Koobo Sneh no - 2 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 2

?આરતીસોની?
પ્રકરણ : 2

❣️કૂબો સ્નેહનો❣️

આપણે પહેલા પ્રકરણમાં વાંચ્યું કે બેઉં ભાઈ-બહેન વિરાજ અને મંજરી એ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. અને કંચનના પતિ જગદીશે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી. એમના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યાં હતાં.. હવે આગળ..

ઉત્તર ગુજરાતના નાનકડાં લપકામણ નામના એક ગામમાં કંચન અને એનો પતિ જગદીશ ઠાકોર રહેતાં હતાં. એમને બે બાળકો હતાં. એમાં વિરાજ સાત વર્ષનો અને મંજરી છ મહિનાની હતી..

જગદીશ ગામમાં આવેલી પ્રાથમિક સ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો. અને સમય મળે ત્યારે પરચુરણ કડિયા કામ કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો, શાંતિથી પસાર થતા એના જીવનમાં ‘છઠ જી સાતમ ન થીયે’ કહેવત સાચી બનીને રહી ગઈ. જગદીશ છ મહિનામાં ટી.બી. ની ગંભીર બિમારીમાં સપડાઈ ગુજરી ગયો હતો.

વેકેશન અને બીજી મળતી રજાઓ દરમિયાન કડિયા કામ કરી જગદીશ સારું એવું કમાઈ લેતો હતો. ટુકડે ટુકડે રૂપિયા ભેગા કરી જાત મહેનતથી એક નાનકડું મકાન બનાવી દીધું હતું. અને પોતાના હાથેથી બહારની ભીંતે કોતરી “હરિ સદન” નામ આપ્યું હતું.

એકવાર જગદીશે ઘરને આંગણે એક બિલીનો છોડ વાવ્યો. અને કંચનને કહ્યું હતું. “ગામને પાદરે નવું બનેલું મહાદેવજીનુ મંદિર છે ત્યાં આ વૃક્ષના બિલીપત્ર અર્પણ કરીશું.!! મહાદેવજી આપણા પર ખુશ ખુશ રહેશે જોજે તું.. અને હા જો કંચન આપણાં વિરાજને માવજતથી મોટો કરવાની જવાબદારી જેટલી છે એટલી જ જવાબદારી આ બિલીને પણ આપણે માવજતથી મોટો કરવાની છે.”

કંચને અધવચ્ચેથી વાત કાપતાં કહ્યું હતું.
“ચેવી વાત કરો સો લ્યો તમે તો.. જરાકય ચિંતા ના કરશો. આપડે ઓગણે કોઈનય હું તરસી રાખું? ભરપેટ પોણી પોયે અન ઈનો ઉસેર કરવામાં ચોય કચાશ નહીં સોડુ.” અને કંચન વિરાજની જેટલી માવજત કરતી એટલી જ બિલીના છોડની માવજત કરતી અને કોઈ કસર બાકી છોડતી નહીં.

વિરાટના પિતાના સ્વર્ગવાસ પછી બંને બાળકોના પોતે જ પિતા બનવાનો કંચને અઘરો નિર્ણય લીધો હતો, મણીકાકાએ, લીલાકાકીએ ને સમાજના આગેવાન માણસોએ બધાએ ખૂબ સમજાવ્યું હતું કે, “કંચન તારી ઉંમર હજુ ઘણી નાની છે, બીજા લગ્ન કરી નવેસરથી ચૂડી-ચાંદલો પહેરી જીવન સજાવી લે.”

કંચને બીજા લગ્ન નહીં કરવાનો મક્કમ નિર્ણય કર્યો હતો અને કહ્યું,
“હવે ક્યાં રહી છે આ જીવનમાં લગીરેય ઈપ્સા કે હૈયાના ઓવારણા વેરું..”
ફક્ત શાબ્દિક નિર્ણય નહીં એ નિર્ણયને તદ્દન પ્રમાણિકપણે વ્યવહારમાં પણ ઉતાર્યો હતો કંચને.

કંચન હૈયાની દિવાલે ટાંગેલી જગદીશની અણમોલ સ્મૃતિઓને વાગોળતી રહેતી, અને આજીવન ચૂડી-ચાંદલો નહીં ઉતારવાનું જણાવી, એમના સમાજમાં એક નવો ચીલો ચાતર્યો હતો.

પોતે વ્યવસાયિક જવાબદારીઓના ભાર વચ્ચે અને સમાજીક ઢાંચા પ્રમાણે શાળાનું શિક્ષણ તેઓ ભલે મેળવી શક્યા નહોતા પણ વિરાજ અને મંજરીના શિક્ષણ પાછળ કંચને અથાક મહેનત આદરી. મજબૂત મનોબળ અને ઈરાદાઓ ધરાવતી, અંતર્મુખી કંચનને ક્યારેય કોઈની નિંદા કુથલી કે કોઈ લપ્પન છપ્પન હતી નહીં. વિરાજ ને મંજરીનું લાલનપાલન કરી મોટા કરવામાં લાગી ગઈ. કંચને પેટે પાટા બાંધીને પણ વિરાજને ભણાવવો એવું નિર્ધાર્ય કરી લીધું હતું.

જે પ્રાથમિક સ્કૂલમાં જગદીશ પટાવાળા તરીકે કામ કરતો હતો, એની જગ્યાએ કંચનને સ્કૂલ પ્રિન્સિપાલે નોકરી પર રાખી લીધી હતી. સ્કૂલ ચાલું થવાથી લ ઈને સ્કૂલ છૂટે ત્યાં સુધી કંચનની સ્કૂલમાં હાજરી હોય.

ગામને પાદરે મહાદેવજીનુ મંદિર હતું, ત્યાં રોજ સવાર-સાંજ ભગવાનના પૂજાના વાસણો સાફ કરી, મંદિરની સાફ સફાઈ કરવાં જવાં લાગી અને બીલીના છોડમાંથી શરું શરુંમાં બિલીપત્ર પ્રમાણે ઓછાં આવતાં હતાં પરંતુ જેમ જેમ બીલીનો છોડ મોટો થતો ગયો પુષ્કળ પ્રમાણમાં બિલીપત્ર ઉતરતાં હતાં.. કંચન અને વિરાજ મહાદેવજીને રોજ બીલી અર્પણ કરવાનો નિયમ હતો. કંચન છાબ ભરીને બીલી મંદિર લઈ જતી હતી અને દરેકને એનો લાભ આપતી.

વિરાજ અને મંજરીને લઈને, કંચન સવારની આરતી સમય પહેલાં જ મંદિર પહોંચી જતી. પૂજાના વાસણો ચકચકિત કરી મંદિરની સાફ-સફાઈ ને કચરા-પોતા કરી મંદિરનો ખૂણે ખૂણો ચોખ્ખો કરી દેતી. સવાર-સાંજની આરતી સમયે ઘંટ અને ઢોલ વગાડવાનું કામ પણ પૂજારીએ મા-દીકરાને સોંપ્યું હતું.

-આરતીસોની ©

ક્રમશઃ વધુ આગળના પ્રકરણમાં

કોપી રાઇટ ઓલ રિઝર્વ..