Chamkaur nu yuddh books and stories free download online pdf in Gujarati

ચમકૌર નું યુદ્ધ

ચમકૌર નું યુદ્ધ

જલ્પા વ્યાસ

૨૨ ડીસેમ્બર ૧૭૦૪માં સરસા નદી ના કિનારે ચમકૌર નામની જગ્યા પર શીખો અને મુઘલો વચ્ચે એક ઐતિહાસિક યુદ્ધ લડાયું જે “ ચમકૌર ના યુદ્ધ “ ના નામથી પ્રસિદ્ધ છે. આ યુદ્ધ શીખો ના દસમાં ગુરુ, “ ગુરુ ગોવિંદ સિંહ “ અને મુઘલ સેનાના સેનાપતિ વઝીર ખાન વચ્ચે થયું હતું. વઝીર ખાન, ઔરંગઝેબ તરફ થી કોઈ પણ હિસાબે ગુરુ ગોવિંદ સિંહ ને જીવતાં અથવા મરેલા પકડવા માંગતા હતા, કારણકે ગુરુ ગોવિંદ સિંહ ઔરંગઝેબ ના હજારો પ્રયત્નો છતાં,મુઘલ સામ્રાજ્યની આધિનતા સ્વીકારવા તૈયાર નહોતા. ગુરુ ગોવિંદ સિંહ અને એમના ૪૦ સાથીઓ ને કચડવાનો મુઘલ સેના એ ખુબ જ પ્રયત્ન કર્યો, પરંતુ ગુરુ ગોવિંદ સિંહ કે એમના ૪૦ સાથીઓ માંથી કોઈ મુઘલ સેના તાબે થયું નહિ એની આ વીર ગાથા છે. . “ ઝાફરનામાં “ માં આ યુદ્ધ નો ઉલ્લેખ કરતાં ગુરુ ગોવિંદ સિંઘે લખ્યું છે,

“ ચીડીઓ સે મેં બાજ લડાઉ .....

ગીધડો કો મેં શેર બનાઉ .....

સવા લાખ સે એક લડાઉ......

તભી મેં ગુરુ ગોવિંદ કહાઉ....

તો ચાલો ઇતિહાસ ના આ મજબૂત યુદ્ધ પર એક નજર કરીએ.

મે,૧૭૦૪ ની આનંદપુરની છેલ્લી લડાઈમાં કટલાક મુઘલ શાશકો ની સંયુક્ત ફોજે ગુરુ ગોવિંદ સિંહ સાહેબ ને આનંદપુર કિલ્લામાં ઘેરો ઘાલી રાખ્યો. એમના માનવા પ્રમાણે કિલ્લાની અંદર રાશન- પાણી ખતમ થતાં, ગુરુ ગોચિંદ સિંહ સામે મુઘલોની શરણાગતિ સ્વીકાર્યા સિવાય કોઈ વિકલ્પ રેહશે નહિ. . પણ એક રાત્રે ગુરુ ગોવિંદ સિંહ અને એમના ચેલાઓ આનંદપુર કિલ્લામાંથી નીકળી ગયા. થોડી જ વારમાં મુઘલ સેના ને ખબર પડી ગઈ ને એ લોકો એ ગુરુ ગોવિંદ સિંહ નો પીછો કર્યો. આ બાજુ ગુરુજી સિરસા નદી તરફ પોતાના સાથીઓ સાથે આગળ વધતા જતાં હતાં ...

જયારે શીખોનો કાફલો સિરસા નદી પાસે પોહ્ચ્યો તો નદી માં ભયંકર પૂર આવેલું હતું અને પાણી પૂર જોશમાં હતું. આ સમયે શીખો ખુબજ મુસીબતમાં મુકાઇ ગયાં. એકબાજુ દુશ્મનોની ફોજ માર-માર કરતાં તેમની તરફ આગળ વધી રહી હતી, તો બીજી બાજુ નદી માં ખતરનાક પૂર. એ સમયે ગુરુ ગોવિંદ સિંઘે આદેશ આપ્યો કે કેટલાંક શીખો અહીં જ રહી ને દુશ્મનો નો સામનો કરશે અને એમને આગળ વધતાં અટકાવશે અને બાકીના જે શીખો નદીમાં સામા વહેણે ઘોડાઓ સાથે જવાની હિંમત દાખવી શકે એ એમ કરે.

