Ardh Asatya - 34 books and stories free download online pdf in Gujarati

અર્ધ અસત્ય. - 34

અર્ધ અસત્ય.

પ્રકરણ-૩૪

પ્રવીણ પીઠડીયા

સુરતની બહાર કામરેજ તરફ જતાં હાઇવે ઉપર થોડા દિવસો અગાઉ એક ગમખ્વાર અકસ્માત થયો હતો અને તેનું લાઈવ રિપોર્ટિંગ રમણ જોષીએ કર્યું હતું. એ સમયે અકસ્માત સ્થળે જેવો માહોલ હતો એ પ્રમાણે તે વરત્યો હતો. ત્યારે તેને ખરેખર ખબર નહોતી કે તેના એ ધૂંઆધાર રિપોર્ટિંગથી અભય જેવા ઇમાનદાર અને ફરજ પરસ્ત અફસરને પોલીસખાતામાંથી બરખાસ્ત કરવામાં આવશે અને અસલી ગૂનેહગારો બેખૌફ બહાર ઘૂમતાં રહેશે. મોડે-મોડે પણ જ્યારે હકીકત સમજાઇ ત્યારે તેણે પોતાની બહેન બંસરીને સચ્ચાઈ જાણવા અભયનો કેસ સોંપ્યો હતો. અને… બંસરીએ ખુદનો જીવ ખતરામાં મૂકીને પણ અભયનાં કેસની હકીકતને ઉજાગર કરી હતી. આ બાબતની અભયને તો જાણ જ નહોતી કારણ કે રમણ જોષીને અભયને જણાવવાનું ઉચીત સમજાયું નહોતું. પરંતુ એકાએક અહીં, ભરૂચનાં પોલીસ સ્ટેશનમાં બંસરીએ અભયને જોયો હતો અને એ તેને મળી હતી. એ પછી તેણે અભયની મુલાકાત પોતાના ભાઈ રમણ જોષી સાથે કરાવી હતી ત્યારે સમગ્ર હકીકત બધાને સમજાઇ હતી અને આગળની તહેકીકાત પણ રમણ જોષી કરે એવું નક્કી કરવામાં આવ્યું હતું. એ પછી તેઓ છૂટાં પડયા હતા અને અભય વળી પાછો સ્ટોરરૂમ તરફ ચાલ્યો ગયો હતો. એ દરમ્યાન બંસરી કંઇક અલગ જ વિચારોમાં ખોવાઇ ગઇ હતી. અભયનું વર્તન તેની સમજ બહાર હતું. તેણે અભય કઇ ફિરાકમાં છે એ જાણવાનું મનમાં નક્કી કર્યું હતું અને ભાઇને પોતાનો નિર્ણય જણાવ્યો હતો.

“તું પાગલ તો નથી થઇ ગઇ ને? તેનો કેસ હવે ઓપન એન્ડ શટ છે. તારે તેમાં સહેજે ઊંડું ઉતરવાનું નથી. તને જે કામ સોપ્યું હતું એ ખતમ થયું અને તું મારી સાથે સુરત આવે છે બસ.” રમણ જોષી ઉકળી ઉઠયો. નાદાનીમાં બંસરી કોઇ ખોટું પગલું ન ભરી બેસે એની ઉપાધીમાં તેનો પારો ઉંચે ચડી ગયો હતો. ગઇકાલે રાતે બંસરી સાથે જે બન્યું હતું એનો ધ્રાસ્કો હજું ઓસર્યો પણ નહોતો ત્યાં એ એક નવાં ઝમેલામાં પડવાનું કહેતી હતી એ કોઇ કાળે તે મંજૂર રાખે એમ નહોતો. તેણે બંસરીને ઘસીને અભયનાં મામલામાં પડવાની નાં પાડી દીધી. પરંતુ સામે બંસરી પણ ભારે જીદ્દી હતી.

