Thank You Corona books and stories free download online pdf in Gujarati

થેન્કયુ કોરોના

થેન્કયુ કોરોના
ભુકંપ,પુર,રોગચાળો,યુદ્ધ, વિશ્વની સામાજીક, આર્થિક પરિસ્થિતિને અસ્થિર કરી નાંખે છે. કોરોના વાયરસનું નામ સાંભળતા જ તેના પ્રત્યે ગુસ્સો, ફિટકાર, ધ્રુણા આવે જ. કોરોના વાયરસની શરુઆત જયાંથી થઇ તે દેશ પ્રત્યે પણ વિશ્વભરના લોકોને ગુસ્સો અને દુખ પણ છે. છતાંય આપણે કોરોના ને થેન્કયુ કહેવુ જોઇએ એવુ મારુ માનવુ છે.
કોરોના વાયરસની શરુઆતી સમયમાં વિશ્વભરમાં હાહાકાર મચી ગયો હતો અને આ એક મહામારી હોવાથી લોકોમાં ભયનો માહોલ પણ ઉભો થયો હતો. કોરોના વાયરસને લીધે લોકોએ પોતાના સ્વજન, નોકરી, ધંધા, રોજગાર અને ઘણુબધુ ગુમાવ્યુ છે, છતાંય આપણે કોરોના ને થેન્કયુ કહેવુ જોઇએ.
કોરોનાને લીધે આર્થિક-સામાજિક કટોકટી ઉભી થઇ છે. દરેક દેશની સરકાર કોરોના ને કંટ્રોલ કરવા, તેની રસી બનાવવા મથી રહી છે. કેટલાય દેશનુ અર્થતંત્ર જોખમાયુ છે, છતાંય આપણે કોરોના ને થેન્કયુ કહેવુ જોઇએ.
કોરોના ને થેન્કયુ કહેવા માટે મારા મતે ઘણાબધા કારણો છે એની વાત કરીએ. કોરોના જેવી મહામારી અગાઉ પણ વિશ્વના ઘણા દેશોમાં આવી ને ગઇ, તે દરેક વખતે લોકોએ તેનો સામનો કર્યો છે. પરંતુ કોરોના ની જંગમાં લોકો, સરકારો, સંસ્થાઓ, વોરીયર્સ પહેલા કરતા વધુ આક્રમક બન્યા છે અને દરેક પોતાના લેવલ પર કોરોનાની જંગમાં લાગેલ છે. એટલે કોરોના એ આપણને હરાવવા કરતા આક્રમક બનાવ્યા માટે જ તેને થેન્કયુ કહેવુ જોઇએ.
આપણે સૌ પોતપોતાના ગોલ, ટાર્ગેટ, અચીવમેન્ટ પુરા કરવા એવી દોડ મચાવી હતી અને સકસેસ મેળવવા એટલા બધા બીઝી થઇ ગયા હતા. આપણી આજુબાજુ શુ થઇ રહ્યુ છે તે ભુલી ગયા હતા પણ કોરોનાએ આ સકસેસની આંધળી દોટને બ્રેક લગાવી દીધી છે. લોકોએ કોરોના ના લીધે લોકડાઉનના સમયમાં પોતાની આજુબાજુની દુનિયાને વર્ષો પછી જાણી, અનુભવી અને સમજી છે. લોકોએ પોતાની આજુબાજુ, સોસાયટીમાં આજુબાજુ, સમાજમાં આસપાસ કોણ અને કેવા લોકો રહે છે તે આ જ સમયમાં સોશીયલ ડીસટન્સ રાખીને પણ શાંતિથી જાણવાનો પ્રયાસ કર્યો. આપણે એકબીજાની મદદ કરતા અને કેર કરતા થયા. કોરોના એ આપણને સામાજીકતા શીખવાડી સામાજીક બનાવ્યા એટલે જ થેન્કયુ કોરોના.
લોકડાઉનમાં ઘણાબધાએ પોતાના જુના સીંગીગ, ડ્રોઇંગ, કુકીંગ, રીડીંગ, મુવી અને વેબ સીરીઝ વોચીંગના શોખ પુરા કર્યા. લોકોએ ટાઇમપાસ માટે થઇને ખરી જીંદગી જીવી. લોકોને અવનવું જાણવાની, સમજવાની તક મળી. આપણને આપણો શોખ પુરો કરવાની તક આપી એટલે જ થેન્કયુ કોરોના.
લોકોના વોટસઅપ કોન્ટેક, મોબાઇલના કોન્ટેકમાં ઘણા બધા નામ હોય છે પણ એમાંના કેટલા નામ કામના હોય તે તકલીફ, મુશકેલીના સમયે જ ખબર પડે. કોરોના ના લોકડાઉનના સમયે જ કોણ આપણી ચિંતા, દરકાર, કદર કરે છે તે ખબર પડી. જેમના માટે આપણે ચિંતા, પ્રેમ હતો. તેમને પરખવાનો સમય લોકડાઉન જ હતો. જે કંપની માટે તેના કર્મચારીઓ મન લગાવીને કામ કરતા હતા તે કંપનીઓએ લોકડાઉનમાં તેમના કર્મચારીઓને એડવાન્સ સેલરી, જોઇતી મદદ કરી તેમની દરકાર કરી કે ન કરી તે જાણવાનો અવસર મળ્યો. ઘણી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમના કોન્સેપ્ટથી કર્મચારીઓ જોડે ટેકનોલોજીના માઘ્યમથી કામ કરાવવાનું શરુ કર્યુ અને આવા ઇનોવેટિવ આઇડીયા માટે થેન્કયુ કોરોના.
અત્યાર સુધી લોકો ફયુઝન ફુડ, જંક ફુડ જ ખાવાનું પસંદ કરતા હતાં. ડેઇલી લંચ માટે ઓફિસ કેન્ટીન અને વીક એન્ડમાં તો બહાર જ જમવા ટેવાયેલા હતા. ઘર કરતા હોટલ, રેસ્ટોરન્ટનું ફુડ જ જમવું એવી લોકોની માનસિકતા હતી પણ કોરોના ના લોકડાઉનમાં હોટલ, રેસ્ટોરંટ, ઓફિસ કેન્ટીનના ફુડ, જંક ફુડનો ઓપ્શન જ બંધ થઇ જવાથી લોકો ઘરનુ જમવાનું પસંદ કરતા થયા. શાકની ઓછી વેરાઇટી, અપુરતી ગ્રોસરી સાથે પણ કુકીંગ કરતા થયા અને ઘરનુ શુધ્ધ, સ્વાદિષ્ટ જમવાનું જમતા થયા. ઘણાને વર્ષો પહેલા કુકીંગનો શોખ હતો પણ રોજેરોજની દોડાદોડીમાં તે ભુલાઇ ગયુ હતુ તો ઘણાએ કુકીંગ શીખીને નવી શરુઆત કરી એટલે કોરોના ને થેન્કયુ કહીએ.
ઘણાબધા સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ ને મનોરંજન માટે વાપરતા હતા પણ કોરોના ના લોકડાઉનમાં આ સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ ની મદદથી ઘણા બધા વિધ્યાર્થીઓ ઓનલાઇન ભણ્યા અને તેમને સમજાયુ કે આ સાધનોથી મનોરંજન સાથે નોલેજ પણ મેળવી શકાય. ટેકનોલોજી અને સોશીયલ મીડીયાના માધ્યમથી દુર રહેતા લોકોને નજીક લાવવા માટે થેન્કયુ કોરોના.
ઘણાને વર્ષોથી ગુટકા, માવા, બીડી, સિગરેટ, તમાકુ, દારુ, કિટલીની ચાનું વ્યસન હતું, બંધાણી હતા. આ વ્યસન કોઇના કહેવાથી છુટતુ ન હતું. કેટકેટલાય પ્રયાસો કરવા છતાં, મન મજબુત કરવા છતાં વ્યસન છુટતુ ન હતું પણ કોરાનાના લોકડાઉનમાં આ બધી વસ્તુઓ ન મળવાથી કે મોંઘા મળવાથી કેટલાયના વ્યસન છુટી ગયા. તેઓને સમજાઇ ગયુ કે આવા વ્યસન વગર પણ સરળતાથી જીવન જીવી શકાય છે. જીંદગી જીવવી તો સરળ અને સસ્તી જ હતી પણ આપણે જ તેને હાઇફાઇ બનાવી હતી. ઓછી જરુરીયાતો વચ્ચે પણ લાઇફ સરળતાથી જીવી શકાય છે તેનુ ભાન કરાવવા માટે થેન્કયુ કોરોના.
કોરોના પહેલા આપણી લાઇફ સ્ટાઇલ બ્રાંડેડ વસ્તુઓ પર જ આધારીત હતી. લોકલ એટલે સસ્તી બ્રાંડ એવી માનસિકતા હતી પણ મોદીજીએ લોકડાઉનમાં આપણને આત્મ નિર્ભર ભારતનો આઇડીયા આપ્યો. આપણી લોકલ બ્રાંડ માટે હવે આપણને જ્ઞાન થયુ અને સમજાયુ કે આ બ્રાંડ પણ વિદેશી બ્રાંડની સરખામણીએ ઉપયોગી અને સારી જ હોય છે. આપણે આપણી આસપાસના દુકાનદારોને છોડીને મોલ કલ્ચર, ઓનલાઇન શોપીંગના રવાડે ચડી ગયા હતા પણ લોકડાઉનના સમયે આપણી નજીકના જ શાકભાજીના ફેરીયા, કરીયાણાવાળા, દવાવાળા જ આપણી જરુરીયાત પુરી કરવા કામે આવ્યા અને આપણને મોલ કલ્ચરથી લોકલ માર્કેટ સુધી લઇ આવવા માટે થેન્કયુ કોરોના.
આપણી આસપાસ આપણને મદદરુપ થનાર સરકારી કર્મચારીઓ, આપણી બિમારી દુર કરનાર ડોકટર, પેરા મેડીકલ સ્ટાફ, આપણી સેફટી માટે સતત કામ કરનાર પોલીસ,સફાઇ કર્મચારીઓ પ્રત્યે આપણને લાગણી નહોતી. આપણે એવુ માનતા હતા કે તેઓ પગાર લઇને તેમની ફરજ નિભાવે છે પણ કોરોના મહામારીમાં બધા પોતપોતાની સલામતી માટે થઇને ઘરે રહેતા હતા ત્યારે આ બધા કોરોના વોરીયર્સ બની દેશની સેવાની ભાવના સાથે આપણી મદદે તેમની જાનની પરવાર કર્યા વગર સતત લાગેલા રહ્યા. આપણને આ કોરોના વોરીયર્સની સમજ કેળવવા માટે થેન્કયુ કોરોના.
જ્યારે કોરોના સંકટ શરૂ થયું ત્યારે ભારતમાં એક પણ પીપીઈ કિટ બનતી નહોતી. એન 95 માસ્ક ભારતમાં બહુજ ઓછા બનાવવામાં આવતા હતા.આપણે વિદેશથી પીપીઇ કીટ અને એન 95 માસ્ક મંગાવતા હતાં. આજે સ્થિતિ એવી છે કે ભારતમાં દરરોજ લાખોમાં પીપીઈ કીટ અને એન 95 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. આપણા દેશમાં વેન્ટીલેટર પણ બહુ જ ઓછી કંપનીઓ બહુ જ ઓછી સંખ્યામાં બનાવતી હતી પણ કોરોનાના સંકટે દેશની ઘણી કંપનીઓએ રસપુર્વક રીસર્ચ કરી સસ્તા વેન્ટીલેટર બનાવવાની સફળતા મેળવી. હવે ભારત મોટાપાયે અને વ્યાજબી કિંમતે વેન્ટીલેટર બનાવવા તૈયાર છે. દરેક દેશના વૈજ્ઞાનિકો કોરોનાની રસી બનાવવા માટે સંશોધનો કરી રહી છે અને ભારતના વૈજ્ઞાનિક પણ સંશોધન કરી રહ્યા છે. પહેલા ઘણા લોકો હાથની સફાઇ માટે બહુ દરકાર નહોતા કરતા પણ કોરોનાના ડરથી લોકોની માનસિકતા બદલાઇ અને સ્વચ્છતા તરફ લોકો વળ્યા. પહેલા સેનેટાઇઝર બનાવનારી કંપનીઓ પણ ઓછી હતી પણ હવે ઘણી કંપનીઓ સેનેટાઇઝર બનાવતી થઇ અને તેની કિંમત પણ ઘટી. આ બધુ કોરોનાના આવવાથી બન્યુ એટલે થેન્કયુ કોરોના.
આપણી કુદરત તરફની બેદરકારીને કારણે આપણે વાતાવરણને, નદીના પાણીને અશુદ્ધ કરી નાંખ્યુ હતું.સરકારે વાતાવરણ, નદીના પાણી શુધ્ધ કરવા લાખો રુપીયા ખર્ચ્યા છતાં પણ જે શુધ્ધ ન થયુ તે કોરોના લોકડાઉનમાં થઇ ગયું. આપણને થોડુ ગણુ સારુ કુદરતી વાતાવરણ ઉભુ કરી આપવા બદલ અને આપણને વાતાવરણની સમજ કેળવી આપવા બદલ થેન્કયુ કોરોના.
કેટલાય લોકો હેલ્થ કોન્શિયસ માટે થઇને ડાઇટીંગ, જીમ જતા હતા પણ કોરોનાના સમયે આપણને સમજાયુ કે આપણી આર્યુવેદિક પ્રણાલી, યોગ, કસરત જ કોરોનાની સામે ઇમ્યુનિટી વધારવા ઉપયોગી છે. આપણા નૈસર્ગિક ઉપચાર, આર્યુવેદિક કાઢા ની નોંધ વિશ્વના ઘણા લોકોએ લીધી. એલોપેથી દવાની સામે હોમિયોપેથી, આર્યુવેદિક દવાઓનું આપણને ભાન કરાવવા બદલ થેન્કયુ કોરોના.
કોરોનાના લીધે વિશ્વએ ઘણુ બધુ ગુમાવ્યુ પણ એની સામે ઘણુ બધુ મેળવ્યું પણ છે એટલે જ થેન્કયુ કોરોના.