VISHAD YOG - CHAPTER - 58 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ - પ્રકરણ - 58

વિષાદયોગ-પ્રકરણ-58

‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####-----------

પ્રશાંત ભાનમાં આવ્યો અને આંખો ખોલી જોયુ તો સામે ફાર્મહાઉસનો ચોકીદાર ઊભો હતો. તેને જોઇ પ્રશાંતે પુછ્યું “હું ક્યાં છું? મને શું થયું હતું.?” આ સાંભળી પેલા વોચમેને કહ્યું “તમે અહીં ફાર્મ હાઉસ પર જ છો. તમે એકાએક બેહોસ થઇ ગયા હતા એટલે અમે તમને ઉપરના રુમમાં લાવ્યા છીએ.” આ સાંભળતાજ પ્રશાંતને પોતે બેભાન થયો હતો તે વાત યાદ આવી એ સાથેજ પેલા રુપીયા પોતાના હાથમાંથી જતા રહ્યા છે તે યાદ આવી ગયું અને તેને નિશીથ પર જોરદાર ગુસ્સો આવ્યો. તેણે વોચમેનને પુછ્યું “બીજા બધા ક્યાં નીચે છે?”

“ના બધાને જવા દીધા છે. સાહેબને હોસ્પીટલમાં દાખલ કર્યા છે.”

આ સાંભળી પ્રશાંત ઊભો થયો અને બોલ્યો “સારુ તો હવે હું પણ જવા ઇચ્છુ છું મારો મોબાઇલ ક્યાં છે?”

વોચમેને ટેબલ પર પડેલો મોબાઇલ આપ્યો તે લઇ પ્રશાંત ધીમી ચાલે ફાર્મ હાઉસની બહાર નીકળ્યો અને કાર લઇને જતો રહ્યો. તેણે થોડા આગળ જઇ પોતાનો મોબાઇલ ચાલુ કર્યો અને તેના માણસને કોલ કર્યો. આ માણસ એજ હતો જેને પ્રશાંતે નિશીથ પર નજર રાખવા માટે મુક્યો હતો પણ તે માણસ અત્યારે આઇ.બીના લોકઅપમાં પહોંચી ગયો હતો. પ્રશાંતે ચાર પાચ પ્રયત્ન કર્યા પણ ફોન સ્વીચ ઓફ બતાવતો હતો. તે ફરીથી ફોન લગાવવા જતો હતો ત્યાં કારની વિન્ડૉ પર ટકોરા પડ્યા. પ્રશાંત વિન્ડો ઉતારી એટલે પેલા માણસે તેનુ આઇ.કાર્ડ બતાવ્યુ અને કહ્યું “તમારે અમારી સાથે આવવું પડશે.” પ્રશાંતે પેલાનું આઇ.કાર્ડ જોયુ એ સાથેજ તેના મોતિયા મરી ગયા. આઇ.કાર્ડમાં લખ્યું “આઇ.બી ઓફીસર”. પ્રશાંતે આઇ.કાર્ડ પાછું આપ્યુ એ લઇ પેલો પ્રશાંતની કારમાં બાજુની સીટમાં બેસી ગયો અને બોલ્યો “જો મારે તમારી સાથે કોઇ ખરાબ વર્તન કરવુ નથી એટલે હું જેમ કહું છું તેમ કારને જવાદો.”

હવે પ્રશાંતને સમજાઇ ગયુ હતુ કે નિશીથ તેને ડબલ ક્રોસ કરી ગયો હતો.

------------------------*************---------------**************----------********------------

વિલીએ લેપટોપ બંધ કર્યુ અને સુન્યમનસ્ક બેસી રહ્યો. તેની આખી જિંદગીની કમાણી જતી રહી હતી. આમ છતા તેની બીજી બચતથી તે આરામથી જિંદગી જીવી શકે એમ હતો. વિલીને નવાઇ લાગતી હતી કે આટલુ બધુ બની જવા છતા તેના દિલમાં એક પ્રકારનો સંતોષ હતો. વિલીને પોતાનેજ આ લાગણી સમજાતી નહોતી. અત્યાર સુધી અનુભવેલો ડર પણ હવે ગાયબ થઇ ગયો હતો. દિલમાં એક પ્રકારની શાંતિ અનુભવાતી હતી. વિલી માટે આ એકદમ નવો અનુભવ હતો. વિલીએ જિંદગીમાં પહેલીવાર કોઇ એવુ કામ કર્યુ હતુ જેમા બીજા લોકોની ભલાઇ થઇ હોય એટલે તેના માટે આ સંતોષની લાગણી એકદમ નવી હતી. આટલુ શુકુન અને શાંતિ તેણે જિંદગીમાં પહેલીવાર અનુભવ્યુ હતું. આજે પહેલીવાર તેને મનની શાંતિનો અનુભવ થયો હતો. તેની પાસે પુષ્કળ પૈસા હતા પણ આ પહેલા આટલી શાંતિ તેણે ક્યારેય અનુભવી નહોતી. આ લાગણીએજ તેને નિર્ભય બનાવી દીધો હતો. તે હજુ આંખો બંધ કરીને બેઠો હતો ત્યાંજ તેના રુમનો દરવાજો ખુલ્યો. વિલી એ તે બાજુ જોયુ તો તેની પત્ની અને દિકરો સામે ઊભા હતા. વિલી ખુરશીમાંથી ઉભો થઇ ગયો. તેનો દિકરો તો દોડીને તેને ભેટી પડ્યો. વિલી પણ તેના દિકરાને વળગી પડ્યો. થોડીવાર બાદ વિલીએ તેના દિકરાને અળગો કર્યો અને તે તેની પત્ની પાસે ગયો.

“જો રીયા મને ખબર છે કે મે કરેલો ગુનો માફીને લાયક નથી. તારા જેવી સ્ત્રીનું દિલ દુભાવવા બદલ ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. તું મને જે પણ સજા કરે તે મને મંજુર છે. પણ પ્લીઝ મને છોડી નહીં જતી. હું તારા વિના રહી શકીશ નહી. મારી જિંદગીની સૌથી અમૂલ્ય વસ્તુની કદર મને હવે થઇ છે. મને આ દશ કલાકમાં સમજાઇ ગયુ કે મારી જિંદગીની સૌથી અમૂલ્ય વ્યક્તિ તુ છે.” આટલુ બોલી વિલીએ તેની પત્નીનો હાથ પકડ્યો. તેની પત્ની પણ વિલીના શબ્દોથી લાગણીશીલ થઇ ગઇ અને વિલીને ભેટી પડી. વિલી પણ રીયાને જોરથી વળગી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. આંસુ સાથે વિલીની અંદર રહેલો બધો મેલ વહી નીકળ્યો. વિલીની અંદર દબાયેલો સારો માણસ આળશ મરડીને ઊભો થઇ ગયો હતો. તે લોકો હજુ છુટા પડ્યા ત્યાં દરવાજો ખુલ્યો અને તેમાં બે માણસો દાખલ થયા.

આ સમીર અને નિશીથ હતા. તેને જોઇને વિલી વિચારમાં પડી ગયો. આ જોઇ નિશીથે કહ્યું “હવે બોલો તમારે કયાં જવુ છે અને અમારી મદદની શું જરુર છે. પહેલા તમને એક સારા ખબર આપી દઉં કે કૃપાલસિંહને હાર્ટ એટેક આવી ગયો છે અને તે હોસ્પીટલમાં છે. તમારા પર અત્યારે કોઇ ખતરો નથી.” આ સાંભળી વિલીને થોડી રાહત થઇ.

વિલીએ કહ્યું “તમારે મને મારા ગામ પહોંચાડવાનો છે. જ્યાં સુધી અહીં બધુ સરખુ ન થઇ જાય ત્યાં સુધી હું ત્યા જ રહીશ.”

“ઓકે તમને તમારા ગામ સીક્યોરીટી સાથે મુકી જવામાં આવશે. તમે જે કર્યુ છે તે બદલ દેશ તમને હંમેશા યાદ કરશે. અને તમે ચિંતા નહી કરતા આ કામમાં બહુ મોટા માણસો ઇન્વોલ્વ છે એટલે કોઇ તમારો વાળ વાંકો નહીં કરી શકે.” ત્યારબાદ બધા બહાર નીકળ્યા. બહાર બે ત્રણ કાર પડી હતી. તેમાંથી એક કારમાં વિલીનો પરિવાર બેઠો એટલે તે કાર આગળ ચાલી તેની પાછળ બીજી કારમાં તેના સીક્યોરીટી માટે રાખેલા માણસો હતા. બંને કાર જતી રહી એટલે નિશીથ અને સમીર પણ તેની કારમાં ગોઠવાયા. અને અમદાવાદ કશિશ પાસે જવા નિકળ્યા.

---------------*************--------------***********--------------------**********------------

આ બાજુ ઉર્મિલાદેવી તેની વિચારયાત્રામાં તલ્લીન હતા. તે રાત્રે બનેલી ઘટનાના દૃશ્યો ઉર્મિલાદેવીની આંખ સામેથી પસાર થવા લાગ્યા. તે રાત્રે ઉર્મિલાદેવી ગુસ્સામાં હતા ત્યારેજ કૃપાલસિંહ તેના ઓરડામાં દાખલ થયો. કૃપાલસિંહ આમતો રખડુ માણસ એટલે ઘરમાં ટકતોજ નહી. ઉર્મિલાદેવી પણ કૃપાલસિંહ સાથે જરુર પુરતી જ વાતો કરતા. દેવર અને ભાભી વચ્ચે જે મિત્રતાનો સંબંધ હોય છે તેવો આ બંને વચ્ચે ક્યારેય બંધાયો નહોતો. અત્યારે કૃપાલસિંહને રુમમાં આવેલો જોઇને ઉર્મિલાદેવીને નવાઇ લાગી પણ તે અત્યારે કોઇ વાત કરવાના મુડમાં નહોતા. ઉર્મિલાદેવી કંઇ બોલ્યા નહીં એટલે કૃપાલસિંહે સામેથી વાતની શરુઆત કરતા કહ્યું “ભાભી સાહેબ તમારો ગુસ્સો હું સમજી શકુ છું પણ હજુ આખી વાતની તમને ખબર પડશે પછીતો તમારો આ ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટી નીકળશે. હું પણ એટલેજ આ બાપ દિકરાથી ગુસ્સે છું પણ મારુ તો કોઇ સાંભળતુ નથી.” આટલુ બોલી કૃપાલસિંહ ઉર્મિલાદેવીનો પ્રતિભાવ જાણવા રોકાયો. આ વાત સાંભળી ઉર્મિલાદેવીને પણ થોડી જિજ્ઞાસા થઇ પણ તે કૃપાલસિંહ સામે ઉત્સુકતા દર્શાવવા માંગતા નહોતા એટલે તેણે કહ્યું “જો તમારે જે પણ કહેવુ હોય તે ચોખ્ખુ કહી દો. મારો મૂડ અત્યારે ખૂબ ખરાબ છે.”

આ સાંભળી કૃપાલસિંહ હસી પડ્યો અને બોલ્યો "હજુ તો આખી વાત તમને ખબર નથી તે ખબર પડશે પછી તો તમારો ગુસ્સો જોરદાર ભભુકી ઊઠશે. આ બાપ દિકરા જેટલા દેખાય છે તેટલા સીધા નથી. મારા ભાઇની સચ્ચાઇ તો તમને ખબર છે પણ મારા પીતાશ્રી પણ કંઇ ઓછા નથી. તમને જેણે કહ્યું છે કે તમે સામ્રાજ્ઞી બનશો તેણે જ બીજીને સામ્રાજ્ઞી બનાવવાની વ્યવસ્થા કરી રાખી છે." આ સાંભળી ઉર્મિલાદેવીને કૃપાલસિંહની વાતમાં રસ પડ્યો. આ જોઇ કૃપાલસિંહે આગળ કહ્યું " તમને કદાચ ખબર નહી હોય કે આપણા દાદાનો એક ખજાનો છે જે છુપાવેલો છે. આ ખજાના પર આપણો બધાનો હક છે પણ મારા પિતાશ્રીએ આ ખજાનાના નકશાના બે ભાગ કરી એક ભાગ મારા ભાઇને અને બીજો ભાગ એવી વ્યક્તિને આપ્યો છે કે જેનુ નામ સાંભળી તમારો સંયમ છુટી જશે." આટલુ બોલી કૃપાલસિંહ રોકાયો. ઉર્મિલાદેવીના ચહેરા પર રહેલ ઉત્સુકતા જોઇ તેને સમજાઇ ગયુ કે હાવે લોઢુ બરાબર ગરમ થઇ ગયુ છે. આ સમયેજ ઘા મારી દેવો જોઇએ.

"ભાભી આ બીજો ભાગ તમારી સોતન સરસ્વતીના ભાઇ પાસે છે. મારા પિતાશ્રીને તે બ્રાહ્મણ પર ખૂબ પ્રેમ છે અને મારા ભાઇને તેની બહેન પર એટલોજ પ્રેમ છે. હવે તમે જ વિચારો કે આ રાજ્યની સાચી સામ્રાજ્ઞી કોણ છે? તમે કે પેલી સરસ્વતી જેની પાસે ખજાનાના બંને ભાગ છે. અને મને તો એવુ લાગે છે કે પેલા બ્રાહ્મણેજ તેની બહેન વડે મારા ભાઇને ફસાવ્યો છે કે જેથી બંને ભાગ તેની પાસે આવી જાય અને ખજાનો તેનો થઇ જાય." આ સાંભળી ઉર્મિલાદેવીના રોમ રોમમાં આગ લાગી ગઇ. તેને અત્યાર સુધી આ કોઇ વાતની ખબર જ નહોતી. તે તો પોતાને રાણી સમજતી હતી પણ અહીં તો એક સામાન્ય છોકરી રાણીના સ્થાન પર કબજો જમાવીને બેઠી હતી. ઉર્મિલાદેવીના ચહેરા પર રહેલ ગુસ્સો જોઇ કૃપાલસિંહે કહ્યું "આતો મને તમારી દયા આવે છે એટલે મે તમને બધુ કહી દીધુ. બાકી મને તો વર્ષોથી આ જોઇ ખુબ દુઃખ થાય છે. તમારે કોઇ પણ મદદ જોઇતી હોય તો મને યાદ કરજો.” આટલુ બોલી કૃપાલસિંહ જતો રહ્યો. ઉર્મિલાદેવીએ તે રાત્રેજ શક્તિસિંહ સાથે ચર્ચા કરી લેવાનુ નક્કી કરી લીધુ. ઉર્મિલાદેવી મનમાં ગુસ્સાને દબાવી શક્તિસિંહની રાહ જોઇ રહ્યા હતા. તે મોડે સુધી શક્તિસિંહની રાહ જોતા રહ્યા પણ શક્તિસિંહ તે રાત્રે આવ્યોજ નહીં. તેને લીધે તો ઉર્મિલાદેવીનો ગુસ્સો વધી ગયો. ઉર્મિલાદેવી જાણતા હતા કે અત્યારે શક્તિસિંહ ક્યાં હશે? ઉર્મિલાદેવી શક્તિસિંહની રાહ જોતા રહ્યા અને થાકીને સુઇ ગયા. બીજા દિવસે શક્તિસિંહ આવ્યા એટલે ઉર્મિલાદેવીએ તેને કૃપાલસિંહે કરેલી વાત કરી અને પુછ્યું કે આ બધી વાત સાચી છે? શક્તિસિંહે કોઇ પણ જાતના હિચકિચાટ વિના કહ્યું “હા, એ વાત સાચી છે.” આ રીતે એકદમ સીધો જ જવાબ મળતા ઉર્મિલાદેવી ઉશ્કેરાઇ ગયા. ઉર્મિલાદેવીને તો એમ હતુ કે શક્તિસિંહ તેની પાસે ગલ્લા તલ્લા કરશે અને સમજાવવાની કોશિષ કરશે પણ શક્તિસિંહે તો કોઇ જાતના પ્રયત્ન વિના જ સીધુ જ સ્વીકારી લીધુ. આ જોઇ ઉર્મિલાદેવીને ગુસ્સો આવ્યો અને તેણે કહ્યું “ઓકે તો હવે તમારે અમારા બંનેમાંથી એકની પસંદગી કરવી પડશે. જો તમારે મને અહી રાખવી હશે તો તે સરસ્વતીને મળવાનુ બંધ કરવુ પડશે. અને તે નકશાનો અડધો ભાગ તેના ભાઇ પાસેથી લઇ લેવો પડશે.” આ સાંભળી શક્તિસિંહ એકદમ લાગણીશીલ થઇ ગયા અને બોલ્યા “દેવી તમે જે માગો છો તે આપવા મે ઘણી કોશિષ કરી છે. મે સરસ્વતીથી દૂર રહેવા ઘણો પ્રયત્ન કર્યો છે પણ તે મારા લોહીમાં ભળી ગઇ છે. તેના વિના મારુ જીવવુ શક્ય નથી. મારે તમને અન્યાય કરવો નહોતો પણ પિતાની આજ્ઞાને લીધે મારે તમારી સાથે લગ્ન કરવા પડ્યા છે. તમને મારી પત્ની તરીકેના તમામ હક મળશે પણ હું સરસ્વતીથી દૂર રહી શકીશ નહી.” આ બોલતી વખતે શક્તિસિંહની જે હાલત હતી એ જોઇ ઉર્મિલાદેવીને સમજાઇ ગયુ કે આ બંનેને અલગ કરવા શક્ય નથી. હવે નિર્ણય તેને જ કરવાનો છે કે તેણે અહી રહેવુ છે કે તેના પિતાના ઘરે જતુ રહેવુ છે. પિતાના ઘરે જવાના વિચાર માત્રથી તેના ક્રોધમાં વધારો થઇ ગયો. તેના પિતા પણ આખરે તો પુરૂષ હતા તે ક્યારેય મને સમજશે નહીં. આ બધા વિચારો કરતા ક્યાંય સુધી ઉર્મિલાદેવી બેસી રહ્યા. શક્તિસિંહ ક્યારે ત્યાથી જતા રહ્યા તે પણ તેને ખ્યાલ ન રહ્યો. તે જેમ-જેમ વિચારતા ગયા તેમ તેમ તેના મનમાં એક પ્રતિશોધની આગ પ્રજ્વલીત થવા લાગી. તેણે નિર્ણય કરી લીધો કે