એવું જ કરવામાં આવ્યું. બે શીખો મુઘલો સાથે ત્યાં જ શીખો લડી પડ્યા અને બાકીનાં શીખો નદી પાર કરવામાં લાગી ગયાં. નદીનાં પૂર ના ભયંકર જોશ વચ્ચે ગુરુ ગોવિંદ સિંહ તો નદી પાર કરી ગયા પરંતુ,એમના કેટલાય સાથીઓ નદીમાં અથવા તો ડુબી ગયા અને અથવા તણાઈ ગયા. નદી ને પેલે પાર પોહ્ચ્યા પછી જે શીખો બચ્યા એ કુલ મળીને ૪૩ જણા હતા. નદી ને આં પાર પેલા બે શીખો પોતાના જીવન ના અંતિમ શ્વાસ સુધી લડતાં રહ્યાં, શત્રુઓને પછાડતાં રહ્યાં અને અંતે શહીદ થયાં.

આ ભયાનક ઉથલ-પુથલ માં ગુરુ ગોવિંદ સિંહ નો પરિવાર એમનાથી છૂટો પડી ગયો. ભાઈ માંનીસિંહની સાથે માતા સાહિબ કૌરજી અને માતા સુંદરી કૌરજી એમની દાસીઓ સાથે હતાં. બે સીખ ભાઈઓ જે દિલ્લી ના નિવાસી હતાં, એ લોકો સિરસા નદી પાર કરી ગયા. એ લોકો બધા હરિદ્વાર થઈને દિલ્લી પહોચ્યાં, જ્યાં ભાઈ જવાહર સિંહ એમને પોતાના ઘરે લઇ ગયો.

ગુરુજી પોતાના ૪૨ શીખોની સાથે આગળ વધતાં બપોર સુધીમાં ચમકૌર નામની એક જગ્યા પાસે પહોંચ્યા. ત્યાના સ્થાનિક લોકોએ ગુરુજી નું સ્વાગત કર્યું અને એમને દરેક પ્રકારની મદદ કરી. ત્યાં જ એક કાચી હવેલી હતીઓ જે ઊંચા ટીલા પર હતી, ગુરુજી અને એમના સાથીઓ એ ત્યાં જ રેહવાનું નક્કી કર્યું. ગુરુ ગોવિંદ સિંઘે પોતાના ૪૦ શીખોને નાની-નાની ટુકડીઓ માં વિભાજીત કરી દીધા ને એ ટુકડીઓને કિલ્લાની આજુબાજુ લડાઈ મોરચા પર મૂકી દીધા. ગુરુજી એ પોતે કિલ્લાની ઉપર અત્તાલીકામાં મોરચો સંભાળ્યો.

આ બાજુ જેવાં સિરસા નદીમાં પૂર ઓસર્યા કે મુઘલ સેના માર-માર કરતી ગુરુ ગોવિંદ સિંહનો પીછો કરતી તેમની પાછળ ચમકૌર ના મેદાન સુધી આવી ગઈ. ત્યાંના સ્થાનિક લોકો પાસેથી વઝીર ખાનની મુઘલ સેનાને ખ્યાલ આવી ગયો કે ગુરુ ગોવિંદ સિંહ પાસે ફક્ત ૪૦ માણસો જ છે. એવું જાણતા મુઘલ સેના ગુરુ ગોવિંદ સિંહ ને આરામ થી બંદી બનાવવા ના મનસૂબા ઘડવા લાગી.

વઝીર ખાને દુરૂ ગોવિંદ સિંહને એમના સાથી ઓ સાથે મુઘલ સલ્તનતને તાબે થવાનું કહ્યું અને ખાતરી આપી કે એ લોકોને જીવતાં રાખવામાં આવશે. એના જવાબમાં ગુરુ ગોવિંદ સિંહ અને એમના સાથીઓ એ મુઘલ સેના પર તીરોની વર્ષા કરી. એ વખતે ૪૦ શીખો નો સામનો ૧૦ લાખ મુઘલ સૈન્ય સામે હતો, પરંતુ ગુરુ ગોવિંદ સિંઘે પણ એક-એક શિષ્ય ને સવા-સવા લાખ સામે લડવા માટે તૈયાર કર્યા હતાં.

૨૨, ડીસેમ્બર ૧૭૦૪ માં સંસાર નું આ અનોખું યુદ્ધ શરુ થયું. . આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલાં હતા અને ધીમી ધીમી બૂંદે વરસાદ પડી રહ્યો હતો. વર્ષનો સૌથી નાનો દિવસ હોવાને કારણે સૂર્ય પણ આકાશ માં મોડેથી દેખાયો. સખત ઠંડી હવાઓ વચ્ચે કાચી હવેલીમાં બેઠેલા ગુરુ ગોવિદ સિંઘના શીખ શિષ્યોના લોહિમાં ગરમી પૂર જોશમાં વહી રહી હતી.

કાચી હવેલી પર આક્રમણ થયું. હવેલીની અંદર થી તીરો અને ગોળીઓની વર્ષા મુઘલોની સેના પર થઇ. અનેક મુઘલ સૈનિકો તો ત્યાં જ ઢેર થઇ ગયા. મુઘલોના દરેક આક્રમણ નો વીરતાથી જવાબ આપતા શીખ સૈન્ય ને જોઇને મુઘલો ઘબરાઈ પણ ગયા અને માની પણ નહોતા શકતા કે ફક્ત ૪૦ માણસોની ફોજ આવી રીતે લડી શકે ને એમને હંફાવી શકે. શીખ સૈનિકો લાખોની સંખ્યામાં હાજર એવા મુઘલ સૈન્યથી ઘેરાયેલી હોવા છતાં જરા પણ ડર્યા કે પીછેહઠ કર્યા વિના લડવા-મારવા નો આ અજીબ ખેલ રમી રહ્યાં હતા. એમની પાસે જયારે જયારે ગોળા-બારૂદ ખલાસ થઇ ગયા ત્યારે શીખો તલવાર-ભલા લઈને યુદ્ધના મેદાન પર નીકળી પડ્યા.

સરહિન્દ ના નવાબે સેનાઓ ને એકવાર એકઠાં થઈને હવેલી પર હુમલો કરવા કહ્યું. પરંતુ ગુરુ ગોવિંદ સિંહ ઉંચાઈ પર આવેલી હવેલીમાં હોવાના કારણે વ્યુહાત્મક દ્રષ્ટીએ એ સારી પરિસ્થિતિમાં હતાં. અને શીખ સૈન્ય એ મળીને એ હુમલો પણ વ્યર્થ કરી દીધો, એટલું જ નહિ, શીખો ની બાણ-વર્ષાથી અનેક મુઘલ સૈનિકો ને શાશ્વત નીંદર માં પોઢાડી દીધા.

શીખોના જુથે હવેલીમાંથી બહાર આવીને મુઘલ સેનાને ભયંકર પછડાટ આપી. ગુરુ ગોવિંદ સિંહ પોતે પણ ઉપર હવેલીમાંથી દુશ્મનો પર બાણ ચલાવીને પોતાના શીખ સાથીઓ સાથે હારોહાર લડી રહ્યાં હતાં. થોડી વાર માટે તો તલવાર થી તલવાર અને ભલા થી ભલા એમ ભયંકર યુદ્ધ ચાલ્યું. સેકડો સૈનિકો મેદાન માં લાશો ના ઢેરમાં પલટાઈ ગયાં. છેલ્લે એ પાંચ શીખો પણ શહીદ થઇ ગયા જે એમની સામે લડતાં હતાં

ત્યાર પછી ગુરુ ગોવિંદ સિંઘે બીજા પાંચ શીખો ને લડવા માટે મોકલ્યા. એ લોકો પણ માની ના શકાય એવા જનૂન સાથે ને બહાદુરી થી લડ્યા. શત્રુઓ ને પાછળ ધકેલતા, મારતા અને ભારે જાનહાની પોહ્ચાડતા એ પાંચ શીખો પણ શહીદ થઇ ગયાં. આ રીતે ગુરુ ગોવિંદ સિંઘે રણનીતિ બનાવી અને પાંચ-પાંચ ના જૂથમાં પોતાના સૈનિકોને લડવા માટે મોકલતા રહ્યાં અને દુશ્મનો ને હંફાવતા રહ્યાં. આમ કરતાં-કરતાં જયારે પાંચમું જૂથ શહીદ થઇ ગયું ત્યારે બપોર નો સમય થઇ ગયો હતો.

સરહિન્દ ના નવાબ વઝીર ખાનણી સલાહ નું પાલન કરતાં, જનરલ હિદાયત ખાન, ઈસ્માઈલ ખાન, ફુલડ ખાન, સુલતાન ખાન, અસમાલ ખાન, જહાન ખાન, ખલીલ ખાન અને ભૂરે ખાન યોગ્ય કેળવાયેલ સૈન્ય ને લઇ ને હવેલી તરફ આગળ વધ્યા. શીખ સૈન્ય ને ખબર હતી ક આટલાં મોટા હૂમલ ને રોકવું સરળ નથી. એટલે અંદર બેઠેલા બાકી બચેલાં શીખો એ દુરૂ ગોવિંદ સિંહ ને હાથ જોડી ને વિનંતી કરી કે તેઓ તેમના કુંવરો ને લઈને ત્યાંથી જતાં રહે.

આ સંભાળીને ગુરુ ગોવિંદ સિંઘે કહ્યું, “ તમે કયા કુંવરોની વાત કરો છો. ? તમે બધા જ મારા કુંવરો જ છો. ” ગુરુ ગોવિંદ સિંહ નો આવો જવાબ સાંભળીને બધા શીખો નવાઈ પામ્યા. ત્યારે જ ગુરુ ગોવિંદ સિંહ ના મોટા પુત્ર અજીત સિંઘે ગુરુ ગોવિંદ સિંહ પાસે આવી ને તેને યુદ્ધ માં જવા દેવાની અને પોતાની વીરતા નું પ્રદર્શન કરવા દેવાની અનુમતિ માંગી. ગુરુ ગોવિંદ સિંઘે સહર્ષ એમને આશીર્વાદ આપ્યા અને યુદ્ધમાં જવા માટે સંમતિ આપી અને એને પોતાનું કર્તવ્ય ના ચૂકવા માટે હર્ષની લાગણીથી વધાવ્યા.

કુંવર અજીત સિંહ ના મનમાં કૈક કરી છુટવાની ભાવના હતી. વળી એ યુદ્ધમાં પણ નિપુણ હતા. બસ પછી તો બાકી શું હતું... !! એ પોતાના અન્ય ચાર શીખ સાથીઓ ને લઈને બહાર આવ્યા અને મુઘલ સેના પર એવી રીતે તૂટી પડ્યા જાણે શાર્દુલ હરણ શાવક પર તૂટી પડ્યું હોય. કુંવર અજીત સિંહ જે બાજુ જતાં ત્યાં મુઘલ સૈનિકો અથવાતો કપાઈ મરતા, અથવા ભાગી જતાં. પ્પંચ સિંહો ના જુથે સેકડો મુઘલો ને કાળ ના ભોગ બનાવી દીધા. કુંવર અજીત સિંઘે અદભૂત વીરતા નું પ્રદર્શન કર્યું, પરંતુ અગર એક-એક એ જો હજાર-હજાર ને પણ માર્યા હોય તો લાખો મુઘલ સૈનિકો ના સાગર માંથી પક્ષીની ચાંચ ભરાય એટલા પાણી જેટલા જ સૈનિકો ઓછા થયાં હોય. એટલા સૈનિકો ના મરી જવાથી લાખો મુઘલ સૈનિકો ની સેના માં કઈ ખાસ તો ફરક પડવાનો નહતો.

