Kurbanini Kathao - 11 books and stories free download online pdf in Gujarati

કુરબાનીની કથાઓ - 11

કુરબાનીની કથાઓ

રવીન્દ્રનાથ ટાગોર

અનુવાદ: ઝવેરચંદ મેઘાણી

1 - સ્વામી મળ્યા!

2 - પારસમણિ

3 - તુચ્છ ભેટ

***

1 - સ્વામી મળ્યા!

ગંગાને કિનારે તુલસદાસજી એક દિવસ સાંજને ટાણે ટેલતા હતા. એમનું હૃદય એ વખતે પ્રભુના ગાનમાં મસ્ત હતું.

પાસે જ સ્મશાન હતું. સ્મશાન સામે નજર કરતાં સ્વામીજીએ જોયું કે પોતાના પતિના શબના પગ પાસે એક સતી નારી બેઠેલી છે. પતિની ચિતામાં બળી મરવાનો એ બાઈએ મનસૂબો કરેલો. કપાળમાં ચંદનની પીળ કરેલ. સેંથામાં સિંદૂર ભરેલો અને અંગ ઉપ લગ્ન-દિવસનાં વસ્ત્રાભૂષણો ધરેલાં.

ભેળા મળેલાં સગાંવહાલાં આનંદથી ચીસો પાડે છે. સતીના નામનો જયજયકાર બોલાવે છે, અને પુરોહિતો ધન્યવાદ દેતાં દેતાં ચિતાની તૈયારી કરી રહ્યા છે. ત્યા એ સતી સ્ત્રીએ અચાનક તુલસીદાસજીને આતુર બનીને પૂછયું : `હે ગોસ્વામી! તમારા પવિત્ર મુખથી મને પરવાનગી આપો. મને આશીર્વાદ દો એટલે હું સુખેથી ચાલી જઈશ.'

ગોસ્વામીએ પૂછયું : `માતા! ક્યાં જવાની આ તૈયારી કરી છે?'

બાઈ બોલી: `મારા સ્વામીની સાથે બળી મરીને સ્વર્ગે જઈશ, મહારાજ!'

હસીને ગોસ્વામી કહે છે: `હે નારી! આ ધરતીને છોડી સ્વર્ગમાં જવાનું કાં મન થાય છે? સ્વર્ગનો જે સરજનહાર છે તેની જ સરજેલી આ પૃથ્વી પણ નથી, બહેન?'

અજ્ઞાન સ્ત્રી આ વાતનું રહસ્ય સમજી ન શકી. એ તો વિસ્મય પામીને સાધુ સામે જોઈ રહી. એના મનમાં થયું કે `તુલસીદાસ સરખો ધર્માવતાર આજે કાં આવી વાણી કાઢી રહ્યો છે?'

સ્વામીજીની સામે જોઈને બાઈ બોલી: `મારા સ્વામી મને આંહીં મળી જાય તો મારે સ્વર્ગનું શું કામ?

તુલસીદાસ ફરી વાર હસીને બોલ્યા: `ચાલો પાછાં ઘેરે, મૈયા! સાધુનો કોલ છે કે એક મહિનાની મુદતમાં તમને તમારો સ્વામી પાછો મળશે.'

તુલસીદાસનો કોલ? ભક્તહૃદયને શ્રદ્ધા બેઠી. આશાતુર હૃદયે એ બાઈ પાછી વળીને ગોસ્વામીની પાછળ પાછળ ચાલી ગઈ. પછવાડે પુરોહિતોએ શાપ વરસાવ્યા, સગાંવહાલાંઓએ નિંદા શરૂ કરી, ગાળો કાઢી, કોઈએ પથ્થરો પણ ફેંક્યા. પલવાર પહેલાંની સતી બીજી જ પળે કુલટા બની ગઈ. ભયભીત હૃદયે એ નારી ગોસ્વામીના પડખામાં લપાતી ધ્રૂજતી જાય છે. પાછળ નજર નાખતી જાય છે. ગોસ્વામી તો પ્રભુના કીર્તનમાં મસ્ત બની નિર્ભય પગલે ચાલે છે; એ ભક્તની અને એ નારીની પાસે આવવાની કોઈની મગદૂર નહોતી.

એક નિર્જન પર્ણકુટિમાં એ બાઈને સુવાડીને ગોસ્વામી ગંગાને કિનારે પાછા આવ્યા. આખી રાત જાગી એણે પ્રભુનાં કીર્તન ગાયાં. પ્રભાતે એ રમણીને પાસે જઈને ભક્તવર થોડી વાર બેઠા. પ્રભુની ને પ્રભુ-કરુણાની મીઠી વાતો કરી. એક મહિના સુધી આમ ચાલ્યું, એ આશાતુર વિધવાના વદન ઉપર કોઈ અમર ઉલ્લાસ પ્રકાશી નીકળ્યો. શ્વેત-વસ્ત્રોની અંદરથી પણ પરમ સૌભાગ્ય પ્રગટ થયું એની આંખોના આંસુ સુકાયાં, પ્રકાશનાં કિરણો છૂટયાં.

સગાંવહાલાંએ આવીને મર્મવચનો કહ્યાં: `કાં, તારો સ્વામી જીવતો થયો કે?'

વિધવાએ હસીને કહ્યું: `હા! સ્વામી તો પાછા આવી ગયા.'

ચમકીને બધાં પૂછે છે: `હેં! ક્યાં છે? કયા ઓરડામાં બેઠા છે? બતાવને!'

રમણીએ ઉત્તર દીધો: `આ હૃદયના ઓરડામાં સ્વામી સજીવન બનીને બેઠા છે. તમે ત્યાં શી રીતે જોઈ શકો?'

***

2 - પારસમણિ

વૃન્દાવનમાં, યમુનાને કિનારે બેઠા બેઠા સનાતન ઉષિ પ્રભુનામ રટી રહ્યા હતા. એ વખતે એક કંગાળ બ્રાહ્મણે આવીને ઉષિજીને ચરણે પ્રણામ કર્યાં.

સનાતને પૂછયું: `ક્યાંથી આવો છો, ભાઈ? તમારું નામ શું?'

બ્રાહ્મણ બોલ્યો: `મહારાજ! બહુ દૂર દેશથી આવું છું. મારું દુ:ખ વર્ણવ્યું જાય તેમ નથી. ઈશ્વરની આરાધના કરતાં કરતાં એક રાત્રીએ મને સ્વપ્નમાં જાણે કોઈ દેવ કહી ગયા: યમુનાને કાંઠે સનાતન ગોસ્વામીની પાસે જઈને યાચના કરજે; તારી ભીડ એ ભલા સાધુ ભાંગવાના.'

સનાતન બોલ્યો: `બેટા! મારી આશા કરીને તું આવ્યો, પણ હું શું આપું? જે હતું તે ફેંકી દઈને ફક્ત આ ઝોળી લઈને જ હું તો જગતની બહાર ચાલી નીકળ્યો છું. પણ હાં! હાં! મને યાદ આવે છે. એક દિવસ કોઈને દેવા કામ આવશે તેટલા માટે મેં એક મણિને પેલે ઠેકાણે રેતીમાં દાટી રાખેલ છે, જા ભાઈ! એને લઈ જા. તારું દુ:ખ એનાથી ફીટવાનું. તને અખૂટ દોલત મળવાની.'

પારસમણિ! આહા! બ્રાહ્મણ તો દોડતો દોડતો મુનિએ બતાવેલી જગ્યાએ પહોંચ્યો ને એણે રેતીમાંથી મણિ બહાર કાઢયો. પોતાના લોઢાના માદળિયાને જ્યાં મણિ અડકાડે છે ત્યાં તો માદળિયું સોનાનું બની ગયું. બ્રાહ્મણ તો આનંદમાં નાચવા લાગ્યો. ખૂબ નાચ્યો. મનમાં એણે અનેક મહેલમહેલાતો ખડી કરી દીધી. કેવા કેવા વૈભવો ભોગવશે તેની કૈં કૈ કલ્પનાઓ કરી લીધી. પછી થાકીને થોડો આરામ લેવા નદીકાંઠે બેઠો. યમુનાના પ્રવાહનું મધુર મધુર ગાન સાંભળીને એ શાંત બન્યો. ચોપાસ ફૂલો અને વૃક્ષોની શોભા નિહાળી પંખીઓના ગાન સાંભળીને એ શાંત બન્યો. ચોપાસ ફૂલો અને વૃક્ષોની શોભા નિહાળી પંખીઓના આનંદમય કિલકિલાટ સાંભળ્યા. સૂર્યાસ્ત સામે નજર કરી.

બ્રાહ્મણની એક આંખ આ સુંદરતા ઉપર હતી, બીજી આંખ હતી એના મનની પેલી મહેલાતો ઉપર. એનું મન ડોલવા લાગ્યું. એને સાંભર્યા ગોસ્વામી સનાત. એને ઘણી ઘણી વાતો સાંભરી આવી.

દોડતો દોડતો બ્રાહ્મણ સનાતનની પાસે આવીને એના પગમાં પડયો. આંખમાં આંસુ લાવીને ગદ્ગદ્ સ્વરે બોલ્યો: `અખૂટ સમૃદ્ધિ આપનાર મણિને જેણે માટી સમાન ગણીને આપી દીધો તેના ચરણની માટી જ મારે જોઈએ. આ મણિ ન ખપે.'

એમ બોલીને એણે નદીનાં ઊંડાં પાણીમાં મણિ ફેંકી દીધો.

મણિ દેનાર અને મણિ લેનાર બન્ને જીતી ગયા.

***

3 - તુચ્છ ભેટ

યમુનાનાં પાણી ઘૂમરી ખાતાં દોડયાં જાય છે. બન્ને કિનારે ઊંચા પહાડોની શિખરમાળા ઉભી છે. ગુફાના સાંકડા માર્ગમાં ચાલ્યો જતો પ્રવાહ પાગલની પેઠે દવિસરાત ગરજ્યા કરે છે.

નદીની એ વાંકીચૂકી વેણી વીંખતા આસમાની પહાડો એક પછી એક સાથે – કેટલેય આઘે – ચાલ્યા જાય છે. શિખર બધાં અચળ ઉભાં છે તો યે જાણે ચાલતાં જણાય છે, અન નદી ચાલી જાય છે તો યે જાણે સાંકળે બાંધેલી સ્તબ્ધ ઉભી હોય તેવું લાગે છે. પહાડો ઉપર ઊંચાં ઝાડો ઉભાં છે: કેમ જાણે હાથ લંબાવીને પહાડો પેલી વાદળીઓને બોલાવતા હોય! આવા પ્રદેશમાં પર્ણકુટી બાંધીને શીખ ગુરુ રહેતા હતા.

એક દિવસ ગુરુજી પ્રભુલીલા વાંચી રહ્યા છે તે સમયે રાજા રઘુનાથ પધાર્યા. ગુરુદેવને ચરણે નમન કરીને રાજા બોલ્યા: `હે પ્રભુ! દીન સેવક થોડી ભેટ લાવ્યો છે.'

હાથ લંબાવીને ગુરુજીને રાજાના મસ્તક પર મેલ્યો, આશિષો આપી કુશળ ખબર પૂછયા, બે સોનાંનાં કંકણો રઘુનાથે ગુરુદેવને ચરણે ધરી દીધાં.

ભોંય પરથી કંકણ ઉઠાવીને ગુરુદેવ આંગળી ઉપર ચક્કર ફેરવવા લાગ્યા. કંકણના હીરાની અંદરની હજારો કિરણો નીકળતાં હતાં: કેમ જાણે હજાર-હજાર કટારો છૂટતી હોય!

લગાર મોં મલકાવીને ગુરુએ કંકણો નીચે ધર્યાં ને પાછા એ તો પુસ્તકની અંદર આંખો માંડીને વાંચવામાં મશગૂલ બન્યા. સામે રાજા રઘુનાથરાવ બેઠા છે તેની પણ એ સાધુને પરવા ન રહી.

ત્યાં તો અચાનક એ પથ્થર પરથી એક કંકણ લપસી ગયું ને દડતું દડતું યમુનાના ઊંડા પાણીમાં જઈ પડયું.

`અરે! અરે!' બૂમ પાડી રઘુનાથ રાજાએ એમ ને એમ પાણીમાં ઝંપલાવ્યું. બે હાથ લંબાવીને રાજા ચોમેર કંકણને શોધવા લાગ્યા.

ગુરુજીના અંતરમાં તો પ્રભુની વાણીને પરમ આનંદ જાગ્યો હતો. પુસ્તકમાંથી એમણે તો પલવાર પણ માથું ઊંચું ન કર્યું.

યમુનાનાં શ્યામ જળ ચોમેર ઘૂમરી ખાઈખાઈને જાણે રાજાને ટગાવી રહેલ છે ને કહે છે: `જો, આંહીં પડયું છે કંકણ!' રાજાજી એ જગ્યાએ પાણી ડખોળી ડખોળી થાકે, ત્યાં તો એ મસ્તીખોર નદી બીજે ઠેકાણે ઘૂમરી ખાઈને ફોસલાવે: `જો, જો ત્યાં નહિ, આંહીં પડયું છે તારું કંકણ!'

આખરે દિવસ આથમ્યો. આખો દિવસ પાણી ફેંદ્યાં, પણ રાજાજીને કંકણ ન જડયું. ભીંજાયેલ વસ્ત્રે અને ઠાલે હાથે રાજાજી ગુરુની પાસે આવ્યાં. એના મનમાં તો શરમ હતી કે કંકણ તો મળ્યું નહિ! ગુરુજી મને શું કહેશે?

હાથ જોડીને રઘુનાથે કહ્યું: `મહારાજ! કંકણ કયે ઠેકાણે પડયું એ બતાવો તો હમણાં જ ગોતી કાઢું.'

`જોજે હો,' એમ કહીને ગુરુજીને યમુનાની અંદર બીજા કંકણનો પણ ઘા કર્યો ને કહ્યું: `એ જગ્યાએ!'

શરમિંદો રાજા દિગ્મૂઢ બનીને ગુરુની સામે જોઈ રહ્યો. ગુરુજીનું મોં મલકાતું જ રહ્યું.

***