Ardh Asatya - 59 books and stories free download online pdf in Gujarati

અર્ધ અસત્ય. - 59

અર્ધ અસત્ય.

પ્રકરણ-૫૯

પ્રવીણ પીઠડીયા

“એ પછીની ઘટનાઓ બહું ઝડપે ઘટી હતી. એ બધી વાતો વિસ્તારથી કહીશ તો સવાર પડી જશે એટલે તને સંક્ષિપ્તમાં કહી દઉં. મૂખિયો પાછો ફરતા કબિલામાં ઉત્સાહ ફેલાઈ ગયો હતો. પોતે ક્યાં હતો એ વાત તેણે અધ્યાહાર જ રાખીને રાજગઢનાં દરબારમાં ગાયબ થયેલી યુવતીઓ વિશે ફરીયાદ લઇને જવાનું ફરમાન તેણે કર્યું હતું. એવું કરવાનું કારણ એ હતું કે તે વિષ્ણુંસિંહથી સખત ડરેલો હતો. વળી હવે તેને અભય વચન મળ્યું હતું એટલે તે એ મોકો ગુમાવવા માંગતો નહોતો. તેણે રાજગઢનાં રાજકુંવરોની પાશવી લીલા જોઇ હતી. તે નહોતો ઈચ્છતો કે એ ખેલ ફરીથી શરૂ થાય અને બીજી કન્યાઓ માથે આફત ત્રાટકે. તે બીજા જ દિવસે થોડો સ્વસ્થ થતા પોતાના અંગત ચાર માણસોના સહારે રાજગઢ આવ્યો હતો અને વિષ્ણુંસિંહે જેમ સમજાવ્યું હતું એ પ્રમાણે પૃથ્વીસિંહજી બાપુને પોતાના કબિલામાંથી એક યુવતી ગાયબ થઇ છે એવી ફરીયાદ કરી હતી અને તેને શોધવાની ગુહાર લગાવી હતી.”

“માત્ર એક યુવતી? એનું કારણ?” અભય વચ્ચે જ બોલી ઉઠયો. તેને એ વાતથી આશ્વર્ય ઉદભવ્યું હતું. વૈદેહીબા એ તેની સામું જોયું.

“થોડીક ધીરજ ધર. એ જ કહેવા જઇ રહી છું. તેમાં વિષ્ણુંની ગહેરી ચાલ હતી. તેણે કઇંક એવું વિચાર્યું હતું કે એક ઝટકે તેના માથે તોળાતી બધી જ સમસ્યાઓ ખતમ થઇ જાય. અને થયું પણ એવું જ હતું. કબિલાના મૂખિયાને રાજગઢમાં આવેલો જોઇને દિલિપસિંહ અને મયુરસિંહ ચોંકી ઉઠયાં હતા. ભયંકર આશ્વર્યભરી નજરે તેમણે વિષ્ણુંસિંહની દિશામાં જોયું હતું. વિષ્ણુંસિંહની નજરો પણ પોતાના ભાઈઓ ઉપર આવીને અટકી હતી અને એ સમયે તેના હોઠો ઉપર એક અજીબ પ્રકારનું ઉપહાસ ભર્યું હાસ્ય છવાયું હતું. એ દરમ્યાન મૂખિયાએ પૃથ્વીસિંહજીને પોતાના કબિલામાંથી એક કન્યા ગાયબ થઇ છે એવી ફરીયાદ કરી હતી. પૃથ્વીસિંહે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાનું વચન તેને આપ્યું અને એ કામ વિષ્ણુંસિંહને સોંપ્યું હતું કારણ કે વિષ્ણુંસિંહના હાથમાં જ એ બધો કારભાર હતો. વિષ્ણુંસિંહે બધાની સામે જ મૂખિયાને એ બાબતે યોગ્ય તપાસ કરવાની બાંહેધરી આપી અને તેને રવાના કર્યો હતો. હવે તને સમજાયુંને કે તેણે શું પ્લાન બનાવ્યો હશે?” એકાએક વૈદેહિસિંહ અટકયા હતા અને તેમણે અભયને પૂછયું હતું. અભયે હૈરતથી માથું ધૂણાવ્યું. તેને વિષ્ણુંસિંહની રમત સમજમાં આવતી હતી છતાં હજું તે ગૂંચવાયેલો હતો.

