VISHAD YOG- CHAPTER-26 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ - પ્રકરણ-26

‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______________######__________#####________

સુરસિંહ વિલીને જોઇને એક જટકા સાથે ઊભો થઇ ગયો. તેના ચહેરા પર ગભરાટ છવાઇ ગયો પણ તેણે ઘાટ ઘાટના પાણી પીધા હતા એટલે તે તરતજ ફરીથી સ્વસ્થ થઇ ગયો અને જાણે તેને કોઇ ડરજ નથી તેમ તેણે નિશીથને કહ્યું “જો ભાઇ હ્વે તારે ફરી પાછું શું શોધવું છે આ અનાથાશ્રમમાં?

આ સાંભળીને નિશીથ હસી પડ્યો અને બોલ્યો “વાહ દોસ્ત તારી એક્ટીંગ તો જોરદાર છે પણ અફસોસ કે તે હવે વધારે કામ નહીં આવે. અમારે અનાથાશ્રમનું કોઇ કામ નથી અમારે તારુ કામ છે અને શું કામ છે તે તું સારી રીતે જાણે છે?”

આ સાંભળી સુરસિંહ ગભરાઇ ગયો પણ તેણે જેલમાં વિસ વર્ષ કાઢ્યા હતા એટલે તે પણ ગાજ્યો જાય તેમ નહતો. તેણે નિશીથ સામે જોઇ ગુસ્સાથી કહ્યું “જો ભાઇ તારે જે પણ કામ હોય તે ચોખ્ખુ કહી દે. બાકી મારી પાસે તારો આ બકવાસ સાંભળવાનો કોઇ સમય નથી અને હવે મને તારા પૈસામાં કોઇ રસ નથી એટલે તમે ઝડપથી અહીંથી ચાલતી પકડો એમાંજ તમારી ભલાઇ છે.”

આ સાંભળી નિશીથે રોમેશ સામે જોયું એટલે રોમેશે આગળ આવી કાહ્યું “જો ખોટુ નાટક રહેવા દે તને પૈસામાં શું

કામ રસ નથી રહ્યો તે અમે જાણીએ છીએ. તું સીધી રીતે અમે જે કહીએ તે પ્રમાણે જવાબ આપવા માંડ નહીતર પછી તને ખબર નથી કે તારી શું હાલત થશે?

આ સાંભળી સુરસિંહને શરૂઆતમાં ડર લાગ્યો પણ તેના વિસ્તારમાં આવી કોઇ તેને આમ ધમકાવી જાય તે સુરસિંહથી સહન ન થઇ શક્યું એટલે તેનો પીતો ગયો. તે ઊભો થઇ ગયો અને બોલ્યો “ ઓઇ તું કોને ધમકી આપે છે તે તને ખબર છે? તુ મને ઓળખતો નથી. મે એક ખુન તો કરેલુ છે ક્યાંક બીજુ તારુ કરી નાખીશ.” આ સાંભળી નિશીથના ચહેરા પર સ્મિત આવી ગયું. નિશીથ કઇ બોલે તે પહેલા તો રોમેશે ખીસ્સામાંથી રીવોલ્વોર ખેંચી સુરસિંહના કપાળ પર મુકી દીધી અને બોલ્યો “તારો પનારો આજે મારી સાથે પડ્યો છે. તે એક ખુન કર્યુ એમા તો વિસ વર્ષ જેલમાં રહેવુ પડ્યું, પણ હું તને ઉડાવી દઇશ તો કોઇને ખબર નહીં પડે.” રોમેશની આંખમાં રહેલ ખુન્નસ જોઇને સુરસિંહ ઢીલો પડી ગયો. તે અંદરથી તો આમ પણ ડરેલો જ હતો પણ હવે તેનુ મહોરું પણ ઉતરી ગયું. તે ધબ દઇને ખાટલામાં બેસી ગયો અને બોલ્યો “તમારે મારી પાસેથી શું જોઇએ છે?” સુરસિંહને ઢીલો પડેલો જોઇ નિશીથે આંખોથીજ રોમેશને ઇશારો કર્યો એટલે રોમેશે ગન ખીસ્સામાં મુકી દીધી અને તે સાઇડમાં જતો રહ્યો. નિશીથ સુરસિંહ પાસે ખાટલામાં બેઠો. નિશીથે સુરસિંહના ખભ્ભા પર હાથ મુક્યો અને બોલ્યો “જો મિત્ર તને ખબર જ છે કે અમારે તારી પાસેથી શું જાણવું છે છતા પણ હું તને સમજાવુ છું કે અમારે શું માહિતી જોઇએ છે. આજથી વિસ વર્ષ પહેલા તમે સુર્યેશ્વર મહાદેવના આચાર્યનું ખુન કરેલું. તેની સાથે એક બાળક હતુ તે હું જ છું.” આટલું કહી નિશીથ સુરસિંહના હાવભાવ જોવા રોકાયો પણ સુરસિંહ કંઇ બોલ્યો નહીં એટલે નિશીથે વાત આગળ વધારતા કહ્યું “મારે માત્ર એટલુંજ જાણવું છે કે તે ખુન તારા અંગત કારણથી કર્યું હતુ કે કોઇના કહેવાથી કર્યું હતું?”