હું અહીં જ રહીશ અને મને થયેલા અન્યાયનો બદલો લઇશ અને આ ખજાનો મેળવીને જ રહીશ. આ વિચાર આવતા જ ઉર્મિલાદેવીના વિચારો એક ખતરનાક રસ્તા પર દોડવા લાગ્યા. હવે તેણે કૃપાલસિંહને પોતાની સાથે રાખવાનું નક્કી કરી લીધુ. તે બંને મળીને ધીમે ધીમે એક યોજના બનાવવા લાગ્યા પણ આ યોજના જ્યાં સુધી શક્તિસિંહના પિતા દશરથસિંહ જીવે છે ત્યાં સુધી અમલમાં મુકી શકાય એમ નહોતી. તે બંને યોગ્ય મોકાની રાહ જોઇને બેઠા હતા. આ દિવસો દરમિયાન ઉર્મિલાદેવી અને શક્તિસિંહ એકબીજાથી ખૂબ દૂર થઇ ગયા હતા. ઘણીવાર શક્તિસિંહે ઉર્મિલાદેવી પાસે સંતાનની, પોતાના વારસની ઇચ્છા વ્યક્ત કરી પણ ઉર્મિલાદેવીએ શક્તિસિંહને હડધુત કરતા કહ્યું “હવે મારી પાસેથી કોઇ આશા રાખશો નહી તે બધુજ તમે પેલી તમારી સરસ્વતી પાસેથી મેળવો. હવેજ તમને ખબર પડશે કે તમે કેવી ભૂલ કરી છે. " આ સાંભળી શક્તિસિંહે પણ ઉર્મિલાદેવીને કહી દીધુ "મારો વારસ તો આવશે જ તારી કુખેથી નહી તો સરસ્વતીની કુખેથી." અને સાચેજ એક દિવસ ઉર્મિલાદેવીને ખબર પડીકે સરસ્વતી પ્રેગ્નેટ છે. આ સાથેજ તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો પણ સાથે સાથે તેને પોતાની આબરુની પણ ફિકર થઇ. જો લોકોને ખબર પડશે કે શક્તિસિંહનું બાળક સરસ્વતીની કુખેથી જન્મ્યુ છે તો લોકોતો એવુજ વિચારશે કે મારામાં કઇક ખોડ છે એટલે જ શક્તિસિંહ સરસ્વતી તરફ ખેંચાયા છે. આ વાત વિશે ઉર્મિલાદેવીએ ઘણું વિચાર્યુ અને પછી બીજા દિવસે તેણે શક્તિસિંહને કહ્યું “તમને તો તમારી આબરુની કંઇ પડી નથી પણ આ રાજમહેલની આબરુનો વિચાર કરો. આ સરસ્વતીને લીધે આખા રાજપરિવારની આબરુ ધોવાઇ જાય તે હું જોઇ શકતી નથી. તમે સરસ્વતીને અહી રાજમહેલમાં લઇ આવો કોઇને ખબર ન પડે તે રીતે આપણે તેની સુવાવડ કરીશું.” આ સાંભળી શક્તિસિંહને પહેલાતો ઉર્મિલાદેવીની વાત પર વિશ્વાસ ન આવ્યો પણ પછી તેણે વિચાર્યુ કે સરસ્વતી જો રાજમહેલમાં રહે તો તેની સગવડતા સચવાશે અને તેના આવનારા સંતાનને પણ ફાયદો થશે. બીજાજ દિવસે કોઇને ખબર ન પડે તે રીતે સરસ્વતીને રાજમહેલમાં લાવવામાં આવી અને એક છુપા ઓરડામાં તેને રાખવામાં આવી. આ વાત બે ત્રણ વ્યક્તિ સિવાય કોઇ જાણતુ નહોતું. થોડા મહિના પછી સરસ્વતીએ દિકરાને જન્મ આપ્યો પણ આ પ્રસૂતિમાં સરસ્વતીએ જીવ ગુમાવવો પડ્યો. આ આઘાત શક્તિસિંહને અંદરથી હચમચાવી ગયો. ઉર્મિલાદેવીએ સરસ્વતીને રાજમહેલમાં લાવી પ્રસૂતિ કરાવી એ વાત સાંભળી દશરથસિંહ પણ ઉર્મિલાદેવી પર ખુશ થઇ ગયા. હવે રાજના બધા નિર્ણયોમાં ઉર્મિલાદેવી સામેલ રહેતા. એ પછીના એક મહિનામાં દશરથસિંહ પણ ગુજરી ગયા. હવે ઉર્મિલાદેવી અને કૃપાલસિંહનો રસ્તો ખુલી ગયો હતો તે લોકો પ્લાન અમલમાં મૂકવાનુ વિચારતા હતા. ત્યાં એક દિવસ એવી ઘટના બનીકે તે લોકોએ રાતોરાત પગલા ભરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ.” દરવાજો ખોલી એક દાસી ખંડમાં દાખલ થઇ એટલે ઉર્મિલાદેવીની વિચારયાત્રામાં વિક્ષેપ પડ્યો. પેલી દાસીએ આવીને કહ્યું “બા જમવાનો સમય થઇ ગયો છે. તમે બહાર આવો છો કે અહીંજ લઇ આવુ?”

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***********--------------------***********------------------************-----------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM