swabhav in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | સ્વભાવ

Featured Books
  • Book Blueprint by IMTB

    કોઈપણ BOOK લખવા માટે જરૂરી બધાં પાસાંઆઈડિયા થી લઈને વાચકમાં...

  • એકાંત - 91

    "આપણાં છુટાછેડા થઈ જાય પછી હું બીજાં મેરેજ કરું કે ના કરું પ...

  • સ્નેહ ની ઝલક - 13

    શહેરની ભીડમાં ઘણી વાર માણસ સૌથી વધુ એકલો હોય છે. રસ્તાઓ પર લ...

  • THE GAME CHANGER - 1

    THE GAME CHANGERSHAKUNI: A TALE OF UNTOLD REVENGEઅધ્યાય ૧: ગ...

  • સથવારો

    રેશમી આંગળીઓનો સથવારોલેખિકા Mansi Desai Desai Mansi Shastri ...

Categories
Share

સ્વભાવ

સ્વભાવ

यः स्वभावो हि यस्यास्ति स नित्यं दुरतिक्रमः।
श्वा यदि क्रियते राजा तत् किं नाश्नात्युपानहम् ॥


જેનો જે સ્વભાવ હોય છે, તે હંમેશાં એવો જ રહે છે. જેમ કે, જો કૂતરાને રાજા પણ બનાવી દેવામાં આવે, તો પણ તે જૂતું ચાવવાનું નહીં છોડે.

કથા:
એક દિવસ એક માણસ રાજાના દરબારમાં નોકરીની અરજી લઈને આવ્યો. રાજાએ તેની કાબેલિયત વિશે પૂછ્યું. તે માણસે નમ્રતાથી, પણ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, "મહારાજ, હું માણસ હોય કે પશુ, તેનો ચહેરો જોઈને તેના સ્વભાવ અને સત્યની ઊંડી સમજ મેળવી શકું છું."

રાજા તેની આ વાતથી પ્રભાવિત થયા અને તેને પોતાના સૌથી કિંમતી ઘોડાઓના તબેલાનો સંચાલક નીમ્યો.

થોડા દિવસો પછી, રાજાએ તે માણસને પોતાના સૌથી પ્રિય અને મોંઘા ઘોડા વિશે પૂછ્યું. તે માણસે નિઃસંકોચ જવાબ આપ્યો, "મહારાજ, આ ઘોડો ખરેખર શુદ્ધ કુળનો નથી."

રાજાને આશ્ચર્ય થયું. તેમણે જંગલમાંથી ઘોડાની સંભાળ રાખનારને બોલાવી સત્ય જાણ્યું. તે વ્યક્તિએ કહ્યું, "આ ઘોડો શુદ્ધ કુળનો તો છે, પણ જન્મ થતાં જ તેની માતા મૃત્યુ પામી હતી. આથી તે ગાયનું દૂધ પીને અને ગાયની સાથે ઉછર્યો છે."

રાજાએ પેલા માણસને બોલાવી પૂછ્યું, "તને આ કેવી રીતે ખબર પડી?"
તેમણે જવાબ આપ્યો, "મહારાજ, આ ઘોડો ઘાસ ખાતી વખતે ગાયની જેમ માથું નીચું રાખે છે, જ્યારે શુદ્ધ કુળનો ઘોડો ઘાસ ખાતાં માથું ઊંચું રાખે છે."

રાજા તેની પરખશક્તિથી ખૂબ પ્રસન્ન થયા. તેમણે તેના ઘરે અનાજ, ઘી, મરઘાં અને ઘણી બકરીઓ ઈનામ તરીકે મોકલી. સાથે, તેને રાણીના મહેલમાં નવી જવાબદારી સોંપી. રાજાને હવે તેના પર વિશ્વાસ વધતો ગયો. તેમને નવી નવી વાતોનું કુતૂહલ થવા લાગ્યું.

થોડા દિવસો પછી, રાજાએ તે માણસને ખાનગીમાં રાણી વિશે પૂછ્યું. તે માણસે શાંતિથી જવાબ આપ્યો, "મહારાજ, રાણીનાં તોર-તરીકા રાજવી જેવાં તો છે, પણ તેઓ જન્મથી રાજવી નથી."

રાજાને આ સાંભળી આઘાત લાગ્યો. તેમણે તરત જ પોતાની સાસુને બોલાવી હકીકત જાણી. સાસુએ કહ્યું, "સત્ય એ છે કે તમારા પિતાએ અમારી પુત્રીના જન્મ વખતે જ રિશ્તો માંગી લીધો હતો. પણ અમારી પુત્રી છ મહિનામાં જ મૃત્યુ પામી. રાજવી પરિવાર સાથે સંબંધ જાળવવા માટે અમે બીજી દીકરીને અમારી પુત્રી તરીકે અપનાવી."

રાજાએ ફરી તે માણસને પૂછ્યું, "તને આ કેવી રીતે ખબર પડી?"
તેમણે કહ્યું, "રાણી સાહેબા નોકરો સાથે જે રીતે વર્તે છે, તે ગામઠીઓથી પણ ખરાબ છે. ખરેખર રાજવી વ્યક્તિનો વ્યવહાર ઉચ્ચ કોટિનો હોય છે, જે રાણીમાં જોવા નથી મળતો."

