Love at first sight - 26 in Gujarati Love Stories by Sanjay Sheth books and stories PDF | સ્નેહ ની ઝલક - 26

Featured Books
Categories
Share

સ્નેહ ની ઝલક - 26

અડગ વિશ્વાસ ની અજોડ જીત

લોકલ ડોક્ટર પાસેથી નિરાશાજનક જવાબ મળ્યા પછી ઘરનું વાતાવરણ ભારે બની ગયું હતું. દીવાલો પણ જાણે મૌન થઈ ગઈ હતી. મયુર ખિડકી પાસે ઊભો રહીને દૂર આકાશ જોઈ રહ્યો હતો એ આકાશ જે ક્યારેક અનંત શક્યતાઓથી ભરેલું લાગતું હતું, આજે અજાણ્યા પ્રશ્નોથી ઢંકાયેલું લાગતું હતું.

પ્રીતિએ અંદરથી આંચકો અનુભવ્યો હતો, પરંતુ એણે પોતાના ચહેરા પર ભયને આવવા દીધો નહીં. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, ત્યારે તે શાંતિથી ઠાકુરની તસવીર આગળ બેસી રહી. આંખોમાંથી આંસુ વહતા હતા, પણ હોઠ પર એક જ વાક્ય

“રામકૃષ્ણ દેવ જો તમારી ઇચ્છા હશે તો હું સુહાગન રહીશ. મારો વિશ્વાસ તૂટવા ન દેજે.”

બીજા દિવસે જ કોઈ ઓળખીતાએ મુંબઈની પ્રિન્સ આગાખાન હોસ્પિટલ અને ડૉ. સુલતાન પ્રધાન વિશે જણાવ્યું અને કહ્યું કે તે વ્યક્તિ ના હાથ માં જશ છે તો શક્ય છે કે મયુર ને પણ સારું થઈ જશે. એ નામ જાણે અંધકારમાં એક દીવો બની ઝબૂક્યું. આશા નાની હતી, પણ જીવંત હતી.

આર્થિક સ્થિતિ નબળી હતી. સારવાર ખર્ચાળ હતી. પરંતુ જ્યારે પ્રીતિએ પોતાના પિતા જનકભાઈને વાત કરી, તેઓ એક ક્ષણ માટે પણ હચમચ્યા નહીં.

“દીકરી,” તેમણે શાંતિથી કહ્યું, “જે રસ્તે ઠાકુર લઈ જાય, એ રસ્તે ખર્ચની ચિંતા ન કરવી.”

પ્રીતિ ની માતા સુનયના બહેનની આંખોમાં પણ પાણી હતું, પણ અવાજ મજબૂત

“હું રોજ સો વખત હનુમાન ચાલીસા પાઠ કરીશ. અને એક લાખ ૐ નમ: શિવાય ના જાપ કરીશ અને મહાદેવને પોકારીશ. આ પરીક્ષા છે, અંત નહીં.”

બહેનો અને બનેવીઓએ પણ એક જ વાત કરી
“તું એકલી નથી.”

મુંબઈનો પ્રવાસ શારીરિકથી વધુ માનસિક હતો. હોસ્પિટલની સફેદ દિવાલો, દવાઓની સુગંધ, દર્દીઓના ચહેરા દરેક દૃશ્ય જીવનની નાજુકતા યાદ અપાવતું હતું.

ડૉ. સુલતાન પ્રધાને બધા રિપોર્ટ ધ્યાનથી જોયા. થોડા નવા ટેસ્ટ કરાવ્યા. બે દિવસની રાહ એ બે દિવસ જાણે બે વર્ષ જેટલા લાંબા લાગ્યા.

અંતે તેમણે કહ્યું
“ઓપરેશન શક્ય નથી. પરંતુ કીમોથેરાપી અસરકારક બની શકે. અમે પ્રયત્ન કરીશું. બાકી, ઉપરવાળાની કૃપા.”

‘ઉપરવાળાની કૃપા’ આ શબ્દોએ પ્રીતિના હૃદયમાં એક અજાણી શાંતિ ઉતારી.

કીમોથેરાપી શરૂ થઈ.

પ્રથમ સેશન બાદ મયુર ખૂબ નબળો પડી ગયો. ઊલટીઓ, શરીરમાં દુખાવો, તાવ, નિંદ્રા વિહોણી રાતો. પ્રીતિ હોસ્પિટલના ખુરશી પર બેસી રહેતી. એક હાથમાં દવાઓ, બીજા હાથમાં જપમાળા.

દર સેશન પહેલાં તે મયુરના કાન પાસે ધીમે બોલતી
“ઓમ રામકૃષ્ણાય નમઃ… શારદા માત તારી સાથે છે. મયુર ઈશ્વર આપણી સાથે છે તું જલ્દી થી સારો થઈ જઈશ ”

મયુર ઘણી વાર તકલીફમાં બોલી ઉઠતો
“આ બધું કેટલા દિવસ ચાલશે?”

પ્રીતિનો જવાબ હંમેશા એક જ
“જ્યાં સુધી ઠાકુર ઇચ્છે.”

ઘરે સુનયના બહેનનો જાપ સતત ચાલુ હતો. સવારે હનુમાન ચાલીસા, બપોરે “ઓમ નમઃ શિવાય”, રાત્રે રામકૃષ્ણ નામ. તેમની તપસ્યામાં માતૃત્વની આગ હતી.

રામકૃષ્ણ મિશન રાજકોટ માં પણ ભક્તોએ ૨૪ કલાકનો જાપયજ્ઞ શરૂ કર્યો. આશ્રમમાં સતત ઘંટનાદ, મંત્રોચ્ચાર, દીવાઓની કિરણો. કેટલાક ભક્તો ઠાકુર સમક્ષ રડી પડતા

“આ પરિવાર પર કૃપા કરજો.”
જનકભાઈ શાંતિથી બેસી રહેતા. કોઈએ પૂછ્યું
“તમને ડર નથી લાગતો?”
તેમણે હળવું સ્મિત કરીને કહ્યું
“ડર ત્યાં હોય જ્યાં શંકા હોય. અહીં તો માત્ર વિશ્વાસ છે.”

મહિના પસાર થયા

ત્રીજા સાયકલ પછી રિપોર્ટમાં થોડો સુધારો દેખાયો. ડૉક્ટરે કહ્યું
“રિસ્પોન્સ સારો છે. આપણે આગળ વધીએ.”

પ્રીતિએ એ રાત્રે ઠાકુર સમક્ષ માથું ટેકાવી દીધું.
“આ તારી કૃપાની શરૂઆત છે?”

કીમોથેરાપીના આગળના સેશન વધુ કઠિન હતા. વાળ લગભગ ઊડી ગયા. શરીર કાંપતું. પરંતુ મન ધીમે ધીમે મજબૂત થતું ગયું. મયુરે એક દિવસ કહ્યું
“મને લાગે છે હું હવે બીમારી સાથે લડી રહ્યો છું, ભાગી રહ્યો નથી.”

પ્રીતિએ આંખોમાં ચમક સાથે કહ્યું
“આ જ તો મનોબળ છે.”

છઠ્ઠા મહિને એક મહત્વપૂર્ણ સ્કેન થયો. પરિણામની રાહ ફરી એ જ બે દિવસની તીવ્ર કસોટી.

જ્યારે ડૉ. પ્રધાને રિપોર્ટ હાથમાં લીધો, તેમના ચહેરા પર ગંભીરતા હતી. પછી ધીમે ધીમે એક નાનું સ્મિત દેખાયું.

“ટ્યુમર નોંધપાત્ર રીતે ઘટ્યો છે. હાલની સ્થિતિ નિયંત્રણમાં છે.”

આ શબ્દો સાંભળતા પ્રીતિની આંખોમાંથી ધોધમાર આંસુ વહ્યા. મયુર નિર્ભાવ બની ગયો. એ પળમાં બંનેએ માત્ર એકબીજાનો હાથ પકડ્યો.
એ ચમત્કાર હતો?
કે દવા?
કે શ્રદ્ધા?
કદાચ ત્રણેયનું સંયોજન.
આગળના મહિના પુનઃસ્થાપનના હતા. શરીરને ફરી તાકાત મળતી ગઈ. મનમાં વિશ્વાસ ગાઢ બનતો ગયો. થોડા સમય બાદ રિપોર્ટ આવ્યો કૅન્સર રિમિશનમાં.
પ્રીતિએ પહેલી વાર નિર્ભય હાસ્ય હસ્યું.
“ઠાકુરે સાંભળ્યું.”
મયુર ધીમે ધીમે કામ પર પાછો ફર્યો. આ વખતે જીવન વિશેનો દૃષ્ટિકોણ બદલાયેલો હતો. પૈસા હવે લક્ષ્ય નહોતા સાધન હતા. તેણે પોતાના વ્યવસાયમાં પારદર્શકતા અને જવાબદારી લાવી. થોડા વર્ષોમાં ફરી સમૃદ્ધિ આવી, પરંતુ આ વખતની સમૃદ્ધિમાં અહંકાર નહોતો.

કોઈ પણ બીમાર ને જોતાં ત્યારે હમેશા મયુર કહેતો
“હું જીવતો પુરાવો છું કે આશા અને શ્રધ્ધા ક્યારેય ના છોડવી.”

પ્રીતિ આજે પણ ભજન ગાય છે. પરંતુ એ ભજન હવે વિનંતિનું નથી કૃતજ્ઞતાનું છે.
“શરણ તારો, શારદા માત…” 
આ કથા કોઈ અંધ વિશ્વાસની નથી. આ કથા છે અડગ વિશ્વાસ અને પ્રયત્નની. દવા અને પ્રાર્થના સાથે ચાલે ત્યારે અશક્ય લાગતું માર્ગ પણ ખુલ્લો પડે છે.
રામકૃષ્ણ દેવ કહેતા—
“ભગવાનને પોકારવો એટલે દિલથી પોકારવો.”
અને માં શારદા દેવી શીખવે છે—
“સહન કરવું એ જ સૌથી મોટું સાધન છે.”
પ્રીતિ અને મયુરે બંને સાધન અપનાવ્યાપ્રયત્ન અને પ્રાર્થના.
અને અંતે સમજાયું
કૃપા ત્યાં વરસે છે જ્યાં હૃદય સંપૂર્ણ સમર્પિત હોય.

કૃપાનો દીવો મુંબઈમાં પ્રગટ્યો,
ઠાકુર તું સાથે હતો ।
હોસ્પિટલની ઠંડી દિવાલે પણ,
નામ તારું જ લેતા હતા ॥
નિરાશાના ઘેરા વાદળ વચ્ચે,
આશાનો કિરણ ઝબૂક્યો ।
ડોક્ટરના શબ્દોમાં પણ જાણે,
તારો સંદેશો જ પ્રસરાવ્યો ॥
શરણ તારું , રામકૃષ્ણ દેવ,
શારદા માતા સંભાળો હેવ ।
દવા ચાલે ને જાપ જાગે,
ભક્તિથી લખાયો નવો અવતાર ॥
કીમોના અગ્નિમાં દેહ દહેતો,
પણ મન ન ડગ્યું એક પળ ।
જપમાળાની દરેક મણકામાં,
હતા તમારા આશીર્વાદ અખંડ ॥
માતાની તપસ્યા ગાજે,
હનુમાન ચાલીસા નાદ કરે ।
“ઓમ નમઃ શિવાય”ની ધૂનથી,
દરદ પણ પ્રભુને યાદ કરે ॥
આશ્રમમાં જાપયજ્ઞ પ્રગટ્યો,
ચોવીસ કલાક દીવો જળે ।
ભક્તોની આંખે આંસુ ઝરે,
પણ વિશ્વાસ હૃદયે અડગ ખળે ॥
શરણ તારો, શારદા માત,
અંધકારમાં તું દીવો હાથ ।
મરણ સમી પીડા સામે પણ,
ન તૂટ્યો ભક્તિનો સાથ ॥
ધીમે ધીમે દવા અસર કરે,
જ્યાં આશા નહોતી ત્યાં ફૂલ ખીલે ।
ડોક્ટર પણ આશ્ચર્ય પામે,
કૃપા તારી ચમત્કાર રચે લીલે ॥
વાળ ઊડી ગયા, દેહ નબળો,
પણ મનમાં તેજ અડગ રહ્યું ।
“ડર ન રાખ” તારો સંદેશ,
હૃદયમાં દીપ સમું બળ્યું ॥
ફરી હસ્યું એ ઘર આંગણું,
ફરી જીવન સંગીત વાગે ।
પીડા બની પ્રાર્થના જ્યારે,
ત્યારે કૃપા વરસી જાય ભાગે ॥
કૃપાનો દીવો મુંબઈમાં પ્રગટ્યો,
ઠાકુર તું સાક્ષી રહ્યો ।
જ્યાં દવા ને ભક્તિ મળ્યાં,
ત્યાં મૃત્યુનો માર્ગ પણ વળ્યો ॥
શરણ તારો, રામકૃષ્ણ દેવ,
શારદા માતા તારી મહેર ।
જ્યાં અડગ શ્રદ્ધા હોય હૃદયે,
ત્યાં ભક્તનો કોણ કરે ફેર ॥

સંપૂર્ણ