Manas Andar-no Manas books and stories free download online pdf in Gujarati

માણસ અંદરનો માણસ

માણસ અંદરનો માણસ.

રાત્રીના એક વાગ્યા છે. કરોડરજ્જુમાં સખત દુઃખાવો થઇ રહ્યો છે. આખો દિવસ લખવાનું ક્રિયેટીવ કામ કરીને શરીર અને દિમાગ ભાંગી પડે છે. આંખ બંધ કરીશ તો એક જ મિનીટમાં હું ગાઢ ઊંઘ કરતો હોઈશ. પણ આ શું? દિમાગમાં વિચાર આવે છે: “ઉભો થા, લેખ લખવાનો બાકી છે, આજે છેલ્લો દિવસ હતો, છતાં તે નથી લખ્યો.” મન ના પાડે છે, શરીર ના પાડે છે, પરંતુ મારી અંદર રહેલો અને આખો દિવસ મારી સાથે સેલ્ફ-ટોક કરતો માણસ મને ધમરોળે છે.

કામ. કામ. કામ.

ચિક્કાર કામ કરવું છે, આ કામ જ બધું છે. સર્વસ્વ. સૌથી મોટો યોગ. દરેક પીડાની દવા. દરેક દુઃખ ભૂલવાનો મલમ. ઊંડી ઊંઘ માટેનો ઉપચાર. આ કામ કરતા-કરતા મારી અંદરનો માણસ હારી જાય છે. નાલાયક-સાલો બહાનાં આપે છે. કહે છે: લેખક ખુબ લખીશ તો ધાર નીકળી જશે, સ્પાર્ક મરી જશે, લોકો ભૂલી જશે. હું આ માણસને સમજાવું છું (હકીકતમાં મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ એ ખુદ જ પોતાની જાતને સમજાવે છે!) કે કેટલા એક્સક્યુઝ આપીશ? કેટલા બહાનાં? માણસને આવતીકાલનો ઉત્સાહ હોય ચિંતા નહી. કેમ તારી જાતને કામ કરવાથી રોકી રહ્યો છે, કેમ આટલી ભૂંસાઈ જવાની ઉપાધી.

રાત્રે બે વાગ્યે આ લખી રહ્યો છે ત્યારે અંદરનો એ માણસ હારી ગયો છે. ચુપ છે. કામે વળગ્યો છે. ખુશ પણ છે.

દોસ્તો...આ અંદરનો માણસ છે જે આખો દિવસ તમારી સાથે વાતો કરી રહ્યો છે. કડક શબ્દોમાં કહું છું: જગતનું કોઈ મોટીવેશન કાળા દિવસોમાં કામ આવશે નહી, કોઈ પોઝીટીવ વાત કે ક્વોટ દુઃખ માંથી ઉગારશે નહી. જયારે માણસ અંધકારમાં ઉભો છે અને ઈચ્છે છે કે એ સ્થિતિ માંથી બહાર નીકળે ત્યારે લાગે છે તમારી અંદરનો માણસ પોતાની જાતને જોર આપશે અને સંધર્ષ કરવા પ્રેરશે? જો હા...તો તમે જીતી ગયા છો. જો ના...તો તમે એ પરિસ્થિતિ ઉપર રડવા બેસવાના છો અંનત સમય માટે. આપણી અંદર રહેલો આપણો ‘આતમ’ છે આ. હજાર બહાનાં આપે છે પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહેવા માટે, એને માત્ર ખુશ રહેવું છે, ફિલ્મો જોવી છે, ચેટ કરવી છે, ગેમ રમવી છે, દોસ્તો સાથે રખડવું છે, દોસ્ત આડું બોલે તો દુઃખી થવું છે, પરંતુ નાલાયકના પેટના ને ગાંડું કામ કરવું નથી કારણ કે એમાં એને ઘસાવું પડે છે. એને ન ગમતું કામ દેખાડો તો નિરાશ-ગુસ્સે થાય છે, દિમાગને કહે છે તું ફ્લોપ છે. જો ગમતું કામ દેખાડો તો થોડીવાર ખુશ થાય છે પણ બહાનાં બતાવે છે, દુનિયાથી ડરાવે છે, ‘લોકો શું કહેશે’ એવા સૌથી બોગસ સવાલ પૂછે છે, અને પોતાની જાતને ફરી કમ્ફર્ટઝોનમાં લઇ જાય છે. સમય પોતાનું ભાગવાનું કામ કરતો રહે છે અને એક દિવસ આ બહાનાં બનાવતા માણસને લીધે તમે હારી જાઓ છો. (હકીકતમાં એ ખુદ હારતો હોય છે, પછી દિલ-દિમાગને માત્ર લાગણીઓ મોકલે છે જે આંસુ-ક્રોધ કે અમુકવાર આત્મહત્યા સ્વરૂપે બહાર આવે છે.)

આપણી જાતને જીતવાની વાત છે આ. જગતનું સૌથી ભગીરથ યુદ્ધ છે આ. પોતાની અંદર રહેલા વિલનને માત આપવાની છે. ઘણીવાર થાય છે ક્યાં સુધી આ ફિલોસોફી લખીશ? લાગે છે તારો વાંચક એને સાર્થક જીવશે? ના. મોટાભાગના વાંચક આ શબ્દોનું અને પોતાની અંદર રહેલા માણસનું સેક્સ કરાવશે, થોડીવાર એ માણસ ‘હા એ હા, સાચીવાત’ આવું કહેશે, પણ પછી? પછી છે તો એ ઔકાત પર! પોતાનું ધાર્યું કરશે. ક્યારેય કોઈ વાંચકને એ સવાલ થશે કે જિંદગીભર મોટીવેશન વાંચતો રહ્યો, કેમ એની અસરથી હું સફળ માણસ ન બન્યો? હજુ કેમ ખુશી શોધું છું?

જવાબ હું આપું છું: યાદ રાખજો: ગાંડી મહેનતથી પર આગળ ઘણું છે જીત પામવા માટે, અને હજુ આપણે આ મહેનત પણ કરી નથી. વાંક કોનો? તમારો. જો મહેનત કરો તો જીત કોની? તમારી. કામની સાર્થકતા કોની? તમારી. તો વ્હાલા...એક સનાતન સત્ય સ્વીકારી લે કે જયારે તારી હાર-જીત-સુખ-દુખ-સંઘર્ષ-સાર્થકતા-નિષ્ફળતા આ દરેક સત્યનો શોધક-સર્જક તું જ છે તો ખાક છે તને. કેમ શોધવા નીકળે છે તારી જાતને? હરાવ તારી જાતને. જીતાડ તારી જાતને. માર-મરોડ-પછાડ તારી અંદરના માણસને. દરેક સત્ય ખબર છે એને. તારી જાતને પણ બધું ખબર છે. શું નથી ખબર કે ગમતું કામ કરવું જ જોઈએ તો વધુ ખુશી મળે? તો શેના બહાનાં આપે છે તારો આતમ? નથી ખબર કે ઘસાઈશ તો જ ઉજળો થઈશ? તો કેમ ગઈકાલ કરતા આજે વધુ મહેનત નથી કરી? શું નથી ખબર કે ગમતું કામ કરવામાં રસ્તે પણ રઝળવું પડે? તો એકવાર રોડ પર આવે એવું કામ તો કર. નથી ખ્યાલ કે જીવનના છેલ્લા શ્વાસે અંતિમયાત્રા સમયે અંતિમ સત્ય શું હશે? ના ખબર હોય તો કહી દઉં. એ સત્ય એ છે કે: માણસો આવે અને જાય, જીંદગી ભાગતી રહી છે, કપડા વિનાનો આવ્યો હતો અને કપડા વિના ચાલતી પકડવાનો છું તે તને પહેલેથી જ ખબર હતી, પરંતુ દુનિયાને જોઇને તે જે દુનિયાદારીની વાતો જ ઠોકી છે તે સાર્થક કરે છે કે અત્યારે તારી નનામીમાં કેવા માણસો છે, તારા વિષે કેવી વાતો કરી રહ્યા છે. એટલે સમજીલે: કોઈ મળે, કોઈ જાય, પોતાના કામથી મોજ કરતા, લોકોનો સાથ ઉજવતા તું મોત ભણી સરકી જવાનો છે તે તને ખબર છે. આનંદ-ખુશી-જીવન-પ્રેમ-સંઘર્ષ-મોત આ જ અમર સત્ય છે.

બસ...આપણી અંદરના માણસને શું આ ખબર નથી? ખબર જ છે. આ તો આત્મજ્ઞાન છે. ઓટલે સુતેલા કુતરાને પણ ખબર છે કે હું મોત ભણી સરકી રહ્યો છું, પણ એ કુતરા અંદરનો કુતરો એને એમ કહી રહ્યો છે કે ‘કામ’ નામની કાશીયાત્રા નથી કરવી, તું ઓટલે આરામ કર. એ કુતરો ત્યાં પડ્યોપાથર્યો જીવન ગુજારે છે, બહાનાં બનાવે છે, રડે છે જાત પર, ટુકડો રોટલી માટે જીવે છે, અને ભૂંસાઈ જાય છે.

એક ફૂલઝરની જેમ જીવવાનું છે. આખા વિશ્વનો એક નિયમ છે: “અહી કોઈ જીવે કે કોઈ મરે, ઉર્જાનો જથ્થો અચળ રહે છે. તમારા જીવવા-મરવાથી આ દુનિયાને કશું ફર્ક પડવાનો નથી. પણ હા...તમારા જીવવાના અંદાજથી તમે જે ઉર્જા છૂટી પાડશો તેનાથી રોશની થશે આ જગતમાં.”

આપણી અંદરનો માણસ એ કુતરો છે. પૂછડી પકડીને ઉભો કરો, પ્રેમથી સમજાવો. કામ કરવા પ્રેરો. જો શરીર નામની ફૂલઝર નહી બળે તો ઉર્જા છૂટી નહી પડે, જીવ ઓટલે પડ્યો રહેશે, અંદરનો માણસ બહાનાં આપતો રહેશે, પણ જાતને બુલંદ કરી દેશો તો એ ખુદ જ ઉભો થશે અને મચક નહી આપે.

આ લખ્યા પછી રાતના ત્રણ વાગ્યા છે. હજુ એક કામ બાકી છે. ઊંઘ કહે છે કે તું બેડ પર જા. અંદરનો નાલાયક કહે છે તું ઊંઘ પૂરી કર. પરંતુ હું એને સમજાવું છું, પટાવું છું: તેલ લેવા ગઈ ઊંઘ. અધૂરા કામ પુરા કર. કામથી પરમાનંદ મળશે. ઊંઘ કરતા પણ અદભુત આનંદ. ઊંઘ તો આવશે આ શરીર હારી જશે ત્યારે.

અંતિમ ઊંઘ આવે એ પહેલા હું શરીરને જ ઘસી નાખીશ. જાતને જ ઘસી નાખીશ. ઉજળો થઈશ. અંદરના માણસને ઉજળો કરીશ. અસ્તુ.