Mohmmad books and stories free download online pdf in Gujarati

મોહમ્મદ

મોહમ્મદ

મિસાલ-એ-એકતા

રાધાક્રિષ્ન ના મંદિર માં આરતી પતાવીને નીકળેલા દશરથ મહારાજ રસ્તામાં મળતા લોકો ને જય અંબે કહેતા કહેતા પોતાના ઘર તરફ પાછા વળતા હતા..એમનું ઘર મંદિર થી ૧૦ મિનિટ ના અંતરે હતું.દશરથ મહારાજ સ્વભાવે સરળ અને માયાળુ હતું.. આ સંતોષી જીવ ગામ ના દરેક વચ્ચે ખૂબ પ્રિય હતા..લોકો એમને બહુ માન આપતા..

ઘર થી જવાના રસ્તા પર એક રેલવે સ્ટેશન આવતું.. કેહવા પૂરતું રેલવે સ્ટેશન હતું. અઠવાડિયે બે વાર ટ્રેઈન આવતી બાકી રેલવે સ્ટેશન પર સાવ સુનકાર વ્યાપ્ત રહેતો..એ દિવસે મહારાજ ને કાને કોઈ નાના બાળક નો રડવાનો અવાજ આવ્યો..મહારાજે અવાજ ની દિશા માં શોધ ખોળ શરૂ કરી તો એક નાનું ૩-૪ વરસ નું બાળક મળ્યું..

મહારાજે તરત જ એ બાળક ને તેડી લીધું અને આજુ બાજુ નજર નાખી..કોઈ દેખાયું નહીં એટલે એમને જોર જોર થી બુમો પાડી "કોઈ છે..કોઈ છે, આ બાળક કોનું છે??.. પણ કોઈ જવાબ મળ્યો નહીં... બાળક નું આખું શરીર તાવ માં ધીગતું હતું.. રડવાનું તો બંધ થવાનું નામ જ નહીં.. આગળ શું કરીશ ?? એવું વિચારતા મહારાજ આખરે બાળક ને લઈ હોસ્પિટલ તરફ જવા નીકળ્યા...

રસ્તા માં ૨-૩ લોકો એ પણ મહારાજ કોઈ બાળક ને તેડી ને જાય છે એમ જોયું તો એમને મહારાજ ને એ વિશે પૂછ્યું તો મહારાજે સઘળી હકીકત જણાવી દીધી.. એમાં થી એક માણસ મહારાજ જોડે હોસ્પિટલમાં ગયો જ્યારે બીજા ૨ લોકો પોલીસ સ્ટેશન તરફ ..કેમકે આ બાળક નું આમ મળી આવવું એક પોલીસ કેસ જ બને..તો મહારાજ ની રજા લઈ એ બંને ફરિયાદ કરવા વાઘેલા સાહેબ જોડે ગયા..

"આ બાળક ને તો બહુ તાવ છે...૧૦૩ ડિગ્રી જેટલો..આને તાત્કાલિક એડમિટ કરવો પડશે.."હોસ્પિટલ માં ફરજ પરના ડોક્ટર એ મહારાજ ને કીધું..

"વાંધો નહીં.. સાહેબ જેમ બને એમ તમે તમને યોગ્ય લાગે એ કરો" મહારાજ પોતાની પ્રકૃતિ મુજબ ચિંતા ભર્યા સ્વરે બોલ્યા..

ડોકટર અને નર્સ બાળક ને લઈ સ્પેશિયલ વોર્ડ માં ગયા અને એનો ઈલાજ શરૂ કર્યો...અડધો કલાક વીત્યો ત્યાં ડોકટર એ આવીને "ચિંતા જેવું કંઈ નથી, મેં ઈન્જેકશન આપી દીધું છે.. કાલ સુધી માં નોર્મલ થઈ જશે..આ રહી દવા ની પરચી..આ દવા એને દિવસ માં ૩ ટાઈમ આપજો, જલ્દી સારું થઈ જશે..!!"

"આપની ઘણી મહેરબાની"મહારાજે કીધું..

"અરે મહેરબાની શેની વડીલ.. આ તો મારી ફરજ હતી."ડૉક્ટરે કીધું..

એટલી વાર માં પોલીસ સ્ટેશન ગયેલા ૨ લોકો વાઘેલા સાહેબ ની સાથે હોસ્પિટલ માં આવ્યા..વાઘેલા સાહેબ મહારાજ ને ઓળખતા હતા એટલે હાથ જોડી પ્રણામ કર્યા..મહારાજે આ બાળક ક્યાં અને કઈ રીતે મળ્યું એ વિશે વાઘેલા સાહેબ ને જણાવ્યું..જોડે આવેલા કોન્સ્ટેબલ એ આ બધું નોટ ડાઉન કરી લીધું..

"ડોકટર સાહેબ આ બાળક ને કેમ છે..અને એના શરીર પર કોઈ સ્પેશિયલ આઇડેન્ટિટી?? વાઘેલા સાહેબે ડોકટર ને સવાલ કર્યો..

"હા સાહેબ આ બાળક મુસ્લિમ છે.. એ પ્રાથમિક તપાસ માં ખબર પડે છે.."ડોક્ટરે કીધું.

"જીતુ આ નોટડાઉન કરી લે..તપાસ માં કામ આવશે.ડોકટર સાહેબ એની તબિયત કેમ છે"? વાઘેલા એ પૂછ્યું..

"સારું છે હવે તો કાલે રજા પણ આપી દઈશું હોસ્પિટલ માંથી"ડોકટર એ જવાબ આપ્યો..

"મહારાજ એક વાત કહું તમને..જો વાંધો ન હોય તો આ બાળક ના માતા પિતા ના મળે ત્યાં સુધી તમારા ઘરે રાખી શકશો?"વાઘેલા એ મહારાજ સામે જોઈ કહ્યું..

"કેવી વાત કરો છો સાહેબ..સાંભળ્યું નહિ આ બાળક મુસ્લિમ છે અને મહારાજ નાગર બ્રાહ્મણ..જો આ બાળક એમના ઘરે જાય તો એમના ધર્મ ને ઠેસ લાગે.."ત્યાં હાજર ગામ નો એક માણસ બોલ્યો..

"અને સાહેબ મહારાજે આ બાળક ને અહીં સુધી લાવી પોતાની ફરજ પુરી કરી.. હવે આગળ તમે જાણો અને તમારું પોલીસ તંત્ર"બીજો માણસ બોલ્યો..

"હા તો મહારાજ ને વાંધો હોય તો આ બાળક ને અમે અનાથ આશ્રમ માં મૂકી આવીશું"વાઘેલા સાહેબે કીધું..

"ના સાહેબ એવું કરવાની જરૂર નથી..આ બાળક મારા ઘરે રહેશે.."મહારાજ મક્કમતા થી બોલ્યા..

"પણ આ મુસ્લિમ બાળક છે"ત્યાં હાજર ગામ ના બધા લોકો એક સાથે બોલી ઉઠ્યા..

"મુસ્લિમ, હિન્દૂ, શીખ, ઈસાઈ બધા છેવટે તો માણસ જ છે ને..આ બાળક હું માનવતા તા ધર્મ ખાતર મારી સાથે રાખીશ"મહારાજે જોરદાર દલીલ થી સૌને ચૂપ કરાવી દીધા..

હોસ્પિટલ માં થી રજા લઈ મહારાજ ઘરે પહોંચ્યા અને બારણે થી જ બૂમ પાડી "સાંભળે છે રાધા ની માં."

"હા બોલો રાધા ના બાપુ...આજે કેમ આટલી બધી વાર થઈ...વાત મળી કે તમે હોસ્પિટલ ગયા હતા.."દશરથ મહારાજ ના ધર્મપત્ની જાનકી દેવી એ પૂછ્યું..

ત્યારબાદ મહારાજે બધી વિગતવાર જાનકી દેવી ને વાત કરી..બીજી કોઈ સ્ત્રી હોય તો વાત સાંભળી બખારો કરે..કેમકે એક તો ઘર ની નાજુક સ્થિતિ અને ઉપર થી બાળક મુસ્લિમ એટલે ઘરે લાવાની વાત થી કોઈ પણ ગુસ્સે ભરાય..પણ જાનકી દેવી ખૂબ શાલીન અને સંસ્કારી હતા..એમને તરત જ કીધું..

"કાલે લેતા આવો એ બાળક ને ઘરે..આપણી રાધા ને જોડે રમવા નાનો ભાઈ મળશે અને આપણ ને એક છોકરો, જે આપણી ઘડપણ ની લાકડી બનશે.. ભગવાન કૃષ્ણ ની આજ મરજી હોય.."

ત્યાર બાદ બીજા દિવસે બધી ફોર્મલિટી પતાવી મહારાજ એ બાળક ને ઘરે લેતા આવ્યા..ગામ ના લોકો ને પેહલા આ વાત થોડી પચી તો નહીં..પણ મહારાજે કરેલું આ કાર્ય ખરેખર માનવતા ધર્મ માટે જરૂરી છે એ ધીરે ધીરે બધાને સમજાયું..

રાધા તો પોતાના ભાઈ ને ખૂબ હેત થી રમાડતી..બાળક નું નામ મોહમ્મદ પયગંબર સાહેબ ના નામ પર થી મોહમ્મદ રાખવામાં આવ્યું..ઘણા એને મોહન કરીને પણ બોલાવતા..ધીરે ધીરે મોહમ્મદ મોટો થતો ગયો.દશરથ મહારાજે અને જાનકી દેવી એ મોહમ્મદ ને ગીતા, કુરાન અને બાઇબલ દરેક ધર્મ વિશે સમજાવ્યું હતું..એને ક્યારેય મસ્જિદ માં જતા રોક્યો નહીં કે ક્યારેય એના ધર્મ નું પાલન કરતા..

મોહમ્મદ પણ હિન્દૂ મુસ્લિમ એકતા ની મિસાલ સમાન બની ગયો હતો..મંદિર માં એના મોઢે ગવાતી આરતી અને ભજનો સાંભળી કોઈ કલ્પી ના શકે કે આ એક મુસ્લિમ બાળક છે..મોહમ્મદ ઘણીવાર કહેતો કે..

"મંદિર માંથી ચણ ખાઈ ને, મસ્જિદ માં એ પાણી પીવે છે..

ધર્મ ને નેવે મૂકીને એક ચકલી પણ કેવું સરસ જીવે છે..."

મોહમ્મદે ઘર નું ગુજરાન ચલાવવા મંદિર ની સામે એક ગેરેજ ખોલ્યું..એની મહેનત અને હોશિયારી ના લીધે એ માફકસર નું કમાઈ પણ લેતો હતો..મોટી બહેન રાધા ના લગ્ન માં મોહમ્મદ એ કોઈ કચાશ બાકી રાખી નહોતી...વિદાય વખતે રાધા અને મોહમ્મદ નું રૂદન જોઈને કોઈ વિચારી પણ ના શકે કે આ સગા ભાઈ બહેન નહીં હોય..

દશરથ મહારાજે બાજુના ગામ માં રહેતા એક મુસ્લિમ પરિવાર ની છોકરી માટે મોહમ્મદ ની વાત ચલાવી અને ધામધૂમ થી મુસ્લિમ રીતિ રિવાજ મુજબ એના લગ્ન કરાવ્યા..મોહમ્મદ ની પત્ની નુરી એ પતિ સાથે મળી મહારાજ અને જાનકી દેવી ની દિલ થી સેવા કરી..જ્યાર ગામના લોકો મોહમ્મદ ને આ રીતે સેવા કરતો જોતા ત્યારે એમની આંખો હર્ષ થી ઉભરાઈ જતી...

મોહમ્મદ ના ઘરે ૨ પુત્ર રત્નો નો જન્મ થયો જેમનું નામ દાદા અને દાદી એ રામ અને ઇકબાલ પાડ્યું... ઉંમર ના લીધે દશરથ મહારાજ અને જાનકી દેવી નું અવસાન થયું...મોહમ્મદ એ હિન્દુ રીતી મુજબ બંને ના અગ્નિ સંસ્કાર કર્યા અને ગંગા નદી માં જઈને માતા પિતા સ્વરૂપ આ બે મહાન આત્મા ઓ ની અસ્થિ પણ પધરાવી આવ્યો..

મોહમ્મદ તો વધુ ભણ્યો નહીં પણ પોતાના બંને પુત્રો ને પુરતું શિક્ષણ મળી રહે એ માટે તમામ પ્રયાસ કર્યા..ભણવાની સાથે બંને પુત્રો સંસ્કાર પ્રાપ્ત કરે એ હેતુ થી મોહમ્મદ બંને પુત્રો ને રોજ નવી નવી વાતો કહેતો..એક દિવસ આવી જ વાત મોહમ્મદ કહેતો હતો ...

"એક વખત એક ખ્રિસ્તી દંપતી કશમીર ના પ્રવાસે ગયા...ત્યાં પર્વતીય અંતરિયાળ વિસ્તાર માં એમની કાર ને આતંકવાદી ઓ દ્વારા રોકવામાં આવી..એમાંથી એક આતંકવાદી એ પૂછ્યું..

"તમે કયા ધર્મ થી સંબંધ ધરાવો છો?"

"હું મુસ્લિમ છું"ખ્રિસ્તી પુરુષે જવાબ આપ્યો..

"હા તો તમે કુરાન ની કોઇ વાત કહો.."આતંકવાદી એ કહ્યું..

ખ્રિસ્તી પુરુષે એને એક વાત કહી જે સાંભળી આતંકવાદી એ એમની કાર ને આગળ જવા કહ્યું..કાર થોડી આગળ ગઈ એટલે ખ્રિસ્તી સ્ત્રી એ કહ્યું "તમે તો બાઇબલ નો પ્રસંગ કહ્યો..તમને ડર ના લાગ્યો કે જો એને ખબર પડી જાત તો આપણું શું થાત"??

ખ્રિસ્તી પુરુષે સસ્મિત કહ્યું"જો એમને કુરાન નું થોડું પણ વાંચન કર્યું હોત તો એ આતંકવાદી ના બન્યા હોત.. કોઈ ધર્મ ગ્રંથ માં હિંસા ફેલાવી કોઈ ને હેરાન કરવું એવું કહેલું નથી..દરેક ધર્મ પ્રેમ થી જોડે રહેતા અને શાંતિ થી જીવવાનો જ ઉપદેશ આપે છે ના કે બેગુનાહ લોકો ની જિંદગી લેવાનો.."

રોજ રોજ પોતાના પિતા જોડે થી પ્રેમ, દયા, કરુણા અને માનવતા ના ગુણો પ્રાપ્ત કરી બંને બાળકો પણ ખુબજ હોંશિયાર બન્યા હતા..મોહમ્મદ ની જેમ ઇકબાલ અને રામ પણ દરેક ધર્મ ને માન આપતા અને માનવતા ને સૌથી મોટો ધર્મ માનતા..મંદિર માં પૂજા પણ કરતા અને મસ્જિદ માં જઈને નમાજ પણ કરતા.

એક દિવસ ની વાત છે મોહમ્મદ પોતાના ગેરેજ માં રીપેરીંગ કરી રહ્યો હતો.તુલસીવીવાહ હોવાથી આજે રાધાકૃષ્ણ ના મંદિર માં સવાર થી ભક્તો ની ભીડ હતી.. મોહમ્મદ ભજન ગાવામાં ઉસ્તાદ હતો એટલે એને ભજન ગાવા માટે ઘણા લોકો આવીને કહી ગયા હતા.. એ ફટાફટ કામ પતાવી પોતાના ઓઇલ વાળા હાથ ધોતો હતો ત્યારે એની નજર મંદિર ની જમણી બાજુ આવેલા વડ ના ઝાડ તરફ પડી..આમ તો વડ જોડે અંધારું રહેતું પણ આજે મંદિર માં કરવામાં આવેલી રોશની નો આછો પ્રકાશ ત્યાં પડી રહ્યો

ત્યાં ઘણા સમય થી ૨ વ્યક્તિઓ ઉભી હતી.પેહલા તો મોહમ્મદ ને લાગ્યું કે આ કોઈ ભક્ત હશે જે દર્શન અર્થે આવ્યા હશે..પણ થોડા સમય થી આ ૨ લોકો ની હરકત મોહમ્મદ નું ધ્યાન ખેંચી રહી હતી..એ લોકો એ જોડે લઈને આવેલા થેલા માંથી કંઈક વસ્તુ કાઢી ને પ્રોસેસ કરી રહ્યા હતા..પછી એ વસ્તુ એમને ટિફિન માં મૂકી અને ટિફિન લઈને મંદિર તરફ ધીમા ડગલે પ્રસ્થાન કર્યું..

એ બંને માંથી એક વ્યક્તિ બાઇક ચાલુ કરી રોડ પર આવીને ઉભો રહ્યો અને બીજા વ્યક્તિ એ કોઈનું ધ્યાન ના જાય એ રીતે મંદિર માં જઇ ને ટિફિન ને બેસવા માટે રાખેલા બોકડા ની બાજુ માં રાખી દીધું અને ઉતાવળા પગલે બહાર આવીને બાઇક પર બેસી ને નીકળી ગયો..મોહમ્મદ એ હાથ ધોતા ધોતા આ દ્રશ્ય જોયું..

તાત્કાલિક મોહમ્મદ ના હૈયા માં ધ્રાસકો પડ્યો કેમકે થોડા દિવસ પહેલા બાજુના શહેર માં મંદિર માં થયેલા વિસ્ફોટ વિશે એને ન્યુઝ પેપર માં વાંચ્યું હતું..એમાં લખ્યા મુજબ એ વિસ્ફોટ વખતે પણ બૉમ્બ ને ટિફિન માં મુકવામાં આવ્યો હતો..મગજ ની ગતિ અત્યારે ફૂલ સ્પીડ માં ચાલી રહી હતી..અને પછીતો વિચારવાનું પડતું મૂકીને મોહમ્મદ એ મંદિર તરફ દોટ મૂકી..

દોડતા પગલે મંદિર માં ઉપસ્થિત લોકો ને દૂર ખસી જવાનું સૂચન કરી એ જલ્દી થી બોકડા સુધી પહોંચ્યો અને બોકડા નીચે રાખેલું ટિફિન હાથ માં લઈ પુરઝડપે બહાર ની તરફ ભાગવાનું શરૂ કર્યું..લોકો એને આવું કરતા જોઈ જ રહ્યા..પેહલા તો લોકો ને કંઈ ખબર ના પડી પણ જ્યારે મોહમ્મદ મંદિર ની પાછળ ની ટેકરી તરફ દોડ્યો ત્યારે ૩-૪ યુવકો પણ એની પાછળ પાછળ ગયા..

મોહમ્મદ ને જ્યારે લાગ્યું કે ટિફિન ને લઈ એ લોકો ની પહોંચ થી દૂર આવી ગયો એટલે એને પુરી તાકાત થી ટિફિન ને ટેકરીઓ થી નીચે ફેંક્યું પણ જ્યારે ટિફિન હવામાં હતું ત્યારેજ અંદર રાખેલો બૉમ્બ ફાટ્યો અને મોહમ્મદ એની અગન જ્વાળા માં સપડાઈ ગયો..બૉમ્બ વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે દૂર સુધી એનો અવાજ સંભળાયો.મોહમ્મદ ઉછળીને ઘણે દૂર ફેંકાઈ ગયો.પેહલા તો મોહમ્મદ ને વધુ કાંઈ સમજાયું નહીં પણ એને પોતાના શરીર ની ચામડી દાઝતી હોય એવું માલુમ પડ્યું અને દર્દ ની અપાર વેદના સહન કરતા કરતા એ ક્યારે બેભાન થઈ ગયો એની પણ એને કંઈપણ ખબર જ ના રહી..!!!

પાછળ આવતા યુવકો એ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તો એમના જીવ જાણે તળિયે બેસી ગયા..બૉમ્બ ના અવાજ ના લીધે ૨ ઘડી તો એ બેહરા થઈ ગયા..પણ તરત જ એમને મોહમ્મદ નો ખ્યાલ આવ્યો અને એ દોડતા મોહમ્મદ સુધી પહોંચ્યા, એનું શરીર ઘણી જગ્યાએ દાઝી ગયું હતું પણ શ્વાસ ચાલતો હતો એટલે એને ઉપાડી ને એ યુવકો તાત્કાલિક દવાખાને લઈ જવા દોડ્યા..

આ વાત વાયુવેગે સમગ્ર રાજ્ય માં પ્રસરી ગઈ..કે એક મુસ્લિમ યુવકે પોતાના જીવ ની થોડી પણ ચિંતા કર્યા બાદ હિન્દુ લોકો ને બચાવવા માટે જાન જોખમ માં મૂકી દીધી..મોહમ્મદ ની હાલત અત્યારે નાજુક હતી.ડોક્ટરો એ પણ એના બચવાની ઉમ્મીદ મૂકી ચુક્યા હતા..નુરી ની આંખ માં આંસુ ઓ અટકવાનું નામ નહોતા લેતા..ખરેખર બહુ ગંભીર ઇજા ઓ ના લીધે મોહમ્મદ લગભગ મોત ના મુખ આગળ આવી પહોંચ્યો હતો..

પણ કીધું છે ને રામ રાખે એને કોણ ચાખે..એક મુસ્લિમ યુવક નો જીવ બચી જાય એ માટે રાજ્ય માં ઠેર ઠેર હોમ હવન થતા હતા..પૂજા પાઠ થતા હતા...લોકો માનતાઓ અને બાધાઓ રાખતા હતા..અને લોકો ની દુવાઓ ની અસર થી ૧૦ દિવસ પછી મોહમ્મદ સંપૂર્ણ ભાન માં આવી ગયો..

ખબર અંતર પૂછવા આવેલા જિલ્લા કમિશનરે મોહમ્મદ ને આવી ને પૂછ્યું "કે તને આ કરતા સહેજ પણ ડર ના લાગ્યો..તને કંઈ થઈ ગયું હોત તો?"

"સાહેબ મને મળેલી આ જીંદગી પણ એક મહાન વ્યક્તિ ની ભેટ જ હતી..એમને મારા માટે ઘણું બધું કર્યું એના બદલામાં તો જે કરું એટલું ઓછું હતું..આજે મારા લીધે સેંકડો લોકો નો જીવ બચ્યો, ઘણા બાળકો ની જિંદગી બચી એ મારા માટે મારા જીવ થી વધુ મહત્વ ધરાવે છે"મોહમ્મદ એ જવાબ આપ્યો..

મોહમ્મદ નો જવાબ સાંભળી કમિશનર સાહેબ ને પણ મોહમ્મદ પ્રત્યે ભારોભાર માન ઉભરી આવ્યું..મોહમ્મદ એ ત્યારબાદ બૉમ્બ મુકવા આવેલા બંને વ્યક્તિઓ ના ચેહરા અને બાઇક નંબર વિશે પોલીસ ને બધી માહિતી આપી જેનાથી પોલીસે ટૂંકા સમય માં બંને ને પકડી પણ લીધા..

સરકાર તરફ થી મોહમ્મદ ની દવા નો બધો ખર્ચ ઉઠાવવામાં આવ્યો અને એના બંને બાળકો નો ભણવાનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે એવી ઘોષણા થઈ..આ ઉપરાંત રાજ્ય સરકારે ૨૫ લાખ રૂપિયા નો ચેક પણ આપ્યો.જેનો ઉપયોગ કરી મોહમ્મદ એ ગામ માં પોતાના પિતાજી દશરથ મહારાજ અને મા જાનકી દેવી ના નામે દવાખાનું ખોલાવ્યું..એના આ કામ ની સર્વત્ર નોંધ લેવાઈ અને પ્રશંસા પણ થઈ..અને જ્યારે બધા એ મોહમ્મદ ની જિંદગી ની હકીકત વિશે જાણ્યું ત્યારે બધા એ મોહમ્મદ ને એક "મિસાલ એ એકતા"..નામ આપ્યું..હિન્દુ મુસ્લિમ એકતા ની જીવતી જાગતી મિસાલ..!!!

મિત્રો આપણો દેશ બિનસાંપ્રદાયિક છે જેમાં દરેક ધર્મ ના લોકો રહે છે.. પણ હિન્દુ મુસ્લિમ લોકો વચ્ચે વર્ષો થી ઘર્ષણ થતું રહ્યું છે.. હજુ પણ કટ્ટરવાદી લોકો બંને સંપ્રદાય ના લોકો ને અંદર અંદર ઝગડાવી પોતાનો અંગત લાભ પૂરો પાડતા હતા.. પણ જો બધા લોકો દશરથ મહારાજ ની જેમ નિસ્વાર્થ ભાવે માનવતા ને સૌથી મોટો ધર્મ સમજે તો દેશ માં હજારો મોહમ્મદ નો જન્મ થશે એ વાત માં કોઇ નવાઈ નથી. મારી બીજી નોવેલ આખરી દાવ અને બેકફૂટ પંચ પણ આપ વાંચી શકો છો માતૃભારતી પર. આ વાર્તા અંગેનો આપ નો અભિપ્રાય મારા whatsup number 8733097096 પર જણાવી શકો છો..

-જતીન. આર.પટેલ