જીવન પથ
-રાકેશ ઠક્કર
ભાગ-૫૯
‘ન્યાયના માર્ગ પર ચાલનાર માટે દરેક જગ્યા સુરક્ષિત છે.’
આ સુવિચાર માત્ર થોડા શબ્દોની ગોઠવણી નથી. તે જીવન જીવવાની એક અભેદ્ય ફિલોસોફી છે. આજના ભૌતિકવાદી અને અત્યંત ઝડપી યુગમાં જ્યાં સફળતા મેળવવા માટે શોર્ટકટ લેવો એ એક કળા માનવામાં આવે છે ત્યાં ન્યાય અને નીતિની વાતો કરવી કદાચ ઘણાને જૂના જમાનાની કે વ્યવહારુ ન લાગે તેવી લાગી શકે છે. આપણે બહારની સુરક્ષા માટે ગમે તેટલા સીસીટીવી કેમેરા લગાવીએ, મોંઘા બોડીગાર્ડ રાખીએ કે મજબૂત તિજોરીઓ બનાવીએ પણ જો આપણી ભીતર ન્યાય અને સત્યનો દીવો નથી બળતો તો આપણે ક્યાંય સુરક્ષિત નથી.
સાચી સુરક્ષા એ હથિયારોમાં નહીં પણ માણસના શુદ્ધ આચરણમાં રહેલી છે. જ્યારે તમે ન્યાયના માર્ગે ચાલો છો, ત્યારે તમારી પાસે એક એવું અદ્રશ્ય કવચ હોય છે જેને દુનિયાની કોઈ તાકાત તોડી શકતી નથી અને એ કવચનું નામ છે નિર્ભયતા. જે માણસ ન્યાયી છે તેને કોઈનો ડર નથી હોતો. કારણ કે તેની સામે કોઈ આક્ષેપ ટકી શકતો નથી. ગુજરાતીમાં સુંદર કહેવત છે કે, ‘સત્યને કદી આંચ આવતી નથી.’ જે સાચો છે, જે ન્યાયી છે તેને અગ્નિ પણ બાળી શકતો નથી અને પાણી પણ ડુબાડી શકતું નથી. કારણ કે તેનું સત્ય જ તેની નૌકા બની જાય છે.
આજના આધુનિક જીવનમાં સુરક્ષાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આપણે 'ઈન્સ્યોરન્સ' (વીમો) લઈએ છીએ, સાયબર સિક્યુરિટી પાછળ લાખો ખર્ચીએ છીએ પણ આપણે 'કાર્મિક સિક્યુરિટી' ભૂલી જઈએ છીએ. ન્યાયના માર્ગ પર ચાલવું એટલે શું? ન્યાય એટલે માત્ર કોર્ટ-કચેરીના કાયદા પાળવા એટલું જ નહીં પણ પોતાના અંતરાત્માના અવાજને વફાદાર રહેવું. જ્યારે તમે કોઈની સાથે અન્યાય નથી કરતા, કોઈનો હક છીનવતા નથી અને તમારી મહેનતના પરસેવાની કમાણી ખાઓ છો ત્યારે આખું બ્રહ્માંડ તમારી સુરક્ષાની જવાબદારી લે છે.
આજના સમયમાં ઘણા લોકો ભ્રષ્ટાચાર કે અનૈતિકતાથી રાતોરાત અમીર બની જાય છે પણ તેમની ઊંઘ હરામ થઈ જાય છે. તેઓ મોંઘા ગાદલા પર સૂઈ શકે છે, પણ શાંતિથી ઊંઘી શકતા નથી. તેમને હંમેશાં એક અજ્ઞાત ભય સતાવતો હોય છે. ક્યારે પકડાઈ જઈશું? ક્યારે પાપનો ઘડો ફૂટશે? આ ભય જ સાબિત કરે છે કે તે વ્યક્તિ સુરક્ષિત નથી. બીજી તરફ જે માણસ ન્યાયી છે, તે ઝૂંપડીમાં પણ રાજાની જેમ ઘસઘસાટ ઊંઘી શકે છે.
‘કરણી તેવી પાર ઉતરણી.’ તમે જેવું કરશો તેવું જ તમારી સાથે થશે. જો તમે ન્યાય રોપશો તો તમને સુરક્ષાનું ફળ મળશે. ન્યાયી માણસ માટે જેલની કોટડી પણ તપોવન બની જાય છે જ્યારે અન્યાયી માણસ માટે મહેલ પણ કેદખાનું બની જાય છે.
આ વાતને એક અત્યંત પ્રેરક અને જીવંત પ્રસંગ દ્વારા સમજીએ જે આપણને ન્યાયી માર્ગની તાકાતનો અહેસાસ કરાવશે.
ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એક રાજ્યમાં એક મંત્રી હતા જે અત્યંત પ્રામાણિક અને ન્યાયપ્રિય હતા. તેમનું નામ વિનયચંદ્ર હતું. આખું રાજ્ય તેમના ન્યાયની પ્રશંસા કરતું પણ રાજ્યના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને લોભી વેપારીઓને વિનયચંદ્ર આંખના કણાની જેમ ખૂંચતા હતા. તેમને લાગતું હતું કે જો વિનયચંદ્ર ન્યાયના માર્ગે ચાલવાનું છોડી દે તો તેઓ આખા રાજ્યને લૂંટી શકે. એકવાર આ ભ્રષ્ટ ટોળકીએ એક મોટું કાવતરું ઘડ્યું. તેમણે વિનયચંદ્ર પર રાજદ્રોહનો ખોટો આરોપ લગાવ્યો અને નકલી પુરાવાઓ ઊભા કર્યા. રાજા પણ કાવતરાખોરોની વાતોમાં આવી ગયા અને વિનયચંદ્રને દેશનિકાલની સજા સંભળાવી. એટલું જ નહીં રાજાએ હુકમ કર્યો કે વિનયચંદ્રને કોઈ પણ જાતની સંપત્તિ કે હથિયાર વગર રાત્રે જ ગાઢ જંગલમાં છોડી દેવામાં આવે.
વિનયચંદ્રના પરિવારજનો રડવા લાગ્યા, મિત્રો ગભરાઈ ગયા પણ વિનયચંદ્રના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. તેમણે કહ્યું, ‘ચિંતા ન કરો, મેં ક્યારેય કોઈનો અન્યાય કર્યો નથી એટલે ઈશ્વરનો ન્યાય મારી સાથે જ હશે.’ સૈનિકો તેમને જંગલની વચ્ચે છોડીને ચાલ્યા ગયા. જંગલ હિંસક પ્રાણીઓથી ભરેલું હતું. અંધારી રાત હતી અને ચારે બાજુથી ડરામણા અવાજો આવતા હતા. કોઈ પણ સામાન્ય માણસ આ સ્થિતિમાં ડરીને મરી જાય. વિનયચંદ્ર એક ઝાડ નીચે શાંતિથી બેસી ગયા. તેમને લાગ્યું કે જો મોત આવવાનું હશે તો ન્યાયના માર્ગે ચાલતા ચાલતા આવશે તો પણ તે ગૌરવની વાત હશે.
(વધુ હવે પછી)