રાજા તેની ઊંડી નજરથી ફરી પ્રભાવિત થયા. તેમણે ફરીથી અનાજ, બકરીઓ અને ઘણાં ઈનામો આપ્યાં. આ વખતે તેને પોતાના દરબારમાં નજીકની જવાબદારી સોંપી, જેથી તે દરબારીઓ અને ઘરના રહસ્યો વિશે ઉજાગર કરે.

થોડો સમય વીત્યો. રાજાએ એક દિવસ તે માણસને બોલાવી પોતાના વિશે પૂછ્યું. માણસે થોડા ખચકાટ સાથે કહ્યું, "મહારાજ, જો જાનની સલામતીનું વચન આપો, તો હું સત્ય કહું."

રાજાએ વચન આપ્યું. તે માણસે નિઃશંકપણે કહ્યું, "ન તો તમે રાજાના સાચા પુત્ર છો, ન જ તમારો વ્યવહાર રાજાઓ જેવો છે."

રાજાને ગુસ્સો તો આવ્યો, પણ વચનને લીધે તે શાંત રહ્યા. તે સીધા પોતાની માતા પાસે ગયા. માતાએ આંખોમાં આંસુઓ સાથે કહ્યું, "સત્ય એ છે કે તું ગોવાળનો દીકરો છે. અમને સંતાન નહોતું, એટલે અમે તને દત્તક લઈને ઉછેર્યો."

રાજાએ તે માણસને બોલાવી પૂછ્યું, "તને આ કેવી રીતે ખબર પડી?"
તેમણે જવાબ આપ્યો, "મહારાજ, સાચા રાજાઓ ઈનામમાં હીરા, મોતી અને રત્નો આપે છે. પણ તમે બકરીઓ, અનાજ અને ખાદ્ય ચીજો આપો છો. આ રાજાનો નહીં, ગોવાળના દીકરાનો સ્વભાવ છે."

રાજા ખિન્ન થયો. તેણે પેલા અદ્ભુત માણસને પૂછ્યું, "ઠીક છે, આ બધું તો નસીબને આધારે પ્રાપ્ત થાય છે, પણ સ્વભાવ કેવી રીતે બદલી શકાય?"

પેલા અદ્ભુત માણસે કહ્યું, "સ્વભાવ બદલવો અશક્ય છે, કારણ કે તે મન સાથે સંનાદી છે. કોલસાને ગમે તેટલો ધોવો, પણ તેની કાળાશ જતી નથી. આવા સ્વભાવને એક જ રીતે બદલી શકાય છે—તેને જ્યાંથી આવ્યો છે, ત્યાં પાછો મોકલી દો."


मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः। ब्रह्मबिन्दूपनिषद्
મનુષ્ય માટે મન જ બંધન અને મોક્ષનું કારણ છે.

‘એટલે?’ ,રાજાએ ઉત્કંઠાથી પૂછ્યું.

‘એટલે, તે ભગવાન પાસેથી આવ્યું છે, તો તેને ફરી ભગવાન પાસે મોકલી દો. કોલસાને સફેદ કરવું અશક્ય છે, પણ જ્યાંથી તે આવ્યો છે, એટલે અગ્નિમાં, તેને ત્યાં મોકલી દો, તો તે આપોઆપ સફેદ થઈ જશે.’

રાજાએ આ વાત મનમાં ઉતારી અને તેનો અમલ કર્યો.

मनमना भव मद्भक्तो मद्यजि मम नमस्कुरु।(गीताजी अध्याय 9, श्लोक 34) 

તારું મન મારા પર કેન્દ્રિત કર, મને સમર્પિત રહે, મારી પૂજા કર અને મને નમન કર. ઇતિ કૃષ્ણ

 

સ્વભાવ પર કેટલાક સુભાષિત


स्वभावो नोपदेशेन शक्यते कर्तुमन्यथा।
सुतप्तमपि पानीयं पुनर्गच्छति शीतताम् ॥


કોઈને ગમે તેટલી સલાહ આપો, તેનો સ્વભાવ નથી બદલાતો, જેમ કે ગરમ કરેલું પાણી પણ ઠંડું થઈ જાય છે।


स्वभावं न जहात्येव साधुरापद्गतोऽपि सन्।
कर्पूरः पावकस्पृष्टः सौरभं लभतेऽतराम् ॥


સજ્જન વ્યક્તિ, આપત્તિમાં આવવા છતાં પોતાનો સ્વભાવ નથી છોડતો, જેમ કે કર્પૂર અગ્નિમાં બળતાં પણ વધુ સુગંધિત બને છે।


यथा चित्तं तथा वाचो यथा वाचस्तथा क्रियाः।
चित्ते वाचि क्रियायां च साधुनामेकरूपता ॥


જેવું મન હોય છે, તેવી વાણી હોય છે અને જેવી વાણી હોય છે, તેવાં જ કર્મ હોય છે. સજ્જનમાં મન, વાણી અને કર્મમાં એકતા હોય છે.