કુંવર અજીત સિંહ ને જયારે નાના ભાઈ કુંવર જુઝાર સિંઘે શહીદ થતાં જોયાં તો એને પણ ગુરુ ગોવિંદ સિંહ પાસે રણભૂમિ માં જવા માટે મંજૂરી માંગી. ગુરુ ગોવિંદ સિંઘે એમની પીઠ થાબડી અને સંમતિ ની મોહર મારી. ગુરુ ગોવિંદ સિંઘે એમના નાના પુત્ર ની સાથે બીજા ચાર શીખ સૈનિકો ને પણ મોકલ્યા. ગુરુ ગોવિંદ સિંહ જુઝાર સિંઘને રણભૂમિ માં બહાદુરી પૂર્વક લડતાં જોઇને, એમનો હોંસલો જોઇને અતિશય ખુશ થયાં. કુંવર જુઝાર સિંહ ના યુદ્ધ કૌશલ્ય ને જોઇને ગુરુ ગોવિંદ સિંહ જયકાર ના સ્વરમાં ઊંચા અવાજે બોલ્યા, “ જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ.

જુઝાર સિંહ શત્રુ સેના ની વચ્ચે ઘેરાઈ ગયાં, છતાં પોતાની વીરતાનું પ્રદર્શન કરતાં-કરતાં વીરગતિ ને પ્રાપ્ત થયાં. આ બે યોદ્ધાઓની ઉંમર ક્રમશ: ૧૮ વર્ષ તથા ૧૪ વર્ષ ફક્ત હતી. વર્ષા અને વાદળોના લીધે સાંજ જલ્દી થઇ ગઈ. વળી વર્ષનો સૌથી નાનો દિવસ પણ હતો એટલે અંધારું થતાં યુદ્ધ વિરામ થયું.

ગુરુ ગોવિંદ સિંઘે બન્ને કુંવરો ને શહીદ થતાં જોઈ,જરા પણ દુ:ખ કે શોક કર્યા વગર પરમ કૃપાળુ સમક્ષ પ્રાર્થના કરી,

“ તેરા તુજકો સોપતે, ક્યા લાગત મેરા....

શત્રુ એમના ઘાયલ અથવા મૃત સૈનિકો ના શબો ને ઉઠાવવાના ચક્રવ્યૂહ માં ફસાઈ ગયાં, ચારે તરફ અંધારું હતું. આ સમયે ગુરુ ગોવિંદ સિંહ પાસે સાત શીખ સૈનિકો બચ્યા હતાં. અને પોતે મળીને કુલ આઠ જણા જ બચ્યા હતાં. મુઘલ સેના પાછળ હતી અને આરામ કરવા માટે એમના તંબુઓ માં ગઈ. પણ આ સમયે પણ મુઘલ સેના ને તો એવો જ ભ્રમ હતો કે હવેલીની અંદર હજુ પણ પુરતી સંખ્યામાં શીખ સૈન્ય છે.

રાત્રી ના સમયે ગુરુ ગોવિંદ સિંહ અને એમના સાથીઓ એ વાહે ગુરુની પ્રાર્થના કરી અને ગુરુ ગોવિંદ સિંઘે બચેલાં શીખોને જબરજસ્ત હોંસલા સાથે આગળની લડાઈ માટે તૈયાર કર્યા. અને એ શીખ સૈનિકો એ પણ જીવન ના છેલ્લા પ્રાણ સુધી ગુરુ ગોવિંદ સિંહ અને એમના શીખ ધર્મ ખાતર મુઘલો સામે નહિ ઝૂકવાના પ્રણ લીધા. પરંતુ એજ સમયે એ શીખો એ ગુરુ ગોવિંદ સિંહ ના ચરણોમાં પ્રાર્થના કરી કે સમય ની માંગ સમજી ને ગુરુ ગોવિંદ સિંઘે આ હવેલી છોડી ને બીજે ક્યાંક સલામત જગ્યા એ જતાં રેહવું જોઈએ. જો ગુરુ ગોવિંદ સિંહ એમ કરે તો જ એ લોકો નિશ્ચિંત થઈને લડી શકશે કારણકે એ શીખો ને પોતાની શહીદી ને લઇ ને કોઈ ચિંતા નહોતી પરંતુ એમને એમ હતું કે જો ગુરુ ગોવિંદ સિંહ ને કઈ થઇ ગયું તો આખા શીખ સંપ્રદાય નું શું થશે ?

અને આ રીતે તો ગુરુ ગોવિંદ સિંહજી નું લક્ષ્ય પૂર્ણ નહિ થાય. જો ગુરુ ગોવિંદ સિંહ જીવતાં રહે છે, તો એ સંજોગો માં ગુરુ ગોવિંદ સિંહ એમના આશ્રય અને માર્ગદર્શન હેઠળ બીજી એમના જેવી જ શીખ સેના તૈયાર કરી શકશે અને એમને લડવા માટે માનસિક તાકાત પૂરી પાડી શકશે.

પણ ગુરુ ગોવિંદ સિંહ એમ પોતાના શિષ્યોને મુકીને જવા કોઈ પણ હિસાબે તૈયાર નહોતા. એમનું મન એમના શિષ્યો ને અહી મારવા માટે એકલા મૂકી ને જવા માટે તૈયાર જ નહોતું. ગમે એટલું સમજાવવા છતાં ગુરુ ગોવિંદ સિંહ જયારે ત્યાંથી જવા તૈયાર ના થયાં ત્યારે એમના પ્રાણની રક્ષા ખાતર એ પાંચ શીખ સૈનિકો એ શીખ ધર્મની રક્ષા ખાતર અને ગુરુ નાનક ના દૂત તરીકે આખા શીખ સમાજ ના લાભાર્થે એમનું જીવિત રેહવું જરૂરી છે એમ મનાવ્યું અને એમને ચમકૌર ના એ મેદાનમાંથી નીકળી જવા કહ્યું. ગુરુ ગોવિંદ સિંહ જી એ કાચી હવેલી છોડવાની યોજના બનાવી. ૨ શીખો ને પોતાની સાથે આવવા કહ્યું. અને બાકીના જે પાંચ બચ્યા એમને અલગ અલગ મોરચાઓ પર તૈનાત કરી દીધા. એ પાંચમાંથી એક જણ ને ગુરુ ગોવિંદ સિંહનો વેશ ધારણ કરાવી લીધો. પરંતુ એમને ચુપચાપ ચાલ્યા જવા કરતાં દુશ્મનોને ત્રાડ નાખીને જવાનું પસંદ કર્યું. ચુપચાપ ભાગી જાય એમાંના ગુરુ ગોવિંદ સિંહ નહોતા. એટલે પોતાના બે સાથીઓ સાથે જતી વખતે એમને રાડ નાખી,

“ પીરે હિન્દ જા રહા હૈ .... કિસીકી હિમ્મત હૈ તો પકડ લે.....

આમ પોતાના જવા વિષે જાણકારી આપી. પાછળ વધેલા પાંચ શીખોએ લગભગ આખી મુઘલ સેનાનો ખાત્મો બોલાવી દીધો. અને છેવટે જયારે એ પાંચ શીખો મરી ગયાં ત્યારે વઝીર ખાને જોયું તો લાખોની સંખ્યામાં પડેલી લાશોમાં ફક્ત ૩૭ લાશો શીખોની હતી, બાકીની બધી લાશો તેના સૈન્યની હતી. મુઘલ સલ્તનત ના લાખો પ્રયત્નો છતાં ગુરુ ગોવિંદ સિંહ તેમના તાબે તો ના જ થયાં અને એમના ફક્ત ૪૦ શીખો એ ૧૦ લાખ જેટલી મુઘલ સેના ને હંફાવી.

તો આવી હતી એ શીખોની બહાદુરીની વાત. મુઘલોની લાખોની સેના ભેગી મળીને પણ ગુરુ ગોવિંદ સિંહ અને એમની સેના ને હરાવી નહોતી શકી. ધન્ય છે એ ભારત ભૂમિ ને જેની પાસે આવા બહાદુર સિંહ છે... ભારત નો ઇતિહાસ આવા મજબૂત શૂરવીરોથી જીવંત છે-સમૃદ્ધ છે-ગર્વિત છે... શત-શત નમન છે ભારતના આવા ખડકાળ શૂરવીરોને.... જેમના લીધે ભારતની આ મહાન સંસ્કૃતિ જીવંત છે-ગૌરાન્વિત છે...

“ જય ભારત “