“ એ જે પણ હોય તેનાથી તને શું ફેર પડવાનો છે? મે ખુન કર્યુ હતુ અને તેની સજા મને મળી ગઇ છે. હવે તેમા તમે મને શું કરી શકશો? અને જે પણ કારણ હોય તેને આજે વિસ વર્ષ થઇ ગયા છે. હવે કારાણ જાણીને શું કરશો?” આ સાંભળી નિશીથે કહ્યું “જો સાચો હિસાબ અદાલત નથી કરતી એ તો તમારો આત્મા અને ઉપર બેઠેલો ઇશ્વર કરે છે. તેની નજરોમાં તુ હજુ પણ ગુનેગાર હોઇ શકે. પછી ભલે તે અહીં તેની સજા ભોગવી લીધી કેમકે અહીની અદાલતમાં તો તમે સોદાબાજી કરી શકો પણ ઇશ્વર સોદેબાજ કે દગાબાજ નથી હોતો. તે હંમેશા તમારા કર્મોનો હિસાબ સાચો જ કરે છે. એટલે તુ અહીં ભલે છુટી ગયો પણ ઇશ્વર જ્યારે પુછશે ત્યારે શો જવાબ આપીશ.” નિશીથ આકાશ તરફ જોઇને જ્યારે આ બોલતો હતો ત્યારે તેના આ શબ્દોમાં શુરસિંહ ખોવાઇ રહ્યો હતો. તેને જાણે સામેજ યમલોક દેખાઇ રહ્યો હતો જેમા તેના ગુનાની સજા તેને મળી રહી હતી. અચાનક સુરસિંહને ઇશ્વરાનંદ બાબાના શબ્દો યાદ આવી ગયા “કરેલા કર્મોની સજા તો ભોગવવીજ પડે છે. ઇશ્વર બધાના કર્મોનો હિસાબ વહેલો મોડો કરે છે તો ખરો. હા પ્રાયશ્ચિત કે પશ્ચાતાપ તેમા થોડે ઘણે અંશે રાહત આપી શકે છે.” આ યાદ આવતાજ શુરસિંહને થયું કે ક્યાંક આમાજ મારે પ્રાયશ્ચિત કરવાની તક તો નથીને? આ યાદ આવતા જ તેણે નિશીથ સામે જોયું અને નિશીથના ચહેરામાં તેને આચાર્યની જલક દેખાઇ. આપોઆપ તેનાથી નિશીથ સામે હાથ જોડાઇ ગયા અને તે બોલ્યો “ મને માફ કરી દો મે એક પાપ કરેલુ જેની સજા તો મને મળી ગઇ છે પણ એક નિર્દોશ અને પુજ્ય વ્યક્તિની હત્યા કરી છે તેનો અફસોસ અને ઓથાર મને છોડતો નથી. હું તમારો તો ગુનેગાર છુજ પણ સાથે સાથે આ સમાજનો પણ ગુનેગાર છું. તમે જે કહેશો તે કરવા હું તૈયાર છું કદાચ કુદરતે મને પશ્ચાતાપનો મોકો આપવા માટેજ તમને અહીં મોકલ્યા છે.” આ સાંભળી નિશીથ અને રોમેશે એકબીજા સામે જોયું. શુરસિંહ આટલી જલદી તેની વાત માની જશે એવી નિશીથને આશા નહોતી. કદાચ આમા શુરસિંહની કોઇ ચાલ પણ હોઇ શકે એટલે તેણે રોમેશ સામે જોયું. રોમેશે ઇશારાથી તેને આગળ વધવાં કહ્યું એટલે નિશીથે બાજુમાં પડેલ જગમાંથી પાણીનો ગ્લાસ ભરીને શુરસિંહને આપ્યો. શુરસિંહ એકજ ઘુટડે આખો ગ્લાસ પી ગયો. શુરસિંહને થોડીવાર શાંત પડવા દઇ પછી નિશીથે ફરીથી વાતની શરૂઆત કરતા કહ્યું “જુઓ, તમે અમને ત્યારે બનેલી આખી ઘટના કહી સંભળાવો. કોણે તમને આ કામ કરવાનું કહ્યું હતું? તેની પાછળ તેનો શું મકસદ હતો? બધીજ વાત અમને કરો.”

આ સાંભળી શુરસિંહ થોડીવાર રોકાયો અને પછી બોલવાનું શરૂ કર્યું. “આ સુર્યગઢ એ એક જમાનામાં નાનું એવુ રાજ્ય હતું. જેમા સિહોર અને પાલીતાણાની વચ્ચેનો ખારી નદીથી ઘેરાયેલો ઘણો પ્રદેશ આવતો હતો. ભાવનગર બહું મોટું રાજ્ય હતું પણ ભાવનગર રાજ્યની બોર્ડરને અડીનેજ આ સુર્યગઢ જેવું નાનું રાજ્ય હતું. આઝાદી પછી જ્યારે બધા રજવાળાને એક કરી દેવામાં આવ્યા ત્યારે સુર્યગઢ પણ ભારતમાં ભળી ગયું હતું. તેમ છતા અહીંના રાજા મહિપાલસિંહના દમામ અને રૂઆબ યથાવત હતા. તેના દીકરા દશરથસિંહ આઝાદી વખતે 5 વર્ષના હતા. તે પણ પ્રજા વત્સલ અને ન્યાયપ્રેમી રાજા હતા. તેના લીધે અહીંના લોકોમાં આઝાદી પછી પણ તેના માટે માન હતું. દશરથસિંહના બે દીકરા હતા. જેમા મોટા શક્તિસિંહ અંને નાના કૃપાલસિંહ બંને જોડીયા ભાઇઓ ચહેરે મહોરે સરખા પણ સ્વભાવ એકદમ જ અલગ. શક્તિસિંહ તેના પિતાની જેમ માયાળું, બહાદુર અને પ્રજા વત્સલ હતા. જ્યારે કૃપાલસિંહની પ્રકૃતિ તદન ઉલટી હતી. તે એકદમ બગડી ગયેલો વંશજ હતો. દારૂ પીને આખો દિવસ ઐયાસી કરવી તે તેનું રોજનું કામ હતું. તેને લીધે દશરથસિંહે પોતાની પ્રોપર્ટીનો હવાલો શક્તિસિંહને સોપેલો. શક્તિસિંહ અને સુર્યેશ્વર મહાદેવ મંદીરના આચાર્ય બંન્ને મિત્રો હતા અને બંન્ને પ્રજાના સુખ દુખમાં સાથે રહેતા. રાજનો વહિવટ શક્તિસિંહ હંમેશા આચાર્યને પુછીને કરતા. કૃપાલસિંહને આ બંન્નેની મિત્રતા હંમેશા કણાની જેમ ખટકતી. કૃપાલસિંહ શરાબી અને બગડેલ હતો પણ દિલનો ખુબ મોટો હતો. તે મને અને વિરમને નાના ભાઇની જેમ રાખતો. ધીમે ધીમે અમને પણ તેની સાથે રહી શરાબની આદત પડી ગઇ. અમે કૃપાલસિંહ કહે તે કામ કરી આપતા બદ્લામાં તે અમને પૈસા આપતો અને શરાબ પીવડાવતો. આમનેઆમ અમને શરાબની લત લાગી ગઇ સાંજ પડે અને શરાબ જોઇએજ પછી તો અમે કૃપાલસિંહના બધાજ ખરાબ કામના ભાગીદાર બનતા ગયા. એક દિવસ અચાનક એક માણસ મને અને વિરમને બોલાવવા આવ્યો અમે કૃપાલસિંહ પાસે પહોંચ્યા તો કૃપાલસિંહે અમને જે કહ્યું તે સાંભળી અમે ચોંકી ગયા.”

-------########-----------######------------------###------------------#####--------

પ્રશાંત કામત તેના રૂમમાં બેઠો હતો ત્યાં તેનો સેલફોન રણક્યો. ફોન ઉપાડતાજ સામેથી જે કહેવાયું તે સાંભળી તેના ચહેરા પર એક ખંધુ સ્મિત આવી ગયું. સામેવાળાની વાત સાંભળી પ્રશાંતે કહ્યું “ ઓકે તમે તેના પર જ ધ્યાન રાખજો. તેની દરેક વાત મારા સુધી પહોંચવી જોઇએ.” એમ કહી તેણે ફોન ક્ટ કરી નાખ્યો. ફોન ક્ટ કરી તેણે એક નંબર ડાયલ કર્યો અને ફોન લાગતા કહ્યું “ હાલો, મિ. અજય હવે મે તમને કહ્યું હતુ તે કામની જરૂર પડશે. હું જયારે તમને કહું ત્યારે મારુ પાર્શલ તૈયાર રાખજો. જેમા બે નાની રીવોલ્વોર અને એક સ્નાઇપર ગન. હું તમને ફોન કરીને ગમે ત્યારે મંગાવી લઇશ. અને તમને પેમેંટ તમે જે રીતે કહેશો તે રીતે મળી જશે.” ત્યારબાદ તેણે ફોન કટ કરી નાખ્યો. અને વિચારવા લાગ્યો કે આ કૃપાલસિંહનો પાપનો ઘડો સાચેજ ભરાઇ ગયો છે.તેના બધાજ દુશ્મનોને કુદરત એક જ જગ્યાએ એકઠા કરી રહી છે. આ વિચાર આવતાજ અચાનક તેને કઇક યાદ આવતા તેણે ફરીથી મોબાઇલ લઇ કોલ કર્યો અને સામે છેડે ફોન ઉચકતાજ તેણે કહ્યું “હાલો મારે એક ઓબી વેન જોઇએ છે જેમા બધીજ સગવડતા હોય. ઇંટરનેટ અને જીપીએસ સાથે એલ.ઇ.ડી સ્ક્રીન પણ હોવી જોઇએ. ના કોઇ સ્ટાફની જરૂર નથી. ઓકે તમારુ પેમેંટ આજે થઇ જશે. અને મારો માણસ ડીલવરી આવીને લઇ જશે.” આટલી વાત કરી પ્રશાંતે ફોન ક્ટ કરી નાખ્યો. અને આંખો બંધ કરી તે વિચારવા લાગ્યો કે આ આખો પ્લાન હવે એકજ વ્યક્તિ પર આધારીત છે પેલા છોકરા નિશીથ પર. આંખ બંધ કરતાજ તેની આંખ સામે એક સ્મશાનનું દૃશ્ય આવી ગયું. જેમા એક ચિતા બળી રહી છે. આ ચિતા એક છોકરીની છે. તેની બાજુમાં એ છોકરીના અસહાય માતા પિતા અને એક તરુણ વયનો છોકરો ઊભા છે. માતા પિતાતો લાચારીથી ચિતાને જોઇ રહ્યા છે પણ પેલો તરુણ તેની અસમર્થતા પર એટલો ઘુંઘવાઇ રહ્યો છે કે તેના હાથની મુઠીઓ વળી ગઇ છે. આ તરુણ આ ચિતા સામેજ મકકમ નિશ્ચય કરે છે કે આ અસમર્થતા ને સમર્થતામાં બદલીને મારી દીદીનું વેર લઇશ. એક દિવસ આજ રીતે ગુનેગારોની ચિતા બળશે. એ વાતને આજે 15 વર્ષ થઇ ગયા છતા અત્યારે પણ એજ રીતે પ્રશાંત કામતની મુઠી વળી ગઇ જે રીતે ત્યારે ચિતાની સામે વળી ગઇ હતી. છેલ્લા 10 વર્ષથી જેની પાછળ રાત દિવસ મહેનત કરી હતી તે ઘડી હવે હાથ વેતમાં હતી. આ વખતે હવે તેમાં કોઇ કચાશ ન રહી જાય એ માટે તે એકેએક પગલું સાવચેતીથી ઉઠાવતો હતો. તેને નિશીથમાં પોતાનુંજ પ્રતિબિંબ દેખાતું હતું. નિશીથ પ્રત્યે ધીમે-ધીમે તેને લાગણી જન્મી હતી.

---------#######--------------------##########---------------#######‌‌‌‌--------------------

આ પ્રશાંત કામત કોણ છે? તેને સુરસિંહ અને વિરમ સાથે શો સંબંધ છે? વિલી આ બધામાં કંઇ રીતે જોડાશે? પ્રશાંત કામતે કોને ફોન કર્યો હતો? પ્રશાંત કામતને આ બધામાં શું રસ છે?આ બધા પ્રશ્નના જવાબ જાણવા માટે આ નોવેલ વાંચતા રહો. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહીઓ અને મિત્રોને વાંચવાની ભલામણ જરૂર કરજો.
---------------------------------------------------*****************************------------------------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલરલવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***************--------------------**************------------------

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM