Vevishal - 9 books and stories free download online pdf in Gujarati

વેવિશાળ - 9

વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

૯. બિછાનાની સમસ્યા

ભાભુ પણ પોતાની વાતને પકડી શકતાં નથી, એ જોઈ સુશીલા ચિડાતી હતી. ઓરડામાં અંધારું હતું તેથી આ ચિડાવું સહેલું હતું; અજવાળામાં કદાચ સુશીલાએ ભાભુ પર ખીજ કરવાની હિંમત ન બતાવી હોત.

વિસ્મયની વાત છે—અથવા જરાય વિસ્મય પામવા જેવું છે જ શું? —કે સુશીલા એક ઘા અને બે કટકા જેવું સહેલામાં સહેલું વાકય ન કહી શકી કે ‘ભાભુ, મને આ વર ને આ ઘર સોએ સો ટકા ગમે છે. તમે મને બીજે પરણાવશો તો હું દુખી થઈ જઈશ. મને આનો બિલકુલ અસંતોષ નથી. બોલો, હવે તમે બધાં શીદને મારા મનની વાત સમજ્યા વગર મને સુધરેલાની સાથે પરણાવવાની આફત આદરી છે?’

સુશીલા જેવી સમજણી અને મુંબઈનું ઠીક ઠીક હિંમતભર્યું વાતાવરણ પી ચૂકેલી છોકરી આટલી બધી ગેરસમજણનો આવો તડ ને ફડ ઉકેલ કેમ ન લાવી શકે? એ પ્રશ્ન, લાકડાંનાં તોતિંગ બીમને પણ કરકોલી શકનારો ભમરો પોતાને રાત્રીભર બંદીવાન બનાવનારા સૂરજમુખી પુષ્પની સુવાળી પાંદડીઓને શા માટે ન ભેદી શકે એ સમસ્યા જેટલો જ જૂનો છે. એનો જવાબ સુશીલા પણ ન આપી શકે. સુશીલાએ નવી યુગભાવનાવાળાં નાટકો-ચિત્રપટોમાં કોઈ કોઈ વાર ‘હા, હા, હું તો આને જ પરણીશ’ અથવા, ‘ના, ના, મારે તો આની સાથે નથી પરણવું’ એવી જાહેર ઘોષણાઓ કરતી બંડખોર છોકરીઓ જોઈ હતી. સુશીલાને પણ એના મોટા બાપુ તાલીમ આપત તો સુશીલા એ શબ્દો ઠેરાવેલા સમયે, ઠેરાવેલી વ્યક્તિ કે સમષ્ટિની સામે કડકડાટ બોલી જાત એમાં શંકા નથી. એ બોલવાને સારુ હિંમત અથવા અંતરની લાગણીનો વિકાસ બિલકુલ બિનજરૂરી બનત. એથી ઊલટું, અંતરની બળબળતી લાગણી તો એ ગોખાવેલ બોલોના પાંખામાં પાંખા પરદાની પાછળ જ પોતાના ભડકા ફૂંકતી ઊભી હોત.

પોતે શા માટે તડફડ નથી કરી નાખતી, એ વાત આ રાત્રીએ સુશીલાએ પોતાની જાતને પણ પૂછી જોઈ. છેતરામણી લાગણીઓ એકદમ તો જવાબ આપે જ શાની? ખૂણેખાંચરે પડેલી એકાદ લાગણીએ ફક્ત જરી જેટલી ચાડી ખાધી કે ‘કિશોરી, આંહીં આટલામાં ક્યાંઈક પેલો વિજયચંદ્ર પણ લપાઈને સળવળી રહ્યો છે—આંહીં, એટલે કે અમ સર્વ લાગણીઓના નિવાસસ્થાન તારા અંતરને વિશે.’

પોતાના જ અંતરમાં વસનારી એક ઊર્મિ બેશરમ બનીને અંતરની આવી જાસૂસી કરે, ચાડીચુગલી ચલાવે, છૂપી ચોરીને પકડી પાડે, એ સુશીલાના સુખની વાત નહોતી. વિજયચંદ્ર એને મોટરમાં બેસવા નહોતો લલચાવી શક્યો એ ખરું; પણ મુંબઈ શહેરની બે-એક નહીં પણ જોટો—યુવતીઓ હરકિસનદાસ ઇસ્પિતાલના દવાએ ગંધાતા રોગાલયમાં એમની જ મોટર લઈને મારી પછવાડે કાંઈ વિના કારણે, વિના આકર્ષણે, વગર વિચારે નહીં જ ચાલી આવી હોય, એટલું તો તારે, ઓ સુશીલા, મારા વિષયમાં વિચારવું જ પડશે—એ પ્રકારનો દાવો કરતો વિજયચંદ્ર જાણે કે એના અંતરના ઓટલા પર બૂટની એડીઓ પટકતો હતો. ઇસ્પિતાલની ‘લિફ્ટ’ પણ વિજયચંદ્રના ખાસ અધિકારની વસ્તુ હતી. તે દિવસે જમવા અને તે પછી વારંવાર ભજિયાં ખાવા ઘેરે આવેલો વિજયચંદ્ર પોતાને પગલે પગલે વિજયનાં પુષ્પો નહોતો પથરાવતો એમ કેમ કહી શકાય? પારકાનું હૃદય જીતવાની એનામાં કળા હતી. એ કળાની મૂઠ સુશીલા ઉપર નખાઈ હતી. ને તે પછી સુશીલા સાવ નીડર તો નહોતી જ રહી. આવી આવી છૂપી બાતમી સુશીલાએ તે રાત્રીએ પોતાની એકાદ લાગણી પાસેથી મેળવી, ને એને લાગ્યું કે ‘સુખલાલ જ મારો છે’ એવો તડ ને ફડ ઘા કરતી પોતાને રોકવામાં વિજયચંદ્રનો પણ થોડોક હાથ હતો.

આ લાગણીને સુશીલાએ જાણે કે ગળે ચીપ દઈને પાટુએ પાટુએ ગૂંદીને ચૂપ કરી. પોતે પણ મૂંગી રહી. ભાભુએ પહેલું બગાસું ખાઈને કહયું: “સૂઈ જા, બાઈ, ઝાઝો વિચાર શીદ કર્યા કરછ? અમારા સૌના સાટુ જીવ કાં બાળી રહી છો? અમારે તો સાત દીકરા ગણીયેં તોય તું છો, દેખીપેખીને તને કેમ કૂવે નાખીએ? સમતા રાખ, બાઈ! નિરાંતવી નીંદર કર.”

એટલું કહીને ભાભુએ દેહ ગાદલામાં લંબાવ્યો. બાજુમાં જ સુશીલાની પથારી હતી. સુશીલા સૂવા માંડી ત્યારે ભાભુએ યાદ કરાવ્યું: “માળા ફેરવી?”

“ભૂલી ગઈ.”

“ભૂલી ગઈ એનું કાંઈ નહીં બાઈ, દેખીપેખીને ન ફેરવીએ તો જ દુ:ખ. હવે ફેરવી લે. અમથા પારા પડતા મૂકીએ ને બેન, તોય ઊંઘ આવી જાય. ભગવાનનું નામ લઈએ તો વળી નવું કાંઈ કષ્ટ વધે નહીં, ને ઊંઘ વધુ ચોખ્ખી આવે. માઠાં સપનાંમાં શેકાવું તે કરતાં માળા ફેરવીને સૂવું શું ભૂંડું, મારી બાઈ!”

પતિનો શયનખંડ છોડીને સુશીલા સાથે સૂવાનું શરૂ કર્યા ભાભુને આજે પાંચેક વર્ષ થઈ ગયાં હતાં. તે પૂર્વે પણ સુશીલા બે વર્ષની થઈ ત્યારથી જ ભાભુની પાસે રહેવા ટેવાયેલી. ત્રણથી લઈને સુશીલા દસેક વર્ષની થઈ ત્યાં સુધી પતિપત્નીએ એક જ ઓરડામાં રાતવાસો ચાલુ રાખ્યો હતો.

તે પછી સુશીલાની પથારી ઓરડા સામેની પરસાળમાં રખાતી અને ભાભુના શયનખંડનાં બારણાં ખુલ્લાં રખાતાં. એક રાત્રીએ આ ગોઠવણ અણગમતી બની ગઈ. પતિએ રાતમાં બંધ કરેલાં બારણાં અણખોલાયાં જ રહી ગયાં ને પતિપત્નીને ઊંઘ આવી ગઈ.

સવારમાં ભાભુએ જાગીને બારણાં ખોલ્યાં ત્યારે વહેલી ઊઠેલી સુશીલા દાતણ કરતી હતી.

બંધ બારણે સૂતેલાં બે વડીલ દંપતીઓ, એક પિતા-માતાનું ને બીજું ભાભુ-બાપુજીનું, અને તેની વચ્ચે એકાકી ઊભેલી બાર વર્ષની દીકરી! ભાભુએ આ દીઠું ત્યારથી આખો દિવસ એ ગમગીન રહ્યાં, ને સુશીલાથી શરમિંદા બનતાં બનતાં ઘરકામમાં મશગૂલ બન્યાં. બાર વર્ષની દીકરીને આખી રાત જે એકલતામાં મૂકી તે કેવી ભયાનક હશે! બંધ બારણાંની અંદર શાંતિથી ઘસઘસાટ ઊંઘી રહેલ વડીલોને માટે પણ એણે શી શી કલ્પનાઓ કરી હશે! બંધ બારણાં શા માટે, એ પ્રશ્ન એના મનમાં પુછાયો હશે ત્યારે કોણ જાણે કેવોય કાળમુખો જવાબ જડ્યો હશે દીકરીને! આવી આવી વિચાર-મૂંઝવણમાં વ્યથિત અને વ્યાકુલ બનેલી પત્નીનું અપરાધીપણું જ્યારે પતિએ સાંજે ઘેર આવીને જાણ્યું ત્યારે એનાથી, એની નિત્યની પ્રકૃતિમાં હસવું મોટે ભાગે ન હોવા છતાંય, હસી જવાયું હતું.

આ પત્નીને, આવી પદમણીને, આવી શાંતિ-પ્રતિમાને, આવી ગરવી અને ગરીબડીને પોતે શેર માટીનું સંતાન નથી આપી શક્યો તેને માટે પોતાને જ અપરાધી ગણનારો સ્વામી પત્નીના આવા ક્ષુલ્લક મન-સંતાપની પણ વધુ મશ્કરી તો નહોતો જ કરી શક્યો. ને તે રાતે એ સૂવા ગયો ત્યારે એણે જોઈ લીધું હતું કે પોતાના ઓરડામાંની બીજી પથારી ઊપડી જઈને વચલા ખાલી ખંડમાં ચાલી ગઈ છે, ત્યારે પણ એને ઓછું નહોતું આવ્યું. એને ઘસઘસાટ નીંદર આવી ગઈ હતી. મોટા શેઠનો આ એક જ ગુણ બીજા અવગુણો સામે મૂકવા જેવો હતો.

સુશીલાને સંગાથે લઈ સૂનાર ભાભુએ તો આ શયનવ્યવસ્થા બદલવામાં કાંઈ અસાધારણપણું ગણ્યું નહોતું. એણે સુશીલાની બાને ખુદને પણ આ વાત નહોતી કરી. સવારે જ્યારે સુશીલાની બાએ પહોળી પલાંઠી ભીડીને, લોટા ઊટકવાના કૂચડા જેવા ધીંગા દાતણનો કૂચો ઘસતાં ઘસતાં, બગાસું ખાતાં ખાતાં ને આળસ મરડતાં મરડતાં સુશીલાને પૂછ્યું કે “એટલી મોડી રાતે ભાભુને કેમ તારી પાસે આવવું પડેલું?” ત્યારે સુશીલાએ સમજ પાડી કે “ભાભુ તો મારી પાસે જ સૂતાં હતાં.”

“હેં ભાભીજી!” સુશીલાની બાએ ભાભુને એકાંતે લઈ જઈ કહ્યું, “આપણે ઓશરીએ તાળું મારીએ છીએ પછી વળી શી બીક છે, કે તમારે છોકરીની પાસે સૂવું પડે?”

“બીકનું હું ક્યાં કહું છું?”

“તાળાની ચાવી તો હું મારી પાસે લઈને જ સૂઉં છું. તમે તમારે કોઈ વાતે ફફડતાં નહીં, હું રાતના બે વાર તો સુશીલાને જોઈ તપાસી પણ જાઉં છું,” દેરાણીએ પોતાની ખબરદારી વર્ણવી.

ભાભુના મનમાં આ સાંભળીને હસવું આવતું હતું. એણે ટૂંકો જ જવાબ વાળ્યો: “તમેય બચ્ચાડા જીવ કેવાં ઉતપાતિયાં છો? બીક વળી શેની હોય? આ તો તમારા જેઠને બહુ હવા જોવે ને મારાથી ઉઘાડી બારીનો પવન સે’વાતો નથી. મારા સાંધા દુખે છે, એટલે જ વચલા ખંડમાં સૂવાનું રાખ્યું છે. બીક તે વળી શેની? અરેરે, બચાડા જીવ તમેય તે…”

ચપળ સુશીલાના કાન કઈ વાતો ક્યારે એકાએક પકડી પાડતા, તે સમજવા માટે પુરુષો વધુ પડતા જડ હોય છે. તે તો સ્ત્રીઓ જ સમજી શકે. કેમ કે ઘણીખરી સ્ત્રીઓએ પોતાની કૌમારવયની રાત્રીઓ પર આવાં તાળાં મરાતાં જોયાં હોય છે. તે રાત્રીએ એણે જ ઝટ આવીને પોતાની બાને કહ્યું: “લ્યો બા, તાળું મારી લાવું ઓશરીને?”

બા જરીક ઝંખવાઈ ગઈ અને જવાબમાં બોલી: “ભાભુ કહે તો જ વાસજે તાળું, બેન!”

સુશીલાના પિતાએ તો આ નવો ફેરફાર બેચાર દિવસે જાણ્યો, ને જાણ્યો ત્યારે એ એટલો બધો શરમિંદો બન્યો કે એક અથવા બીજે બહાને એ તો બહારની ગેલેરીમાં મોડી રાત સુધી એકલો જ બેસી રહેલો. પત્નીએ એને બે-ત્રણ વાર અંદર ખેંચી જવા મહેનત કરી.

“હાલો ને હવે! ભાભી મોટેરાં આડાં બેઠાં છે, એટલે આપણને વળી શેની શરમ? હાલોને, મને એકલાં ઊંઘ નથી આવતી. ભાભી તો વેરાગમાં ઊતરી ગયાં છે; મને કાંઈ વેરાગ નથી થયો. દીકરી કાંઈ એકલા આપણા ઘરમાં જ થોડી મોટી થઈ છે! ઘેર ઘેર થાતી આવે છે. હાલો હાલો, ઠાલા સતની પૂંછડી શીદને થાવ છો?” એમ કહેતી સુશીલાની બા પતિનું ખમીસ ખેંચીને પરસાળમાંથી ઓરડામાં ઘસડી ગઈ હતી.

એ તો આજે ત્રણ વર્ષની જૂની વાત બની હતી. દેર-દેરાણી વીશ વર્ષની દીકરીનાં માવતર હતાં, તો પણ ભાભુની દૃષ્ટિમાં તો ‘બચાડા જીવ’ બનીને જ તેઓ રક્ષા પામ્યાં હતાં.

***

Share

NEW REALESED