Doctor ni Diary - Season - 2 - 3 books and stories free download online pdf in Gujarati

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 3

ડોક્ટરની ડાયરી

ડો. શરદ ઠાકર

(3)

લાગ રહી યે હી રટના,

પિયા કબ ઘર આવે!

1980ની ઘટના. તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનુ વિમાન હોનારાતમાં મૃત્યુ થયું. તે સમયે ટી.વી. હજુ દેશવ્યાપી થવાને પાંચેક વર્ષની વાર હતી. રેડિયો પર મૃતાત્માને અંજલિ આપતા કાર્યક્રમો, સમાચારો અને વધેલા સમયમાં કરુણ શરણાઇ વાદન તેમ જ દેશના દિગ્ગજ શાસ્ત્રીય ગાયકોના કંઠેથી ભજનો પ્રાસારિત થતા હતા.

પ્રવણ નામનો છોકરો. બાર વર્ષની ઉંમર. એના કાનમાં એક ‘ચીજ’ પડી ગઇ. ભારતના એક સુપ્રસિધ્ધ ગાયક એમના કેળવાયેલા કંઠમાંથી રાગ ભૈરવીની આ બંદિશ પ્રસ્તુત કરી રહ્યા હતા, “મેરો અલ્લાહ મેહરબાન,....કોઇ બિગાડ સકત નહીં તેરો... મત લિજે તૂ ઠાન...મેરો અલ્લાહ મહેરબાન....”

પ્રવણ એની મમ્મીને પૂછ્યું, “મમ્મી, આ અવાજ કોનો છે?” મમ્મીએ રોટલી વણતાં વણતાં જવાબ આપ્યો, “ આ ગાયકનું નામ પં. જસરાજ છે, બેટા. એમનું ગળુ એટલે શાસ્ત્રીય ગાયકીનું કાશી! જેને ન સમજાય એને મન આ બધું રાગડા જેવું ગણાય; પણ જેને શાસ્6ય સંગીતમાં રસ અને સમજણ હોય તેને મન તો માનજન્મ મળ્યો એનું અંતિમ સાફલ્ય એટલે પંડિતજીની ગાયકી!”

પ્રણવના મમ્મી આવું કહી શક્યાં એનુ મુખ્ય કારણ એ કે એમને પોતાને શાસ્ત્રીય સંગીતની સૂઝ અને સમજ હતી. આ શોખ એમને પિયરમાંથી વારસામાં મળ્યો હતો. પ્રવણના નાના-નાની મામા, મમ્મી આ બધાં આખો દિવસ પોતાનું કામ કરતાં કરતાં રેડિયો સાંભળતા રહે; પણ સાંભળવામાં માત્ર કલાસિકલ મ્યુઝિક જ! પ્રવણ વેકેશનમાં એના મોસાળમાં રાજકોટ જાય તો વિસ્મય પૂર્વક જોયા જ કરે. મામાના ઘરમાં સોથી વધુ જગ્યા શાસ્ત્રીય સંગીતની રેકોર્ડઝ અને ઓડિયો કેસેટ્સ દ્વારા પચાવી પાડવામાં આવી હોય.

પ્રવણના પપ્પા સુરેન્દ્રનગરમાં રહે. ચાર-છ મહિના પછી સુરેન્દ્રનગરમાં ટ્રાન્ઝિસ્ટર પર પ્રણવે એ જબંદિશ ફરી વાર સાંભળી. આ વખતે એણે આવાજ ઓળખી કાઢ્યો, “મમ્મી! મમ્મી! જો, આ અવાજ પં. જસરાજનો જ છે ને?” મમ્મી હસી પડી “ બેટા, પંડિતજીને જસરાજ નહીં કહેવાનું, પં જસરાજજી કહેવાનું.”

“પણ એ તો એમની હાજરીમાં જ ને, મમ્મી?”

“ના, દીકરા! એમની ગેરહાજરીમાં પણ! જાગતા હોઇએ ત્યારે પણ અને ઊંઘતા હોઇએ ત્યારે સપનામાં પણ. આ દેશમાં આદરથી લઇ શકાય તેવા નામો બહુ જૂજ બચ્યાં છે હવે.”

પ્રવણ મોટો થતો ગયો. એનુ સપનું ડોક્ટર બનવાનું હતું. વાંચનના કલાકો વધતા જતા હતા. બારમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં તેજસ્વી દેખાવ કરવા માટે દિનસ-રાત મહેનત કરવી પડે તેમ હતી. અભ્યાસ ની વચ્ચે વચ્ચે ક્યારેક ટ્રાન્ઝિસ્ટરમાંથી તો ક્યારેક કેસેટમાંથી આવા ગીતો કાનમાં પડી જતા હતા: “એરી મૈં તો પ્રેમદિવાની, મેરા દરદ ના જાને કોઇ.....” પ્રવણ મમ્મીની દિશામાં પ્રચ્છક નજર ફંકી લેતો હતો. તરત ત્યાંથી જવાબ આવી જતો:” રાગ ભીમપલાસી છે.” ક્યારેક રફી સાહેબનુ ગાયેલું ભજન સંભળાઇ જતું: “મન તડપત હરિ દરસનકો આજ...” પ્રણવની ફંકાયેલી નજર અને મમ્મી નામનાં મહાતિખાતામાંથી મળેલો ઉતર: “રાગ દરબારી.”

ધીમે ધીમે પ્રવણના કાન ટેવાતા ગયા. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના નિયમો, સિધ્ધાંતો અને પ્રયોગની સાથે સાથે ભારતીય શાસ્ત્રીય સંગીતના રાગ-રાગિણી પણ દિમાગમાં પોતાની જગ્યા બનાવતા રહ્યા.

બોર્ડની પરીક્ષણામાં પ્રવણ મેદાન મારી ગયો. મેડિકલમાં પ્રવેશ પાકો થઇ ગયો. એ બે મહિનાના લાંબા વેકેશનમાં મોસાળ રહીને એણે એક જ કામ કર્યું. મામાને પકડ્યા, “મામા, શાસ્ત્રીય રાગો પર બનેલા ફિલ્મી ગીતો મેં બહુ સાંભળી લીધા; હવે માકે શુધ્ધ ક્લાસિકલ ચીજ સાંભળવી છે.”

મામાએ કેસેટ ચાલુ કરી. પં. જસરાજજીનો ઘૂંટાયેલો સ્વર ઓરડાને ધન્ય કરી રહ્યો: “રાની તેરો ચીર જીયો ગોપાલ....” પ્રણવ ભક્તની જેમ આંખો બંધ કરીને એના ભગવાનનો દીધોલો પ્રસાદ ઝીલી રહ્યો. છેલ્લે મામાએ મૂકેલો મમરો પણ એને આજ સુધી યાદ રહી ગયો છે: “રાગ યમન. આને કહેવાય ગૌમુખમાંથી પ્રગટેલું ગંગાજળ! એનાથી વધારે શુધ્ધતમ અને પવિત્રતમ આ જગતમાં બીજું કંઇ હોઇ શકે જ નહીં.”

એ રજાઓમાં પ્રણવે દિવસના ત્રણ-ચાર વાર લેખે રોજ એ એક જ ચીજ સાંભળ્યા કરી. પંડિતજીની સાથે એના દિલનો તાર ક્યારે જોડાઇ ગયો એની પણ ખબર ન પડી.

વેકેશન પૂરું થયું. પ્રણવને જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. હોસ્ટેલમાં રહેવાનું હતું. મેસમાં જમવાનું હતું. ફઓર્મેલિનની વાસ મારતાં મડદાંઓ ચીરવાના હતા. અને મોડી સાત સુધી એનેટોમી અને ફિઝિયોલોજીના દળદાર થોથાંઓ વાંચવાના હતા.

માનદેહના ઊંડા રહસ્યો આત્મસાત કરવાની પળોજણમાંથી ક્યારેક થાકે ત્યારે પ્રણવ દોઢસો રૂપીયાના સસ્તા ટેપરેકોર્ડરમાં કેસેટ ભરાવીને એને ગમતું પ્રિય ભજન સાંભળવા બેસી જાય. જામનગરનો જાગતો કેમ્પસ, ભાંગતી રાત અને પં. જસરાજજીનો ઘેઘૂર આવાજ: “શિવોહમ્.....! શિવોહમ્…….!” પ્રણવ ભાવોદ્રેકમાં આવીને રડવા લાગે. રૂમ પાર્ટનર ગભરાઇ જાય. પૂછે: “પ્રણવ,શું થયું? તું ક્યાં ખોવાઇ ગયો? પણ પ્રણવ તો હોસ્ટેલમાંથી ઊઠીને હિમાલયની ટોચ પર શિવજીના ચરણોમાં પહોંચી ગયો હોય. જવાબ ક્યાંથી આપે?

