Karan Ghelo - 16 books and stories free download online pdf in Gujarati

કરણ ઘેલો - પ્રકરણ - 16

કરણ ઘેલો

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા

નંદશંકર તુળજાશંકર મહેતા

પ્રકરણ ૧૬


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૧૬

ઝીઝુવાડાના પાટડી ગામમાં એક મોટો મહેલ બાંધેલો હતો. તેની એક બારીએ કોઈ સ્ત્રીપુરુષ બેઠેલાં હતાં. તેઓ બંને પુખ્ત ઉંમરે પહોંચેલાં હતાં. તેમાંથી પુરુષનું મોં ઘણું ચિંતાતુર દેખાતું હતું. જ્યારથી અણહિલપુર મુસલમાન લોકોના હાથમાં આવ્યું ત્યારથી ગુજરાતનો પાદશાહી સૂબો આસપાસના રજપૂત તથા બીજા હિંદુ રાજા, ઠાકોર તથા ગરાસિયાને તાબે કરી તેઓનાં રાજ્ય જપ્ત કરતો હતો, તથા તેઓ ઉપર ભારે ખંડણી બેસાડવાને ચડાઈઓ કરતો હતો. એ લડાઈઓમાં કેટલાંક નાનાં રાજ્યો ડૂબી ગયાં; કેટલાક રાજાઓએ ખંડણી આપવી કબૂલ કરી; પણ હજી કેટલાક પોતાના શૂરાતનથી, કિલ્લાની મજબૂતી વડે તથા લશ્કરના જોરે કરીને એ સુબાની સામે ટકી રહ્યા હતા. પાટડીનો ઠાકોર, જે તે મહેલની બારીએ બેઠો હતો તેણે પણ અત્યાર સુધી પોતાનો બચાવ ઘણી બહાદુરીથી કર્યો હતો, પણ હમેશાં સુધી તે પ્રમાણે તેનાથી લડાઈ થઈ શકશે નહીં એ બાબત તેને ઘણી ચિંતા થતી; અને તેથી જ તે મહાભારત ફિકરમાં પડ્યો હતો. તેની સ્ત્રી પણ તેવી જ બહાદુર હતી, અને પોતાના સ્વામીની હિંમત લેશમાત્ર પણ નરમ પડવા દેતી ન હતી. જે ચમત્કારિક રીતે પાટડી તથા બીજાં ગામો કરણ વાઘેલા પાસેથી તેને મળ્યાં હતાં તેમાં કાંઈ દેવતાઈ અંશ હતો. એક રાતમાં બે હજાર ગામને તોરણ કોઈ પણ માણસથી એકલી પોતાની જ શક્તિ વડે બંધાઈ શકે નહીં. માટે જે અદ્‌ભુત શક્તિથી એટલાં બધાં ગામો તેને મળ્યાં તે જ શક્તિ તેની તથા તેના વંશની પાસે કાયમ રહેશે, એ પ્રમાણે તેની સ્ત્રી તેને ધીરજ આપતી હતી.

એ પ્રમાણે જ્યારે જ્યારે તે બે વાતચીત કરતાં હતાં તે વખતે બહાર ચોગાનમાં કાંઈ ગડબડ થઈ, અને તેઓ બહાર જુએ છે તો એક હાથી છૂટો પડી મદોન્મત્ત થઈ દોડતો તેમણે જોયો. આ વખતે મારી બારી આગળના ચોગાનમાં તેઓના શેડો, માંગુ, શેકડો, એ નામના ત્રણ છોકરા તથા ઉમાદેવી નામની છોકરી રમતાં હતાં. મસ્ત થયેલો હાથી રસ્તામાં જે વસ્તુઓ આવતી તે સઘળીને છૂંદતો છૂંદતો તે છોકરાં પાસે આવ્યો, અને એકને સૂંઢમાં પકડી ઉછાળવાની તથા બીજાને પગ તળે ચગદી નાખવાની તૈયારીમાં હતો, એટલામાં તરત તે સ્ત્રીએ, એટલે તેઓની માએ, બારીએથી જ પોતાનો એક હાથ એટલો તો લાંબો કર્યો કે તેઓ સઘળાંને ઝાલી લીધાં અને મોતના સપાટામાંથી તેઓને તરત ઉગારી લીધાં. હરપાળ (તે પુરુષ હરપાળ મકવાણો, કરણ રાજાનો માસીનો છોકરો તથા બાબરા ભૂતનો જીતનાર હતો, એ વાંચનારાઓએ જાણી લીધું હશે) આ તેની સ્ત્રીનું દેવતાઈ પરાક્રમ જોઈને ઘણો જ આશ્ચર્ય થતા આનંદ પામ્યો, અને આ વાતનું હમેશાં સ્મરણ રહેવાને તે ત્રણ છોકરાઓનું નામ ઝાલા (પકડ્યા) પાડ્યું. એ નામ હજી સુધી તેના વંશના ઝાલા રજપૂતોએ રાખ્યું છે.

જ્યારે તે ગાંડા હાથીને ચોગાનમાં નુકસાન કરવાનું કાંઈ મળ્યું નહીં ત્યારે તે બહાર દોડ્યો, અને તે રસ્તે એક ગાડું જતું હતું તેને પોતાની સુંઢના એક સપાટાથી ઉડાવી દીધું. ગાડું પડતાં જ ભાંગી ગયું. હાંકનાર એક તરફ પડ્યો, અને માંહે બેઠેલો એક પુરુષ તથા એક સ્ત્રી એક બાજુએ પડ્યાં. તે વખતે બળદો ચોંક્યા તેથી તેઓએ એ ગાડાને આગળ ઘસડ્યું, અને તેમ કરતાં તેનું એક પૈડું તે સ્ત્રીપુરુષનાં શરીર ઉપરથી ફરી ગયું. પુરુષનો પગ આ ઘાથી ભાંગી ગયો, તથા સ્ત્રીને સખત વાગ્યું. ઘાના દરદથી તેઓ બંનુ બેભાન થઈ પડી રહ્યાં. તેઓ મરી ગયાં એમ જાણી ગાડાના હાંકનારે મોટીથી ચીસ પાડી, તે ઠેઠ મહેલનાં માણસોએ સાંભળી, હરપાળે એ દુઃખભરેલી બૂમ સાંભળી શું બન્યું તે જોવાને પોતાનાં માણસો મોકલ્યાં, થોડી વારમાં તેઓ બે માણસોને એક ખાટલા ઉપર સુવાડીને મહેલમાં લાવ્યાં. આ ભાગ્યહીન અજાણ્યાં વટેમાર્ગુઓને તેઓની આવી અવસ્થામાં આશ્રય આપવો, તથા તેઓને સારાં કરવાની તજવીજ કરવી, તથા જ્યાં સુધી તેઓ આવી અવસ્થામાં રહે ત્યાં સુધી તેઓની ઘટતી બરદાસ્ત લેવી, એ પોતાનો ખરો ધર્મ છે, એમ જાણી હરપાળે તેઓને પોતાના મહેલમાંના એક ઓરડામાં સુવડાવયાં. તથા ગામના વૈદ તથા મલમપટા કરનાર હજામને બોલાવી મંગાવ્યાં. તેઓના ઉપચારથી તેઓને કેટલીક વારે ભાન આવ્યું, અને જ્યારે તેઓને માલૂમ પડ્યું કે તેઓ કોઈ અજાણ્યા માણસના ઘરમાં હતાં, તથા તેમને વાસ્તે તે માણસે ઘણી મહેનત લીધી હતી, તયારે તેઓના અંતઃકરણમાં ઉપકારવૃત્તિ પ્રકટ થઈ, અને ઘરધણીનો જોઈએ તેટલો પાડ માનવાને તેઓ ઘણાં અધીરાં થયાં. જ્યારે રાત પડી ત્યારે હરપાળ તેઓના ઓરડામાં આવ્યો, અને તે ઘાયલ માણસ જોડે તેણે વાતચીત કરવા માંડી. ઘાનું દરદ હમણાં ઓછું થયું હતું તેથી તેનામાં બોલવાની શક્તિ આવી હતી. પોતે કોણ હતો, શાં શાં પરાક્રમ કર્યાં હતાં, તથા હાલ તેની સ્થિતિ કેવી થઈ ગઈ હતી તે સઘળી વાતથી વાકેફ કરવાને તેણે પોતાની સઘળી જિંદગીનું વૃત્તાંત હરપાળ આગળ ઘણે વિસ્તારે કહી સંભળાવ્યું. પોતાના પરોણાને હવે તેણે સારી પેઠે ઓળખ્યો તેથી તેને ઘણી જ નવાઈ લાગી. અને ગુજરાતનો કટ્ટો શત્રુ, પોતાના રાજાને પાયમાલ કરનાર, લોકોને મ્લેચ્છ લોકોના હાથમાં આપનાર, તથા પોતાની સઘળી ફિકર તથા દુઃખનું કારણ, પોતાના ઘરમાં આમ દૈવયોગે આવી મળ્યો તે જોઈને તેને પગથી માથા સુધી ક્રોધની જ્વાળા ચઢી. તે ઘણો ચીડાઈને પગ ઠોકી ઘણા આવેશથી બોલ્યો : ‘‘અરે દુષ્ટ ! અરે ચંડાળ ! અરે રાજદ્રોહી ! અરે મહા પાણી ! તેં જે કામ કર્યું તેનાં ફળ તેં હવે ચાખ્યાં ? અરે નાગરા ! છેક નફ્ફટ નિર્લજ્જ થઈને તારાં અધમ તથા કપટનાં કર્મો તું મારી આગળ કહેવામાં પ્રતિષ્ઠા માને છે ? ધિક પડી તારા દેહને ! ધૂળ પડી તારા નામ ઉપર ! તું હિંદુ જન્મી તારી જન્મભૂમિ પરદેશી પરધર્મના મ્લેચ્છ દુષ્ટ લોકોને તેં વેચી ! અરે શરમ છે તને ! તું તારી માના ગર્ભમાં જ કાં ન મૂઓ ? તારો ગર્ભપાત કાં ન થયો ! અથવા તું તારી કુમળી વયમાં શા માટે મરણ ન પામ્યો ! તેં તારી સાત પેઢીનું નામ ડુબાવ્યું ! તેં તારી જાતને એબ લગાડી. તે હિંદુના નામને શરમ પહોંચાડી. તું પથ્થર કાં ન પડ્યો !’’ એ પ્રમાણે ઘણા આવેશમાં હરપાળે તેના ઉપર ગાળોનો વરસાદ વરસાવ્યો, અને એથી પણ વધારે અપશબ્દનો તે વાપરત, અથવા કદાપિ તે તેના ઉપર હાથ પણ ચલાવત, પણ એટલામાં તે ઘાયલ માણસ વચમાં બોલી ઊઠ્યો :

‘‘ખમા બાપજી ! ખમા, જેટલી મને ગાળ દીધી, તથા એથી પણ વધારે દેશો, એ સર્વને હું પાત્ર થયો છું. જેટલા આરોપ તમે મારા ઉપર મુક્યા છે તેટલા મેં કર્યા છે, તથા જે જે બદકામોનો કરનાર તમે મને કહ્યો તેટલાં મારાથી થયાં છે. હું ખરેખર દુષ્ટ, પાપી, ચંડાળ છું. હું વધારે વાર આ લોકમાં જીવવાને લાયક નથી, અને પરલોકમાં પણ ઘણી માઠી સ્થિતિને હું નક્કી પામીશ; પણ હવે હું શું કરું ? ભાવિ વાત બની છે. જે થનાર તે થયું. હવે તે ન થયું એમ થનાર નથી. પણ તે વખતની મારી સ્થિતિ ઉપર પણ તમારે વિચાર કરવો જોઈએ. મારા ઉપર કેવો ને કેટલો ગજબ પડ્યો હતો તે ધ્યાનમાં લેવું જોઈએ. તે વખતે વેરે મને ઉશ્કેર્યો, વેરે મને ગોદા માર્યા; અને આ સઘળાં કામ તે દુષ્ટ વિકારે મારી પાસે કરાવ્યાં. પણ મેં જેવું કર્યું છે તેવું જ મારી અવસ્થામાં આવી પડવા છતાં ન કરે એવો કોણ છે ? જવલ્લે જ કોઈ નીકળે. પણ મેં મોટી ભૂલ કરી એ હું કબુલ કરું છું. મેં જો જાતે કરણ ઉપર વેર લીધું હોત તો હું મારી જાતને ગુનેગાર ન ઠેરવત. પણ મેં કરણ રાજા ઉપર વેર પારકા પાસે લેવડાવ્યું, એ ઘણું ખોટું કર્યું અને તેથી આ સઘળી ખરાબી થઈ; અને મને પણ શો ફાયદો થયો છે ? જ્યાં સુધી અલફખાં ગુજરાતનો સુબો રહ્યો ત્યાં સુધી તો મેં કારભાર ભોગવ્યો, પણ તે વખતે મારી ખરેખરી સત્તા પહેલાંના જેટલી ન હતી. હું હમેશાં ફિકરચિંતામાં રહેતો હતો. અદેખાઈને દુશ્મનીનો તો પાર જ ન હતો, મારે તલવારની ધાર ઉપર ચાલવું પડતું. મારી આવરદા કાચા સુતરે લટકાવેલી હતી; અને તે મારી સઘળી દહેશત અંતે ખરી ઠરી. અલફખાં ગયા પછી નવા સૂબાએ મારો કારભાર છીનવી લીધો; મારાં ઘરબાર, માલમિલકત સરકારમાં જપ્ત કર્યાં; મારી સ્ત્રી થોડુંઘણું દ્રવ્ય લઈને નાસી ગઈ, અને મને એક સાધારણ ગુનેગારની પેઠે બંદીખાનામાં નાખ્યો. મેં છૂટવાને ઘણાએ પ્રયત્ન કર્યા, તથા મારી હાલતની ખબર પાદશાહને કાને પહોંચાડવાને ઘણીએ તદબરી કરી, પણ નગારખાનામાં તતૂડીનો અવાજ કોણ સાંભળે ? મારી ફરીયાદ કોઈએ સાંભળી નહીં; અને છેલ્લે જ્યારે અમલ બદલાયો ત્યારે ખુશામત તથા કાલાવાલા કર્યાથી મારો છૂટકો થયો. મેં ઘરે જઈ પાટણ શહેર છોડી દીધું અને સિદ્ધપુરમાં મારી સ્ત્રી સંતાઈ રહી હતી તેને સાથે લઈ સોમનાથનાં દર્શન કરી હાલ પાછો આવું છું. એ અઘોર પાપ કર્યાં તેનો મને હમણાં ઘણો જ પસ્તાવો થાય છે. રાતદહાડો જરા ચેન પડતું નથી; માટે હવે કાશીક્ષેત્રમાં જઈ વિશ્વેશ્વરનું રોજ પૂજન કરી ભાગીરથીમાં સ્નાન કરી ત્યાં બાકી રહેલી આવરદા પૂરી કરવી, એવો મારો મનસૂબો છે. એ કામ પરમેશ્વર પાર પાડે અને હવે પછીના મારા પશ્ચાત્તાપથી તથા તપશ્ચર્યાથી મારું સઘળું પાપ ધોવાઈ જાય. મને ઈશ્વર તરફથી ઘટતી શિક્ષા થઈ છે, તેથી હું જરા પણ તેની સામે ફરિયાદ કરતો નથી. પરમ દયાળુ ઈશ્વર મને ક્ષમા કરો. રામરામ દાદા ! કાલે સવારે હું અહીંથી જઈશ; માટે તમને જે મારે વાસ્તે શ્રમ થયો છે તે માફ કરજો.’’

માધવ અને રૂપસુંદરી ત્યાંથી નીકળી મોઢેરા ગયાં અને ત્યાં સાંજરે ધર્મશાળામાં તેઓએ મુકામ કર્યો. વાળુ કર્યા પછી તેઓ ઘાટ ઉપર જઈ ઊભા રહ્યાં. તે વખતે આશ્વિન મહિનાની ચાંદની રાત ખીલી રહી હતી, અને ત્યાં એક માણસ ધીમે ધીમે અને નીચું માથું રાખીને ફરતો હતો. તે વખતે ચાંદરણું રૂપાનાં પતરાં સરખું પડ્યું હતું; કુંડના સ્થિર પાણી ઉપર અતિશય ચળકાટ પડતો, અને તેમાં બાજુએ પગથિયાં ઉપરનાં નાનાં મોટાં દહેરાંની છાયા પડતી હતી તેથી તે કુંડ ઘણો રળિયામણો દેખાતો હતો. કુંડ ઉપર એક મહાદેવનું મોટું દેવાલય હતું. તેને બે રંગમંડપ હતા; એક દહેરા સાથે વળગેલો, તથા બીજો છૂટો હતો. આજુબાજુએ કીર્તિસ્તંભ હતા. આખા દહેરાની લંબાઈ પોણોસો ગજ તથા પહોળાઈ પચીસ ગજ હતી, અને તેથી ચારગણી લંબાઈ પહોળાઈનો કુંડ હતો.

અગર જો તે વખતે પહેલી રાત હતી તોપણ સઘળું ચૂપાચૂપ હતું. પવન પણ પડી ગયેલો હતો, અને ઝાડનાં પાતરાંનો જરા પણ ખડખડાટ સંભળાતો ન હતો. ધર્મશાળામાં એક વેરાગી મોટી ધૂણી સળગાવીને બેઠો હતો, અને તેની પાસે એક બ્રાહ્મણ હતો, તે બંને ગાંજો ફૂંકવાની તૈયારીમાં પડેલા હતા. આ એકાંત સ્થળે જે માણસને તેઓએ ફરતો જોયો તેનો દેખાવ જોઈ લેવા સરખો હતો. તેના માથાના નિમાળા સફેદ બરફના જેવા થઈ ગયા હતા. તેની આંખ ખાડામાં પેસી ગયેલી હતી, તથા મુએલા માણસ જેવી થઈ ગયેલી હતી. તેમાં કાંઈપણ તેજ જણાતું ન હતું, તથા તેમાં બંદ્ધિની કાંઈ પણ નિશાની માલૂમ પડતી ન હતી. તેના ગાલ પણ બેસી ગયેલા હતા. આખા ચહેરાનું લોહી પણ ઊડી ગયેલું હતું, તેથી તે ફિક્કા રંગનો દેખાતો હતો. આખું શરીર ગળાઈ ગયેલું હતું, તેથી તેને વખતે કોઈ નરમ હૈયાનો માણસ જુએ તો તેને બીક લાગ્યા વગર રહે નહીં. તે આ લોકનો માણસ હોય એમ લાગતું ન હતું. તે કોઈ કબરમાંથી બહાર નીકળેલો હોય એમ જણાતું હતું. જેવું તેનું શરીર તેવું જ તેનું મન હતું. તેનું માથું ફરી ગયેલું હતું. તેની અક્કલ પોતાનું કામ બરોબર કરી શકતી હોય એમ જણાતું ન હતું. તેની શિકલ તથા ચાલવાની રીત ઉપરથી એવું સહેજ અનુમાન થઈ શકતું હતું કે તે માણસ અસલથી આવો ન હતો, તેણે ઘણો સારો વખત કોઈ વાર જોયો હોય પણ તેના ઉપર કોઈ મોટી આફત આવી પડ્યાથી અથવા દેવકોપ થવાથી તેની અવસ્થા આવી બદલાઈ ગઈ હશે, એમ ધરાતું હતું. તે આ વખતે ઊંડા વિચારમાં પડ્યો હતો, અને તે વિચારનો વિષય તેના નિકટના સંબંધનું જ માણસ હતું. તેના કલેજામાં કારી ઘા લાગ્યો હતો, અને તે કાંઈ મહા દુઃખથી તે વખતે પીડાતો હતો.

આ માણસ કોણ છે તે વાંચનારાઓએ ઓળખ્યો હશે, અથવા તેઓએ અટકળ કરી હશે. જો એ બેમાંથી કાંઈ પણ થતું ન હોય તો અમે તેઓને જણાવીએ છીએ કે તે માણસ કરણ ઘેલો હતો. જ્યારે તેણે દેવગઢમાં સાંભળ્યું કે ભીમદેવનું સઘળું લશ્કર કપાઈ ગયું, તથા દેવળદેવી મુસલમાનોના હાથમાં પકડાઈ, ત્યારે જે દુઃખ તેને થયું તેનું વર્ણન થઈ શકતું નથી. તેણે કેટલાક દહાડા સુધી તો અન્ન ચાખ્યું નહીં, તથા પાણીનું ટીપું પણ હોઠે અડકાડ્યું નહીં. જે બનાવ અટકાવવાને માટે, તેણે આટલું કષ્ટ સહ્યું, જેને વાસતે તે આટલી મુદત સુધી લડાઈ લડ્યો, તથા બેહદ સંકટ વેઠ્યું, જેને વાસ્તે તેણે પોતાનો પ્રાણ જોખમમાં નાખ્યો તથા પોતાનાં ઘણાં વહાલાં માણસોને પોતાની નજર આગળ મરતાં જોયાં, તે જ બનાવ આખરે બન્યો એ કાંઈ થોડી સંતાપ ઉપજાવનારી વાત ન હતી. જે અમૂલ્ય રત્ન તેણે મહા જતનથી ઘરમાં રાખી મુક્યું, જેને જોવાથી તેને અતિ આનંદ થતો, તથા જે વડે તેને આટલાં મહાભારત દુઃખમાં પણ જીવવું ગમતું હતું, તે રત્ન તેના હાથમાંથી જતું રહ્યું; અને તે કોના હાથમાં પડ્યું ? પોતાના ઊંચા કુળનું અભિમાન રાખી તેણે દેવગઢના રાજા સાથે સંબંધ કરવાની ના કહેલી તથા મ્લેચ્છ લોકોના હાથમાં જાય એ ભયથી જ શંકળદેવને પોતાનો જમાઈ કરવાને છેલ્લે તેણે ઘણી જ આનાકાની સાથે કબૂલ કરેલું, તે સઘળું વ્યર્થ ગયું, તેને જે મોટામાં મોટી દહેશત હતી તે જ આડે આવી. હવે જીવવું શા સારું ? જીવવું કોને વાસ્તે ? અને શું કરવા ? અને શું કરવા ? તેણે આપઘાત કરવાને ઘણી વાર પ્રયત્ન કર્યા, પણ તેને સઘળી વખત કોઈએ રોક્યો. તેને દેવગઢના રાજા રામદેવે ઘણો દિલાસો તથા ધીરજ આપી; તેને અન્ન ખવડાવ્યું; તથા કેટલીક તદબીરથી તેનું મન પોતાની છોકરી ઉપરથી કઢાવ્યું, પણ તે વખતથી તેની અક્કલને નુકસાન લાગ્યું, તે ઉદાસની પેઠે આખો દહાડો બેસી રહેતો, અને તે વખતથી તે કોઈ દહાડો જરા પણ હસ્યો નહીં. આવી અવસ્થામાં તે કેટલીક મુદત સુધી દેવગઢમાં રહ્યો, પણ એટલામાં મલેક કાફુરનું લશ્કર શહેર આગળ આવ્યું અને તેને ઘેરો ઘાલ્યો. રામદેવ શંકળદેવને કિલ્લામાં રાખી પોતે ઘણાં નજરાણાં લઈ મલેક કાફુર પાસે ગયો, અને તેને શરણ થયો. પછી રામદેવ કાફુરની સાથે દિલ્હી ગયો, ત્યાં તેને રાયારાયનો ઈલ્કાબ મળ્યો. દિલ્હીના પાદશાહે તેને તેનું રાજ્ય પાછું સોપ્યું એટલું જ નહીં, પણ તેમાં વધારો કરી આપ્યો. તેને નવસારી પરગણું ઈનામ દાખલ આપ્યું, અને તેને ઘેર જવાને લાખ તનખા ખરચને માટે આપ્યા.

એ સઘળો બનાવ જ્યારે બન્યો ત્યારે કરણ ગુસ્સે થઈને તથા રામદેવ ઉપર કંટાળી જઈને દેવગઢથી ચુપકીથી નાસી ગયો, અને પાંચ વર્ષ સુધી આખા ગુજરાતમાં જુદો જુદો વેશ લઈને ભટક્યો. છેલ્લે તે મોઢેરા ગામમાં આવી પહોંચ્યો, અને ત્યાંના દહેરાની એક ધર્મશાળામાં તેણે ઉતારો કર્યો.

માધવ તથા તેની સ્ત્રી ઊભાં ઊભાં પોતાના ગયેલા વખતની વાત કરતાં હતાં, તથા માણસની જિંદગીમાં કેટલા બધા ફેરફાર થાય છે તે ઉપર વિચાર કરતાં હતાં. વાતમાં ને વાતમાં કરણનો વિષય નીકળ્યો ત્યારે એ દુર્ભાગી રાજાને વાસ્તે તેઓને ઘણી દયા આવી. ‘‘અરે અરે ! જો કરણ રાજા આ વખતે જીવતો હોય અને તેના સાંભળવામાં આવે કે તેની દેવળદેવી તેને વીસરી જઈ પોતાની મા સાથે ઘણા આનંદમાં રહે છે, તથા તેણે પાદશાહના શાહજાદા ખિઝરખાં સાથે લગ્ન કર્યું છે તો તેને કેટલું બધુ દુઃખ ઊપજે ? પણ તે બિચારો આ પૃથ્વી ઉપર જ કદાપી નહીં હોય. જ્યાં હોય ત્યાં તેનો સ્વર્ગવાસ થશો.’’ એ પ્રમાણે માધવ મોટેથી બોલ્યો, તે સઘળા શબ્દ કરણે સ્પષ્ટ સાંભળી લીધા. આ દુઃખદાયક વાત કરણને કાને પડતાં જ તે બેશુદ્ધ થઈ ભોંય ઉપર પડ્યો. પડવાનો અવાજ સાંભળી માધવ તેની તરફ દોડ્યો, અને જ્યારે તેણે પડેલા માણસનું મોં કેટલીક વાર જોયું ત્યારે તે એવો તો ભય પામ્યો કે એક લંગ મારી પોતાની સ્ત્રીને ઘસડીને ધર્મશાળામાં જતો રહ્યો, અને સઘળો સામાન બાંધી રાતની રાત ત્યાંથી બીજે ગામ જવાને નીકળી પડ્યો.

થોડી વાર પછી જ્યારે કરણને ભાન આવ્યું ત્યારે તેની આંખ લાલચોળ તથા ચહેરો ગાંડા જેવો થઈ ગયો; અને તેના અંતઃકરણમાં સખ્ત ઘા લાગ્યો. તે દુષ્ટ ચંડાળ છોકરી તેના બાપના કરેલા ઉપકાર ભૂલી જાય અને તેને કોઈ વાર પણ સંભારે નહીં એ કાંઈ જેવું તેવું દુઃખ ન હતું. તેને વાસ્તે તેના આવા હાલ થયા હતા, અને તે વન વન ભટકતો હતો, અને દેવળદેવી સુખમાં પાદશાહનાં મહેલમાં રહે, અને જરા પણ ઉદ્વેગ ધરે નહીં. વળી તેની માની સાથે વટલી જાય; અને છેલ્લે તેને ભૂલી જઈને, શંકળદેવનો પ્યાર અંતઃકરણમાંથી ભૂંસી નાખીને મ્લેચછ પાદશાહ, તેના બાપનું રાજ્ય લેનાર, તેના ઘરનું સુખ હરનાર, તેને આટલી બધી વિપત્તિમાં નાખનારના જ છોકરા સાથે પરણે એ કાંઈ નાનીસૂની વાત ન હતી. કૃતધ્ની છોકરી ! આ દુનિયામાં કોઈ કોઈનું નથી; સઘળાં સ્વાર્થી છે. પ્યાર ફોકટ છે; સંસાર દગલબાજ છે; તથા માયા સઘળી ખોટી છે; એ વાતનો તેને હમણાં નિશ્ચય થયો. જેને વાસ્તે આટલી વાર જીવવું પ્રમાણ હતું તે સઘળાં દગો કરી ચાલ્યાં ગયાં, ત્યારે હવે દુનિયામાં દુઃખે દહાડા કાઢવામાં શું ફળ ? માટે હવે નક્કી મરવું જોઈએ. એવો વિચાર કરતો કરતો તે કુંડની પાળ ઉપર ફરતો હતો. મરવું એ કાંઈ સહેલું નથી. જિંદગીથી ગમે તેટલા કંટાળી ગયા હોઈએ અને મોત વારે વારે માગતા હોઈએ તોપણ જ્યારે યમરાજાના દૂત ખરેખરા આવે ત્યારે આ દેહ કોઈને છોડવો ગમતો નથી. ત્યારે આપઘાત શી રીતે થાય ? પોતાનો જીવ પોતાને હાથે શી રીતે કઢાય ? એ જ સંદેહને લીધે તે કુંડમાં એકદમ પડવાને બદલે આણીગમ-તેણીગમ ફર્યા કરતો હતો. તેના મનમાં તોફાન અને શાંતિ વારાફરતી થતી હતી. જીવ જ્યારે ઊકળી આવતો ત્યારે તે પડવાની તૈયારી કરતો, પણ એટલામાં મન પાછું શાંત થતું, એટલે પાછો ફરવા માંડતો. એ પ્રમાણે કેટલીક વાર સુધી ચાલ્યા પછી તેને એકદમ આવેશ પઢી આવ્યો; અને તે નરમ પડે તેની અગાઉ તે કુંડમાં ભૂસકો મારી ઝંપલાવી પડ્યો. પાણીમાં એક મોટો ધબાકો થયો તે રાતની વખતે અને આસપાસ બંધિયાર જગા એટલે તેનો પડઘો પડવાથી અવાજ ઘણો મોટો સંભળાયો.

પાસેની ધર્મશાળામાં જે વેરાગી તથા બ્રાહ્મણ ગાંજો ફૂંકતા હતા તેઓ બંનેએ આ ધબાકો સાંભળ્યો, અને તે સાંભળીને તેઓ ચમક્યા. વેરાગી ચલમ પીતાં પીતાં અટક્યો, તે તેને કડવું ઝેર જેવું લાગ્યું. તે ગુસ્સામાં આવી બોલી ઊઠ્યો : ‘‘આવી રાતની વખતે કોણ અભાગિયો પાણીમાં પડ્યો ? કોઈ કૂતરો અથવા બીજું કાંઈ જનાવર હશે. આ વખતે માણસ તો કોઈ નહીં હોય. ગમે તે હો ! તો પણ તેણે મારી ચલમનો તાલ ખોવડાવ્યો, હવે નશો ચઢવાનો નથી. આ ઢોરે બધો દહાડો ખરાબ કર્યો. આજે સવારે કોઈ ચંડાળનું મોં જોયું હશે કે અમલ કરવામાં આવો એક અટકાવ થયો. એને મરવા દો. હું એને બચાવવા જવાનો નથી.’’ એવું કહી તેણે પાછી ચલમ ભરવા માંડી પણ જે બ્રાહ્મણ તેની સાથે હતો તે તો વધોર કોમળ અંતફકરણવાળો હતો. તેણે દુઃખનો સ્વાદ ચાખ્યો હતો. જે દહાડાથી તેની સ્ત્રી દેવળદેવીની સાથે તુરકડાઓના હાથમાં ગઈ તે દહાડેથી તેને ચેન પડતું ન હતું. તેણે ઘણો પ્રવાસ કર્યો હતો, અને છેલ્લે થાકી આ ઠેકાણે આવી રહ્યો હતો. તેને પક્કી ખાતરી થઈ કે કોઈ માણસ પડ્યો હશે અને પોતે બેસી રહે અને એક મનુષ્યદેહનો નાશ થાય એ ઘોર પાપ પોતાને માથે ન આવે માટે તે ચલમને પડતી મૂકીને ઊઠ્યો, અને કુંડ આગળ ગયો. પાણીમાં જુએ છે તો કોઈ માણસને તરફડિયાં મારતો તેણે જોયો. તેનું માથું માત્ર ઉઘાડું દેખાતું હતું. કરણ પડતાં વાર નીચે ગયો, પણ તે તરત તરી આવ્યો. તે વખતે સ્વરક્ષણની સ્વાભાવિક પ્રેરણાએ જોર પકડ્યું. તે વખતે તે પોતાનો જીવ બચાવવાની આતુરતામાં પોતાનું સઘળું દુઃખ ભૂલી ગયો. તેણે પછાડા મારવા માંડ્યા, અને એ પ્રમાણે જોર કરી તે કેટલીક વાર સુધી પાણી ઉપર રહ્યો, પણ તેનું જોર ધીમે ધીમે કમ થતું ગયું; તેના પગમાં ગોટલા ભરાઈ ગયા; તથા તેના હાથ રહી ગયા. તે નીચે પડવા લાગ્યો અને જે વખતે તે બ્રાહ્મણ કુંડની પાળ ઉપર ગયો ત્યારે તેની ચોટલી માત્ર બહાર દેખાતી હતી. આવે વખતે બ્રાહ્મણને પાણીમાં ભૂસકો મારતાં કાંઈ વાર લાગી નહીં. તેની પાસે વધારે લૂગડાંની કાંઈ ખટપટ ન હતી. માથે એક ટોપી હતી તે પાળ ઉપર મૂકી દીધી, અને જે ધોતિયું પહેેરેલું હતું તે સાથે તે પાણીમાં પડ્યો. સારા ભાગ્યે કરણ અજવાળામાં હતો તેથી તરત તે બ્રાહ્મણે તેની ચોટલી પકડી અને તેને પોતાની પાછળ ઘસડ્યો. પણ બૂડતા માણસને કાઢવાનું કામ કાંઈ થોડું જોખમ ભરેલું નથી. તેના મનને તો આખું જગત્‌ ડુબી જાય છે, અને તે પોતાનો જીવ બચાવવાની મહેનતમાં તેના બચાવનારના જીવને જોખમમાં નાખે છે. કરણે પાણીમાંથી બહાર નીકળતાં બ્રાહ્મણને ચૂડ ભેરવી; ને તે ભટજી જો સારો તરનાર ન હોત તો તેઓ બંનેનું સમચરી એક જ દહાડે આવત. પણ ભટજી આટલા બોજા સાથે પણ થોડું તર્યા અને જ્યારે વધારે વાર ઉપર ટકાયું નહીં ત્યારે કરણના હાથને તેણે એવા જોરથી બચકું ભર્યું કે તેણે તરત પોતાના હાથ છોડી દીધા. પછી એક આંચકાની સાથે કરણને ઓવારા ઉપર નાખ્યો. બ્રાહ્મણે બહાર નીકળી કરણને ઊંચકી લીધો, અને વેરાગીની પાસે લાવીને નાખ્યો. વેરાગી તે વખતે બીજી ચલમ ફૂંકતો હતો, તેણે ઘણી બેપરવાઈથી કરણના બેભાન મડદા જેવા શરીર તરફ જોયું, અને તે પૂરો મરી ગયેલો છે એમ જાણીને તે બ્રાહ્મણ ઉપર ક્રોધે ભરાઈને બોલ્યો : ‘‘અલ્યા બમન ! આ પ્રેતને અહીં ક્યાં લાવ્યો ? આ કુંડ તથા ધર્મશાળા ગોઝારાં થયાં. એવી પીડાનું અહીં શું કામ છે ? તેને કોઈ ખૂણામાં નાખી આવ. કાલે સવારે ગામમાં ખબર આપીશું એટલે તેનાં કોઈ વહાલાં અથવા ઓળખીતાં લઈ જશે; નહીં તો તેને અવલ મંજલ પહોંચાડવાનો મહાજન લોકો કાંઈ પણ બંદોબસ્ત કરશે. આ મહાદેવના દેવાલયમાં મડદાને રાખવું ન જોઈએ. આખું દહેરું અપવિત્ર થાય. અને તેને શુદ્ધ કરવાને ઘણા પૈસા ખરચ લાગશે. અને બીજા લોકો આપણને ઠપકો દેશે. વળી આપણને રાજા પાસે જવું પડશે. ત્યાં કોણ જાણે શું થાય ? તે કુંડમાં શા સારુ પડ્યો તે આપણને પૂછશે ત્યારે આપણે શો જવાબ દઈશું ? અને જવાબ બરોબર દેવાશે નહીં તો રાજાને આપણા ઉપર વહેમ આવશે. રાજા ગંડું છે; તેનો શો ભરોસો ? વખતે આપણે કૂતરાને મોતે માર્યા જઈએ, અથવા ગામમાંથી બહાર જવું પડે, એટલે આપણી પેદાશ જતી રહે ને આપણે ભૂખે મરીએ. માટે એ બલાને તું અહીંથી ખસેડ, અને બહાર કોઈ ખુણામાં નાખી આવ. તું તારું ભીનું ધોતિયું બદલી નાંખ, અને તને શરદી ચઢી ગઈ હશે માટે આ ચલમ તૈયાર છે તે લઈ ગરમ અને તાજો થઈ જા, ચાલ બચ્ચા, વહેલો થા.’’

વેરાગીનું આ બોલવું સાંભળીને બ્રાહ્મણના દિલ ઉપર ઘણી અસર થઈ. જેટલી જેટલી વાત બાવાજીએ બતલાવી તે સઘળી તેને ખરી લાગી, અને તેણે જે કામ કર્યું તેનો તેને ઘણો પસ્તાવો થવા લાગ્યો. પણ હવે લાચાર; જે થયું. તેના શરીરમાં ટાઢ ઘણી ચઢી ગઈ હતી. ટાઢા પાણીમાં તેનો સઘળો નશી ઊતરી ગયો હતો તેથી તેને જરા પણ ચેન પડતું ન હતું. ભટજી એક પડી પણ અમલના સુમાર વિના કોઈ દહાડો રહ્યા ન હતા, તેથી આવે વખતે બાવાજીને ચલમ ફૂંકતા તથા તેમાંથી તથા પોતાના મોઢામાંથી ધુમાડા કાઢતા તેણે જોયા ત્યારે તેનો જીવ આકુળવ્યાકુળ થઈ ગયો. તેની આંખે અંધારાં આવ્યાં; અને તેને કાંઈ પણ કામ સૂઝયું નહીં. જ્યારે ભટજીએ એવું થયું ત્યારે કરણની શી અવસ્થા થઈ હતી તે ઉપર જરા પણ નજર કર્યા વિના તેણે કોરું ધોતિયું પહેર્યું, અને લાગલો જ ચલમનો એક જોરથી સપાટો માર્યો, અને તે સપાટાની સાથે જાગ્રત થયો. પછી તેણે દીવો લાવીને કરણને તપાસ્યો તો તેનું શરીર તમામ મરી ગયેલા જેવું લાગ્યું. પણ હજુ જીવની નિશાની એટલી હતી કે તેની છાતી ધડકતી હતી, અને તેના નાકમાંથી ઊનો શ્વાસ નીકળતો હાથને લાગતો હતો. એટલા ઉપરથી તેને આશા આવી, અને કાંઈ ઉપાયથી તે હોશિયાર થાય એવી તદબીર તેણે કરવા માંડી. તેણે પહેલાં તો તેના પેટ ઉપર ભાર મૂક્યો, એટલે સુધી કે તે તેના ઉપર બેઠો, એટલે તેના ભારથી આશરે ચારપાંચ શેર પાણી તેના મોંમાંથી નીકળી પડ્યું. જ્યારે વધારે પાણી નીકળ્યું નહીં ત્યારે તેને પગે દોરી બાંધી અને તેને ઊંધે માથે લટકાવ્યો. એમ કરવાથી પણ કેટલુંક પાણી તેના શરીરમાંથી નીકળી ગયું. કલાકેક સુધી તેને એ પ્રમાણે ટાંગી રાખ્યા પછી તેને નીચે ઉતાર્યો, અને એક ધાબળીમાં લપેટી ધૂણી આગળ રાખમાં સુવાડ્યો.

થોડી વારમાં ગરમીની અસર તેના શરીરમાં લાગી. તેણે ધીમે ધીમે શરીર હલાવવા માંડ્યું, અને એમ કરતાં કરતાં આંખ ઉઘાડી, અને છેલ્લી વારે તેને બોલવાનું ભાન આવ્યું. આ પ્રમાણે કરણ જીવતો થયો તે જોઈને વેરાગી તથા બ્રાહ્મણને ઘણી જ ખુશી થઈ. તેઓની સઘળી દહેશત મટી ગઈ માટે બાવાજી આનંદભેર બોલ્યા, ‘‘કેમ બચ્ચા ! તું કોણ છે ? શી જાતનો છે ? શો ધંધો કરે છે ? શા સારુ આ ગામમાં આવ્યો છે ? અને કુંડમાં એકાએક પડી ગયો કે જાણી જોઈને ? અને જાણી જોઈને પડ્યો તો તારા ઉપર શું દુઃખ આવી પડ્યું છે ? શું શરીરથી કંટાળી ગયો છે ? શું છોકરાં તરફથી દુઃખ છે ? શું બૈરી કોઈ જોડે નીકળી ગઈ છે ? કે શું વ્યભિચારણી નીકળી ? કે તારી સાથે હમેશાં લડી છે તેથી કાયર થયો ? શું કાંઈ ધંધામાં ખોટ આવી ? શું પૈસા ચોરાઈ ગયા ?’’ એ પ્રમાણે વેરાગીએ તો ઉપરાઉપરી કરણને પ્રશ્ન પૂછવા માંડ્યા, અને તેનો સપાર ઘણો મોડો આવત, પણ કરણ ગભરાયો. આ બધી વાત એકદમ શી રીતે યાદ રહેશે, તથા તેના જવાબ શી રીતે અપાશે એ વિષે તેને ફિકર થઈ, તેથી તે વચમાં બોલી ઊઠ્યો, અને બાવાજીને બોલતા અટકાવ્યા. આ સઘળા સવાલોના પૃથક પૃથક જવાબ તો તેણે દીધા નહીં પણ તેણે પોતાની સઘળી વાત અથથી તે ઈતિ સુધી કહી સંભળાવી. પોતાનું ખરું નામ તથા અવસ્થા તેણે આટલી વાર સુધી તો છુપાવી રાખી હતી, પણ હમણાં તે તેનાથી છાનું રખાયું નહીં. તેના મોંમાંથી સઘળી સાચી વાત નીકળી ગઈ. જ્યારે કરણ સઘળું કહી રહ્યો. ત્યારે વેરાગીને તેના ઉપર ઘણી દયા આવી, અને તેનો ઉદ્ધાર કરવા અર્થે તેણે તેને કાંઈ શિખામણ દેવાનો નિશ્ચય કર્યો.

આ પ્રમાણે મનસૂબો કરીને બાવાજી બોલ્યા : ‘‘બચ્ચા ! હું કહું છું તે કાન દઈ સાંભળ. તે તારા કલ્યાણની વાત છે. જો તું મારા ઉપદેશ પ્રમાણે ચાલીશ તો તું દુઃખનું નામ પણ જાણીશ નહીં, માટે સાંભળ બચ્ચા ! આ જગત ક્ષણભંગુર છે. તે એક પાણીનો પરપોટો છે. તે એક બાજીગરની રમત છે. જગતમાં સઘળી વસ્તુ નાશવંત છે. જેનું નામ તેનો નાશ છે. અજરામર ને સાચો તો એક પરમાત્મા છે, બીજું સઘળું જૂઠું છે. દુનિયા કાંઈ આપણી નથજી, અને કોઈ દહાડો આપણી થવાની પણ નથી. એક નાવમાં બેસીને જનારા મુસાફરોની વચ્ચે જેટલો સંબંધ છે તેટલો જ આ જગતમાં વસનારાઓ વચ્ચે છે. તે થોડી મુદત સુધી એકઠાં રહે છે; પછી સૌ પોતપોતાને રસ્તે વળગે છે. માટે દુનિયાની મોહજાળમાં કદી ફસાવું નહીં. એથી માણસોની ખરાબી થાય છે. એથી આપણાથી પરમેશ્વરને ભજાતો નથી; અને એથી આપણે લખચોરાસીના ફેરામાં ફર્યા કરીએ છીએ; માટે જ્ઞાનીપુરુષો તો તે જ કે જેઓએ સંસારનો ત્યાગ કર્યો છે, તથા બ્રહ્મ ઉપર ધ્યાન ધરી વૈરાગય લઈ બેઠા છે. શરીર પણ તે જ પ્રમાણે કારમું છે. તે આજે ફૂલની પેઠે ખીલે છે, અને ઘડી પછી કાષ્ઠની પેઠે જડ થઈને પડે છે. વળી તેને નાના પ્રકારની પીડા વળગેલી છે, તેઓમાંની ઘણીખરી સંસારમાં રહેવાથી માણસને ઉપદ્રવ કરે છે. જેણે વૈરાગ લીધો તેને તેવી પીડા ક્વચિત જ થાય છે, અને થાય તો તેના ઉપર તે લક્ષ આપતો નથી. સુખદુઃખ એ શરીરના ધર્મ છે, પણ વેરાગીએ શરીર સાથે સંબંધ છોડી દીધો છે તેથી તેના મનને સુખદુઃખ બંને સમાન છે. તે સુખથી રાજી થતો નથી, અને દુઃખી ખેદ પામતો નથી. જે ઈશ્વરની તરફથી આવી પડે છે તે શાંત મનથી સહે છે. વળી બચ્ચા ! બૈરાંછોકરાં સઘળાં જૂઠાં છે. એ ખરેખરી માયાની જાળ છે. તેઓ સંસારમાં આપણું મન પરોવે છે. તેઓ પરમાત્મા ઉપરથી આપણું ચિત્ત દૂર કરે છે. તેઓ જગતમાં આપણને મહાપાપ કરાવે છે, તથા લખચોરાસીના ફેરામાં તેઓ નાખે છે; અને તેથી ફાયદો શો છે ? કાંઈ જ નથી. તેઓથી કાંઈ સુખ થતું નથી. જો કાંઈ થાય તો તે ક્ષણ ભંગુર છે. એથી ઊલટું, તેથી ઘણું દુઃખ પેદા થાય છે, અને તે દુઃખ ઘણી મુદત સુધી પહોંચે છે. તેઓનો ને આપણો સંબંધ ખોટો છે. ઋણાનુબંધથી આપણે સઘળા એકઠા મળીએ છીએ, અને જ્યારે તે ઋણાનુબંધ પૂરો થાય છે, ત્યારે એકમેકને મૂકીને ચાલ્યા જઈએ છીએ. તેઓ આપને મોતના સપાટામાંથી બચાવી શકતાં નથી, અને આપણે પણ તેઓને તેના પંજામાંથી ઉગારી શકતા નથી. આપણા સ્નેહીઓને બાળી અથવા દાટી આવ્યા પછી આપણે તેઓને વાસ્તે થોડી મુદત સુધી રડીએ છીએ, અથવા શોક કરીએ છીએ, અને તેને પછી વિસારી મુકીએ છીએ, એવી તરેહનો જગતનો જૂઠો સંબંધ છે, માટે ડાહ્યા લોકો આ દુનિયાના અનિત્ય સંબંધમાં પડતા નથી; પણ એકલા રહી પરમેશ્વરનું ભજન કરી મુક્તિનું સાધન કરે છે. વળી ધન પણ તેવું જ દગલબાજ છે. તે સઘળાં પાપનું મૂળ છે. તેમાં કળિયુગ આવી રહેલો છે. તે દુષ્ટના ઘરમાં વાસો કરે છે, અને ધર્મીનો ત્યાગ કરે છે. લક્ષ્મી એ માણસને મોટી ફસાવનારી માયા છે, તેથી કાંઈ પણ સુખ માણસને મળતું નથફી; પણ અગણિત દુઃખો એથી પેદા થાય છે. માટે તેને વાસ્તે કોઈપણ શાણા અને વિચારવંત માણસે કદી પણ શોક કરવો નહીં. માટે બચ્ચા ! તારો સઘળો શોક મૂકી દે, તારું સઘળું રાજ્ય ગયું; તું રાજ્યભ્રષ્ટ થયો; એ તારું મોટું ભાગ્ય જાણવું. શાસ્ત્રમાં કહેલું છે કે રાજ્યને અંતે નરક છે. તેં રાજ્ય કર્યું છે. તેં રાજ્ય ચલાવવામાં જે જે કામો કર્યાં હશે તે સઘળાં તું જાણતો હશે, અને તારાથી જે દુષ્ટ કર્મો થયાં હોય તે યાદ લાવ. પછી તું મનમાં વિચાર કર કે તારું રાજ્ય ગયું તેમાં તારો ફાયદો કે ગેરફાયદો થયો ? એમ જાણજે કે રાજ્ય જવાથી તારું કલ્યાણ થયું, અને હવેથી તું મારી શિખામણ પ્રમાણે ચાલશે તો તારો ઉદ્ધાર થશે. હજી જેટલો વખત બાકી રહેલો છે તેનો સારી રીતે ઉપયોગ કર.ે દુનિયાથી વિરક્ત થા. તું મારી સાથે આવીને રહે. તું જેને વહાલામાં વહાલાં ગણતો હતો તેઓ તારી સાથે કેવી રીતે ચાલ્યાં તે તેં જોયું છે. તારી પ્રાણ સમાન સ્ત્રી તને મૂકીને જતી રહી. તારી છોકરી, જેને તેં ઉછેરીને મોટી કરી, જેનું રક્ષણ કરવાને તે આટલું સંકટ ભોગવ્યું, તથા જેને વાસ્તે તું હજી આટલો શોક કરે છે, તે હમણાં તારા કટ્ટા શત્રુના ઘરમાં મહાલે છે, તથા તેણે મ્લેચ્છના પુત્ર સાથે લગન કર્યું છે. એવી રીતનો આ દુનિયાનો સંબંધ છે. વળી કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર એ માણસના કટ્ટા દશ્મન તેના અંતઃકરણમાં વસેલા છે. તેઓ તેને હમેશાં આડાં કામ કરાવે છે, તથા પ્રપંચના કૂપમાં નાખે છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા પાંચ કર્મેન્દ્રિયો પણ તેની પાછળ મંડી છે, તેથી માણસ પરમેશ્વરથી દૂર ને દૂર જતો જાય છે. આ સઘળા શત્રુઓને જીતવા મુશ્કેલ છે. જે માણસ સંસારમાં રહે છે તે આ સઘળાના સપાટામાં આવ્યા વિના રહેતો જ નથી. માટે જ્ઞાની માણસોએ દૃઢ નિશ્ચય કર્યો છે કે દુનિયા જૂઠી છે દુનિયાનો સંબંધ કારમો છે; તથા પરમેશ્વર સિવાય સઘળું અનિત્ય અને નકામું છે. માટે એ સઘળાંને મુકીને ઈશ્વરનું ભજન કરવું. જેમ જેમ માણસની ઈચ્છા ઓછી થતી જાય છે, તેમ તેમ તે પરમેશ્વરની પાસે આવતો જાય છે અને જ્યારે તે અંતે નિષ્કામ અવસ્થાને પહોંચે છે, ત્યારે તેનો પરમાત્માં લય થાય છે. નિષ્કામ અવસ્થા સૌથી ઊંચામાં ઊંચી છે. એ અવસ્થા જેને પ્રાપ્ત થઈ તે પરમ સુખી જાણવો. તે દેવરૂપે પૃથ્વી ઉપર એક માણસ છે. માટે તારે પણ મારી સાથે રહેવું, અને તે નિષ્કામ અવસ્થાને પહોંચવાને પ્રયત્ન કરવો.’’

પેલા બ્રાહ્મણે વૈરાગીની આ સઘળી વાતો સાંભળી લીધી પણ તે તેના મનમાં કાંઈ ઊતરી નહીં, તથા તેથી કરણના મન ઉપર પણ કાંઈ અસર થઈ નહીં. ભટજીએ ઘણા દેશોમાં મુસાફરી કરી હતી, તથા ઘણા સાધુ, સંન્યાસી, ભક્ત, બાવાઓ સાથે ધર્મ સંબંધી વાતચીત કરી હતી, તેથી તે એવી બાબતમાં પ્રવીણ થયો હતો. સુખને વાસ્તે તેનો વિચાર જુદી જ તરેહનો હતો. અને તે વિચાર આ ઠેકાણે જણાવી પોતાની હોશિયારી બતાવવાની તેની ઘણી મરજી હતી માટે તે બોલી ઊઠ્યો : ‘‘બાવાજી ! તમે જે સઘળું કહ્યું તે ઠીક છે, પણ મારા ગુરુએ મને એ વિષે જે બોધ કરેલો છે તે હું તમને કહી સંભળાવું છું. મારા અભિપ્રાય પ્રમાણે દુનિયા જૂઠી નથી; દુનિયાનો સંબંધ પણ દગલબાજ નથી; દુનિયા છોડી વૈરાગ લેવો, એ ઘણું પાપનું કામ છે. માણસથી નિષ્કામ થઈ શકાતું નથી. એ તો માત્ર ગપાટા છે, અને તેમ થાય તોપણ તેથી કાંઈ સુખ નથી. જે જગતમાં જગકર્તાએ આપણને સરજાવેલા છે તે જગત સાચું છે, અનિત્ય છે તેથી તે જૂટું છે, એમ સાબિત થતું ની. આપણો દુનિયાનો સંબંધ પણ સાચો છે; એમાં કાંઈ શક નથી. અને માત્ર કોઈક દુષ્ટ અને દગલબાજ માણસો નીકળી આવે તે ઉપરથી માણસ જાતને દોષ દેવો તે પણ વાજબી નથી. માણસના મનનું બંધારણ જ્યારે તપાસીએ છીએ ત્યારે સ્પષ્ટ માલુમ પડે છે કે ઈશ્વરે માણસને પોતાની જાતના સમુદાયમાં રહેવાને લાયક બનાવેલાં છે. જો તે એકલો રહે તો તેનામાં ઈશ્વરની તરફથી મળેલા કેટલાક ગુણો બિલકુલ નિરુપયોગી થઈ પડે. જો માણસ જંગલમાં વાસો કરે તો નરમાશ, સભ્યતા, દયા, ક્ષમા, ક્રોધ વગેરે ગુણો શા કામમાં આવે ? અને જ્યારે તે ગુણો તેનામાં છે ત્યારે તેને વાપરવા જોઈએ, અને તેથી તેણે માણસોમાં એકઠાં રહેવું જોઈએ. વળી જગત્‌બંધારણ એવી રીતનું થયેલું છે કે માણસ અરસપરસ ઉપયોગી થઈ પડે છે, તથા તેને બીજા ઉપર ઉપકાર કરવામાં સ્વાભાવિક વૃત્તિ ઉત્પન્ન થાય છે. તેથી પણ સાફ જણાય છે કે એકાંતવાસ કરવો એમાં ઈશ્વર રાજી નથી. વળી જો સઘળા લોકો તમારી શિખામણ પ્રમાણે દુનિયાનો ત્યાગ કરે તો તેનો થોડી વારમાં જ અંત આવે અને તે પ્રમાણે ઈશ્વરનો ઈરાદો નથી. વળી તમે કદાચ કહેશો કે દુનિયાનો ત્યાગ ઘણા થોડાથી જ થઈ શકે છે, માટે દુનિયાનો અંત આવશે, એવી દહેશત રાખવાનું કાંઈ કારણ નથી. પણ જે વાત વાસ્તવિક રીતે સારી છે તે જો સઘળા કરે તો તેથી ફાયદો જ થવો જોઈએ. ઉદાહરણ, અગર જો સઘળા માણસ સાચું બોલે એવો સંભવ નથી, પણ જો સઘળા સાચું બોલે તો તેથી જગતનું બેશક કલ્યાણ થાય, પણ જો તમામ લોકો વૈરાગ લે તો તેથી સારું ફળ નીપજવાને બદલે ગતનો લય થાય : માટે વૈરાગ રાખવો, એ સારું કામ નથી. વળી કોઈ પણ માણસ નિષ્કામ થઈ શકતો નથી, ગમે તેવો વૈરાગી હોય તોપણ તેને કાંઈ પણ ઈચ્છા હોય છે. બીજી કાંઈ ન હોય તોપણ ઈશ્વર પ્રસન્ન કરવાની અથવા મોક્ષ મેળવવાની તો હોય જ. મહારાજ ! તમને અને મને વખત થાય છે એટલે નશાની તલપ થઈ આવે છે. જો ઘડી ચલમ ન મળે તો ઊથલપાથલ થઈ જઈએ છીએ. માણસ નિષ્કામ હોઈ શકતો નથી, અને હોય તો તે જીવતો નથી પણ મૂઆ બરોબર છે. ઈંદ્રિયો તથા વિકારોનો નાશ કરવો, એ યોગ્ય નથી. તે આપને વાપરવાને માટે આપેલાં છે, અને તેને યોગ્ય જગતમાં ઘણી વસ્તુઓ ઉત્પન્ન કરેલી છે, તેઓને અખત્યારમાં રાખવાં જોઈએ, અને તેઓનો ઘટતી રીતે તથા ઘટતી જગાએ ઉપયોગ કરવો જોઈએ. જો એ પ્રમાણે માણસ ચાલે તો તે નિશ્ચય સુખ પામે. એકલા પૈસાથી સુખ મળી શકતું નથી, કેમ કે પૈસાથી મનના ઉપર કાંઈ અસર થઈ શકતી નથી, અને સુખનું ઠેકાણું મન છે, મોટો અધિકાર મળ્યા પછી પણ સુખ મળતું નથી, કેમ કે તેથી અસંતોષ તથા નવી ફિકરચિંતા ઉત્પન્ન થાય છે. ઈંદ્રિયોનું સુખ ખરું નથી, કેમ કે તે ક્ષણભંગુર તથા થોડી મુદતમાં કંટોળો ઉજાવનાર છે. ખરું સુખ અંતઃકરણમાંથી નીકળે છે, અને તેનું મૂળ સદ્‌ગુણ છે. જે માણસ સદ્‌ગુણ આચરે છે, તે ખરેખરો સુખી છે, તેણે દુનિયામાં સંસાર ચલાવવો, અને તેની જેટલી શક્તિ હોય તે પ્રમાણે સઘળાનું સારું કરવું. તેણે પરમેશ્વર ઉપર દૃઢ વિશ્વાસ રાખવો; અને જે જે દુઃખ આવી પડે તે પરમેશ્વરની મરજીથી આવી પડે છે, તથા તે આપણા સારાને સારું મોકલેલાં છે, એમ માની મનને શાંત રાખવું એટલે આપણા સુખમાં કાંઈ ઘટાડો થશે નહીં; દુનિયામાં રહીને તથા સારી રીતે વર્તીને ઈચ્છા તથા આશા છોડવી નહીં; કેમ કે ઈચ્છા માણસને જાગ્રત કરનાર, તથા દુનિયાનું ભલું કરનાર છે અને તે જ્યારે તૃપ્ત થાય છે, ત્યારે તેથી સુખમાં વધારો થાય છે. આશા સંસારસાગરમાં આપણા વહાણનું લંગર છે. માટે ઈશ્વર તથા માણસ ઉપર પ્રીતિ રાખીને કામ કર્યા જવું એટલે આ લોકમાં લોાભ અને કીર્તિ મળે છે એટલું જ નહીં, પણ પરલોકમાં અખંડ સુખની પ્રાપ્તિ થાય છે. માટે રાજાને મારી તો સલાહ એટલી જ છે કે તેણે દુનિયાનો ત્યાગ ન કરવો. પણ સદ્‌ગુણે ચાલવું.’’

કરણે વેરાગી તથા બ્રાહ્મણ એ બંનેનું સુખ વિષેનું ભાષણ કાન દઈને સાંભળ્યું, પણ તેથી તેના મનનું સમાધાન થયું નહીં. તેનો એ બાબત ઉપર જુદો જ અભિપ્રાય હતો. તે માનતો હતો કે માણસ કાંઈપણ કામ પોતાની મેળે કરવાને અશક્ત છે. તે જે કરે છે તે કોઈ જુદી જ પ્રેરણાના જોરથી કરે છે. તેના મત પ્રમાણે તો માણસમાત્ર એક યંત્ર જેવું છે, તેનામાં જે ચલાવનારી શક્તિ છે તે પ્રમાણે તે ચાલે છે. માટે તેનાં સઘળાં કામમાં તે નિરૂપાય છે. જેમ પુતળાંના નાચમાં પાછળથી માણસ જેમ દોરી ખેંચે છે તેમ તે પૂતળાં નાચે છે, કૂદે છે, અને તે દોરીનો ખેંચનાર પરમેશ્વર છે. તે સર્વવ્યાપક છે. એ મત પ્રમાણે તેના પોતાના કામને વાસ્તે પરમેશ્વર આગળ મૂઆ પછી જવાબ દેવો પડતો નથી. સારું અથવા નઠારું જે કામ થાય તે પરમેશ્વરની આપેલી બુદ્ધિને લીધે થાય છે. માટે દુનિયાનો ત્યાગ કરી વૈરાગ લેવાની તેની નજરમાં જરૂર ન હતી, કેમ કે જે થવાનું છે તે થયા વિના રહેવાનું જ નથી તેમ જ સદ્‌ગુણથી ચાલવાને પ્રયત્ન કરવાની પણ અગત્ય ની, કેમ કે જે સઘળું અત્યાર સુધી બન્યું છે તે સઘળું પરમેશ્વરે તેને વાસ્તે નિર્માણ કરેલું છે. હવે પછી જે થશે તે પણ આગળથી નક્કી થયેલું છે; એ જે મુકરર થયેલું છે તેમાં કદી ફેરફાર થઈ શકતો નથી. હરેક માણસને કાંઈ પણ સારાં અથવા નઠારાં કામ કરવાનાં મુકરર થયેલાં હોય છે તે તેણે કેટલીક મુદત સુધી બજાવવાં જ જોઈએ. આ દુનિયા એક નાટકશાળા છે. તેમાં તરેહતરેહના વેશ આવે છે. એક જાતનો વેશ ભજવાઈ રહ્યો. એટલે તે જઈને બીજો આવે છે; એ પ્રમાણે નિરંતર ચાલ્યા કરે છે. એ સઘળાં જુદાં જુદાં ને વિરુદ્ધ કામો એક જણ પાસે કરાવવામાં આવે છે. તેનાં કારણો સમજતાં નથી; પણ સૃષ્ટિની રચનામાં આ સઘળી વિરુદ્ધતાઓ એકઠી મળીને સંપૂર્ણ આખી વસ્તુ થાય છે. માણસ જન્મે છે ત્યારથી તે આખી જિંદગીમાં શું શું કરવાનો છે તે લખાઈ ચૂક્યું છે. તેની વિરુદ્ધ ચાલવાને મહેનત કરવી, એ નિષ્ફળ છે. નદીને સામે વોહોએ તરાય, પણ વિધાતાના લેખથી ઊલટું કાંઈ કામ ન થાય. દેવ, દાનવ અને માનવ, સઘળા એ વિધાતાને આધીન છે. માણસ કહે છે કે ‘મેં કર્યું’, પણ મૂર્ખ તું શું કરી શકે ! એક ઘાસનું તણખલું પણ તું હલાવી શકતો નથી. અભિમાન એ જ તારી ખરાબી છે, તથા એ જ તારા અજ્ઞાનપણાનું પરિણામ છે. માટે શાંતિ, શાંતિ, શાંતિ. જ્ઞાની પુરુષો જેઓ થઈ ગયા છે તેઓએ અહંકાર છોડી દીધો છે. ભગવદ્‌ગીતાના આરંભે અર્જુનને શ્રીકૃષ્ણે જે શિખામણ દીધી છે તે જ એ જ મતલબની છે, અને તે જે મતલબની નીચેની કવિતા છે.

ભુજંગી છંદ

લહે માનવી તું અભિમાન રાખી, નહી કામ એકે બને મુજ પાખી;

અલ્યા મૂઢ ! એ બોલ તો વ્યર્થ જાય, વિધાતા તણા લેખ મિથ્યા ન થાય. ૧.

રહી શ્વાન ગાડા તળે એમ જાણે, વહું ભાર હું તો, બીજો કોણ તાણે,

નહિ શ્વાનથી ભાર એ તો ખમાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. ર.

રચી બાજી જે સોકઠાંને જ માંચો, રચ્યો ખેલ એવો જ છે તાર સાંચો,

નદીના ઘણા વોહમાં સૌ તણાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. ૩.

નહિ માહરું છે કંઈ જો, ખરી વાત તો કોઈ જાણે નહી જો;ં

ઘણી ઠોકરો લોક હમેશ ખાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. ૪.

બહુ લોક બોલે અમે ન્યાય કીધો, ઘણા દુષ્ટને દંડીને ત્રાસ દીધો;

નહિ કામ એ તો તમારું ગણાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. પ.

ઘણા માનવી પાપનાં કામ સાધે, ઘણો બોજ પાપો તણો શિર લાધે;

લગારે નહિ દોષ તેનો મનાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. ૬.

સહુ પાપપુણ્યો, વળી સાચું ખોટું, સહુ નામનું કોઈ નાનું ન મોટું;

બહુ લોક પોતા તણા ગુણ ગાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. ૭.

બની દેહને જો થયાં કામ સારાં, ભૂંડા ભાવથી કામ કીધાં નઠારાં;

નહિ પાપ કે પુણ્ય તેમાં જરાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. ૮.

ભવો પાછલામાં તમે કામ કીધાં, ફળો તે તણાં ચાખવા આજ લીધાં;ં

હવે ઊલટું તે થકી ના કરાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. ૯.

અહંકાર માટે તમે છોડજો રે, પ્રભુ સાથ પ્રીતિ તમે જોડજો રે;

લલાટે લખ્યું તે થવાનું સદાયે, વિધાતા તણા લેખ મિથ્યા ન થાયે. ૧૦.

કરણનો ઉપર પ્રમાણે મત હતો. તોપણ દૈવાધીન થઈ તે પેલા વેરાગીના આશ્રમમાં રહ્યો, અને તેની વાતો હમેશાં તેણે સાંભળ્યા કરી, પણ તેથી તેના મન પર કાંઈ અસર થઈ નહીં. વાઘને પાંજરામાં ગોંધ્યો હોય ને તે જેમ કંઈક મુદત સુધી નરમ પડેલો દેખાય છે. પણ તેને તક મળતાં અને પાંજરામાંથી છૂટો થતાં જ તેનો જાતિસ્વભાવ જણાઈ આવે છે, તેમ કરણ પણ ધર્મશાળામાં નિરાંતે રહેલો હતો એમ બહારથી દેખાતું હતું, પણ તેના મનમાં કાંઈ સ્થિરતા ન હતી. તે તક જોતો હતો. તેને એક ઘડી પણ ચેન પડતું નહોતું, તેનું ક્ષત્રિય લોહી શરીરમાં ઊકળ્યા જ કરતું હતું. તેનો હાથ તલવાર પકડવાને ઘણો આતુર હતો. તેના શત્રુ મુસલમાન લોકોના ઉપર વેર લેવાને તે ટાંપી રહ્યો હતો. તેને રાત્રે જરા પણ નિદ્રા આવતી ન હતી. તે ઊંઘમાંથી વખતે વખતે ચમકી ઊઠતો હતો, અને ‘લાવ મારી તલવાર’ અથવા ‘આ દુષ્ટ લોકોને કાપી કટકા કરી નાંખો’ એવી તરેહની ચીસ પાડી ઊઠતો. તેને સ્વપ્નાં પણ એ જ બાબતમાં આવતાં, અને તેમાં તે મુસલમાન સાથે યુદ્ધ કરતો હતો. જ્યારે તેના મનની સ્થિતિ એવી હતી ત્યારે તે ધર્મશાળામાં આટલી મુદત સુધી પડી રહ્યો, એ જ આશ્ચર્યકારક હતું. પણ એક સવારે જ્યારે વેરાગી ઊઠ્યો અને રોજના ધારા પ્રમાણે કરણની સાથે વાત કરવાને તેને શોધવા લાગ્યો, ત્યારે તેને માલૂમ પડ્યું કે કરણ ત્યાંથી જતો રહ્યો હતો.

આ વખતે આખા હિન્દુસ્તાનના રાજાઓ અલાઉદ્દીનનું નામ સાંભળીને થરથર કાંપતા હતા. તેણે તથજા તેના સરદારોએ સઘળે એવો તો ત્રાસ બેસાડ્યો હતો કે પાદશાહની સામા કોઈની માથું ઉપાડવાની હિંમત ચાલતી ન હતી. મલેક કાફુરે દક્ષિણમાંના કેટલાક રાજાઓ ઉપર ખંડણી બેસાડી હતી તે તેઓ ચુપકીથી તથા વગર હરકત આપ્યાં જતા હતા. દેવગઢના રાજા રામદેવની જે અવસ્થા થઈ તે પાછળ બતાવ્યું છે. તેણે મરતાં સુધી ખંડણી આપ્યાં કરી, પણ તેના મુઆ પછી તેની ગાદી ઉપર શંકળદેવ બેઠો, તે અને તેનો ભાઈ ભીમદેવ બંને ઘણા શૂરા ને પરાક્રમી હતા, તથા આ ખંડણી આપવી, એ તેઓને કડવું ઝેર જેવું લાગતું હતું. ગાદી ઉપર બેઠા પછી કેટલીક વાર સુધી તો તેણે ખંડણી મોકલ્યા કરી; પણ ક્ષત્રિય થઈને તાબેદારીમાં રહેવું તે કરતાં મરવું સારું એવો તેનો અભિપ્રાય હતો; માટે લડવાની સઘળી તૈયારી કરી તેણે ખંડણી આપવી બંધ કરી. પાદશાહનાં માણસો વર્ષોવર્ષ તે ઉઘરાવવા આવતાં હતાં તેઓને તે વાયદા અથવા અપમાન કરીને કાઢી મુકતો. વળી પાદશાહનો વડો શાહજાદો, ખિઝરખાં, દક્ષિણનો સૂબેદાર હતો અને ખંડણી વસૂલ કરવાનું કામ તેનું હતું. અગર જો શંકળદેવ હમણાં બીજી સ્ત્રી પરણ્યો હતો, તોપણ તે દેવળદેવીને હજી સુધી વીસર્યો ન હતો. તેની સાથે તેની પહેલી જ પ્રીતિ હતી, અને પહેલી પ્રીતિથી મન ઉપર વધારે મજબૂત અસર થાય છે. તે નિયમ પ્રમાણે તેના અંતઃકરણમાં દેવળદેવીની મૂર્તિ નિરંતર બિરાજેલી રહેતી, તેને મુસલમાન લઈ ગયા તેથી તે લોકોના ઉપર તેને ઘણો ક્રોધ ચડેલો હતો; પણ લાચાર, તેનાથી કંઈ થઈ શકે એમ ન હતું. પણ જ્યારે તેણે સાંભળ્યું કે દેવળદેવી સઘળું વીસરી જઈ ખિઝરખાંને પરણી ત્યારે તેને ઘણો જ સંતાપ થયો, અને ત્યારથી તેના ઉપર તથા તેના સ્વામી ઉપર કોઈ પણ પ્રકારે વેર લેવાની તક તેણે શોધવા માંડી. આ વખતે જ્યારે તેણે ખંડણી આપવાની બંધ કરી, ત્યારે તેને નક્કી હતું કે પાદશાહ ખિઝરખાંને દેવગઢ ઉપર ચઢાઈ કરવાને મોકલશે. તે વખતે તેની સાથે ઘણા જુસ્સાથી લડવું, ખિઝરખાંને હરાવવો, અને દેવળદેવીને પાછી પકડીને પોતાની પાસે રાખી લેવી, એ તેના મનની મોટી હોંશ હતી. પણ તેને પાર પાડવી, એ કાંઈ તેના હાથમાં ન હતું. માણસ તો બિચારો એક પછી એક વિચાર કરી છૂટે છે પણ તેનું ફળ હમેશા જગનિયંતા પરમેશ્વરના હાથમાં છે.

અલાઉદ્દીન પાદશાના દરબારમાં મલેક કાફુરની કેટલી સત્તા હતી તે વાંચનારાઓના ધ્યાનમાં આવ્યું હશે. તેણે પોતાની હોશિયારી, દગાફટકા તથા બહાદુરીથી સઘળાને તાબે કરી લીધા હતા, તથા પાદશાહના મન ઉપર એટલી તો સત્તા મેળવી લીધી હતી કે તેને પૂછ્યા સિવાય તે કાંઈ પણ કામ કરતો નહીં, અને કાફુર જે ધારતો તે કામ પાદશાહ પાસે કરાવતો. જેમ જેમ પાદશાહ ઘરડો થતો ગયો, તથા તેના શરીરની તથા મનની શક્તિ ક્ષીણ થતી ગઈ, તેમ તેમ કાફુરનું ચલણ વધતું ગયું, અને આ વખતે તો પાદશાહ કાફુરના હમાથમાં પૂતળા જેવો થઈ ગયો હતો. તે જેમ નચાવતો તેમ તે નાચતો. ખરેખરો પાદશાહ તો મલેક કાફુર જ હતો. મલેક કાફુર પણ આટલી બધી સત્તા મળ્યા છતાં સંતોષ પામ્યો ન હતો. એ તો સ્વાભાવિક છે કે માણસને જેમ વધારે મળે તેમ તેને વધારે મેળવવાની ઈચ્છા થાય છે. માણસ કોઈ દહાડો ધરાતો નથી, અને તેની ઈચ્છાનો અંત આવતો નથી. એ જ મલેક કાફુર કેટલાંક વર્ષ ઉપર ખંભાતમાં ગુલામ હતો, અને તે જ હમણાં એક મોટા, દ્રવ્યમાન અને શોભાયમાન રાજ્યના પાદશાહ જેવો થઈ પડ્યો હતો, એ કાંઈ થોડું હતું ? એટલું તેના સ્વપ્નામાં પણ કોઈ દહાડો નહીં આવ્યું હોય તે છતાં પણ હજુ તેની ઉમેદ આગળ વધવાની હતી, અને તેને અલાઉદ્દીન પાદશાહના મરણ પછી તખ્તનશીન થવાની હોંશ હતી. આ ઉમેદ પાર પાડવી કાંઈ અશક્ય ન હતી. તેમાં વિશેષે કરીને પૂર્વ તરફના દેશોમાં એ વાત ઘણી સાધારણ હતી તેથી તેની ઉમેદને ઉત્તેજન મળતું. પણ એક કાંટો તેને ઘણો સાલ્યા કરતો હતો; અલાઉદ્દીનને પુત્ર હતા તે જ્યાં સુધી જીવતા રહે ત્યાં સુધી તેને તખ્ત મળવાની આશા હતી, માટે તે રાતદિવસ તેમના મોતની રાહ જોતો હતો, અને જ્યારે તેમ અત્યાર સુધી પોતાની મેળે ન બન્યું ત્યારે બળાત્કારે તેમ કરવાનો તેણે નિશ્ચય કર્યો. તેના પુત્રની અભક્તિ તથા કપટની વાતોથી તે રોજ અલાઉદ્દીનના કાન ભંભેર્યા કરતો; અને તેથી થોડીઘણી અસર પાદશાહના મન ઉપર થઈ હતી. રાજાનો શાહજાદાઓ ઉપરથી કંઈક અંશે પ્યાર ઊઠી ગયો હતો, અને જેટલો બાકી રહ્યો હતો તેનો પણ સમૂળો નાશ કરાવવાને તે હમેશાં પ્રયત્ન કરતો હતો. મલેક કાફુરને સારી પેઠે માલુમ હતું કે પાદશાહને શૌર્ય ઘણું પ્રિય છે, અને જે કોઈ લડાઈમાં ફતેહ મેળવે છે તેના ઉપર તેને ઘણી મમતા રહે છે, માટે ખિઝરખાંને કોઈ પણ લડાઈ જવા દેવો નહીં અને તેના શૂરાતનની વાત પાદશાહને કાને પડવા દેવી નહીં, એ જ તેની મતલબ હતી. તેને ખાતરી હતી કે જો પાદશાહને કાને તેનાં વખાણ જશે તો તેની ગયેલી પ્રીતિ તેના ઉપર પાછી આવયા વિના રહેશે જ નહીં. એ કારણસર ખિઝરખાંને તેણે કોઈ લડાઈમાં અત્યાર સુધી જવા દીધો ન હતો, અને કોઈવાર પણ જવા ન દેવો, એવો નિશ્ચય કર્યો હતો. તેથી ઊલટું તેણે ઘણાં કામોમાં પોતાનું શૂરાતન દેખાડ્યું હતું, અને તેઓથી પાદશાહનો પ્યાર તેના ઉપર મજબૂત થયો હતો એટલું જ નહીં, પણ લોકોમાં પણ તે શૂરવીરમાં ગણાવા લાગ્યો હતો, અને તેથી કરીને બધાનો માનીતો થઈ પડ્યો હતો, તથા તેની સાથે પોતે વ્યંઢળ હતો તે બાબતનું કલંક તેણે ધોઈ નાખ્યું હતું. લોકો તેના સઘળા ગુણથી રાજી હતા. સિપાઈ લોકો પણ તેને ઘણું ચાહતા હતા, તેથી તેમની મદદથી કોઈ દહાડો પણ તેની ઉમેદ બર આવે એવો સંભવ હતો. કાફુરે કર્નાટક તથા દ્વારસમુદ્ર ઉપર છેલ્લી ચઢાઈ કરી હતી, ત્યઉંથી તે ફતેહ પામીને આવ્યો હતો. અને લૂંટમાં તે ૩૧ર હાથી, ર૦,૦૦૦ ઘોડા તથા ૯૬,૦૦૦ મણ સોનું તથા જ્વાહિર, અને મોતીની કેટલીક પેટીઓ લાવ્યો હતો. પણ તે લડાઈ થયાને કેટલીક મુદત વીતી ગઈ હતી તેથી તેની કીર્તિ ઝાંખી થવા આવી હતી, એટલામાં બીજી લડાઈ થવાનો પ્રસંગ આવ્યો.

તૈલંગણના રાજાએ પાદશાહને કેટલુંક નજરાણું તથા બસો હાથી મોકલ્યા, અને તેની સાથે જે કાગળ મોકલ્યો તેમાં તેણે પાદશાહને જણાવ્યું કે મલેક કાફુર સાથે જે તહનામું થયું છે તેમાં ઠરાવેલી ખંડણી આપવાને હું તૈયાર છું. આ કાગળ વંચાયો એટલે મલેક કાફુરે પાદશાહની આગળ ત્યાં જવાનું બીડું ઝડપ્યું. તેણે એ તૈલંગણના રાજની ખંડણી વસૂલ કરવાનું તથા દેવગઢના અને બીજા રાજાઓએ ખંડણી આપવી બંધ કરી હતી તે પાછી લેવી શરૂ કરવાનું વચન આપ્યું; અને પાદશાહને અરજ કરી કે મને એક મોટું લશ્કર આપી પાછો દક્ષિણમાં મોકલવો જોઈએ. તેને માલૂમ હતું કે દક્ષિણમાં ફરીથી લડાઈ તો થવાની, ખિઝરખાંના તાબાનો મહાલ દક્ષિણની પાસે હતો તેથી કદાપિ પાદશાહ તેને લડાઈમાં મોકલે એવી તેને દહેશત હતી; અને તેમ થવા ન દેવાને તેણે આ અરજ કરી હતી. પાદશાહને લડાઈની વાત ગમતી જ હતી, અને લડાઈ વગર તેને ચેન પડતું ન હતું તેથી કાફુરની વાત સાંભળીને તે ઘણો ખુશ થયો, અને તરત ત્યાં મોકલવાનું તેણે કબૂલ કર્યું. એક મોટું લશ્કર એકદમ તૈયાર થયું, અને તે લઈને મલેક કાફુર ઈ.સ.૧૩૧ર માં દિલ્હી છોડી નીકળ્યો.

હવે જ્યારે આ ચઢાઈ કરવાને લશ્કર નીકળ્યું, ત્યારે દેવગઢના દરબારમાં શી હ હકીકત બની તે ઉપર થોડી વાર નજર કરીએ. રામદેવ મરી ગયા પછી શંકળદેવ ગાદી ઉપર બેઠો. તે જ્યારથી રાજા થયો ત્યારથી તે મુસલમાન લોકો ઉપર ઘણો દ્વેષ રાખતો તથા તેને ખંડણી આપવી તે મોટી નામોશી છે, એમ તે સમજતો હતો. તેણે પહેલા જ વર્ષથી ખંડણી આપવી બંધ કરી. ભીમદેવનો વિચાર પણ તેવો જ હતો, અને તેઓની આસપાસ જે સામંતો રહેતા તેઓ પણ તેવા જ અભિપ્રાયના હતા. ક્ષત્રિય થઈ મ્લેચ્છ લોકને તાબે રહેવું તે કરતાં મરવું હજાર દરજ્જે સારું, એવો વિચાર કરીને ગમે તેવાં પરિણામ થાય તોપણ સામા લડવાનો તેઓએ નિશ્ચય કર્યો. એક દહાડો શંકળદેવ, ભીમદેવ તથા તેના શૂરા સરદારો દરબારમાં બેઠા હતા. તે વખતે એક જાસૂસ ઘણી ઝડપથી હાંફતો હાંફતો ત્યાં આવ્યો, અને રાજાને પગે પડી બોલ્યો; ‘‘મહારાજ ! દિલ્હીપતિ સુલતાને એક મોટું લશ્કર તૈયાર કર્યું છે અને તે લઈને ખોજો કાફુર આપણી તરફ આવે છે. તેની મતલબ તૈલંગણના રાજા પાસે ખંડણી વસૂલ કરવાની તથા આપે અને બીજા રાજાઓએ ખંડણી બંધ કરી છે તે જારી કરવાની છે. મેં તે લશ્કર આવતું જોયું, તે મહારાજને ખબર કરવાને હું દોડતો આવ્યો છું; માટે સાવચેત રહેવું અને તૈયારી કરવી હોય તે કરી મુકવી.’’ આ વાત સાંભળીને રાજાના ચહેરા ઉપર કાંઈ પણ ફેરફાર થયો નહીં. તેને એ પ્રમાણે થશે એવી આશા જ હતી, અને એમ થવાથી તે ઊલટો ખુશ દેખાયો. તે જાણતો હતો કે અત્યાર સુધી જે તેની હાર થઈ છે તેનું મુખ્ય કારણ તેના બાપ રામદેવની નામર્દાઈ હતું. પણ હમણાં જ્યારે સઘળો અધિકાર તેના હાથમાં આવ્યો છે, અને નામર્દાઈની સલાહ આપનાર કોઈ રહ્યું નથી, ત્યારે જય થશે જ એવો તેને પક્કો ભરોસો હતો. વળી તેને લડાઈમાં કીર્તિ મેળવવાની ઘણી હોંશ હતી, તેથી આવો વખત આવેલો જોઈને તેને ઘણો હર્ષ થયો. તેણે તે જાસૂસને કેટલુંક ઈનામ આપવા માંડ્યું, પણ તે હાથ જોડીને બોલ્યો : ‘‘મહારાજ ! મેં એ કામ ઈનામને વાસ્તે કર્યું નથી. હું તમારું શુભ ઈચ્છનાર છું. હું તમારું તેજ વધારે જોવાને ચાહું છું, અને એ મ્લેચ્છ લોકોનો નાશ થાય તે જોવાને હું ઘણો આતુર છું. માટે મહારાજે ! એક મારી વિનંતી કબૂલ રાખવી જોઈએ. મને શસ્ત્ર વાપરવાનો મહાવરો છે. હું ઘણી વાર એ દુષ્ટ લોકો સાથે લડ્યો છું. અને હજી વધારે તેઓની સાથે લડવાની મને ઘણી હોંશ છે. એ ચંડાળ લોકોએ મારું ઘર પાયમાલ કર્યું છે. તેનું તેઓના ઉપર મારે સખ્ત વેર લેવું છે, માટે જો કૃપા કરીને મને થોડાં માણસોની સરદારી સોંપશો, તો હું કેવી રીતનો માણસ છું, તથા કેવી રીતે લડી શકું છું, તે હું બતાવી આપીશ.ે મહારાજ ! કાંઈ આંચકો ખાતા ના. હું ઘરડો દેખાઉં છું; મારું શરીર ગળી ગયેલું છે; તથા મારામાં ઘણો દમ જણાતો નથી. પણ એ સઘળું મારા ઉપર પડેલી વિપત્તિને લીધે થયું છે. મારો બહારનો દેખાવ ગમે તેવો હોય તોપણ મારું મન હજી અશક્ત થયું નથજી. મારામાંથી હજી શૂરાતન ગયું નથી. મારા અંતઃકરણનો જુસ્સો હજી હોલવાયો નથી. મેં ઘરી લડાઈઓ જોઈ છે, માટે મારી જો અરજ કબૂલ કરશો તો મારા ઉપર કૃપા થશે.’’

શંકળદેવને તેનો ચહેરો જોઈને અને તેને આવું બોલતાં સાંભળીને ઘણું આશ્ચર્ય લાગ્યું અને તે ખરેખરો બહાદુર માણસ હશે એમ જાણીને તેને એક હજાર સવારની સરદારી આપી. પછી તેણે લડાઈ કરવાની તૈયારી કરવા માંડી. પોતાના રાજ્યમાંથી લડનારાં માણસો એકઠાં કર્યાં. લડવાનાં શસ્ત્રો તૈયાર કર્યાં. શહેરનો કોટ સમરાવ્યો. શહેરમાં ઘણું અનાજ એકઠું કર્યું; અને રોજરોજ સિપાઈઓને હિંમત આપવાને તથા તેઓમાં શૂર ચઢાવવાને પ્રયત્ન કરવા લાગ્યો. પણ એ સિપાઈઓએ મુસલમાનોના હાથથી ઘણી વાર માર ખાધેલો હતો, તેઓએ એ મ્લેચ્છ લોકો ઉપર કોઈ દહાડો પણ જય મેળવ્યો ન હતો, માટે તેઓ ઘણા ત્રાસ પામી ગયા હતા. મુસલમાનો ઉપર પરમેશ્વરની મહેરબાની છે એમ તેઓ જાણતા હતા, અને તેઓની સામા લડવું અને જીવ ખોવો, એ બે બરોબર છે એમ તેઓ સમજતા હતા, માટે આવતી લડાઈના વિચારથી તેઓ છેક કાયર થઈ ગયા હતા. પોતાનું મોત નક્કી આવ્યું એમ તેઓની ખાતરી હતી, માટે કેટલાક સિપાઈઓની લડવાની બિલકુલ ખુશી ન હતી. પણ જ્યારે રાજાએ તેઓને લડવાને બોલાવ્યા, ત્યારે તેઓને આવ્યા વિના ચાલ્યું નહીં. તેઓ આવ્યા તો ખરા, પણ લડાઈનો જલદીથી જ અંત આણવો એવો તેઓનો નિશ્ચય હતો. પણ એ વિચાર શી રીતે અમલમાં લાવવો એ મોટી મુશ્કેલી હતી. જો તેઓ લડવાની ના કહે તો તેઓ બાયલામાં ગણાય, તેઓના નામને મોટી એબ લાગે, તથા રાજાની ઈતરાજી તેઓના ઉપર થાય. માટે બીજું શું કરવું એ વાતના વિચારમાં તેઓ હતા. પણ તેઓને કાંઈ સૂઝયું નહીં. તેઓમાંથી એક સિપાઈ આગળ આવી બોલ્યો, કે રાજાને ઠાર મારવો, એટલે લડાઈનું બી બળી જશે, અને જ્યારે મલેક કાફુર આવે ત્યારે નવા રાજા પાસે ધારા પ્રમાણે ખંડણી અપાવવી, એટલે લડાઈનું કારણ રહેશે નહીં, સિપાઈની આ વાત સાંભળી પહેલાં તો કેટલાક ચમક્યા; કેટલાક તો સ્થિર ઊભા રહ્યા; કેટલાકે તે વાત તેઓને પસંદ પડી હોય તેમ ખુશી બતાવી; અને કેટલાક તે દુષ્ટ વાત સાંભળીને એવા તો ગુસ્સે થયા કે તેઓ તે સિપાઈનું માથું એકદમ કાપી નાખવા જતા હતા, પણ બીજા બધાએ તેમ કરતાં તેમને રોક્યા. સઘળાઓ વિચાર કરવા લાગ્યા, અને કાંઈપણ ઠરાવ કર્યા વિના પોતપોતાને ઘેર જતા રહ્યા, અને તે છેલ્લા ઉપાય સિવાય બીજો કોઈ સારો રસ્તો નથી; એવી સઘળાઓની ખાતરી થઈ.

બીજે દહાડે સઘળું લશ્કર ધારા પ્રમાણે દરબાર આગળ ચોગાનમાં એકઠું થયું, તેઓ માંહોમાંહે જુદી જુદી જાતની યુદ્ધની તૈયારી કરવા લાગ્યા, કેટલાક પોતાના ઘોડાને કાવો ફેરવતા હતા; કેટલાક તેઓને આગળપાછળ દોડતાં શીખવતા હતા; કેટલાક બુઠ્ઠા ભાલા વડે જૂઠું યુદ્ધ કરતા હતા; કેટલાક તલવારના પટા ફેરવતા હતા, અને કેટલાક નિશાન માંડીને ત. ઉપર તીર મારવાનો મહાવરો કરતા હતા. એ પ્રમાણે ત્યાં કામ ચાલી રહ્યું હતું. તે વખતે શંકળદેવ રાજા પોતે એકલો, પગે ચાલતો ત્યાં આવ્યો. તેની પાછળ પાછળ તેનો નવો રાખેલો સરદાર ચાલ્યા કરતો હતો. રાજાને જોઈને આગલી રાત્રે કરેલો વિચાર તેઓને યાદ આવ્યો. પણ જ્યારે તેઓની નિમકહલાલી ઉપર પક્કો ભરોસો રાખી તેને આવતો જોયો, ત્યારે તેઓના મનમાંથી સઘળો ગુસ્સો નરમ પડી ગયો, અને તેની સાથે મરવું અથવા જીતવું એવી સૌને પ્રેરણા ઉત્પન્ન થઈ. પણ એ પ્રમાણેની અસર સઘળાને સરખી થઈ નહીં. કેટલાકનાં અંતઃકરણ વધારે ક્રૂર હતાં તેઓને જરા પણ લાગ્યું નહીં; કેટલાક નામર્દ હતા, તેઓને રાજાને આવતો જોઈને વધારે બળતું લાગ્યું અને ધારેલો વિચાર અમલમાં લાવવાનો વખત પાસે આવ્યો, એમ જાણી ઘણી ખુશી થઈ. સિપાઈઓમાં ધારા પ્રમાણે કામ ચાલ્યું. એટલો જ તફાવત દેખાયો કે તેઓ સઘળાનાં મન આકુળવ્યાકુળ દેખાયાં. તેઓ નિશાન વારેવારે ચુકી જતા હતા. સિપાઈઓથી રાજાની સામું નજર ઠેરવીને જોઈ શકાતું ન હતું, અને રાજાએ છેવટ જતી વખતે થોડુંક ભાષણ કર્યું ત્યારે હમેશની પેઠે તેઓ સઘળા જયનાદ પાડી ઊઠ્યા નહીં. જેઓના મનમાં શૂર ચઢ્યુ તેઓ તો બોલી ઊઠ્યા, પણ કેટલાક મૂંગા રહ્યા, અને નીચું જોઈ ગયા. રાજાને એ સઘળું જોઈને નવાઈ જેવું તો લાગ્યું, પણ કાંઈ બોલ્યા વગર તથા તે ઉપર કાંઈ ટીકા કર્યા સિવાય તેણે પાછા ફરવાની તૈયારી કરી. પણ એટલામાં એક સિપાઈ કાંઈ જાહેર કરવા આવતો હોય એમ ધીમેથી રાજાની પાસે આવ્યો. તેણે કેટલાંક કારણો બતાવી પાછા ઘેર જવાની રજા માગી, અને રાજા જવાબ દેવા જાય છે એટલામાં એક કટાર તે ચંડાલ સિપાઈએ રાજાના પેટમાં મારી. સારા ભાગ્યે તે વખતે શિયાળાના દહાડા હતા, તેથી રાજાએ અંદરથી રૂદાર ડગલો પહેરેલો હતો, તેથી ઘા બરોબર લાગ્યો નહીં, પણ તેના આંચકાથી તે ભોંય ઉપર પડ્યો. લશ્કરમાં હાહાકાર થઈ ગયો, પણ તેઓમાંના કેટલાક આશ્ચર્યથી તથા કેટલાક દુષ્ટ ભાવથી જડભરત જેવા ઊભા રહ્યા, અને તેથી તે ખૂનીને બીજો ઘા મારવાનો વખત મળ્યો. ભોંય ઉપર પડેલા રાજા ઉપર બીજો કારી ઘા પડે છે, અને તેની અવરદાનો અંત આવે છે, એટલામાં પાછળથી તલવારનો ઝળકાટ થયો, અને તે જ ક્ષણે તે ખૂનીનું માથું ભોંય ઉપર ગબડ્યું. ‘વાહ ! વાહ !’ ‘શાબાશ’ ‘શાબાશ’ એ અવાજ એક છેડેથી બીજા છેડા સુધી ઊઠ્યો. રાજા પણ ચમકીને બેઠો થયો, અને જુએ તો પેલો નવો સરદાર હાથમાં તલવાર લઈને ઊભો છે, અને તેનો શત્રુ જમીન ઉપર તરફડતો પડ્યો છે. આ સઘળું એટલી તો ત્વરાથી બન્યું કે શંકળદેવના મનને એક સ્વપ્ન જેવું લાગ્યું. તેથી જીવથી બચ્યો, અને તેનો બચાવનાર કોણ ? જે તેને ઘરડો ચીમળાઈ ગયેલો દેખાતો હતો તે હમણાં જુદી જ તરેહનો લાગ્યો. તેનું રૂપ એટલું તો બદલાઈ ગયું હતું કે આ પૃથ્વી ઉપરનો કોઈ માણસ નહીં પણ પરલોકમાંથી તેનો જીવ બચાવવાને જ અર્થે આવ્યો હોય, એમ તેને લાગ્યું.

તે દહાડાથી રાજા નિરાશ થઈ ગયો. તેની બધી હિંમત જતી રહી, અને મલેક કાફુર આવે તેને ખંડણી આપવાનું તેને મન થયું. પણ હવે તેનો સલાહકાર જુદો હતો. જેણે તેનો જીવ બચાવ્યો તે તે દહાડાથી તેનો ઘણો માનીતો થઈ પડ્યો હતો. તેને પોતાથી ઊતરતો જ હોદ્દો આપ્યો હતો. તેની પાસે નિરંતર રહેતો હતો અને તેના ઉપર રાજાનો એટલો બધો પ્યાર બંધાઈ ગયો હતો, તથા તેના વિચાર તથા મસલતને તે એટલું બધું માન આપતો હતો કે રાજાને લડાઈ કરવાને નિરંતર બોધ કર્યા કરતો હતો. ક્ષત્રિય થઈ મ્લેચ્છને ખંડણી આપવી એ કરતાં મરવું સારું, એમ તેના મનમાં રાત દહાડો ઉતાર્યા કરતો હતો, અને તેથી રાજાની હિંમત ટકી રહી. તેથી રાજાનો અસલનો ઠરાવ કાયમ રહ્યો, અને તેથી તેણે ખંડણી આપવાનો વિચાર બંધ પાડ્યો, અને યુદ્ધ કરવાની તૈયારી કરી. એક અઠવાડિયું ગયા પછી એક સવારે શહેરમાં હાહાકાર થઈ રહ્યો. ગામડાંના લોકો રાત્રે શહેરમાં દોડતાં આવ્યાં, અને તેઓ ખબર લાગ્યાં કે મુસલમાનોનું એક ભારે લશ્કર આવે છે. દુશ્મન જેમ જેમ આગળ આવતા ગયા તેમ તેમ રાજાના મનમાં વધારે ત્રાસ બેસાડવાને રસ્તામાં જે જે ગામો આવ્યાં તે તે તેઓએ બાળી નાખ્યાં. ખેતરમાંનું અનાજ બાળ્યું, કાપ્યું છૂંદી નાખ્યું, અથવા બીજી રીતે તેમાં બગાડ કર્યો. લોકોને મારી તો ન નાખ્યાં, પણ તેઓને શહેરમાં મોકલી દીધાં, અને એમ કરવાથી તેઓએ ધાર્યું કે જો શંકળદેવ રાજા દેવગઢમાં ભરાઈ બેસશે, તો શહેરમાં ઘણાં માણસો હોવાને લીધે અનાજ ખૂટી પડશે, અને સિપાઈઓને ભૂખે મરવું પડશે. એટલે લડાઈનો જલદીથી અંત આવશે. એવી રીતે નુકસાન કરતા તેઓ દેવગઢની નજદીક આવી પહોંચ્યા. શંકળદેવ સવારમાં ઊઠ્યા, ત્યારે આ સમાચાર તેણે જાણ્યા. તેણે તરત જ પોતાના સઘળાં માણસોને એકઠાં કર્યાં, અને પોતે બખતર તથા શસ્ત્ર સજી પોતાનાં કુટુંબની રજા લઈને ઘરની બહાર નીકળ્યો. ભીમદેવ પણ તેની સાથે જ હતો, અને પેલો નવો રાખેલો સરદાર અને હમણાં તો રાજાની માનીતો નનામો પુરુષ પણ રાજાની પાસે હતો. લશ્કર એકઠું થયા પછી લડાઈનાં વાજિંત્ર સાથે તેઓ આગળ ચાલ્યા. પણ શહેરના લોકો રાજાને આશીર્વાદ દેવાને જ બહાર આવ્યા હતા. તેઓ બારીબારબણાં બંધ કરી ઘરમાં ભરાઈ રહ્યા. એક જાતની ઈશ્વરી પ્રેરણાથી અથવા વધારે સાચું કહીએ તો અનુભવથી તેઓને ખાતરી હતી કે શંકળદેવની હાર થશે અને તેથી લડાઈ કરવાના રાજાના આ દુરાગ્રહથી તેઓ નાખુશ હતા. શહેરની ખરાબી થયા વિના રહેવાની નથી, એ દહેશતથી તેઓ ભયભીત તથા ઉદાસ થઈ ગયા હતા. થોડાક માણસોએ રાજા ઉપર ફૂલ વધાવ્યાં, તથા પરમ કૃપાળુ ઈશ્વર પાસેથી માગી લીધું કે ક્ષત્રિય રાજાનો જય થાઓ, અને મ્લેચ્છ, ચંડાળ લોકોનો સંહાર થાઓ. પણ એવું ઈચ્છનારા તથા તેઓની પ્રાર્થના ઈશ્વર માન્ય કરશે, એમ માનનારા થોડા હતા. તે જોઈને રાજાને ઘણી દિલગીરી થઈ, તથા એ વાતથી તેનું અર્ધું શૌર્ય ઓછું થયું. તોપણ તેને આશા હતી કે જો વખતે જય મેળવીશ તો કીર્તિ વધારે થશે, અને હમણાં જેટલી નાઉમેદી છે તેના જ પ્રમાણમાં મારી પ્રતિષ્ઠા વધશે. એટલા જ ઉપરથી તેના મનને દિલાસો મળતો હતો. તેના સિપાઈઓમાં પણ જોઈએ તેટલી હોંશ ન હતી. તેઓ મરવા જતા હોય તેમ તેઓનાં મોં ઉપરથી સ્પષ્ટ દેખાતું હતું. તેઓને જીતવાની કાંઈ આશા ન હતી. તેઓએ પોતાનાં બૈરાંછોકરાંને છેલ્લા રામરામ કર્યા હતા; અને પાછા ઘેર જઈશું એવો કોઈ રીતે ભરોસો ન હતો. નીકળતાં શકુન પણ સારા થયા નહીં. જોશીઓએ સારું મુહૂર્ત પણ આપ્યું ન હતું, અને અગર જો તેઓ રાજાને મોંએ સારી સારી વાતો બોલતા, તોપણ બીજાઓની આગળ રાજ્યની ખરાબી વિષે તેઓએ કહી રાખ્યું હતું. રાજાનો ચંદ્ર સારો નથી, એ પ્રમાણે વહેમ સઘળે પથરાઈ રહ્યો હતો. પણ શંકળદેવને કાળે ઘેરેલો તેથી તેને કાંઈ સૂઝયું નહીં, અને તેથી આ સઘળી વાતની કાંઈપણ ફિકર રાખ્યા વિના પોતાના લશ્કર સહિત આગળ ચાલ્યો, અને શહેરથી કેટલેક દુર જઈ એક સારી જગાએ ઊભો રહ્યો.

મુસલમાનોના લશ્કરને પણ આવતાં કાઈ વાર લાગી નહીં. તેઓએ જ્યારે રાજાનું લશ્કર લડાઈ કરવાને ગોઠવાયેલું જોયું ત્યારે તેઓને ઘણો જ આનંદ થયો, અને હવે થોડી વારમાં તે લશ્કરના કટકેકટકા કરી નાખીશું. એ ખુશીથી તેઓએ એક મોટી ચીસ પાડી. તેના જવાબમાં રજપૂતોએ પણ કિકીયારી કરી, પણ તેમાં શત્રુના જેટલો જુસ્સો જણાયો નહીં. જ્યારે મલેક કાફુર દુશ્મનના લશ્કરની પાસે આવ્યો, ત્યારે તેણે પોતાનાં માણસોને ઊભાં રાખ્યાં, અને એક માણસને બોલાવી તેને કાંઈ સંદેશો કહી રાજા પાસેો મોકલ્યો. તેણે આવીને શંકળદેવને કહ્યું : ‘હે રાજા ! સઘળી જહાનના પાદશાહ અલાઉદ્દીન ખિલજીનો મુખ્ય સરદાર નાયબ મલકે કાફુર તમને ખબર કરે છે કે, ઘણાં વર્ષ ઉપર તમારું રાજ્ય પાદશાહે જીત્યું, અને તમારા ઉપર ઘણી દયા કરી ખંડણી બેસાડી ઉપરાંત કેટલુંક નજરાણું પણ આપ્યું. તમારો બાપ રામદેવ પાદશાહની હજૂરપનાહમાં ગયો, અને તેને રાયરાયનો ઈલકાબ આપ્યો, તથા તેને જાગીર પણ આપી. તમારો બાપ પાછો દેવગઢમાં આવ્યો, અને જ્યાં લગી જીવ્યો ત્યાં સુધી તેણે ધારા પ્રમાણે ખંડણી આપ્યા કરી. તેના મૂઆ પછી તમે ખંડણી બંધ કરી છે. તમે જાણો છો કે તૈલંગણના રાજાએ ખંડણી આપવાનું કબૂલ કર્યું છે, અને તે વસૂલ કરવાને અમે જઈએ છીએ; પણ રસ્તામાં તમારી ખબર લેવી, અને તમને સારી શિખામણ આપવી, એ વિચારથજી અમે અહીં આવ્યા છીએ. ખંડણી આપ્યા વિના તમારો છૂટકો થવાનો નથી. અમે જ્યાં જઈએ છીએ તયાંથી અમારી મતલબ પાર પાડ્યા વિના કદી પાછા ફરતા નથી. અમારું લશ્કર કદી હારીને પાછું ફર્યું નથી. માટે હમણાં ડાહ્યા થઈને રાજીખુશીથી ચઢેલી ખંડણી, અમારો અહીં આવવાનો ખરચ, તથા તમારા ઉપર જે દંડ ઠેરવવામાં આવે તે સઘળું એકદમ આપો, નહીં તો આ તમારું લશ્કર એક પલકમાં પાયમાલ કરી નાખીશું; તમારી રાજધાની બાળી મૂકીશું; તમારા લોકોને કતલ કરી નાખીશું; તથા બીજી જેટલી ખરાબી અમારાથી થઈ શકશે તેટલી કરીશું. માટે એ સઘળા ઉપર વિચાર કરીને મનમાં વિવેક લાવીને જવાબ આપજો. ઉન્મત્તાઈ કરવાનું કામ નથી. પાછળથી પસ્તાવો કરવો પડે એવું કદી કરશો નહીં.’’ જાસૂસની આ વાત સાંભળી તેને જવાબ રાજા શો આપે છે તે જાણાને સઘળા સિપાઈઓ તથા સરદારો ઘણા આતુર હતા. રાજાએ તરત જવાબ દીધો નહીં, તેણે વિચાર કરવા માંડ્યો. એટલામાં પેલો નવો રાખેલો સરદાર તેની પાસે ગયો અને તેની સાથે કેટલીક વાત કરી તેના મનમાં જે કાંઈ શંકા હતી તે તેણે કાઢી નાખી. પછી રાજાએ તે જાસૂસને જવાબ આપ્યો : ‘‘અત્યાર સુધી મારા બાપે જે ખંડણી આપી તે તેણે ઘણું ખોટું તથા નામર્દાઈનું કામ કર્યું. આટલી વાર સુધી અમારી હાર થઈ તે અમારા પાપને લીધે, તોપણ જ્યાં સુધી અમે ક્ષત્રિય કહેવાઈએ છીએ ત્યાં સુધી અમે કોઈને તાબે રહેવાના નથી. અમારા શરીરમાં અમારું શૂરું લોહી ઊકળી આવે છે; માટે લડાઈ કર્યા વિના ખંડણી આપનાર નથી. જો લડાઈમાં જય થશે તો ઠીક છે, અને જો પરાજય થશે તો જે ઈશ્વરે ધારેલું હશે તે થશે એટલો જવાબ તમારા સરદારને કહેજો.’’

થોડી વારમાં મુસલમાન લશ્કરે હુમલો કર્યો. ‘‘અલ્લાહો અકબર’’ એમ બૂમ સઘળે પથરાઈ ગઈ. તેઓએ પહેલવહેલાં જ તેઓનો જુસ્સો બતાવ્યો. પણ રજપૂત તથા મરાઠા હજી એવા બાયલા થઈ ગયા ન હતા કે પહેલા જ સપાટામાં હારે. તેઓએ ઘણી જ ધીરજથી લડાઈ કરીને મુસલમાનોને પાછા હઠાવ્યા. રજપૂત સૈન્યમાં પણ રણસંગ્રામના વાજિંત્ર વાગી રહ્યા હતાં. તેઓના ઘોડા ખૂંખારતા હતા. માણસોમાં ખૂન ભરાઈ ગયું હતું. અને ઘણો શોરબકોર થઈ રહ્યો હતો. બીજી વાર મુસલમાન લોકોએ હુમલો કર્યો, અને આ વેળા તેઓએ ધસારો ઘણા જોરથી કર્યો. પણ રજપૂતો એક પથ્થરના કોટની પેઠે ઊભા રહ્યા હતા તેને ભેદીને તેઓથી પાર જવાયું નહીં. તીરથી વાદળ છવાઈ ગયું, તલવારનો ઝળકાટ થઈ રહ્યો, અને તેઓ જ્યારે એકએકથી સાથે અથડાતી ત્યારે વીજળીની પેઠે ચમકારા થતા હતા. ભાલા લશ્કરમાં ઊછળતા હતા. અને ક્ષણેક્ષણે ઘણા અભાગિયા માણસો ભોંય ઉપર પડતા હતા. લડાઈનો ગડબડાટ, મરતાં માણસોની ચીસ તથા ઘાયલ માણસો રગદોળાઈ જતાં હતાં તેઓનાં દુઃખની બૂમોથી તે જગા ખરેખરી ભયંકર થઈ રહી હતી. યુદ્ધ ખૂબ જોશમાં મચી રહ્યું હતું. આકાશમાં ગીધ, સમડી અને કાગડાઓ ઘણા આનંદમાં ઊડતા હતા, અને થોડી વાર પછી એક મોટી ઉજાણી તેઓને મળશે એવી ખાતરી હતી. લોહીની નીક ત્યાં વહેવા લાગી. એક તરફથી મુસલમાનોની ‘‘અલ્લાહો અકબર’’ અને બીજી તરફથી હિંદુઓની ‘‘હર હર મહાદેવ’’ની ચીસથી આકાશ ગાજી રહ્યું હતું; સઘળા રજપૂત સિપાઈઓ પહેલાં નિરાશ થયા જણાતા હતા તોપણ આ યુદ્ધપ્રસંગે તેઓ સિંહની પેઠે લડ્યા. તેઓએ પોતાનું નામ સાર્થક કર્યું. તે સઘળાઓમાં ત્રણ માણસનું શૂરાતન વધારે દેખાઈ આવતું હતું. એક તો શંકળદેવ રાજા, જેણે બહાદુરીનાં અનેક ચમત્કારિક કામો કર્યાં. તેને મારવાને ઘણાં માણસોએ પ્રયત્ન કર્યો, પણ તે સઘળા નિષ્ફળ ગયા. અને તેઓએ પોતાનો જીવ ખોયો. બીજો ભીમદેવ, તેણે પણ આ લડાઈમાં મહેનત કરવામાં કાંઈ કસર રાખી નહીં. પોતાનું શરીર અમર હોય એમ તે અગાડી ઊભો રહ્યો હતો. તેના ઉપર તીરનો વરસતો હતો, અને તે શી રીતે જીવતો રહ્યો એ જ આશ્ચર્યકારક હતું. પણ સઘળાથી પેલા આ રાજાના નવા સરદારની બહાદુરી જોવા લાયક હતી. તેનો આ વખતને વાસ્તે જ નવો અવતાર થયો હોય એમ જણાતું હતું. તેનું શરીર જે પહેલાં અશક્ત દેખાતું હતું તેમાં હમણાં જાણે રાક્ષસે પ્રવેશ કર્યો હોય એટલું તેનામાં બળ આવ્યું હતું. તે દુશ્મનના લશ્કરમાં ઘણો જ સંહાર કરતો જતો હતો, અને રાજાની હમેશાં પાસે રહીને તેણે તેનો કેટલીક વાર જીવો ઉગાર્યો હતો. તેના શરીરમાં ઘણા ઘા વાગ્યા હતા; પણ તેના જુસ્સાના આવેશમાં તેને કાંઈ જણાતું ન હતું. મરવું એ જ ઠરાવ કરીને તે લડતો હતો. પોતાના સરદારોને તથા રાજાને યુદ્ધ કરતા જોઈને સિપાઈઓને પણ ઘણું શૂર ચઢ્યું હતું, અને તેઓ મરણિયા થઈને કતલ કર્યે જતા હતા.

મુસલમાન સિપાઈઓએ આગળથી એવું ધાર્યું ન હતું કે હિંદુઓ આટલી બહાદુરીથી લડશે. તેઓ સહેલથી ફતેહ મેળવવાનું ધારતા હતા, માટે તેઓનો આગ્રહ જોઈને તેઓ ઘણા નાઉમેદ અને જરા નાહિંમત થયા. જેમ જેમ તેઓની હિંમત ઓછી થતી ગઈ તેમ તેમ હિંદુઓનો જુસ્સો વધતો ગયો, અને તેઓએ એવો જોરથી એક ધસારો કર્યો કે મુસલમાનો ગભરાયા, અને તેઓમાં એકએક ત્રાસ પેઠાથી સઘળા નાસવા લાગ્યા. મલેક કાફુરે તેઓને અટકાવવાને ઘણી મહેનત કરી. પણ તે સઘળી વ્યર્થ ગઈ. જ્યારે તેઓ એક કોશ સુધી ગયા. ત્યારે તેઓને કાફુરે ઘણી મુશ્કેલીથી અટકાવ્યા, અને તેઓની નામર્દાઈ ઉપર ઘણા ઠોક પાડ્યા. પણ સિપાઈઓની હવે લડવાની હિંમત રહી નહીં. તે વખતે મલેક કાફુરે એક નવી તદબીર કરી. તેણે તેઓના ધર્મના વિચાર જાગ્રત કર્યા, અને એક કુરાન ફાડી નાખીને તેની જુદી જુદી આયતો નિશાન ઉપર ચોઢી. અને એ પ્રમાણે ખુદાતાલાના રક્ષણ નીચે છીએ, અને હવે કોઈ પણ શત્રુ આપણી આગળ ટકી શકશે નહીં એવું પોતાના માણસોને સમજાવીને તેણે તેઓને નવી હિંમત આપી. આ ઉપાય સફળ થયો, તેની ધારેલી અસર થઈ. સિપાઈઓને પાછું શુર ચઢ્યું, અને તેઓ પાછા ચાલ્યા. જ્યારે તેઓ હિંદુઓની પાસે આવ્યા, ત્યારે મલેક કાફુરે નીચા વળીને રસ્તા ઉપરથી થોડીક ધકૂળ લીધી, અને એક આયત ભણીને હિંદુઓની તરફ ફેંકી તે બોલ્યો : ‘‘દુશ્મન પાયમાલ હોજો’’ એટલું બસ થયું. મુસલમાનોએ ત્યાર પછી એવો તો ધસારો કર્યો, તથા એવા જોરથી લડ્યા કે હિંદુઓથી ટકાયું નહીં. તેઓની હાર તૂટવા માંડી, અને થોડી વારમાં તેઓમાંનાં એટલાં તો માણસ કપાઈ ગયાં, કે તેઓના મનમાં ત્રાસ પેસી ગયો, અને તેઓએ પાછાં પગલાં ભરવા માંડ્યાં. તે વખતે શંકળદેવે નીકળીને બુમ પાડી કે ‘‘નાસશે તે બાયલો, હિચકારો તથા તેની સાત પેઢીને એબ લગાડનાર સમજવ, માટે આ ઠેકાણે મરવું કે જીતવું.’’ પણ હવે તો માર ઘણો સખ્ત પડવા લાગ્યો. ઘણા ઘણા સરદારો પડ્યા. સિપાઈઓનો તો મરવાનો સુમાર ન રહ્યો. મલેક કાફુરનો વિચાર રાજાને મારવો અથવા જીવતો પકડવો એવો હતો, અને તે કારણથી રાજાના ઉપર ઘણા હુમલા થતા હતા પણ તેણે પોતાની તથા તેના માનીતા સરદારની બહાદુરીથી એ સઘળાને હઠાવ્યા. તેની તરફના કેટલાક સિપાઈઓએ નાસવા માંડ્યું. અને તેનો ચેપ બીજાઓને લાગ્યો. લશ્કરમાં ભંગાણ પડી ગયું. શંકળદેવ તેઓની ફરીથી વ્યવસ્થા કરવા લાગ્યો પણ કાંઈ ફાવ્યું નહીં. સઘળી તરફથી સિપાઈઓ નાસવા લાગ્યા. તે વખતે બેત્રણ પઠાણો આગળ ધસ્યા, અને તેઓએ રાજાને પકડ્યો; પણ એટલામાં પાછળી એક તલવારનો ઘા પડ્યો, અને એક પઠાણનું માથું હેઠે ભોંય ઉપર ગબડ્યું. પણ તે અરસામાં બીજા પઠાણે પાછળ ફરી એક ભાલાના ઘાથી તેના સોબતીના મારનારને ભોંકી દીધો અને તેનો અંત આણ્યો. એ પ્રમાણે રાજા જીવતો પકડાયો; ભીમદેવ ઘાયલ થઈ ભોંય ઉપર પડ્યો. બધું લશ્કર નાસવા લાગ્યું; અને રાજાનો માનીતો શુરો સરદાર પઠાણના ભાલાના ઘાથી જમીન ઉપર તરફડતો પડ્યો.

પણ તેનાં તરફડિયાં થોડી જ વાર રહ્યાં. થોડી વારમાં આ ઘાયલ થયેલા તથા કોચાઈ ગયેલા શરીરમાંથી તેનો અમર વસનાર ઊડી ગયો, અને તેના સર્વશક્તિમાન પેદા કરનારની હજૂરમાં જઈ ઊભો રહ્યો. એ પ્રમાણે ગુર્જર દેશના છેલ્લા રજપૂત રાજા કરણ વાઘેલાનો અંત આવ્યો. વનરાજ, સિદ્ધરાજ, કુમારપાળ અને એવા શૂર અને નામાંકિત રજપૂત રાજાઓની ગાદીએ બેસનાર કરણ રાજાએ પ્રમાણે માર્યો ગયો; અને તેની સાથે ગુજરાતનું રજપૂત રાજ્ય ડૂબી ગયું તે ફરીથી પાછું ઠેકાણે આવ્યું નહીં. વાંચનારાઓ ! આ કરણના શબ ઉપર થોડાં થોડાં આંસુ પાડો. તેના મોત પછી ગુજરાત રંડાયું; તે પારકા દેશના મ્લેચ્છ લોકના હાથમાં ગયું; તેના ઉપર પરદેશી જંગલી લોકોનો જુલમ પડવા લાગ્યો. મહમ્મદ બેગડા અને એવા બીજા અમદાવાદના પાદશાહોએ તેની ઘણી ખરાબી કરી. મરેઠા લોકોએ તેની ઉપર અતિશય લૂંટફાટ કરી. દેશમાં નાના ખંડિયા રાજાઓ થઈ ગયા, અને એ પ્રમાણે ગુજરાતની છેક દુર્દશા થઈ. ગુજરાતનું સ્વતંત્ર રજપૂત રાજ્ય આ પ્રમાણે લય પામ્યું; ગુજરાતનો મહિમાનો વખત પુરો થયો, તેની ઠેકાણે ઠેકાણે ભાંગીતૂટી નિશાની માત્ર રહી ગઈ છે. હજી સિદ્ધપુરની રુદ્રમાળા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, અને બીજી ઈમારતો એ ગયેલા દહાડાની સાક્ષી પુરે છે, તથા રજપૂતોની એક વાર થયેલી ચઢતી કળા દેખાડી આપે છે, પણ એ વાત બન્યાને આજ લાંબી મુદત થઈ છે. કરણ વાઘેલાના મોત પછી સાડી પાંચસો વર્ષ વહી ગયાં છે. તે વખતના અને હમણાંના ગુજરાતમાં ઘણો ફેર પડી ગયો છે. તે રજપૂતો, તે મુસલમાનો અને મરેઠાઓ ક્યાં ગયા ? તેઓની હમણાં અવસ્થા જુઓ. હમણાં એદી, અફીણી, નિર્બળ, અક્કલહીન રજપૂતો તે વખતના શુરા, જોરાવર ને બુદ્ધિમાન રજપૂતોના વંશના છે, એમ કોણ માનશે ? હમણાંના ભુખે મરતા, અશક્ત, અજ્ઞાન મુસલમાનો તે વખતના મુસલમાનોની ઓલાદના છે એ પામવું પણ કઠણ પડશે નહીં ? અને મરેઠાઓનું પણ નામ જ રહી ગયું છે. તેઓ સઘળા પશ્ચિમ તરફના ગૌર વર્ણના માણસોના હાથ નીચે દબાઈ ગયા છે. ભાટ, ચારણ, અને બીજા રાજ્ય દરબારને લગતા લોકો પણ પહાડ અને જંગલમાં ભટકતા માલૂમ પડે છે. અંગ્રેજના એક છત્ર નીચે સઘળું ગુજરાત આવી રહ્યું છે, અને પરમ કૃપાળુ ઈશ્વરની ઈચ્છાથી એ પરદેશી લોકોના હાથ નીચે આ પ્રાંત પાછો મોટો થશે; પાછું કોઈ જુદી જ રીતનું નામ કાઢશે; અને વિદ્યા, કળા અને સુધારો સઘળે પથરાઈને આ રળિયામણો પ્રાંત ઈશ્વરની વાડી, લક્ષ્મીનું ધામ, તથા સદ્‌ગુણનું સ્થાન થઈ પડશે.

અસ્તુ ! અસ્તુ !