“ભાઈ, મને ખબર છે કે તમને મારી ફિકર થાય છે. પરંતુ હમણાં તમે પણ અભયનું વર્તન નોંધ્યું ને! તેની વિરુધ્ધ લાગેલાં ભ્રષ્ટાચારના આરોપોમાંથી તેને મુક્તિ મળવાની હતી છતાં પણ તેના ચહેરા ઉપર એ બાબતની સહેજે ખુશી છવાઇ નહી અને તે અહીથી ચાલ્યો ગયો. મને લાગે છે કે જરૂર તે કોઇ અન્ય બાબતોમાં ઉલઝેલો છે જે તેની કારકિર્દી કરતાં પણ વધું મહત્વની હોવી જોઇએ. મારે એ જ જાણવું છે. તમે જ તો કહ્યું હતું ને કે એક પત્રકારે હંમેશા તેની આસપાસ બનતી ઘટનાઓ ઉપર નજર નાંખતાં રહેવું જોઇએ! હું એજ તો કરી રહી છું.” બંસરી બોલી ઉઠી. તેના અવાજમાં થોડીક જીદ અને થોડીક સમજાવટ ભળેલી હતી. રમણ જોષી પણ જાણતો હતો કે બંસરી સામે તે ગમે એટલી દલીલો કરશે પરંતુ છેલ્લે ધાર્યું તો તેનું જ થશે એટલે તેણે પોતાના હથિયારો હેઠા મૂકયા હતા અને બંસરીને રજા આપી હતી. એ સાંભળીને બંસરીનો ચહેરો ખીલી ઉઠયો. તે હેતપૂર્વક ભાઇનાં ગળે વળગી પડી. રમણ જોષીએ પણ તેની પીઠ પસવારી હતી.

“તને રજા તો આપું છું પણ તારે મને દરરોજ, કમસેકમ ચાર વખત ફોન ઉપર તું ક્યાં છો અને શું કરી રહી છો એનો રિપોર્ટ આપવો પડશે. બોલ છે મંજૂર?”

“ઓ.કે. ભાઇ, અને મારી ઉપર વિશ્વાસ કરવા બદલ થેન્કયું. અત્યારે હું તમારી સાથે સુરત આવું છું. મારે નહાવું છે અને કપડા પણ બદલવા છે. ચશ્મા પણ નવાં બનાવવા પડશે. એ પછી હું અભય પાછળ લાગી જઇશ.” બંસરી બોલી ઉઠી.

તેઓ વાતચીત કરતાં હતા એ દરમ્યાન એસીપી કમલ દિક્ષિત ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે બંસરીના ખબર-અંતર પૂછયાં અને પછી તેઓ સુરત જવા રવાનાં થઇ ગયા.

રમણ જોષીએ ગઇરાત્રે કમલ દિક્ષિતને બંસરીના કિડનેપ બાબતે ફોન કર્યો હતો, ત્યારથી લઇને અત્યાર સુધીમાં જોષીને પોતાના આ અંગત મિત્રનું વર્તન સમજમાં આવ્યું નહોતું. દિક્ષિતે તેને કોઇ જ સવાલો કર્યા નહોતા કે બંસરીની ઉલટ તપાસ પણ લીધી નહોતી. એ ક્યારનું તેને ખટકતું હતું. એક સાવ સામાન્ય સવાલ કે ’બંસરી કોસંબા શું કરવા ગઇ હતી?’ એ પણ તેણે પૂછયો નહોતો. શું કામ? રમણ જોષીનો માંહ્યલો ક્યારનો એ વિચારીને મુંઝાતો હતો. તેને કંઇ ઠીક નહોતું લાગતું. કોઇ મોટી મુસીબત ત્રાટકવાનાં એંધાણ અત્યારથી જ તેને વર્તાવા લાગ્યાં હતા.

@@@

લગભગ સાંજના પાંચ વાગ્યાં સુધી અભય સ્ટોરરૂમમાં ખાંખાખોળા કરતો રહ્યો હતો અને પછી થાકીને તે બહાર નિકળી આવ્યો. પૃથ્વીસિંહજીની ફાઇલ કે તેમના વિશે નાની અમથી કોઇ નોંધ પણ તેના હાથ લાગી નહોતી એટલે થોડો નિરાશ થયો હતો. કિરણ પટેલને સ્ટોરરૂમ સોંપીને તે બુલેટ ઉપર સવાર થઇને રાજગઢ જવા નિકળી પડયો. તેણે અનંતને સવારે ફોન કર્યો હતો અને પૃથ્વીસિંહજીનાં ગુમ થવાની તારીખ માંગી હતી પરંતુ હજું સુધી અનંતનો ફોન આવ્યો નહોતો. અને બંસરીની પળોજણમાં તે પોતે પણ અનંતને ફોન કરવાનું વિસરી ગયો હતો. એ તારીખ જાણવી જરૂરી હતી એટલે સીધા ઘરે જવાને બદલે તેણે અનંતસિંહને મળવાનું નક્કી કર્યું અને રાજગઢ પહોંચીને બુલેટને સીધું અનંતસિંહની હવેલીએ ઉભું રાખ્યું.

અનંતસિંહ તેની હવેલીએ નહોતો. કદાચ વિષ્ણુંબાપુને ત્યાં હશે એમ વિચારીને તે ચાલતો જ એમની હવેલીએ પહોંચ્યો. સાંજ ઢળી ચૂકી હતી. વાતાવરણમાં આછો અંધકાર ભળ્યો હતો. હવેલીનાં કાંગરે અને ઝરુખાઓમાં લાઇટો શરૂ થઇ ચૂકી હતી જેનાથી હવેલીમાં થોડીક જીવંતતા પ્રસરી હતી. અભય હવેલીની સામે થોડીવાર માટે થોભ્યો હતો અને તેણે નજરોભરીને એ દ્રશ્ય માણ્યું. આ પહેલાં પણ તે અહી આવી ચૂકયો હતો. એ સમયે કોણ જાણે કેમ પણ એક અજીબ પ્રકારની બેચેની, એક ઉદાસીભરી માયૂસી તેના મનને ઘેરી વળી હતી. હવેલીને જોતા જ તે અપસેટ બની ગયો હતો. વિષ્ણુંસિંહજી ભલે વર્ષોથી આ હવેલીમાં રહેતા હોય અને અનંતસિંહની હવેલી મોટેભાગે ખાલી જ પડી રહેતી હોય, તેમ છતાં તેને અનંતસિંહની હવેલી વધું ગમતી હતી. એ બંધ હવેલીમાં પ્રવેશતાં મન બેચેન નહોતું થતું જ્યારે વિષ્ણુંસિંહ બાપુની હવેલી તેને ડરાવતી હોય એવું અનુભવતો હતો. એવું કેમ થતું હતું એ તે સમજી શકતો નહોતો. રાજગઢનાં રાજ પરિવારનો સમય કદાચ તેના અસ્તાચળ તરફ સરકી રહ્યો હતો એટલે ગહેરી માયૂસીએ પોતાનો ડેરો નાંખ્યો હોય એવું બની શકે. પણ અભયને અહી આવવું ગમતું નહી. તેણે એક નજરમાં આખી હવેલી જોઇ લીધી અને પછી હવેલીની સામે બનેલાં બગીચા તરફ નજર ઘુમાવી. એ બગીચો તો આ હારબંધ હવેલીઓ કરતાં પણ વધું મનહૂસ ભાસતો હતો. સાંધ્યકાળનાં આછાં થતા જતા અજવાશમાં બગીચામાં લહેરાતા વૃક્ષો કોઇ ભૂતાવળ નાચતી હોય એમ ડોલતાં હતા. અભયે પોતાની નજર ત્યાંથી ખસેડી લીધી અને તેના હદયમાં ઉદભવેલા ડરે જાણે તેને ધક્કો માર્યો હોય એમ ઝડપથી ચાલતો તે વિષ્ણુંસિંહજીની હવેલીના ખુલ્લા દરવાજામાં ઘૂસી ગયો. એ તેની ગંભીર ભૂલ હતી. તેણે પહેલા પોતાના મિત્ર અનંતસિંહને ફોન કરી લેવો જોઇતો હતો.

@@@

અભયને આશ્વર્ય થયું કે દિવાનખંડમાં કેમ કોઇ દેખાતું નથી! અંદર કોઇ નહોતું અને હવેલીનો મુખ્ય દરવાજો પણ ખૂલ્લો હતો એ થોડું અજૂગતું હતું. તેનું માથું ઠનક્યું. તેણે દિવાનખંડમાં ચારેકોર નજર ઘુમાવી. ચોતરફ શાંતી પ્રસરેલી હતી. છત ઉપર લટકતાં ઝૂંમરમાંથી પીળી રોશની રેળાતી હતી અને એ રોશનીમાં નહાઇ ઉઠેલું દિવાનખંડનું ફર્નિચર અજબ ભાસતું હતું.

“હેલ્લો, કોઇ છે અંદર?” તેણે બૂમ પાડી જેનો પડઘો આખી હવેલીમાં ગૂંજી ઉઠયો. થોડીવાર તે ત્યાં જ ઉભો રહ્યો. તેને આશ્વર્ય થતું હતું કે સમી સાંજે બધા ક્યાં ચાલ્યાં ગયા હશે?

થોડીવાર થઇ હશે અને ઉપરનાં માળેથી કોઇના પગરવ સંભળાયાં. અભયે ડોક ઉંચી કરીને એ તરફ જોયું. એ વિષ્ણુંસિંહજી હતા જે લાકડીનો ટેકો લઇને ચાલતાં દાદારનાં કઠેડે આવીને ઉભા રહ્યાં હતા.

“અભય તું? આવ, આવ. થોડીવાર બેસ, હું હમણાં નીચે આવું છું.” તેઓ બોલ્યાં અને વળી પાછા અંતર્ધાન થઇ ગયા.

અભય દિવાનખંડમાં પથરાયેલા સોફા તરફ ચાલ્યો અને બેઠક લીધી. તેના મનમાં સવાલોનું ધમાચાણ મચ્યું હતું. તેણે વહેલી સવારે અનંતને ફોન કરીને પૃથ્વીસિંહજીની ગાયબ થવાની તારીખ પૂછી હતી અને અનંતે બાપુને પૂછીને કહેવાનું જણાવ્યું હતું. અત્યારે સાંજ થવા આવી હતી છતાં અનંતનો ફોન આવ્યો નહોતો એ વિચાર એકાએક જ તેના મનમાં આવ્યો હતો. અનંત ક્યારેય કોઇ વાત ભૂલે એવો વ્યક્તિ નહોતો જ. તો તેણે ફોન કેમ નહીં કર્યો હોય! અભયે તુરંત પોતાના ખિસ્સામાંથી ફોન કાઢીને અનંતને ફોન લગાવ્યો. જે કામ તેણે સવારે જ કરી લેવાની જરૂર હતી એ કામ તે અત્યારે કરતો હતો. પરિણામ… અનંતનો ફોન ’સ્વીચઓફ’ બતાવતો હતો. અભય હૈરાનીથી ફોનમાંથી આવતો મેસેજ સાંભળી રહ્યો. તેને પક્કી ખબર હતી કે અનંત ક્યારેય પોતાનો ફોન ઓફ રાખતો નહી. તો અત્યારે કેમ તેનો ફોન બંધ આવે છે, તેને કંઇ થયું તો નહી હોય ને? અમંગળ કલ્પનાઓથી અભયનું હદય જોર-જોરથી ધડકવા લાગ્યું હતું.

(ક્રમશઃ)