“ઓ.કે. ચાલ તને ચોખવટથી બધું સમજાવું. તેને ખબર હતી કે જો કબિલાનો મૂખિયા ફરીયાદ લઇને દરબારમાં આવશે તો તેના ભાઈઓ જે તેની ઉપર ઘણાં લાંબા સમયથી યુવતીઓને લાવવાનું દબાણ કરતા હતા એ દબાણ આપોઆપ બંધ કરી દેશે. કારણ કે તેમના મનમાં ડર ઉદભવશે કે જો હવે કંઇ થયું તો તેમનું નામ જાહેર થતાં વાર નહી લાગે. આ બહાને વિષ્ણુંસિંહે બન્ને ભાઈઓનાં માથે એક પ્રકારનું પ્રેશર ઉભું કરી દીધું હતું જેથી તેઓ ખામોશ થઇ જાય અને તેનો પીછો છોડે. ઉપરાંત તેને એ પણ ખબર હતી કે મામલાની તપાસ તેના હાથમાં જ સોંપવામાં આવશે. એવું થાય એટલે પછી તે પોતાને મન ફાવે એવો વળાંક આખા કિસ્સાને આપી શકે તેમ હતો અને તેણે એવું કર્યું પણ હતું. પૃથ્વીસિંહજીને બતાવવા તેણે રાજપીપળાનાં પોલીસ સ્ટેશનમાં યુવતીના ગુમ થવાની ફરીયાદ દાખલ કરાવી હતી. હવે તને તો ખબર હશે અભય કે, એ સમય એવો હતો જ્યારે પોલીસ ખાતું દરેક રાજ-પરિવારની જબરી આમન્યાં જાળવતું હતું. તેમનો પડયો બોલ ઝીલાતો. આ કેસમાં પણ એમ જ થયું હતું. એફ.આઇ.આર. ફાટી હતી એટલે પોલીસ તપાસ શરૂ થઈ. તપાસ કરનાર અફસર રાજગઢના મોટા રાજકુંવર વિષ્ણુંસિંહને અંગત રીતે ઓળખતો હતો એટલે તેણે પણ વિષ્ણુંસિંહે જે કહ્યું એ પ્રમાણે જ તપાસ કરી હતી. વિષ્ણુંસિંહે પહેલેથી જ તેના મનમાં એવું ઠસાવી દીધું હતું કે આ મામલામાં ઈન્કવાયરી કરવા જેવું કશું છે જ નહી. એક આદીવાસી ભીલ કબિલાની કન્યા જંગલમાંથી અચાનક ક્યાંક ગાયબ થઇ જાય એમાં વળી શું તપાસ કરવાની! ચોક્કસ તે કોઇ નદીમાં ડૂબી ગઇ હશે અથવા તો કોઇ જંગલી જનાવરનો શિકાર બની ગઇ હશે. પેલા અફસરને પણ એ વાત ઠીક લાગી હોય એમ તેણે ઉપરછલ્લો રિપોર્ટ બનાવીને ફાઇલ ’ક્લોઝ’ કરી દીધી હતી. અરે તેણે કબિલા સુધી જવાની તસ્દી સુધ્ધા લીધી નહોતી કારણ કે એ આવા નાના કેસમાં વધું ધ્યાન આપીને બાપુની નારાજગી વહોરી લેવા માંગતો નહોતો. અને તેનું બીજું પણ એક કારણ હતું કે આ કેસમાં જ્યાંથી કન્યા ગાયબ થઇ હતી એ કબિલાનો કોઇ જ વ્યક્તિ હાજર રહ્યો નહોતો. એક રીતે કહી શકાય કે કેસ પાછળ દોડવાવાળું તો કોઇ હતું જ નહી એટલે એ સમયે જ કેસનું ફિંડલું વળી ગયું હતું. અને… રહી એક જ યુવતીની વાત જાહેર કરવાની યુક્તિ. તો એમાં એવું હતું કે એક યુવતીની જગ્યાએ જો સાત યુવતીઓ ગાયબ થઇ છે એવી જાણ બધાને કરવામાં આવે તો ચારેકોર હાહાકાર મચી જાય અને પોલીસ ડિપાર્ટમેન્ટ એકદમ જ સતર્ક બનીને તપાસ આદરે. એવું ન થાય એ માટે જ વિષ્ણુંસિંહે એક યુવતીની કહાની વહેતી કરી હતી. જેમાં તેઓ કામિયાબ પણ નીવડયા હતા અને મામલો તેમણે ધાર્યું હતું એમ બહું જલદીથી સમેટાઇ ગયો હતો. વિષ્ણુંસિંહનો પ્લાન એકદમ ફૂલપ્રૂફ સાબિત થયો હતો અને કોઇને સહેજે શક પણ પડયો નહોતો.” વૈદેહીસિંહ બોલતા અટકયાં હતા.

અભયના મનમાં હવે આખું ચિત્ર સ્પષ્ટ થયું હતું. તે અચંભિત હતો કે કેવી રીતે એક વ્યક્તિ આટલા વર્ષો સુધી તેનો ભયંકર અપરાધ છૂપાવીને રાજગઢ ઉપર જલસાથી રાજ કરતો રહ્યો હતો! પણ આખરે એ સમયે તેને અટકાવવા વાળું હતું પણ કોણ? તે વિચારમાં પડયો. તેના કરતૂતોની જાણકારી કેટલા લોકોને હતી? તેના બન્ને ભાઈઓ, દેવો, વૈદેહીસિંહ, કબિલાનો મૂખિયા… બસ, આટલાં જ વ્યક્તિઓને જાણ હતી કે વિષ્ણુંસિંહે શું અપરાધ કર્યો છે. તેમાંથી બન્ને ભાઈઓ તો તેની સાથે અપરાધમાં ભાગીદાર હતા એટલે તે કોઇને કહે એ શક્યતા નહોતી. પોતાના જ કાળા કરતૂતો વળી કોણ ઉજાગર કરવાનું હતું! બીજો દેવો હતો જે તેનો અંગત માણસ હતો એટલે એ શકયતા ઉપર પણ ચોકડી લાગી જતી હતી. વૈદેહિસીંહ ઉપર તો તેમણે આજીવન દેવાનો પહેરો લગાવી દીધો હતો. બાકી બચ્યો હતો મૂખિયા, તો એ માણસ રાંક હતો. તેણે પોતાની સગ્ગી આંખોએ બધું જોયું હતું પરંતુ તેની હૈસીયત એવી નહોતી કે તે એક શક્તિશાળી રાજ-પરિવાર સાથે બાથ ભિડી શકે. તે જીવિત છૂટયો હતો એ જ ભગવાનનો પાડ માનીને ચૂપ થઇ ગયો હતો અને ગુમનામીનાં અંધકારમાં ખોવાઇ ગયો હતો. બાકી બચ્યાં પૃથ્વીસિંહજી… તેમને તો તેમનાં જ નાક નીચે શું ખેલ ભજવાઇ ગયો હતો એનો કોઇ ખ્યાલ જ નહોતો. આમ વિષ્ણુંસિંહ એ સમયે સાફ બચી ગયો હતો. તો પછી પૃથ્વીસિંહજીનું શું થયું? એકાએક તેઓ ક્યાં ગાયબ થઇ ગયા?

અનંતના કહેવાથી અભયે જે રહસ્યમય કોયડાને ઉકેલવાની શરૂઆત કરી હતી એ કોયડો આટલી બધી મથામણ પછી પણ તેની સામું મોઢું ફાડીને એમને એમ જ ઉભો હતો.

@@@

કબિલાનો મૂખિયા જીવિત પાછો ફર્યો હતો. તે એટલો આતંકીત હતો કે હવે તે આ જગ્યાએ રહેવા માંગતો નહોતો. વળી કુદરત પણ એવા જ સંકેતો આપતી હતી કે તેઓ કબિલાને કોઇ અન્યત્ર સ્થાને લઇ જાય. જે પહાડની તળેટીમાં તેઓએ વર્ષો વિતાવ્યાં હતા એ પહાડ ઉપરથી અત્યારે ધોધમાર પાણી વરસી રહ્યું હતું. અસંખ્ય નાના-મોટા ધોધ તેની નજરો સામે સો-એક ફૂટની ઉંચાઈથી કબિલાના તળમાં ખાબકતાં હતા. જે પહાડ તેમનું ભયંકરમાં ભયંકર વરસાદમાં પણ અડીખમ બનીને રક્ષણ કરતો હતો એ જ પહાડ આજે વગર વરસાદે અનરાધાર વરસી રહ્યો હતો. એ કોઇ અજાયબીથી કમ તો નહોતું જ. એવું કેમ થયું એનું કારણ કદાચ તે જાણતો હતો. તેના હદયમાં ઉંડે-ઉંડેથી કશોક અવાજ સંભળાતો હતો. કોઇક તેને પોકારી પોકારીને બોલાવી રહ્યું હોય એવું લાગતું હતું. તે અકળાતો હતો, મુંઝાતો હતો, ધોધને જોઇને તેને એક અજબ પ્રકારની માયૂસી ઘેરી વળતી હતી. અને… સાવ અચાનક તેને એ ઝરણા રૂપી વહેતાં થયેલા ધોધની હકીકત સમજાઇ હતી. હે ભગવાન, તેના હદયનાં ઉંડાણમાંથી એક ભયંકર હાયકારો નીકળ્યો હતો અને આપોઆપ તેના હાથ આપસમાં જોડાયાં હતા. એકાએક જ સમજાયું હતું કે કુદરત તેને શું સંકેત આપી રહી છે. કબિલામાંથી ગાયબ થયેલી સાત-સાત કોડીલી કન્યાઓને ઈશ્વરે સાત-સાત ધોધ સ્વરૂપે ધરતી ઉપર પાછી મોકલી હતી. શું કામ? એ તે નહોતો જાણતો. કુદરતનાં સંકેતો સમજવા તેની હેસીયત બહારની વાત હતી. તે તો બસ, ભકતિ ભાવથી બન્ને હાથ જોડીને એ કન્યાઓને નમન કરતો ઉભો રહ્યો હતો. તેની આંખો છલકાઇ ઉઠી હતી અને હદયમાં ડૂમો ભરાઇ આવ્યો હતો. તે આ વિશે કબિલામાં કોઇને કહી શકે તેમ પણ નહોતો કારણ કે તો તેણે એક ભયંકર રહસ્ય ઉજાગર કરવું પડે અને વળી પાછો કબિલા ઉપર વિષ્ણુંબાપુ રૂપી કાળનો ઓછાયો મંડરાવા લાગે. હવે કોઇ કાળે તે એ થવા દેવા માંગતો નહોતો એટલે મનોમન જ તેણે એક નિર્ણય લીધો હતો અને રાતોરાત કબિલો એ પહાડની તળેટીમાંથી જંગલના ગહેરા ઉંડાણમાં અંતર્ધાન થઇ ગયો હતો. પછી ક્યારેય કોઇ નહોતું જાણી શકયું કે એ કબિલો ક્યાં ગયો હતો. પરંતુ એ પછી કબિલાનો મૂખિયા દર વર્ષે એક વખત, એક ચોક્કસ સમયે, ચોક્કસ દિવસે, પહાડ ઉપરથી વરસતાં ઝરણાઓને, ધોધને નમન કરવા આવતો રહ્યો હતો. તેની એ ભક્તિ વર્ષોના વહાણાં વિતી જવા છતાં અખંડ ચાલું રહી હતી. ઉંડે-ઉંડે તેના મનમાં આશાનો એક દીવડો જગતો હતો કે ક્યારેક તો એ હતભાગી યુવતીઓનો ન્યાય ઈશ્વરનાં દરબારમાં તોળાશે. ક્યારેક તો એ શયતાન તેના કર્મોની સજા ભોગવશે.

@@@

કબિલાનો મૂખિયો પૃથ્વીસિંહજીના દરબારમાં ફરીયાદ કરીને ગયો એ પછીનાં એક મહિનાની અંદર દિલિપસિંહ અને મયુરસિંહ, બન્ને ભાઈઓ વારા ફરતી કોઇક અજીબ પ્રકારની બિમારીનાં શિકાર બનીને મોતને ભેટયાં હતા. એ ૧૯૯૨ની સાલ હતી. અને એ સાલમાં જ પૃથ્વીસિંહજી પણ ગાયબ થયાં હતા.

(ક્રમશઃ)