VISHAD YOG - CHAPTER - 43 books and stories free download online pdf in Gujarati

વિષાદયોગ - પ્રકરણ - 43

વિષાદયોગ-43

‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####------------######------------########------------------------

ગંભીરસિંહ આવતાજ ઉર્મિલાદેવીએ નિશીથને કહ્યું “તમે મને ચેક કરવાની છુટ આપી છે તો, એક કામ કરો તમારો સર્ટ કાઢી નાખો.” આ સાંભળીને નિશીથ અને ગંભીરસિંહ બંને ચોકી ગયા. પણ નિશીથને તરતજ વાત સમજાઇ ગઇ એટલે તેણે શર્ટના બટન ખોલી નાખ્યા અને શર્ટ કાઢી નાખ્યો. આ જોઇ ઉર્મિલાદેવી ઉભા થયાં અને નિશીથ પાસે આવ્યાં. ઉર્મિલાદેવીએ પાસે આવી નિશીથના જમણા હાથ પર ખભા પાસે રહેલ ટેટું ધ્યાનથી જોવા લાગ્યાં. ગંભીરસિંહને તો હજુ કંઇ સમજ નહોતી પડતી કે આ બધુ શું થઇ રહ્યું છે. છતા તેણે વિરમની વાત સાંભળેલી તે પરથી તેને અંદાજ આવીજ ગયો હતો કે ઉર્મિલાદેવી શું ચેક કરી રહ્યા છે. તે હજુ વિચારતો હતો ત્યાંજ ઉર્મિલાદેવીએ કહ્યું “ગંભીરસિંહ એક ટોર્ચ લઇ આવો તો આ સાંભળી ગંભીરસિંહ બહાર ગયો. વિરમ જેવો બહાર નિકળ્યો તે સાથેજ ઉર્મિલાદેવીએ નિશીથના માથા પર હાથ મુક્યો અને બોલ્યાં “દિકરા, આટલાં વર્ષ ક્યાં હતો? તને ખબર નથી મે તારી કેટલી પ્રતિક્ષા કરી છે.” આ અવાજ એટલો લાગણીથી ભર્યો હતો કે નિશીથ ઉર્મિલાદેવી તરફ ફર્યો અને તેની નજર ઉર્મિલાદેવીના ચહેરા પર ગઇ “જે ચહેરા પર અત્યાર સુધી ગુમાન અને જીદ દેખાતી હતી, ત્યાં અત્યારે મમતા અને સ્નેહ આવી ગયાં હતા. આંખની કરડાકીનું સ્થાન લાગણી અને ભીનાસે લઇ લીધું હતું. જાણે થોડીવાર પહેલા જોયેલા ઉર્મિલાદેવી આ હોયજ નહીં તેટલું પરીવર્તન થઇ ગયું હતું. ઉર્મિલાદેવીની આંખમાં રહેલ પ્રેમ અને પોતિકાપણું જોઇ નિશીથની આંખો પણ ભીની થઇ ગઇ. આ જોઇ ઉર્મિલાદેવી નિશીથને વળગી પડ્યાં. નિશીથ પણ ઉર્મિલાદેવીને ભેટી પડ્યો. “દિકરા, તારા જવાથી મારી હાલત કેવી થઇ ગઇ હતી એ તને ખબર નથી. મે કેટલી બાધા અને આખડી રાખી હતી. તને હેમખેમ જોવા માટે મે મારાથી થતા તમામ પ્રયત્ન કર્યા હતા પણ, તું મને ન જ મળ્યો. તને મારાથી દુર કરનાર બધાને મે મારાથી દૂર કરી દીધા હતા. ભગવાનને પણ આ કૃત્ય માટે મે શ્રાપ આપેલા. મે તો ભગવાન સાથે પણ જગડો કરેલો હતો. આ પુજા તો માત્ર નામ છે બાકી આ બધો સમય હું ભગવાન સાથે જગડો કરવામાંજ કાઢતી. આ મારી કઠોર તપસ્યાનું ફળ જ છે કે તું અત્યારે મારા સુધી પહોંચ્યો છે. ઉર્મિલાદેવી બોલતા બોલતા રડતા જતા હતા અને તેના આંશુઓ નીશીથની પીઠ પર રેલાતા હતા. નિશીથ ધીમે ધીમે ઉર્મિલાદેવીની પીઠ પર હાથ ફેરવતો હતો. દિકરા આ તારી મા ઉપરથી ભલે ગમે તેટલી કઠોર દેખાય પણ અંદરથી એકદમ ભાંગી ગયેલી છે. આ તો ભગવાનને પણ ડર લાગ્યોકે જો હું તને મળ્યા વિના જતી રહીશતો તેને સુખેથી રહેવા નહીં દઉં, એટલે તેણે તને મોકલી આપ્યો છે. ઉર્મિલાદેવી સતત બોલ્યે જ જતા હતા. થોડીવાર આમને આમ તેણે પોતાના દિલમાં વર્ષોથી પડેલા જ્વાળામુખીને વહેવા દીધો અને પછી ધીમે ધીમે શાંત થઇ નિશીથથી છુટા પડ્યાં અને જોયું તો નિશીથની આંખો પણ તેની જેમજ ભીંજાયેલી હતી. આ જોઇ તે બોલ્યાં મે તને પણ રોવડાવી દીધો. ઉર્મિલાદેવીનું ધ્યાન દરવાજા પર ગયું તો ત્યાં ગંભીરસિંહ ઊભો ઊભો બંનેને જોઇ રહ્યો હતો. આ જોઇ ઉર્મિલાદેવી બોલ્યા “આવ અંદર ગંભીરસિંહ, જો ભગવાને કેટલા વર્ષો પછી મારા પર મહેરબાની કરી. જો મારો દિકરો આપણો કુવર સામેથી આવ્યો છે.” અને પછી ગંભીરસિંહના હાથમાં રહેલી ટોર્ચ જોઇ તે બોલ્યા “હા, લાવ ટોર્ચ એક વાર તસલ્લી કરી લઉં. બાકી એક મા તેના દિકરાને ઓળખવામાં કોઇ ભુલ કરતી નથી.” એમ કહી ઉર્મિલાદેવીએ ટોર્ચ લઇ નિશીથના હાથમાં રહેલ ટેટુ પર મારી અને એકદમ ધ્યાનથી જોવા લાગ્યા. થોડીવાર બાદ તે બોલ્યા “હા આ તેજ ટેટુ છે, જે મારી હાજરીમાં પડાવ્યું હતું.” ત્યારબાદ ઉર્મિલાદેવી એ ટોર્ચ ગંભીરસિંહને આપી દીધી અને કહ્યું “જો તું હમણા જા. અમે મા દિકરો શાંતિથી વાતો કરીએ થોડીવાર. કેટલાય વર્ષો પછી દિકરો આવ્યો છે. તેને દિલ ભરીને જોવો છે અને દિલ ખોલીને વાતો કરવી છે.” અને પછી નિશીથ તરફ ફરીને બોલ્યાં “તું અહીં એકલોજ આવ્યો છે કે કોઇ સાથે છે?” આ સાંભળીને નિશીથને યાદ આવ્યું કે સમીર બહાર કારમાં તેની રાહ જોઇ રહ્યો છે. આ યાદ આવતાજ તેણે કહ્યું “અરે હા, મારી સાથે મારો એક મિત્ર આવેલો છે. તે બહાર મારી કારમાં બેઠો છે.”

