Pustak Parichay books and stories free download online pdf in Gujarati

પુસ્તક પરિચય

  • સ્પીડ પોસ્ટ
  • મિત્રો સ્પીડ પોસ્ટ શોભા ડે લિખિત પુસ્તકનું નામ છે. સ્પીડ પોસ્ટમાં શોભા ડે દ્વારા તેમના સંતાનોને લખાયેલ પત્રોનું સંકલન કરવામાં આવ્યું છે. પુસ્તકની પ્રસ્તાવનામાંથી શોભા ડેના વિચારો અને પુસ્તક વિશેની જાણકારી મળી જાય તેમ છે.

    સ્પીડ પોસ્ટનો સરસ ભાવાનુવાદ આપણા માટે સોનલ મોદીએ કર્યો છે. પુસ્તકમાં ૨૭૯ પેજ છે અને તેમાંથી દર વખતે અવનવું જાણવા અનેં માણવા મળે છે.

    ગાંધીજીના સત્યના પ્રયોગ જેવો ભારેખમ પ્રયાસ શોભા ડેના સ્પીડ પોસ્ટમાંથી મળે છે. તેમનાથી જીવનમાં થયેલ ભૂલો, મનદુઃખ સહજતાથી સ્વીકારીને તેના માટે માફી તેમના સંતાનો પાસે માંગી છે તે દાદ માંગી લેવાં જેવું કામ છે. સ્પીડ પોસ્ટ વાંચતા વાંચતા વાચકોને પણ પોતાના જીવનમાં થયેલ પ્રસંગો યાદ આવી જાય તેમ છે.

    પુસ્તક તેમના સંતાનો રણદીપ, રાધિકા, આદિત્ય, અવન્તિકા, અરુંધતી અને આનંદિતાને લખાયેલ પત્રોનું સંકલન છે અને પુસ્તક તે સંતાનોને જ અર્પણ કરાઈ છે.

    ~ સ્પીડ પોસ્ટમાંથી કેટલાંક પત્રોના ટાયટલ ~

    ક્યારેક રડી લેવામાં વાંધો ખરો ?

    સિગારેટ – એક બૂરી બલા.

    મહાનગરોમાં ખોવાયેલી જીંદગી.

    વિદાય વેળાએ.

    આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા.

    આઈ લવ યુ.

    કિતના સુખ હે બંધન મેં.

    આજ પૂજા કલ કોઈ દૂજા.

    આવા ઘણાબધા પત્રોનું સંકલન આ બેસ્ટ સેલર પુસ્તકમાં વાંચવા મળશે. આ પુસ્તકનું લોકાર્પણ અમદાવાદમાં ગુણવંત શાહના હસ્તે ઓગસ્ટ ૨૦૧૦માં થયુ હતુ.

    પ્રકાશક } આર આર શેઠ એન્ડ કંપની, ખાનપુર, અમદાવાદ- ૩૮૦૦૦૧.

    કિમંત } રૂ. ૧૯૫

    ***

  • બાળક સાથેની અમૂલ્ય પળો …
  • મિત્રો બાળક સાથેની અમૂલ્ય પળો પુસ્તક નું નામ છે. આ પુસ્તકમાં બાળક સાથે વિતાવવા, માણવા માટેના સૂચનોથી સભર છે. આ પુસ્તક અંગ્રજીમાં Moments of Parenting નામથી પ્રગટ થયેલ અને તે પુસ્તકને વાચકોએ ખુબજ પસંદ કરેલ. પુસ્તકની લોકપ્રિયતા બાદ તેનો ભાવાનુવાદ ગુજરાતી વાલીઓ અને વાચકોં માટે એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે. આવો પ્રયાસ કોઈ શૈક્ષણિક સંસ્થાએ કર્યો હોય તેવું ધ્યાનમાં નથી.

    પુસ્તકમાં સરળ ભાષા અને ચિત્રો દ્વારા ઊંડાણમાં સમજણ આપવામાં આવી છે. પુસ્તક વાંચ્યા બાદ વાલીઓ ખરા અર્થે મા બાપ ના વાસ્તવિક રોલમાં આવી જશે. પુસ્તકમાં બાળકના શિક્ષણમાં પ્રવુત થવાની ચિત્ર સાથેની ૧૦૧ રીત સમાવાઈ છે.

    ~ પુસ્તકમાંથી કેટલાંક અવતરણો ~

    બાળકોને નિયમિત વાંચન કરી સંભળાવો, નવી વસ્તુઓના નામ અને અર્થ સમજાવો.

    મંદિરમાં દીવો, પૂજા કેમ, વડીલોને પગે કેમ લાગવાનું, નમસ્તે કેમ કરવાનું તેનું કારણ સમજાવી તે કરવા પ્રેરણા આપો.

    બાળકના મનમાંથી ભૂત, નાપાસ, એકાંત જેવા ડર દૂર કરો.

    બાળકો સાથે શબ્દોની રમત રમો.

    જીવનમાં નિષ્ફળતા અને મુશ્કેલીઓની વાત કરી તેમાંથી કેવી રીતે નીકળી શકાય તેની વાત કરો.

    વખાણ કરો અને ખોટું હોય તો ટીકા પણ કરો.

    જીવનમાં ડુ અને ડોન્ટ ની સમજણ આપો.

    પૈસાનું મુલ્ય સમજાવો.

    આવું ઘણું બધું પુસ્તકમાંથી જાણવા મળશે. દરેક માતા પિતાએ એકવાર જરૂર વાંચવું જોઈએ તેવું પુસ્તક છે.

    પ્રકાશક } એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન, ” કોર હાઉસ ”, ઓફ સી.જી રોડ, અમદાવાદ- ૩૮૦૦૦૬.

    પ્રાપ્તિ સ્થાન } નવભારત સાહીત્ય મંદિર, અમદાવાદ.

    કિમંત } રૂ. ૧૦૦

    ***

    ચિકન સૂપ : ભારતીય તરુણ આત્માઓ માટે

    બ્લોગર મિત્રો અને વાચકો ચિકન સૂપ : ભારતીય તરુણ આત્માઓ માટે ટાયટલ વાંચતા કંઇક અવનવું લાગે પણ આ એક બેસ્ટ સેલર પુસ્તકના અનુવાદ કરેલ પુસ્તકનું નામ છે. ચિકન સૂપ ફોર ધ સોલ નામની પુસ્તકશ્રેણીની શરૂઆત અમેરિકામાં ૧૯૯૩માં થઇ હતી. આ શ્રેણી ઘણી લોકપ્રિય પણ ઝડપથી થઇ હતી.

    આ પુસ્તક ઘણા સમયથી વાંચવાની તીવ્ર ઈચ્છા દિવાળીમાં તૃપ્ત થઇ. આ વાંચવાથી મને ઘણું જાણવા અને માણવા મળ્યું. આપને પણ મોજ આવે તેવું મજાનું પુસ્તક છે તેની ટૂંકમાં સમીક્ષા કરું છુ. પુસ્તકના સંપાદક જેક કેન્ફીલડ, માર્ક વિકટર હાન્સેન, રક્ષા ભારડિયા છે. પુસ્તકનો સરસ ભાવાનુવાદ આપણા માટે મનસુખ કાકડિયાએ કરેલ છે.

    આ પુસ્તક તરુણો, યુવાનો માટે જ છે અને યુવાનોને બોધ આપતી ૧૦૧ પ્રસંગ કથાઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૩ વર્ષથી ૧૯ વર્ષની ઉંમરને તરુણ અવસ્થા મનાય છે. પુસ્તકમાં ૧૦૧ પ્રસંગકથાઓમાં કેટલીક ખાટીમીઠી, સુખભરી, દુઃખભરી, પ્રેરણાત્મક વાતો આવે છે. પુસ્તકોમાં ૧૦૧ લેખકોએ પોતાના અનુભવો, મંતવ્યો વર્ણવ્યા છે. પુસ્તકના લેખકોમાં શોભા ડે, વિશ્વમોહન ભટ્ટ, જાવેદ હબીબ, કૈલાસ ખેર, પ્રહલાદ કકર, મૃણાલ પાંડે, રક્ષા ભારડિયા, ગૌરાંગી પટેલ અને બીજા ઘણા બધા નામી અને અનામી છે. પુસ્તકના અંતે લેખકોનો ટૂંકો પરિચય અને સમ્પર્ક કરવા માટેની જાણકારી આપવામાં આવી છે.

    પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે, ” જો તમે તરુણ હો તો આ બધા જ અનુભવોમાંથી પસાર થઇ રહ્યા હશો અને જો તમે તરુણાવસ્થા વટાવી દીધી હશે તો તેની યાદ તમને તરુણ બનાવી દેતી હશે. આ બધી જ વાર્તાઓ તમારા માટે જ છે ! તમને તે વાંચવી ગમશે જ કારણકે તે સૌમાં ક્યાંક તમારી વાત પણ આવી જાય છે અને જો તમે તરુણાવસ્થા વટાવી ગયા હો તો પણ એ અવસ્થા ફરી માણવા માટે આ વાર્તાઓ તમારે વાંચવી જ રહી “.

    આટલી સરસ પ્રસ્તાવના વાંચીને વાંચવાની ઈચ્છા થઈ હોય તો પુસ્તક પ્રકાશન અને અન્ય વિગત નીચે જણાવી દઉં છુ.

    પ્રકાશક } નવભારત સાહીત્ય મંદિર, ગાંધી રોડ, અમદાવાદ – ૩૮૦૦૦૧.

    કિંમત } રૂ. ૨૫૦

    ***

    9 nights india

    મિત્રો તા -૧૮ -૧૧-૨૦૧૧ ના રોજ સાહીત્ય પરિષદના રા. વિ. પાઠક સભાગૃહમાં આદરણીય શ્રી ફાધર વાલેસના પુસ્તક 9 nights in india ના લોકાર્પણ પ્રસંગે નજીકથી મળવાનો લ્હાવો મળ્યો.

    હું જયારે સ્કુલમાં ભણતો ત્યારે કેટલીકવાર ફાધર વાલેસના ગણિતની ટેક્સ્ટ બુકમાંથી દાખલા ગણતી વખતે ગણિતના મોટા શિક્ષકને મળવાની ઈચ્છા થતી. ભણ્યા બાદ જયારે સાહિત્યના પુસ્તકો વાંચવામાં ફાધરના કેટલાંક પુસ્તકો વાંચ્યા બાદ ગણિતના શિક્ષક અને લેખકને મળવાની ઈચ્છા વધુ પ્રબળ થઇ હતી.

    જયારે મને ખબર પડી કે ફાધર અમદાવાદ પુસ્તક લોકાપર્ણ માટે આવવાના છે ત્યારે બધા કામ પડતા મૂકી નિયત સમય કરતા પહેલા સાહિત્ય પરિષદ પહોંચી ગયો. સાહિત્ય પરિષદમાં ફાધરના પ્રોગ્રામ માટે જોરદાર અને શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. સાહિત્ય પરિષદનો રા. વિ. પાઠક સભાગૃહ રીનોવેશન બાદ ખાસ આ પ્રોગ્રામ માટે ઉદઘાટન વગર ખુલ્લો મુકાયો હતો. આ સભાગૃહ જાન્યુઆરીમાં વિધિવત ખુલ્લો મુકવામાં આવનાર છે.

    સાહીત્ય પરિષદના પ્રોગ્રામની શરૂઆત માધવ રામાનુજે કરી હતી. કાર્યક્રમમાં વિશ્વમ્ભરી સ્તુતિ, મણીયારો અને ગુજરાતના સાહિત્યકારોની આબેહુબ વેશભૂષા બાળકોએ રજુ કરી હતી. આ રજૂઆતનું રમેશ તન્નાએ આયોજન કર્યું હતું. આગળના પ્રોગ્રામમાં સાહિત્ય પરિષદના મહામંત્રી રાજેન્દ્રભાઈ પટેલે સરસ પ્રવચનથી કરી. ત્યારબાદ દેવેન્દ્રભાઈ પીર, મીનાબહેન પીર, રઘુવીરભાઈ ચૌધરી દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું. પ્રેક્ષકો જેની આતુરતાથી રાહ જોતા હતા તે ફાધર ને સાંભળવાની ક્ષણ આવી ગઈ. હોલમાં નીરવ શાંતિ વચ્ચે ફાધરે શુદ્ધ ગુજરાતીમાં પ્રવચન શરુ કર્યું. ફાધરે ટૂંકા પ્રવચનમાં પણ ઘણા બધા પ્રસંગો અને જાણકારીઓ પ્રેક્ષકોને આપી મંત્રમુગ્ધ કર્યા હતાં. ફાધર અગાઉ ૧૦ વર્ષ સાયકલ પર લોકોના ઘરે વિહારયાત્રા કરતા તે અનુભવોની વાત કરી. ફાધરે ઉમાશંકર જોશીના ઘરે કાકાસાહેબ કાલેલકરનો પ્રસંગ કહ્યો હતો.

    ફાધરે 9 nights india પુસ્તકની પણ ટૂંકમાં જાણકારી આપી. ફાધર અગાઉ અમદાવાદ તેમના પુસ્તક ટુ કન્ટ્રીઝ વન લાઈફના લોકાર્પણ વખતે વિધાપીઠના કાર્યક્રમમાં આવ્યા હતાં તે સમયે નવરાત્રી હતી. ફાધરે તે વખતે તેમના રહેવાના સ્થળની નજીકમાં ચાલતા નવરાત્રી કાર્યક્રમની મુલાકાત લીધી અને નવરાત્રીની મજા માણી ત્યારે

    9 nights india પુસ્તક લખવાનો વિચાર આવ્યો અને પુસ્તક લખ્યું. પુસ્તકમાં ૨૨ પ્રકરણ છે અને પુસ્તક સરળ અંગ્રજી ભાષામાં લખવામાં આવ્યું છે. પુસ્તક કાકાસાહેબ કાલેલકરને અર્પણ કરવામાં આવ્યું છે. પુસ્તકમાં ૧૫૨ પેજ છે.

    ***