી માટે અમે એનું આયોજન કર્યું છે. અમારા લોકોમાં બદલવાની શરૂઆત થઈ ત્યારથી મારા પિતા હંમેશા એમની સાથે ખાસ ગાંજો રાખે છે અને મારણ અમારી સાથે રાખે છે.”

          પદ્માએ માથું હલાવ્યું.

          “મને લાગે છે કે મેં તારું નામ પૂછ્યું નથી.” ચરિતાએ કહ્યું.

          "પદ્મા..."

          "કમળ." ચરિતાએ સ્મિત ફરકાવ્યું, "લાગે છે કે તારા માતા-પિતાએ તારું નામ તારી આંખો જોઈને રાખ્યું હશે."

          "મારી આંખો?"

          "હા. એ તેઓ કમળની પાંખડીઓ જેવી છે."

          "તેં કમળ જોયું છે?" પદ્માએ પૂછ્યું.

          “હા.” ચરિતાએ કહ્યું, “પણ ચિત્રોમાં.”

          "અને તું દેવભાષા પણ જાણો છો?"

          "હા, પણ થોડી ઘણી."

          "તારા નામનો અર્થ શું છે?" પદ્માએ પૂછ્યું, "શું તારું નામ દેવભાષામાં છે?"

          “હા, ચરિતા એટલે દેવભાષામાં સારું. મારી માને આશા હતી કે હું મોટી થઈને એક સારી સ્ત્રી બનીશ એટલે એણે મારું નામ ચરિતા રાખ્યું.”

          "તારી મા ક્યાં છે?"

          "એ મરી ગઈ છે. એક અસર ગ્રસ્ત નિર્ભય સિપાહીએ એની હત્યા કરી."

          "મને એ જાણીને દુખ થયું." પદ્માએ કહ્યું અને વિષય બદલ્યો, "અને તારા નામનો અર્થ શું છે?" એણે રેયાંશ તરફ જોયું.

          "મારા નામનો અર્થ પ્રકાશનું કિરણ છે." એણે કહ્યું, "મારા પિતાને આશા છે કે હું બાકીના લોકોની જેમ ક્યારેય બદલાઈશ નહીં. હું પ્રકાશનું કિરણ છું.” એણે સ્મિત વેર્યું, "પણ આસપાસ જે થઈ રહ્યું છે એ જોયા પછી મને નથી લાગતું કે હું મારા લોકો માટે પ્રકાશનું કિરણ બની શકીશ."

          "બધું ઠીક થઈ જશે." પદ્માએ કહ્યું.

          પછી કોઈ બોલ્યું નહીં. એ ભૂપતિના જાગવાની રાહ જોતા રહ્યા. પદ્મા આસપાસના વિસ્તારને ધ્યાનથી જોવા લાગી. વૃક્ષોના લીધે ત્યાનું વાતાવરણ દીવાલની દક્ષીણના વાતારવણ કરતા પણ સારું હતું. એ લોકો એને સક્રિય શહેર કહેતા એ પદ્માને ખબર નહોતી છતાં એણે કલ્પના કરી કે આ શહેરને સક્રિય કહેવું જોઈએ કેમકે અહીં કુદરત પ્રલય પહેલાના દિવસો જેમ સક્રિય હતી.

          "હું ક્યાં છું?" ભૂપતિએ આંખો ખોલતાં જ પૂછ્યું. પદ્મા આસપાસ બધું જોવામાં એવી ખોવાયેલી હતી કે એનો અવાજ સાંભળીને ચોકી ગઈ. એનું હૃદય જોરથી ધબકવા લાગ્યું.

          “હું ક્યાં…” ભૂપતિ ફરીથી બૂમ પાડવા જતો હતો પણ રેયાંશે હાથ વડે એનું મોં બંધ કરી નાખ્યું, “હું છું, પિતાજી.” એણે એને ચૂપ કરી, એનો હાથ પકડીને એને ઊભો કર્યો અને ઉમેર્યું, “પિતાજી, શું તમે બીજી ઇમારતોમાંથી પાગલ માણસોને અહીં બોલાવવા માંગો છો?”

          "મને છોડો..." ભૂપતિએ રાડ પાડી જાણે એ પણ પાગલ ન હોય. ભૂપતિ હજુ હોશમાં આવ્યો નહોતો.

          "બીજી ઇમારતોમાં વધુ પાગલ લોકો છે." રેયાંશે એના કાનમાં કહ્યું, લગભગ મોટેથી પણ એના પિતાની જેમ નહીં, "તમારે ચૂપ રહેવાની જરૂર છે નહીં તો એ આપણને બધાને મારી નાખશે.”

          ભૂપતિએ એની આંખો ખોલી, એક ક્ષણ માટે એના દીકરા સાથે આંખનો સંપર્ક કર્યો અને પોતે ક્યાં છે અને શું થઈ રહ્યું છે એ સમજી ગયો, "તેં મને મારણ આપ્યું?"

          "હા..." રેયાંશ હસ્યો, "હું તમને મુક્ત કરું છું." છેવટે રેયાંશે એની પકડ ઢીલી કરી અને ભૂપતિ જમીન પર ઢગલો થઈ ગયો.

          ભૂપતિ બેઠો થયો પણ એ ગાંજાના કારણે લકવાગ્રસ્ત થઈ ગયો હોય એમ બેઠો અને લોક પ્રજાના પાગલ થઈ ગયેલા માણસોની જેમ આસપાસ જોતો રહ્યો. પછી એની આંખો કેન્દ્રિત થઈ. પદ્માને લાગ્યું કે એણે એના બાળકોને અને એને ઓળખી લીધા છે.

          રેયાંશે ભૂપતિને એના કોટથી પકડી ઉપર ખેંચ્યો, "પિતાજી, ઊભા થાઓ, આપણે જવું પડશે."

          "ક્યાં?" એણે પૂછ્યું એટલે પદ્મા સમજી ગઈ કે એ હજુ ગાંજાની અસર બહાર નથી આવ્યો.

          “ઇમારતમાં.” રેયાંશે કહ્યું અને ભૂપતિને ખેંચીને ઊભો કર્યો અને સ્થિર રહેવા માટે ટેકો આપ્યો.

          "કેમ?" એના પગ હજુ લથડતા હતા.

          "આ ખાઓ." ચરિતાએ એને થોડા વધુ સૂકા પાંદડા આપ્યા, "તમારે આની જરૂર છે."

          ભૂપતિએ પાંદડા મોંમાં નાખીને ચાવ્યા અને ગળી ગયો. લાંબા સમય સુધી ઇમારત તરફ જોયું અને પછી લોક પ્રજાના બેભાન માણસો તરફ જોયું.

          "કોઈ જાગે એ પહેલા આપણે જવું જોઈએ." પદ્માએ કહ્યું.

          "એ કલાકો પહેલાં નહીં જાગે." ભૂપતિએ કહ્યું. હવે એના મગજની નસો ગાંજાના નશા બહાર આવતી હતી. એણે ચાવેલા સુકા પાંદડા અસર બતાવવા લાગ્યા હતા.

          પદ્માના ચહેરા પર ખુશીના ભાવ દેખાયા કારણ કે એ સમજી ગઈ કે ભૂપતિ હવે સંપૂર્ણ હોશમાં છે.

          "તમે ગાંજો કેમ લીધો?" પદ્માએ પૂછ્યું.

          "એ સાવ પાગલ નથી." એણે જમીન પર પડ્યા લોકો તરફ ઈશારો કર્યો, "જો હું એમની સાથે ધૂમ્રપાન ન કરું તો એ ગાંજાને હાથ પણ ન લગાવોત."

          ભૂપતિના પગ કેટલાક ડગલાં પછી સ્થિર થયા. એ ઇમારત તરફ ફર્યો, "ચાલો જઈએ." એણે પાછળ જોયું, "બાળકો, આપણે હજુ ઘણો લાંબો રસ્તો કાપવાનો છે."

          પદ્મા, રેયાંશ અને ચરિતા એની પાછળ ઇમારતમાં દાખલ થયા.

          ઇમારતની અંદર બધા શૂન્યો એમની બેગ પેક કરીને તૈયાર હતા. એ પદ્માના ભરોસે  એમના જીવ ભૂપતિ અને પદ્માને સોંપી રહ્યા હતા.

          "આ શહેરની નીચે કેટલીક ગુપ્ત સુરંગો અને ભોંયરા છે." ભૂપતિએ કહ્યું, "શરૂઆતમાં જ્યારે અમને આ શહેરમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા અને વીજળીના તોફાનો રાતે આકાશમાં તાંડવ મચાવતા ત્યારે અમે એનો ઉપયોગ કરતા. હું એ રસ્તો જાણું છું જે આપણને આ શહેર બહાર લઈ જશે."

          દરેક શૂન્ય ધ્યાનથી એની વાત સાંભળતો હતો.

          "મારા સિવાય કોઈએ બધી સુરંગની શોધખોળ નથી કરી એટલે માત્ર હું જ જાણું છું કે જો આપણે મુખ્ય સુરંગ સુધી પહોચી જઈએ તો લોક પ્રજાના પાગલ લોકો જાગે અને આપણો પીછો કરે એ પહેલા આપણે એમની પહોચ બહાર નીકળી ગયા હોઈશું" 

          "જો આપણે રસ્તો ભૂલીશું તો?" પદ્માએ પૂછ્યું, "આપણી પાસે પૂરતું પાણી કે ખોરાક નથી."

ક્રમશ: