Avantinath Jaysinh Siddhraj - 37 books and stories free download online pdf in Gujarati

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 37

૩૭

પાંચસો પરમાર

બીજે દિવસે હજી તો પ્રભાતના રંગમાં કેસુડાંની છાંટ આવતી હતી. ત્યાં ધારાગઢના કોટકાંગરા ઉપરથી ‘જય મહાકાલ!’ની મહાઘોષણા ઊઠી અને પડઘા પાડતી ચૌલુક્યની છાવણી ઉપરથી આકાશે પહોંચી ગઈ. એના પ્રત્યુત્તરમાં આખી સોલંકી છાવણી સળગી ઊઠી. ઠેરઠેરથી ‘જય સોમનાથ!’ની રણહાક ઊપડી. ઘોડેસવારો પદાતિ, રથ ને હાથીઓનાં ટોળેટોળાં ચારે તરફથી ધારાગઢને ઘેરી લેતાં આગળ વધ્યા. તીરોનો, ભાલાઓનો, ગોફણિયા, પાણાઓનો, છુટ્ટા ગદેડાનો અને સનસનાટી બોલાવી દેતી સાંગોનો વરસાદ શરુ થયો. બે પળમાં આખી રણભૂમિ, હોકારાઓથી, તુંકારથી, ભયંકર અવાજોથી, ટોળાનાદથી, દુશ્મનોની મશ્કરીઓથી અને હાડ ધ્રુજાવી દે એવી રણહાકોથી જાણે અચાનક જાગેલી ભૂતાવળ સમી બની ગઈ. યોદ્ધાઓ પડકાર દેતા હતા. હાથીઓની ચીસોના, ડુંગરાઓમાં પડધા પડતા હતા. ઘોડાની હાવળથી રસ્તેરસ્તો જાગી ગયો હતો. માણસો ક્યાંય માતાં ન હતાં. યુદ્ધની ભયંકરતા દિવસ ચડતાંની સાથે ચડતી જ ગઈ. અને થોડી વારમાં તો સોલંકીઓ દરવાજે પહોંચવા ને માલવીઓ એમને રોકવા જીવનમરણના ખેલમાં પડી ગયા.

મહારાજ જયસિંહદેવ પોતે યશ:પટહ ગજરાજ સાથે પોતાનો ગજરાજ ચલાવી રહ્યા હતા. એમની આસપાસ સેંકડો હાથીઓની સેના એમને વીંટળાઈને આગળ વધતી હતી. મારગ કરનારા ગોફણિયા સૌથી મોખરે હતા. એની પાછળ તીરંદાજી કિરાતો હતા. એમની પછી તરત ઉતાવળા ઘોડેસવારોનું વેગીલું સૈન્ય આગળ વધતું હતું. અને સેંકડો સૈનિકોથી વીંટાઈને મહારાજ જયસિંહદેવ પોતે મધ્યમાં ઇન્દ્રરાજની સ્પર્ધા કરતા શોભી રહ્યા હતા. મહારાજની પાછળ પણ સેંકડો પદાતીઓ, ઘોડેસવારો અને હાથીઓનાં જૂથ આવી રહ્યાં હતાં. એક પાંખ ઉપર ઉદયન હતો. બીજી પાંખ સેનાપતિ કેશવે રક્ષી હતી. મુંજાલ, મહાદેવ, મલ્હારભટ્ટ, કાકભટ્ટ જુદે જુદે મોરચેથી આવી રહ્યા હતા. પણ સૌનું ધ્યેય દક્ષિણ દરવાજો બની ગયું હતું. 

મહારાજના ગજરાજની મંડપિકા ઉપર સોનેરી છત્ર ઝૂલી રહ્યું હતું. હવામાં કુકકુટધ્વજ લેરખી લેતો લહેરાઈ રહ્યો હતો. પડખે ચાલી રહેલા યશ:પટહ ઉપરથી ત્યાગભટ્ટ તીરોનો વરસાદ વરસાવતો રસ્તો કાપી રહ્યો હતો. માલવી સેનાએ પહેલાં તો દક્ષિણ દરવાજા બહાર એક તુમુલ યુદ્ધ આપવાનો નિશ્ચય કર્યો હોય તેમ જણાતું હતું.

જેમ જેમ સોંલકી સેના આગળ વધી, તેમતેમ રણભૂમિ વધારે ને વધારે વિકટ જુદ્ધરંગ ધારી રહી. મહારાજ જયસિંહદેવ પોતે જુદ્દમાં ઊતર્યા હતા, અને વિખ્યાત ગજેન્દ્ર યશ:પટહની પડખે જ હતા. એટલે એ તરફ જાણે આખું માલવસેન ધસવા માગતું હોય તેમ ચારે તરફ ભીંડંભીંડાં થઇ ગઈ હતી. રણમોરચાના હાકલા પડકારના, જેવાતેવાનાં તો હાડ થથરી ઊઠે એવા, ભયાનક નાદ થવા લાગ્યા. 

એ વખતે મહારાજની પડખે રહીને એક તરફ બર્બરક પોતાનું અતુલ બળ બતાવતો રસ્તો કાપી રહ્યો હતો; બીજી બાજુ મલ્હારભટ્ટ ને કાકભટ્ટ હતા. થોડી વારમાં પાંખનું કામ મહાદેવને સોંપી દઈ મહારાજના હોદ્દામાં પાછળ ઊભો રહીને સેનાપતિ કેશવ સામેના તમામને વીંધતો મહારાજના સાંનિધ્યમાં આવી ગયો! માલવીઓએ જબરજસ્ત પ્રતિકાર કર્યો.

પછી બે પળ ગઈ અને ચૌલુક્યોની આગળ ધસતી સેના ભીંડંભીંડાંના યુદ્ધમાં પડી. એ વખતે મહારાજના ગજરાજની સાથે રહેલા અનેક યોદ્ધાઓ ચારે તરફથી આવવા માંડ્યા. ગજરાજને પડખે, મોખરે રહેવા નડૂલનો ચાહમાન અશ્વરાજ પોતાના ઉત્તુંગ કાળા ઘોડા ઉપર આવી પહોંચ્યો. એણે આ  યુદ્ધમાં મહારાજના દેહરક્ષણનો ભાર બે હાથ જોડીને સૌની પાસેથી માગી લીધો હતો. કુલપરંપરાથી એ મહારાજ ચામુંડની માતા, રાણી માધવીનો, વંશવારસો ધરાવતો હતો. આજ એ પોતાના એ સંબંધ સગપણનું જ ગૌરવ આગળ ધરીને રણક્ષેત્રમાં મહારાજના સાંનિધ્યમાં જ ઊભો રહ્યો.

પણ ભીંડંભીંડાં જુદ્ધ શરુ થયું એટલે સૈન્યની આગળ વધતી કૂચ અટકી પડી, ને મહારાજ જયસિંહદેવનું સોનેરી છત્ર સૌને આકર્ષતું હવામાં દેખાયું. માલવીઓનો ચારે તરફનો ધસારો આ ગજરાજ પ્રત્યે આવવા માંડ્યો. કોઈ કોઈને તસુ જમીન આગળ વધવા દેતા નથી. અને જોદ્ધાઓના દેહ પડે છે. રણભૂમિ હઠીલા રજપૂતી જુદ્ધનો રંગ ધારી લે છે. 

બપોર થવા આવ્યા પણ જાણે કોઈ થાકતા ન હોય તેમ જુદ્ધનો પડકાર વધારે ને વધારે ઘેરો બની રહ્યો.  

એક તરફ માલવી સેના કોઈ હિસાબે દક્ષિણ દરવાજાને સાંજ સુધી રક્ષી લેવા મથી રહી હતી, બીજી તરફ ચૌલુક્યો આગળ ધસી જવા માંગતા હતા. જોવાની આંખ જ ન હોય તેમ દરેક માણસ પોતાનું થાનક સંભાળીને પોતાનું કામ કર્યે જતો હતો!

બપોર થયા અને સૌને લાગ્યું કે સાંજ પહેલાં કિલ્લા ઉપર જવું મુશ્કેલ છે. કર્દમમાં હજી ઘોડાં ખૂંચી જતાં હતાં. ખાડીમાંથી ઊભરાતો પાણીનો પ્રવાહ પણ માર્ગ રોકી રહ્યો હતો. બપોર પછી તરત મજૂરી કરનારા ભીલડાંનો મોટો પ્રવાહ વહેવા માંડ્યો. અને એ સઘળાંને રક્ષણ આપતો જુદ્ધનો રંગ પણ બદલાવા માંડ્યો. 

મહારાજ જયસિંહદેવ પોતે જુદ્ધમાં ઊતરેલ છે એ જાણીને જેમ ચૌલુક્યોને પાણી ચડ્યું હતું, તેમ માલવી સેનાને પણ એનો પાનો ચડ્યો હતો. એટલે દક્ષિણ દરવાજે પહોંચતાં પહેલાં જ એમને ઝડપી લેવાના ઉગ્ર પ્રયાસો શરુ થયા. અચાનક સોએક ઘોડેસવારોનું માલવી જૂથ ભીંડંભીંડાંમાંથી રસ્તો કાઢીને યશ:પટહની છેક નજીક આવી પહોંચ્યું. મહારાજ ઉપર સૈનિકો આવ્યા છે એ સમાચાર ફેલાતાં, ચારે તરફથી ત્યાં પહોંચી જવા માટે ધક્કંધક્કા શરુ થઇ ગઈ. એટલામાં તો નડૂલના અશ્વરાજે, પોતાના ઘોડાને, માલવ સૈનિકોની વચ્ચે, ભાલાથી, તીરોથી ને તલવારોથી, વીંધાઈ જવાનો જાણે સંકલ્પ કરીને, કે પછી એમને મલોખાં ગણીને પણ, જેમ ગોફણમાંથી પથરો ફેંકે તેમ ફેંકી જ દીધો. એ ગાંડા સાહસે એક વખત જુદ્ધનો આખો રંગ જ ફેરવી નાખ્યો. ગાંડા રજપૂતને પોતાની તલવાર લઈને ઘૂમતો જોઈ એક પળભર માલવીઓ ક્ષોભ પામ્યા. પણ એટલામાં તો ત્યાં ઢગલેઢગલા માણસોનો જાણે સોથ વળતો જોઇને, એ સૌ એકદમ પાછા હઠ્યા. સોલંકીઓએ ‘જય સોમનાથ!’ની આકાશ, પહાડ ને જંગલ ધ્રુજાવે એવી ભયંકર કિકિયારી સાથે આગળ પગલું ભર્યું ને પછી તો તસુતસુ માટે હઠીલો રણસંગ્રામ સૈનિકો વચ્ચે શરુ થઇ ગયો. 

મહારાજના ગજરાજની મોખરે, જ્યારે મંત્રીઓ ને સેનાપતિઓ અધીરી ઉતાવળમાં જયદેવ મહારાજ પાસે દોડી આવ્યા ત્યારે, એમની નજરે સિંહ જેમ ઘૂમતો અશ્વરાજ દેખાયો ને સૌને હૈયે ધરપત આવી. અને એટલામાંતો થળેથળમાંથી માલવી સેના પીછેહઠ કરતી દક્ષિણ દરવાજા તરફ પાછી હઠી રહી હતી. 

એટલું છતાં સૌથી મોટી ચિંતા દંડદાદાકજીને થઇ રહી હતી.