Bazi - 1 books and stories free download online pdf in Gujarati

બાજી - 1

બાજી

કનુ ભગદેવ

1 - હરિફાઈ....!

શેઠ અમીચંદ પોતાના બંગલાની અગાશી પર આંટા મારતો કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો.

એનો એક હાથમાં વ્હિસ્કી ભરેલો ગ્લાસ અને બીજા હાથમાં સિગારેટ જકડાયેલી હતી.

એના ચ્હેરા પર માનસિક મૂંઝવણ, ચિંતા અને વ્યાકુળતાના હાવભાવ છવાયેલા હતા.

એને પોતાનું તથા પોતાના કુટુંબનુ ભવિષ્ય અંધકારમાં ડૂબેલું દેખાતું હતું.

એની નજર દૂર ક્ષિતિજમાં આથમી રહેલો સૂર્ય પર સ્થિર થયેલી હતી.

ત્યારબાદ તે આગળ વધીને એક ખુરશી પર બેસી ગયો.

એણે ફરીથી નિરાશાભરી નજરે આથમતા સૂર્ય સામે જોયું. સૂર્યની જેમ પોતાના જિંદગી પણ આથમવાની તૈયારીમાં જ છે, એમ તેને લગતું હતું.

એની નિરાશા, ચિંતા અને મૂંઝવણનું એક જ કારણ હતું.

અત્યારે એની કંપની ગાયત્રી ફર્ટીલાઈઝર એન્ડ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ ખોટમાં ચાલતી હતી.

કંપનીનું ઉત્પાદન અને ઉત્પાદિત થયેલા માલના નિકાલનું કામ જોરશોરથી ચાલુ હતું. પરંતુ હુકમચંદ ફર્ટીલાઈઝર એન્ડ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે તેની કંપનીની તીવ્ર હરિફાઈ ચાલતી હતી.

પરિણામે માલ પડતર ભાવ કરતાંય ઓછી કિંમતથી વેચવો પડતો હતો.

એને આ હરિફાઈમાં ખૂબ જ નુકશાન થતું હતું. પરંતુ તેમ છતાંય તે અત્યાર સુધી હરિફાઈના મેદાનમાં ટકી રહ્યો હતો.

આ દરમિયાન એના પર કરોડીમલ મારવાડીનું ઘણું દેવું ચડી ગયું હતું.

આ હરિફાઈમાંથી નીકળી જવાનો પણ એને વિચાર આવતો હતો. પરંતુ એનું આત્મ સન્માન તેના આ વિચારનો અમલ નહોતો કરવા દેતો.

જો બંને કંપનીઓ વચ્ચે આ જ રીતે હરિફાઈ ચાલતી રહેશે તો, હુમકચંદનું તો જે થવાનું હશે, તે થશે, પણ પોતે જરૂર બરબાદ થઈ જશે એ વાત તે જાણતો હતો. કરોડીમલનું દેવું ચુકવવા માટે તેને પોતાની તમામ માલ મિલકત વેચી નાખવી પડશે... બંગલામાંથી ફૂટપાથ પર આવી જવું પડશે... એની પણ તેને ખબર હતી.

ફૂટપાથ પર આવવાની કલ્પના માત્રથી જ તે સર્વાગે ધ્રુજી ઊડ્યો.

એનો ધબકારા એકદમ વધી ગયા અને કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી.

એણે એકીશ્વાસે પેગ ખાલી કરીને સિગારેટનો કસ ખેચ્યો.

પંરતુ વળતી જ પળે તે એકદમ ધૂંધવાયેલા કારણ કે સિગારેટ બુઝાઈ ગઈ હતી.

એણે તેને જમીન પર ફેંકીને બૂટ વડે મસળી નાખ્યા પછી બીજી સિગારેટ સળગાવી, ત્યારબાદ તે આંખો બંધ કરીને ધીમે ધીમે સિગારેટના કસ ખેંચતો વિચારમાં ડૂબી ગયો.

થોડીવાર પછી જ્યારે એણે આંખો ઉઘાડી ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો અને ધરતી પર અંધારું ઊતરી આવ્યું હતુ. એને સુધી અગાશી તેમજ એના રૂમની લાઈટ ચાલુ નહોતી કરી. અગાશી પર જ એનો રૂમ હતો.

એ નોકરને બૂમ પાડીને તેના પર ક્રોધ ઠાલવે તે પહેલાં જ કોઈકના વજનદાર પગલાંનો સ્વર તેને સંભળાયો.

આગંતુક પોતાનો વફાદાર નોકર ભીમસેન છે, એ વાત તે પગલાંના અવાજ પરથી સમજી ગયો હતો.

ભીમસેન એના ખંડમાં જઈને બત્તી ચાલુ કરી.

ભીમસેન અગાશીની લાઈટ પણ કરજે....’ અમીચંદે ઊંચા અવાજે કહ્યું.

ભીમસેને અગાશીની લાઈટ ચાલુ કરી.

‘ આપ અહીં છો સાહેબ...?’ એ બહાર નીકળીને તેની પાસે પહોંચીને બોલ્યો, ‘ મને તો એમ કે આપ હજુ સુધી ઓફિસેથી જ નથી આવ્યો.’

‘ તે મને બંગલામાં આવતો નહોતો જોયો ?’

‘ ના, સાહેબ...હું માજી સામે મંદિરે ગયો હતો....હમણાં જ પાછો ફર્યો છું આપની કાર ન જોઈ એટલે મને લાગ્યું કે આપ કદાચ નહીં આવ્યા હો...’

‘ ઓફિસેથી આવતી વખતે કારમાં કંઈક ખોટકો થયો હતો, એટલે કારને ગેરેજમાં મૂકી, ટેક્સીમાં બેસીને હું આવ્યો હતો.’

એણે જવાબ આપ્યો.

‘ ઓહ....આપને કોઈ ચીજ-વસ્તુની જરૂર છે સાહેબ ?’

‘ હા...તળેલાં કાજુ લઈ આવ....!’

ભીમસેન હકારાત્મક ઢબે માથું હલાવીને ચાલ્યો ગયો.

અમીચંદ ઊભો થઈને પોતાના શયનખંડમાં આવ્યો.

એણે પોતાને માટે એક પેગ બનાવ્યો અને પછી આરામ ખુરશી પર બેસીને ધીમે ધીમે ઘૂંટડા ભરવા લાગ્યો.

ભીમસેન આવીને તળેલા કાજુની પ્લેટ મૂકી ગયો.

થોડાં કાજુ ખાધા પછી તે ફરીથી વિચારમાં ડૂબી ગયો.

જાણે હમણાં જ ગાંડો તઈ જશે એવા હાવભાવ તેના ચહેરા પર છવાયેલા હતા.

પછી વિચારતાં વિચારતાં ચમનલાલ જૈન યાદ આવતાં જ એની આંખોમા ચમક પથરાઈ ગઈ.

ચહેરા પર રાહતના હાવભાવ છવાઈ ગયો.

ચમનલાલ જૈન ભરતપુરનો સૌથી મોટો ઉદ્યોગપતિ હતો. કરોડો રૂપિયાની માલ-મિલકતનો આસામી હતો.

ચમનલાલ જૈનની પુત્રી સુલોચના સાથે તેના સૌથી નાના પુત્ર ગોપાલના લગ્નની વાતચીત ચાલતી હતી.

આ લગ્ન થઈ જાય તે માટે એ મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. કારણ કે ચમનલાલ પાસેથી કરિયાવરની સાથે સાથે એની તમામ મિલકત મળવાની પણ તેને આશા હતી. સુલોચના ચમનલાલની એક માત્ર સંતાન હતી અને ચમનલાલના અવસાન પછી એની બધી મિલકત તેને જ મળવાની હતી.

જો ગોપાલના લગ્ન સુલોચના સાથે થાય અને ચમનલાલની મિલકત તેને મળે તો એ કરોડોમિલનું દેવું ભરપાઈ કરવાની સાથે સાથે હુકમચંદને પણ ધોળે દિવસે તારા બતાવી શકે તેમ નહોતો.

આ વિચાર આવતાંની સાથે જ એના ચ્હેરા પર રાહતના હાવભાવ છવાઈ ગયા.

એ જ વખતે ભીમસેન ત્યાં આવ્યો.

‘ સાહેબ...!’ એ આદમભેર બોલ્યો, ‘ જોરાવર આપને મળવા માટે આવ્યો છે.’

‘ ઠીક છે...એને મોકલ....!’

ભીમસેન ચાલ્યો ગયો.

બે મિનિટ પછી જોરાવર તેના ખંડમાં પ્રવેશ્યો.

‘ જોરાવર આશરે છ ફૂટ ઊંચો અને સશક્ત બાંધો ધરાવતો માણસ હતો. એને જોઈને પહેલી જ નજરે કોઈ પણ માણસ, તે બદમાશ છે એવું સ્પષ્ટ રીતે કહી શકે તેમ હતો.

‘ આવ જોરાવર...બો....’

જોરાવર અમીચંદની સામે એક ખાલી ખુરશી પર બેસી ગયો.

‘ બોલ...શા માટે આવવું પડ્યું....?’ એણે પ્રશ્નાર્થે નજરે તેની સાથે જોતાં પૂછ્યું.

‘ સર...! દસની ઓક્ટોબર શંકર જેલમાંથી છૂટી જશે....!’ જોરાવર બોલ્યો.

‘ શું....?’ જાણે અચાનક જ ખુરશીમાં ઈલેક્ટ્રીક કરંટ વહેવો શરૂ થયો હોય એમ અમીચંદ ઊંછળી પડ્યો.

એના ચ્હેરા પર ચિંતા અને વ્યાકુળતાના હાવભાવ છવાઈ ગયા.

‘ હા...હું સાચું જ કહું છું....!’ જોરાવરનો અવાજ ગંભીર હતો.

અમીચંદની નજર સામે પોતાની માના ખૂની શંકરનો ચહેરો તરવરી ઊઠ્યો હતો. વાસ્તવમાં પોતાની માનું ખૂન અમીચંદે જ કર્યું હતું.પરંતુ એણે રૂપિયાની લાલચ આપીને શંકરને આરોપ પોતાને માથે લેવાનું કહ્યું હતું. શંકરે એના વચન પર ભરોસો રાખીને તેને બે લાખ રૂપિયા પોતાની પ્રેમિકાને પહોંચાડી દેવાનું જણાવ્યું હતું. કોર્ટે શંકરને ગુનેગાર ઠરાવીને ચૌદ વર્ષની સજા કરી હતી. શંકર જેલમાં ગયો ત્યાર પછી અમીચંદે પૈસા ન આપવા પડે એટલા ખાતર તેની પ્રેમિકા અને તેની માતાના ખૂન કરી નાખ્યા હતા. જેલમાં શંકર શાંતિથી રહેત તો તે ચૌદ વર્ષમાં જ બહાર નીકળી જાત. પરંતુ સજા દરમિયાન એણે ત્રણ વખત જેલમાંથી નાસી છૂટવાના પ્રયાસો કર્યા હતા. અને ત્રણેય વખત એ પકડાઈ ગયો હતો. પરિણામે એની સજામાં વધારો થતો ગયો અને બાવીસ વર્ષ પછી એટલે કે દસમી ઓક્ટોબર તે છૂટવાનો હતો.

‘ આપ શું વિચારમાં પડી ગયો છો સાહેબ...?’ જોરાવરના અવાજથી એની વિચારધારા તૂટી.

‘ હું શંકરનો જ વિચાર કરતો હતો. જોરાવર...!’ એણે નંખાઈ ગયેલા અવાજે કહ્યું.

‘ એને વિશે વળી શું વિચારવાનું હોય સાહેબ ? કદાચ તેને આપની સાથે કોઈ દુશ્મનાવટ હોય તો પણ એ આપનું કંઈ જ બગાડી શકે તેમ નથી. ઉપરાંત હું બેઠો છું. ત્યાં સુધી આપને કશીયે ફિકર કરવાની જરૂર નથી. એ ડોકરો આપને કોઈ જાતનું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તો મારા માણસો તેને ચપટીમાં ચોળી નાખશે.’

‘ જોરાવર...!’ એ ગ્લાસ ખાલી કરીને ટેબલ પર મૂકતાં બોલ્યો, ‘ તું શંકરને નથી ઓળખતો એટલા માટે જ આવું કહે છે...જો ઓળખતો હોત તો ક્યારેય તેના વિશે આવા વેણ ન ઉચ્ચારત! શંકરનો પણ જમાનો હતો...! એ વખતે તે એકલો જ દસ-પંદર માણસો માટે ભારે પડી જતો હતો...! આજે એ વદ્ધ તઈ ગયો છે. તો પણ તારા જેવા બે-ચાર માણસને તો જરૂર પહોંચી વળે એમ છે....!’ સિંહ ઘરડો થઈ જાય, તો પણ એ સિંહ જ રહે છે...! સમયના મારથી એ શિયાળ નથી બની જતો!’

‘ સાહેબ...! જિંદગીમાં આજે પહેલી જ વાર હું આપના મોંએથી એક દુશ્મનનાં વખાણ સાંભળું છું.’

‘ જે દુશ્મન બહાદુર હોય...પીઠ પાછળ ઘા ન કરતાં સામી છાતીએ આવીને લડે, એને હું વખાણને યોગ્ય સમજું છું. જોરાવર...! શંકર મારો આવો જ જોખમરૂપ નીવડી શકે તેમ છે.’

‘ એટલે....? હું સમજ્યો નહીં...?’ આપ કહેવા શું માંગો છો સાહેબ...?’ જોરાવરે મુંઝવણભર્યા અવાજે પૂછ્યું.

‘ શંકર તરફથી મને શારીરિક આર્થિક નુકસાનનો કોઈ ભય નથી જોરાવર...!’

‘ તો...?’

‘ મને ભય છે મારી સામાજીક પ્રતિષ્ઠાનો...! શંકર મારા અંગત જીવનના અમુક એવા ભેદ જાણે છે કે જે ઉજાગર થાય તો મારી આબરૂ પર પાણી ફરી વળે તેમ છે! એ ભવિષ્યમાં મને બ્લેકમેઈલ કરી શકે તેમ છે. મારી આબરૂનો ધજાગરો કરી શકે તેમ છે. આ સંજોગોમાં હું કોઈને મોં બતાવવાને લાયક નહીં રહું...! મારી પાસે આપઘાત સિવાય છૂટકારાનો બીજો કોઈ માર્ગ બાકી નહીં રહે!’ અમીચંદે પીડાભર્યા અવાજે કહ્યું.

‘ આ આપ શું કહો છો સાહેબ...?’ જોરાવરે આશ્ચર્ય સભર અવાજે પૂછ્યું.

‘ જોરાવર...’ તું મારો ખાસ માણસ છો! તારી પાસે હું ક્યારેય ખોટું નથી બોલતો એની તને ખબર જ છે! હું જે કંઈ કહું છું. તે સાચું જ કહું છું. શંકર ખરેખર જ મને આપઘાત માટે લાચાર કરી શકે તેમ છે. આ દુનિયામાં માણસને જો સૌથી વધુ કોઈના ભય લાગતો હોય, તો એ ભય છે આબરૂ જવાનો! આબરૂ એને પોતાના જીવ કરતાંય વધુ વહાલી હોય છે.! હું મોતને હસતા મોંએ વધાવી લઈશ. પરંતુ આબરૂ જવાનો! આઘાત મારાથી સહન નહીં થાય! શંકરની જિંદગી મારે માટે વાતથીયે બદતર નર્ક છે એનું મોત મારી પ્રતિષ્ઠિત જિંદગી છે એમ જ માની લે!’

‘ ઓહ...તો મારે શંકરને ઠેકાણે પાડી દેવાનો છે એમ ને ?’

‘ જોરાવર...ખરેખર તું યોગ્ય માણસ છો...! મને કહેતાં વાર લાગે છે, પણ તને સમજાતાં વાર નથી લાગતી...પરંતુ...’

‘ પરંતુ , શું....?’

‘ આ કામ તારે ખૂબ જ સાવચેતીથી કરવાનું છે. જો તું પકડાઈ જઈશ... કાયદાની ચુંગાલમાં ફસાઈ જઈશ, તો તારા રૂપમાં મારો જમણો હાથ કપાઈ જસે એટલું યાદ રાખજે!’

‘ આપ બિફિકર રહો સાહેબ...! હું રૂસ્તમ અને નારંગ જેવા ખતરનાક બદમાશોને ઠેકામે પાડી ચૂક્યો છું તો પછી આ શંકરની તેમની સામે શું હેસિયત છે!’ જોરાવર ગર્વભર્યા અવાજે બોલ્યો.

‘ જોરાવર...’ અમીચંદનો અવાજ ગંભીર હતો, ‘ જો તું શંકરનું મહત્વ પણ રૂસ્તમ તથા નારંગ જેટલું આંકીશ તો ચાપ ખાઈ જઈશ! શંકર આવા બે-ચાર રૂસ્તમ નારંગને સહેલાઈથી પહોંચી વળે તેમ છે....! એ જેલમાં ગયો. ત્યારે વીસ વર્ષનો હતો. આજે એની ઉંમર આશરે પીસતાળીસ વર્ષની હશે. અને આ ઉંમર કંઈ મોટી ન કહેવાય...! એ ઘાયલ થયેલા સાપ જેવો છે. અને આવો સાપ કેટલો ખતરનાક હોય છે, એની કલ્પના તું પોતે જ કરી લે! એ ઘાયલ થયેલા સાપ દુશ્મનને ડંખ મારવાની કાર્યવાહી શરૂ કરી દે છે! કોઈકે સાચું જ કહ્યું છે કે જો શિયાળનો શિકાર કરવો હોય તો, સિંહના શિકારમાં કામ લાગે એવું હથિયાર લઈ ને જવું જોઈએ. હા, જોરાવર...! દુશ્મનને ક્યારેય કમજોર ન માનવો જોઈએ...! રાવણે હનુમાનને મામૂલી વાંદરો સમજીને છોડી દીધો હતો અને હનુમાને એની લંકાને સળગાવી નાખી હતી.

જોરાવરના ચહેરા પર હિંસાના હાવભાવ છવાઈ ગયા.

એણે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું.

‘ દસમી ઓક્ટોબર એ કમજાતની જિંદગીનો છેલ્લો દિવસ હોવો જોઈએ જોરાવર...!’ કહેતાં કહેતાં અમીચંદના જડબા ભીંસાયા

એ પોતાને માટે પેગ બનાવવા લાગ્યો.

‘ સાહેબ....!’ જોરાવર મક્કમ અવાજે બોલ્યો, ‘ દસમી ઓક્ટોબર સવારે સેન્ટ્રલ જેલનું ફાટક ઉઘડતાંની સાથે જ આપની ઈચ્છા પૂરી થઈ જશે.’

અમીચંદે ઊભા થઈ, કબાટમાંથી સો રૂપિયાવાળી નોટનું એક બંડલ કાઢીને જોરાવરની સામે ટેબલ પર મૂકી દીધું.

‘ આની શું જરૂર હતી સાહેબ...?’ જોરાવરે ઔપચારિકતા ખાતર પૂછ્યું. અલબત્ત, હાડકું જોઈને શિયાળની આંખોમાં જે લાલચભરી ચમક પથરાય, બરાબર એવી જ ચમક દસ હજાર રૂપિયાનું બંડલ જોઈને એની આંખોમાં પથરાઈ ગઈ હતી.

‘ આ રકમ હું તને તારા સાથીદારોના ખર્ચ માટે આપું છું. તારું ઈનામ તો જે દિવસે પોલીસ શંકરના બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરશે, ત્યારે આપીશ...!’

જોરાવરે બંડલને ગજવામાં મૂકી દીધું.

‘ હવે મને રજા આપો સાહેબ...!’ એ ઊભો થતાં બોલ્યો.

‘ હા...પણ કામ સાવચેતીથી કરજે અને...’

અમીચંદનું વાક્ય અધુરું રહી ગયું.

એજ વખતે તેની પત્ની ગાયત્રી અંદર પ્રવેશી.

જોરાવરે ગાયત્રીના કઠોર ચહેરા સામે જોયું. પછી તરત જ બહાર નીકળી ગયો.

ગાયત્રીએ પોતાની તથા જોરાવર વચ્ચે થયેલી વાતચીત સાંભળી લીધી છે, એ વાત અમીચંદ એના ચહેરા પર છવાયેલા હાવભાવ પરથી તરત જ સમજી ગયો હતો.

એનો ચહેરો કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો.

‘ ગ...ગાયત્રી...!’ એ થોથવાતા અવાજે બોલ્યો.

‘ હા...’ ગાયત્રીએ વિષાદભર્યું સ્મિત ફરકાવતાં કહ્યું, ‘ તમે હંમેશા કોઈ શુભ નહીં પણ ટંટો ફસાદના કામ જ વિચારો છો. કોઈ કે સાચું જ કહ્યું છે કે વાંદરો ઘરડો થાય, તો પણ ગુલાંટ મારવાનું નથી ભૂલતો! કમ સે કમ તમે તમારી ઉંમરનો વિચાર તો કરો...તમે જેટલા વર્ષો પસાર કર્યા છે, એટલા વર્ષો હવે પસાર નથી કરી શકવાના...! જિંદગીનો જે થોડો સમય બચ્યો છે. એને પ્રભુભજનમાં પસાર કરો ને...!’ છેવટે તો તમારે પ્રભુના શરણે જ જવાનું છે! હું તમને એમ પૂછું છું કે તમે શું મોં લઈને એની પાસે જશો ? એ તમારી પાસે તમારા ગુનાઓનો હિસાબ માગશે તો તમે ક્યા મોંએ હિસાબ આપશો ?

‘ બકવાસ બંધ કર તારો...!’ અમીચંદ ધૂંધવાતા અવાજે બોલ્યો.

‘ મારી વાત તમને હંમેશા બકવાસ જ લાગે છે!’ કહેતાં કહેતાં ગાયત્રીનો ચહેરો એકદમ ગંભીર થઈ ગયો, ‘ અને એમાં તમારો નહીં., પણ મારો જ વાંક છે.! કાશ...મેં તમારી સાથે લગ્ન ન કર્યા હોત...હું તમારા બાળકોની માતા ન બની હોત...તો...તો...જે ગુનાઓ તમે વર્ષોતી કરતા આવ્યા છો. એમાં ભાગીદાર તો ન બનત! આ દુનિયાં જે સ્ત્રીનો પતિ પાપના માર્ગે ચાલે છે. તથા એનું દરેક પગલું ગુનાઓના કીચડમાં પડે છે. એ સ્ત્રી સૌથી વધુ કમનસીબ હોય છે!’

‘ ગાયત્રી...તું છેવટે કહેવા શું માગે છે!’ અમીચંદે તમ તમતા અવાજે પૂછ્યું.

‘ એ વાતને પડતી મૂકો...! હું શું કહેવા માગું છું., એટલું જ માત્ર તમે પૂછી જાણો છો! હું જે કહેવા માગું છું. એ તો ક્યારેય સાંભળતા જ નથી અને સાંભળો છો, તો પણ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખો છો. ખેર, અત્યારે હું માત્ર એટલું જ કહેવા માગું છું. કે તમે શંકરને મારી નાખવાનો વિચાર તમારા દિલ અને દિમાગમાંથી કાઢી નાખો...!’

‘ તો શું હું આપઘાત કરી લઉં એમ...?’

‘ એટલે...?’ શંકર મારા અમુક એવા ભેદ જાણે છે કે જો એ ભેદ છતાં થાય તો મારે આપઘાત જ કરવો પડે!’

સાંભળો...શંકર બાવીસ વર્ષ પછી જેલમાંથી છૂટે છે...! એ શરીફ માણસ બનીને જેલમાંથઈ બહાર નીકળે, તે બનાવાજોગ છે. તમે નાહક જ અનું ખૂન કરીને શા માટે તમારી સાથે મને પણ પાપમાં ભાગીદાર બનાવો છો ? અને કદાચ જો કોઈ ખરાબ માણસ હોયતો એનો અર્થ એવો નથી થતો કે તેનું ખૂન કરી નાખવું!’

‘ ગાયત્રી...તું બાવા આદમના જમાનાની વાત કરે છે! આજના જમાનામાં માણસાઈ અને પાપ-પુણ્યની વાતો માણસની જિંદગીમાં નહીં પણ, પુસ્તકો સુધી જ સિમિત રહી ગઈ છે. આવા પુસ્તકો વાંચીને મુરખ લોકો પોતાના મનને મનાવે છે! આજનો યુગ શયતાનીયતનો છે! આજના જમાનામાં તો જે માણસ જેટલો વધુ શયતાન હોય, તેને સમાજનો એટલો જ મોટો માણસ માનવામાં આવે છે...! એને માન મળે છે....એની આરતી ઉતારવામાં આવે છે...પૂજા કરવામાં આવે છે...! આજના જમાનામાં માણસાઈ ધરાવતા માનવીનો કોઈ ભાવ નથી પુછતું. બધા એનાથી દૂર રહે છે...! એને મૂરખ કહીને ડગલે ને પગલે તેનું અપમાન કરે છે. આ જમાનો માણસાઈનો નહીં, પણ શયતાનિયતનો છે સમજી...?’

‘ હા...સમજી...!’

‘ શું...?’

‘ મેં આ સમાજમાં રહીને ઘણું બધું જાણ્યું છે. લગ્ન વખતે હું તમને નહોતી સમજી શકી...પરંતુ મારા સદનસીબે લગ્નના છ મહિના પછી મેં તમને પણ સમજી લીધા છે! તમારું અસલી રૂપ જોયા પછી મને આપઘાત કરવાનો વિચાર પણ આવ્યો હતો પરંતુ પિતાજીને કારણે મારે મારો આ વિચાર માંડી વાળ્યો હતો. જો મેં એ વિચાર ન માંડી વાળ્યો હોત તો આજે હું આટલી દુ:ખી ન હોત...!’

‘ મેં આ સમાજમાં રહીને ઘણું બધું જાણ્યું છે. લગ્ન વખતે હું તમને નહોતી સમજી શકી... પરંતુ મારા સદનસીબે લગ્નના છ મહિના પછી મેં તમને પણ સમજી લીધા છે! તમારું અસલી રૂપ જોયા પછી મને આપઘાત કરવાનો વિચાર પણ આવ્યો હતો પરંતુ પિતાજીને કારણે મારે મારો આ વિચાર માંડી વાળ્યો હતો. જો મેં એ વિચાર ન માંડી વાળ્યો હોત તો આજે હું આટલી દુ:ખી ન હોત...!’

‘ શટ અપ...!’ અમીચંદ જોરથી બરાડ્યો, ‘ તને અહીં શું દુ:ખ છે...? તારી પાસે કઈ ચીજની કમી છે ?’

‘ તમે મારા તથા બાળકો માટે પૈસા ભેગા કરીને અમને સુખી બનાવી દીધાં છે, એમ માનતા હો તો તમારી આ માન્યતા ખોટી છે. આ માત્ર તમારો ભ્રમ જ છે...! તમારી આ માન્યતા ખોટી છે. આ માત્ર તમારો ભ્રમ જ છે...! ખુશી પૈસાની મોહતાજ નથી હોતી! માત્ર પૈસો હોવાને કારણે જ કોઈ માણસ સુખી નથી થઈ જતો...! મારા પિતાજીએ મરતી વખતે આપણને દસ લાખ રૂપિયાની મિલકત સોંપી હતી. તેમની એ લાખોની મિલકતને આજે તમે કરોડોમાં ફેરવી નાખી છે. પરંતુ તેમ છતાંય પિતાજીની હૈયાતિમાં મને જે ચેન અને નિરાંત હતી. તે અત્યારે નથી. મારા મનને ક્યાંય ચેન નથી પડતું’

‘ તારા પિતાજી મૃત્યુ પામ્યા છે એટલા માટે તને ચેન નથી પડતું ?’

‘ ના... આ દુનિયામાં કોઈ અમરપટ્ટો લખાવીને નથી આવ્યું.! સૌએ એક દિવસ મારવનું જ છે! જનમ-મરણની આ પ્રક્રિયા તો કુદરતી છે જેને આજ સુધી કોઈ જ નથી બદલી શક્યું ને ભવિષ્યમાં પણ નહીં બદલી શકે!’

‘ તો પછી...?’

‘ હું એમ કહેવા માગું છું કે પિતાજીએ જે પૈસા ભેગા કર્યા હતા, તે તેમના પરસેવાના અને ઈમાનદારીના હતા. અને તમે જે પૈસા એકઠા કર્યા છે, તે લોહીના...પાપના છે! ઈમાનદારીના પૈસામાં હંમેશા બરકતી હોય છે. જ્યારે પાપનો પૈસો માણસને ડૂબાડી દે છે! ઈમાનદારીથી કમાયેલા સો રૂપિયામાં જો એક રૂપિયા પણ બેઈમાની કે પાપનો ભળે તો આ એક રૂપિયો, ઈમાનદારીના સો રૂપિયાને પણ સાથે લેતો જાય છે! બેઈમાનીના પૈસાથી માણસ પોતાની જાતને સુખી ગણાવે છે. પરંતુ એમાં તેને બરકત નતી રહેતી.’

અમીચંદની નજર સામે હુકમચંદનો ચહેરો તરવરી ઊઠ્યો. એ હુકમચંદ કે જે તેને હરિફાઈમાં કંગાળ બનાવી ચુક્યો હોત!

ગાયત્રીની વાત સાચી છે એવું તેને લાગતું હતું.

બેઈમાનીનો પૈસો જ માણસની બરબાદીનું મોટામાં મોટું કારણ છે!

પરંતુ વળતી જ પળે એણે પોતાના મગજમાંથી આ વિચાર કાઢી નાખો.

‘ તમે મારી વાત પર શાંતિથી વિચાર કરશો એવી મને આશા છે.’

‘ હું વિચારીશ...!’ એનાથી પણ છોડાવવાના હેતુથી અમીચંદ બોલ્યો.

ગાયત્રી થાકેલા પગલે બહાર નીકળી ગઈ.

અમીચંદ માનસિક સંતુલન જાળવી રાખવા માટે એક સિગારેટ સળગાવીને ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.

એણે ઘડિયાળમાં સમય જોયો.

રાતના સાડા દસ વાગી ગયા હતા.

સિગારેટ પૂરી કર્યા પછી તે પલંગ પર આડો પડ્યો.

થોડીવારમાં જ તેને ઊંઘ આવી ગઈ.

બીજે દિવસે સવારે આઠ વાગ્યે-

અમીચંદ પોતાના બંગલાની આલિશાન લોનમાં બેસીને કોફીના ઘૂંટડા ભરતો હતો.

કોફી પીધા પછી સિગારેટ સળગાવીને તે પોતાની કંપનીનો વિચાર કરવા લાગ્યો. એની કંપની હુકમચંદની કંપની સાથેની હરિફાઈને કારણે દેવાળું ફૂંકવાની હાલતમાં પહોંચી ગઈ હતી. હુકમચંદની સામે માથું નમાવી દેવાનું....હાર કબૂલી લેવાની તેને ઈચ્છા થતી હતી. પરંતુ એનો આત્મા તેની ઈચ્છાને દબાવી દેતો હતો.

કંપનીની ખોટ વિશે હજુ સુધી તેની પત્ની ગાયત્રી, મોટો પુત્ર મહેશ, વચેટ પુત્ર રાકેશ અને નાના પુત્ર ગોપાલને ખબર નહોતી પડી.

મહેશ અને રાકેશના લગ્ન થઈ ગયા હતા. મહેશના પુત્રનું નામ સૂરજ હતું જ્યારે રાકેશની પુત્રીનું નામ ગુડ્ડી હતું.

જ્યારે ગોપાલ એમ.કોમ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

મહેશ અને રાકેશ ભેગા થઈને કોઈક નવો ઉદ્યોગ સ્થાપવા માગતા હતા. પરંતુ હમણાં કંપનીમાંથી પૈસા ફાળવી શકાય તેમ નથી એવું કહીને અમીચંદે તેમની વાતને ટાળી દીધી હતી.

‘ સાહેબ...!’ સહસા ભીમસેને તેની નજીક આવીને બોલ્યો. અમીચંદે પ્રશ્નાર્થે નજરે તેની સામે જોયું.

‘ ચમનલાલ સાહેબનો ફોન આવ્યો છે!’

એની વાત સાંભળીને અમીચંદની આંખોમાં ચમક પથરાઈ ગઈ. ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા.

એ ઉતાવળા પગલે આગળ વધીને ડ્રોઇંગરૂમમાં પહોંચ્યો.

‘ હલ્લો....!’ એણે રિસીવર ઊંચકીને કાને મૂકતાં શિષ્ટાચાર ભર્યા અવાજે કહ્યું, ‘ ગુડ મોર્નિંગ જૈન સાહેબ!’

‘ ગુડ મોર્નિંગ...મિસ્ટર અમીચંદ....!’

‘ ફરમાવો....શા માટે યાદ કરવો પડ્યો....? અરે હા...આપ પાંચ-સાત દિવસમાં આવવાનું કહેતા હતા, તો ક્યારે આવો છો ?’

‘ હું એકલો આવું એમાં શું વળે મિસ્ટર અમીચંદ...? હું તો ગાપલને જોતાંવેં ત જ મારી દિકરી માટે પસંદ કરી ચૂક્યો છું.’

‘ તો શું હું વાત પાકી માનું ?’

‘ ના...’

‘ કેમ...?’ અમીચંદનુ હૃદય કોઈક અજાણી આશંકાથી ધબકવા લાગ્યું.

‘ ગોપાલ અને સુલોચના એકબીજાને મળી લે... પસંદ કરી લે...ત્યાર પછી જ વાત નક્કી થશે! સુલોચના મારી એકની એક પુત્રી છે...! એની દરેક ખુશી મને મારા જીવ કરતાં પણ વધુ વહાલી છે. એની ઈચ્છા વિરુદ્ધ હું તેના લગ્ન નહીં કરું....! જ્યાં એની મરજી હશે, ત્યાં જ એનાં લગ્ન કરીશ.’

‘ હા... એ વાત મુદ્દાની છે...! ખેર, સુલોચના દિકરી અમેરિકાથી ક્યારે આવે છે ?’

‘ આ મહિનાની વીસમી તારીખે એ સ્વદેશ પાછી ફરશે....! હું આવતા મહિનાની પહેલી અથવા બીજી તારીખે તેને લઈને આપને પાસે વિશાળગઢ આવશે.’

‘ હું આપની રાહ જોઈશ જૈન સાહેબ!’

‘ વારૂ, આપનું કામકાજ કેમ ચાલે છે ?’

‘ બરાબર ચાલે છે...!’

‘ સારું...સુલોચના આવશે ત્યારે હું આપને ફોન કરીશ.’ કહીને સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

અમીચંદે પણ રિસીવર મૂકી દીધું.

સુલોચનાને ગોપાલ ગમી જાય, એ માટે તે ભગવાનને પ્રાર્થના કરતો હતો.

સુલોચનાની પસંદગી પર જ તેનો બધો આધાર હતો.

  • ***
  • મહેશ નર્યા-નિતર્યા અચરજથી પોતાના પિતા અમીચંદ સામે તાકી રહ્યો હતો.

    ‘ આ....આ તમે શું કહો છો પિતાજી...?’ એણે એવિશ્વાસ-ભર્યા અવાજે પૂછ્યું. એના કપાળ પર પ્રશ્વેદ બિંદુઓ ચમકતાં હતા.

    એવી જ હાલત રાકેશ, મહેશની પત્નિ સારિકા, રાકેશની પત્નિ સરોજ અને ગાયત્રીની હતી.

    પાંચેયની અચરજભરી નજર અમીચંદના ચહેરા પર સ્થિર થયેલી હતી.

    ‘તમને લોકોને કદાચ મારી વાત પર ભરોસો નથી બેઠો મહેશ...પણ હું સાચું જ કહું છું.!’ અમીચંદ ગંભીર અવાજે બોલ્યો, ‘ છેલ્લા એક વર્ષથી આપણી તથા હુકમચંદની કંપની સાથે હરિફાઈ ચાલે છે અને આ હરિફાઈમાં આપણને નેવું લાખ રૂપિયાનું નુકસાન થયું છે...! આપણા પર કરોડીમલ શેઠનું પચાસ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે. આપણી કંપનીની ફાઈલ તેની પાસે ગિરો પડી છે. કરોડીમલનું દેવું ચુકવવા માટે આપણી પાસે ત્રણ મહિનાનો સમય છે. જો ત્રણ મહિનામાં આપણે વ્યાજ સહિત નહીં ચૂકવી શકીએ, તો આપણી કંપની કાયદેસર રીતે તેની માલિકીની બની જશે. ટૂંક સમયમાં આપણું દેવાળું નીકળવાનું છે. એમ જ માની લો...’

    ‘ અમે તમારી પાસેથી આવી આશા નહોતી રાખી પિતાજી...!’ રાકેશ નારાજગીભર્યા અવાજે બોલ્યો, ‘ અમે તમને એક સારા અને સફળ બિઝનેસમેન જ નહીં, એક અનુભવી માણસ પણ માનતા હતા. તમે ખોટનો વેપાર કરશો, એવું મને નહોતું ધાર્યું. આ તમે શું મૂર્ખાઈ કરી નાંખી પિતાજી...!’

    ‘ રાકેશ, તું...’

    ‘ પહેલાં મારી વાત પૂરી થઈ જવા દો...’ રાકેશ વચ્ચેથી જ બોલી ઊઠ્યો, ‘ પિતાજી...તમે આગળ-પાછળ કશાયનો વિચાર ન કર્યો.... એક વરસ સુધી હરિફાઈના મેદાનમાં ટકી રહ્યા..

    ખોટનો વેપાર કરીને બરબાદ થતા રહ્યા...અને અમને જણાવ્યું, તો પણ જ્યારે આપણું સર્વસ્વ હરિફાઈમાં દાવ પર લગાવી દીધા પછી જણાવ્યું...! તમે હરિફાઈ કરવા કરતાં તો કંપનીને તાળું મારી દીધું હોત તો વધું સારું હતું. આમ કરવાથી બહુ બહુ તો આપણી બદનામી થાત! બે-ચાર દિવસ હુકમચંદ અને અન્ય ઉદ્યોગપતિઓ આપણી મજાક ઉડાવત કે આપણે હુકમચંદની સામે હરિફાઈમાં ન ટકી શક્યા. પરંતુ આપણે આટલા બરબાદ તો ન થાત! આટલું નુકસાન તો ન સહન કરવું પડત!’

    ‘ રાકેશ...હુકમચંદ સાથે હરિફાઈ શરૂ થઈ ગઈ, ત્યારે આ હરિફાઈ આટલી લાંબી ચાલશે એવી કલ્પના મેં નહોતી કરી. વીસ-પચીસ દિવસમાં બંને કંપનીએ વચ્ચે સમાધાન-સમજૂતિ થઈ જશે અને હરિફાઈ ભાંગી પડશે એમ મેં વચાર્યું હતું. પરંતુ બન્યું એનાથી ઊલટું જ...! હરિફાઈ ઘટવાને બદલે દિવસે દિવસે વધતી ગઈ અને પાછળથી એકબીજાની પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો. બેમાંથી કોઈ નાના બાપના બનાવા તૈયાર નહોતા, ખેર આજે હુકમચંદે મને બોલાવ્યો છે. કદાચ તે આપણી સામે ઝૂકી ગયો છે અને સમજૂતિ કરવા માગે છે. પણ...’

    ‘ પણ, શું...?’ મહેશે પૂછ્યું.

    ‘ બંને કંપનીઓ વચ્ચે સમજૂતિ થઈ જશે ને હિરફાઈ ભાંગી પડશે એવી મને આશા છે. પરંતુ આપણી પાસે કંપનીને ચાલુ રાખવા માટે જોઈએ તેટલા પૈસા નથી. ગોપાલના લગ્ન સુધી કંપનીનું કામકાજ ચાલું રહે તો પણ ઘણું છે. ગોપાલન લગ્ન પછી તો કંપનીની હાલત સુધરી જશે.’

    ‘ કેવી રીતે પિતાજી...?’ રાકેશના અવાજમાં કટાક્ષનો સૂર હતો, ‘ શું ગોપાલના લગ્નમાં આપણને કન્યાના બાપ પાસેથી કરિયાવરમાં બે-પાંચ કરોડ રૂપિયા મળશે એવી આશા તમે રાખો છો ? ના, પિતાજી...! વધુમાં વધુ પાંચ-સાત લાખ રૂપિયા મળશે... અને આટલી રકમ કંપનીમાં પ્રાણવાયું પૂરી શકે તેમ નથી.’

    ‘ રાકેશ...! ગોપાલના લગ્નમાં આપણે ઓછામાં ઓછા પચાસેક લાખ કરિયાવરની આશા રાખી શકીએ તેમ છીએ.’

    ‘ શું કહ્યું...?’ પિતાજી...તમારું માથું તો નથી ભાગી ગયું. ને....? ગોપાલ કોઈ રાજા-મહારાજાનો નહીં, પણ એક ખોટનો વેપલો કરતાં બિઝનેસમેનનો પુત્ર છે! એના લગ્નમાં પચાસ લાખનું કરિયાવર વળી કોણ આપશે ?’

    ‘ ભરતપુરના ખ્યાતનમ ઊદ્યોગપતિ ચમનલાલ જૈન...!’ અમીચંદે જવાબ આપ્યો.

    ‘ શું....?’ સૌ એકદમ ચમક્યા.

    ‘ હા...ચમનલાલ, આપણા ગોપાલ સાથે પોતાની દિકરીનાં લગ્ન કરવા માગે છે...! ચમનલાલ કોઈ મામુલી માણસ નથી...! એનો બિઝનેસ કરોડો રૂપિયાનો છે! જો એ કરિયાવરમાં એક કરોડ રૂપિયા આપે તો પણ આ રકમ તેને માટેટ કાનખજુરના એક પગ સમાન છે. ઉપરાંત સુલોચના તેમની એકની એક દિકરી છે...! એના અવસાન પછી તેની બંધી મિલકત સુલોચનાને એટલે કે આપણી પુત્રવધુને જ મળશે! પુત્ર વધૂ હોવાને નાતે એ મિલકત આપણી છે એમ જ માની લો!’

    અમીચંદની વાત સાંભળીને મહેશ, રાકેશ અને સારિકાની આંખોમાં લાલચભરી ચમક પથરાઈ ગઈ.

    ગાયત્રી અને રાજેશને ત્રણેય બાપ-દિકરા અને સારિકા કરિયાવર ભૂખ્યાં વરૂ લાંગતા હતા.

    થોડીવાર રોકાઈને એ બંને અમીચંદના ખંડમાંથી બહાર નીકળી ગઈ.

    ‘ પિતાજી...ગોપાલના લગ્નની વાત નક્કી જ છે. ?’ મહેશે પૂછ્યું.

    ‘ હજુ ક્યાં નક્કી થઈ છે ?’

    ‘ તો....?’

    ‘ ચમનલાલ આવતા મહિનાથી પહેલી-બીજી તારીખે સુલોચનાને લઈને અહીં આવશે. ચમનલાલને તો ગોપાલ ગમી જ ગયો છે...! માત્ર સુલોચનાને ગમે એટલી જ વાર છે!’

    ‘ ઓહ...આ તો ખોધો ડુંગર અને નીકળ્યો ઉંદર એના જેવું થયું...!’ રાકેશ મોં મચકોડતાં બોલ્યો.

    ‘ કેમ...?’

    ‘ મને તો એમ કે ગોપાલના લગ્નની વાત નક્કી જ છે...! પરંતુ તમે તો ભેંસ ભાગોળની કહેવત જેવી વાત કરો છો! માંડવાનો ક્યાંય પત્તો નથી ને જાન લઈ ને જવાની વાત કરો છો...!’

    ‘ એટલે...?’

    ‘ એટલે અમે કે જો સુલોચનાને ગોપાલ નહીં ગમે તો...?’

    ‘ તુંય શું નાખી દેવા જેવી વાત કરે છે...? ગોપાલમાં શું કમી છે...? સુલોચનાને જરૂર આપણો ગોપાલ ગમી જશે એની મને પૂરી ખાતરી છે.’

    ‘ ઘડીભર માટે માની લો કે ગોપાલ સુલોચનાને નહીં ગમે તો...? તો પછી આપણા ભવિષ્યનું શું થશે ?’

    ‘ તો પછી ભગવાન જ આપણો તારણહાર છે...!’ અમીચંદ નંખાઈ ગયેલા અવાજે બોલ્યા.

    એન જવાબ સાંભળીને મહેશ તથા રાકેશના ચહેરા પર ઉદાસી ફરી વળી.

    જ્યારે સારિકા મનોમન પોતાના સાસરા એટલે કે અમીચંદને ખાટીમઠી ચોપડાવતી હતી.

    એ લોકોના મનની હાલતથઈ અજાણ અમીચંદ એક સિગારેટ સળગાવીને ધીમે ધીમે તેના કસ ખેંચલા લાગ્યો.

    વાતાવરણમાં થોડી પળો માટે ચુપકીદી છવાઈ ગઈ.

    ચારેયને એક જ સવાલ અકળાતો હતો.

    જો સુલોચનાને ગોપાલ નહીં ગમે તો...?

    પરંતુ આ સવાલનો હાલ તુરત કોઈ જ જવાબ તેમની પાસે નહોતો.

    ‘ પિતાજી...!’ છેવટે મહેશે ચુપકીદીનો ભંગ કર્યો, તમે હુકમચંદને મળવા ક્યારે જવાના છો?

    ‘ બસ, તૈયાર થઈને નીકળું જ છું...’ અમીચંદે ઊભા થતાં કહ્યું.

    ત્યારબાદ તે તૈયાર થવા માટે ચાલ્યો ગયો.

    અડધા કલાક પછી તે હુકમચંદ સામે બેઠો હતો.

    ઔપચારિક વાતો પૂરી કર્યા પછી તેઓ મુદ્દાની વાત પર આવ્યા.

    ‘ મિસ્ટર આનંદ...!’ હુકમચંદ બોલ્યો, ‘ હરિફાઈની શરૂઆત તમે જ કરી હતી. આપણા બંનેની વચ્ચે થયેલી સમજુતિ મુજબ ડીલરોને પાંચ ટકા કમિશન આપવાનું હતું. પરંતુ તમે પાંચને બદલે સાત ટકા આપવા માંડ્યા એટલે ન છૂટકે મારે દસ ટકા કમિશન આપવું પડ્યું અને આપણી વચ્ચે હરિફાઈ શરૂ થઈ ગઈ. હું તંદુરસ્તે હરિફાઈ માનું છું. ભાવ બગાડવામાં નથી માનતો! હરિફાઈ કરવી હોય તો માલની ગુણવત્તામાં કરો ને ?’

    ‘ હું મારી ભૂલ કબૂલ કરું છું. હુકમચંદ સાહેબ! આપણે હવે હરિફાઈ બંધ કરવી જોઈએ...’

    ‘ જરૂર...પરંતુ હવે નવેસરથી દસ્તાવેજ કરવો પડશે...! એ દસ્તાવેજ મુજબ જ આપણે કામ કરવાનું છે. આપણામાંથી જે કોઈ એ દસ્તાવેજની શરતનો ભંગ કરશે તો એણે સામી પાટીને દસ લાખ રૂપિયા રોકડા વળતર રૂપે આપવાની રહેશે. આ શરત તમને કબૂલ હોય તો જ હરિફાઈ નો અંત આવી શકે તેમ છે.’

    ‘ મને કબૂલ છે...!’

    ‘ એક બીજી વાત...આપણે લગભગ છ મહિના સુધી ચાલતું ઉત્પાદન જ કરવાનું છે. વેચાણ નથી કરવાનું!’

    ‘ કેમ...?’

    ‘ એટલા માટે કે જો વેચાણ ચાલુ રાખીશું તો માલનો ભાવ નહીં વધે’ વધેલા ભાવે માલ સપ્લાય કરીશું તો વેચાણ નહીં થાય કારણ કે ડીલરો પાસે જૂના-ઘટાડેલા ભાવનો સ્ટોક પડ્યો છે. જ્યાં સુધી આ સ્ટોકનો નિકાલ ન થાય ત્યાં સુધી આપણે નુકસાનમાં જ છીએ.

    ‘ આપની વાત એકદમ સાચી છે....! સારૂ, હવે મને રજા આપો...’ કહીને અમીચંદ ઊભો થયો.

    ‘ બેસો...’

    ‘બીજું કંઈ કામ છે ?’

    ‘ ના...’

    ‘ તો પછી...?’

    ‘ હરિફાઈનો અંત આવ્યો એ બદલ મોં મીંઠુ કરીને જાઓ...’

    અમીચંદ બેસી ગયો.

    હુકમચંદે નોકરને ચા-નાસ્તો લાવવાનો આદેશ આપ્યો.

    ***