Budhvarni Bapore - 22 books and stories free download online pdf in Gujarati

બુધવારની બપોરે - 22

બુધવારની બપોરે

(22)

સાડા છ કરોડ નરેન્દ્ર મોદીઓ

સાબરમતી નદી પરના રિવર-ફ્રન્ટ જેવું મનમોહક કપાળ (સૉરી, ‘મનમોહક’ને બદલે ‘તેજસ્વી’ કપાળ વાંચવું.....મૂળ શબ્દ રાષ્ટ્રીય કક્ષાએ પણ ઢીલો પડે છે...!) કોઇ યોગી-મહર્ષિ હિમાલયના બફર્ીલા પહાડો સાથે હરિફાઇમાં ઉતર્યા હોય, એવા ફરફરતા સફેદ વાળ. પાછળ ઊભેલી દીકરી પપ્પાના બન્ને ગાલો હથેળીમાં રાખે, એવી પૂરા ભારતની જેમ ગાલોને સાચવીને બેઠેલી મુલાયમ દાઢી. (ઓકે. હમણાં ‘મુલાયમ’ શબ્દ વાપરવામાં વાંધો નથી.) સ્માઈલ આપે ત્યારે એનો અર્થ પૂછી જોવા કૉંગ્રેસે ભારતભરના અનુવાદકો ભેગા કરવા પડે, એવું ચોથી સેકન્ડે પતી જતું અર્થપૂર્ણ સ્માઇલ, પોલાદનું મલખમ પકડ્યું હોવાનો એહસાસ કરાવે, એવો હૅન્ડ-શૅક, ફિલ્મો તો એમનાથી જોજનો દૂર હોવા છતાં ‘મોદી-કૂર્તા’ની ફૅશન શરૂ કરાવનાર એક હૅન્ડસમ નેતા...અને છેલ્લે, આતંકવાદીઓને દેખો ત્યાંથી ઠાર કરવાનો લશ્કરને હૂકમ આપનાર ભારતના વડાપ્રધાન...

આ બધું ભેગું કરીને રાજનીતિની માટીના ચાકડા ઉપર ચઢાવીને આકાર આપવા જાઓ, એટલે સીધી ‘નરેન્દ્ર મોદી’ની વિરાટ પ્રતિમા બહાર આવે.

રવિવારની મારી ‘ઍનકાઉન્ટર’ કૉલમમાં કોકે મને સવાલ પૂછ્‌યો હતો, ‘તમારી દ્રષ્ટિએ આજ સુધીના સર્વોત્તમ વડાપ્રધાન કોણ?’ મેં પલભરનો વિલંબ કર્યા વિના જવાબ આપી દીધો હતો, ‘અફ કૉર્સ...ડૉ.મનમોહનસિંઘ, જેમણે દુનિયાભરમાં સાબિત કરી આપ્યું કે, વડાપ્રધાન કેવા ન હોવા જોઇએ!’

બીજી બાજુ, ‘વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી કેવા રહેશે?’ એવો સવાલ પણ ઇ.સ.૨૦૧૪-માં એક પત્રકારે મને પૂછ્‌યો હતો. મેં કહ્યું, ‘એ વડાપ્રધાન જેવા રહેશે, આમનાગરિક જેવા નહિ. નાગરિક જેવા જ રહેવું હોત તો આપણે બધા ક્યાં નથી. દરેક વડોપ્રધાન નાગરિક હોય છે, પણ દરેક નાગરિક વડાપ્રધાન બની શકતો નથી. એ તો સાડા સાત કરોડમાંથી કોક એક જ નીકળે.

‘નમો’ના તોફાની નામે ઓળખાતા આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીમાં સ્વામી વિવેકાનંદ સાથે કેવળ નામનું સામ્ય નથી. (આ તો જસ્ટ માહિતી ખાતર....કે સ્વામી વિવેકાનંદ આપણા દેશના એક વિચારપુરૂષ અને હિંદુ સંસ્કૃતિના ફાયરબ્રાન્ડ પ્રચારક હતા અને એમનું મૂળ નામ ‘નરેન્દ્ર’ હતું, એ કેવળ યોગાનુયોગ નથી.) ભારતીયતાનો ઝંડો સ્વામીજીએ વિશ્વભરમાં લહેરાવ્યો હતો, તે પછી આપણા નેતાઓ પાસે માત્ર ઝંડો રહી ગયો ને ભારતીયતા ગાયબ થવા માંડી. થૅન્ક ગૉડ, બન્ને નરેન્દ્રોમાં ‘ભારતીયતા’ કૉમન છે અને આ નરેન્દ્રએ થોડો સુધારો કરીને આજના સમયને અનુરૂપ ફાયરબ્રાન્ડ ભારતીયતા અપાવી....‘દુશ્મન કો ઉસ કે ઘર મેં ઘુસ કર મારેંગે’વાળી ભારતીયતા.

કહે છે કે, મોદી માત્ર એમની વૈચારિક આભાને કારણે નહિ, એમની શારીરિક પર્સનાલિટી પણ એમને પ્રચંડ લોકચાહના અપાવી રહી છે. એ ટોળામાં આવતા હોય ત્યારે એમની ચાલથી માંડીને દ્રષ્ટિ સૅટ કરવાની એમની દ્રષ્ટિ પ્રજાને આંજવાનું કામ કરી જાય છે. શોભે એવા કપડાં પહેરવા એમનો શોખ નહિ, પ્રણાલિ બનતી જાય છે. (બીજી બાજુ....યાદ કરો, ભારતના કોઇ પણ પક્ષના નેતાઓના હાસ્યાસ્પદ કપડાં...!) ફોટા પડાવવા એમને ગમે છે અને કૅમેરા સામે કેવો પૉઝ આપવો, એ કોઇ હીરો જેવા ઍક્સપ્રૅશન્સ આપવા એમને માટે સાહજીક છે. દાઢી-મૂછ એમના ભાષણોની જેમ ચીવટપૂર્વક ‘ટ્રીમ’ કરે છે.....એકે ય કાળો વાળ દેખાવો ન જોઇએ....(આપણાથી બિલકુલ ઊલટું!) સભાઓમાં ભાષણ કરતી વખતે, ગમે તે એક શબ્દનો છેલ્લો અક્ષર લંબાવીને શ્રોતાઓ ઉપર છોડે છે, ‘જહાં તક મેરા ખયાલ હૈએએએએએએએ....’) અલબત્ત, મોદી લાયન્સ-રોટરીના વક્તા ન હોવાથી દરેક પ્રવચનમાં બધું નવું લાવે છે....દસ-પંદર વર્ષોથી એકના એક મુદ્દાઓ ઉપર કલાકો ખેંચવાના નહિ.

.....અને આખો દેશ મોદી ઉપર કુર્બાન થઇ ગયો પુલવામા-હૂમલા પછી તાબડતોબના નિર્ણયો પાકિસ્તાનને સીધું કરવા માટે લીધા એનાથી. ‘સજીર્કલ-સ્ટ્રાઇક’ તો મોદીએ પહેલા જ કરાવી દીધી હતી અને હવે એટલા નાનકડા સ્તરે ભારત મારવા નહિ આવે....હવે જીંદગીભર ‘બળે’ એવી રીતે મારશે. પાકિસ્તાની આતંકવાદીઓની ખુવારી ઉપર મોદીએ હસ્તાક્ષર કરી દીધા છે, ‘જાઓ....ઉસ કો ઘર મેં ઘુસકર મારો...’

નરેન્દ્ર મોદીની કમનસીબી એક જ રહી છે કે, એમને દુશ્મનો ય એમના લૅવલના નથી મળ્યા. એમની પૂરી રાજકીય કારકિદર્ી તપાસો તો ચોંકી જવાશે કે, એમની બરોબરીનો તો કોઇ દુશ્મન જ પેદા થયો નહિ. જે કોઇ હતા, એમને મસળી નાંખવાની મોદીને મેહનત કરવી પડી નથી....રાજકીય આત્મહત્યા દુશ્મનોના બ્લડમાં હતી. ઇમરાન ખાને ય મરવાનો થયો છે. એ ભારતને નથી લલકારતો, મોદીને લલકારે છે....‘ઘો મરવાની હોય ત્યારે....લાહૌરવાડે જાય...!’

મોદી ય જાણે છે કે, આખો દેશ એમની ઉપર ભરોસો રાખીને બેઠો છે. દુશ્મનને માફ કરવાનો તો સવાલ જ નથી, પણ જવાબ કઇ ભાષામાં આપવો, એ નરેન્દ્ર મોદીને શીખવાડવું પડે એમ નથી. ગમે તેમ તો ય, એ ગુજરાતનું પાણી છે. પૂરી દુનિયાને હચમચાવનાર ગાંધી ગુજરાતે આપ્યા હતા ને મોદી પણ! સદીના તફાવત અને દુશ્મનની નાલાયકી જોયા પછી મોદી પાકિસ્તાનને ‘ગાંધી-ચીંધ્યા માર્ગે’ સીધું નહિ કરે, ઉપર બેઠેલા મહાત્મા ગાંધી ય નીચે ઉતરીને કહેવા આવે કે, ‘પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુધ્ધ એ જ કલ્યાણ...’

તમામ વાચકોની જેમ, હું પણ ‘વંદે માતરમ’નો પૂજારી છું, મોદીની કદર કરૂં છું, એ જોઇને કેટલાક રાહુલભક્તો મને ‘મોદીનો ચમચો’ કહે છે, એનાથી મોટું ગૌરવ ક્યું હોઇ શકે? ચમચા બનવા માટે ય મારી સામે મોદી જેવી વિરાટ પર્સનાલિટી છે...કોઇ આલતુફાલતુના રાઇટ-હૅન્ડ બનવા કરતા મોદીના ચમચા હોવાનું મને મંજૂર છે.

ભારત માતા કી જય.

સિક્સર

‘દારૂ’ એટલો બધો ય ન પીવો જોઇએ કે, ઉતર્યા પછી તમે સીધું ગુજરાતીમાં બોલવા માંડો.

------