આ ભજન, આ શિવસ્તુતિ સમય જતાં પ્રણવની પ્રિય ચીજ બની ગઇ. એના મનમાં એક સંકલ્પ રચાઇ ગયો: “જો ભક્તિ કરવી તો આવી જ કરવી.”

ભગવાન શિવજી ઉપરાંત બીજા એક ભગવાન પણ પ્રણવના હૃદયમાં પોતાનું આસન જમાવી રહ્યા હતા. એ હતા આવાજના ઇશ્વર, ગાયકીના ગોડ, સાત સૂરોના માલિક સ્વર-સદાશિવ પં.જસરાજી. આવી પ્રગાઢ ભક્તિમાંથી જ એક ઇચ્છા જન્મી: “પંડિતજીને એકાદ પત્ર લખ્યો હોય તો???” પણ એ માટે તો સરનામું જોઇએ. અહીં પેલી શાહરૂખવાળી વાત યાદ આવી જાય- ‘અગર આપ કિસીકો પૂરી શિદદત સે ચાહો તો સારી કાયનાત ઇસે આપસે મિલાનેમાં જુડ જાતી હૈ.”

માની ન શકાય એવું બની ગયું. વેકેશન પડ્યું. પ્રણવ ફરી પાછો રાજકોટ મામાના ઘરે રહેવા ગયો. મામા એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં કામ કરે. ત્યાં પ્રણવના હાથમાં એક ધૂળ ખાતી ટેલીફોન ડિરેક્ટરી મળી આવી. ડિરેક્ટરી મુંબઇ શહેરની હતી! પ્રણવે આંકનું મટકું યે માર્યા વગર પાનાં ફેરવવા માંડ્યા. પં. જસરાજીના ઘરનો ટેલિફોન નંબર જડી ગયો. અનબિલિવેબલ! એમાં સરનામું પણ હતું.

અઢાર વર્ષનો પ્રણવમાં સીધો ફોન લગાડવાની તો હિંમત ક્યાંથી હોય! એણે એક ગ્રીટીંગ્ઝ-કાર્ડ પોસ્ટ કરી દીધું એવી ખાત્રી સાથે કે સામેથી જવાબ નહીં જ આવે. અઠવાડિયામાં જ સામેથી પ્રત્યુતર આવ્યો: “ધન્યવાદ!” નીચે પંડિતજીની છાપેલી સહિ હતી. કોઇ શિષ્યા અથવા સેક્રેટરીએ મોકલેલો ફોર્મલ રીપ્લાય હતો. પણ પ્રણવ માટે તો આટલુંયે બદુ હતું. એના માટે બે વાતો હવે મુખ્ય બની ગઇ હતી: એક, વાર-તહેવારે પંડિતજીને કાર્ડઝ મોકલવા અને બીજું, પોકેટમનીમાંથી પં.જસરાજજીના ગીતોની કેસેટ્સ ખરીદવી.

એક દિવસ હિમત એકઢી કરીને પ્રણવે મુંબઇ ફોન લગાડ્યો. એકાદ હાથફેરા પછી પંડિતજી લાઇન પર આવ્યા. પ્રણવનુ નામ સાંભળીને તરત જઓળખી ગયા, “બોલો, બેટે!કૈસે હો? તુમ્હારા કાર્ડ્ઝ મિલતે રહતે હૈ”

પ્રણવે બોલવા માંડ્યું. એ સતત હોલતો રહ્યો. પંડિતજી! હું તમારો ચાહક છું. ભક્ત છું. પાગલ છું તમારી ગાયકી પાછળ. હું તમને શી રીતે સમજાવું કે.....?

“બેટા, સમઝાનેકી જરૂરત નહીં હૈ. તુમ્હારા પ્રેમાદર તુમ્હારી આવાઝમેં છલકતા હૈ.” પંડિતજીએ ખૂબ સમભાવ પૂર્વક વાત કરી. પછી તો આ પણ એક ક્રમ બની ગયો. પ્રણવ જ્યારે મન કરે ત્યારે ફોન ઘૂમાવે. પંડિતજીના ઘરમાં પણ હવે બધાં એને ઓળખતા થઇ ગયા. પંડિતજી આરામમાં હોય તો પણ વાત કરાવી આપે. કાચી ઉંમરનો યુવાન વિદ્યાર્થી પોતાની અંગત વાતો પણ પંડિતજી આગળ બકી મારે. પંડિતજી! આજે મારાથી ખાસ વંચાયું નહીં. આજે જમવામાં પણ મજા ન આવી..... મને એક છોકરી ગમી ગઇ છે... જો એની સાથએ લગ્ન થાય તો જલસો પડી જાય.... વગેરે....વગેરે....!

પંડિતજી હસીને બોલે: “અવશ્ય હોગી તેરી શાદિ! મેરે આશિર્વાદ હૈ”

એક દિવસ પ્રણવે ફોન કર્યો, “પંડિતજી, આજે હું બહુ ઉદાસ છું. તમારી ગાયેલી એક ગંભીર રચના સાંભળી આજે રાગ મારવા. ‘ચરણ પ્રીત કરુણા નિધાન......! દેખ દેખ બાટ તોરી, તરસ મરે નૈના, જ્ઞાન-ધ્યાન કછુ ન ભાવે, દેખનકો જીયા ચાહે; લાગ રહી યે હી રટના, પિયા કબ ઘર આયે.’ આ સાંભળીને હું ખૂબ રડ્યો, પંડિતજી....!”

“સમઝ ગયા, બેટે! મૈં સબ સમઝ ગયા! મૈં તુમ્હે અબ જ્યાદા ઇંતેઝાર નહીં કરવા ઉંગા.” કહીને પંડિતજીએ ફોન પૂરો કર્યો.

થોડાંક જ દિવસો પછી પ્રણવની હોસ્ટેલના સરનામે એક પત્ર આવ્યો. પંડિતજીની શિષ્યા તૃપ્તિ મુર્ખજીનાં હસ્તાક્ષરમાં લખાયેલો પત્ર હતો: “પ્રિય પ્રણવજી! પંડિતજી દ્વારિકા યાત્રા પર નિકલ રહે હૈ. બિચ રાસ્તે વિશેષ રૂપસે આપસે મિલનેકે લિયે હી જામનગર પધારેંગે. તારીથ ઔર સમય કૃપયા નોટ કર લિજીયે...”

આખા કેમ્પસમાં ખળભળાટય વિશ્વભરમાં મશહૂર શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ ગાયક પં. જસરાજજી આપમી હોસ્ટેલના એક રૂમમાં પગલાં પાડશે? એ પણ એક સાવ અજાણ્યા અપરિપક્વ યુવાન વિદ્યાર્થીને મળવા માટે???

પં. જસરાજજી ખરેખર પર્ધાયા. પ્રણવના રઘવાટનો પાર ન હતો. હોસ્ટેલમાં તો સ્વાગતનો પ્રશ્ન જ ઊભો થતો ન હતો. સોલેરીયમની સામેની ગલીમાં બીજા એક મામા રહેતા હતા. ત્યાં મુલાકાત ગોઠવી. મિત્રની કાર લઇને એરપોર્ટ ગયો. પંડિતજીને બેસાડીને લઇ આવ્યો. ત્રણ માળનું મકાન હતું. લિફ્ટની સગવડ ન હતી. “બેટા, મુજસે સિઢિયા ચડી નહીં જાતી હૈ.” પંડિતજીએ ખિન્ન સ્મિત ફરકાવીને કહ્યું. પ્રણવના તો જાણે પ્રાણ ચાલ્યા ગયા! તરત જ પંડિતજી સમજી ગયા. ખૂલ્લા રસ્તા પર ચોકીદારનો કાથીનો ખાટલો પડેલો હતો. તે ઢાળીને તેના પર બેલી ગયા. પૂરો એક કલાક ગોષ્ઠિમાં વિતાવ્યો. ખૂબ આગ્રહ કર્યો ત્યારે માત્ર કોફી પીધી. ભોજનનો આગ્રહ કર્યો તો કહ્યું, “નહીં, બેટા! ઇતના બહોત હૈ. યહાં સે હમ ચંદુભાઇ બારદાનવાલાકે ઘર જાયેંગે. ભોજન વહીં પે કરેંગે.”

1992-93ની આ મુલાકાત. એ સંબંધ આ જે પણ ચાલુ છએ. વધારે ગાઢ બન્યો છે. પ્રણવ એનેક વાર મુંબઇ પંડિતજીના ઘરે પણ જઇ આવ્યો છે. વિશ્વના શિર્ષસ્થ કલાકાર અંગત જીવનમાં કેટલા સરળ હોઇ શકે એનું આ જીવંત દૃષ્ટાંત છે.

(ડો. પ્રણવ ઠાકર હાલમાં સીતાપુર ખાતે મેડીકલ ઓફિસર છે. )

---------