“ગંભીરસિંહ, તમે જાઓ અને તે ભાઇને અંદર મોકલો. અને એક વાત ખાસ ધ્યાન રાખજો હમણા કોઇને ખબર ન પડવી જોઇએ કે આપણા કુવર પાછા આવ્યા છે. સમય આવ્યે હું સામેથી ભવ્ય પાર્ટીનું આયોજન કરીને જાહેર કરીશ.” આટલું કહી ઉર્મિલાદેવી સોફા પર નિશીથની પાસે બેસી ગયાં. ધીમેથી તેણે નિશીથનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યાં “દિકરા, મારા જેવી અભાગણી મા બહું ઓછી હશે જે દિકરાના બાળપણમાં તેની સાથે રહી શકી નહીં. દરેક માના જિવનનો અમુલ્ય સમય હોય છે કે જ્યારે તે તેના સંતાનોને નાનપણમાં લાડ લડાવતી હોય. પોતાના સંતાનને નવડાવવું, ખવડાવવું, રમાડવું આ બધી ક્રિયા એક મા માટે કેટલી આનંદદાયક અને લાગણીથી ભરેલી હોય છે તે તને નહીં સમજાય. આજ સમયે તને મારાથી દૂર કરી દેવામાં આવ્યો હતો. તને મેળવવા, તને એક વાર જોવા હું કેટલી તડપી છું તેનો તને અંદાજો નહીં આવે. જ્યારે કોઇ પાસેથી તેનું સર્વસ્વ લઇ લેવામાં આવે ત્યારે તેની જે હાલત થાય છે તેવીજ હાલત મારી હતી. મે તારી ખુબ તપાસ કરવી પણ, તું ક્યાંય મને મળ્યો નહીં.” ઉર્મિલાદેવી જ્યારે આ વાત કરતા હતા ત્યારે નિશીથની સામે તેની મમ્મી સુનંદાબેનનો ચહેરો આવી જતો હતો. તેણે કેટલા લાડકોડથી તેને મોટો કર્યો હતો. અનાયાસેજ નિશીથ બંને સ્ત્રીઓની સરખામણી કરવા લાગ્યો. પણ કહેવાય છે ને જનની જોડ સખી નહીં જડે રે લોલ તેમ નિશીથ આ બેમાં કોણ શ્રેષ્ઠ તે નકી કરી શક્યો નહીં. તેની મમ્મીના હાથમાં તે મોટો થયો હતો એટલે તેના પ્રત્યે તેને વધુ માયા અને પ્રેમ હતા. છતા ઉર્મિલાદેવીની પર્શનાલીટી અને વ્યક્તિત્વની અસર પણ નિશીથ પર થઇ હતી. તેણે તેની જાત પર ગર્વ થઇ આવ્યો કે આવી બે જાજરમાન સ્ત્રીઓ તેની માતાઓ છે. ઉર્મિલાદેવી બોલતા હતા ત્યાંજ સમીર ખંડમાં દાખલ થયો એટલે ઉર્મિલાદેવીએ બાજુમાં પડેલા સોફા તરફ ઇશારો કરી કહ્યું “આવ ભાઇ બેસ.” આ સાંભળી સમીરે નિશીથ સામે જોયું અને પછી બાજુના સોફામાં બેઠો. થોડીવાર કોઇ કંઇ બોલ્યું નહીં પછી નિશીથે કહ્યું “માતાજી,મારે તમારી પાસેથી બધીજ વાત સાંભળવી છે કે હું કઇ રીતે તમારાથી છુટો પડી ગયો? આ આચાર્ય કોણ હતા? મારા પિતા કોણ હતા? અને તેનું શું થયું? અને આ ખજાનાનું શું રહસ્ય છે?” આ સાંભળી ઉર્મિલાદેવીએ કહ્યું “હા હું તને તે બધીજ વાત કરીશ અને તને નથી ખબર કે આ બધું જાણવા માટે જ અને મારી પ્રાર્થના સાંભળી ભગવાને તને અહીં મોકલ્યો છે. પણ પહેલા આજે તારી બધી વાત મને કર. તારા મમ્મી પપ્પા કોણ છે? તે તને કેવી રીતે રાખે છે? તું શુ કરે છે? ક્યાં રહે છે? મારે બધુજ સાંભળવું છે? અને આજે તારે મારી સાથે આજે જમવાનું છે.” એમ કહી ઉર્મિલાદેવીએ બુમ મારીને એક સ્ત્રીને બોલાવી અને પછી રસોઇમાં આજે મિઠાઇ બનાવવાની સુચના આપી અને પછી નિશીથ સામે જોઇ બોલ્યા “હા ચાલ હવે મને તારી આખી સ્ટોરી કહે.” આ સાંભળી નિશીથે તેને તેની બધીજ વાત કરી સુનંદાબેન, સુમિતભાઇ, કશિશ વિશે બધીજ વાત કરી અને સ્વપ્નની પણ વાત કરી. છેલ્લે નિશીથે સુનંદાબેન સાથે ફોન લગાવી ઉર્મિલાદેવીને વાત કરાવી. ઉર્મિલાદેવીએ સુનંદાબેનનો આભાર માન્યો અને કહ્યું “ તમે કોઇ ચિંતા નહીં કરતા તે તમારો જ દિકરો રહેશે. આજે નિશીથ જે પણ છે તે તમારા લીધેજ છે. અને પછી ઘણીવાર સુધી બંને વાતો કરતા રહ્યા. એક સ્ત્રી બીજી સ્ત્રીને કેટલી સારી રીતે ઓળખતી હોય છે તેનું ઉદાહરણ નિશીથ સામે હતું. જે બે સ્ત્રીઓ એકબીજાને જિંદગીમાં ક્યારેય મળી નહોતી છતા પણ એકબીજાના ડર અને લાગણી સારી રીતે ઓળખતી હતી અને બંને એકબીજાને સધીયારો આપતી હતી. ત્યારબાદ ફોન પુરો કરી બધા જમ્યાં. જમીને ફરીથી બેસતાજ નિશીથે ઉર્મિલાદેવી સામે જોયું.

“જો મને ખબર છે તને વાત સાંભળવાની ખૂબ ઉતાવળ છે. હું તને બધુજ કહું છું શાંતીથી સાંભળજે.” એમ કહી ઉર્મિલાદેવીએ વાત કહેવાની શરુઆત કરી “આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે રજવાળાઓ બધા ફરીથી સ્વાયત બનવા માંગતા હતા. પણ નહેરુએ પહેલાંજ કહી દીધુ હતુંકે સ્વતંત્ર ભારતમાં રજવાળા જેવુ કંઇ નહીં હોય. આ વિધાન સાંભળી રજવાળાનાં બધાજ રાજાઓને એક ઝ્ટકો લાગ્યો. અને તે બધાજ રાજા એક જગ્યાએ ભેગા થયાં. તે મિટીંગમાં અલ્લહાબાદની બાજુમાં આવેલ રાજ્ય ભરતપુરના રાજા યોગેન્દ્રસિંહે બધાને પરિસ્થિતીથી વાકેફ કરતા કહ્યું “ આઝાદી પછી તમારા બધાના આ જલસા બંધ થઇ જશે અને તમે બધાજ આ તમારી જનતાની જેમ સામાન્ય માણસ જ બની જશો. તમને કોઇ પણ જાતની વધારાની સવલત આપવામાં નહીં આવે.” આ વાત સાંભળી રાજાઓ બધાજ ડરી ગયાં. આમપણ રાજાઓ બધાજ ત્યારે આરામની જીંદગી જીવી રહ્યા હતા. મોટા ભાગના રાજાઓના રાજ્યનો વહિવટ અંગ્રેજો ચલાવતા અને રાજાઓ મોજ શોખમાં દિવસો પસાર કરતા. એટલે આ વ્યવસ્થા રાજાઓને પણ ખુબ અનુકુળ આવી ગઇ હતી કેમકે તેમાં તેનો ફાયદો હતો કે રાજ્યના વહિવટ કરવાની કે તેની સમસ્યાઓ ઉકેલવાની કોઇ માથાકુટ તેને કરવી પડતી ન હતી અને છતા પણ તેને રાજાઓના બધાજ હક અને માન મરતબા મળતાં. આ રીતે રાજાઓની જિંદગીમાં ખાલી મોજ મજાજ રહી હતી. એજ વખતે યોગેંદ્રસિહે બધાજ રાજાને મોટો જટકો આપ્યો અને તેની દુઃખતી નસ પર પગ મુક્યો. આ સાંભળી બધાજ થોડીવાર તો ચુપ થઇ ગયાં પણ પછી એક રાજાએ ઊભા થઇ યોગેંદ્રસિંહને કહ્યું “પણ તેનો ઉકેલ શું છે? આ સરકાર કે પેલા બ્રીટીશરો બે માંથી કોઇ આપણું સાંભળે એમ નથી. વળી આ નહેરુ તો કહે છે કે આઝાદ ભારતમાં રજવાડાનું કોઇ સ્થાન નહીં હોય.”

આ રાજાઓમાંથી ઘણાએ આઝાદીની લડાઇમાં પોતાનો ફાળો આપ્યો હતો. પણ નહેરુના બયાનથી તે બધાને પોતાનો માન મરતબો જોખમાતો લાગ્યો, એટલેજ આ મિટીંગમાં રાજાઓએ એક યુનિયન બનાવ્યું અને તેનાં પ્રમુખ યોગેન્દ્રસિંહને બનાવ્યાં. યોગેન્દ્રસિંહના નેતૃત્વમાં તે લોકોએ ઇંગ્લેંડ જઇ રાણીને મળી તેની રજુઆત કરવાનું નક્કી કર્યું. યોગેન્દ્ર સિંહ અંગ્રેજોની નસ સારી રીતે જાણતા હતા. તેને ખબર હતી કે આ અંગ્રેજોને પોતાના સ્વાર્થ સિવાય કોઇ વાતમાં રસ નથી આઝાદ ભારતમાં કઇ પણ થાય તેને બહું ફરક પડતો નથી એટલે જો રાણીને અથવા બ્રીટનના પ્રમુખને કોઇક ખજાનાની લાલચ આપવામાં આવે તો તે તેની તરફ ફેસલો કરવા માઉંન્ટ બેટન પર દબાણ લાવી શકે અને પછી માઉન્ટ બેટનને પણ ભેટ સોગાદો દ્વારા પોતાની તરફ કરી શકાય. યોગેન્દ્રસિંહે આ યોજના રાજાઓને મિટીંગમાં સમજાવી. શરુઆતમાં તો ઘણા વાદ વિવાદો થયાં પણ યોગેન્દ્રેસિંહ પર બધાને ભરોશો હતો એટલે અંતે બધા આ ખજાનો અને ભેટની વાતમાં સંમત થયાં. ત્યારબાદ આ ખજાનો અને ભેટ કંઇ રીતે ભેગી કરવી તેની વાતાઘાટો ચાલી તેમાં ઘણા વિવાદો થયાં, પણ યોગેન્દ્રસિંહે બધાને આ માટે તૈયાર કર્યા અને બધા રાજા પોતાના રાજ્યના પ્રમાણમાં આ ખજાનાનો ભાગ આપે એવું નક્કી થયું. આ ખજાનો હૈદરાબાદમાં ત્યાંના નિઝામનાં રક્ષણમાં રહે તેમ નક્કી કર્યું. આ સ્થળ નક્કી કરવા માટે યોગેંદ્રસિહના બે મકસદ હતા. એક તો બધા જાણતા હતા કે હૈદરાબાદનો નિઝામ એકદમ મખ્ખીચુસ હતો તે કોઇ ફાળો આપવા માટે તૈયાર થાય તેમ ન હતો. જો તેને ખબર પડે કે આ ખજાનો મારા રાજ્યમાં જ જમા થવાનો છે તો તેને મનાવવો સહેલો પડે. અને બીજો યોગેન્દ્રસિંહનો હેતુ એ હતો કે નિઝામ પાસે એટલી બધી સંપતી હતી કે તેને પણ પોતાને પણ ખબર નહોતી કે કેટલો ખજાનો ક્યાં છે? એટલે યોગેન્દ્રસિંહનો ઇરાદો હતો કે તેના રાજ્યના માણસને ફસાવી નિઝામ પાસેથી વધુ ખજાનો કઢાવવો આ માટે તેણે એકબે વ્યક્તિઓને ફોડી પણ લીધાં હતાં. આમ યોગેંન્દ્રસિંહની મહેનત અને બુધ્ધીમતાને લીધે બધાજ આ બાબતમાં એગ્રી થઇ ગયાં. અને ખજાનો પણ ભેગો થઇ ગયો આ ખજાનો બે ત્રણ રજવાડાનાં માણસોની નીગરાનીમાં હૈદારબાદમાં રાખવામાં આવ્યો અને પછી યોગેન્દ્રસિંહ ઇંગ્લેન્ડ ગયાં અને ત્યાંના પ્રમુખ અને રાણીને મળ્યાં પરંતુ યોગેંન્દ્રસિંહ અને બધા રાજાઓના નસીબ નબળા હતાં કેમકે માઉન્ટ બેટનને જ્યારે ભારત મોક્લ્યાં હતા ત્યારે તેણે શરત કરી હતી કે મારા કામમાં કોઇ જાતની દખલગીરી કરવામાં આવશેતો હું કામ અધુરું છોડી પાછો આવી જઇશ. બ્રીટન આમપણ બિજા વિશ્વયુધ્ધને લીધે પાયમાલ થઇ ગયું હતું. અને ભારતમાં હવે કંઇ રહ્યું નહોતું જેટલું લુટાઇ તેટલું લુટી લીધુ હતું. એટલે હવે ભારત બ્રીટન માટે ગળામાં ભરાયેલ હડી જેવું હતું. વિશ્વયુધ્ધ પછી બ્રીટનમાં આવેલ નવી સરકાર જેમ બને તેમ જલદી ભારતમાંથી નીકળી જવા માગતી હતી અને એટલેજ તેણે માઉન્ટબેટનને બધીજ સતા આપીને ભારતને બંને તેટલી જલદી આઝાદ કરી ત્યાં સરકાર રચવા માટે મોકલ્યાં હતાં. માઉન્ટબેટન શાહી પરીવાર સાથે સંબંધ ધરાવતા હતા અને તેની કારકીર્દીનો રેકોર્ડ ખુબજ ઉચ્ચો હતો. એટલે પ્રમુખ અને રાણી બંનેએ યોગેન્દ્રસિંહને ચોખ્ખુંજ કહી દીધુ કે “તમારે કોઇ પણ પ્રશ્ન હોય તો તમે માઉન્ટબેટનને મળો અમે અહીંથી તેના કામમાં કોઇ દખલ કરીશું નહીં.” આ સાંભળી યોગેન્દ્રસિંહને સમજાઇ ગયુંકે હવે આ બાબતમાં માઉન્ટ બેટન સિવાય કોઇ તેની વાત સાંભળશે નહી. એટલે તે ફરીથી ભારત આવ્યાં અને માઉન્ટબેટનને મળ્યાં પણ માઉન્ટબેટન કોંગ્રેસ અને મુસ્લીમ લીંગના નેતાઓની સાથે ચર્ચા કર્યા વિના કોઇ નિર્ણય લેવા નહોતા માંગતા. આ દરમિયાન જ સરદાર પટેલને રાજાઓની સમસ્યાઓ ધ્યાનમાં આવી. તેજ સમયે સરદાર પટેલનાં સીરે રજવાડાને વિલીન કરી અખંડ ભારતની રચના કરવાની જવાબદારી આવી. સરદાર બધા રાજાને મળી તેની પરીસ્થિતી સમજતા તે લોકોની જરુરીયાતો જાણતા અને દરેકને જોઇતી સવલતો આપતા અને સમજાવતા. સરદારે ઘણા રાજાઓને સાલીયાણા બાંધી આપ્યા અને તે રાજાઓ સાથે રજવાડાને વિલીન કરવાના કરાર કર્યા. આ સમાચાર પેલા રાજાઓને પણ મળ્યા અને તે બધા યોગેન્દ્રસિંહ પર દબાણ વધારવા લાગ્યાં. ધીમે ધીમે આઝાદ ભારતનું પ્રતિબિંબ સ્પષ્ટ થવા લાગ્યું હતું અને હવે પાકીસ્તાન જુદો દેશ બનશે તે નિશ્ચીત હતું. સરદાર પટેલે હવે બધા રાજાઓ સાથે સામ, દામમ દંડ અને ભેદની નિતીથી દબાણ વધારવા મંડ્યું હતું. સરદારે હૈદરાબાદના નિઝામ સાથે પણ મંત્રણા ચાલુ કરી હતી. સરદારની કુનેહ અને મક્કમ મનોબળને લીધે ઘણા રાજાઓ ભારતમાં જોડાઇ ગયાં હતાં. હવે યોગેન્દ્રસિંહ પર પણ દબાણ વધતું હતું અને તે સરદારને મળવા માટે મહેનત કરતા હતા એક દિવસ તેણે સમાચાર સાંભળ્યાં જે સાંભળી યોગેન્દ્રસિંહની રહી સહી આશાઓ પર પાણી ફરી ગયું.” ઉર્મિલાદેવીને ખુબ લાંબી વાત કરી થાક લાગ્યો હોવાથી તે રોકાયા અને નિશીથ સામે જોઇ હસતા હસતા બોલ્યા “તને એવું લાગતું હશે કે હું આડેપાટે ચડી ગઇ છું પણ એવું નથી આ બધી ઘટના ખજાના સાથે જોડાઇયેલી છે.”

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------********--------------------**********------------------*********----

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM