તૃતીય સર્ગ
કેટલાય દેશ-દેશાંતરોમાં ભમ્યો એ કવિ!
બરફથી થીજી ગયેલા પર્વતો એણે ઓળંગ્યા,
તીક્ષ્ણ કાંટાઓથી ભરેલા જંગલોને
લોહીલુહાણ પગે કચડીને એ ચાલતો રહ્યો.
પરંતુ પંખીઓનું ગાન, ઝરણાંનો ધ્વનિ,
હવે કવિના હૃદયને શાંત કરી શકતા નથી.
પંખી અને ઝરણાંનો ધ્વનિ તો પ્રકૃતિનું ગીત છે—
મનના જે ભાગમાં તેનો પડઘો પડતો હતો,
તે મનની વીણાના તાર જાણે વેરવિખેર થઈ ગયા છે.
એકલો રહીને જે કંઈ પણ પહેલાં જોતો હતો એ કવિ,
તે બધું જ તેને કેટલું સુંદર લાગતું હતું,
હવે કવિની આ કેવી દશા થઈ ગઈ છે—
કે જે પ્રકૃતિની શોભા વચ્ચે નલિની નથી હોતી,
તે કવિની નજરમાં શૂન્ય સમાન લાગે છે,
જાણે મંદિરમાં કોઈ દેવતા જ ન હોય!
એ બાળાના મુખનું તેજ વધારી દેતું હતું
પ્રકૃતિના રૂપની છટાને બમણી કરીને;
તેના વિના તો અમાસની રાતની જેમ
આખું જગત વિષાદભર્યા અંધકારમાં ડૂબી જતું.
ચાંદનીમાં ડૂબેલી છે ધરતી, શાંત રાત્રિ છે.
જંગલના અંધકારમય વૃક્ષો
પોતાના મસ્તક પર રૂપેરી ચાંદની ઓઢીને,
ડાળીઓ સાથે ડાળીઓ ગીચતાથી વીંટાળીને,
કેવા ગંભીર થઈને ઊભા રહ્યા છે!
અહીં ઝાડીઓની વચ્ચે છુપાયેલો અંધકાર છે,
તો ત્યાં સરોવરની છાતી પર પ્રશાંત ચાંદની છે.
આકાશના પ્રતિબિંબથી શોભતું ઊંઘતું સરોવર
જાણે ચંદ્ર અને તારાઓના સ્વપ્ન જોઈ રહ્યું છે!
ચંચળ વહેતી નદી દોડી રહી છે,
તેની લીલાવંતી છાતી પર વૃક્ષોના પડછાયા
તૂટી-તૂટીને કેટકેટલા આકારો ધરી રહ્યા છે.
રાત્રિ કેવું મધુર મૌન સંગીત ગાઈ રહી છે!
કેવું શાંત વન, સ્તબ્ધ અને ગંભીર—
માત્ર દુરના શિખર પરથી ઝરણાં ખરી રહ્યા છે,
માત્ર એક બાજુએથી અત્યંત સંકોચાઈને
નાની નદી સર-સર કરતી વહી જાય છે.
અધીરો વસંતનો પવન ક્યારેક ક્યારેક જ
સરસર અવાજ સાથે વૃક્ષોના પાંદડા ધ્રુજાવી જાય છે.
આવી સ્તબ્ધ રાત્રે કેટલીય વાર મેં
ગંભીર અરણ્યમાં એકલા ભ્રમણ કર્યું છે.
સ્નિગ્ધ રાત્રે વૃક્ષ-છોડવાઓ જાણે ઝોકાં ખાઈ રહ્યા છે,
તેમના પડછાયા અહીં-તહીં પડી રહ્યા છે.
મેં જોયું છે કે મૌન જેટલી વાતો કરે છે
આત્માના ઊંડાણમાં, એટલું બીજું કોઈ નથી કરતું.
જ્યારે જોઉં છું કે અતિ શાંત ચાંદનીમાં ડૂબીને
મૌન થઈને આખી ધરતી સૂઈ રહી છે,
મૌન રહીને વસંતનો પવન સ્પર્શી જાય છે દેહને,
જાણે અજાણ્યે જ કોઈ એક ભાવ હૃદયની અંદર
કેવો ઉછળી-ઉછળીને ઉભરાઈ આવે છે!
જાણે કંઈક ખોવાઈ ગયું છે જેને શોધી શકતો નથી,
જાણે કોઈ વાત અચાનક ભૂલી ગયો છું,
જાણે દિલની કોઈ વાત કહેવાની રહી ગઈ છે,
જેને પ્રગટ કરવા જતાં હું શોધી શકતો નથી!
એવું કોણ છે જેની આવી રાત્રિએ,
જૂના સુખની સ્મૃતિઓ ઉભરાઈ ન આવી હોય!
એવું કોણ છે જેના જીવનના પંથ પર
આવું એક સુખ ખોવાઈ ન ગયું હોય,
જે ખોવાયેલા સુખ કાજે રાત-દિવસ તેના
હૃદયનો એક ખૂણો શૂન્ય થઈને રહ્યો છે.
આવી શાંત રાત્રે શું તેણે ક્યારેય
હૃદય ચીરી નાખતો એક નિસાસો નથી નાખ્યો?
કોઈક સ્થાને આજે રાત્રે મધ્યરાત્રિના દીવાના પ્રકાશમાં
વિલાસીના ગૃહમાં આનંદનો ઉત્સવ ગાજી રહ્યો છે.
એક ક્ષણ માટે પણ તેમણે નથી વિચાર્યું કે આજની રાત્રે
કેટલાય ચિત્ત છૂપા અગ્નિમાં બળી રહ્યા છે.
કેટલાય અભાગીઓ આજની રાત્રે જ
જીવનભરનું સુખ સદાય માટે ખોઈ બેઠા છે,
હૃદયભેદક વેદનાથી અધીર થઈને
એકલા જ હાહાકાર કરતા ભમી રહ્યા છે!
ઝાડી-ઝાંખરાથી ઢંકાયેલી પેલી વનકુટિર છે.
વિષાદગ્રસ્ત નલિનીબાલા શૂન્ય નજરે
ચંદ્રના મુખ તરફ જોઈ રહી છે!
જણાય નહિ કેવી રીતે એ બાળાના હૃદયમાં
અચાનક કેવો આઘાત લાગ્યો છે—
હવે એ ગીત નથી ગાતી, વસંત ઋતુના અંતે
બુલબુલનો કંઠ જાણે મૌન થઈ ગયો છે.
હવે એ વીણા લઈને ધીમે ધીમે નથી વગાડતી,
હવે એ બાળા વન-વગડામાં નથી ભમતી.
એકલી કુટિરમાં માત્ર મરણપથારી પર
એકલી પોતાના મનમાં સૂઈ રહી છે.
જે બાળા એક ક્ષણ પણ ક્યારેય સ્થિર નહોતી રહેતી,
પર્વતો, ઝરણાં અને વનોમાં ભમતી હતી—
ક્યારેક ફૂલો ચૂંટતી, ક્યારેક માળા ગૂંથતી,
ક્યારેક ગીતો ગાતી, વીણા વગાડતી—
તે આજે આટલી શાંત, આટલી મૌન અને સ્થિર છે!
એ પ્રફુલ્લિત મુખ આજે કેટલું ઉદાસ અને ક્ષીણ છે!
એક દિવસ, બે દિવસ, એમ ક્રમશઃ દિવસો વીતી રહ્યા છે—
જાણે એ મૃત્યુના પગલાંની ગણતરી કરી રહી છે!
હવે બીજી કોઈ આશા નથી, બસ એક જ ઈચ્છા છે
કે કવિને જોઈને જ તેના પ્રાણ છૂટે.
આ બાજુ પૃથ્વી પર ભમીને, કેટલાય વાવાઝોડા વેઠીને
કવિ પાછો ફરી રહ્યો છે પોતાની કુટિર તરફ,
બપોરના તડકામાં બળીને હોમાયેલું પક્ષી જેમ
સાંજે પોતાના માળા તરફ પાછું ફરે છે.
ઘણા સમય પછી કવિએ વનભૂમિ પર પગ મૂક્યો,
વૃક્ષો અને વેલાઓ બધા જ તેના પરિચિત મિત્રો છે!
બધું જ તેમનું તેમ જ છે, પક્ષીઓ તેમ જ ગાઈ રહ્યા છે,
પવન પણ તેમ જ સરસર કરતો વહી રહ્યો છે.
અધીરો થઈને કવિ દોડ્યો કુટિર તરફ—
દ્વાર પાસે જઈને, દ્વાર પર ટકોરા મારીને
અધીરા સાદે પોકાર્યો, "નલિની! નલિની!"
કોઈ જ અવાજ ન આવ્યો, કોઈએ ઉત્તર ન આપ્યો,
માત્ર પડઘાએ જ તેની મજાક ઉડાવી.
કુટિરમાં કોઈ નથી, તે શૂન્ય પડી રહી છે—
તાર વગરની વીણા કરોળિયાના જાળાથી ઘેરાયેલી છે.
વ્યાકુળ કવિ વન-વનમાં ભમવા લાગ્યો,
મોટા સાદે પોકારતો, "નલિની! નલિની!"
કવિના સાદમાં સાદ મિલાવીને વનદેવીએ પણ વ્યાકુળ થઈને
મોટેથી પોકાર્યું, "નલિની! નલિની!"
કોઈએ ઉત્તર ન આપ્યો, માત્ર એ શબ્દ સાંભળીને
ઊંઘતા હરણો ચમકીને જાગી ગયા.
અંતે વ્યાકુળ કવિ પર્વતના શિખર પર ચડ્યો,
જ્યાં તે નલિની સાથે બેસતો હતો.
તેણે જોયું એ ગિરિ-શિખર પર, શીતળ બરફ પર,
નલિની સૂતી છે, તેનું મુખ નિસ્તેજ છે.
કઠોર બરફ પર તેના વાળ વિખરાયેલા પડ્યા છે,
તેની સાડીનો છેડો બાજુમાં સરી પડ્યો છે.
તેની વિશાળ આંખો અર્ધમીંચાયેલી છે,
બંને હાથ તેના ખુલ્લા વક્ષસ્થળ પર ઢંકાયેલા છે.
એક હરણનું બચ્ચું રમત કરવા માટે
ક્યારેક તેનો છેડો પકડીને ખેંચે છે,
ક્યારેક પોતાના બે શીંગડા વડે ધીમેથી તેને ધકેલે છે,
તો ક્યારેક આશ્ચર્યચકિત નજરે જોઈ રહે છે!
છતાં નલિનીની ઊંઘ કોઈ કાળે ખૂલતી નથી,
તે મૌન અને નિસ્પંદ થઈને ભૂમિ પર પડી છે.
દૂરથી કવિએ તેને જોઈને મોટેથી કહ્યું,
"નલિની, હું આવ્યો છું, જો તો ખરી બાળા!"
છતાંય નલિની બાળાએ કોઈ ઉત્તર ન આપ્યો,
તે શીતળ બરફ પર સૂતી જ રહી.
કવિએ એ શિખર પર આરોહણ કરીને
તેના ઠંડા અધરો પર ચુંબન કર્યું—
ધ્રૂજી ઊઠીને, ચમકીને કવિએ જોયું
ન તો તેનું હૃદય ધબકે છે, ન તો શ્વાસ ચાલે છે.
તેણે કંઈ જોયું નહીં, વિચાર્યું નહીં, કશું જ કહ્યું નહીં,
જેમ ટગરટગર જોઈ રહ્યો હતો, તેમ જ જોતો રહ્યો.
કોઈ ભયાનક દ્રશ્ય જાણે તે ડરથી જોઈ રહ્યો હોય,
તેની આંખો પથ્થરની જેમ અચળ થઈ ગઈ.
કેટલીક ક્ષણો પછી કવિ ભાનમાં આવ્યો,
તેણે જોયું નલિનીનો બરફ જેવો શ્વેત દેહ,
તેનું હૃદય અને જીવન વગરનું જડ શરીર,
જે અજોડ સૌંદર્યનું ફૂલોનું ઘર હતું,
હૃદયના અંતરનો અત્યંત વહાલો વૈભવ હતો—
તે ઘાસ અને લાકડાની જેમ જમીન પર આળોટી રહ્યો છે!
તેને હૃદય સરસી ચાંપીને પોકાર્યો "નલિની",
તેને હૃદયમાં રાખીને પાગલની જેમ કવિએ
કાતર સ્વરે કહ્યું, "નલિની!" "નલિની!"
તેના સ્પંદનહીન, રક્તહીન અધરો પર
અધીરો થઈને તેણે વારંવાર ચુંબન કર્યું.
તે દિવસ પછી એ વનમાં કવિને ફરી
કોઈએ જોયો નહીં, તે ક્યાં ચાલ્યો ગયો!
નલિનીના દેહને બરફની સમાધિએ ઢાંકી દીધો—
ધીમે ધીમે પેલી કુટિર ક્યાંક તૂટી-ભૂસી ગઈ,
ધીમે ધીમે તે વન ગામ અને લોકાલય (વસ્તી) બની ગયું,
એ વનમાં—કવિના એ વહાલા વનમાં
ભૂતકાળના કોઈ પગલાંના નિશાન પણ બાકી ન રહ્યા.
( ચતુર્થ સર્ગ - અંતિમ સર્ગ - આવતા અંકે )